Categories
વાચન સમૃદ્ધિ

ઝિગુરાત

પ્રાચીન સુમેર, બૅબિલોનિયા અને ઍસીરિયન સંસ્કૃતિ સાથે સંકળાયેલ વિશિષ્ટ ધાર્મિક સ્થાપત્ય. ‘ઝિગુરાત’નો અર્થ થાય છે પર્વતની ટોચ કે શિખર. સુમેરિયનો પોતાના પર્વતાળ પ્રદેશના વતનને છોડીને ઈ. સ. પૂ. ચોથી સહસ્રાબ્દીના અંતમાં મેસોપોટેમિયાનાં મેદાનોમાં આવ્યા ત્યારે આ પ્રકારનાં ધાર્મિક સ્થળોની જરૂરિયાત ઊભી થઈ. મંદિર-મિનાર(temple-tower)ની રચના પગથીવાળી અને પિરામિડ આકારની હતી. ઝિગુરાતનો સંકુલ એક વિશાળ પરિસરમાં પથરાયેલો રહેતો. તેની સાથેનાં મકાનોનો વિવિધ રીતે ઉપયોગ થતો. સમચોરસ અથવા લંબચોરસ પાયાવાળી આ ઇમારત અનેક મજલાની અને ઉપર જતાં ક્રમશ: નાના કદના મજલાવાળી બનતી. ઉર વંશના રાજાઓએ ઈ. સ. પૂ. ૨૨૫૦માં એક જ અગાશીવાળા ઝિગુરાતને બદલે એક ઉપર બીજા થરની રચના કરેલી. તેમાં સુશોભન સારુ ગોખ અને પડભીંત રખાતાં. ઝિગુરાતની બાજુઓ ઢળતી રખાતી. ઢળતી બાજુઓ અને અગાશીઓમાં વૃક્ષ અને છોડ ઉગાડાતાં. આ સંદર્ભમાં બૅબિલોનના ઝૂલતા બગીચાનો ઉલ્લેખ કરી શકાય. બૅબિલોનના મરદૂકનું ઝિગુરાત કાલ્પનિક બેબલના મિનાર સાથે સંકળાયેલું છે. અંદરનો ભાગ સૂર્યના તાપથી પકવેલી ઈંટોનો અને બહારનો ભાગ ભઠ્ઠાની પાકી ઈંટોનો બનતો. પગથીવાળા સ્તરો અને સીડીઓથી મજલા એકબીજા સાથે ગૂંથાયેલા રહેતા. સૌથી ઉપરનો મજલો દેવોને આહુતિ આપવા તથા પ્રાર્થના માટે વપરાતો.

