માધવરાવ પહેલા


જ. ૧૬ ફેબ્રુઆરી, ૧૭૪૫ અ. ૧૮ નવેમ્બર, ૧૭૭૨

પેશ્વા બાલાજી બાજીરાવના વચેટ પુત્ર માધવરાવ મરાઠા શાસકોમાં ઉત્તમ વહીવટકર્તા, સમર્થ સેનાપતિ અને મહાન પેશ્વા હતા. તેઓને રાજવંશી કુટુંબોને અનુરૂપ શિક્ષણ અને તાલીમ પ્રાપ્ત થયાં હતાં. નાની ઉંમરથી રાજનીતિ અને રાજકારણની બાબતોમાં રસ લેવાનું તેમણે શરૂ કર્યું હતું. આઠ વર્ષની વયે રમાબાઈ સાથે લગ્ન થયું હતું. માધવરાવને કોઈ સંતાન ન હતું, આથી તેમના અનુગામી તરીકે નાના ભાઈ નારાયણરાવને તેઓએ પસંદ કર્યા હતા. તેમનાં માતા ગોપિકાબાઈએ માધવરાવને રાજકારભાર અને નીતિનિયમો સંબંધી માર્ગદર્શન આપ્યું હતું. પિતાનું મૃત્યુ થતાં માત્ર ૧૬ વર્ષની વયે માધવરાવે વહીવટ સંભાળ્યો હતો. ૧૭૬૧માં નિઝામઅલી સાથે પુણે પાસેના યુદ્ધમાં નિઝામઅલીનો પરાજય થયો. હૈદરઅલી સાથેના યુદ્ધમાં હૈદરનો પરાજય થયો. માધવરાવે ઉત્તરમાં મરાઠી સત્તાને પુન: સ્થાપિત કરવામાં સફળતા મેળવી હતી. પેશ્વા માધવરાવે સરકારી અધિકારીઓને ભ્રષ્ટાચાર અને લાંચ-રુશવતની બદીથી દૂર રહેવાની કડક સૂચનાઓ આપી હતી. ભારરૂપ કરવેરાઓ નાબૂદ કરી તેનું માળખું સરળ કર્યું. વહીવટી તંત્રમાં નિષ્કલંક, પ્રામાણિક તથા કાર્યદક્ષ અધિકારીઓ અને કર્મચારીઓને નિયુક્ત કર્યા. ન્યાયતંત્રને નિષ્પક્ષ અને કડક બનાવ્યું. પેશ્વા માધવરાવ ઉત્તમ ચારિત્ર્ય, હૃદયની વિશાળતા, ઊંડી સમજશક્તિ અને ઝડપી નિર્ણયો લેવાની શક્તિ ધરાવતા હતા. પ્રજાનું વધુ કલ્યાણ થાય તે જોવાની તેમની તમન્ના હતી. ૧૧ વર્ષની રાજકીય અને લશ્કરી કારકિર્દી દરમિયાન નીડરતા અને નિખાલસતાથી ફરજો અને જવાબદારી તેઓએ અદા કરી. સતત આંતરિક સંઘર્ષો અને અવિરત યુદ્ધોમાં વ્યસ્ત હોવાથી તેઓને ક્ષયરોગ લાગુ પડ્યો, ૨૭ વર્ષની વયે માધવરાવની તબિયત બગડી. મૃત્યુ પહેલાં હૈદરની  શરણાગતિની વાત તથા ઉત્તરની સફળ કામગીરીના સુખદ સમાચાર સાંભળી શાંતિથી પ્રાણ છોડ્યો.

