Categories
વાચન સમૃદ્ધિ

હસ્તપ્રત

હાથે કરેલા કોઈ લખાણવાળી મૂળ પ્રત (મૅન્યુસ્ક્રિપ્ટ).

સદીઓ પહેલાં મુદ્રણયંત્રની શોધ થઈ નહોતી. એ સમયમાં કવિઓ–વિદ્વાનો હાથ વડે ગ્રંથો લખતા. તેમની હસ્તપ્રતોની લહિયાઓ નકલો કરતા અને પેઢી-દર-પેઢી હસ્તપ્રતો જળવાઈ રહેતી. આવી હસ્તપ્રતો દ્વારા પ્રાચીન ઇતિહાસ તથા સંસ્કૃતિ વિશેની ઘણી માહિતી પ્રાપ્ત થાય છે. ગ્રંથકાર પહેલાં કાચું લખાણ પથ્થરની કે લાકડાની પાટી પર કરતા. આમાં સુધારા કરીને પાકું લખાણ તૈયાર થઈ જાય એટલે ગ્રંથકાર પોતે અગર તેમના શિષ્ય વ્યવસ્થિત રીતે હસ્તપ્રત તૈયાર કરતા. આ પ્રથમ હસ્તપ્રત જે તે વિષયના નિષ્ણાતને આપવામાં આવતી જે તેમાં જરૂરી સુધારવધારા કરી આપતા. આ સુધારેલી હસ્તપ્રત લહિયાઓને નકલ કરવા માટે આપવામાં આવતી. મોટા ભાગે હસ્તપ્રતો ભોજપત્ર, તાડપત્ર કે હાથબનાવટના કાગળ પર લખેલી હોય છે. ટૂંકા તાડપત્ર પરનું લખાણ બે સ્તંભ(કૉલમ)માં કરાતું પરંતુ જો પત્ર લાંબા હોય તો ત્રણ સ્તંભમાં પણ કરાતું. પાનાં અસ્તવ્યસ્ત ન થઈ જાય તે માટે વચ્ચેના હાંસિયામાં કાણું પાડી તેમાંથી એક દોરી પસાર કરીને બાંધી રાખતા. જમણી બાજુના હાંસિયામાં પાનનો અંક અક્ષરમાં લખાતો અને ડાબા હાંસિયામાં તે અંક આંકડામાં લખાતો.

ભાગવત પુરાણની આશરે ૪૦૦ વર્ષ જૂની એક હસ્તપ્રતનું પાનું

બે કે ત્રણ સ્તંભમાં લખાણ કરાયું હોય તો તેની બંને બાજુ બે કે ત્રણ ઊભી રેખાઓ વડે સીમાંકન કરાતું. પ્રારંભિક કાળમાં હાથકાગળની પ્રતોમાં લંબાઈ પહોળાઈની બાબતમાં તાડપત્રનું અનુકરણ કરાતું, પરંતુ લખાણ બે-ત્રણ સ્તંભમાં નહિ પણ સળંગ લખાતું. સમય વીતતા આવી લાંબી પ્રતો લખવા, વાંચવા તેમ જ વહન માટે પ્રતિકૂળ જણાતાં તે પ્રતનું કદ ૧૨’’ X ૫’’ જેટલું કરી દેવાયું. લખાણની બંને બાજુએ હાંસિયો રખાતો અને તે કાળી શાહીની રેખાઓ વડે અંકિત થતો. ૧૬ના શતક બાદ લાલ શાહીનો ઉપયોગ થવા લાગ્યો. તાડપત્રીય પ્રતોની જેમ હાથકાગળમાં પણ કેન્દ્રમાં દોરી પસાર કરવા માટે કાણું પાડવા માટે કોરી જગ્યા રખાતી; પરંતુ હાથકાગળ તાડપત્રની જેમ સરળતાથી સરી જતો ન હોવાથી દોરી રાખવાની જરૂર રહેતી નહીં. આથી મોટે ભાગે આ જગ્યામાં પુષ્પો, બદામની આકૃતિ, ચોરસ કે ચોકડી રંગબેરંગી શાહીથી દોરાતાં. અધ્યાય કે સર્ગના લખાણનો પ્રારંભ મંગળ ચિહ્નો દ્વારા કરાતો. અંતમાં કેટલીક વાર ચક્ર, કમળ કે કળશ જેવી શોભા માટેની આકૃતિઓ દોરવામાં આવતી.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10, હસ્તપ્રત, પૃ. 142)

