Categories
વાચન સમૃદ્ધિ

હવે એટલું બનશે !

ટૉમસ કૂપર અંગ્રેજી સાહિત્યના પ્રખર વિદ્વાન સંશોધક હતા. તેઓ અંગ્રેજીમાં શબ્દકોશ તૈયાર કરતા હતા અને લંડનમાં રહીને એમની આ સંશોધન-યાત્રા ચાલતી હતી. શબ્દકોશનું ભગીરથ કામ એકલે હાથે કરવું ઘણું મુશ્કેલ હતું, છતાં અપાર ખંત અને ચીવટથી આ કામ કરતા હતા. આઠ આઠ વર્ષના કઠોર પરિશ્રમ પછી અંગ્રેજી ભાષાના શબ્દકોશનો લગભગ બે તૃતીયાંશ ભાગ તૈયાર કર્યો. રાત-દિવસ ટૉમસ કૂપર પોતાના કામમાં ડૂબેલા રહેતા. બસ, એક જ ધૂન કે ક્યારે શબ્દકોશ પૂર્ણ કરું અને મારી માતૃભાષાને ચરણે ધરું. એક વાર ટૉમસ કૂપરનાં પત્નીએ એમને બજારમાંથી જરૂરી ચીજ-વસ્તુઓ લાવવાની યાદી આપી. ખાસ તાકીદ કરી કે સાંજે ઘેર પાછા ફરો ત્યારે આ બધું સાથે અવશ્ય લેતા આવજો. આમાંની એકે ચીજવસ્તુ ભૂલશો નહીં. સંશોધક ટૉમસ કૂપર તો એમના કામમાં ડૂબી ગયા. સાંજ પડી ગઈ, ઘેર પાછા ફરવાનો સમય થયો. પેલી યાદી જ યાદ નહોતી આવતી, ત્યારે ચીજ-વસ્તુઓ ખરીદવાની શી વાત ? આથી કશુંય લીધા વિના ટૉમસ કૂપરે એમના ઘરમાં પ્રવેશ કર્યો. એમને સાવ ખાલી હાથે જોઈને એમની પત્નીના ગુસ્સાનો પાર ન રહ્યો અને એણે ટેબલ પર પડેલી શબ્દકોશની બધી જ ફાઈલો લઈને સગડીમાં નાખી દીધી. ટૉમસ કૂપર આ જોઈને હસવા લાગ્યા. એમણે કહ્યું, ‘કંઈ વાંધો નહીં. સારું થયું કે તેં આ ફાઈલો સળગાવી દીધી. કારણ કે હું પોતે જ આ શબ્દકોશમાં હજી વધુ શુદ્ધિ-વૃદ્ધિ કરવા ચાહતો હતો. હા, હવે એટલું બનશે કે મારા કામને પૂર્ણ થતાં આઠ વર્ષથી વધુ સમય લાગશે.’ શબ્દકોશનું ધૈર્યભર્યું કાર્ય કરનાર ટૉમસ કૂપરની અપાર સહિષ્ણુતાએ એમને કાર્યસિદ્ધિ અપાવી !

