Categories
વાચન સમૃદ્ધિ

કે. કામરાજ

જ. 15 જુલાઈ 1903 અ. 2 ઑક્ટોબર 1975

ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના પ્રમુખ અને મદ્રાસ (ચેન્નાઈ) રાજ્યના ત્રીજા મુખ્યપ્રધાન કામરાજ કુમારસ્વામીનો જન્મ તમિલનાડુના વિરુધુનગરમાં થયો હતો. છ વર્ષની વયે પિતાને ગુમાવ્યા હતા. તેઓ 1920માં કૉંગ્રેસમાં જોડાયા. તેમણે નાગપુર ધ્વજ સત્યાગ્રહમાં ભાગ લીધો હતો. તેમણે ચેન્નાઈમાં તલવાર સત્યાગ્રહ શરૂ કર્યો. મીઠાના સત્યાગ્રહમાં ભાગ લેવા બદલ તેઓ બે વર્ષ માટે જેલમાં ગયા હતા. તેમને છ વખત જેલમાં પૂરવામાં આવ્યા હતા. તેઓ વિધાનસભા ચૂંટણીમાં સત્તુર બેઠક પર જીત્યા. તેઓ 1946માં ભારતની બંધારણ સભામાં અને બાદમાં 1952માં સંસદમાં પણ ચૂંટાયા હતા. તેમણે 13 એપ્રિલ, 1954થી 2 ઑક્ટોબર, 1963 સુધી તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે ત્રણ ટર્મ સુધી સેવા આપી હતી. તેમણે બંધ કરાયેલી 6000 શાળાઓ ફરીથી શરૂ કરી અને 12,000 વધુ નવી શાળાઓ ખોલી. અગિયારમા ધોરણ સુધીનું શિક્ષણ મફત અને ફરજિયાત કર્યું. તેમના વહીવટ દરમિયાન તમિલનાડુ ભારતના શ્રેષ્ઠ વહીવટી રાજ્યોમાંના એક તરીકે જાણીતું બન્યું હતું. 1963માં તેમણે સૂચન કર્યું કે કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ સંગઠનાત્મક કાર્ય કરવા માટે મંત્રીપદ છોડી દેવું જોઈએ, જે ‘કામરાજ યોજના’ તરીકે જાણીતું બન્યું. તેઓ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા. નહેરુના અવસાન પછી વડા પ્રધાન બનવાની ના પાડી હતી. તેમણે તમિલનાડુના મુખ્ય મંત્રી તરીકે આપવામાં આવેલી Z-સ્તરની સુરક્ષાનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો હતો. તેમને ‘કાલવી થંથાઈ’ (‘શિક્ષણના પિતા’) તેમજ ‘મદુરાઈના ગાંધી’ પણ કહેવામાં આવતા હતા. તેમને 1972માં કૉપર બૉન્ડ ઍવૉર્ડ અને 1976માં ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 2004માં ભારત સરકારે 100 અને 5 રૂપિયાના સ્મારક સિક્કા બહાર પાડ્યા હતા. તેમની સ્મૃતિમાં ચેન્નાઈ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકના ટર્મિનલ-1નું નામ ‘કામરાજ ટર્મિનલ’ અને એન્નોર પૉર્ટનું નામ ‘કામરાજ પૉર્ટ લિમિટેડ’, મરાઈમલાઈ નગર રેલવેસ્ટેશનનું નામ મરાઈમલાઈ નગર કામરાજ રેલવેસ્ટેશન, મદુરાઈ યુનિવર્સિટીનું નામ મદુરાઈ કામરાજ યુનિવર્સિટી રાખવામાં આવ્યું છે. 2004માં તેમની જીવનકથા પર આધારિત ‘કામરાજ’ નામની તમિલ ભાષામાં ફિલ્મ બનાવવામાં આવી છે.

Categories
વાચન સમૃદ્ધિ

ઇલોરા

મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લામાં આવેલું પ્રવાસધામ.

