Categories
વાચન સમૃદ્ધિ

આશારામ દલીચંદ શાહ

જ. 8 ફેબ્રુઆરી, 1842 અ. 26 માર્ચ, 1921

મોરબી, માળિયા, લાઠી રાજ્યોના કારભારી અને શિક્ષક આશારામનો જન્મ રાજકોટમાં. પિતા દલીચંદ અને માતા વખતબા. તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ રાજકોટમાં થયું. 1859માં પ્રાંતમાં યોજાયેલી પ્રથમ યુનિવર્સિટી પ્રવેશ પરીક્ષા પાસ કરી 17 વર્ષની ઉંમરે લીંબડીમાં શિક્ષક થયા. 1863માં જામનગર બદલી થઈ. 1865માં શિક્ષણ વિભાગમાંથી રાજીનામું આપી જામનગર રાજ્યમાં જોડાયા. જામનગર અને આમરણ વચ્ચે તકરાર ચાલતી હતી તેમાં તેમની નિમણૂક થઈ. પંચે જામનગર તરફી ચુકાદો આપ્યો. તેનો યશ તેમને મળ્યો. એ પછી તેઓ રાજકોટ ગયા અને એજન્સીની કોર્ટમાં વકીલાત કરવાની સનદ મેળવી. તેમને મોરબીના પાટવીકુમાર વાઘજી બીજાના શિક્ષક તરીકે નીમવામાં આવ્યા. પછી તેઓ મોરબીની શાળાના હેડમાસ્તર બન્યા. બ્રિટિશ રાજકીય એજન્ટે તેમને માળિયાના કારભારી નિયુક્ત કર્યા.  જુલાઈ, 1886માં કર્નલ વૉટસને તેમને લાઠીના મૅનેજર  નીમ્યા. તેમણે સાતેક વર્ષ સુધી લાઠી રાજ્યનું સંચાલન કર્યું. પછી તેઓ ચૂડામાં અને એ પછી બાંટવે અને સરદારગઢ (ગીદડ) રાજ્યના કારભારી તરીકે નિમાયા. 1898માં તેમણે સેવામાંથી નિવૃત્તિ લીધી.  તેઓ તલવાર, બંદૂક, કટાર વાપરી જાણતા હતા. તેઓ ઘોડેસવારીના શોખીન હતા. તેઓ ઊંટ ઉપર બેસીને લાંબી મુસાફરી કરતા હતા. તેમની સ્મરણશક્તિ તીવ્ર હતી. નિવૃત્તિ પછી તેઓ અમદાવાદમાં સ્થાયી થયા. તેમણે ગુજરાતી કહેવતો, રૂઢિપ્રયોગો અને કહેવતોનો ‘ગુજરાતી કહેવત સંગ્રહ’ (1911માં) પ્રગટ કર્યો. 1901માં સ્વામિનારાયણ મંદિરના નેતૃત્વ અને સંપત્તિનો ઉત્તરાધિકારનો વિવાદ થતાં તેમને ટ્રસ્ટી બનાવવામાં આવ્યા હતા. સહજાનંદ સ્વામીએ જૉન માલ્ક્સની રાજકોટમાં મુલાકાત લીધી ત્યારે તેઓ  ઉપસ્થિત રહ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

સુજીત કુમાર

જ. 7 ફેબ્રુઆરી, 1934 અ. 5 ફેબ્રુઆરી, 2010

હિન્દી તથા ભોજપુરી સિનેમાના અભિનેતા સુજીતકુમારનો જન્મ વારાણસીમાં સંપન્ન ખેડૂત પરિવારમાં થયો હતો. શાળાકીય શિક્ષણ વારાણસીમાં મેળવ્યા પછી વકીલાતના શિક્ષણ માટે પરદેશ ન જતાં વારાણસીમાં જ લેવાનું પસંદ કર્યું. કૉલેજના દિવસોમાં નાટકોમાં અભિનય કરતા રહ્યા. દરમિયાન ફિલ્મનિર્દેશક ફની મજુમદારની નજરમાં આવ્યા અને મુંબઈ આવી ફિલ્મજગતમાં નસીબ અજમાવવાનું એમણે સૂચન કર્યું. મુંબઈ માયાનગરીમાં ઘણા સંઘર્ષ પછી પણ કામ ન મળતાં એમણે ભોજપુરી ફિલ્મોમાં કામ મેળવવા પ્રયત્ન કર્યો. 1963માં ભોજપુરી ફિલ્મ ‘વિદેસીયા’થી ફિલ્મજગતમાં પદાર્પણ કર્યું અને નસીબજોગે એમની ભોજપુરી ફિલ્મોથી ડૂબતું જતું ભોજપુરી ફિલ્મજગત ફરીથી પુનર્જીવિત થયું. તેઓ ભોજપુરી ફિલ્મોના સુપરસ્ટાર બની ગયા. તેમણે 1966માં હિન્દી ફિલ્મ ‘લાલ બંગલા’ સાથે હિન્દી સિનેમાજગતમાં પ્રવેશ થયો. ‘આરાધના’, ‘અમરપ્રેમ’, ‘ઇત્તફાક’, ‘હાથી મેરે સાથી’, ‘આંખે’, ‘જુગનુ’, ‘ધરમ-વીર’, ‘અવતાર’ જેવી લગભગ 70 જેટલી હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યો. વિશેષ કરીને રાજેશ ખન્ના સાથે અનેક ફિલ્મોમાં સહાયક ભૂમિકામાં તથા સહાયક ખલનાયકની ભૂમિકામાં તેઓ દેખાયા હતા. સાથે ફિલ્મનિર્માણમાં પણ એમણે જંપલાવ્યું. ‘ખેલ’, ‘આસમાં સે ઊંચા’, ‘દરાર’, ‘અનુભવ’ જેવી અનેક ફિલ્મોનું નિર્માણ કર્યું. પત્ની કિરણ સિંહ એક વાર્તાલેખિકા હતાં. 2005માં એમનું નિધન થયું. પત્નીના અવસાન પછી સુજીતકુમારનું જીવન લાગણીના ધોરણે એકલતાભર્યું બની ગયું. પુત્ર જતીનકુમાર અને પુત્રી હેના સિંહ એમનાં સંતાનો પિતા માટે સદાય સહારો બની રહ્યાં. 1996માં ફિલ્મ ક્રાન્તિવીરમાં અભિનય કરવા સાથે સુજીતકુમારે અભિનયને તિલાંજલી આપી અને પુત્ર જતીનકુમાર સાથે ફિલ્મનિર્દેશનનું કાર્ય ચાલુ રાખ્યું. કૅન્સરની બીમારીના કારણે એમનું અવસાન થયું.

