Categories
વાચન સમૃદ્ધિ

સ્કેટિંગ

નાનાં પૈડાંવાળાં વિશિષ્ટ પ્રકારનાં પગરખાં બાંધીને કઠણ સપાટી ઉપરથી સરકવાની રમત. રોલર-સ્કેટની સૌપ્રથમ શોધ બેલ્જિયમના મર્લિને ૧૭૬૦માં કરી હતી; પરંતુ ચાર પૈડાંવાળી સર્વાનુકૂલ રોલર-સ્કેટનો સૌપ્રથમ પ્રચાર અમેરિકાના પ્લિમ્ટને ૧૮૬૩માં કર્યો હતો. સૌપ્રથમ સ્કેટિંગ-ક્લબ ૧૭૪૨માં સ્કૅન્ડિનેવિયામાં સ્થાપવામાં આવી હતી. ૧૭૭૨માં સ્કેટિંગ અંગેનું પુસ્તક લંડનમાં પ્રગટ થયું હતું. ૧૮૪૨માં લંડનમાં સ્કેટિંગ-ક્લબની સ્થાપના થઈ. હાલમાં વિશ્વકક્ષાએ રોલર-સ્કેટિંગ રમતનું સંચાલન કરતી સંસ્થા ઇન્ટરનેશનલ રોલર સ્કેટિંગ ફેડરેશનનું મુખ્ય મથક સ્પેનના બાર્સિલોનામાં છે. રોલર-સ્કેટના મુખ્ય બે ભાગ હોય છે : બૂટ અને સ્કેટના અન્ય ભાગો (ઍસેમ્બ્લી). બૂટ મોટા ભાગે ચામડાના બનેલા હોય છે. આર્ટિસ્ટિક સ્કેટિંગમાં બૂટ ઘૂંટીથી ઉપર સુધીના  હોય છે જ્યારે સ્પીડ-સ્કેટિંગના બૂટ બેઠા ઘાટના હોય છે. સ્કેટ બનાવવા માટે ધાતુ કે પ્લાસ્ટિકના પાટિયા(પ્લેટ)ને બૂટના તળિયા સાથે ચોંટાડી દેવામાં આવે છે. તે પાટિયા(પ્લેટ)ની નીચે ટ્રક-ઍસેમ્બ્લી લગાવવામાં  આવે છે. તેનાથી સ્કેટરને ખૂણા પર સીધો વળાંક (શાર્પ ટર્ન) લેવામાં મદદ થાય છે. પૈડાંની જોડીને એક્સેલની મદદથી ટ્રક-ઍસેમ્બ્લી સાથે જોડવામાં આવે છે. ટો-સ્ટૉપ નામનો ભાગ બૂટ નીચે આગળ લગાડવામાં આવ્યો હોય છે. તે સ્કેટરને અચાનક ઊભા રહેવામાં મદદ કરે છે. ૧૯૮૦માં સ્પી-રોલર-સ્કેટિંગ માટે એક જ સીધી લીટીમાં ચાર પૈડાંઓ લગાવેલા સ્કેટ પણ પ્રચલિત થયા છે. પહેલાં સ્કેટનાં પૈડાં ધાતુ કે લાકડાનાં બનતાં હતાં, પણ હવે તે કઠણ પ્લાસ્ટિક પૉલિયુરિથેન (polyurethane)નાં બને છે.

