Categories
વાચન સમૃદ્ધિ

એમ. એસ. સુબ્બુલક્ષ્મી

જ. ૧૬ સપ્ટેમ્બર, ૧૯૧૬ અ. ૧૧ ડિસેમ્બર, ૨૦૦૪

અત્યંત મધુર કંઠ, સંસ્કૃત ભાષાના ઉચ્ચારની સ્પષ્ટતા, આરોહ-અવરોહની ખૂબી તથા લય અને તાલની મોહિની ધરાવતાં એમ. એસ. સુબ્બુલક્ષ્મીનો જન્મ મદુરાઈમાં એક જાણીતા સંગીત પરિવારમાં થયો હતો. તેથી બાળપણથી જ સુબ્બુલક્ષ્મીને સંગીતના સંસ્કાર મળ્યા હતા. ફક્ત ચાર ધોરણ સુધી અભ્યાસ કરી તેમણે શાળાકીય શિક્ષણ લેવાનું છોડી દીધું અને સમગ્ર ધ્યાન સંગીતસાધનામાં પરોવ્યું. કિશોરાવસ્થા સુધીમાં તો તેઓ કર્ણાટકી શાસ્ત્રીય સંગીતમાં નિપુણતા મેળવી ચૂક્યાં હતાં. ૧૯૪૦માં તેમનાં લગ્ન શ્રી ટી. સદાશિવમ્ સાથે થયાં હતાં. પતિ પાસેથી તેમને સંગીતમાં માર્ગદર્શન, મદદ અને મમતાભરી માવજત મળી. ૧૯૪૪માં મુંબઈમાં અખિલ ભારતીય સંગીત સંમેલનમાં કાર્યક્રમ રજૂ કરી તેમણે ભારતભરમાંથી આવેલા સંગીતકારોને પ્રભાવિત કર્યા હતા. સૌંદર્ય અને સૂરોનો અનોખો સંગમ ધરાવતાં આ કલાકારે ૧૮ વર્ષની ઉંમરે તમિળ ફિલ્મોમાં અભિનેત્રી તરીકે પદાર્પણ કર્યું. તેમની ફિલ્મ ‘મીરાં’એ અદભુત સફળતા પ્રાપ્ત કરી હતી. આ ફિલ્મમાં ૧૮ જેટલાં ભજનો તેમણે પોતાના સુરીલા કંઠે ગાયાં હતાં જે ખૂબ જ લોકપ્રિય બન્યાં હતાં. સુબ્બુલક્ષ્મીએ કર્ણાટકી સંગીતનું શિક્ષણ માતાથી માંડીને અરિયકુડી રામાનુજ આયંગર જેવા મહાન દક્ષિણ ભારતીય સંગીતકારો દ્વારા પ્રાપ્ત કર્યું તો દ્વિજેન્દ્રલાલ રૉય પાસેથી ઉત્તર હિન્દુસ્તાની શૈલીના ‘ખયાલ’ અને સિદ્ધેશ્વરી દેવી પાસેથી ‘ઠૂમરી’ અને ‘ટપ્પા’નું શિક્ષણ મેળવ્યું હતું. મીરાંનાં ભજનો ગાયાં બાદ સૂરદાસ, કબીર, તુલસીદાસ, નરસિંહ મહેતા વગેરે અનેક ભક્તકવિઓનાં ભજનો અને પદોને મધુર કંઠ આપ્યો હતો. તેમણે અનેક વાર ગાંધીબાપુની સમક્ષ સંગીત પીરસ્યું હતું. ૧૯૬૬માં ન્યૂયૉર્કમાં તેમણે રાષ્ટ્રસંઘની સામાન્ય સભા સમક્ષ પણ સંગીત પીરસ્યું હતું. સુબ્બુલક્ષ્મીએ દેશ-વિદેશમાં કરેલા પોતાના કાર્યક્રમો દ્વારા અનેક સંસ્થાઓને સમાજોપયોગી કાર્યો માટે લાખો રૂપિયાનું નાણાભંડોળ એકત્રિત કરી આપ્યું હતું. ૧૯૫૪માં ‘પદ્મભૂષણ’, ૧૯૫૬માં સંગીત નાટક અકાદમી પુરસ્કાર, ૧૯૭૪માં મૅગ્સેસે ઍવૉર્ડ, ૧૯૭૫માં ‘પદ્મવિભૂષણ’ પુરસ્કારથી તેમને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. ૧૯૯૮માં તેમને ‘ભારતરત્ન’નો સર્વોચ્ચ ખિતાબ પણ એનાયત થયો હતો. આ સન્માન મેળવનારાં તેઓ સર્વપ્રથમ સંગીતકાર હતાં.

