Categories
વાચન સમૃદ્ધિ

તુલસીશ્યામ

જૂનાગઢ જિલ્લાના ઉના તાલુકામાં આવેલું વૈષ્ણવ સંપ્રદાયનું તીર્થધામ. તે ઉનાથી ઉત્તરે 30 કિમી. દૂર ગીરના મધ્યભાગમાં આવેલું છે અને કુદરતી સૌંદર્ય માટે જાણીતું છે. ભૌગોલિક સ્થાન : અંદાજે 20° 49´ ઉ. અ. અને 71° 02´ પૂ. રે.. અહીં ગરમ પાણીના ઝરા છે. તે કારણે તેનો પુરાણોમાં ‘તપ્તોદક’ તરીકે ઉલ્લેખ છે. દંતકથા પ્રમાણે કૃષ્ણે તુલ નામના દૈત્યને અહીં માર્યો હતો. તેથી સ્થળના નામ સાથે તુલ દૈત્ય અને શ્યામ(કૃષ્ણ)નાં નામો સંકળાયેલાં છે. પૌરાણિક કથા પ્રમાણે જાલંધર મહાબળવાન અસુર હતો. તેની પત્ની વૃંદા મહાસતી. તેના પ્રતાપે તેને ત્રણે લોકમાં કોઈ જીતી શકતું ન હતું. દેવો પણ તેનાથી ત્રાસી ગયા હતા. તેઓ વિષ્ણુને શરણે ગયા. વિષ્ણુએ જાલંધરનું રૂપ લઈને વૃંદાના પતિવ્રતનો ભંગ કર્યો. જાલંધર બહારથી ઘરે આવતાં વિષ્ણુનું છળ પકડાઈ ગયું અને વિષ્ણુને વૃંદાએ પથ્થર થઈ જવાનો શાપ આપ્યો. વૃંદાને પસ્તાવો થયો અને તે ચિતામાં બળી મરી. ચિતાના એ સ્થળે એક છોડ ઊગ્યો, તે તુલસીનો છોડ હતો. વિષ્ણુ ભગવાનને પણ પસ્તાવો થયો અને તે તુલસીના છોડ ઉપર ખૂબ પ્રેમ રાખવા લાગ્યા. તેણે બીજા ભવમાં વૃંદાને પરણવા વચન આપ્યું. ત્યારબાદ વૃંદાનો રુક્મિણી તરીકે જન્મ થયો અને વિષ્ણુના અવતાર શ્રીકૃષ્ણને તે પરણી. આ કારણે તુલસીનો છોડ વિષ્ણુને ખૂબ પ્રિય છે. કાર્તિક શુક્લપક્ષની એકાદશીને દિવસે તુલસીનાં ભગવાન શાલિગ્રામ સાથે લગ્ન થાય છે અને અન્નકૂટ ભરાય છે.

ગીરની ટેકરીઓ અને વનરાજીની મધ્યે તુલસીશ્યામ

તુલસીશ્યામથી 4 કિમીના અંતરે ભીમચાસ નામનું સ્થળ છે. અહીં ઊંડી ખાઈમાં ઝમરી નદી ધોધ રૂપે પડે છે. દંતકથા પ્રમાણે કુંતીને ખૂબ જ તરસ લાગી હતી. નજીકમાં કોઈ જળાશય ન હતું. તેથી ભીમે પૃથ્વી ઉપર લાત મારતાં અહીં ખાડો પડ્યો અને જળાશય બની ગયું ને કુંતીએ તેની તરસ છિપાવી. અહીં કુંતીનું મંદિર છે. તુલસીશ્યામને પ્રવાસધામ તરીકે પ્રવાસનખાતાએ વિકસાવ્યું છે. અહીં છ કુટુંબો રહી શકે એવી સગવડ છે. જિલ્લાપંચાયતના પથિકાશ્રમમાં પણ નિવાસની સગવડ છે. મંદિરની પોતાની આદર્શરૂપ ગૌશાળા છે. તેમાં ચારસોથી વધુ ગીર ઓલાદની ગાયો અને જાફરાબાદી ભેંસો છે. તુલસીશ્યામ નજીક સાત ગરમ પાણીના કુંડો છે. તેનો ચામડીનાં દર્દો મટાડવા ઉપયોગ થાય છે. તુલસીશ્યામ પાકા રસ્તા દ્વારા ધારી અને ઉના સાથે જોડાયેલું છે. અહીં આવાસોની સંખ્યા 17 છે અને વસ્તી 75 (2011, આશરે) છે.

ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8

Categories
વાચન સમૃદ્ધિ

અન્તોન પાવલોવિચ ચેહફ

જ. 29 જાન્યુઆરી, 1860 અ. 14 જુલાઈ, 1904

રૂસી વાર્તાકાર અને નાટ્યકાર ઉપરાંત તબીબી વ્યવસાય ધરાવતા અન્તોનનો જન્મ તાગન્રોગ, રશિયામાં થયો હતો. 1884માં તેઓએ મૉસ્કો યુનિવર્સિટીમાંથી તબીબીની ઉપાધિ મેળવી હતી. એ દરમિયાન જ મોટા કુટુંબને પોષવા, મોટા ભાઈના અનુકરણે, છાપાં અને સામયિકોમાં વાર્તાઓ, રેખાચિત્રો, હાસ્યલેખો લખવાનું શરૂ કર્યું. પછીનાં ત્રણ વર્ષમાં સંગ્રહો પણ ઉપનામથી પ્રસિદ્ધ કર્યા. આથી ચેહફની આવક વધી, વાર્તાઓની ગુણવત્તા સુધરી અને લોકપ્રિયતા પણ વધી. દાક્તરી અભ્યાસ સમયે જ થયેલા ક્ષયના રોગે 1890માં રશિયાના દૂર પૂર્વમાં આવેલ સહાલીન ટાપુની મુલાકાત દરમિયાન માઝા મૂકી. આ મુલાકાતના અનુભવો એણે 1893માં પ્રસિદ્ધ કર્યા. ત્યારબાદ મૉસ્કો નજીક મેલીહોવો નગરમાં એણે તબીબી વ્યવસાય શરૂ કર્યો. આ ગાળામાં ચેહફે ‘વૉર્ડ નં. 6’, ‘માય લાઇફ’, ‘પેઝન્ટ’ વગેરે ખૂબ જાણીતી વાર્તાઓ લખી. તેઓેને લિયો તૉલ્સ્તૉય અને મૅક્સિમ ગૉર્કી જેવા લેખકોનો પરિચય થયો, આથી ‘ધ લેડી વિથ ધ ડૉગ’, ‘બિટ્રોથ્ડ’ વગેરે જાણીતી વાર્તાઓ તેમણે લખી. 1901માં મૉસ્કો આર્ટ થિયેટરની અભિનેત્રી ઑલ્ગા કનિપર સાથે લગ્ન કર્યાં. અભિનય માટે ઑલ્ગા મૉસ્કોમાં અને તબિયત સાચવવા ચેહફ યાલ્ટામાં રહેતા. ચેહફે બે શકવર્તી નાટકો લખ્યાં – ‘ધ ચેરી ઑર્ચાર્ડ’ અને ‘ધ થ્રી સિસ્ટર્સ’. જીવનના અનેકવિધ અનુભવોમાંથી અને તબીબી વ્યવસાય કરેલ નિરીક્ષણોમાંથી તેઓએ પોતાનાં પાત્રો સર્જ્યાં છે. ચેહફનાં નાટકોમાં રૂસી જીવનનું ચિત્રણ આબેહૂબ થયેલ છે. ચેહફ મહાન ગદ્યકારોની પંક્તિમાં સર્જક તરીકે સ્થાન પામ્યા, તે ઉપરાંત તેઓ સવાયા દિગ્દર્શક તરીકે પંકાયા. આ ઉપરાંત તેઓએ લખેલ સુંદર નાટિકાઓ એટલી સરસ કે તેના લીધે પણ વિશ્વસાહિત્યમાં તેઓ સ્થાન પામી શકે. તેમની ટૂંકી વાર્તાઓનાં અનેક ભાષામાં ભાષાંતરો થયાં છે. અર્નેસ્ટ જે સિમૉન્સે ‘ચેહફ (chekhov) : અ બાયૉગ્રાફી’ પુસ્તક 1970માં પ્રસિદ્ધ કર્યું છે.