Categories
વાચન સમૃદ્ધિ

રામચંદ્ર નારાયણ દ્વિવેદી

જ. 6 ફેબ્રુઆરી, 1915 અ. 11 ડિસેમ્બર, 1998

હિન્દી ફિલ્મોના ખ્યાતનામ ગીતકાર રામચંદ્ર દ્વિવેદીનો જન્મ ઉજજૈન જિલ્લાના બડનગરમાં થયો હતો. તેઓ કવિ ‘પ્રદીપ’ના નામથી ખ્યાતનામ છે. તેમના વડવાઓ મૂળ ઉત્તર ગુજરાતના, પરંતુ પ્લેગને કારણે સ્થળાંતર કરી મધ્યપ્રદેશમાં સ્થાયી થયા. તેમનું શાળેય શિક્ષણ ઇન્દોરમાં અને ઉચ્ચશિક્ષણ અલાહાબાદ અને લખનઉમાં થયું. ટીસર્ચ ટ્રેનિંગ કોર્સ કરીને શિક્ષક બન્યા. તેમને કવિતા લખવા અને રજૂ કરવાનો શોખ હતો. તેમણે કવિસંમેલનોમાં શ્રોતાઓને મોહિત કર્યા હતા. મુંબઈમાં યોજાયેલા કવિસંમેલનમાં તેમની કવિતાથી પ્રભાવિત થઈ હિમાંશુ રૉય દ્વારા તેમને ‘કંગન’ ફિલ્મમાં ચાર ગીતો લખવા આપ્યાં જેમાંનાં ત્રણ ગીતો તેમણે ગાયાં હતાં. તેમણે 1500 ઉપરાંત ગીતોની રચના કરી. અનેક ફિલ્મોમાં તેમનાં ગીતો લોકપ્રિય બન્યાં. જેમાં ‘પુનર્મિલન’, ‘બંધન’, ‘ઝૂલા’, ‘કિસ્મત’, ‘મશાલ’, ‘બાપ-બેટી’, ‘નાગમણિ’, ‘તલાક’, ‘નેતાજી સુભાષચંદ્ર બોઝ’, ‘અગ્નિરેખા’, ‘જય સંતોષી મા’, ‘પૈગામ’ અને ‘આંખ કા તારા’ ઉલ્લેખનીય છે. તેમનાં અનેક ગીતો લોકહૈયે વસી ગયાં હતાં. જેમાં ‘આઓ બચ્ચો તુમ્હેં દિખાયેં ઝાંકી હિન્દુસ્તાન કી’, ‘હમ લાયે હૈ તૂફાન સે કશ્તી નિકાલ કે’, ‘ઇન્સાફ કી ડગર પે બચ્ચોં દિખાઓ ચલકે’, ‘દે દી હમેં આઝાદી બિના ખડ્ગ બિના ઢાલ’, ‘પિંજરે કે પંછી રે’ જેવાં ગીતો આજે પણ એટલાં જ લોકપ્રિય છે. ‘કિસ્મત’ ફિલ્મના ગીતની ‘હિંદોસ્તાં હમારા હૈ’, પંક્તિમાં ‘ભારત છોડો’ ચળવળનો ધ્વનિ માલૂમ પડતાં અંગ્રેજ સરકારે તેમને પકડવા વૉરન્ટ કાઢ્યું હતું, પરંતુ તેઓ ભૂગર્ભમાં જતા રહ્યા. 1962ના ભારત-ચીન યુદ્ધમાં પરમવીર મેજર શૈતાનસિંહ ભાટીના બલિદાનથી પ્રભાવિત થઈ તેમણે ‘એ મેરે વતન કે લોગો’ ગીત લખ્યું એ ગીતથી તેમને ‘રાષ્ટ્રકવિ’નું સન્માન મળ્યું. તેમણે એ ગીતની રૉયલ્ટી ‘યુદ્ધ વિધવા ભંડોળ’માં આપી હતી. કવિ પ્રદીપને અનેક ઍવૉર્ડોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. બંગાળ ફિલ્મ જર્નાલિસ્ટ ઍસોસિયેશનનો શ્રેષ્ઠ ગીતકાર અને શ્રેષ્ઠ પાર્શ્વગાયક તરીકેનો ઍવૉર્ડ, ભારત સરકારનો શ્રેષ્ઠ ગીતકાર તરીકેનો ઍવૉર્ડ, સૂરસિંગાર ઍવૉર્ડ, રાષ્ટ્રીય એકતા ઍવૉર્ડ, સંગીત નાટક અકાદમી પુરસ્કાર, સંસ્કૃતિ સંબંધ પુરસ્કાર, દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડ વગેરે તેમને મળ્યા હતા. ભારતીય ટપાલ વિભાગે તેમની સ્મૃતિમાં પાંચ રૂપિયાની ટપાલટિકિટ બહાર પાડી હતી.