સ્કેટિંગ કરતાં બાળકો

સ્કેટિંગની રમત ત્રણ પ્રકારે રમવામાં આવે છે : (૧) સ્પીડ-રોલર-સ્કેટિંગ, (૨) આર્ટિસ્ટિક રોલર-સ્કેટિંગ, (૩) રોલર-હૉકી. સ્પીડ-રોલર-સ્કેટિંગની સ્પર્ધાઓ રિન્ક ઉપર અથવા ખુલ્લા રસ્તાઓ પર યોજાય છે. પુરુષો તથા મહિલાઓ માટે અલગ સ્પર્ધાઓ રાખવામાં આવે છે. સ્પર્ધકોને તેમની ઉંમર પ્રમાણે જુદા જુદા વર્ગોમાં વહેંચી દેવામાં આવે છે. જે સ્પર્ધા સ્કેટિંગ-રિન્કમાં યોજાય છે તેમાં ૧૦૦ મીટરથી ૫૦૦૦ મી. સુધીનું અંતર કાપવાનું હોય છે. જ્યારે રસ્તા ઉપર યોજાતી સ્પર્ધાઓમાં ૩૦૦ મી.થી ૨૦,૦૦૦ મી.ના અંતર સુધીની સ્પર્ધાઓ યોજાય છે. રિલે-સ્પર્ધા પણ રાખવામાં આવે છે. આર્ટિસ્ટિક સ્કેટિંગમાં ફ્રી સ્કેટિંગ તથા ફિગર-સ્કેટિંગનો સમાવેશ થાય છે. ફ્રી સ્કેટિંગમાં સ્પર્ધક સંગીતના તાલે તાલે સરકવાની, ગોળ ગોળ ઘૂમવાની (spin) અને ઊછળકૂદ (jumps) કરવાની પોતાની ચરણગતિની કૌશલ્યકળા રજૂ કરે છે. આ સ્પર્ધા બેની જોડીમાં પણ યોજાય છે, જેમાં એક પુરુષ અને એક સ્ત્રી સાથે સાથે રહી સ્કેટિંગ કરે છે. ડાન્સ-સ્કેટિંગમાં સ્પર્ધક સંગીતના તાલે નૃત્ય કરે છે.  ખેલાડીએ નિયત સમયમર્યાદામાં પોતાની કૃતિઓનું નિદર્શન કરવાનું હોય છે. ફિગર-સ્કેટિંગમાં સ્પર્ધકે રિન્ક ઉપર દોરેલાં વર્તુળો પર જુદી જુદી આકૃતિઓ રચવાની હોય છે; જેમાં વર્તુળ, વળાંક, કૌંસ, અંગ્રેજી આઠડો વગેરેના આકારોનો સમાવેશ થાય છે. રોલર-હૉકીમાં સ્કેટ પહેરી હૉકી રમવાની હોય છે. વિદેશમાં આઇસ-સ્કેટિંગ કરવામાં આવે છે. તેમાં બરફથી આચ્છાદિત રિન્ક ઉપર સ્કેટિંગ કરવામાં આવે છે. આઇસ-સ્કેટિંગના બૂટના તળિયે પૈડાંને બદલે બ્લેડ લગાવવામાં આવે છે.

ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૧૦

Categories
વાચન સમૃદ્ધિ

એમ. એલ. દાંતવાલા

જ. ૧૮ સપ્ટેમ્બર, ૧૯૦૯ અ. ૮ ઑક્ટોબર, ૧૯૯૮

ભારતના પ્રખર અર્થશાસ્ત્રી મોહનલાલ દાંતવાલાનો જન્મ સૂરતમાં થયો હતો. પિતા લલ્લુભાઈ હાથીદાંતની વસ્તુઓ વેચવાનો વ્યવસાય કરતા હોવાથી તેમના કુટુંબની અટક દાંતવાલા પડી. તેમણે મૅટ્રિક સુધીનો અભ્યાસ મહારાષ્ટ્રના ધૂળે ગામમાં કર્યો. ૧૯૩૦માં મુંબઈની વિલ્સન કૉલેજમાંથી બી.એ.માં પ્રથમ વર્ગમાં પ્રથમ આવ્યા અને અર્થશાસ્ત્ર માટેનું જેમ્સ ટેલર પારિતોષિક મેળવ્યું. તેને કારણે ત્યાં જ તેઓ ફેલો નિમાયા. ત્યારબાદ એમ.એ. પાસ કરીને મુંબઈની યુનિવર્સિટી ઑવ્ ઇકૉનૉમિક્સ ઍન્ડ સોશિયોલૉજીમાં દાખલ થયા. તે દરમિયાન સવિનય કાનૂનભંગની ચળવળમાં ગુપ્ત રીતે ભાગ લેવા બદલ ૧૯૩૩માં તેમની ધરપકડ કરવામાં આવી. ૧૯૪૧થી ૧૯૪૫ વચ્ચે અમદાવાદની કૉલેજોમાં અધ્યાપનકાર્ય કર્યું. તે દરમિયાન આંદોલનોમાં સક્રિય ભાગ લેવા બદલ અઢી વર્ષનો જેલવાસ ભોગવ્યો. ૧૯૪૬થી મુંબઈ યુનિવર્સિટીની સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાં કૃષિ-અર્થશાસ્ત્રના વ્યાખ્યાતા તરીકે જોડાયા. કૃષિ-અર્થશાસ્ત્રને લગતી અનેક આંતરરાષ્ટ્રીય પરિષદોમાં તેમણે ભાગ લીધો હતો. આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા ધરાવતાં સામયિકોમાં તેમણે અનેક લેખો લખ્યા હતા. ઘણી અગ્રણી સંસ્થાઓની સ્થાપનામાં તેમનો મહત્ત્વનો ફાળો છે. તેમણે ઇન્ડિયન કાઉન્સિલ ઑવ્ સોશિયલ સાયન્સીઝ રિસર્ચ, વલ્લભવિદ્યાનગર, સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇકૉનૉમિક ઍન્ડ સોશિયલ રિસર્ચ, અમદાવાદ વગેરે સહિત અનેક સંસ્થાઓમાં મહત્ત્વના હોદ્દાઓ પર કામ કર્યું છે. ઘણી બધી વ્યાવસાયિક સંસ્થાઓમાં પણ તેમણે મહત્ત્વનું કાર્ય કર્યું છે. તેઓ અનેક ઍગ્રિકલ્ચરલ ઇકૉનૉમિક્સ સંસ્થાઓમાં સંપાદકમંડળના અધ્યક્ષ તરીકે કાર્યરત હતા. તેમને અનેક સન્માનો પ્રાપ્ત થયાં છે, જેમાં મુખ્યત્વે મુંબઈ યુનિવર્સિટીના ‘જેમ્સ ટેલર પ્રાઇઝ’, દાદાભાઈ નવરોજી મેમોરિયલ ફેલોશિપ પ્રાઇઝ તથા ફાઇનાન્શિયલ એક્સપ્રેસ ઍવૉર્ડનો સમાવેશ થાય છે. તેમના ગ્રંથ ‘એ હંડ્રેડ ઇયર્સ ઑવ્ ઇન્ડિયન કૉટન’(૧૯૪૭)ની પ્રસ્તાવના પંડિત નહેરુએ લખી હતી. તેઓ ‘નૅશનલ પ્રોફેસર’નું બિરુદ પણ ધરાવે છે. ભારત સરકારે ૧૯૬૯માં તેમને પદ્મભૂષણનો ખિતાબ આપ્યો હતો.

