Categories
વાચન સમૃદ્ધિ

અમૂલ ડેરી

દૂધ અને અન્ય આનુષંગિક ઉત્પાદનો કરતી આણંદ ખાતે આવેલી ડેરી. તેનું પૂરું નામ છે Anand Milk-Producers’ Union Ltd.. તે ઉપરથી AMUL – ‘અમૂલ’ નામ પડ્યું છે. તે ગુજરાતની સર્વશ્રેષ્ઠ ડેરી છે. સમગ્ર એશિયામાં તેની નામના છે. આ સહકારી ડેરીની શરૂઆત ૧લી જૂન, ૧૯૪૮થી થઈ. ત્રિભોવનદાસ પટેલની ધગશ અને ડૉ. કુરિયન જેવા આ ક્ષેત્રના બાહોશ નિષ્ણાતની અથાગ મહેનતના ફળ રૂપે અમૂલે ધીમે ધીમે ખૂબ પ્રગતિ કરી છે. આજે તેની દૂધ સંઘરવા ને સાચવવાની તાકાત ૫૦ લાખ લિટર પર પહોંચી છે. અમૂલથી ૮ કિમી.ના અંતરે મોગર ખાતે ચૉકલેટ તથા બાલ-આહાર બનાવવાનું કારખાનું છે. ખાત્રજ ચોકડી પાસે ચીઝ બનાવવાનું અને કણજરી ખાતે અમૂલ દાણ બનાવવાનું કારખાનું છે.

ત્રિભોવનદાસ પટેલ અને ડૉ. કુરિયન જેવા આ ક્ષેત્રના નિષ્ણાતની અથાગ મહેનતના ફળ રૂપે અમૂલ ભારતની સર્વશ્રેષ્ઠ ડેરી બની છે. અમૂલમાંથી પાશ્ચરીકરણ (જીવાણુમુક્ત) થયેલું દૂધ ટૅન્કરો દ્વારા મુંબઈ, દિલ્હી અને કૉલકાતા જેવાં શહેરોને પૂરું પાડવામાં આવે છે. આ ઉપરાંત પાઉડર, ઘી, ચીઝ, માખણ, કેસીન જેવી દૂધની પેદાશોનું નિયમિત ઉત્પાદન કરીને ભારતભરમાં ગ્રાહકો સુધી પહોંચાડાય છે. દૂધ ઉપરાંત અમૂલ બ્રાન્ડ હેઠળ બ્રેડ, ચૉકલેટ, મીઠાઈ તથા ફ્રોઝન ફરસાણ પણ મળે છે. વળી સારી જાતનાં દુધાળાં ઢોર તૈયાર કરવા અને તેમનાં ઉછેર, માવજત ને પોષણ માટે વૈજ્ઞાનિક માહિતી પૂરી પાડવા માટેની સેવા પણ અમૂલ બજાવે છે. અમૂલ ડેરીએ આણંદ શહેર તથા ગુજરાતને દુનિયાના નકશામાં મહત્ત્વનું સ્થાન અપાવ્યું છે. ભારતનાં બીજાં રાજ્યો તથા પડોશી દેશો પણ અમૂલની જેમ ડેરી ઉદ્યોગ વિકસાવવામાં ઘણો રસ લે છે. ભારતમાં ‘શ્વેત ક્રાંતિ’ લાવવામાં અમૂલનો મોટો ફાળો રહ્યો છે.

ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1

Categories
વાચન સમૃદ્ધિ

આનંદીબાઈ જોષી

જ. 31 માર્ચ, 1865 અ. 26 ફેબ્રુઆરી, 1887

ભારતનાં પ્રથમ મહિલાતબીબ જેમણે 1886ની સાલમાં અમેરિકા જઈને ડૉક્ટરની ડિગ્રી હાંસલ કરી. તેમનો જન્મ મુંબઈ નજીકના કલ્યાણ ગામે ગણપતરામ જોષીને ત્યાં થયો હતો. નવ વર્ષની કુમળી વયે તેમનાં લગ્ન ગોપાળરાવ સાથે કરવામાં આવ્યાં હતાં. પતિ એક સામાન્ય કારકુન હતા. પત્નીની બુદ્ધિપ્રતિભા જોઈને તેમણે આનંદીને શિક્ષણ અપાવવાનો નિર્ધાર કર્યો. તેમના આ નિર્ણય સામે ઘણો વિરોધ થયો, પરંતુ ગોપાળરાવ અને આનંદીબાઈ સમાજ સામે અડીખમ રહ્યાં. તેમણે અનેક વિરોધનો, અપમાનનો સામનો કરવો પડ્યો. આનંદીબાઈ ઘરની બહાર નીકળે એટલે લોકો તેના પર કચરો ફેંકે, હડધૂત કરે. શાળા જવા માટે આનંદીને ટાંગામાં ખ્રિસ્તી ગોરી મેડમના પગ પાસે બેસવું પડે. ખ્રિસ્તી પાસે ભણીને આનંદીએ જાણે હિંદુ ધર્મનું સત્યાનાશ વાળ્યું હોય તેવું લોકો માનતા. આમ અનેક મુશ્કેલીઓ અને પજવણી સાથે આનંદીબાઈએ શિક્ષણ પૂરું કર્યું. આનંદીબાઈને ડૉક્ટર બની રોગગ્રસ્તોની સેવા કરવાની ઝંખના હતી. પતિ ગોપાળરાવને લાગ્યું કે રૂઢિચુસ્ત સમાજમાં આનંદીબાઈ ભારતમાં તો નહીં જ ભણી શકે. આથી તેમણે આનંદીબાઈને અમેરિકા મોકલવાનું નક્કી કર્યું. તે સમયે પુરુષો માટે પણ પરદેશગમન સમાજને સ્વીકાર્ય નહોતું.   ત્યારે ફક્ત 17 વર્ષની વયે ચુસ્ત બ્રાહ્મણ સમાજની સ્ત્રીને એકલા અમેરિકા જઈ ડૉક્ટર બનવાનું બીડું પતિએ ઝડપ્યું. આનંદીબાઈ પણ પોતાના નિર્ણયમાં અફર રહ્યાં. આ સમાચારે સમગ્ર મહારાષ્ટ્રમાં ખળભળાટ મચાવી મૂક્યો. પણ આનંદીબાઈ તેમના નિર્ણયમાં અફર રહ્યાં. અવરોધ અને વિરોધ વચ્ચે તેઓએ 1883ની સાલમાં સ્ટીમરમાં અમેરિકા જવા પ્રયાણ કર્યું. પેન્સિલવેનિયાની વિમેન્સ કૉલેજમાં તેમણે શિક્ષણ શરૂ કર્યું. અપોષણ, પૈસાની તંગી અને તાપણાની ધૂણી શ્વાસમાં જવાથી તેમને શારીરિક તકલીફો થવા લાગી. આનંદીબાઈએ 1886માં 11મી માર્ચે ડૉક્ટરની ડિગ્રી હાંસલ કરી અને ભારતનાં પ્રથમ મહિલાડૉક્ટર બનવાનું માન મેળવ્યું. અતિ શ્રમ, અપોષણ તથા અસ્વાસ્થ્યપ્રદ વાતાવરણમાં આનંદીબાઈ ટી. બી.નો શિકાર બન્યાં. માત્ર 22 વર્ષની ઉંમરમાં આનંદીબાઈનું નિધન થયું. ન્યૂયૉર્કમાં આનંદીબાઈની પ્રતિમા મૂકવામાં આવી છે.

