Categories
વાચન સમૃદ્ધિ

અયોધ્યા

ઉત્તરપ્રદેશનું ધાર્મિક મહત્ત્વ ધરાવતું પ્રાચીન શહેર. તે ૨૬° ૪૮´ ઉ. અ. અને ૮૨° ૧૨´ પૂ. રે. પર આવેલું છે. આ શહેર ઘાઘ્રા (સરયૂ) નદીના કિનારે વસેલું છે. આ નદીના ઉત્તર કાંઠે અયોધ્યા અને દક્ષિણ કાંઠે ફૈઝાબાદ વસેલું છે. પ્રાચીન સમયના કોટાલ સામ્રાજ્યની રાજધાની અવધ તરીકે પણ તે જાણીતું છે. ભગવાન શ્રીરામની જન્મભૂમિ હોવાને કારણે આ નગરનો ખૂબ મહિમા છે. દશરથ રાજાના સમયમાં તે સમૃદ્ધ હતું. તે પછી શ્રીરામે ત્યાં રાજ્ય કર્યું હતું. પાછળથી વેરાન બનેલા નગરને ઋષભ રાજાએ ફરી વસાવ્યું. ૭મી સદીમાં અહીં ચીની યાત્રી શ્યેન ચાંગ આવેલો. બૌદ્ધકાળ દરમિયાન બૌદ્ધ સાધુ ફાહિયાને પણ અયોધ્યા મહત્ત્વનું સ્થાન ધરાવતું હોવાનો ઉલ્લેખ કરેલો છે. અહીં સમ્રાટ અશોકે ધર્મના પ્રચાર માટે સ્તૂપ તૈયાર કરાવ્યો હતો. સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યના સમયમાં અયોધ્યા સાહિત્ય અને કલાનું કેન્દ્ર હતું.

રામમંદિર, અયોધ્યા

અહીં રામચંદ્રજીનાં અનેક મંદિરો કે સ્થાનકો છે. તેમાં હનુમાનગઢી, સુવર્ણમંદિર, સ્વર્ગદ્વારનું મંદિર, રામચંદ્રજીનું મંદિર, રામઘાટ, લક્ષ્મણઘાટ, મણિપર્વત વગેરે મુખ્ય છે. ૧૮મી અને ૧૯મી સદીનાં મંદિરોમાં કનકભવન, નાગેશ્વરનાથ અને દર્શનસિંહ જોવાલાયક છે. બાબરે બંધાવેલી મસ્જિદ(બાબરી મસ્જિદ)ના અવશેષ આ વિસ્તારમાં છે. ૧૯૮૦ પછી અયોધ્યા અને ફૈઝાબાદ મળીને જોડિયું નગર અસ્તિત્વમાં આવ્યું. શહેરની વસ્તી આશરે ૮૦ લાખ (૨૦૨૫) છે. એમાં મુખ્યત્વે હિંદુ, મુસ્લિમ અને જૈન લોકોનો સમાવેશ થાય છે. આ સ્થળ પાંચ જૈન તીર્થંકરોની પણ જન્મભૂમિ હોવાથી અઢારમી સદીમાં અહીં પાંચ જૈન મંદિરો પણ બાંધવામાં આવ્યાં છે. અયોધ્યામાં ભવ્ય રામમંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. ૨૨ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૮૪ સેકન્ડના અભિજિત મુહૂર્તમાં રામલલ્લાની શ્યામવર્ણી પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, અયોધ્યા, પૃ. 58)

Categories
વાચન સમૃદ્ધિ

મણિબહેન પટેલ

જ. 3 એપ્રિલ, 1903 અ. 26 માર્ચ, 1990

ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન વલ્લભભાઈ પટેલનાં પુત્રી મણિબહેનનો જન્મ કરમસદમાં થયો હતો. તેમનું પ્રાથમિક શિક્ષણ બોરસદની પ્રાથમિક શાળામાં થયું. પછી મુંબઈની ક્વીન મેરી હાઈસ્કૂલ અને કૉન્વેન્ટમાં અભ્યાસ કર્યો. વલ્લભભાઈ વિદેશથી આવી અમદાવાદમાં સ્થાયી થયા. મણિબહેનને પ્રોપ્રાયટરી હાઈસ્કૂલમાં મૂકવામાં આવ્યાં. 1920માં અસહકારના આંદોલનને લીધે શાળા છોડી, પરંતુ ફરીથી ગૂજરાત વિદ્યાપીઠમાંથી ભાષાવિશારદ થયાં તેમજ વિનીત પરીક્ષા પાસ કરી. સત્યાગ્રહ આશ્રમમાં રહેતાં હતાં ત્યારે કાંતવા-પીંજવાની સ્પર્ધાઓમાં ઇનામો મેળવ્યાં હતાં. પિતાની સાથે સ્વતંત્રતાની લડતમાં જોડાયાં. તેમણે અસહકારના આંદોલન તેમજ મીઠા સત્યાગ્રહમાં ભાગ લીધો હતો. તેઓ ઘણી વખત જેલમાં રહ્યાં હતાં. 1942માં યરવડા સેન્ટ્રલ જેલમાં કેદ રાખવામાં આવ્યાં હતાં. 1930થી પિતાના અંગત સચિવ તરીકે કામ કર્યું. રસોઈ અને સફાઈથી લઈને વલ્લભભાઈની મિટિંગો અને પત્રવ્યવહાર સુધીનાં બધા કામો તેમણે કર્યાં. વલ્લભભાઈ મણિબહેને કાંતેલ ખાદીમાંથી બનેલાં વસ્ત્રો પહેરતા. તેમનું જીવન સાદગીસભર હતું. તેઓ હંમેશાં ત્રીજા વર્ગમાં મુસાફરી કરતાં. તેઓ 1952માં દક્ષિણ ખેડાની અને 1957માં આણંદની બેઠક પરથી લોકસભામાં ચૂંટાયાં. 1962માં આણંદની બેઠક પરથી હાર્યાં. એ પછી 1973માં સાબરકાંઠાની અને 1977માં મહેસાણાની બેઠક પરથી લોકસભાનાં સભ્ય ચૂંટાયાં. 1964થી 1970 સુધી રાજ્યસભાનાં સભ્ય હતાં. તેઓ 1954થી 1964 સુધી ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિનાં ઉપપ્રમુખ હતાં. તેઓ કેન્દ્રીય સમાજકલ્યાણ બોર્ડની સંચાલક સમિતિનાં સભ્ય તેમજ ખાદી અને ગ્રામોદ્યોગ બોર્ડનાં સભ્ય હતાં. તેઓ ગૂજરાત વિદ્યાપીઠ, બારડોલી સ્વરાજ આશ્રમ ટ્રસ્ટ, મહાદેવ દેસાઈ મેમોરિયલ ટ્રસ્ટ તેમજ સરદાર વલ્લભભાઈ સમાજસેવા ટ્રસ્ટનાં ટ્રસ્ટી હતાં. તેમણે ‘કસ્તૂરબા : વાણી અને વિચાર’ તથા ‘બોરસદ સત્યાગ્રહ’ પુસ્તકો લખ્યાં છે. ‘મણિબહેનને પત્રો’ તથા ‘સરદાર વલ્લભભાઈ પટેલને પત્રો’ સંપાદિત ગ્રંથો આપ્યા છે. આ ઉપરાંત ‘સરદાર્સ કૉરસ્પૉન્ડન્સ’(10 ગ્રંથો)નું સંપાદન કર્યું છે. એમનું પુસ્તક ‘ઇન્સાઇડ સ્ટોરી ઑવ્ સરદાર પટેલ : ધ ડાયરી ઑવ્ મણિબહેન પટેલ 1936-50’ ખાસ ઉલ્લેખનીય છે.

