Categories
વાચન સમૃદ્ધિ

આયુર્વેદ

રોગના ઉપચાર માટેનું ભારતનું અતિપ્રાચીન શાસ્ત્ર.

જેમ ચાર વેદો છે તેમ ચાર ઉપવેદો છે. તેમાં આયુર્વેદનો પણ સમાવેશ થાય છે. વેદની જેમ આયુર્વેદની ઉત્પત્તિને દિવ્ય માનવામાં આવે છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ – એ ચારેયમાં આયુર્વેદનું વર્ણન મળી આવે છે. વેદોની રચના થઈ ત્યારથી આયુર્વેદ મળે છે. એમાં આવતા સંદર્ભો પરથી તે સમયે તૂટેલા અવયવોને સ્થાને કૃત્રિમ અવયવો બેસાડવાના, આંખ, નાક, કાન વગેરેના રોગો દૂર કરવાના, તારુણ્ય જાળવી રાખવાના તથા કુષ્ઠરોગ મટાડવાના સફળ ઉપચારો થતા.

ઔષધિ અને વનસ્પતિઓનું વર્ણન ઋગ્વેદમાં મળે છે. જાતજાતના રોગો દૂર કરવાના મંત્રો તથા જલચિકિત્સા, સૌરચિકિત્સાનાં વર્ણનો આયુર્વેદમાં છે. વેદોમાં રોગ થવાનાં કારણોમાં રોગ કરનાર કૃમિનો ઉલ્લેખ તથા તેનું વર્ગીકરણ વગેરેનો અભ્યાસ થયેલો છે. આ ઉપરાંત તેમાં વનસ્પતિનો ઔષધ તરીકે ઉપયોગ, તેનું વર્ગીકરણ વગેરે મળી આવે છે. લગભગ ૩,૦૦૦ જેટલી ઔષધિઓનો ઉલ્લેખ તેમાં છે. ધન્વંતરિ અને કશ્યપ ઋષિએ સૌપ્રથમ આયુર્વેદનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. તે તેમણે તેમના શિષ્યોને આપ્યું. વનસ્પતિઓમાંથી ઔષધિ બનાવવાનું સંશોધન કરવામાં ચરકનો મોટો ફાળો છે. પુરાણકાળમાં ઈ. સ. પૂ. ૫૦૦૦થી ૫૦૦ વર્ષમાં આયુર્વેદનો પ્રચાર ભારતમાં ખૂબ થયો. ચરક, સુશ્રુત, ચ્યવન, કશ્યપ જેવા ઋષિઓએ આ ક્ષેત્રમાં ખૂબ જ્ઞાન પ્રદાન કર્યું. રામાયણ અને મહાભારતમાં પણ આયુર્વેદીય ચિકિત્સાના ઉલ્લેખો આવે છે. તે કાળમાં યુદ્ધમાં રાજાઓ સાથે વૈદ્યો પણ રહેતા. આયુર્વેદમાં નાડીપરીક્ષા પરથી રોગપરીક્ષા થાય છે. શરીરમાં વાત, પિત્ત અને કફ – એમ ત્રણ દોષો હોય છે અને તેની અસમાનતા દ્વારા રોગ ઉત્પન્ન થાય છે તેવી ધારણા છે. આયુર્વેદ પ્રમાણે સમગ્ર શરીરનો ઉપચાર થાય છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, આયુર્વેદ, પૃ. 120)

Categories
વાચન સમૃદ્ધિ

સતીશચંદ્ર મુખર્જી

જ. 5 જૂન, 1865 અ. 18 એપ્રિલ, 1948

શ્રી અરવિંદો ઘોષ સાથે ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણ પ્રણાલી સ્થાપિત કરવામાં અગ્રેસર સતીશચંદ્ર મુખર્જીનો જન્મ બાંદીપુર, પશ્ચિમ બંગાળમાં થયો હતો. કૉલકાતાના ભવાનીપુરમાં દક્ષિણ ઉપનગરીય શાળાના વિદ્યાર્થી તરીકે, સતીશચંદ્રને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર પાસેથી પ્રેરણા મળી હતી. 1886માં તેઓ પ્રેસિડેન્સી કૉલેજમાં જોડાયા અને 1890માં તેમણે એમ.એ. અને બી.એલ.ની ડિગ્રી મેળવી અને કૉલકાતા હાઈકોર્ટમાં વકીલ તરીકે નોંધણી કરાવી હતી. 1887માં તેમને બહેરામપુર કૉલેજમાં ઇતિહાસ અને અર્થશાસ્ત્રના લેક્ચરર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 1895માં તેમણે ભાગવત ચતુષ્પતિની સ્થાપના કરી, જે ઉચ્ચશિક્ષણની વૈકલ્પિક પ્રણાલીનો પ્રથમ પ્રયાસ હતો. તેઓ ‘ડોન’ મૅગેઝિનના સ્થાપક અને સંપાદક હતા. તેમણે ભારતીય યુનિવર્સિટી કમિશનના અહેવાલનો વિરોધ કર્યો હતો. 1889માં તેમણે રાષ્ટ્રીય શિક્ષણ માટે યોજના ઘડી હતી. તેમણે ડોન સોસાયટીનું આયોજન કર્યું હતું. તે યુવાનોની તાલીમ ભૂમિ અને દેશભક્તિની નર્સરી તરીકે કાર્યરત હતી. શ્રી અરવિંદો દ્વારા રજૂ કરાયેલા નવા શિક્ષણશાસ્ત્રના કાર્યક્રમ સાથે સુસંગત, સોસાયટીનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓનું ધ્યાન દેશની જરૂરિયાતો તરફ દોરવાનો, ભારત માતાને પ્રેમ કરવાનો, તેમના નૈતિક ચારિત્ર્યને કેળવવાનો, મૌલિક વિચારસરણીને પ્રેરણા આપવાનો હતો. 1907માં શ્રી અરવિંદના રાજીનામા પછી સતીશચંદ્ર તેમના સ્થાને બંગાળ રાષ્ટ્રીય કૉલેજના આચાર્ય અને દૈનિક ‘વંદે માતરમ્’ના યોગદાનકર્તા બન્યા હતા. 1914માં સંત બિજોય કૃષ્ણ ગોસ્વામીના કહેવાથી તેઓ વારાણસી ગયા અને આધ્યાત્મિક ખોજ માટે પોતાના મૃત્યુ સુધી ત્યાં જ સ્થાયી રહ્યા. જીવતરામ કૃપાલાણીએ તેમનો પરિચય ગાંધીજી સાથે કરાવ્યો હતો. જ્યારે પણ ગાંધીજી વારાણસી જતા ત્યારે સતીશચંદ્ર સાથે સમય વિતાવતા. નિયમિત પત્રોની આપ-લે કરવાની ટેવમાં, સતીશચંદ્રએ છેલ્લી વખત ગાંધીજીને 24 જાન્યુઆરી, 1947ના રોજ પત્ર લખ્યો હતો, જેમાં શ્વાસનિયંત્રણ સાથે રામનું નામ કવી રીતે જપવું તે સમજાવવામાં આવ્યું હતું.

