Categories
વાચન સમૃદ્ધિ

સ્વામી યોગાનંદ

જ. 30 માર્ચ, 1861 અ. 28 માર્ચ, 1899

રામકૃષ્ણ પરમહંસના શિષ્ય અને રામકૃષ્ણ મિશનના પ્રથમ ઉપપ્રમુખ સ્વામી યોગાનંદનો જન્મ દક્ષિણેશ્વર નજીક થયો હતો. તેમનું નામ યોગીન્દ્રનાથ રૉય ચૌધરી હતું. તેઓ બાળપણથી જ ધ્યાન અને પૂજામાં વ્યસ્ત રહેતા હતા. તેઓ 17 વર્ષના હતા ત્યારે રામકૃષ્ણ પરમહંસને મળ્યા. રામકૃષ્ણએ તેમનામાં રહેલા આધ્યાત્મિક ભાવને જાણ્યો અને અવારનવાર આવવા માટે કહ્યું. ભક્તિ તરફ વળવાને કારણે યોગીન્દ્રનાથના અભ્યાસ પર અસર થઈ. આથી માતાપિતાને ચિંતા  થવા લાગી. પરિવારને આર્થિક ટેકો થાય એ માટે તેઓ નોકરીની શોધમાં કાનપુર ગયા. ત્યાં તેઓ એકાંતમાં રહેવાનું પસંદ કરતા હતા. પરિવારજનોએ તેમનાં લગ્ન કરવાનું નક્કી કર્યું જેથી તેઓ જવાબદાર બને અને મન સંસારમાં પરોવાય. અનિચ્છા છતાં માતાપિતાના આગ્રહથી લગ્ન કરવાં પડ્યાં. લગ્ન પછી યોગીન્દ્રનાથ રામકૃષ્ણને મળ્યા. તેમણે આધ્યાત્મિક માર્ગે આગળ વધવા દક્ષિણેશ્વર જવાનું શરૂ કર્યું. તેઓ મોટા ભાગનો સમય રામકૃષ્ણ સાથે વિતાવવા લાગ્યા. રામકૃષ્ણના અવસાન પછી તેઓ શારદાદેવી સાથે વૃંદાવન ગયા. ત્યાં તેમને કલાબાબુના કુંજમાં દીક્ષા આપવામાં આવી. તેઓ શારદાદેવીના પ્રથમ શિષ્ય બન્યા. એક વર્ષ પછી કૉલકાતા આવ્યા. તેઓ સ્વામી બ્રહ્માનંદ સાથે પુરી ગયા પછી 1888થી 1899 સુધી કૉલકાતામાં જુદાં જુદાં સ્થળોએ રહ્યા અને શારદાદેવીની સંભાળ રાખી. શારદાદેવી તેમને પ્રેમથી ‘છેલે યોગેન’ કહેતાં. તેમણે 1887માં સ્વામી વિવેકાનંદના નેતૃત્વમાં અન્ય શિષ્યબંધુઓ સાથે મઠનું વ્રત લીધું અને સ્વામી યોગાનંદ નામ ધારણ કર્યું. 1891માં વારાણસી ગયા. ત્યાં કઠોર જીવન જીવ્યા. તેમનું સ્વાસ્થ્ય બગડતાં બારાનગર મઠમાં આવ્યા. તેઓ પેટની બીમારીથી પીડાતા હતા. તેઓ બલરામ બોઝના ઘરે રહ્યા. તેઓ દક્ષિણેશ્વર મંદિરમાં રામકૃષ્ણના જન્મદિવસની જાહેર ઉજવણીનું મોટા પાયે આયોજન કરનારી પ્રથમ વ્યક્તિ હતા. 1897માં સ્વામી વિવેકાનંદ કૉલકાતા આવ્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. 1897માં રામકૃષ્ણ મિશનની સ્થાપના થયા પછી તેમને ઉપપ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