Categories
વાચન સમૃદ્ધિ

થરાદ

બનાસકાંઠાના તાલુકાઓ પૈકીનો એક તાલુકો અને તાલુકામથક. આ તાલુકો આશરે ૨૪°થી ૨૫° ઉ. અ. અને ૭૧° ૩´થી ૭૧° ૪૦´ પૂ. રે. વચ્ચે આવેલો છે. તાલુકામથકના નામ ઉપરથી સમગ્ર તાલુકો થરાદ તરીકે ઓળખાય છે. મારવાડમાંથી ઈ. સ. ૪૫માં આવેલ થીરપાલ કે થરપાલ ધ્રુવે ઈ. સ. ૫૫માં થરાદ શહેર વસાવ્યું એવી અનુશ્રુતિ છે. ‘પ્રભાવકચરિત’માં તેનો ‘થારાપદ્ર’ તરીકે ઉલ્લેખ છે. નગર વસાવનાર થીરપાલના નામ ઉપરથી તે થીરપુર, થીરાડી, થીરપદ્ર તરીકે પણ ઓળખાતું હતું. વાવ સહિત આ તાલુકાનો પ્રદેશ નાની મારવાડ તરીકે પણ ઓળખાય છે. તાલુકાની ઉત્તરે રાજસ્થાનના બારમેર અને સાંચોર તાલુકાઓ, દક્ષિણે બનાસકાંઠાનો દિયોદર તાલુકો, પૂર્વ તરફ ડીસા અને ધાનેરા તાલુકાઓ અને પશ્ચિમ તરફ વાવ તાલુકો આવેલા છે. વાવ તાલુકાની પશ્ચિમે કચ્છનું નાનું રણ અને પાકિસ્તાન દેશ આવેલાં છે. થરાદ તાલુકાની સરહદથી રણ નજીક છે. તાલુકામાં થરાદ એક નગર અને બીજાં ૧૩૪ ગામો આવેલાં છે. તાલુકાનું ક્ષેત્રફળ ૧૩૫૭.૯ ચોકિમી. છે. આ તાલુકાની વસ્તી અંદાજે 4,00,000 (2025, આશરે) જેટલી છે. થરાદની વસ્તી 39,000 (2025, આશરે) જેટલી છે.

થરાદનું માર્કેટ યાર્ડ

સમગ્ર તાલુકો સમતળ છે. સપાટી ઉપર ભાગ્યે જ ખડકો દેખાય છે. જમીન રેતીમિશ્રિત કાંપની છે. તેમાં સેન્દ્રિય તત્ત્વનો અભાવ છે. આ પ્રદેશ એકંદરે સૂકો છે તેથી અહીં બાવળ, કેરડો, ગાંડો બાવળ જેવાં કાંટાવાળાં વૃક્ષો અને ઘાસ થાય છે. આ પ્રદેશમાં ઓછો વરસાદ હોવાથી જમીનનું ધોવાણ ઓછું થાય છે અને જમીનનો કસ સચવાઈ રહે છે તેથી ઘાસ પૌષ્ટિક હોય છે. વાવેતર નીચે ૧,૨૨,૨૫૦ હેક્ટર જમીન છે. અહીંની જમીનમાં બાજરી, જુવાર, ઘઉં, મગ, અડદ વગેરે અનાજ અને રાઈ, જીરું, તલ વગેરે અન્ય પાક થાય છે. શિયાળામાં જ્યાં કૂવાના પાણીની સગવડ હોય છે ત્યાં જ ઘઉં અને જીરું થાય છે. કૂવા અને પાતાળકૂવા દ્વારા ૧૨ %થી ૧૭ % જમીનને સિંચાઈનો લાભ મળે છે. દાંતીવાડા યોજનામાંથી નહેર દ્વારા પાણીનો ઉપયોગ સિંચાઈ માટે થાય છે. લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-9, થરાદ, પૃ. 113 અથવા જુઓ https://gujarativishwakosh.org/થરાદ/)