Categories
વાચન સમૃદ્ધિ

લતા મંગેશકર

જ. ૨૮ સપ્ટેમ્બર, ૧૯૨૯ અ. ૬ ફેબ્રુઆરી, ૨૦૨૨

ભારતીય ગાયિકા. ‘સ્વરકિન્નરી’, ‘ભારતનો અવાજ’, ‘ભારતની કોકિલા’ જેવાં ઉપનામોથી જાણીતાં વિશ્વવિખ્યાત ગાયિકા લતા મંગેશકરનો જન્મ ઇંદોરમાં શાસ્ત્રીય સંગીતકાર દીનાનાથ મંગેશકરને ત્યાં થયો હતો. માતા શેવંતિ મંગેશકર ગુજરાતી હોવાને કારણે મરાઠી સંગીત સાહિત્ય સાથે, ગુજરાતી લોકસંગીત-સાહિત્ય સાથે પણ એમનો એક અલગ નાતો રહ્યો. સહજ ગાયનક્ષમતા બાબતે માતાએ લતાદીદીના પિતાનું ધ્યાન દોર્યું અને પાંચ વર્ષની વયે પિતા પાસે એમની શાસ્ત્રીય સંગીતની તાલીમ શરૂ થઈ. પિતા ગાયન સાથે નાટક કંપનીનું સંચાલન કરતા હોવાથી શરૂઆતનાં વર્ષોમાં લતાદીદીએ અભિનય પણ કર્યો, પરંતુ અભિનય એમને રુચિકર ન લાગતાં અભિનયને તિલાંજલિ આપી. ૧૩ વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવી. માસ્ટર વિનાયકની કંપની સાથે અર્થોપાર્જનને માટે તેઓ પોતાના કુટુંબ સાથે ૧૯૪૫માં મુંબઈમાં સ્થાયી થયાં. ઉસ્તાદ અમાન અલી ખાંસાહેબ પાસે ફરીથી શાસ્ત્રીય સંગીતની તાલીમ શરૂ કરી. ૧૯૪૬માં ફિલ્મ ‘આપકી સેવામેં’ માટે પ્રથમ હિન્દી ગીત ‘પા લાગું કરજોરી’ માત્ર સોળ વર્ષની ઉંમરે ગાયું. ત્યાર બાદ હિન્દી સિનેજગતના તમામ સંગીતનિર્દેશકના નિર્દેશનમાં ૫૦,૦૦૦થી પણ વધુ ગીતો એમણે ગાયાં અને ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડમાં નામ અંકિત કર્યું. ૨૦૦૭માં ૭૮ વર્ષની વયે ‘દિલ તો પાગલ હૈ’માં પાર્શ્વગાયન કર્યું જે ખૂબ લોકપ્રિય બન્યું. ૨૦૨૨માં ભારતીય સેના તથા રાષ્ટ્રને સમર્પિત ‘સોગંદ મુઝે ઇસ મિટ્ટીકી’ સંગીતનિર્દેશક મયુરેશ પાઇના સંગીતનિર્દેશનમાં ગાયું. તેઓ અનેકાનેક ઍવૉર્ડ્ઝથી સન્માનિત થયાં જેમાં અનેક ફિલ્મફેર, વિવિધ રાજ્યો, સંસ્થાઓની સાથે લાઇફટાઇમ એચીવમેન્ટ, દાદાસાહેબ ફાળકે, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ તથા સર્વોચ્ચ સન્માન ભારતરત્નથી સન્માનિત થયાં. ૩૬ ભાષાઓમાં વિવિધ ગીતો ગાનાર લતા મંગેશકર ભાષાના શબ્દોના અર્થ તથા ઉચ્ચાર બાબતે વિશિષ્ટ ધ્યાન આપવાની સાથે શાસ્ત્રીય સંગીતની તાલીમને અનિવાર્ય ગણતાં. અનેક સામાજિક સેવાઓ તથા ભારતીય સેના માટે ઋણસ્વીકાર અને આર્થિક સેવા એમના જીવનનો એક ભાગ રહ્યો. ફોટોગ્રાફી એ લતાદીદીનો વ્યક્તિગત શોખ રહ્યો. ફિલ્મ સંગીત સાથે ભજનો, ગઝલો, ગરબા, મરાઠી સંગીત એમના કંઠમાં અમરત્વ પામ્યાં છે.