Categories
વાચન સમૃદ્ધિ

મહાવીર ત્યાગી

જ. 31 ડિસેમ્બર, 1899 અ. 22 મે, 1980

ઉત્તરપ્રદેશના અગ્રણી લોકનેતા, સ્વાતંત્ર્યસૈનિક, રચનાત્મક કાર્યકર મહાવીર ત્યાગીનો જન્મ ધબરસી, ઉત્તરપ્રદેશમાં થયો હતો. પિતાનું નામ શિવનાથસિંહ અને માતાનું નામ જાનકીદેવી હતું. તેમનો વ્યવસાય ખેતી હતો. પ્રાથમિક શિક્ષણ પોતાની ગામની શાળામાં લીધું અને માધ્યમિક શિક્ષણ લેવા મેરઠ ગયા. ત્યારબાદ તેઓ ભારતીય લશ્કરમાં જોડાયા. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ઈરાનના યુદ્ધક્ષેત્રે સેવા આપી. મહાત્મા ગાંધીજીના પ્રભાવ હેઠળ આવી સ્વાતંત્ર્યસંગ્રામમાં જોડાયા. તેથી તેમના પર લશ્કરના નિયમો મુજબ કોર્ટ માર્શલ કરવામાં આવ્યું. જેના પરિણામે લશ્કરની સેવાઓ દરમિયાન તેમની જે રકમ  સરકારમાં જમા હતી તે જપ્ત કરવામાં આવી હતી. તેઓ કૉંગ્રેસના સક્રિય, પાયાના અને કર્મઠ નેતા હતા. આઝાદીની લડતમાં ભાગ લેવા બદલ સાત વખત જેલવાસ ભોગવ્યો હતો. આઝાદી પહેલાં તેઓ ઉત્તરપ્રદેશની પાર્લમેન્ટરી બોર્ડના સભ્ય હતા. લોકજાગૃતિ, લોકચેતનાનાં કાર્યોમાં તેમણે ઊંડો રસ લીધો હતો. શેરી સભાઓમાં બ્યૂગલ દ્વારા લોકોને એકત્ર કરતા તેથી બ્યૂગલવાળા ત્યાગી તરીકે જાણીતા થયા હતા. તેઓ ઉત્તરપ્રદેશમાં સુલતાન કે તાજ વગરના રાજાનું બિરુદ પણ પામ્યા હતા. 1927થી અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિના સભ્ય રહ્યા હતા. 1947-48 દરમિયાન ફાટી નીકળેલાં કોમી રમખાણો દરમિયાન શાંતિ જાળવવા તથા રમખાણોના ભોગ બનેલા લોકોની સેવા કરવા સારુ તેમણે ‘ત્યાગી પોલીસ’ની રચના કરી હતી. 1937થી 1947 સુધી ઉત્તરપ્રદેશ ધારાસભાના સભ્ય હતા. 1951માં કેન્દ્રીય મંત્રીપરિષદમાં રેવન્યૂ અને ખર્ચ ખાતાના પ્રધાન તરીકે જોડાયા હતા. 1953થી 1957 સુધી કેન્દ્રના સંરક્ષણપ્રધાન તરીકે ફરજો બજાવી હતી. 1957થી 1959 દરમિયાન સીધા કરવેરા વહીવટ અંગેની સમિતિના ચૅરમૅન તરીકે તથા 1962થી 1964 દરમિયાન જાહેર હિસાબ સમિતિના ચૅરમૅન તરીકે કામગીરી બજાવી હતી. ત્યારબાદ તેઓ પુનર્વસવાટ ખાતાના કૅબિનેટ કક્ષાના પ્રધાન બન્યા હતા. તાશ્કંદ સમજૂતીના વિરોધમાં 1966માં કેન્દ્રીય કૅબિનેટમાંથી રાજીનામું આપ્યું. 1967માં પોસ્ટ અને ટેલિગ્રાફ ટેરિફ સમિતિના ચૅરમૅન તથા 1968-69 દરમિયાન પાંચમા નાણાપંચના અધ્યક્ષપદે રહ્યા હતા. 1970માં તેઓ રાજ્યસભાના સભ્ય બન્યા હતા. તેમનાં સ્વાતંત્ર્યસંગ્રામનાં સંસ્મરણો હિન્દી ભાષામાં ‘મેરી કૌન સુનેગા’ તથા ‘વે ક્રાન્તિ કે દિન’ પુસ્તકમાં આલેખ્યાં છે.