Categories
વાચન સમૃદ્ધિ

થરનું રણ

વાયવ્ય ભારત તથા પશ્ચિમ પાકિસ્તાનમાં સતલજ અને સિંધની ઘાટીઓની વચ્ચે આવેલો રણપ્રદેશ. 27° ઉ. અ. અને 71° પૂ. રે. આજુબાજુનો વિસ્તાર. તેની પશ્ચિમમાં સિંધુની ખીણ, પૂર્વ બાજુએ અરવલ્લી પર્વતની હારમાળા, નૈઋત્યમાં કચ્છ તથા ઈશાન બાજુએ પંજાબનું મેદાન છે. આ રણપ્રદેશનો વિસ્તાર આશરે 1,92,000 ચોકિમી. છે. આ રણપ્રદેશમાં ભારતમાં દક્ષિણ પંજાબ અને પશ્ચિમ રાજસ્થાનનો વિસ્તાર તથા પાકિસ્તાનમાં પૂર્વ સિંધ તથા ખેરપુર પ્રદેશ આવેલા છે. આ પ્રદેશમાં રેતીનાં વિશાળ ક્ષેત્રો આવેલાં છે. કોઈ કોઈ જગ્યાએ રણદ્વીપોમાં વનસ્પતિ જોવા મળે છે. આ સમગ્ર પ્રદેશ કર્કવૃત્ત નજીક આવેલો હોઈને અહીંયાં વાર્ષિક વરસાદ 250 મિમી.થી પણ ઓછો પડે છે. અગ્નિમાં આવેલી લૂણી નદી એ એકમાત્ર પાણીનો સ્રોત છે. આ પ્રદેશમાં સિંચાઈ દ્વારા વાયવ્ય ભાગમાં ખેતી કરવામાં આવે છે. ત્યાં વસ્તીનું પ્રમાણ બહુ જ ઓછું છે. અહીંના રહેવાસીઓ ઊંટ, બકરાં, ઘેટાં પાળે છે. લોકો ભટકતું જીવન ગુજારે છે. આ વિચરતી જાતિના લોકો ઊન, મીઠું, ધાબળા વગેરેનો વેપાર કરે છે. આ પ્રદેશમાં ભારતના જોધપુર, બિકાનેર, સરદારનગર, બારમેર, જેસલમેર અને અમરકોટ શહેરો આવેલાં છે.

જોધપુર થરના રણનું પ્રવેશદ્વાર ગણાય છે. બિકાનેર રણપ્રદેશમાં આવેલું એક રમણીય નગર છે. ભાટી રાજપૂતોએ વસાવેલ જેસલમેર પણ આ જ રણવિસ્તારમાં આવેલું છે. 1925થી 1927 વચ્ચે બંધાયેલી ગંગાનહેરથી તથા એના વિસ્તારમાંથી પસાર થતી રાજસ્થાન નહેરથી તથા 1986માં પૂર્ણ કરવામાં આવેલ ઇન્દિરા નહેરથી આ રણપ્રદેશ હરિયાળો થયો છે. આ પ્રદેશમાં કેટલીક સિંચાઈ-યોજનાઓ હાથ ધરવામાં આવી છે. જૂના સમયમાં ભારતીય રણ તરીકે પણ તે ઓળખાતું. રણમાં કીમતી ખનિજો તથા બહુમૂલ્ય રત્નપાષાણોના ભંડાર સાંપડ્યા છે તથા પોખરણ ખાતે ભારતે ભૂતકાળમાં અણુશક્તિપ્રયોગો કર્યા છે, જેને લીધે આ રણના લશ્કરી મહત્ત્વમાં વધારો થયો છે.

ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-9