સરીસૃપ પ્રાણીઓ


પૃષ્ઠવંશી પ્રાણીઓનો પેટે ઘસડાઈને ચાલતો એક વર્ગ.

 કાચબો

આ પ્રાણીઓ ભીંગડાંવાળી સૂકી ચામડી ધરાવે છે. ફેફસાં વડે શ્વાસ લે છે. કાચબો, કાચિંડો, ગરોળી, મગર, સાપ, ઘો, અજગર વગેરે સરીસૃપ વર્ગનાં પ્રાણીઓ છે. આશરે ૬,૦૦૦ જુદી જુદી જાતિનાં સરીસૃપ પ્રાણીઓ છે. સરીસૃપ વર્ગનાં પ્રાણીઓનાં કેટલાંક લક્ષણો આ પ્રમાણે છે : તેઓ પૃષ્ઠવંશી છે, કરોડસ્તંભ ધરાવે છે. તેઓ ફેફસાં વડે શ્વાસ લે છે. મોટા ભાગનાં સરીસૃપો ઈંડાં મૂકે છે, કેટલાંક બચ્ચાને જન્મ આપે છે. તેઓ જમીન પર ઈંડાં મૂકે છે. પાણીમાં રહેતાં સરીસૃપો પણ જમીન પર આવીને ઈંડાં મૂકે છે. આ પ્રાણીઓ વિશ્વમાં સર્વત્ર જોવા મળે છે, પણ વિશેષ કરીને ઉષ્ણપ્રદેશોમાં સવિશેષ. તેઓ ઍન્ટાર્કટિકા સિવાય દરેક ખંડમાં તથા બધા સમુદ્રોમાં વસે છે. તેઓ રણમાં, જંગલમાં, જમીનની અંદર તથા દરિયા કે અન્ય જળાશયના પાણીમાં પણ વસે છે. તેઓ પોતાના શરીરના તાપમાનનું નિયંત્રણ કરી શકતાં નથી, તેથી ઉષ્ણપ્રદેશમાં તેઓ પથ્થરની નીચે કે છાંયડામાં રહે છે. તેમને પર્યાવરણ પર આધાર રાખવો પડે છે. અતિ ઉષ્ણપ્રદેશમાં તેઓ રાત્રે જ બહાર નીકળે છે. ખૂબ ઠંડી પડે ત્યારે તેઓ શીતનિદ્રા (hibernation) લઈ લે છે. આમ અતિશય ઠંડી અને ગરમીથી બચવાનો તેમનો પ્રયત્ન હોય છે.

મગર

તેઓના કદમાં પણ મહાકાય અજગર, મગરથી માંડી નાની અમથી ગરોળીઓનો પણ સમાવેશ થાય છે. સરીસૃપવર્ગમાં સૌથી મોટામાં મોટું પ્રાણી છે એનાકોન્ડા સાપ(દક્ષિણ અમેરિકા). એશિયા ખંડમાં મહાકાય અજગર (૧૦ મીટર) તથા મહાકાય મગર (૭ મીટર લાંબા) મળે છે. આ વર્ગનાં સૌથી વજનદાર પ્રાણીઓ કાચબાઓમાં મળે છે. અમુક પ્રકારના કાચબા ૧ ટન સુધીનું વજન ધરાવે છે. સરીસૃપ વર્ગનાં પ્રાણીઓમાં કેટલાંક ખૂબ લાંબું જીવે છે. ઘણા કાચબા લગભગ ૧૦૦ વર્ષ જીવે છે. માદા પોતાનાં ઈંડાં જમીનમાં ખાડો ખોદીને અથવા પાંદડાંના ઢગલામાં મૂકે છે. જ્યાં સૂર્યની ગરમી કે સડતાં પાંદડાંની ગરમીથી ઈંડાં સેવાય છે. આ વર્ગનાં પ્રાણીઓ ઈંડાં કે બચ્ચાંની કાળજી નહીંવત્ લે છે. મોટા ભાગે તેઓ વધારે સંખ્યામાં ઈંડાં મૂકે છે. બચ્ચાં જન્મે ત્યારે તેમનાં મા-બાપ જેવાં લાગે છે અને જન્મ થતાં જ સ્વતંત્ર રીતે રહી શકે તેવાં તે હોય છે. સરીસૃપો પોતાના શરીર પરની ચામડી વર્ષમાં એકાધિક વાર ઉતારે છે. — તેને ‘કાંચળી ઉતારવી’ કહેવામાં આવે છે. ભૂતકાળમાં પૃથ્વી પર સરીસૃપ વર્ગનાં ઘણાં પ્રાણીઓ હતાં. ડાયનોસૉર સરીસૃપ વર્ગનાં મહાકાય પ્રાણીઓ હતાં. પૃથ્વી પર ત્યારે સરીસૃપનું જ રાજ હતું. કોઈ કારણસર તેમનો નાશ થયો. હાલમાં ચાર મુખ્ય જાતિઓ કાચબો, ગરોળી, સાપ અને મગર રહ્યાં છે. ઘણાં મનુષ્યોને સરીસૃપ પ્રાણીઓની બીક લાગે છે. ખરું જોતાં તે પ્રાણીઓ મનુષ્યથી ડરતાં હોય છે. મોટા ભાગનાં આ પ્રાણીઓ નિરુપદ્રવી હોય છે. જોકે મગર તથા અમુક ઝેરી સાપ મનુષ્ય માટે ભયજનક છે. મનુષ્યો મગર, સાપ અને ગરોળીને તેમની ચામડી માટે મારી નાખે છે, તેમાંથી કમરપટ્ટા, પર્સ, પાકીટ વગેરે બનાવાતાં હોય છે. હવે ઘણાંબધાં પ્રાણીઓ નામશેષ થઈ ગયાં હોવાથી તેમના શિકાર પર પ્રતિબંધ મુકાયો છે. મગર, કાચબા, સાપ જેવાં સરીસૃપો પાણીમાં રહેવા છતાં જમીન ઉપરનાં પ્રાણીઓ ગણાય છે, કેમ કે તે બધાં ભૂસ્તર પ્રાણીઓની જેમ શ્વાસોચ્છવાસ પોતાનાં ફેફસાં વડે જ લે છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