Categories
વાચન સમૃદ્ધિ

જરા સમજ તો

ડૉક્ટરે નિદાન કરતાં જ્હૉન વેન શેલ્ટરને કહ્યું કે તમને કૅન્સર થયું છે. ઘણું વધી ગયું છે. હવે તમારું આયુષ્ય છ માસથી અથવા તો વધુમાં વધુ એક વર્ષનું રહેશે. જ્હૉને ડૉક્ટરને કહ્યું, ‘માફ કરજો ડૉક્ટરસાહેબ, આપની વાત હું સ્વીકારતો નથી. ભલેને કૅન્સર હોય પણ હું તો જીવીશ જ અને એક વર્ષથી વધુ જીવીશ.’ એંશી વર્ષના જ્હૉન આરામથી જીવન વિતાવવા લાગ્યા. સમય વીતતો ચાલ્યો. એમની સ્ફૂર્તિ એટલી જ રહી. ચહેરાનો આનંદ સહેજે લેપાયો નહીં. મહિનાઓ પર મહિના વીતવા લાગ્યા. નિદાન થયાને વર્ષ વીતી ગયું. લોકો જ્હૉનને ‘જીવંત ચમત્કાર’ તરીકે ઓળખવા લાગ્યા. ડૉક્ટરો પણ વિચારતા હતા કે કૅન્સરને કારણે એમનું શરીર આટલું બધું ક્ષીણ થઈ ગયું છે, તેમ છતાં આટલી બધી મોજથી કેવી રીતે જીવતા હશે ? કોઈએ જ્હૉનને આનું રહસ્ય પૂછ્યું તો જ્હૉને કહ્યું કે પ્રથમ વિશ્વયુદ્ધ વખતે તેઓ તબીબ તરીકે ઘાયલ સૈનિકોની છાવણીમાં કામ કરતા હતા. એમણે ઘવાયેલા સૈનિકોને હસતા જોયા. કોઈનો હાથ કપાઈ ગયો હતો, કોઈનો પગ કપાઈ ગયો હતો, પણ એ સૈનિકો મોજથી જીવતા હતા. જ્હૉને આનું રહસ્ય એ શોધ્યું કે સૈનિકો એમની શારીરિક સ્થિતિ વિશે વિચારતા જ નહોતા, તેથી એમના મનને શારીરિક યાતના સ્પર્શતી નહોતી. જ્હૉને પોતાના જીવનમાં આ વાત અપનાવી અને નક્કી કર્યું કે શરીરનો હું ગુલામ નથી, કિંતુ શરીર મારું ગુલામ છે. શરીરે કેમ વર્તવું એ પોતાના શરીરને શીખવવા લાગ્યા. એક વાર એ ઊભા થયા અને એકાએક માથામાં તીવ્ર શૂળ જેવી વેદના જાગી. વેદનાને જ્હૉને કહ્યું, ‘ચૂપ રહે. મિત્રોની મહેફિલમાં બેઠો છું. એનો ખ્યાલ રાખીને ચૂપચાપ બેસ.’ ક્યારેક છાતીમાં દર્દ થતું તો બોલી ઊઠતા, ‘ખામોશ થઈ જા. જરા સમજ તો,  સવારનો સુંદર નાસ્તો હું કરી રહ્યો છું.’ આ રીતે જ્હૉને પોતાના શરીરને સૂચનાઓ આપીને અંકુશમાં રાખ્યું અને એક વર્ષથી તો ઘણું વધુ જીવ્યા.