તે ભારતનાં શિલ્પસ્થાપત્ય માટે વિશ્વવિખ્યાત છે. ભૌગોલિક સ્થાન : તે ઔરંગાબાદ(૧૯° ૫૦´ ઉ. અ. અને ૭૫° ૧૫´ પૂ. રે.)થી ઈશાનમાં ૨૯ કિમી.ને અંતરે આવેલું છે. આ સ્થળનું મૂળ નામ વેરુળ છે. અહીં આવેલા પશ્ચિમ ઘાટના પહાડોમાં ગુફાઓ છે. ગુફાઓની અંદર તેમ જ બહાર પથ્થરોને કોતરીને શિલ્પો કંડારવામાં આવેલાં છે. આ સ્થાપત્યરચના શિલાસ્થાપત્ય કે ગુફાસ્થાપત્ય તરીકે ઓળખાય છે. આ સ્થાપત્યો પાંચમી-છઠ્ઠીથી નવમી-દશમી સદી વચ્ચેના જુદા જુદા કાળમાં તૈયાર કરવામાં આવ્યાં છે. આ ગુફા ‘મ્હારવાડ’ના નામથી ઓળખાય છે. અહીંની ગુફાઓ બૌદ્ધ, હિંદુ અને જૈન ધર્મને લગતી છે. જેમાં દક્ષિણ છેડે ૧થી ૧૨ ગુફાઓમાં બૌદ્ધ ધર્મનાં, વચ્ચે ૧૩થી ૨૯ ગુફાઓમાં હિંદુ ધર્મનાં અને ઉત્તર છેડે ૩૦થી ૩૪ ગુફાઓમાં જૈન ધર્મનાં શિલ્પસ્થાપત્યો જોવા મળે છે. કેટલીક ગુફાઓમાં શિલાલેખો પણ છે.

બૌદ્ધ ગુફાઓ પૈકીની એકમાં બૌદ્ધવિહાર, બીજી એકમાં ભગવાન બુદ્ધને જ્ઞાનપ્રાપ્તિ થઈ તે પહેલાંની અને પછીની બુદ્ધની અવસ્થા દર્શાવતી પ્રતિમાઓ છે. આ ઉપરાંત બુદ્ધનાં ગુણગાન ગાતા ગાંધર્વો અને દેવગણોની, ધ્યાનસ્થ બુદ્ધની તેમ જ બોધિવૃક્ષ નીચે જ્ઞાનપ્રાપ્તિ માટે બેઠેલા બુદ્ધની પ્રતિમાઓ પણ છે. પ્રથમ પાંચ ગુફાઓ એક મજલાની, વિહાર આકારની છે. પાંચમી ગુફા સૌથી વિશાળ છે, તેમાં વિહાર અને ચૈત્યગૃહનું સંયોજન છે. આઠમી ગુફામાં ચૈત્યગૃહનું મહત્ત્વ દર્શાવાયું છે. ‘સુથારી ગુફા’ તરીકે ઓળખાતી દસમી ગુફા વધુ જાણીતી છે. બૌદ્ધ ગુફાઓની સરખામણીમાં હિંદુ ગુફાઓમાં હિંદુ દેવ-દેવીઓનાં શિલ્પો સાથે પ્રસંગોચિત દૃશ્યો છે. આ ગુફાઓનું નિર્માણ સાતમી સદીના પ્રારંભમાં થયેલું છે. ગુફા નં ૧૪માં રાવણને કૈલાસ પર્વત ઉપાડતો તથા ભગવાન શંકર પગના અંગૂઠાથી તેને દબાવી રાખે છે એવું દૃશ્ય આલેખાયું છે. પૌરાણિક કથાઓનાં દૃશ્યો પણ છે. પંદરમી ગુફા દશાવતારને નામે ઓળખાય છે. તે શિલ્પકલાનો અદ્ભુત નમૂનો પૂરો પાડે છે.

(વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, ઇલારો, પૃ. 167)

Categories
વાચન સમૃદ્ધિ

ઉપેન્દ્ર ત્રિવેદી

જ. 14 જુલાઈ 1937 અ. 4 જાન્યુઆરી 2015

ગુજરાતી રંગભૂમિ અને ચલચિત્રોના જાણીતા અભિનેતા, નિર્દેશક અને નિર્માતા ઉપેન્દ્ર ત્રિવેદીનો જન્મ ઇન્દોરમાં. મૂળ વતન સાબરકાંઠા જિલ્લાનું કૂકડિયા ગામ. પિતા જેઠાલાલ ત્રિવેદી ઉજજૈન ખાતે નોકરી કરતા હતા. એટલે પ્રાથમિક શિક્ષણ ઉજજૈનમાં થયું. નાની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી. પિતાના અવસાન પછી મોટા ભાઈ ભાલચંદ્ર પાસે મુંબઈ ગયા. મુંબઈમાં ઉચ્ચશિક્ષણ મેળવ્યું. તેઓ કૉલેજકાળથી જ નાટકોમાં ભાગ લેતા હતા. તેમણે મનુભાઈ પંચોળી ‘દર્શક’ની નવલકથા ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ પરથી નાટક લખી તેમાં દિગ્દર્શન અને અભિનય પણ કર્યો. આ ઉપરાંત ‘બાંધવ માડીજાયા’, ‘મેજર ચન્દ્રકાન્ત’, ‘પારિજાત’, ‘વેવિશાળ’, ‘નૌકાડૂબી’ વગેરે નાટકો કર્યાં. ‘અભિનયસમ્રાટ’ નાટકથી તેમને ‘અભિનયસમ્રાટ’નું બિરુદ મળ્યું. તેમણે ‘કાદુ મકરાણી’ તથા ‘મેંદી રંગ લાગ્યો’માં ભૂમિકાઓ કરી. ત્યાર પછી કેટલાંક ચલચિત્રોમાં કામ કર્યા બાદ ચલચિત્રોથી દૂર થઈ ગયા. તેઓ આકાશવાણી સાથે જોડાયા. ફરી પાછા ચલચિત્રોમાં આવ્યા. તેમણે સોએક ચલચિત્રોમાં લોકકથાઓનાં પાત્રોને પડદા પર જીવંત કર્યાં. ‘જેસલ તોરલ’, ‘માલવપતિ મુંજ’, ‘કાદુ મકરાણી’, ‘રાજા ભરથરી’, ‘વીર માંગડાવાળો,’ ‘રાણકદેવી’, ‘હોથલ પદમણી’, ‘જોગીદાસ ખુમાણ’ ‘શેતલને કાંઠે’, ‘ભાદર તારાં વહેતાં પાણી’, ‘સંતુ રંગીલી’, ‘સોન કંસારી’, ‘અમર દેવીદાસ’, ‘મચ્છુ તારાં વહેતાં પાણી’ વગેરે તેમનાં લોકપ્રિય ચલચિત્રો છે. તેમણે ‘પવિત્ર પાપી’થી હિંદી ચલચિત્રોમાં પ્રવેશ કર્યો. એ પછી તેમણે ઘણાં ચલચિત્રોમાં નાનીમોટી ભૂમિકાઓ ભજવી હતી. પન્નાલાલ પટેલની નવલકથા ‘માનવીની ભવાઈ’ પરથી તેમણે ચલચિત્ર બનાવ્યું. એમાં તેમણે કાળુની ભૂમિકા ભજવી. આ ચલચિત્રને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. તેમની છેલ્લું ચલચિત્ર ‘માબાપને ભૂલશો નહીં’ હતું. તેમણે 1984માં રાજકારણમાં પ્રવેશ કર્યો. સાબરકાંઠા જિલ્લાની ભિલોડા બેઠક પરથી બે વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા. તેમણે વિધાનસભાના ઉપાધ્યક્ષપદે, ગુજરાત ફિલ્મ વિકાસ નિગમના અધ્યક્ષપદે અને સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક બાબતો, માહિતી તથા શહેરી ગૃહનિર્માણ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાનપદે પણ કાર્ય કર્યું હતું. તેમને પં. ઓમકારનાથ ઠાકુર ઍવૉર્ડ અને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.