Categories
વાચન સમૃદ્ધિ

ગૂંગળાતો અહંકાર વધુ ઘાતક હોય છે

પ્રત્યક્ષ દેખાતો અને સામી વ્યક્તિને વાગતો અહંકાર એ સ્પષ્ટ ને પારદર્શક અહંકાર છે, જ્યારે બીજો અહંકાર એ વ્યક્તિના ભીરતમાં પેદા થતો ગુપ્ત અહંકાર છે. પ્રત્યક્ષ અહંકાર એટલા અર્થમાં સારો ગણાય કે સામી વ્યક્તિને એનો ખ્યાલ આવે છે. ગુપ્ત અહંકાર એનાથી વધુ ભયાવહ ગણાય કે જેનો વ્યક્તિને સ્વયં અણસાર પણ આવતો નથી. એક અહંકાર એવો છે કે જેમાં વ્યક્તિ પોતાનાં રૂપ, ધન કે સત્તાનો અહંકાર કરતી હોય છે, જ્યારે બીજો અહંકાર એવો હોય છે કે એ વ્યક્તિને એમ લાગે કે એ ધન છોડીને ત્યાગી થઈ છે. એને એમ થાય કે એ આધ્યાત્મિક ઊંચાઈએ પહોંચી છે અથવા તો એણે સાધનાથી અમુક સિદ્ધિ મેળવી છે. પહેલા પ્રકારના અહંકારમાં માનવીની મૂઢતા છે. જ્યારે બીજા પ્રકારના અહંકારમાં એને એની મૂઢતાનો ખ્યાલ પણ હોતો નથી. પહેલી મૂઢતા ઠેર ઠેર જોવા મળશે. બીજી મૂઢતા ક્યાંક જ નજરે પડશે, પરંતુ પહેલી મૂઢતાનો ઇલાજ આસાન છે, જેમાં રોગ નજરોનજર છે; પરંતુ બીજી મૂઢતાનો – અહંકારનો – ઉપચાર મુશ્કેલ છે, કારણ કે એમાં બીમારને સ્વયં પોતાની બીમારીનો ખ્યાલ નથી. એને પરિણામે એના હૃદયમાં એ અહંકાર વધુ ને વધુ ફૂલતો-ફાલતો જાય છે અને દૃઢ આસન જમાવી દે છે. પ્રગટપણે જોવા મળતો અહંકાર સારો એ માટે કે એમાં અહંકારીના અહમનું પ્રાગટ્ય થઈ જાય છે. એનું વિવેચન થાય છે. અન્યને એનો અનુભવ પણ થાય છે. ગુપ્ત અહંકાર અહંકારીના હૃદયમાં સતત ઘૂંટાયા કરે છે અને એ ઘૂંટાયેલો અહંકાર સ્પષ્ટ રૂપે પ્રગટ થવાને બદલે દ્વેષ, કટુતા, તોછડાઈ કે વેરભાવમાં પ્રગટ થતો હોય છે. આ અહંકાર અહંકારીને માટે ઘાતક બને છે.