Categories
વાચન સમૃદ્ધિ

તરતી હિમશિલા (iceberg)

તરતી હિમશિલા (iceberg) : સમુદ્રજળમાં તરતા બરફજથ્થા (હિમગિરિ). વિશાળ હિમનદના નીચલા (છેડાના) ભાગમાંથી તૂટેલા જુદા જુદા પરિમાણવાળા બરફજથ્થા છૂટા પડીને, સરકી આવીને સમુદ્રજળમાં તરતા રહે છે. તેના 9/10 ભાગ પાણીમાં અને 1/10 ભાગ સમુદ્રસપાટીથી બહાર રહે છે. ઊંચા અક્ષાંશોમાં એટલે કે ધ્રુવીય પ્રદેશોમાં જો હિમનદી નજીકના દરિયાકિનારે પહોંચતી હોય તો તેનો તળભાગ સમુદ્રજળમાં જેમ જેમ સરકતો જાય તેમ તેમ, તથા સમુદ્ર-પ્રવાહો અથવા અન્ય કારણોસર જ્યારે પણ તૂટીને છૂટો પડે ત્યારે તેને તરતી હિમશિલા તરીકે ઓળખવામાં આવે છે. ભૂમિભાગો પરના હિમજથ્થા તેમના મૂળ માતૃજથ્થામાંથી તૂટી જાય અને ત્યાં જો દરિયાકિનારો હોય તો દરિયાના પાણીમાં સરકી જઈ તરતા રહે છે, અથવા નજીકના ભાગમાં પડ્યા રહે છે – આ પ્રકારને પણ તરતી હિમશિલા કહેવાય છે.

સમુદ્રજળમાં તરતી મહાકાય હિમશિલા

ધ્રુવીય પ્રદેશોમાં જોવા મળતા વિશાળ અકબંધ બરફજથ્થા એ સ્વયં દરિયાઈ બરફ છે અથવા તો સમુદ્ર મહાસાગરનો ઠરી ગયેલો ભાગ છે, જ્યારે તરતી હિમશિલા આવા બરફપટમાંથી કે હિમનદમાંથી તૂટીને, છૂટી પડીને સમુદ્રજળમાં સરકીને તરતો રહેતો ભાગ છે. આર્ક્ટિક અને ઍન્ટાર્ક્ટિક બંને વિસ્તારોના ખંડીય કે ટાપુઓ પરનાં હિમાવરણો જ્યાં તે દરિયા તરફ વિસ્તરતાં હોય ત્યાં તૂટીને હિમશિલાઓ તરતી રહેવાની સ્થિતિ પેદા થતી હોય છે. ગ્રીનલૅન્ડની હિમશિલાઓ દસ લાખ ટન વજન ધરાવતી હોવાનું માલૂમ પડેલું છે અને ઍન્ટાર્ક્ટિકની હિમશિલાઓ તો એથી પણ ઘણી મોટી હોય છે. તરતી હિમશિલાઓ કમાનાકાર, ગચ્ચામય, ઘુમ્મટાકાર, અણીઆકાર, મેજઆકાર, ખીણ જેવા કે ઝૂંપડી જેવડા પરિમાણવાળી હિમશિલાઓ વિવિધ આકારની હોય છે. તેમની ઉત્પત્તિથી માંડીને અસ્તિત્વ સુધી આયુકાળ ઠંડા ધ્રુવીય પ્રદેશમાં હોય ત્યારે ઘણો લાંબો હોઈ શકે છે; માત્ર ગરમ ઋતુકાળ દરમિયાન જ તે નહિવત્ ઓગળે છે, પરંતુ મહાસાગર પ્રવાહોની અસર હેઠળ જો તે સરકતાં સરકતાં હૂંફાળા જળમાં પહોંચે તો તે ઝડપથી ટુકડાઓમાં વિભાજિત થઈ જાય છે અને દરિયાઈ જળના 5O સે. થી 10O સે. તાપમાને થોડાક સપ્તાહમાં તેમજ 10O સે.થી વધુ તાપમાને થોડા દિવસોમાં ઓગળી જાય છે. જ્યારે આવી હિમશિલાઓ આગળ ધપતી જઈને દરિયાઈ જહાજોના અવરજવરના માર્ગમાં ક્યારેક આવી ચઢે અને જહાજો સાથે અથડાય તો ભારે ખુવારી સર્જે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8, તરતી હિમશિલા, પૃ. 701 અથવા જુઓ https://gujarativishwakosh.org/તરતી હિમશિલા/)

