Categories
વાચન સમૃદ્ધિ

ઇન્દિરા ગોસ્વામી

જ. 14 નવેમ્બર, 1942 અ. 29 નવેમ્બર, 2011

અસમિયા સાહિત્યનાં જાણીતાં સાહિત્યકાર, વિવેચક, પ્રાધ્યાપક વિદુષીનો જન્મ ગુવાહાટી, આસામમાં થયો હતો. ઇન્દિરા ગોસ્વામીએ શિલૉંગની પાઇનમાઉન્ટ સ્કૂલમાં તથા ગુવાહાટીની તારિણી ચૌધરી ગર્લ્સ સ્કૂલમાંથી શાળાકીય શિક્ષણ લીધું. ગુવાહાટી યુનિવર્સિટીમાંથી આસામીઝ સાહિત્યમાં સ્નાતક અને ત્યારબાદ અનુસ્નાતક પદવી પ્રાપ્ત કરી. પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતાં ઇન્દિરા ગોસ્વામી નાનપણથી જ કલ્પનાશીલ અને સંવેદનશીલ હતા. અતિશય સંવેદનશીલતાને કારણે તેઓ આજીવન ડિપ્રેશનનો શિકાર બનેલાં. તેમને અવારનવાર આત્મહત્યાના વિચારો આવતા. પ્રેમલગ્નના દોઢ વર્ષમાં જ પતિ મધુરાયસમ આયંગરનું એક માર્ગ અકસ્માતમાં અવસાન થતાં તેમને વૈધવ્યનાં દુઃખ અને એકલતાનો અનુભવ થયો. વૃંદાવન જઈ તેમણે તેમના ગુરુ લાખેરુજીના માર્ગદર્શનમાં પીએચ.ડી. કર્યું. ત્રણ વર્ષના વૃંદાવનના નિવાસ દરમિયાન તેમણે રામાયણનો વિસ્તૃત અભ્યાસ કર્યો. તે સમયે વ્રજધામમાં રહેતી સમાજથી તિરસ્કૃત અને ઉપેક્ષિત એવી અનેક મજબૂર અને લાચાર વિધવાઓને જોઈને તેમનું દિલ દ્રવી ઊઠ્યું અને તેમણે યાદગાર નવલકથા ‘નીલકંઠી વ્રજ’(1986)નું સર્જન કર્યું. આ કૃતિએ તેમને ખૂબ યશ અપાવ્યો. તેના પરથી ‘અડાજ્યા’ નામની ફિલ્મ બની. જેને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય પુરસ્કારો પ્રાપ્ત થયા. ત્યારબાદ તેઓ દિલ્હી યુનિવર્સિટીમાં આસામીઝ સાહિત્યનાં પ્રોફેસર તરીકે જોડાયાં. દિલ્હીના નિવાસ દરમિયાન તેમણે મોટા ભાગની યાદગાર કૃતિઓનું સર્જન કર્યું; જેમાં ‘ઉદય ભાનુ’, ‘અહીરોન’, ધ રસ્ટેડ સ્વૉર્ડ, ‘ધ મૅન ફ્રોમ છિન્નમસ્તા’, ‘પેજીસ સ્ટેઇન્ડ વિથ બ્લડ’ વગેરે મુખ્ય ગણાય. તેમની હૃદયદ્રાવક આત્મકથા ‘એન અનફિનિશ્ડ ઑટોબાયૉગ્રાફી’ (1990) અનેક ભાષાઓમાં અનૂદિત થઈ છે. તેમના સાહિત્યસર્જન ક્ષેત્રે યોગદાન બદલ અનેક ઍવૉર્ડ પ્રાપ્ત થયા છે; જેમાં સાહિત્ય અકાદમીનો પુરસ્કાર, જ્ઞાનપીઠ ઍવૉર્ડ, અસોમ રત્ન સન્માન વગેરે સમાવિષ્ટ છે. કેટલીક જાણીતી યુનિવર્સિટીએ તેમને માનદ ડી. લિટ.ની પદવી અર્પણ કરી છે. 2002માં ભારત સરકાર તરફથી તેમને પદ્મશ્રીનો પુરસ્કાર આપવાની જાહેરાત થઈ, પરંતુ તેમણે તેનો અસ્વીકાર કર્યો.

Categories
સાંપ્રત કાર્યક્રમો

શિક્ષણવિદ ડૉ. દાઉદભાઈ ઘાંચી જ્ઞાનપ્રતિભા ઍવૉર્ડ

ડૉ. પંકજ જોશી

(આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વિજ્ઞાની અને ખગોળ ભૌતિકશાસ્ત્રી)

અમદાવાદ યુનિર્સિટીમાં ભૌતિકશાસ્ત્રના પ્રતિષ્ઠિત પ્રોફેસર (Distinguished Professor) અને ઇન્ટરનેશનલ સેન્ટર ફોર સ્પેસ ઍન્ડ કોસ્મોલોજીના સ્થાપક ડિરેક્ટર |

ડૉ. પંકજ જોશીને વિખ્યાત ઉદ્યોગપતિ અને રાજ્યસભાના સાંસદ |

શ્રી ગોવિન્દભાઈ ધોળકિયાના હસ્તે શિક્ષણવિદ ડૉ. દાઉદભાઈ ઘાંચી જ્ઞાનપ્રતિભા ઍવૉર્ડ અર્પણ થશે.