અંજના ભગવતી

ગિરીશચંદ્ર ઘોષ


જ. ૨૮ ફેબ્રુઆરી, ૧૮૪૪ અ. ૮ ફેબ્રુઆરી, ૧૯૧૨

જાણીતા બંગાળી અભિનેતા, દિગ્દર્શક અને લેખક ગિરીશચંદ્ર ઘોષનો જન્મ કૉલકાતાના બાગબજારમાં થયો હતો. તેમનાં માતાપિતા નીલકમલ અને રાયમણિનું તેઓ આઠમું સંતાન હતા. પિતા પાસેથી તીક્ષ્ણ બુદ્ધિ અને જીવન પ્રત્યેનો વ્યાવહારિક અભિગમ અને માતા પાસેથી સાહિત્ય પ્રત્યે પ્રેમ અને ભગવાન પ્રત્યેની ભક્તિ તેમને વારસામાં મળ્યાં હતાં. જીવનની શરૂઆતમાં જ તેમણે માતાપિતાની છત્રછાયા ગુમાવી હોવાથી ૧૮૬૨માં શાળા છોડ્યા બાદ તેમણે એક બ્રિટિશ કંપનીમાં બુકકીપિંગમાં એપ્રેન્ટિસશિપ મેળવી હતી. આ સમયગાળામાં ઈશ્વરચંદ્ર ગુપ્તા સાથે તેમનો પરિચય થવાથી તેમણે નાટકો, ગીતો અને કવિતાઓ લખવાનું શરૂ કર્યું હતું. ગિરીશચંદ્ર ઘોષે ૧૮૭૩માં ગ્રેટ રાષ્ટ્રીય રંગભૂમિની રચના કરી હતી અને ૧૮૭૭માં ત્યાં તેમના પ્રથમ નાટક ‘આગમણિ’નું મંચન કર્યું હતું. ત્યારબાદ તેમણે મિનર્વા થિયેટરમાં પણ કામ કર્યું હતું અને તેઓ મૅનેજરપદ સુધી પહોંચ્યા હતા. તેમણે રામાયણ, મહાભારત અને પુરાણકથા આધારિત કુલ ૮૬ નાટક લખ્યાં હતાં. તેમનાં ખૂબ જાણીતાં નાટકોમાં ‘બુદ્ધદેવચરિત’, ‘પૂર્ણ ચંદ્ર’, ‘કલાપહાર’, ‘અશોક’, ‘ચૈતન્યલીલા’, ‘રૂપ-સનાતન’, ‘નિમાઈ સંન્યાસ’ અને ‘પ્રહલાદચરિત’નો સમાવેશ થાય છે. ગિરીશચંદ્ર ઘોષ રામકૃષ્ણ પરમહંસને પહેલી વાર તેમના પાડોશી કાલીનાથ બોઝના ઘેર મળ્યા હતા. ૨૧ સપ્ટેમ્બર, ૧૮૮૪ના રોજ શ્રી રામકૃષ્ણ સ્ટાર થિયેટરમાં ‘ચૈતન્યલીલા’ જોવા ગયા હતા. રામકૃષ્ણ પરમહંસના પ્રભાવ હેઠળ તેમના નાટક ‘નાસીરામ’માં તેમણે રામકૃષ્ણના ઉપદેશોનો ખૂબ જ ઉપયોગ કર્યો. ‘ધ ગોસ્પેલ ઑફ શ્રી રામકૃષ્ણ’માં ગિરીશચંદ્ર અને રામકૃષ્ણને લગતાં ઘણાં દૃશ્યો છે. વિશ્વવિખ્યાત અંગ્રેજી લેખક ક્રિસ્ટોફર ઈશરવુડના સંપર્કમાં આવ્યા બાદ ગિરીશચંદ્ર તેમના એક પ્રકારના આશ્રયદાતા સંત બન્યા હતા. તેમણે ઘણાં બધાં નાટકોનું દિગ્દર્શન પણ કર્યું  હતું. બંગાળી રંગભૂમિના સુવર્ણયુગ સાથે ગિરીશચંદ્ર ઘોષનું નામ સુવર્ણ અક્ષરે જોડાયેલું છે.