અંજના ભગવતી

જગત જાકારો આપે ત્યારે મૈત્રી


માત્ર આવકારો આપે ==============================

મૈત્રી ત્યારે જ ટકે કે જ્યારે એમાં વિચારો કે દલીલોની ચડઊતર થતી હોય. સંબંધો ત્યારે જ દૃઢ થાય કે જ્યારે એકબીજા સાથે વિચારવિમર્શ થતો હોય અને એમાંથી કશુંક તારણ મેળવાતું હોય. મૈત્રી એટલે માત્ર સંબંધ બાંધવો એટલું નથી. એ તો એનું પહેલું પગથિયું છે. એ પછી એનું બીજું પગથિયું છે તે સંબંધને મજબૂત કરવો અને ત્રીજું પગથિયું છે મૈત્રીને સાતત્યપૂર્ણ રીતે જાળવવી. સંબંધ બાંધવામાં વ્યક્તિઓ અતિ ઉત્સાહી હોય છે. મૈત્રી બાંધતી વેળાએ એ ઝાઝો વિચાર કરતી નથી. ક્યાંક મળવાનું બને, હોટેલ કે સિનેમામાં જવાનું થાય અને મૈત્રી બંધાઈ જાય, પરંતુ આવી મૈત્રી ક્ષણભંગુર એ માટે હોય છે કે એની પાછળ વિચાર કે સમજનો કોઈ મજબૂત પાયો હોતો નથી. આથી મૈત્રી બાંધવા કરતાં પણ મૈત્રીની ઇમારતનું ઘડતર કરવું મહત્ત્વનું છે અને એ ઘડતર કરવા માટે વિચારોનું મુક્ત આદાનપ્રદાન આવશ્યક છે. મિત્રને સાચી વાત કહેવાની હિંમત તો હોય, પરંતુ એથીય વધુ એને દુ:ખ પહોંચાડે એવી કડવી વાત કરવાનો છોછ રાખવો જોઈએ નહીં, કારણ કે મૈત્રીના આ ચણતરમાં ઘણી મહેનત કરવી પડે છે. વળી મૈત્રીને જાળવવાનું કામ ઘણું કપરું છે. ક્યારેક પ્રારંભમાં કોઈ આકર્ષણને કારણે મૈત્રી બંધાઈ જાય, પરંતુ એ પાછી થોડાક સમયમાં ભુલાઈ જતી હોય છે. જ્યારે સાચી મૈત્રી એ સાતત્યપૂર્ણ હોય છે અને તે જીવનભર ટકનારી હોય છે. દુનિયા આખી જાકારો આપે ત્યારે મૈત્રી એને આવકારો આપે છે. આંખ જેમ જગતને બતાવતી હોય છે, હાથ જેમ શરીરનું પ્રિય કરે છે એવી સાહજિકતા મૈત્રીમાં હોવી જોઈએ અને એવી મૈત્રી વ્યક્તિને માટે જીવનમાં આનંદ અને ઔષધ બંને બની રહે છે.

કુમારપાળ દેસાઈ

કિશોરીલાલ ગોસ્વામી


જ. ૧૫ ફેબ્રુઆરી, ૧૮૬૫ અ. ૨૯ મે, ૧૯૩૩

હિંદી સાહિત્યના પ્રતિભાશાળી સર્જક કિશોરીલાલ ગોસ્વામીનો જન્મ બનારસમાં થયો હતો. તેમનું સમગ્ર શિક્ષણ કાશીમાં થયું હતું. હિંદી સાહિત્યમાં તેમની ગણના પ્રથમ મૌલિક વાર્તાકાર તરીકે થાય છે. તેઓ ઐતિહાસિક ભાવનાવાળી અને વાસ્તવિક નવલકથાઓના સર્જક હતા. હિંદુ ધર્મના હોવાનું તેમને ગૌરવ હતું. તેઓ ધાર્મિક વૃત્તિના અને નિમ્બાર્ક સંપ્રદાયના અનુયાયી હતા. હિંદી સાહિત્યકાર ભારતેન્દુ હરિશ્ચંદ્રનાં ગુરુ કૃષ્ણા ચૈતન્ય કિશોરીલાલનાં માતામહ થાય, તેથી ભારતેન્દુ સાથેના સાહિત્યકારો સાથે તેમને ગાઢ સંપર્ક હતો. તેમણે સામાજિક, રહસ્યપ્રધાન તેમજ જાસૂસી નવલકથાઓ પણ લખી હતી. તેમણે કુલ ૬૫ નવલકથાઓ, ૩ વાર્તાસંગ્રહો આપ્યાં છે. તેઓ સરસ્વતી મૅગેઝિનના સંપાદકમંડળમાં રહ્યા હતા અને ‘ઉપન્યાસ’નું સંપાદન પણ સંભાળ્યું હતું. જેમાં તેમની મોટા ભાગની નવલકથાઓ પ્રગટ થઈ હતી. ‘ચૌપાટ ચપટ’ અને ‘મયંકમંજરી’ તેમનાં શૃંગારિક નાટકો છે, જ્યારે ‘બાલપ્રભાકર ચંદ્રિકા’, ‘ઇન્દુમતી’ અને ‘ગુલબહાર’ તેમના વાર્તાસંગ્રહો છે. તેમની વાસ્તવલક્ષી નવલકથાઓમાં ‘પ્રણયિની પરિણય’, ‘ત્રિવેણી’, ‘સ્વર્ગીય કુસુમ’, ‘લીલાવતી’, ‘ચપલા’, ‘ચંદ્રિકા વાજડાઉં ચંપાકલિ’, ‘ચંદ્રાવલિ’, ‘તરુણ તપસ્વિની’, ‘ઇન્દુમતી વનવિહંગિની’, ‘પુનર્જન્મ’, ‘માધવી માધવ’ અને ‘અંગુડી કા નગીના’નો સમાવેશ થાય છે. ‘હૃદય હરિણી’, ‘લવંગલતા’, ‘ગુલબહાર કા આદર્શ ભારતી પ્રેમ’, ‘કનકકુસુમ’, ‘હિરાબાઈ’, ‘સુલતાના’, ‘મલ્લિકાદેવી’, ‘લખનઉ કી કબ્ર’ વગેરે તેમની ઐતિહાસિક ભાવનાપ્રધાન નવલકથાઓ છે. તેમની રહસ્યપ્રધાન નવલકથાઓમાં ‘નૌલખા હાર’ અને ‘ખૂની ઓરત કા સાત ખૂન’નો સમાવેશ થાય છે.

અમલા પરીખ