પ્રાસંગિક |

પ્રવીણ ક. લહેરી – કુમારપાળ દેસાઈ |

21 નવેમ્બર 2025, શુક્રવાર, બપોરના 3.30 વાગ્યે

Categories
વાચન સમૃદ્ધિ

મહારાજા રણજિતસિંહ

જ. 13 નવેમ્બર, 1780 અ. 27 જૂન, 1839

પંજાબમાં શીખ સામ્રાજ્યના સ્થાપક અને ‘શેર-એ-પંજાબ’ તેમજ ‘પંજાબકેસરી’ તરીકે ઓળખાતા મહારાજા રણજિતસિંહનો જન્મ ગુજરાનવાલા (હાલ પાકિસ્તાન) ખાતે થયો હતો. તેમના પિતા મહાસિંહનું 1792માં અવસાન થવાથી શીખ મિસલ (બંધુત્વની ભાવના પર રચાયેલ સૈન્યની ટુકડી) સુકર ચકિયાના તેઓ મુખી એટલે કે નાયક બન્યા હતા. આ સુકર ચકિયા મિસલ રાવી અને ચિનાબ નદીઓ વચ્ચેના પ્રદેશ પર સત્તા ધરાવતી હતી, જેમાં ગુજરાનવાલા નગર આસપાસના પ્રદેશનો સમાવેશ થતો હતો. મહારાજા રણજિતસિંહે જુલાઈ, 1799માં પંજાબનું પાટનગર લાહોર જીતી લીધું હોવાથી અફઘાનિસ્તાનના શાસક ઝમાનશાહે તેમને ગવર્નર તરીકે નીમ્યા હતા, પરંતુ તેમણે પોતાને પંજાબના મહારાજા તરીકે જાહેર કર્યા હતા. તેમણે ગુરુનાનક તથા ગુરુ ગોવિંદસિંહના નામના સિક્કા પડાવ્યા અને શીખ રાષ્ટ્રમંડળના નામથી રાજ્યનો વહીવટ કરવા માંડ્યો હતો. 1802માં તેમણે શીખોનું પવિત્ર યાત્રાધામ અમૃતસર જીતી લીધું હતું અને ત્યારબાદ પંજાબમાં આવેલી શીખ અને અફઘાનોની જાગીરો કબજે કરવા માંડી હતી. તેથી પૂર્વ તરફની એમની આગેકૂચ અંગ્રેજોએ અટકાવી હતી. 25 એપ્રિલ, 1809ના રોજ અંગ્રેજો સાથે થયેલ સંધિ મુજબ સતલજ નદીની પૂર્વના પ્રદેશોનો દાવો તેમણે જતો કર્યો હતો અને સતલજની દક્ષિણે આવેલી 45 જાગીરો તેમણે અંકુશમાં લીધી હતી. રણજિતસિંહનો મુખ્ય હેતુ યુદ્ધો દ્વારા પોતાના રાજ્યનો વિસ્તાર વધારવાનો હતો, તેથી તેમણે ગુરખાઓ પાસેથી કાંગડા અને અફઘાનો પાસેથી મુલતાન જીતી લીધું હતું. 1819માં કાશ્મીર જીતી લીધા બાદ અફઘાનિસ્તાનના પદભ્રષ્ટ શાસક શાહ સુજાને રાજ્યાશ્રય આપીને તેની પાસેથી જગપ્રસિદ્ધ  કોહિનૂર હીરો પડાવી લીધો હતો અને ત્યારબાદ વાયવ્ય સરહદે પેશાવર જીતી લીધા બાદ તેને ખાલસા કર્યું અને 1834માં તેમણે લડાખ પણ જીતી લીધું હતું. મહારાજા રણજિતસિંહ, સર્વસત્તાધીશ શાસક હોવા છતાં તેમણે વહીવટ કરવા માટે મંત્રીમંડળ રાખ્યું હતું. તેઓ લોકોની સુખાકારીની ખૂબ કાળજી લેતા હતા. તેમણે લાહોર અને અમૃતસરમાં તોપો, બંદૂકો, કારતૂસો અને દારૂગોળો બનાવવાનાં કારખાનાં સ્થાપ્યાં હતાં. તેમણે અન્ય ધર્મીઓને રાજ્યમાં ઊંચા હોદ્દા પર નીમ્યા હતા. તેઓ બહાદુર યોદ્ધા અને કુશળ સેનાપતિ હોવા છતાં પોતાને ‘ખાલસા’ના પ્રથમ સેવક માનતા હતા.