Categories
વાચન સમૃદ્ધિ

શ્યામા

જન્મ 7 જૂન, 1935 અવસાન 14 નવેમ્બર, 2017

મૂળ નામ ખુર્શીદ અખ્તર. પંજાબીભાષી આ નાયિકાને બાળપણથી જ અભિનય અને નૃત્ય પ્રત્યે ખેંચાણ હતું અને તેથી જ તેઓ 1940માં લાહોર છોડીને મુંબઈ આવ્યાં. 10 વર્ષની ઉંમરે તેમણે ફિલ્મ ‘ઝીનત’માં સમૂહગીત ગાયિકા તરીકે કામ કરીને ફિલ્મક્ષેત્રે પદાર્પણ કર્યું. એ પછી ‘મીરાંબાઈ’ (1947), ‘પતંગા’ (1949), ‘શબનમ’ (1949) જેવી હિન્દી ફિલ્મોમાં અને ‘ચમન’ (1948) જેવી પંજાબી ફિલ્મોમાં નાની અને સહાયક ભૂમિકાઓ ભજવી. પંજાબી ભાષા પરના તેમના પ્રભુત્વને કારણે 1950માં આવેલી ફિલ્મ ‘પોસ્ટી’ને એટલી બધી સફળતા મળી કે તેઓ પંજાબી સિનેમાનાં પ્રખ્યાત અભિનેત્રી બની ગયાં. ‘તરાના’ (1951), ‘આસમાન’ (1952), ‘ઠોકર’ (1953), ‘દિલ એ નાદાન’ (1953) વગેરે જેવી ફિલ્મો સાથે તેમણે બાળ ભૂમિકાઓથી પુખ્ત અને મુખ્ય ભૂમિકાઓ સુધીની સફર ખેડી. ગુરુ દત્તની ફિલ્મ ‘આર પાર’(1954)માં તેમનો અભિનય ખૂબ વખણાયો. આ સિવાય ‘લાડલા’ (1954), ‘ભાઈ ભાઈ’(1956)ની સાથે 1957માં આવેલી ફિલ્મ ‘શારદા’માં તેમણે ભજવેલ ચંચલનું પાત્ર ખૂબ લોકપ્રિય થયું હતું. ‘ભાભી’ (1957) ફિલ્મમાં કાવતરાખોર ભાભી તરીકે, ‘દો બહેન’ (1959)માં જોડિયા બહેનોની બેવડી ભૂમિકામાં તેમનો અભિનય યાદગાર રહ્યો. 1961માં તેમની છેલ્લી પંજાબી ફિલ્મ ‘વિલાયત પાસ’ રહી પણ હિન્દી ફિલ્મો જેવી કે ‘દિલ દિયા દર્દ લિયા’ (1966), ‘સાવન ભાદો’ (1970), ‘અજનબી’ (1974) અને ‘માસ્ટરજી’(1985)માં તેમણે પ્રશંસનીય ભૂમિકાઓ ભજવી. ચાહકો આજે પણ તેમના પર ફિલ્માવવામાં આવેલાં ગીતો ‘એ દિલ મુઝે બતા દે’, ‘યે લો મે હારી પિયા’ વગેરે યાદ કરે છે. લગભગ 140 ફિલ્મોમાં અલગ અલગ ભૂમિકાઓમાં પોતાની બહુમુખી પ્રતિભા નિભાવવા માટે આ નાયિકાને ‘છુમંતર’ (1956) ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો BFJA ઍવૉર્ડ અને ‘શારદા’ (1957) માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો ફિલ્મફેર ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો.

Categories
વાચન સમૃદ્ધિ

એકલો હોઉં તેથી શું ?

મેક્સિકોના દરિયાકિનારે ઘૂમી રહેલા એક પ્રવાસીને ભારે આશ્ચર્ય થયું. એક વૃદ્ધ મેક્સિકન દરિયાકિનારે વાંકો વળીને ‘સ્ટાર-ફિશ’ માછલીને લઈને પાણીમાં પાછી નાખતો હતો. બન્યું હતું એવું કે આ દરિયાકિનારે હજારો સ્ટાર-ફિશ ભરતી આવતાં તણાઈને કિનારે આવતી હતી અને પછી ઓટના સમયે એ દરિયાકિનારા પર ક્યાંક ને ક્યાંક અટવાઈ ગઈ હતી. કેટલીક સ્ટાર-ફિશ જીવવા માટે તરફડિયાં મારતી હતી, ત્યારે કેટલીક તો નિષ્પ્રાણ બનીને કિનારે પડી હતી. પેલો વૃદ્ધ મેક્સિકન જીવતી કે જીવવા માટે તરફડિયાં મારતી સ્ટાર-ફિશને લઈને  પાણીમાં ફેંકતો હતો. પ્રવાસીને ભારે આશ્ચર્ય થયું. આટલી બધી સ્ટાર-ફિશ દરિયાકિનારે પડી છે અને આ એકલો માનવી શું કરી શકશે ? પ્રવાસીએ જઈને વૃદ્ધ મેક્સિકનને પૂછ્યું તો એણે કહ્યું, ‘હું ભરતીમાં કિનારે તણાઈને આવેલી સ્ટાર-ફિશને પાણીમાં નાખું છું, જેથી એ જીવતી રહે.’ પ્રવાસીએ મજાક કરતાં કહ્યું, ‘અરે, આટલી બધી સ્ટાર-ફિશ તણાઈને દરિયાકિનારે આવી છે, તમે એક એક સ્ટાર-ફિશને દરિયામાં પાછી નાખો છો, પણ મને લાગતું નથી કે તમે બધી જ સ્ટાર-ફિશને દરિયામાં પાછી નાખી શકો. મને લાગે છે કે તમને વાસ્તવિકતાનો ખ્યાલ નથી. દુનિયાભરમાં કેટલાય દરિયાકિનારે આવું બનતું હોય છે અને કોઈ બધી સ્ટાર-ફિશ પાછી પાણીમાં નાખી શકતું નથી, માટે આ મફતની મહેનત રહેવા દો.’ વૃદ્ધ મેક્સિકને દરિયાની રેતીમાં પડેલી એક સ્ટાર-ફિશને ઉઠાવીને પાણીમાં નાખતાં કહ્યું, ‘જુઓ, આ સ્ટાર-ફિશને તો ફરક પડી રહ્યો છે ને. હું એટલું વિચારું છું કે હું એકલો બધી સ્ટાર-ફિશને બચાવી શકતો નથી, પણ એકલો છું માટે આ કામ નહીં થઈ શકે એવી ઉપેક્ષા કરનારો હું નથી. એકલો માણસ પણ પરિસ્થિતિમાં અને વાસ્તવિકતામાં પરિવર્તન કરી શકે છે.’

Categories
વાચન સમૃદ્ધિ

રમણલાલ શેઠ 

જ. 6 જૂન 1917 અ. 5 ઑક્ટોબર 1978

ગુજરાતના નીડર પત્રકાર અને તંત્રી રમણલાલ શેઠનો જન્મ પંચમહાલ જિલ્લાના વેજલપુરમાં થયો હતો. તેમણે
બી.એસસી.નો અભ્યાસ પૂરો કરીને વિવિધ વ્યવસાયો કર્યા હતા. પછી એમણે પત્રકારત્વના ક્ષેત્રમાં ઝંપલાવ્યું હતું. એમણે વડોદરામાં ‘સયાજીવિજય’ ખરીદ્યું. 1951માં વડોદરાથી ‘લોકસત્તા’ દૈનિક શરૂ કરી એની સાથે ‘સયાજીવિજય’ને ભેળવી દીધું. તેમણે થોડો વખત ‘ગુજરાત સમાચાર’માં કામ કર્યું હતું. 1953માં એમણે ‘જનસત્તા’ દૈનિક શરૂ કર્યું હતું. આર્થિક મુશ્કેલીને કારણે 1974માં તેમણે ‘લોકસત્તા’ અને ‘જનસત્તા’ બી. ડી. ગોએન્કાને સોંપી દીધાં હતાં. તેમણે ‘ચાંદની’, ‘રંગતરંગ’ તેમજ ‘નૂતન ગુજરાત’ શરૂ કર્યાં હતાં. તેઓ સક્રિય પત્રકાર હતા. ગુજરાતમાં આંદોલનો દરમિયાન તેઓ સ્થળ પર જાતે જઈને સાચો અહેવાલ આપતા હતા. તેઓ લોકોની મુશ્કેલીઓ અને અપેક્ષાઓને વાચા આપતા હતા. આથી એમણે સરકારની નારાજગી પણ વહોરવી પડી હતી. નવનિર્માણનાં આંદોલન વખતે તેમણે લખેલા લેખોને કારણે એમની ધરપકડ કરવામાં આવી હતી. ભાલ પંથકમાં દુષ્કાળને પરિણામે સંખ્યાબંધ ઢોરો મૃત્યુ પામ્યાં હતાં ત્યારે તેમણે એ અહેવાલ તસવીરો સાથે ‘જનસત્તા’માં પ્રસિદ્ધ કર્યો હતો. આથી રાજ્ય સરકારે એમના છાપાને જાહેરાત આપવાનું બંધ કરી દીધું હતું. રમણલાલ શેઠે તત્કાલીન મુખ્યમંત્રીને અહેવાલની ખરાઈ કરવા કહ્યું હતું. જાતતપાસ પછી એમના છાપાની જાહેરખબર શરૂ કરવામાં આવી હતી. ગુજરાતમાં સ્વતંત્ર પક્ષની રચના થઈ હતી ત્યારે એક ઉદ્યોગપતિએ એમને કોરો ચેક આપી તેમના છાપામાં સ્વતંત્ર પક્ષનો પ્રચાર કરવા કહ્યું હતું. એ વખતે રમણભાઈના માથે દેવું હતું તેમ છતાં તેમણે તે માટે ના પાડી હતી. તેમની સ્મૃતિમાં ગુજરાત યુનિવર્સિટીમાં દર વર્ષે સ્વ. રમણલાલ શેઠ સ્મૃતિ વ્યાખ્યાન યોજવામાં આવે છે.