Categories
વાચન સમૃદ્ધિ

સંગ્રહાલય (મ્યુઝિયમ)

ઐતિહાસિક, સાંસ્કૃતિક, વૈજ્ઞાનિક અને કલાકીય દૃષ્ટિએ મૂલ્યવાન વસ્તુઓની જાળવણી તથા પ્રદર્શન જ્યાં થતું હોય તે મથક – સંસ્થા. દેશપરદેશની અજાયબી ભરેલી, જાણવા અને જોવાલાયક વસ્તુઓનો સંગ્રહ કરીને તેને એક સ્થળે રાખવામાં આવ્યો હોય તેને સંગ્રહાલય, સંગ્રહસ્થાન કે મ્યુઝિયમ કહેવામાં આવે છે. તેના બે પ્રકારો છે : એક જાહેર સંગ્રહાલય – જેનું સંચાલન ને વહીવટ સાર્વજનિક સ્તરે – રાષ્ટ્રસ્તરે અથવા સ્થાનિક સત્તાતંત્ર મારફત થાય છે અને બીજું ખાનગી સંગ્રહાલય – જેનો વહીવટ કોઈ વ્યક્તિ કે ટ્રસ્ટીમંડળને હસ્તક હોય છે. સંગ્રહાલય લોકશિક્ષણનું અગત્યનું અંગ છે. આંખ અને સ્પર્શ દ્વારા અપાતી કેળવણીની યોજનામાં આવાં સંગ્રહાલયો શિક્ષણ માટેનું મહત્ત્વનું અંગ હોય છે. સંગ્રહાલયનો નિયામક (ક્યુરેટર) પ્રદર્શિત નમૂનાઓ સાથે સંકળાયેલા વિષયોનો નિષ્ણાત હોય છે. પ્રદર્શિત કરવા માટેની ચીજવસ્તુના મૂલ્યમહિમાનો તે જાણતલ હોય છે. કઈ વસ્તુ કઈ રીતે પ્રદર્શિત કરવી, તેને કઈ જગ્યાએ ગોઠવવી અને તેની જાળવણી કેવી રીતે કરવી તે તે નક્કી કરે છે.

સંગ્રહાલય પરંપરાગત રીતે આજ દિન સુધી વિકસેલી ને ટકેલી સંસ્કૃતિનો સાર્વજનિક ખજાનો હોય છે. તેમાં પ્રાચીન કાળથી માંડીને અર્વાચીન કાળની અવનવી ચીજવસ્તુઓના મૂળ કે અનુકૃત નમૂનાઓનો સંગ્રહ કરેલો હોય છે. તેમાં અનેક જુદા જુદા વિભાગો હોય છે; જેમ કે, ઐતિહાસિક-સાંસ્કૃતિક, કલા અને વિજ્ઞાનને લગતા તથા પ્રાકૃતિક વગેરે. સંગ્રહસ્થાનોમાં પ્રાણીવિભાગ હોય તો ત્યાં પ્રાણીઓના શબને ચર્મપૂરણ કરી પ્રદર્શિત કરવાની પણ વ્યવસ્થા કરાય છે.

ઐતિહાસિક સંગ્રહાલયમાં ઇતિહાસના જે તે સમયનાં સ્થળ કે વ્યક્તિ વિશેની માહિતી મળે છે. વળી ક્યારેક કોઈ વ્યક્તિએ સંઘરેલા સિક્કાઓ, ચંદ્રકો, ટિકિટો, ફર્સ્ટ-ડે-કવરો વગેરેનો પણ સમાવેશ થાય છે. સાંસ્કૃતિક સંગ્રહાલયમાં જુદા જુદા સમયના લોકોની જીવનશૈલી પ્રમાણે વસ્ત્રો, અલંકારો, જે તે સમયે વપરાતાં વાસણો, રાચરચીલું તથા રહેઠાણ વગેરેની માહિતી મળે છે. ક્યારેક વિજ્ઞાન અને તકનીકી સંગ્રહાલયમાં વિજ્ઞાનનાં પુરાતન ઉપકરણોથી માંડીને આધુનિક શોધોનાં ઉપકરણો જોવા મળે છે. કલાના સંગ્રહાલયમાં ચિત્રો, શિલ્પો અને હસ્તકલાના નમૂનાઓ વગેરે જોવા મળે છે.