ઝિગુરાત

મેસોપોટેમિયાનાં નગરરાજ્યો ઈશ્વરથી રક્ષાયેલાં મનાતાં અને રાજા ઈશ્વરનો પ્રતિનિધિ ગણાતો. તે કારણથી નગરનું આયોજન એક-કેન્દ્રીયતાવાળું રહેતું. ધાર્મિક અને આર્થિક દૃષ્ટિએ નગર એક અગત્યનું કેન્દ્ર બનતું અને તે રીતે ઝિગુરાત મંદિરની પ્રતિકૃતિ મનાતું. આ સ્થાપત્યની રચનાના વિવિધ તબક્કા પાતાળ, પૃથ્વી, અંતરીક્ષ ઇત્યાદિનાં પ્રતીકો દર્શાવતા. સૌથી ટોચ ઉપરની રચના સ્વર્ગનું સૂચન કરતી. ઍસીરિયન ઝિગુરાત સાતથી આઠ મજલાનાં રચાતાં. વારંવાર થયેલા સમારકામને કારણે આ ભવ્ય ઇમારતના ઉદભવ અને ઉપયોગ વિશે સચોટ ખ્યાલ હજી પણ ઉપલબ્ધ નથી. એરિડુના ઝિગુરાતનો રચનાકાળ ઈ. સ. પૂ. પાંચમી સહસ્રાબ્દીનો છે. નવા બૅબિલોનકાળ દરમિયાન ઈ. સ. પૂ. ૨૨૩૦થી ઈ. સ. પૂ. ૨૦૦૦ દરમિયાન બંધાયેલું ઝિગુરાત ચંદ્રદેવને માટેનું સ્થાન ગણાય છે. સુમેરનાં ઐતિહાસિક શહેરોમાં ઉર, વાર્કા, નિપુર, લાર્સા, એરિડુ વગેરેમાંનાં ખંડિત ઝિગુરાતો ઉલ્લેખનીય છે. સૌથી વિશાળ કદનું અને સારી રીતે જળવાયેલું ઝિગુરાત ચોગા-ઝંબિલ ઈ. સ. પૂ. ૧૨૫૦નું છે. ઝિગુરાત–ઉર : ઉરમાં મળતું ઝિગુરાત બૅબિલોનિયાનું અત્યંત પ્રાચીન ઉદાહરણ છે. ઉર્નામ્મુ અને બીજા રાજાઓના શાસનકાળ દરમિયાન તેનું સમારકામ આશરે ઈ. સ. પૂ. ૨૧૨૫થી ઈ. સ. પૂ. ૨૦૨૫ વચ્ચે થયેલું છે. લંબગોળાકાર ઉર શહેરની મધ્યમાં એક સમથળ પ્રાંગણમાં મંદિરો, રાજમહેલ વગેરેની રચના કરાયેલી છે. આ બાંધકામ આજુબાજુથી ૬ મીટર ઊંચાઈએ કરાયેલું છે. ઉરના ઝિગુરાતના પાયાનું માપ ૬૧.૫મી. લાંબું અને ૪૨ મી. પહોળું રખાયેલ છે. તેની ઊંચાઈ ૨૧ મી.ની છે. આવાં સ્થાપત્ય દક્ષિણ અને થોડે અંશે ઉત્તર મેસોપોટેમિયામાં મળે છે. ઉરનું ઝિગુરાત બૅબિલોનિયાનાં પ્રસિદ્ધ સ્થાપત્યોનું સચોટ દૃષ્ટાન્ત છે. તે ઈ. સ. પૂ. ચોથી સહસ્રાબ્દીમાં બંધાયા પછી વારંવાર ફરીથી બંધાયેલું છે. તે સતત ૪૦૦૦ વર્ષ સુધી ઉપયોગમાં હતું.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-8 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

‘કયાં કામ ન કરવાં તે નક્કી કરીએ !

અમર્યાદ સ્વપ્નો, અનંત ઇચ્છાઓ અને અપાર કામના વળગેલી છે માનવીને, પરંતુ આ અમર્યાદ, અનંત અને અપારને એણે મર્યાદિત કરવાનાં છે. જીવનધ્યેયમાં પાળ બાંધવાના આ કાર્યને કોઈ આત્મસંયમ કહે છે, તો કોઈ લક્ષ્યસિદ્ધિ કહે છે. એનું કારણ એ કે જેમ વ્યક્તિનું આયુષ્ય મર્યાદિત છે, તેમ એનું કાર્યક્ષેત્ર પણ મર્યાદિત હોવું જોઈએ. અતિ સ્થૂળ શરીર હોય અને ફાસ્ટફૂડ ખાવાનો શોખ હોય, સાંજની નોકરી હોય અને રાત્રે ફિલ્મ જોવાનો શોખ હોય, કંપનીનો મૅનેજર હોય અને મોડા પડવાની આદત હોય, તો કેવી પરિસ્થિતિ સર્જાય ? આનો અર્થ જ એ કે જીવનમાં ‘શું કરવું’ એ નક્કી કરવાની સાથોસાથ ‘શું ન કરવું’ એ પણ નક્કી કરવું પડે છે. મૅનેજર હોઈએ તો સમયસર પહોંચવું જરૂરી બને. એમ વ્યક્તિ જીવનમાં જે ક્ષેત્રમાં કામ કરે, એમાં એણે કેટલાંક કામ ગમે કે ન ગમે, પણ અનિવાર્યપણે કરવાં પડે છે. તમે જે કંઈ મેળવવા માગો છો, તે માટે કેટલીક વસ્તુઓ કરવી અનિવાર્ય બની જાય છે. આ સંયમ એ માટે જરૂરી છે કે તમે એ કર્તવ્યપાલન કરો, તો જ બીજા પાસે કર્તવ્યપાલન કરાવી શકો. માણસ જે કોઈ કાર્યક્ષેત્ર સ્વીકારે, એની સાથે એણે જીવનમાં વિવેક અપનાવવો પડે છે. એણે કઈ વસ્તુ કરવાની છે એ નક્કી કરવું પડે છે અને એની સાથે કોઈ વસ્તુથી દૂર રહેવાનું છે એ નિશ્ચિત કરવું પડે છે. આવા હેય-ઉપાદેયને સમજે, તો જ એ એના જીવનમાં સફળતા મેળવી શકે. નહીં તો વ્યર્થ, બિનઉપયોગી કે આડેમાર્ગે ફંટાઈ જનારાં કામોનો બોજ વધતો જશે અને જે કાર્યક્ષેત્ર સ્વીકાર્યું છે તેનાથી એ વધુ ને વધુ દૂર થતો જશે. જીવનમાં જેમ શુભ અને અશુભ વિશે વિચારીએ છીએ, એ જ રીતે ધ્યેયને લક્ષ્યમાં રાખીને કરણીય અને અકરણીય કામોનો વિચાર કરવો જોઈએ.