Categories
વાચન સમૃદ્ધિ

વેર્નર હાઇઝન્બર્ગ

જ. 5 ડિસેમ્બર, 1901 અ. 1 ફેબ્રુઆરી, 1976

ક્વૉન્ટમ યાંત્રિકીના સર્જન અને વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર જર્મન ભૌતિકશાસ્ત્રી હાઇઝન્બર્ગનો જન્મ વુર્ઝબર્ગ, જર્મનીમાં થયો હતો. 1920 સુધી તેમણે મ્યૂનિકની મેક્સમિલન શાળામાં અભ્યાસ કર્યો. મ્યૂનિક યુનિવર્સિટીમાં સોમરફિલ્ડ, વીન પ્રિન્ગશેઇમ અને રોઝેન્થલના માર્ગદર્શન હેઠળ ભૌતિકવિજ્ઞાનનો અભ્યાસ કર્યો. ત્યારબાદ 1922-23માં ગોટિંગજનમાં ભૌતિકવિજ્ઞાનનો વધુ અભ્યાસ કર્યો. 1923માં મ્યૂનિક યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી. તેઓ હંમેશાં ગ્રીક ભાષાથી પ્રભાવિત હતા. જાપાની ભૌતિકવિજ્ઞાની યુકાવા શોધિત મૂળભૂત કણ મેસોટ્રૉનનું, હાઇઝન્બર્ગે ગ્રીક ભાષાની  જાણકારીને કારણે મેસૉન નામ રાખ્યું જે આજે પણ પ્રચલિત છે. 26 વર્ષની વયે લાઇપઝિંગ યુનિવર્સિટીમાં સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે નિમાયા. 1929માં યુ.એસ., જાપાન અને ભારતમાં વ્યાખ્યાનો આપ્યાં. 1941માં બર્લિન યુનિવર્સિટીમાં ભૌતિકવિજ્ઞાનના પ્રાધ્યાપક અને કૈઝર વિલ્હેમ ઇન્સ્ટિટ્યૂટ ફોર ફિઝિક્સના નિયામક તરીકે નિયુક્ત થયા. બીજા વિશ્વયુદ્ધને અંતે તેમને અમેરિકન લશ્કરી દળોએ કેદી તરીકે ઇંગ્લૅન્ડ મોકલી દીધાં, પરંતુ 1946માં પાછા જર્મની આવી ગયા. તેમણે કેમ્બ્રિજ (ઇંગ્લૅન્ડ), યુ.એસ.માં વ્યાખ્યાનો આપ્યાં. તેમણે સ્કૉટલૅન્ડમાં ગિફૉર્ડ વ્યાખ્યાનો આપ્યાં. આ વ્યાખ્યાનોને પાછળથી પુસ્તકનું સ્વરૂપ આપવામાં આવ્યું. 1920ના દાયકામાં તેમણે ક્વૉન્ટમ યાંત્રિકીને નવું સ્વરૂપ આપ્યું અને તે ગાળામાં અચોક્કસતા (indeterminancy)નો સિદ્ધાંત આપ્યો. સામાન્ય રીતે આ સિદ્ધાંત હાઇઝન્બર્ગના અચોક્કસતા સિદ્ધાંત તરીકે પ્રચલિત છે. 1957 બાદ તેમણે પ્લાઝમા ભૌતિકી અને ન્યૂક્લિયર પ્રક્રિયાઓ પર કામ કર્યું. તેમણે એકીકૃત ક્ષેત્ર સિદ્ધાંત (unified field theory) પર પણ ધ્યાન આપ્યું અને તેમને લાગ્યું કે ભૌતિકવિજ્ઞાનમાં મૂળભૂત કણોના અભ્યાસ માટે આ સિદ્ધાંત ચાવીરૂપ છે. ક્વૉન્ટમ યાંત્રિકીના સર્જન અને પ્રયોજનને કારણે હાઇડ્રોજનનાં વિવિધ સ્વરૂપો(autotropic forms)ની શોધ બદલ 1932માં તેમને ભૌતિકવિજ્ઞાનના નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.

Categories
વાચન સમૃદ્ધિ

વૃક્ષને માટે દુઆ

અધ્યયન પૂર્ણ કરીને શિષ્ય રબ્બી નહમને પોતાના ગુરુ સંત રબ્બી ઇસાકને પોતાને માટે દુઆ માગવાનું કહ્યું, ત્યારે ગુરુ રબ્બી ઇસાકે પોતાના શિષ્યને એક કથા સંભળાવી. એમણે કહ્યું, ‘એક માનવી રણમાં સફર કરી રહ્યો હતો. એનું ભાથું તદ્દન ખૂટી ગયું હતું. હવે કરવું શું ? એ સમયે રણમાં સફર કરતી વખતે એની નજર એક સુંદર ફળવાન વૃક્ષ પર પડી. એણે એ વૃક્ષનાં મીઠાં મધુરાં ફળ ખાધાં અને પછી એ વૃક્ષના છાંયડે નિરાંતે ઘસઘસાટ ઊંઘી ગયો. જાગ્યા પછી એણે ઝાડની નજીક આવેલા વહેતા ઝરણામાંથી પાણી પીધું અને પોતાની જાતને કહેવા લાગ્યો, ‘જિંદગીમાં ક્યારેય આવાં મધુર ફળ આરોગ્યાં નથી. જ્યારે ભૂખથી મારો જીવ નીકળી જતો હતો, ત્યારે આ વૃક્ષે મને ભોજન આપ્યું અને એના છાંયડામાં આશરો આપ્યો. હું એને કઈ રીતે શુક્રિયા કહું ? એને હું કઈ દુઆ આપું ?’ ગુરુ રબ્બી ઇસાકે આ વાત કહીને શિષ્ય રબ્બી નહમનને પ્રશ્ન પૂછ્યો, ‘શું એ માણસે એવી દુઆ કરવી જોઈએ કે આ વૃક્ષનાં ફળ મીઠાં મધુરાં રહે ? જો એ આવું કરે તો એ એની મૂર્ખતા જ ગણાય, કારણ કે એ મીઠાં મધુરાં ફળનો આસ્વાદ તો માણી ચૂક્યો હતો. જો એ એવી દુઆ કરે કે હે વૃક્ષ ! તું વધુ ને વધુ ઘટાદાર બન, તો તે પણ બરાબર નહીં, કારણ કે એની ઘટાદાર છાયામાં તો એ ઘસઘસાટ ઊંઘી ગયો હતો. અને જો એ એવી દુઆ કરે કે તારી નજીક સદા ઝરણું વહ્યા કરે, તો એણે નજીક વહેતા ઝરણામાંથી જ પાણી પીધું હતું.’ આ વાત કરીને રબ્બી ઇસાકે પોતાના શિષ્ય રબ્બી નહમનને પૂછ્યું, ‘ત્યારે તમે જ કહો કે વૃક્ષને માટે એણે કઈ દુઆ કરવી જોઈએ ?’ શિષ્ય રબ્બી નહમન વિચારમાં પડી ગયો એટલે ગુરુએ કહ્યું, ‘એણે તો એ દુઆ કરવી જોઈએ કે બીજાં વૃક્ષો તારા જેવાં કલ્યાણકારી બને. ભૂખ્યાને ભોજન આપનારાં અને થાકેલાને આરામ આપનારાં થાય. તેથી જો હું તને જ્ઞાનપ્રાપ્તિની દુઆ આપું, તો એ તો તારી પાસે મોજૂદ છે. ધન પણ તારી પાસે છે. સંતાનની દુઆ આપું, તો એ પણ તારી પાસે છે. હવે હું એટલી જ દુઆ આપીશ કે તારાં બાળકો તારા જેવાં જ્ઞાની અને સેવાભાવી બને.’