Categories
વાચન સમૃદ્ધિ

વિલિયમ ગોલ્ડિંગ

જ. ૧૯ સપ્ટેમ્બર, ૧૯૧૧ અ. ૧૯ જૂન, ૧૯૯૩

ઈ. સ. ૧૯૮૩નો સાહિત્યનો નોબેલ પુરસ્કાર મેળવનાર વિલિયમ ગોલ્ડિંગનો જન્મ ઇંગ્લૅન્ડના સેંટ કોલંબસ માઈનાર નામના સ્થળે થયો હતો. પિતાનું નામ એલેક અને માતાનું નામ મિલ્ફ્રેડ. જન્મસ્થળ માર્લબરો ગ્રામર સ્કૂલમાં પ્રારંભિક શિક્ષણ લઈ તેઓ ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં દાખલ થયા. કૉલેજ- શિક્ષણ પૂરું કરી તેમણે અધ્યાપનક્ષેત્રે કાર્ય કર્યું. ઑક્સફર્ડની જે સંસ્થામાંથી તેમણે સ્નાતકની પદવી લીધી હતી ત્યાં જ તેઓ માનાર્હ ફેલો થયેલા. ઈ. સ. ૧૯૪૦માં એન બ્રુકફિલ્ડ સાથે લગ્નગ્રંથિથી જોડાયા. સંગીત અને ગ્રીક ભાષાનું વાચન તેમના શોખના વિષયો હતા. બીજા વિશ્વયુદ્ધ વખતે તેઓ નૌકાદળમાં જોડાયા. ૧૯૪૪માં તેઓ એક યુદ્ધનૌકાના કમાન્ડર હતા. જર્મન યુદ્ધ-જહાજ ‘બિસ્માર્ક’ને તેમણે સમુદ્રમાં ગરકાવ થતું જોયું હતું. યુદ્ધ પૂરું થયા બાદ તેઓ પુન: અધ્યાપનકાર્યમાં જોડાઈ ગયા હતા. વિશ્વયુદ્ધો ચાલતાં હતાં ત્યારના મોટા ભાગના સાહિત્યસર્જકો પર યુદ્ધના વિનાશની ઘેરી અસર પડી હતી. વળી ગોલ્ડિંગને તો સાગર અને વિશ્વયુદ્ધ બંનેનો અનુભવ હતો, તેથી તેમનાં લખાણોમાં આ બંનેનું પ્રાધાન્ય રહેલું છે. તેઓ માનતા હતા કે દરેક મનુષ્યમાં એક પશુ છુપાયેલું છે. ૧૯૫૪માં તેમની પ્રથમ નવલકથા ‘લૉર્ડ ઑફ ધી ફ્લાઇઝ’ પ્રકાશિત થઈ. વિશ્વની ૨૮ ભાષાઓમાં તેનો અનુવાદ થયો છે. એમની પાસેથી ‘ધી ઇનહેરીટર્સ’, ‘ફ્રી ફૉલ’, ‘ધી સ્પાયર’, ‘ડાર્કનેસ વિઝિબલ’ વગેરે નવલકથાઓ મળી છે. ૧૯૮૭માં તેઓ ભારતની મુલાકાતે આવ્યા હતા. લેખક તરીકે તેઓ ગંભીર પ્રકૃતિના હતા. તેમણે નાટકો પણ લખ્યાં છે ને અભિનય પણ કર્યો હતો. ઈ. સ. ૧૯૬૬માં તેમને ‘સર’નો ખિતાબ આપવામાં આવ્યો હતો. તેમને અનેક સંસ્થાઓ તરફથી ડી. લિટ.ની માનદ પદવી એનાયત કરવામાં આવી હતી. છેલ્લે તેઓ કુટુંબ સાથે સેલ્સબરી પાસે આવેલ વિલ્ટશાયરમાં રહેતા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

