Categories
વાચન સમૃદ્ધિ

બંદાસિંહ બહાદુર

જ. ૨૭ ઑક્ટોબર, ૧૬૭૦ અ. ૯ જૂન, ૧૭૧૬

ખાલસા સેનાના અગ્રિમ શીખ લશ્કરી કમાન્ડર બંદાસિંહનો જન્મ રાજૌરીમાં ખેડૂત પરિવારમાં થયો હતો. તેમનું મૂળ નામ લચ્છમન દેવ હતું. તેમણે નાની ઉંમરે ઘોડેસવારી, કુસ્તી, તીરંદાજી અને તલવારબાજી જેવી કળાઓ સિદ્ધહસ્ત કરી હતી. જાનકીપ્રસાદ નામના તપસ્વીને મળ્યા પછી તેમણે ૧૫ વર્ષની ઉંમરે તપસ્વી બનવા ઘર છોડ્યું. તેમનું નામ માધોદાસ બૈરાગી રાખવામાં આવ્યું. તેમણે ગોદાવરી નદીના કિનારે નાંદેડમાં ડેરા સ્થાપ્યો. ૧૭૦૮માં ગુરુ ગોવિંદસિંહ માધોદાસને મળ્યા. માધોદાસ તેમના શિષ્ય બન્યા અને તેમનું નામ ગુરબક્ષસિંહ રાખવામાં આવ્યું. જે આગળ જતાં બંદાસિંહ બની ગયું. ગોવિંદસિંહે તેમને ‘બહાદુર’નું બિરુદ આપ્યું. લડાઈ માટે તેમણે બંદાસિંહને પાંચ તીર આપ્યાં અને રાજકીય તથા લશ્કરી અધિકાર આપ્યો. બંદાસિંહે સોનીપત પર હુમલો કર્યો અને જીત મેળવી. તેમણે શાહી ખજાનો અને ધનિકોને લૂંટ્યા અને સઘળી સંપત્તિ વહેંચી દીધી. તેમણે મુઘલોની પ્રાંતીય રાજધાની સામના જીતી અને પંજાબમાં સત્તા સ્થાપી. તેમણે જમીનદારી પ્રથા નાબૂદ કરી અને જમીન ખેડનારાઓને મિલકતના અધિકારો આપ્યા. તેમણે સરસિંહનો સમગ્ર વિસ્તાર અને તેના ૨૮ પરગણા પર વિજય પ્રાપ્ત કર્યો. તેનું સામ્રાજ્ય સતલજથી યમુના સુધી અને શિવાલિક પર્વતથી કુંજપરા, કરનાલ અને કૈથલ સુધી વિસ્તરેલું હતું. તેમણે મુખ્લીસગઢને પોતાની રાજધાની બનાવી અને તેનું નામ લોહગઢ રાખ્યું. ત્યાં તેમણે પોતાની ટંકશાળમાં સિક્કા બહાર પાડ્યા. ૧૭૧૫માં મુઘલસેનાએ ગુરદાસ નાંગલમાં ઘેરો કર્યો અને બંદાસિંહ અને તેમના સાથીઓને પકડી લીધા. બંદાસિંહને લોખંડના પાંજરામાં પૂરી દિલ્હી લાવવામાં આવ્યા. બંદાસિંહને તેમના ચાર વર્ષના પુત્ર અજયસિંહને મારી નાખવાનું કહેવામાં આવ્યું. બંદાસિંહે ના પાડી તેથી પુત્રને ફાંસી આપવામાં આવી અને તેનું હૃદય કાપીને બંદાસિંહના મોંમાં નાખવામાં આવ્યું. ત્રણ માસની કેદ પછી બંદાસિંહની આંખો કાઢી નાખવામાં આવી. તેમનાં અંગો કાપી નાખવામાં આવ્યાં. તેમની ચામડી ઉતારવામાં આવી. અતિશય ત્રાસ આપીને તેમનો શિરચ્છેદ કરવામાં આવ્યો.