Categories
વાચન સમૃદ્ધિ

યશ ચોપરા

જ. ૨૭ સપ્ટેમ્બર, ૧૯૩૨ અ. ૨૧ ઑક્ટોબર, ૨૦૧૨

હિન્દી ફિલ્મજગતના નિર્માતા, નિર્દેશક, ફિલ્મ-વિતરક તેમજ ફિલ્મસર્જનના જ્ઞાની. પિતા પી.ડબલ્યુ.ડી.માં એક સામાન્ય કારકુન તરીકે ફરજ બજાવતા હતા. આઠ ભાઈ-બહેનોમાં યશ ચોપરા સૌથી નાના હોવાથી સદા છત્રછાયામાં રહ્યા. જલંધરમાં ડોઆબા કૉલેજમાં એન્જિનિયરિંગના વિદ્યાર્થી તરીકે અભ્યાસ શરૂ કર્યો સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રવૃત્ત સભ્ય પણ રહ્યા, પરંતુ ફિલ્મનિર્માણની લગનને કારણે અભ્યાસ અધૂરો મૂકીને તેઓ મુંબઈ સ્થાયી થયા. શરૂઆતમાં ફિલ્મસર્જક આઈ. એસ. જોહરના સહાયક તરીકે કામ કર્યા પછી ૧૯૫૯માં ફિલ્મ ‘ધૂલ કા ફૂલ’ સાથે ફિલ્મનિર્દેશનમાં પદાર્પણ કર્યું. મોટા ભાઈ બી. આર. ચોપરાના નિર્માણમાં બનેલી ફિલ્મ ‘વક્ત’માં નિર્દેશન કર્યું.  ૧૯૭૩માં ફિલ્મ ‘દાગ’ સાથે નિર્માતા અને નિર્દેશક તરીકે સ્વપ્ન સાકાર કર્યું. યશરાજ ફિલ્મ્સના બૅનર સાથે ‘દીવાર’, ‘કભી-કભી’, ‘ત્રિશૂલ’, ‘સિલસિલા’, ‘ચાંદની’, ‘લમ્હે’, ‘વીરઝારા’, ‘દિલ તો પાગલ હૈ’ જેવી અનેક યાદગાર ફિલ્મ એમણે બનાવી. પ્રણય ફિલ્મો એ યશ ચોપરાની ઓળખ હતી. પોતાની ફિલ્મના સંવાદો ઉપર તેઓ વિશેષ ધ્યાન અને માવજત રાખતા. તેથી યશરાજ ફિલ્મ્સના બૅનર તળેની ફિલ્મોના સંવાદો આજે પણ જનહૈયે જળવાયેલા છે. યશ ચોપરાના બે પુત્રો આદિત્ય ચોપરા તેમજ ઉદય ચોપરા પણ ફિલ્મનિર્માણ તથા નિર્દેશનમાં સંકળાયેલા છે. યશ ચોપરાને એમના યોગદાન બદલ ભારત સરકારે ૨૦૦૫માં પદ્મભૂષણના સન્માનથી નવાજ્યા. બી.બી.સી. એશિયા ઍવૉર્ડ, બ્રિટિશ એકૅડેમી ફિલ્મ્સ ઍન્ડ ટેલિવિઝન આર્ટ્સ ઍવૉર્ડ, દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડ, પંજાબ રત્ન ઍવૉર્ડ, લાઇફટાઇમ એચીવમેન્ટ ઍવૉર્ડ, સ્વિસ ગવર્નમેન્ટ ઍવૉર્ડ, ફિલ્મફેરના ઘણા ઍવૉર્ડ એમને પ્રાપ્ત થયા હતા. સ્વિટ્ઝર્લૅન્ડમાં યશ ચોપરાની પ્રતિમા અને ચોપરા લેઇક બનાવીને એમને સન્માનિત કરવામાં આવ્યા છે. ટૂંકી માંદગી બાદ ૮૦ વર્ષની ઉંમરે એમનું અવસાન થયું. હિન્દી સિનેજગતમાં યશ ચોપરાનું કામ તથા નામ અવિસ્મરણીય છે.

