Categories
વાચન સમૃદ્ધિ

દેવગઢબારિયા

દાહોદ જિલ્લાનો તાલુકો, તાલુકામથક અને આઝાદી પૂર્વેનું દેશી રાજ્ય. ખીચી ચૌહાણ વંશના ડુંગરસિંગે એક ટેકરી ઉપર કુળદેવતાની સ્થાપના કરી હતી અને તે ટેકરી નજીક નગર વસાવ્યું હતું, જે દેવગઢ તરીકે ઓળખાતું હતું. અહીં બારૈયાની વસ્તી વધારે હોવાથી આ નગર દેવગઢબારિયા તરીકે જાણીતું થયું. તે 22° 42´ ઉ. અ. અને 73° 55´ પૂ. રે. ઉપર આવેલું છે. તાલુકાનું કુલ ક્ષેત્રફળ 1,144 ચોકિમી. છે. તેમાં એક શહેર અને 186 ગામો આવેલાં છે. આ તાલુકાની ઉત્તરે લીમખેડા અને પૂર્વે ધાનપુર તાલુકા આવેલા છે જ્યારે દક્ષિણે વડોદરા અને પશ્ચિમે પંચમહાલ જિલ્લા આવેલા છે. દેવગઢબારિયા તાલુકા અને શહેરની વસ્તી અનુક્રમે 3,05,000 અને 31,500 (2026,  આશરે) જેટલી હતી. તાલુકામાં ઘણોખરો ભાગ ડુંગરાળ છે. જોકે પશ્ચિમનો ભાગ લગભગ સપાટ છે. પૂર્વ તરફનો ઉચ્ચપ્રદેશ 234.89થી 395.76 મી. ઊંચો છે. આ તાલુકાની સૌથી મોટી નદી પાનમ છે, જે 118 કિમી. લાંબી છે. આ નદી ઉપર જંબુસર સહિત આઠેક ગામો છે. પાનમ ઉપર બંધ બાંધીને સિંચાઈ માટે તેનો ઉપયોગ થાય છે.

આ તાલુકો સમુદ્રથી દૂર હોવાથી તેની આબોહવા વિષમ છે, પરંતુ તેના વિસ્તારમાં જંગલો અને ડુંગરો હોવાને કારણે તાપમાન સામાન્ય રીતે બેથી ત્રણ સે. ઓછું રહે છે. ડુંગરો અને જંગલોને કારણે વરસાદ – વાર્ષિક સરેરાશ 1,027 મિમી. પડે છે.

આ પ્રદેશમાં ખરાઉ પાનવાળાં જંગલો છે. સાગ, સાદડ, ખેર, ટીમરુ, સીસમ, મહુડો, ધાવડો, ખાખરો, બોરડી, કરંજ, જાંબુ, કેગાર, કલમ, ગૂગળી વગેરે વૃક્ષો છે. આ જંગલો દ્વારા ઇમારતી અને બળતણનું લાકડું, મધ, ગુંદર વગેરે મળે છે. દીપડો, જરખ, નીલગાય, શિયાળ, સસલું, હરણ વગેરે વન્ય પશુઓ છે. તાલુકામાં દૂધ સહકારી મંડળીઓ છે. તાલુકામાં મકાઈ, ડાંગર, ઘઉં, જુવાર અને બાજરી તથા તુવેર, ચણા અને અડદ વવાય છે. કપાસ, મગફળી, તલ, તમાકુ, શેરડી, એરંડા રોકડિયા પાકો છે.

(વધુ વિગત માટે જુઓ https://gujarativishwakosh.org/દેવગઢબારિયા/)

Categories
વાચન સમૃદ્ધિ

કેસરબાઈ કેરકર

જ. 13 જુલાઈ, 1892 અ. 16 સપ્ટેમ્બર, 1977

હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતની જયપુર-અત્રોલી ઘરાનાની પ્રસિદ્ધ ગાયિકા કેસરબાઈ કેરકરનો જન્મ ગોવાના કેરી નામના નાનકડા ગામમાં થયો હતો. આઠ વર્ષની કુમળી વયે તે કોલ્હાપુર ગયાં અને અબ્દુલ કરીમખાં પાસે સંગીતની તાલીમ લીધી. પછી પાછાં ગોવા ગયાં અને રામકૃષ્ણ બુવા વઝે પાસે તાલીમ લીધી. 1909માં તેઓ મુંબઈ આવ્યાં. પટિયાલા રાજ્યના સિતારવાદક અને દરબારી સંગીતકાર બરકતુલ્લા ખાંસાહેબ પાસે શાસ્ત્રીય સંગીત શીખ્યાં. તેમણે નૃત્યની પણ તાલીમ લીધી હતી. 1911માં તેમણે જયપુર ઘરાનાના સંગીતકાર ખાંસાહેબ અલ્લાદિયાખાં પાસેથી કઠિન શરતો સાથે શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી. તેઓ દરરોજ નવથી દસ કલાક સુધી રિયાજ કરતાં. તેમણે 1929થી જાહેર કાર્યક્રમો આપવાનું શરૂ કર્યું હતું. 1930માં પેશાવર ગાયિકી શરૂ કરી. તેનાથી કેસરબાઈને ખૂબ પ્રસિદ્ધિ પ્રાપ્ત થઈ અને ઉચ્ચ વર્ગના શ્રોતાઓની સામે પોતાની ગાયિકી રજૂ કરવા લાગ્યાં. તેઓ પોતાની પેઢીના સૌથી સારાં ખયાલ ગાયિકા બન્યાં. મોટા ભાગની ગ્રામોફોન રેકૉર્ડ કંપનીઓએ તેમની રેકૉર્ડ બહાર પાડી હતી. સંગીતક્ષેત્રે ઉત્તમ પ્રદાન કરવા બદલ તેમને અનેક સન્માનો પ્રાપ્ત થયાં હતાં. 1953માં તેમને સંગીત નાટક અકાદમી પુરસ્કાર મળ્યો. તેમને 1948માં કૉલકાતાની સંગીતપ્રવીણ સંગીતાનુરાગી સજજન સન્માન સમિતિ દ્વારા સુરશ્રી સન્માન મળ્યું હતું. 1969માં ભારત સરકારે તેઓને પદ્મભૂષણથી નવાજ્યાં હતાં. મહારાષ્ટ્ર સરકાર દ્વારા રાજ્યનાં પ્રથમ રાજ્ય-ગાયિકાની ઉપાધિ અને 1975માં સૂરસિંગાર સંસદ દ્વારા શારંગદેવ ફેલોશિપ આપવામાં આવ્યાં હતાં. તેમની સ્મૃતિમાં કલા અકાદમી, ગોવા દ્વારા દર વર્ષે સુરશ્રી કેસરબાઈ કેરકર સ્મૃતિ સંગીત સમારોહનું આયોજન કરવામાં આવે છે. નાસાના 1977ના વૉયેજર મિશનમાં તેમનું રેકૉર્ડિંગ સુવર્ણ રેકૉર્ડમાં જળવાયેલું છે. આમ અવકાશમાં પ્રથમ ભારતીય અવાજ કેસરબાઈ કેરકરનો હતો.