અશ્વિન આણદાણી

તુલના કરવી એટલે દુ:ખને નિમંત્રણ આપવું


વ્યક્તિના જીવનમાં આવતી પ્રત્યેક સમસ્યા વ્યથાનું સરનામું લઈને આવતી હોય છે. આવે સમયે એ ક્યારેક વર્તમાન સમસ્યાને ભૂલવા માટે પાછલા પગે દોડીને ભૂતકાળમાં આશરો લેતી હોય છે. ભૂતકાળનાં એ સુખોનું સ્મરણ એની વર્તમાનની વેદના વધુ ઘેરી બનાવે છે. એને એનું ગામડું, બાળપણનું નિર્દોષ વાતાવરણ, ગોઠિયાઓ સાથેની ધીંગામસ્તી અને મુગ્ધાવસ્થાનો આનંદ યાદ આવે છે અને એની તુલનામાં વર્તમાન જીવન અતિ વ્યથાજનક લાગે છે. તુલના એ ખતરનાક ખેલ છે. એ ક્યારેય સંપૂર્ણ હોતી નથી અને તેથી અપૂર્ણ સરવાળાઓ કરીને વ્યક્તિ તુલના કરતી હોય છે. જીવનના બે સમયગાળાની, બે પરિસ્થિતિની કે બે વ્યક્તિની સરખામણી ક્યારેય પૂર્ણ રૂપે સાચી હોતી નથી, આમ છતાં ભૂતકાળમાં વસનાર આવી તુલનાઓથી જીવતો હોય છે અને ધીરે ધીરે આ ભૂતકાળ એના વર્તમાન જીવન પર ઉદાસીનું આવરણ ઓઢાડી દે છે. વર્તમાન સમસ્યાઓને માટે માત્ર અનુભવો ઉપયોગમાં આવે છે, ભૂતકાળ નહીં. વ્યક્તિ જેમ ભવિષ્યનાં દિવાસ્વપ્નો જોતી હોય છે, એ જ રીતે એ ભૂતકાળનાં વિસરાયેલાં સ્વપ્નોને ફરી ફરી ઘૂંટવાનો શોખ ધરાવે છે. મન આસપાસની ભૂતકાળની દીવાલ હતાશા, નિરાશા અને નિષ્પ્રાણ વાતાવરણ સર્જે છે. ધીરે ધીરે વ્યક્તિ વર્તમાનને અને સમસ્યાને ભૂલીને ભૂતકાળની આશ્રિત બની જાય છે. ભૂતકાળનું સ્મરણ એને વર્તમાનનું વિસ્મરણ કરાવે છે અને એના ભવિષ્યનો છેદ ઉડાડે છે. વીતેલા યુગની વાતોના નિ:સાસાથી એ જીવે છે અને એની એ બેચેની એના આજના યુગને ખારો બનાવે છે. ભલે એ ભૂતકાળ આપણો હોય, પરંતુ એ વીતી ગયેલી વાત છે. આજે આપણે કંઈ એ ભૂતકાળ નથી. ભૂતકાળની વિદાયમાં જ ભવિષ્યનું આગમન છુપાયેલું છે.

કુમારપાળ દેસાઈ