Categories
વાચન સમૃદ્ધિ

દિનકર મહેતા

જ. ૧૭ ઑક્ટોબર, ૧૯૦૭ અ. ૩૦ ઑગસ્ટ, ૧૯૮૯

દિનકર મહેતા એક ભારતીય રાજકારણી અને ટ્રેડ યુનિયનિસ્ટ હતા. યુવાનીમાં તેઓ મહાત્મા ગાંધીજીના સાબરમતી આશ્રમ સાથે જોડાયેલા હતા. તેમણે ૧૯૨૮ના બારડોલી સત્યાગ્રહમાં ભાગ લીધો હતો અને ૧૯૩૦ના ધરાસણા સત્યાગ્રહનું નેતૃત્વ સંભાળ્યું હતું. સવિનય કાનૂનભંગ ચળવળ માટે તેમને જેલમાં મોકલવામાં આવ્યા હતા. દિનકર મહેતાએ ૧૯૨૯માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી સામાજિક વિજ્ઞાન સાથે સ્નાતક થયા બાદ ૧૯૩૩ સુધી ત્યાં શિક્ષણકાર્ય પણ કર્યું હતું. ૧૯૩૪માં તેમણે કૉંગ્રેસ સમાજવાદી પક્ષ(CSP)ના ગુજરાત એકમની સ્થાપનામાં સક્રિય રીતે ભાગ લીધો હતો. ૧૯૩૫માં તેઓ ભારતીય કૉમ્યુનિસ્ટ પાર્ટીના સભ્ય બન્યા અને ૧૯૩૬માં પાર્ટીએ તેમને ગુજરાતનું નેતૃત્વ સોંપ્યું હતું. તેમણે ૧૯૩૬થી ૧૯૩૮ દરમિયાન સમાજવાદી પાર્ટીના સંયુક્ત સચિવ તરીકે પણ સેવા આપી હતી. તેમણે ટ્રેડ યુનિયનો અને અન્ય  જનસંગઠનોનું આયોજન કર્યું હતું. ૧૯૪૦થી ૧૯૪૨ અને ૧૯૪૮થી ૧૯૫૧ સુધી તેઓ થોડો સમય જેલમાં અને વધુ સમય ભૂગર્ભમાં રહ્યા હતા. ૧૯૫૩ના મદુરાઈ પાર્ટી કૉંગ્રેસમાં દિનકર મહેતા સીપીઆઈની સેન્ટ્રલ કમિટીમાં ચૂંટાયા હતા. ૧૯૫૭થી ૧૯૬૦ દરમિયાન તેઓ મહાગુજરાત જનતા પરિષદના ઉપપ્રમુખ હતા. તેઓ ૧૯૫૮થી ૧૯૬૦ દરમિયાન બૉમ્બે રાજ્યની વિધાન પરિષદના સભ્યપદે પણ હતા. ૧૯૬૪માં સીપીઆઈનું વિભાજન થવાથી તેઓ ભારતીય કૉમ્યુનિસ્ટ પાર્ટી(માર્કસવાદી)માં જોડાયા. ઑક્ટોબર-નવેમ્બર ૧૯૬૪માં કૉલકાતા ખાતે યોજાયેલી સાતમી પાર્ટી કૉંગ્રેસમાં તેઓ સીપીઆઈ(એમ)ની ગુજરાત રાજ્ય સમિતિના સચિવ બન્યા હતા અને એ પદ તેમણે આજીવન નિભાવ્યું હતું. તેઓ ૧૯૬૬માં અમદાવાદના મેયર તરીકે ચૂંટાયા હતા અને ૧૯૬૭ સુધી મેયરપદે રહ્યા હતા. ૧૯૬૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં દરિયાપુર કાઝીપુર બેઠક પરથી અપક્ષ તરીકે તેમણે ચૂંટણી પણ લડી હતી. ગુજરાતી ભાષામાં માર્કસવાદી વિચારધારા પર તેમણે માતબર લેખનકાર્ય કર્યું છે.