Categories
વાચન સમૃદ્ધિ

દાલ સરોવર

જમ્મુ અને કાશ્મીર રાજ્યના પાટનગર શ્રીનગરના ઈશાન છેડે આવેલું સરોવર. કાશ્મીરી ભાષામાં ‘દાલ’ શબ્દનો અર્થ ‘સરોવર’ અને તિબેટી ભાષામાં ‘શાંત’ એવો થાય છે. અગાઉ જેલમ નદીમાં આવતા પૂરથી શ્રીનગર શહેરને નુકસાન થયા કરતું હતું તે સંકટમાંથી બચવા 1904માં નદીમાંથી સરોવરને જોડતી નહેર બનાવવામાં આવેલી. જ્યારે પણ પૂર આવે ત્યારે સરોવર છલોછલ ભરાઈ જાય છે. શ્રીનગરના છેડે આવેલો દાલગેટ જેલમ સાથે જોડતા તેના જળપ્રવાહનું નિયંત્રણ કરે છે.

તેની લંબાઈ 8.4 કિમી. અને પહોળાઈ 4 કિમી. છે. શ્રીનગરમાં વહેતી જેલમ નદી સાથે તે નહેરથી જોડાયેલું છે. 33.6 ચો.કિમી.નું ક્ષેત્રફળ ધરાવતું આ વિશાળ સરોવર ગગરી દાલ, લોકુટ દાલ અને બોડ દાલ નામે ઓળખાતા ત્રણ જુદા જુદા જળમાર્ગ વિભાગોમાં વહેંચાયેલું છે. સરોવરના ઉત્તર ભાગમાં સોનાલંક અને પૂર્વ ભાગમાં રૂપાલંક નામના બે રમણીય બેટ આવેલા છે. આ બેટ ઉપર આવેલાં ચિનારનાં અને આજુબાજુમાં આવેલાં ગગનચુંબી પૉપલરનાં વૃક્ષો તેની શોભામાં વધારો કરે છે. એક બાજુએ તખ્તે-સુલેમાન ટેકરી અને બીજી બાજુએ હરિ પર્વતથી ઘેરાયેલું આ સરોવર પહાડો પરથી જોતાં મનોહારી દૃશ્ય ખડું કરે છે. શંકરાચાર્ય ટેકરીના તળેટીભાગવાળા આ સરોવરના દક્ષિણ કાંઠા પર નેહરુ પાર્ક વિકસાવવામાં આવેલો છે. અહીંથી શિકારામાં બેસી પ્રવાસીઓ સરોવરની સહેલ માણે છે. સરોવરના વાયવ્ય કાંઠા પર હઝરતબાલ્દરગાહ આવેલી છે, તેમાં મહંમદ પયગંબરસાહેબનો પવિત્ર વાળ રાખવામાં આવેલો છે, જેના વર્ષમાં એક જ વાર દીદાર (દર્શન) કરી શકાય છે. મુઘલોના શાસનકાળ દરમિયાન આ સરોવરની નજીક સુંદર બગીચાઓનાં નિર્માણ કરવામાં આવેલાં છે : અકબરના સમયમાં તે જમાનાના શ્રેષ્ઠ ગણાતા સ્થપતિ અને રાણી નૂરજહાંના ભાઈ આસફખાન દ્વારા તૈયાર કરવામાં આવેલો નિશાત બાગ, જહાંગીરે તૈયાર કરાવેલો શાલીમાર બાગ અને શાહજહાંએ તૈયાર કરાવેલો ચશ્મેશાહી ઉદ્યાન સહેલાણીઓ માટે આકર્ષણનાં સ્થાનો બની રહેલાં છે. ચશ્મેશાહીની બાજુમાં નેહરુ મેમોરિયલ આવેલું છે.

ગુજરાતી વિશ્વકોશ, ગ્રંથ-9માંથી