Categories
વાચન સમૃદ્ધિ

આર્જેન્ટિના

દક્ષિણ અમેરિકાનો વિસ્તારની દૃષ્ટિએ બીજા ક્રમે આવતો દેશ. તે ૨૨°થી ૫૫° દ. અ. અને ૫૬° ૩૦´થી ૭૩° ૩૦´ પ. રે.ની વચ્ચેનો આશરે ૨૮ લાખ ચો.કિમી. જેટલો વિસ્તાર ધરાવે છે. આ દેશ દક્ષિણ અમેરિકામાં આટલાન્ટિક મહાસાગરને કિનારે વસેલ છે. તેની સરહદે ચિલી, બોલિવિયા, પરાગ્વે, ઉરુગ્વે અને બ્રાઝિલ જેવા દેશો આવેલા છે. ‘આર્જેન્ટિના’ એટલે ‘ચાંદીનો પ્રદેશ’ (land of silver). તેથી સ્પૅનિશ સંશોધકોએ તે પ્રદેશનું નામ ‘આર્જેન્ટિના’ પાડ્યું હતું. તેમને આ પ્રદેશમાં ચાંદી મળવાની આશા હતી; પરંતુ તેમને નિરાશા સાંપડી હતી. પશ્ચિમમાં ઍન્ડિઝ પર્વતમાળા આર્જેન્ટિનાને ચિલીથી જુદું પાડે છે. ઍન્ડિઝ પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર એકોન્કાગુઆ (૬,૯૫૯ મી.) છે. અહીંની મુખ્ય નદીઓ રિયો ડી લાપ્લાટા, રિયો નિગ્રો, કૉલોરાડો, બર્મેજો અને પારાના છે. ઍન્ડિઝના પર્વતો ખનિજોની બાબતમાં સમૃદ્ધ છે. દક્ષિણમાં આવેલું પેટાગોનિયા અર્ધરણ છે, જ્યાં તેલનો વિપુલ જથ્થો ભૂગર્ભમાં છે.

પારાના નદીનાં સપાટ મેદાનોનો પ્રદેશ ખેતીની દૃષ્ટિએ દુનિયામાં સૌથી વધુ ઉત્પાદક પ્રદેશોમાંનો એક છે. અહીંના મુખ્ય પાકો ઘઉં, કપાસ, ડાંગર, શેરડી અને સોયાબીન છે. આર્જેન્ટિનાની કુલ વસ્તી 4.60 કરોડ (2026, આશરે) જેટલી છે. આર્જેન્ટિનાની સૌથી માનીતી રમત ફૂટબૉલ છે. મેરાડોના જેવા પ્રખ્યાત ફૂટબૉલ-ખેલાડીઓ આર્જેન્ટિનાએ ભેટ આપેલા છે. ત્યાંનું ટૅન્ગો (tango) સંગીત વિશ્વમાં પ્રસિદ્ધ છે. ૬થી ૧૪ વર્ષનાં બાળકો માટે શિક્ષણ મફત અને ફરજિયાત છે. દેશની રાજધાની બ્યુએનોસ એરિસ છે. અહીં મોટા મોટા મૉલ, ભૂગર્ભ (સબવે) ટ્રેન, સુંદર ઇમારતો, સરકારી કચેરીઓ આવેલાં છે. પાલેર્મો પાર્ક જોવાલાયક છે. ટીટ્રો કોલૉન અહીંનું જાણીતું ઑપેરા-હાઉસ છે. આ ઉપરાંત કોર્દોબા, રોસારિયો અને લા પ્લાટા મોટાં શહેરો છે. નૉવેલ વાપ્પી આર્જેન્ટિનાનું જાણીતું સરોવર છે. આર્જેન્ટિના અને બ્રાઝિલની સરહદે આવેલો ઇગ્વાસૂ (Iguazu) ધોધ જોવાલાયક છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, આર્જેન્ટિના, પૃ. 123)