Categories
વાચન સમૃદ્ધિ

પાબ્લો નેરુદા

જ. 12 જુલાઈ, 1904 અ. 23 સપ્ટેમ્બર, 1973

દક્ષિણ અમેરિકાના જગપ્રસિદ્ધ સ્પૅનિશ કવિ પાબ્લો નેરુદાનો જન્મ ચિલીમાં થયો હતો. તેઓ 20મી સદીના સૌથી પ્રભાવશાળી, લોકપ્રિય કવિ તથા રાજનેતા હતા. તેમનું મૂળ નામ નેફતાલી રિકાર્ડો રેઇસ બોસાલ્ટો હતું. તેમની ચાર વર્ષની વયે માતાનું અવસાન થતાં પિતાએ પુનર્લગ્ન કર્યાં અને ચિલીની દક્ષિણે તેમુકામાં રહેવા ગયા. ત્યાં વનપ્રદેશનું પ્રાકૃતિક સૌંદર્ય જોઈને નેરુદાની કલ્પનાશક્તિને વેગ મળ્યો. ત્યાં પ્રાથમિક અને માધ્યમિક શાળાના અભ્યાસ સાથે જ તેમણે કવિતાઓ લખવાનું શરૂ કર્યું. તેમુકાનાં અખબારોમાં નેરુદાના આરંભનાં કાવ્યો પ્રગટ થવા માંડ્યાં. પોતાનો પુત્ર કવિ થાય તે સામે પિતાનો પ્રચંડ વિરોધ હતો આથી કવિએ પોતાના પ્રિય ચેક સાહિત્યકાર યાન નેરુદાની અટક અપનાવી પાબ્લો નેરુદા તખલ્લુસ અપનાવ્યું. સોળ વર્ષની વયે તેઓ ચિલીની રાજધાની સાન્ટિયાગોમાં વધુ અભ્યાસાર્થે ગયા. ત્યાંની શિક્ષણ-સંસ્થામાં તેમની કાવ્યકૃતિ ફિએસ્ટા સૉંગને પ્રથમ પારિતોષિક મળ્યું. 1923માં તેમનો પ્રથમ અને 1924માં બીજો કાવ્યસંગ્રહ પ્રગટ થતાં ચિલીમાં તેમની કીર્તિ ચારેકોર ફેલાઈ. ચિલીની સરકારે નવોદિત કવિઓને પ્રોત્સાહન આપવા માટે તેમને પ્રથમ યુરોપ અને ત્યારબાદ પૂર્વના દેશોમાં મોકલ્યા. 1932માં તેઓ ભારત સહિત કેટલાક દેશોમાં ફરી દક્ષિણ અમેરિકા પાછા ફર્યા. 1936માં સ્પેનમાં ફાટી નીકળેલ આંતરવિગ્રહ દરમિયાન તેમણે પ્રગતિવાદી દૃષ્ટિકોણ અપનાવી સામાજિક રીતે પ્રતિબદ્ધ થઈને કવિતાઓ લખી. 1943માં તેઓ સક્રિય રાજકારણમાં પ્રવેશ્યા અને સામ્યવાદી પક્ષમાં જોડાયા. તેઓ ધારાસભામાં પણ સેનેટર તરીકે ચૂંટાયા. 1950માં તેમણે કેન્ટો જનરલ નામે દીર્ઘકાવ્ય પ્રગટ કર્યું. જે તેમનું ઉત્તમ, યશસ્વી મહત્ત્વાકાંક્ષી સર્જન છે. તેમણે લખેલું એલિમેન્ટલ ઓડ્ઝ 1954થી 1957 દરમિયાન ત્રણ ખંડોમાં પ્રકાશિત થયું. તેમણે લગભગ 12થી વધુ કાવ્યસંગ્રહો અને લગભગ 7000 પૃષ્ઠોમાં તેમણે કાવ્યો લખ્યાં છે. વિશ્વની અનેક ભાષાઓમાં તેમનાં કાવ્યો તથા વ્યાખ્યાનોનો અનુવાદ થયેલો છે. ગહન પ્રેમ, પ્રકૃતિ, ક્રાન્તિ, માનવઅધિકારો પ્રત્યેની તેમની ભાવુકતા અને સશક્ત કવિતાઓ માટે પ્રસિદ્ધ નેરુદાને 1971માં સાહિત્યના નોબેલ પારિતોષિકથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.