Categories
વાચન સમૃદ્ધિ

લાન્સ નાયક કરમિંસહ

જ. ૧૫ સપ્ટેમ્બર, ૧૯૧૫ અ. ૨૦ જાન્યુઆરી, ૧૯૯૩

ભારત-પાકિસ્તાન યુદ્ધમાં અપ્રતિમ બહાદુરીનાં દર્શન કરાવનાર લાન્સ નાયક કરમસિંહનો જન્મ પંજાબના સેહના ગામમાં શીખ રાજપૂત પરિવારમાં થયો હતો. તેમના પિતા ખેડૂત હતા. ગામમાં પ્રથમ વિશ્વયુદ્ધના સૈનિકોની પરાક્રમગાથા સાંભળી તેમણે લશ્કરમાં જોડાવાનો નિર્ણય કર્યો. ગામમાં શાળેય શિક્ષણ પૂર્ણ કર્યું. ૧૫ સપ્ટેમ્બર, ૧૯૪૧ના રોજ શીખ રેજિમેન્ટની પહેલી બટાલિયનમાં જોડાયા. બીજા વિશ્વયુદ્ધમાં બર્મા મોરચે જાપાનીઓ સામેની લડાઈમાં તેમને પગમાં ગોળી વાગી છતાં લડત ચાલુ રાખી. એમની નીડરતા અને બહાદુરીથી પ્રભાવિત થઈ બ્રિટિશ તાજ દ્વારા લશ્કરી ચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો અને તેમને લાન્સ નાયકના પદ પર બઢતી આપવામાં આવી હતી. ૧૩ ઑક્ટોબર, ૧૯૪૮ના રોજ પાકિસ્તાને તિથવાલના મોરચા પર બ્રિગ્રેડ તૈનાત કરી અને સૈનિકોનું એક જૂથ રિછમાર ગલી મોકલ્યું. સવારે છ વાગ્યે આક્રમણ થયું ત્યારે આગળની હરોળની ખાઈમાં કરમસિંહ સહિત ચાર સૈનિકો જ હતા. તેમ છતાંય તેમણે હુમલો નિષ્ફળ બનાવ્યો. ઉપરાઉપરી હુમલા થતા રહ્યા. કરમસિંહ સાથેના જવાનો ઘાયલ થવાથી બીજી હરોળની ખાઈમાં જવું અનિવાર્ય થયું. ૧૦ વાગ્યે ફરી હુમલો થતાં કરમસિંહ ખાઈ છોડીને બહાર આવ્યા અને ગ્રૅનેડનો મારો ચલાવ્યો. બીજી બાજુ ચોકીનો એક સૈનિક ઘવાયેલા સાથી સૈનિકોને ધીરે ધીરે પાછળની હરોળની ખાઈમાં લઈ ગયો. કરમસિંહ બીજી હરોળમાં પહોંચ્યા ત્યારે તેઓ લોહીથી નીતરતા હતા. રિછમાર ગલીમાં પાકિસ્તાની બ્રિગ્રેડ સામે આપણા ૪૭ જવાનોએ અભૂતપૂર્વ પરાક્રમ બતાવ્યું. ભારતનો વિજય થયો. કરમસિંહે સમયસૂચકતા વાપરી ઘવાયેલા સાથીઓને બચાવ્યા અને પોતે ઘાયલ હોવા છતાં સૌને પ્રોત્સાહિત કરી પોતે પણ લડતા રહ્યા. કરમસિંહના અજોડ પરાક્રમ બદલ ભારત સરકારે ૧૯૫૦માં તેમને પરમવીરચક્રથી સન્માનિત કર્યા. પરમવીરચક્રથી સન્માનિત થનાર તેઓ પ્રથમ જીવિત સૈનિક હતા. સ્વતંત્રતા પછી ભારતીય ધ્વજ ફરકાવવા માટે પસંદ કરાયેલા પાંચ સૈનિકોમાંના તેઓ એક હતા.