ભારતમાં સાચા અર્થમાં ‘સંગ્રહાલય’નો ખ્યાલ ૧૮મી અને ૧૯મી સદીમાં અંગ્રેજો લાવ્યા. તે પહેલાં રાજાઓના મહેલમાં વૈભવની દૃષ્ટિએ અલભ્ય ચિત્રો, શિલ્પો, શસ્ત્રાસ્ત્રો કે કલાકૃતિઓને રાખવામાં આવતાં હતાં, પણ સામાન્ય લોકોને આ બધું જોવા-જાણવા કે માણવા માટે મળતું નહોતું. ભારતનું સૌથી પ્રથમ સંગ્રહાલય ૧૮૭૫માં કૉલકાતામાં બનાવવામાં આવ્યું હતું.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સંગ્રહાલય [મ્યુઝિયમ], પૃ. 63)

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

અજિત વાડેકર

જ. ૧ એપ્રિલ, ૧૯૪૧ અ. ૧૫ ઑગસ્ટ, ૨૦૧૮

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કપ્તાન અજિત લક્ષ્મણ વાડેકરનો જન્મ મુંબઈમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. પિતાની ઇચ્છા તેમને એન્જિનિયર બનાવવાની હતી, પરંતુ તેમણે ક્રિકેટની રમત ઉપર પસંદગી ઉતારી. છ ફૂટ ઊંચા અજિત વાડેકર બૅટિંગની વિશિષ્ટ શૈલી ધરાવનાર ડાબોડી બૅટ્સમૅન હતા. ડાબોડી મધ્યમ બૉલિંગ પણ તેઓ કરતા હતા. તેઓ હંમેશાં ત્રીજા ક્રમાંક ઉપર રમવા ઊતરતા.

પ્રથમ કક્ષાની ક્રિકેટમાં ૧૯૫૮થી ૧૯૭૫ દરમિયાન તેઓ મુંબઈ અને વેસ્ટ ઝોન તરફથી રમ્યા હતા. રણજી ટ્રૉફી સ્પર્ધામાં મુંબઈનું કપ્તાનપદ દીર્ઘકાળ સુધી સંભાળ્યું હતું. તેમની ગણના ‘હાર્ડ હિટર’ તરીકે થતી હતી. તેઓ ‘હાફ વૉલી’ દડાને ફટકારવાનું ભાગ્યે જ ચૂકતા હતા.

૧૯૬૬-૬૭માં રાષ્ટ્રીય ક્રિકેટમાં તેમની શાનદાર બૅટિંગના પ્રતાપથી તેમણે પ્રવાસી વેસ્ટ ઇન્ડીઝ સામે મુંબઈ ખાતે ૧૩મી ડિસેમ્બર, ૧૯૬૬ના રોજ પ્રથમ ટેસ્ટમાં પ્રવેશ મેળવ્યો હતો. ૧૯૬૭માં ઇંગ્લૅન્ડ પ્રવાસમાં અને ૧૯૬૭-૬૮માં ઑસ્ટ્રેલિયા પ્રવાસમાં તેમનો દેખાવ નોંધપાત્ર રહ્યો હતો. ૧૪૩ રન ફટકારી તેમણે ન્યૂઝીલૅન્ડ સામે ટેસ્ટ કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી.

૧૯૭૦-૭૧માં વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસમાં અજિત વાડેકર ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન બન્યા હતા. ૧૯૭૧માં કૅંરિબિયન પ્રવાસમાં અને ત્યારબાદ એ જ વર્ષે ઇંગ્લૅન્ડના પ્રવાસમાં તેમણે ભારતને બેવડા ટેસ્ટશ્રેણી વિજયોની ભેટ ધરી હતી. તેમણે ૧૬ ટેસ્ટમૅચોમાં ભારતનું નેતૃત્વ સંભાળ્યું હતું. ભારતની પ્રથમ એકદિવસીય ઇન્ટરનેશનલ ક્રિકેટ ટીમના પણ તેઓ સભ્ય હતા. ૧૯૭૪માં વાડેકરે નિવૃત્તિ જાહેર કરી હતી.

