Categories
વાચન સમૃદ્ધિ

સિડની

ઑસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યનું પાટનગર.

ઑસ્ટ્રેલિયાનું તે જૂનામાં જૂનું અને મોટામાં મોટું શહેર તથા દુનિયાનું સૌથી મોટું કુદરતી બારું છે. તે ૩૩° ૫૨´ દ. અ. અને ૧૫૧° ૧૩´ પૂ. રે.ની આજુબાજુનો ૧૨,૧૪૫ ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. સિડની શહેરની પૂર્વ તરફ પૅસિફિક મહાસાગર, દક્ષિણ તરફ વોરોનોરા ઉચ્ચપ્રદેશ, પશ્ચિમ તરફ બ્લૂ માઉન્ટન્સ તથા ઉત્તર તરફ હોસબરી નદી આવેલાં છે. સિડનીની વસ્તી આશરે ૫૫,૫૭,૨૩૩ (૨૦૨૪) જેટલી છે.

સિડની શહેર

તે ઑસ્ટ્રેલિયાના અગ્નિકાંઠા પર પૉર્ટ જેક્સન બંદરની આજુબાજુ વસેલું છે. તેમાં સિડની હાર્બર-(બારા)નો સમાવેશ થઈ જાય છે, તેથી આ શહેરને ‘હાર્બર સિટી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંના લાંબા દરિયાકિનારા પરના ઘણા કંઠાર-રેતપટ અને હાર્બર બ્રિજ તેમ જ સિડની ઑપેરા હાઉસ જેવાં સ્થાપત્યોથી તેની વિશિષ્ટ ઓળખ ઊભી થયેલી છે. ભૌગોલિક દૃષ્ટિએ, શહેર બે મુખ્ય વિભાગોમાં વહેંચાયેલું છે : ૧. કુમ્બરલૅન્ડ મેદાન. તે બારાંની દક્ષિણ અને પશ્ચિમ તરફનો વિસ્તાર આવરી લે છે. ૨. હૉનર્ર્સ્બી ઉચ્ચપ્રદેશ. તે બારાંની ઉત્તર તરફ ખીણોથી ભેદાયેલો અને રેતીખડકથી બનેલો છે. આ શહેરમાં જૂનામાં જૂનું મકાન ‘કૅડમૅન્સ કૉટેજ’ છે. તે ૧૮૧૬માં બાંધવામાં આવ્યું હતું. મૅક્વેરી શેરી નજીક હાઈડ પાર્ક બૅરેક્સ તથા સેન્ટ જેમ્સ ચર્ચ આવેલાં છે. ૧૭૦ મીટર ઊંચો ઑસ્ટ્રેલિયા સ્ક્વેર ટાવર, ૧૯૮ મીટર ઊંચું AMP સેન્ટર, ૨૪૪ મીટર ઊંચું MLC સેન્ટર તથા ૩૦૫ મીટર ઊંચી સેન્ટર પૉઇન્ટ જેવી ગગનચુંબી ઇમારતો પ્રવાસીઓનું ધ્યાન ખેંચે છે. સમગ્ર સિડની વિસ્તારમાં અનેક ઔદ્યોગિક એકમો આવેલા છે. આ પૈકી કેટલાક એકમોમાં હળવી કે ભારે ઇજનેરી યંત્રસામગ્રીનું તથા મોટરગાડીઓનું ઉત્પાદન લેવાય છે. આ ઉપરાંત કાપડ, ખાદ્યસામગ્રી, પીણાં અને તમાકુની પેદાશો બનાવવાનાં કારખાનાં પણ આવેલાં છે. પારામત્તા નદીમુખ સુધીના ભાગમાં રબરની પેદાશો, રેલવે-વર્કશૉપ, વાહનોના એકમો તથા વીજળીનાં તેમ જ ઇજનેરી કારખાનાં આવેલાં છે. સિડનીમાં પાંચ યુનિવર્સિટીઓ છે. તેમાં યુનિવર્સિટી ઑવ્ સિડની (૧૮૫૦) જૂનામાં જૂની છે. સિડની ખાતે ત્રણ સંગ્રહાલયો તથા કલાવીથિકાઓ આવેલાં છે. મનોરંજન માટે સિડની સિમ્ફની ઑરકેસ્ટ્રા, ઑસ્ટ્રેલિયન ઑપેરા કંપની અને ઑસ્ટ્રેલિયન બૅલે કંપની જાણીતાં છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સિડની, પૃ. ૧૯૪)