અશ્વિન આણદાણી

Categories
વાચન સમૃદ્ધિ

વલ્લથોલ નારાયણ મેનન

જ. ૧૬ ઑક્ટોબર, ૧૮૭૮ અ. ૧૩ માર્ચ, ૧૯૫૮

મલયાળમ ભાષાના ‘મહાકવિ’ વલ્લથોલ નારાયણ મેનનનો જન્મ કેરળના મલપ્પુરમ્ જિલ્લાના ચેન્નારા ગામમાં થયો હતો. પિતા કડુંગોટ્ટે મલ્લિસેરી દામોદરન ઈલાયથુ અને માતા કુટ્ટિપ્પારુ અમ્મા (પાર્વતી). તેમણે ઔપચારિક શિક્ષણ મેળવ્યું નહોતું. તેઓ આરંભમાં સંસ્કૃત વિદ્વાન પાસેથી અને પછી તેમના કાકા પાસેથી સંસ્કૃત શીખ્યા. તેમણે સંસ્કૃત પદ્યસાહિત્યનો પરિચય કરાવ્યો. તેઓ ફિલૉસૉફી અને તર્કશાસ્ત્ર પણ શીખ્યા. તેમણે ત્રિસ્સુરમાં ૧૯૦૫થી ૧૯૧૦ સુધી કલ્પદ્રુમ પ્રેસમાં મૅનેજર તરીકે કામ કર્યું. તેમની શ્રવણશક્તિ બગડતાં ૧૯૧૫થી ‘કેરાલોદયમ્’ છાપામાં કામ શરૂ કર્યું. એ પછી જર્નલ ‘અમૃત રિતેશ’માં કામ કર્યું. તેમણે બાર વર્ષની ઉંમરે કવિતા લખવાનું શરૂ કર્યું. ‘કિરથ સતકમ્’ અને ‘વ્યાસાવતારમ્’ તેમની પહેલી પ્રકાશિત રચનાઓ હતી. તેમની કવિતાઓ ‘ભાષાપોષિણી’, ‘કેરળ સંચારી’ અને ‘વિજ્ઞાન ચિંતામણિ’ જેવાં સામયિકોમાં પ્રકાશિત થઈ. ૧૮૯૪માં ‘ભાષાપોષિણી’ સામયિકનો કવિતા પુરસ્કાર મેળવ્યો. તેમણે વાલ્મીકિ રામાયણનો મલયાળમ ભાષામાં અનુવાદ કરવાનું મહત્ત્વનું કાર્ય કર્યું.  ૧૯૧૩માં તેમનું મહાકાવ્ય ‘ચિત્રયોગમ્’ પ્રકાશિત થયું. એ પછી તેઓ ‘મહાકવિ’ કહેવાયા. તેમણે ‘કેરળ કલામંડલમ્’ની સ્થાપના કરી અને કથકલી નૃત્યને પુનર્જીવિત કરવાનો પ્રયત્ન કર્યો. તેઓ રાષ્ટ્રવાદી કવિ હતા. ભારતના સ્વતંત્રતાઆંદોલન પર તેમણે બે કવિતાઓની શ્રેણી રચી છે. તેમણે ‘ગંગાપતિ’, ‘બંધનસ્થાનય અનિરુદ્ધન’ તથા ‘સાહિત્યમંજરી’ના ૧૧ ગ્રંથો આપ્યા છે. તેમણે ઘણા કાવ્યગ્રંથો અને અનુવાદો આપી મલયાળમ સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. ૧૯૭૮માં ટપાલખાતાએ તેમની ૨૫ પૈસાની ટપાલટિકિટ બહાર પાડી હતી. તેમની સ્મૃતિમાં વલ્લથોલ સાહિત્ય સમિતિની સ્થાપના કરવામાં આવી છે. આ સમિતિ દ્વારા મલયાળમ સાહિત્યમાં યોગદાન માટે ૧,૧૧,૧૧૧/-નો રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. કોચીનના મહારાજા દ્વારા તેમને ‘કવિસર્વભૌમન’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારત સરકારે ૧૯૫૪માં તેમને પદ્મભૂષણથી સન્માનિત કર્યા હતા.

અનિલ રાવલ