અજિત વાડેકર સ્ટેટ બૅન્ક ઑવ્ ઇન્ડિયામાં જનસંપર્ક વિભાગમાં જનરલ મૅનેજરના હોદ્દા પર હતા. તેઓ જૂજ એવા ભારતીય ક્રિકેટરોમાંના હતા જેમણે ભારતીય ક્રિકેટ ટીમના ટેસ્ટ ખેલાડી, કપ્તાન, કોચ, મૅનેજર અને પસંદગીકાર (સિલેક્ટર) તરીકે સેવાઓ આપી હતી.

૧૯૬૮માં ભારત સરકાર દ્વારા તેમને અર્જુન ઍવૉર્ડ અને ૧૯૭૨માં પદ્મશ્રીના ઇલકાબોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

આપણા મનની ગ્રંથિથી વ્યક્તિને બાંધીએ નહીં

કોઈ વ્યક્તિને મળીએ ત્યારે આપણે એને એક નિશ્ચિત છાપ સાથે મળતા હોઈએ છીએ. આ માણસ કુટિલ અને કાવતરાબાજ છે અથવા તો આ વ્યક્તિ તરંગી અને ધૂની છે એવી એક ચોક્કસ છાપ સાથે બીજાને મળતા હોઈએ છીએ. આને દુનિયાદારીનું લેશમાત્ર ભાન નથી કે પછી આ માણસ જેવો ઘમંડી બીજો કોઈ નથી, એમ એને જોતાં જ આપણું ચિત્ત ગાંઠ વાળીને બેસી જાય છે. પ્રત્યેક વ્યક્તિના વ્યક્તિત્વ વિશે આપણે આવી મનની ગાંઠ ધરાવીએ છીએ, પરંતુ આમ કરવા જતાં એ વ્યક્તિના વ્યક્તિત્વનાં ઘણાં પાસાં ચૂકી જઈએ છીએ. આપણા મનમાં એને વિશેની છાપ પ્રમાણે એની વાત સંભાળીએ છીએ અને એ વાતનું પૃથક્કરણ કરીને અંતે આપણી છાપ અનુસાર એને ઘાટ આપીને સ્વીકારીએ છીએ. એ ગમે તે કહેશે, પરંતુ આપણે એને વિશેના આપણા નિશ્ચિત ઢાંચાથી જ સાંભળીશું. પરિણામે આપણે એની વાતને પૂરેપૂરી સમજી શકતા નથી. એના વ્યક્તિત્વને પામી શકતા નથી અને આપણી ‘લેબલ’વાળી અધૂરી સમજથી એને યોગ્ય રીતે નાણી શકતા નથી. ઘણી વાર આપણે એમ માનીએ છીએ કે અમે આવી વ્યક્તિઓ વિશે કોઈ નિશ્ચિત છાપ ધરાવતા નથી, પણ હકીકતમાં આવી છાપ આપણા મનમાં હોય છે અને એ સતત આપણા વ્યવહારમાં આડે આવતી હોય છે. વ્યક્તિને યોગ્ય સંદર્ભમાં જાણવા માટે કશાય પૂર્વગ્રહ વિનાના શ્રોતા બનવું જરૂરી છે. વ્યક્તિને સમજવા પ્રયાસ કરીએ તો જ એના વ્યક્તિત્વને પામી શકીએ. વ્યક્તિને પહેલાં એની આંખે જોઈએ પછી આપણી આંખે જોવાનો પ્રયાસ કરીએ. પૂર્વગ્રહ કે પૂર્વધારણાઓનાં ચશ્માં પહેરીને વ્યક્તિને જોવા જઈએ તો ઘણી મોટી થાપ ખાઈ જઈએ તેવો સંભવ છે.