Categories
વાચન સમૃદ્ધિ

ડેવિડ ઍડવર્ડ હ્યૂજેસ

જ. 16 મે, 1830 અ. 22 જાન્યુઆરી, 1900

વેલ્શ-અમેરિકી સંશોધક, વ્યવહારુ પ્રયોગકર્તા અને સંગીતજ્ઞ ડેવિડ હ્યૂજેસનો જન્મ લંડનમાં થયો હોવાનું મનાય છે. તેમનો જન્મ સંગીતપ્રતિભાથી સંપન્ન પરિવારમાં થયો હતો. તેમની સાત વર્ષની વયમાં તેમનો પરિવાર અમેરિકા જઈ વસ્યો. તેઓ 6 વર્ષની વય થતાં સુધીમાં તો હાર્પ (harp) અને અંગ્રેજી કોન્સર્ટિના (English concerting) વગાડવામાં સક્ષમ થઈ ગયા હતા. સમય જતાં ઉત્તમ કક્ષાના વાદ્યસંગીતમાં તેઓ નિપુણ થઈ ગયા. તેમની સંગીતપ્રતિભા જોઈ અમેરિકાના એક પ્રખ્યાત જર્મન પિયાનોવાદક હેરહાસ્ટે તેમને કેંટકીની સેંટ જોસેફ કૉલેજમાં સંગીતના પ્રોફેસર તરીકે નિયુક્તિ અપાવી. 1855માં હ્યૂજેસે એક પ્રિન્ટિંગ ટેલિગ્રાફી પ્રણાલી તૈયાર કરી. તેમણે પ્રિન્ટિંગ ટેલિગ્રાફની અમેરિકી પેટન્ટ પ્રાપ્ત કરી. 1857માં તેઓ પાછા લંડન ગયા. યુરોપમાં હ્યૂજેસની ટેલિગ્રાફ પ્રણાલીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ માન્યતા મળી. 1878માં ટેલિફોન માટે વિકસિત કરાતી ધ્વનિ(ઇલેક્ટ્રૉનિક સાઉન્ડ ઇફેક્ટ)ની અસર પર સંશોધન કર્યું. તેમનું આ સંશોધન નવા માઇક્રોફોન તરીકે ઓળખાયું. તેમની આ શોધ પર તેમણે પેટન્ટ ક્યારેય ન કઢાવી જેથી ભવિષ્યમાં બીજા નિષ્ણાતો તે પર વધુ સંશોધન કરી શકે. તેમનો શોધપત્ર 8 મે, 1878માં લંડનની રૉયલ સોસાયટી સમક્ષ થોમસ હેનરી હકસલ દ્વારા વાંચવામાં આવ્યો અને તેમના આ નવા માઇક્રોફોનને ટેલિગ્રાફ જર્નલ અને ઇલેક્ટ્રિકલ રિવ્યૂના 1 જુલાઈના અંકમાં સમાવિષ્ટ કર્યો. તેમણે સંશોધનોમાં પોતાનું યોગદાન આપવાનું ચાલુ રાખીને ઉત્તમ પ્રકારના કાર્બન માઇક્રોફોનની શોધ કરી. આ વિકસિત કાર્બન માઇક્રોફોને ટેલિફોનમાં ધ્વનિને સ્પષ્ટ રૂપથી પ્રસારિત કરવાનું શક્ય બનાવ્યું. તેઓ રેડિયોતરંગોની શોધક્ષેત્રે તથા વિદ્યુતસંચારક્ષેત્રે અગ્રણી ગણાય છે. વિજ્ઞાનક્ષેત્રે અમૂલ્ય પ્રદાન બદલ તેમને અનેક સુવર્ણચંદ્રકો તથા પુરસ્કારો પ્રાપ્ત થયા છે. 1880માં રૉયલ સોસાયટીના ફેલો નિમાયા. 1885માં રૉયલ મેડલથી પુરસ્કૃત થયા. તેમના અવસાન બાદ રૉયલ સોસાયટી દ્વારા ભૌતિકવિજ્ઞાનક્ષેત્રે મૌલિક શોધ કરનાર વૈજ્ઞાનિકને હ્યૂજેસ મેડલથી સન્માનવામાં આવે છે.

Categories
વાચન સમૃદ્ધિ

આગ

કાબૂમાં ન રહે એવો અગ્નિ.

અગ્નિ વડે માણસ ઘણાં કામો કરે છે. તેના વગર જીવન પણ અશક્ય જેવું બની જાય છે. કોઈ કોઈ વાર અગ્નિ ભડભડતો બેકાબૂ બની જાય ત્યારે તે માલમિલકતને નુકસાન પહોંચાડે છે ને ક્યારેક જાનહાનિ પણ કરે છે. અત્યારના સંજોગોમાં શહેરોની ગીચ વસ્તી, ગગનચુંબી ઇમારતો તથા બાંધકામમાં વપરાતા જલદીથી સળગી જાય તેવા દહનશીલ પદાર્થોને લીધે આગ લાગવાની શક્યતા વધી ગઈ છે. હાલમાં રાંધણગૅસનો ઉપયોગ, વીજળી વાપરતાં સાધનોનો ઉપયોગ પણ આગ લગાડવામાં કારણભૂત બને છે. તેલના કૂવાઓનું શારકામ, પેટ્રોલ જેવા જલદીથી સળગી ઊઠે તેવા પદાર્થોનો સંગ્રહ, ખનિજતેલનું શુદ્ધીકરણ વગેરેને કારણે કેટલીક વાર આગ લાગી જાય છે. ધૂમ્રપાન, દારૂખાનું, તેલના દીવા વગેરેથી પણ આગ લાગી શકે છે. વળી આવી બધી બાબતોમાં બેદરકારી રાખવાથી આગ લાગવાના બનાવો વધારે બને છે.

આગ લાગે ત્યારે અગ્નિશામક દળને બોલાવવું જરૂરી છે.

કેટલીક વાર કુદરતી ઘટનાથી પણ આગ લાગે છે; જેમ કે જંગલમાં લાકડાં ઘસાતાં તણખા ઝરે છે ને તે સૂકાં પાંદડાં પર પડતાં આગ લાગી જાય છે. ૨૦૨૫ના જાન્યુઆરી માસમાં અમેરિકાના કૅલિફૉર્નિયા રાજ્યમાં જંગલમાં લાગેલી આગને કારણે ૬૦% જંગલો બળી ગયાં હતાં. કેટલીક વાર જ્વાળામુખી ફાટે ત્યારે અંદરથી ધગધગતો લાવારસ બહાર ફેલાય છે અને તેના વડે પણ આગ લાગી શકે છે. વળી વીજળી ત્રાટકવાથી પણ આગ લાગવાના બનાવો બને છે. ગરમી, ઑક્સિજન તથા દહનશીલ પદાર્થો એકઠા થતાં આગનો ઉપદ્રવ વધી જાય છે. તેથી આગ કાબૂમાં લેવા આ પદાર્થો ભેગા ન થાય એવું કરવું પડે છે. આગ બુઝાવવા માટે પાણી અને રેતીનો, શુષ્ક પાઉડર ને ફીણનો છંટકાવ કે કાર્બન ડાયૉક્સાઇડ જેવા ગૅસનો ઉપયોગ કરવામાં આવે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, આગ, પૃ. 98)