એમ. એલ. દાંતવાલા

જ. ૧૮ સપ્ટેમ્બર, ૧૯૦૯ અ. ૮ ઑક્ટોબર, ૧૯૯૮

ભારતના પ્રખર અર્થશાસ્ત્રી મોહનલાલ દાંતવાલાનો જન્મ સૂરતમાં થયો હતો. પિતા લલ્લુભાઈ હાથીદાંતની વસ્તુઓ વેચવાનો વ્યવસાય કરતા હોવાથી તેમના કુટુંબની અટક દાંતવાલા પડી. તેમણે મૅટ્રિક સુધીનો અભ્યાસ મહારાષ્ટ્રના ધૂળે ગામમાં કર્યો. ૧૯૩૦માં મુંબઈની વિલ્સન કૉલેજમાંથી બી.એ.માં પ્રથમ વર્ગમાં પ્રથમ આવ્યા અને અર્થશાસ્ત્ર માટેનું જેમ્સ ટેલર પારિતોષિક મેળવ્યું. તેને કારણે ત્યાં જ તેઓ ફેલો નિમાયા. ત્યારબાદ એમ.એ. પાસ કરીને મુંબઈની યુનિવર્સિટી ઑવ્ ઇકૉનૉમિક્સ ઍન્ડ સોશિયોલૉજીમાં દાખલ થયા. તે દરમિયાન સવિનય કાનૂનભંગની ચળવળમાં ગુપ્ત રીતે ભાગ લેવા બદલ ૧૯૩૩માં તેમની ધરપકડ કરવામાં આવી. ૧૯૪૧થી ૧૯૪૫ વચ્ચે અમદાવાદની કૉલેજોમાં અધ્યાપનકાર્ય કર્યું. તે દરમિયાન આંદોલનોમાં સક્રિય ભાગ લેવા બદલ અઢી વર્ષનો જેલવાસ ભોગવ્યો. ૧૯૪૬થી મુંબઈ યુનિવર્સિટીની સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાં કૃષિ-અર્થશાસ્ત્રના વ્યાખ્યાતા તરીકે જોડાયા. કૃષિ-અર્થશાસ્ત્રને લગતી અનેક આંતરરાષ્ટ્રીય પરિષદોમાં તેમણે ભાગ લીધો હતો. આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા ધરાવતાં સામયિકોમાં તેમણે અનેક લેખો લખ્યા હતા. ઘણી અગ્રણી સંસ્થાઓની સ્થાપનામાં તેમનો મહત્ત્વનો ફાળો છે. તેમણે ઇન્ડિયન કાઉન્સિલ ઑવ્ સોશિયલ સાયન્સીઝ રિસર્ચ, વલ્લભવિદ્યાનગર, સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇકૉનૉમિક ઍન્ડ સોશિયલ રિસર્ચ, અમદાવાદ વગેરે સહિત અનેક સંસ્થાઓમાં મહત્ત્વના હોદ્દાઓ પર કામ કર્યું છે. ઘણી બધી વ્યાવસાયિક સંસ્થાઓમાં પણ તેમણે મહત્ત્વનું કાર્ય કર્યું છે. તેઓ અનેક ઍગ્રિકલ્ચરલ ઇકૉનૉમિક્સ સંસ્થાઓમાં સંપાદકમંડળના અધ્યક્ષ તરીકે કાર્યરત હતા. તેમને અનેક સન્માનો પ્રાપ્ત થયાં છે, જેમાં મુખ્યત્વે મુંબઈ યુનિવર્સિટીના ‘જેમ્સ ટેલર પ્રાઇઝ’, દાદાભાઈ નવરોજી મેમોરિયલ ફેલોશિપ પ્રાઇઝ તથા ફાઇનાન્શિયલ એક્સપ્રેસ ઍવૉર્ડનો સમાવેશ થાય છે. તેમના ગ્રંથ ‘એ હંડ્રેડ ઇયર્સ ઑવ્ ઇન્ડિયન કૉટન’(૧૯૪૭)ની પ્રસ્તાવના પંડિત નહેરુએ લખી હતી. તેઓ ‘નૅશનલ પ્રોફેસર’નું બિરુદ પણ ધરાવે છે. ભારત સરકારે ૧૯૬૯માં તેમને પદ્મભૂષણનો ખિતાબ આપ્યો હતો.