Categories
વાચન સમૃદ્ધિ

રામ જેઠમલાની

જ. ૧૪ સપ્ટેમ્બર, ૧૯૨૩ અ. ૮ સપ્ટેમ્બર, ૨૦૧૯

સુપ્રસિદ્ધ ભારતીય વકીલ અને રાજનીતિજ્ઞ રામ જેઠમલાનીનો જન્મ બ્રિટિશ ભારતના શિકારપુર શહેરમાં (જે હાલમાં પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલ છે) થયો હતો. તેમનું મૂળ નામ રામમૂલચન્દ જેઠમલાની હતું પણ બાળપણમાં રામ નામથી બોલાવતા હોવાથી આગળ જતાં પણ તે જ નામથી મશહૂર થયા. શિક્ષણમાં તેજસ્વી હોવાથી બે-બે ધોરણો એકસાથે પાસ કરી ૧૩ વર્ષની વયે મૅટ્રિકની પરીક્ષા પાસ કરી લીધી હતી. ૧૭ વર્ષની વયે એલએલ.બી.ની ઉપાધિ પણ મેળવી લીધી પણ તે સમયે ૨૧ વર્ષની ઉંમરે જ વકીલાત કરી શકાય તેવો નિયમ હતો. આમ છતાં ખાસ વિશેષ પ્રસ્તાવ પાસ કરી તેમને ૧૮ વર્ષની ઉંમરે વકીલાત કરવાની રજા આપવામાં આવી હતી. ત્યારબાદ કરાંચીની એસ. સી. સાહની કૉલેજમાંથી તેમણે એલએલ.એમ.ની ઉપાધિ મેળવી હતી. ૧૯૫૪માં તેઓએ મુંબઈની ગવર્નમેન્ટ લૉ કૉલેજમાં સ્નાતક અને અનુસ્નાતકના વિદ્યાર્થીઓને ભણાવવાનું શરૂ કર્યું. આ ઉપરાંત અમેરિકાના મિશિગન રાજ્યના ડેટ્રોઇટ શહેરમાં ‘વેઈન સ્ટેટ યુનિવર્સિટી’માં ‘કમ્પેરીટિવ લૉ’ના અધ્યાપક તરીકે કાર્ય કર્યું. તેઓ એક સારા રાજકારણી હોવાના નાતે છઠ્ઠી અને સાતમી લોકસભામાં મુંબઈમાંથી જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા. તેઓએ અટલબિહારી બાજપાયીની સરકારમાં કેન્દ્રીય કાયદામંત્રી, શહેરી વિકાસમંત્રી અને ન્યાયમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો પણ એક વિવાદાસ્પદ કથનને લીધે મતભેદ થયા. ૨૦૦૪માં લખનઉની લોકસભા માટે તેઓ વાજપેયીની સામે ચૂંટણી લડ્યા હતા પણ તેમની હાર થઈ હતી. ૧૯૯૬માં તેઓ ‘ઇન્ટરનેશનલ બાર ઍસોસિયેશનના સભ્ય બન્યા હતા. ત્યારબાદ ૭મી મે, ૨૦૧૦માં તેમને સુપ્રીમ કોર્ટ બાર ઍસોસિયેશનના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા અને ભાજપમાં પાછા ફર્યા.  તેઓ રાજ્યસભાના સાંસદ તરીકે કાર્યરત હતા. તેમણે ઘણાં બધાં પુસ્તકો લખ્યાં છે. જેમાં ‘બીગ ઇગોઝ, સ્મોલ મૅન’, ‘કોન્ફ્લિક્ટ ઑફ લૉઝ’ (૧૯૫૫), ‘કોન્સિયન્સ ઑફ અ મેવરીક’, ‘જસ્ટિસ : સોવિયેટ સ્ટાઇલ’, ‘મેવરીક : અનચેન્જડ્, અનરીપેન્ટન્ટ’. આ ઉપરાંત બીજા લેખકોના સહયોગમાં પણ તેમણે બીજાં પુસ્તકો લખ્યાં છે. તેમના ન્યાયશાસ્ત્રના પ્રદાન માટે તેમને ‘ઇન્ટરનેશનલ જ્યૂરિસ્ટ ઍવૉર્ડ’,  ‘૧૯૭૭ – હ્યુમન રાઇટ્સ ઍવૉર્ડ બાય વર્લ્ડ પીસ થ્રૂ લૉ’ એનાયત થયા છે.