Categories
વાચન સમૃદ્ધિ

કેનિથ જી. વિલ્સન

જ. 8 જૂન, 1936 અ. 15 જૂન, 2013

1982માં ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર અમેરિકન સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી કેનિથ ગેડેસ વિલ્સનનો જન્મ મૅસેચૂસેટ્સના વોલ્થમાં થયો હતો. પિતા હાર્વર્ડ યુનિવર્સિટીમાં રસાયણશાસ્ત્રી હતા અને માતા ભૌતિકશાસ્ત્રી હતાં. 16 વર્ષની ઉંમરે હાર્વર્ડ કૉલેજમાં દાખલ થયા. ગણિત વિષય સાથે સ્નાતકની પદવી પ્રાપ્ત કરી. 1961માં તેમણે કૅલિફૉર્નિયા  ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજીમાંથી મરે ગેલ-મેનના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી. તેઓ 1963માં કોર્નેલ યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર વિભાગમાં જોડાયા. 1970માં પ્રોફેસર બન્યા. આ સમયગાળામાં તેમણે સ્ટેનફર્ડ લિનિયર એક્સિલરેટર (સુરેખ પ્રવેગક) પર સંશોધનો કર્યાં. કોર્નેલ થિયરી સેન્ટરના તેઓ નિર્દેશક બન્યા. 1988માં તેઓ ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીમાં જોડાયા અને નિવૃત્તિ સુધી ત્યાં કાર્યરત રહ્યા. તેમના સંશોધનકાર્યને લીધે ક્વૉન્ટમ ક્ષેત્રે સિદ્ધાંતના મૂળભૂત પ્રશ્નો પર સમજણ વિકસી. હેડ્રોનની અંદર રહેલા ક્વાર્કના અસ્તિત્વ તથા વર્તણૂક પર પ્રકાશ પડ્યો. કણ ભૌતિકશાસ્ત્ર(Particle Physics)ના અભ્યાસ માટે કમ્પ્યૂટરનો ઉપયોગ કરવા માટે તેઓ અગ્રણી હતા. 1982માં તેમને પ્રવાહીમાંથી વાયુયુક્ત સ્થિતિમાં પદાર્થના પરિવર્તન જેવા તબક્કા સંક્રમણો પરના તેમના કાર્ય માટે ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેઓને 1980માં ભૌતિકશાસ્ત્રમાં ફિશર તથા કેડેનહોફની સાથે વુલ્ફ પ્રાઇઝ પ્રાપ્ત થયું હતું. તે ઉપરાંત તેઓને એરિન્ગન ચંદ્રક (1984), ફ્રેન્કલિન ચંદ્રક (1982), બોલ્ટ્ઝમૅન ચંદ્રક (1975) તથા ડેની હાઈનમૅન પ્રાઇઝ (1973) વગેરે પ્રાપ્ત થયાં હતાં. એચ. આર. કૃષ્ણમૂર્તિ, રોમન જેકિવ, માઇકલ પેસ્કિન વગેરે વિદ્યાર્થીઓએ તેમના માર્ગદર્શનમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી છે.

Categories
વાચન સમૃદ્ધિ

દિગ્બોઈ

આસામ રાજ્યના દિબ્રુગઢ જિલ્લામાં આવેલું, ખનિજતેલ અને કુદરતી વાયુનાં ક્ષેત્રો માટે જાણીતું નગર. તે આશરે 27° 23´ ઉ. અ. અને 95° 38´ પૂ. રે. પર, દિબ્રુગઢથી પૂર્વમાં આશરે 72 કિમી. દૂર બ્રહ્મપુત્રની ઉપલી ખીણના તટવર્તી પ્રદેશમાં આવેલું છે. તેની આસપાસના મેદાની ભાગોમાં મુખ્યત્વે ડાંગર, શેરડી અને બટાટા તેમજ પહાડી ઢોળાવો પર ચાની ખેતી થાય છે. આ પ્રદેશમાં વર્ષભર ભેજનું સરેરાશ પ્રમાણ 80%થી વધારે અને વરસાદનું પ્રમાણ 2,000 મિમી.થી વધારે હોય છે. અહીંનું દૈનિક સરેરાશ લઘુતમ અને મહત્તમ તાપમાન અનુક્રમે 18.7° સે. તથા 27.7° સે. જેટલું રહે છે. આમ દિગ્બોઈ એકંદરે મોસમી પ્રકારની ગરમ અને ભેજવાળી આબોહવા અનુભવે છે. તેની આસપાસના પ્રદેશોમાં ઉષ્ણકટિબંધીય ભેજવાળાં જંગલો છવાયેલાં છે.

દિગ્બોઈ અને તેની આસપાસની ધરતીમાં આવેલા તૃતીય જીવયુગના રેતીખડકો(sandstones)ના તળિયેથી ખનિજતેલ અને કુદરતી વાયુના વિપુલ ભંડારો મળી આવ્યા છે. ભારતનાં સૌથી જૂનાં ખનિજતેલ અને વાયુનાં આ ક્ષેત્રોમાંથી છેલ્લાં 90 વર્ષથી ખનિજતેલ અને કુદરતી વાયુપંચ દ્વારા ક્રૂડ, ખનિજતેલ અને વાયુ મેળવવાની કામગીરી ચાલે છે. આ ઉપરાંત અહીં આસામ ઑઇલ કંપનીની રિફાઇનરીઓ દ્વારા વિવિધ પેટ્રોલિયમ પેદાશોનું અને ગંધકના તેજાબનું ઉત્પાદન થાય છે. વળી આ શહેરમાં એક મોટી ઇજનેરી કાર્યશાળા (workshop) પણ આવેલી છે. આમ આ શહેરના વિકાસમાં ખનિજ તેલ અને કુદરતી વાયુનાં ક્ષેત્રોએ તથા રિફાઇનરીઓએ ઘણો મોટો ફાળો આપ્યો છે. ઉત્તરોત્તર વધતી જતી વસ્તીની સાથોસાથ આ શહેરમાં અનેક નવા ઉદ્યોગોનો વિકાસ થયો છે. તેમાં વપરાશી ચીજવસ્તુઓને લગતા ઉદ્યોગો ઉપરાંત લાકડાં અને ખાદ્ય ચીજવસ્તુઓ પર પ્રક્રિયા કરવાના ઉદ્યોગો તેમજ ગૃહઉદ્યોગો અગત્યના છે. આ નગર રેલમાર્ગે દિબ્રુગઢ તથા અન્ય નગરો સાથે સંકળાયેલું છે. તે દક્ષિણે રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 38થી માર્ઘેરિતા (Margherita) તેમજ ઉત્તરે રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 37થી દિબ્રુગઢ, દીસપુર અને દેશનાં અન્ય શહેરો સાથે સંકળાયેલું છે. આ નગરની વસ્તી આશરે 34,000 (2026) છે.

ગુજરાતી વિશ્વકોશ, ગ્રંથ-9માંથી