Categories
વાચન સમૃદ્ધિ

દિલીપ ચિત્રે

જ. ૧૭ સપ્ટેમ્બર, ૧૯૩૮ અ. ૧૦ ડિસેમ્બર, ૨૦૦૯

મરાઠી અને અંગ્રેજીના પ્રસિદ્ધ કવિ, વિવેચક, નિબંધકાર, વાર્તાકાર, સંપાદક, અનુવાદક, નાટ્યકાર અને ફિલ્મકાર દિલીપ ચિત્રેએ તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વડોદરામાં લીધું હતું. તેમના પિતા પુરુષોત્તમ ચિત્રે વડોદરાથી ‘અભિરુચિ’ નામનું મરાઠી સામયિક ચલાવતા હતા. ૧૯૫૧માં તેઓ મુંબઈ ગયા હતા. ૧૯૫૯માં તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી વિષય સાથે બી.એ.ની પદવી પ્રાપ્ત કરી હતી. દિલીપ ચિત્રેએ ત્રણ વર્ષ ઇથિયોપિયામાં શિક્ષક અને એક વર્ષ અમેરિકામાં આયોવા ખાતે આંતરરાષ્ટ્રીય ભૂમિકાએ લેખનકાર્ય કર્યું હતું. ત્યારબાદ ભારત પાછા ફરીને તેમણે પત્રકાર અને ડિઝાઇનર તરીકે ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના કલાવિભાગમાં તેમજ સ્વતંત્ર રીતે કામગીરી કરી હતી. તેમણે ૧૯૭૮થી ૧૯૮૩ દરમિયાન ભોપાલમાં નિરાલા સૃજનપીઠ અને ભારતભવનમાં વાગર્થના નિયામક, નવી દિલ્હી ખાતે વાલ્મીકિ વિશ્વ કવિતા મહોત્સવના નિયામક તથા પુણેમાં ‘ન્યૂ ક્વેસ્ટ’ના સંપાદક જેવી મહત્ત્વની જવાબદારીઓ સંભાળી હતી. દિલીપ ચિત્રે તેમના ‘કવિતા’, ‘કવિતેનંતરચ્યા કવિતા’, ‘દહે બાઈ દહા’ અને ‘એકૂણ કવિતા’ ખંડ ૧-૨ જેવા કાવ્યસંગ્રહો, ‘ઑર્ફિયસ’ નામનો વાર્તાસંગ્રહ, ‘શીબા રાણીચ્ચ શોધાત’ નામના સચિત્ર પ્રવાસવર્ણન દ્વારા મરાઠી સાહિત્યજગતમાં અગ્રેસર બની રહ્યા હતા. તેમણે તુકારામના અભંગોનો ‘સે તુકા’ શીર્ષક હેઠળ અને જ્ઞાનદેવના ‘અમૃતાનુભવ’માંથી પસંદગીનાં કાવ્યોનો અનુવાદ કર્યો છે. અંગ્રેજીમાં લખેલું એક દીર્ઘકાવ્ય ‘ઍમ્બુલન્સ રાઇડ’ અને ‘ટ્રાવેલિંગ ઇન એ કેજ’ મુખ્ય છે. ૧૯૮૩માં હિંદી કથા-ફિલ્મ ‘ગોદામ’ અને કવિઓ પર બનાવેલ કેટલાંક વૃત્તચિત્રો અને શ્રેણીઓ એમનું મહત્ત્વનું પ્રદાન છે. દિલીપ ચિત્રેને મહારાષ્ટ્ર રાજ્ય કવિતા પુરસ્કાર, કહાની પુરસ્કાર, ગોદાવરી સ્મૃતિ કવિતા પુરસ્કાર તથા રાષ્ટ્રીય ફિલ્મ વિકાસ નિગમનો સર્વોત્કૃષ્ટ ફિલ્મ પટકથા માટેનો પુરસ્કાર પ્રાપ્ત થયા છે. ‘એકૂણ કવિતા’ ખંડ-૧ને ૧૯૯૪નો કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. આ સિવાય પણ તેમને ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઍવૉર્ડ મળ્યા હતા.