Categories
વાચન સમૃદ્ધિ

સાપુતારા

ગુજરાત રાજ્યના ડાંગ જિલ્લામાં આવેલું ગિરિમથક. ‘સાપુતારા’ નામનો અર્થ ‘સાપોનો નિવાસપ્રદેશ’ એવો થાય છે. દેશને સ્વાતંત્ર્ય મળ્યા પછી ગુજરાતમાં સૌથી પહેલા ગિરિમથક તરીકે આ સ્થળનો વિકાસ કરવામાં આવ્યો. તે રાજ્યના સૌથી ગાઢ જંગલ ધરાવતા ડાંગ જિલ્લામાં સૂરતથી ૧૬૪ કિમી.ના અંતરે આવેલું છે. સહ્યાદ્રિ ગિરિમાળામાં તે દરિયાની સપાટીથી ૮૭૨.૯ મીટરની ઊંચાઈ પર છે. સાપુતારાનું ભૂપૃષ્ઠ પહાડી છે. પશ્ચિમ ઘાટમાંથી નીકળતી સર્પગંગા નદી ગામની નજીકથી વહે છે. અહીં લાવાપ્રવાહોથી રચાયેલા બેસાલ્ટ ખડકો પથરાયેલા છે. કેટલાક વિસ્તારોમાં લાલ માટીનું તો અન્ય ઠેકાણે રેગર અથવા કાળી માટીનું આવરણ પથરાયેલું જોવા મળે છે.

ઉનાળામાં અહીંનું હવામાન ઠંડું, ખુશનુમા અને આહલાદક હોય છે. શિયાળો પ્રમાણમાં ઠંડો હોય છે. અહીં વાર્ષિક સરેરાશ વરસાદ ૨,૫૪૦ મિમી.થી  ૩,૨૦૦ મિમી. જેટલો થાય છે. અહીંનાં જંગલોમાં સાગ અને વાંસનાં ઝાડ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. ઔષધીય વનસ્પતિઓ પણ ખૂબ પ્રમાણમાં ઊગે છે. સાપુતારામાં ૮૪૫ મીટરની ઊંચાઈએ એક જળાશય તૈયાર કરવામાં આવેલું છે. આ જળાશય સાપુતારામાં પીવાનું પાણી પૂરું પાડે છે. રાજ્યના મત્સ્યવિભાગ દ્વારા આ જળાશયમાં મત્સ્યઉછેર થાય છે. અહીં મધમાખીઉછેર-કેન્દ્ર પણ વિકસાવવામાં આવ્યું છે. અહીંનાં જોવાલાયક સ્થળોમાં સનરાઇઝ અને સનસેટ પૉઇન્ટ, ઇકો-પૉઇન્ટ, સાપુતારા સરોવર, રજ્જુમાર્ગ, વેલી-વ્યૂ-પૉઇન્ટ, લેક-ગાર્ડન, રોઝ-ગાર્ડન, સ્ટેપ-ગાર્ડન, મધમાખીઉછેર-કેન્દ્ર તથા આદિવાસી હસ્તકલાની ચીજ-વસ્તુઓના સંગ્રહાલયનો સમાવેશ થાય છે. આ સંગ્રહાલયમાં ડાંગ વિસ્તારના આદિવાસીઓની હસ્તકલાના નમૂના, ઘરેણાં, વાજિંત્રો, શસ્ત્રો અને શિકારનાં ઓજારો પ્રદર્શિત કરવામાં આવ્યાં છે. સાપુતારા ગિરિમથક ગુજરાત અને મહારાષ્ટ્રનાં મુખ્ય શહેરો સાથે સડકમાર્ગોથી સંકળાયેલું છે. ગુજરાત અને મહારાષ્ટ્રના પર્યટકો અહીં અવારનવાર આવતા રહે છે. પર્યટકો માટે અહીં જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી