Categories
વાચન સમૃદ્ધિ

હંમેશાં તારાને જુઓ

બિગબૅંગ (મહાવિસ્ફોટ) જેવા બ્રહ્માંડનાં વિવિધ પાસાંઓનો અભ્યાસી અને સૈદ્ધાંતિક ભૌતિકવિજ્ઞાની સ્ટિફન હૉકિંગના બાપદાદાનો વ્યવસાય તો ખેતીનો હતો. આર્થિક હાલત પણ સારી નહોતી. વળી નાના કદ અને સંકોચશીલ સ્વભાવને કારણે હૉકિંગે નિશાળ બદલી નાખી. મોર્ટર ન્યૂરોન ડિસિઝ (MND) અથવા ઍમિયો ટ્રૉફિક લેટર સ્કલેરોસિસ (ALS) રોગના જીવલેણ હુમલાને કારણે લગભગ બધાં અંગો લકવાગ્રસ્ત થવા છતાં હિંમત હાર્યા નહીં. એમની વિદ્યોપાસના અને સંશોધનવૃત્તિ અવિરત ચાલતી રહી. ન્યુમોનિયામાં પટકાયા બાદ શ્વાસોચ્છવાસની ભારે તકલીફ થતાં ગળાની શસ્ત્રક્રિયા કરતાં સ્વરપેટીને નુકસાન થયું અને વાચા પણ ચાલી ગઈ, પણ મજબૂત મનોબળ દ્વારા એમણે એમનાં સંશોધનો ચાલુ રાખ્યાં. બ્રહ્માંડના અંતિમ રહસ્યની સતત ખોજ કરતા રહ્યા, એથીય વિશેષ એક તાત્વિક વિચારક તરીકે જગતના ભાવિની ચિંતા કરતા રહ્યા અને એકવીસમા વર્ષે ભયાનક બીમારી થવા છતાં આજે સમગ્ર વિશ્વમાં મહાન વિજ્ઞાની તરીકે પ્રસિદ્ધ થયા. છેલ્લા બે દાયકાથી વ્હીલચૅરમાં જીવતા અને અનેક શારીરિક મર્યાદાઓ ધરાવતા સ્ટિફન હૉકિંગ પોતાની વિકલાંગતા માટે એ સંજોગો, શરીર કે નિયતિને દોષ આપતા નથી. એ કહે છે કે બધી જ ચીજો નિશ્ચિત જ હોય, તો આપણે કશું બદલી શકીએ નહીં. નસીબમાં માનનાર માનવી પણ રસ્તો ક્રૉસ કરતી વખતે આવતાં-જતાં વાહનોને જુએ છે. જીવનને પૂરેપૂરું જીવવાની કોશિશ કરતાં સ્ટિફન હૉકિંગ પોતાનાં સંતાનો રોબર્ટ, લ્યુસી અને ટિમ્મીને કહે છે કે, ‘હંમેશાં તારાને જુઓ, પગને નહીં. હું આખી દુનિયા ઘૂમી વળ્યો છું, એન્ટાકર્ટિકથી લઈને છેક ઝીરો ગ્રૅવિટી સુધી. કામથી ભાગો નહીં, કારણ કે કામ જ જીવનને અર્થ અને ઉદ્દેશ આપે છે. જિંદગીમાં જો પ્રેમ મળતો હોય તો તેનો આદર કરો, કારણ કે આ પૃથ્વી પર જ એ સંભવ છે.’

Categories
વાચન સમૃદ્ધિ

લવકુમાર ખાચર

જ. 24 ફેબ્રુઆરી, 1930 અ. 2 માર્ચ, 2015

પ્રકૃતિ સંરક્ષણ માટે કાર્ય કરનાર પક્ષીશાસ્ત્રી લવકુમાર ખાચરનો જન્મ જસદણમાં ભૂતપૂર્વ રાજવી પરિવારમાં થયો હતો. તેમનું બાળપણ હિંગોળગઢના પ્રાકૃતિક વાતાવરણમાં વીત્યું હતું. રાજકોટની રાજકુમાર કૉલેજમાં શિક્ષણ  મેળવી સેન્ટ લુઇસ સેન્ટ સ્ટીફન્સ કૉલેજ, દિલ્હીમાંથી બી.એસસી. કર્યું. તેમણે 1956માં રાજકુમાર કૉલેજમાં અધ્યાપન કર્યું હતું. તેમણે યુવાનો પ્રકૃતિસંરક્ષણમાં જોડાય એ માટે પ્રયત્નો કર્યા. તેમણે નેચરક્લબ અને કૅમ્પિંગની શરૂઆત કરી. તેઓ બૉમ્બે નેચરલ હિસ્ટરી સોસાયટી (BNHS) અને વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર (WWF), ભારત સાથે જોડાયેલા હતા. તેમને વન્યજીવનના શિક્ષણ માટે WWF તરફથી અનુદાન પ્રાપ્ત થયું હતું. તેમણે 1984માં નેચર ડિસ્ક્વરી સેન્ટરના ડાયરેક્ટર તરીકે સેવાઓ આપી હતી. અમદાવાદના સુંદરવનના વિકાસમાં તેમનો ફાળો રહ્યો હતો. તેમણે કચ્છના અખાતમાં દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય બનાવવા માટે મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. આ ભારતનું પ્રથમ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન છે. તેમણે ગીરના અભયારણ્યમાં વન્યજીવનના સંરક્ષણ માટે કાર્ય કર્યું હતું. ગ્રેટ હિમાલયન નૅશનલ પાર્ક અને ધ મરીન નૅશનલ પાર્ક એમ બે રાષ્ટ્રીય ઉદ્યાનોમાં તેમણે મહત્ત્વપૂર્ણ કાર્ય કર્યું હતું. તેમણે બૉમ્બે નેચરલ હિસ્ટરી સોસાયટી જેવી અન્ય સંસ્થાઓને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ગીરના જંગલમાં સર્વેક્ષણો કરી પક્ષીઓની પ્રજાતિઓનું દસ્તાવેજીકરણ કર્યું હતું. યુવાનો અને સાહસિકો માટે આઉટડોર સાહસિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા ‘બેક ટુ નેચર’ કાર્યક્રમ શરૂ કર્યો. તેઓ ‘હીંગોળગઢ નેચર કન્ઝર્વેશન એજ્યુકેશન સેન્ચ્યુરી’ના સ્થાપક હતા તેમજ દિલ્હી બર્ડ ક્લબના સભ્ય હતા. તેમણે કે. એસ. ધર્મકુમારસિંહજી સાથે ‘સિક્સ્ટી ઇન્ડિયન બર્ડઝ’ પુસ્તક લખ્યું હતું. WWF – ભારત માટે નેચર કૅમ્પ શરૂ કરવા અને વિકસાવવા માટે પ્રિન્સ ફિલિપ તરફથી તેમને પ્રમાણપત્ર મળ્યું હતું. 2004માં તેમને વેણુ મેનન લાઇફટાઇમ એચીવમેન્ટ ઍવૉર્ડ, દિલ્હી બર્ડ લાઇફટાઇમ એચીવમેન્ટ ઍવૉર્ડ અને સલીમ અલી – લોક વાન થો લાઇફટાઇમ એચીવમેન્ટ ઍવૉર્ડ મળ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

રાધારમણ મિત્ર

જ. 23 ફેબ્રુઆરી, 1897 અ. 7 ફેબ્રુઆરી, 1992

બંગાળી લેખક, સંશોધક અને પ્રતિભાવંત રાજકીય કાર્યકર રાધારમણ મિત્રનો જન્મ કૉલકાતામાં મધ્યમવર્ગીય કુટુંબમાં થયો હતો. 1913માં તેઓ કૉલકાતાની હિન્દુ સ્કૂલમાંથી મૅટ્રિક થયા. 1915માં તેમણે ઇન્ટરમીડિયેટની પરીક્ષા ગોલ્ડ મેડલ સાથે પાસ કરી. 1917માં તેમણે સેન્ટ પાઉલસ કેથીડ્રલ મિશન કૉલેજમાંથી ગ્રૅજ્યુએશન કર્યું હતું. કૉલકાતા યુનિવર્સિટીમાંથી એમ.એ. થયા બાદ ઉત્તરપ્રદેશમાં ઓટાવા ખાતે શિક્ષક થયા પછી  ગાંધીજીની અસહકારની ચળવળમાં જોડાયા. તેમાં પકડાયા, જેલવાસ ભોગવ્યો. જેલમુક્તિ બાદ કેટલાંક વર્ષો સુધી અમદાવાદના સાબરમતી આશ્રમમાં ગાંધીજી સાથે કામ કર્યું. પાછળથી તેઓ ક્રાંતિકારી રાજકારણમાં જોડાયા. 1923માં મેરઠ કાવતરા કેસમાં અન્ય ક્રાંતિકારીઓ સાથે તેમની ધરપકડ કરવામાં આવી. પાછળથી તેમને છોડી મૂકવામાં આવ્યા. ત્યારબાદ 1938માં તેઓ ભારતના સામ્યવાદી પક્ષમાં જોડાયા. તેઓ કૉલકાતા શહેરના પ્રાચીન અવશેષોના સંશોધનમાં સતત પ્રવૃત્ત રહેલા. તેમના ‘કાલિકાતા દર્પણ’ (1-2) નામના સંશોધનગ્રંથ બદલ તેમને 1981ના વર્ષનો સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ મળ્યો હતો. તેમની અન્ય કૃતિઓમાં ‘Bangalar Tin Manishi’, લાલબિહારી ડેને લગતું પુસ્તક ‘Kalikatay Vidyasagar’ ‘David Hare : His Life and works’ છે. આ ઉપરાંત તેમની પાસેથી વિવિધ વિષયોના નિબંધોનો સંગ્રહ પણ મળ્યો છે.