Categories
વાચન સમૃદ્ધિ

તૃષ્ણાની દોડ

પ્રાતઃકાળના ખુશનુમા વાતાવરણમાં જાગ્યા પછી તમે આસપાસ વહેતા પવનનો આભાર માન્યો છે ખરો ? એણે બક્ષેલી જિંદગી માટે સહેજે ઉપકારભાવ સેવ્યો છે ખરો ? આમ તો આ હવા વિના આપણે ત્રણ મિનિટથી વધુ જીવી શકીએ તેમ નથી, છતાં એના પ્રત્યે આદરભાવ સેવ્યો છે ખરો ? ક્યારેય તમે ભોજન કે નિદ્રાને ‘થૅન્ક યૂ’ કહ્યું છે ખરું ? અન્નને આપણે દેવ માનીએ છીએ, પરંતુ ભોજન સમયે એ દેવનાં દર્શન કર્યાં છે ખરાં ? આપણા જીવનમાં સ્નેહ અને પ્રેમની જરૂર છે, પણ ક્યારેય એ હૂંફ આપનાર પ્રત્યે આભાર પ્રગટ કર્યો છે ખરો ? હકીકતમાં હવા, પાણી, અન્ન કે લાગણી જેવી આપણા જીવનની અનિવાર્ય જરૂરિયાતો પ્રત્યે આપણે ઘોર ઉપેક્ષા સેવીએ છીએ અને આપણી ઇચ્છાઓ, આકાંક્ષાઓ અને મહત્ત્વાકાંક્ષાઓ પ્રતિ આકર્ષણ અનુભવીએ છીએ. વર્તમાનયુગમાં તો માનવી સઘળું છોડીને અને આંખો મીંચીને સતત ઇચ્છાના સુવર્ણમૃગની પાછળ દોડી રહ્યો છે. ઇચ્છા અનંત છે, એનો કદી કોઈ છેડો હોતો નથી અને તેમ છતાં માનવી અનંતકાળથી ઇચ્છાતૃપ્તિ માટે દોડતો રહે છે. વિચાર કરો કે ઘણા લાંબા સમય બાદ તમારી ઇચ્છાની પરિતૃપ્તિ થઈ અને અનેક ફિચર્સ ધરાવતો ખૂબ મોંઘો મોબાઇલ ખરીદ્યો. ઘેર આવ્યા બાદ એ મોબાઇલ ખોલતાં એવી જાહેરાત જોઈ કે તમે ખરીદેલા મોબાઇલ કરતાં ઘણી વધુ કિંમતનો અને અનેક ફિચર્સવાળો મોબાઇલ બજારમાં આવી ગયો છે. હજી માંડ પેલી જૂની ઇચ્છા સંતોષાઈ હતી, ત્યાં વળી નવી ઇચ્છાનો સળવળાટ જાગી ઊઠ્યો. લેટેસ્ટ ફૅશનનો ડ્રેસ લાવ્યા પછી એનાથી ચડિયાતી ફૅશનનો ડ્રેસ જોશો એટલે ખરીદેલા ડ્રેસને ભૂલી જઈને તમારું મન નવા ડ્રેસની પાછળ દોડવા માંડશે. આપણી ઇચ્છાઓને ઉત્તેજનારી જાહેરાતનો તો આખો ઉદ્યોગ ચાલે છે. હકીકતમાં ઇચ્છા જરૂરી છે, પણ એની પાછળ જ્યારે તૃષ્ણા જોડાય છે, ત્યારે માનવી એના અસ્તિત્વનો આનંદ ખોઈ બેસે છે. દુનિયા આખીની ચીજવસ્તુઓ તમારા મનને બાહ્ય જગતમાં ઇચ્છાની દોડ કરાવશે અને તમે મહામૂલી એવી ભીતરની દોડ ભૂલી જશો. સાવ ચૂકી જશો.