Categories
વાચન સમૃદ્ધિ

મગનલાલ જોઈતારામ પટેલ

જ. ૧૦ જૂન, ૧૯૨૭ અ. ૫ ઑગસ્ટ, ૨૦૧૫

ગાંધીવિચારના અભ્યાસી અને રવિશંકર મહારાજના આરાધક મગનલાલ જોઈતારામ પટેલ મ. જો. પટેલ તરીકે વિશેષ જાણીતા હતા. તેમનો જન્મ મહેસાણા જિલ્લાના પીંઢારપુરા ગામના એક સામાન્ય ખેડૂત પરિવારમાં અભણ માતાપિતાને ત્યાં થયો હતો. તેઓ સેલાવી, ધીણોજ અને પીલવાઈ ગામની શાળાઓમાં કારમી ગરીબી વચ્ચે ભણ્યા હતા. ત્યારબાદ તેમણે એક વર્ષ માટે વિસનગર કૉલેજમાં અને સહુથી વધુ વર્ષ ગૂજરાત વિદ્યાપીઠમાં શિક્ષણ મેળવ્યું હતું. તેઓ જેને ‘ગાંધીજીની પ્રતિમૂર્તિ’ ગણતા તે રવિશંકર મહારાજના સાથી અને સેવક તરીકે ભૂદાનયાત્રાના પાંચ વર્ષને તેમના જીવનનો સૌથી પાવનકારી તબક્કો ગણાવે છે. મગનલાલ જોઈતારામ પટેલે ગૂજરાત વિદ્યાપીઠના મહાદેવભાઈ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલયમાં પસીસેક વર્ષ ગાંધીદર્શન વિષયનું અધ્યાપન કરાવ્યું હતું. તેમણે લખેલ ‘ગાંધીજીનું ધર્મદર્શન’ નામના પુસ્તકને પંડિત સુખલાલજીએ દરેક ઘરમાં વસાવવા જેવું ગણ્યું છે. ‘ગાંધીજીનું શિક્ષણદર્શન એમના જ શબ્દોમાં’ નામના પુસ્તકમાં તેમણે ‘ગાંધીજીના શિક્ષણવિષયક વિચારો આદિથી અંત સુધી સંગૃહિત કર્યા તે ઉત્તમ કામ કર્યું છે’ એમ મનુભાઈ પંચોળી ‘દર્શક’ નોંધે છે.

મ. જો. પટેલે લખેલાં અન્ય પુસ્તકોમાં ‘અમેરિકાના ગાંધી માર્ટિન લ્યુથર કિંગ’, ‘ઇટાલીના ગાંધી દાનિલો દોલ્ચી’, ‘ભારત સેવક મંડળના ઉત્કલ મણિ ગોપબંધુ દાસ’, ‘અર્થશાસ્ત્રી જે. સી. કુમારાપ્પા’ જેવાનાં જીવનચરિત્રોનો સમાવેશ થાય છે. તેમણે દૃષ્ટાંતકથાઓ ‘જીવનનું ભાથું’ અને ‘ધન્ય ગૃહસ્થાશ્રમ’ જેવાં સંકલનો પણ આપ્યાં છે. અજોડ લોકસેવક બબલભાઈ મહેતાની આત્મકથા ‘મારી જીવનયાત્રા’ સહિત તેમનાં સ્વકથનનાં પાંચ પુસ્તકોનું તેમણે સંપાદન કર્યું છે. તેમની આત્મકથા ‘સંતોની છાયા’માં તેમના સંઘર્ષમય અને સેવાભાવી જીવનનું સુરેખ બયાન આપે છે. અઠ્યાસી વર્ષની વયે અમદાવાદમાં તેમનું અવસાન થયું.

Categories
વાચન સમૃદ્ધિ

ભય ભૂતકાળ કરતાં ભવિષ્યમાં વધુ જીવે છે

એ હકીકત છે કે ભય વિનાની કોઈ વ્યક્તિ તમને આ જગતમાં જડશે નહીં. નિર્ભયતાનો દાવો કરનારી વ્યક્તિ ઘણી વાર બડાશ હાંકીને એના ભયને છુપાવતી હોય છે. ગમે તેવો મહાન ખેલાડી પણ મેદાન પર જતી વખતે રમત પૂર્વે ભયથી એકાદ કંપારી અનુભવે છે. કોઈ કુશળ અદાકારને પૂછશો તો તે પણ કહેશે કે નાટકના તખ્તા પર પ્રવેશતાં પૂર્વે થોડી ક્ષણ ‘શું થશે ?’નો ભય એને સતાવતો હોય છે. અતિ તેજસ્વી વિદ્યાર્થીના મનમાં પણ પરીક્ષા પૂર્વે નિષ્ફળતાનો ભય લટાર લગાવી જતો હોય છે. એ સાચું કે કેટલાક ભયને હસી કાઢે છે અથવા તો એને વિશેષ મહત્ત્વ આપતા નથી. આવી વ્યક્તિ પણ ભીતરમાં ભય અનુભવતી હોય છે. કોઈને વસ્તુનો ભય લાગે છે, તો કોઈને વ્યક્તિનો ભય લાગે છે. કોઈને ગરીબીને કારણે ભવિષ્ય કેવું દુ:ખદ જશે એનો કાલ્પનિક ડર લાગતો હોય છે તો કોઈને પોતાની અમીરાઈ છીનવાઈ જશે તો શું  થશે એવો ભાવિનો ભય સતાવતો હોય છે. ભયને ભૂતકાળ કરતાં ભવિષ્યકાળ વધુ પસંદ છે. આમ ભય એ એક સર્વવ્યાપક લાગણી છે, આથી નિર્ભયતાની બડાશ હાંકવાને બદલે પોતાના ભીતરના ભયને સ્વીકારીને ચાલવું જોઈએ અને માનવું જોઈએ કે પ્રત્યેક ભયગ્રસ્ત પરિસ્થિતિનો કોઈ ને કોઈ ઉકેલ હોય છે, એમ મારી ભયની ભાવનાનો પણ ઉકેલ શોધીને તેમને નિર્મૂળ કરીશ. નિર્ભયતા એ માનવમુક્તિનો પહેલો પાઠ છે. નીડરતા એ ડર કે ભય સામેનું બ્રહ્માસ્ત્ર છે અને અભય એ આધ્યાત્મિકતાનું ઉચ્ચ શિખર છે. વિચારની સ્પષ્ટતા, આચરણની દૃઢતા અને પરોપકારની ભાવના ધરાવનારને ભય કદી સ્પર્શી શકતો નથી.