Categories
વાચન સમૃદ્ધિ

ડૉ. મનમોહન સિંહ

જ. ૨૬ સપ્ટેમ્બર, ૧૯૩૨ અ. ૨૬ ડિસેમ્બર, ૨૦૨૪

વિદ્વાન અર્થશાસ્ત્રી, ભારતના પૂર્વનાણામંત્રી, પૂર્વવડાપ્રધાન અને આર્થિક ઉદારીકરણની નીતિના પ્રખર પુરસ્કર્તા મનમોહન સિંહનો જન્મ ગાહ, પંજાબ(હાલ પાકિસ્તાન)માં થયો હતો. ૧૯૪૭માં દેશનું વિભાજન થયું ત્યારે તેમનો પરિવાર ભારતમાં આવ્યો. અમૃતસરની હિન્દુ કૉલેજમાં અભ્યાસ કર્યો. તેમણે ૧૯૫૭માં કેમ્બ્રિજમાંથી અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો ત્યારબાદ ૧૯૬૨માં ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ડી.ફિલ.ની પદવી પ્રાપ્ત કરી. ભારત પાછા આવીને પંજાબ યુનિવર્સિટીમાં સિનિયર લેક્ચરર, ત્યારબાદ રીડર અને પ્રોફેસર તરીકે કામ કર્યું. તે પછી ૧૯૬૬થી ૧૯૬૯ દરમિયાન યુનાઇટેડ નૅશન્સ કૉન્ફરન્સ ઑન ટ્રેડ ઍન્ડ ડેવલપમેન્ટમાં અધ્યક્ષ તરીકે કાર્ય કર્યું. તેમને વિદેશી વેપાર મંત્રાલયના મુખ્ય સલાહકાર તરીકે નીમવામાં આવ્યા. તેઓ નાણામંત્રાલયના મુખ્ય આર્થિક સલાહકાર અને ત્યારબાદ સચિવ બન્યા. ૧૯૮૨માં તેમને ભારતીય રિઝર્વ બૅન્કના ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. જૂન, ૧૯૯૧માં તત્કાલીન વડાપ્રધાન નરિંસહરાવે તેમને નાણાપ્રધાન બનાવ્યા. તેમણે ભારતના સમાજવાદી અર્થતંત્રને મૂડીવાદી અર્થતંત્રમાં બદલવા માટે ઘણી નીતિઓ અમલમાં મૂકી. તેમણે જાહેર ક્ષેત્રની કંપનીઓનું ખાનગીકરણ કર્યું. બહુરાષ્ટ્રીય એકમોને ભારતમાં આવકારવાની નીતિ અપનાવી દેશને નવો વળાંક આપ્યો. ૨૨ મે, ૨૦૦૪ના રોજ તેઓ ભારતના વડાપ્રધાન બન્યા. તેમણે મહાત્મા ગાંધી નૅશનલ રુલર એમ્પ્લૉયમેન્ટ ગૅરંટી ઍક્ટ (MGNREGA), રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય મિશન (NHRM) અને શિક્ષણના અધિકાર અધિનિયમ (RTE) રજૂ કર્યા હતા. તેમણે ભારતની વધતી જતી ઊર્જાની માંગને પહોંચી વળવા ૨૦૦૬માં અમેરિકન પ્રમુખ જ્યૉર્જ બુશ સાથે પરમાણુ સહયોગ સંધિ માટે વાટાઘાટો કરી હતી. ૨૦૦૯માં તેઓએ બીજી વાર વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા.

દેશ-વિદેશની અનેક સંસ્થાઓએ તેમને અનેક પદવીઓ તથા પુરસ્કારોથી સન્માન્યા હતા. ૧૯૮૭માં ભારત સરકાર દ્વારા પદ્મવિભૂષણથી તેમને સન્માનવામાં આવ્યા હતા.