આવતીકાલને વધુ ઊજળી બનાવીશ

2008માં એકાએક મંદીનો સપાટો આવતાં કામયાબ વેપારી માઇકલ વોડ્રેલના જીવનમાં આર્થિક તબાહી મચી ગઈ. વિશાળ ઘર, આલીશાન ઑફિસ, મોંઘીદાટ મોટર અને ધનવૈભવ સાથે મોજથી જીવતા માઇકલ વોડ્રેલની એવી તો અવદશા થઈ કે ઘર વેચવું પડ્યું, ઑફિસ છોડવી પડી અને સાવ બેકાર થઈ ગયા. એમણે બોસ્ટનની વેન્ટવર્થ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નૉલૉજીમાંથી ઍરોનૉટિકલ ટૅક્નૉલૉજીની ડિગ્રી લીધી હતી, પણ પછી એ દિશામાં આગળ વધવાને બદલે એમણે વ્યવસાય શરૂ કરી દીધો. એમાં બેહાલી આવી એટલે ફરી પેલી ડિગ્રી યાદ આવી. એના સહારે નોકરી મેળવવાના પ્રયત્નો કર્યા, પણ કોઈ સારી નોકરી મળી નહીં. હવે કરવું શું ? છેલ્લા ઉપાય તરીકે એમણે જે કોઈ નોકરી મળે તે સ્વીકારી લેવાનું નક્કી કર્યું અને સફાઈકામદાર તરીકેનું કામ સ્વીકાર્યું. વોર્સેસ્ટર પોલિટેક્નિક ઇન્સ્ટિટ્યૂટના રાતના સફાઈકર્મચારી તરીકે નોકરીની રકમમાંથી માઇકલ વોડ્રેલ માંડ માંડ ઘર ચલાવતા હતા, પણ સહેજે હિંમત હાર્યા નહીં. વિચાર કર્યો કે નોકરી રાતની છે, દિવસના સમયે અભ્યાસ કરું, આગળ પ્રગતિ કરું અને એણે એ જ ઇન્સ્ટિટ્યૂટમાં એન્જિનિયરિંગના વધુ અભ્યાસ માટે પ્રવેશ મેળવ્યો. રાત્રે ઇન્સ્ટિટ્યૂટમાં સફાઈકામ અને દિવસે અભ્યાસ. પચાસ વર્ષના આ વિદ્યાર્થીને જોઈને સાથી વિદ્યાર્થીઓને આશ્ર્ચર્ય થતું, પણ માઇકલ વોડ્રેલનું ધ્યાન અભ્યાસમાં હતું અને 2016માં ઊંચા ગ્રેડ સાથે એ એન્જિનિયરિંગમાં ઉત્તીર્ણ થયો. માઇકલ વોડ્રેલની મુશ્કેલીઓ સામેની મક્કમતા પર મીડિયા વારી ગઈ. ટેલિવિઝન ચૅનલોમાં એની મુલાકાત આવવા લાગી અને અમેરિકાની ‘પ્રેટ ઍન્ડ વ્હિટની’ નામની ઍરોસ્પેસ કંપનીએ માઇકલને ઊંચા પગારે નોકરીએ રાખી લીધો. પોતાના જીવનમાં અનેક લીલી-સૂકી જોનારા માઇકલે એટલું જ કહ્યું, ‘મારી જાત પર ભરોસો રાખીને મેં સફળતા હાંસલ કરી છે. તમે જીવનમાં બધું જ ગુમાવી બેઠા હો, તેમ છતાં આત્મવિશ્વાસ કદી ગુમાવશો નહીં. હું રોજ રાત્રે એવો વિચાર કરતો કે આજનો દિવસ તો પસાર થયો, પણ આવતીકાલનો દિવસ આનાથી વધુ ઊજળો બનાવવા કોશિશ કરવી છે.’

Categories
વાચન સમૃદ્ધિ

જગદીપ

જ. 29 માર્ચ, 1939 અ. 8 જુલાઈ, 2020

હિંદી ફિલ્મજગતના હાસ્યઅભિનેતાનો જન્મ મધ્યપ્રદેશના દતિયા ગામે થયો હતો. હિંદી સિનેમામાં પોતાના આગવા અભિનયથી આગવી ઓળખ ધરાવતા જગદીપનું મૂળ નામ સૈયદ ઇશ્તાક જાફરી હતું. એમના પિતા દતિયામાં વકીલાતનો વ્યવસાય કરતા હતા. એમનો પરિવાર સમૃદ્ધ હતો. દસ ભાઈ-બહેનોમાં જગદીપ સૌથી નાના હતા. એમણે આઠ વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવી. માતાએ સંતાનો સાથે કરાંચીમાં પોતાનાં સગાંસંબંધીઓ પાસે સ્થળાંતર કર્યું, પરંતુ ત્યાં તેમનું જીવન વધુ કપરું બન્યું. પરિવાર વિખરાઈ ગયો. માતા બાળક જગદીપ સાથે મુંબઈ આવ્યાં, જ્યાં બાળપણમાં જગદીપે સાબુ, રમકડાં, પતંગ જેવી ચીજો વેચીને માતાને મદદ કરવાનું શરૂ કર્યું. રસ્તા પર ફેંકાયેલો ખોરાક ખાઈને પણ દિવસો વિતાવ્યા. દરમિયાન નિર્દેશક-નિર્માતા બી. આર. ચોપરાની નજર જગદીપ ઉપર પડતાં 1951માં ફિલ્મ ‘અફસાના’માં બાળકલાકાર તરીકે અભિનય કરવાની તક મળી. ત્યારબાદ ‘દિલ્લી દૂર નહિ’,  ‘હમ પંછી એક ડાલ કે’, ‘આરપાર’ જેવી ફિલ્મોમાં અભિનય કરીને ફિલ્મ-કારકિર્દી શરૂ થઈ. ગુરુદત્ત એ. એ. અબ્બાસ, બિમલ રૉય જેવા નિર્માતા-નિર્દેશકો સાથે કામ કરતાં કરતાં અભિનય શીખતા ગયા. યુવાન અભિનેતા તરીકે ‘ભાભી’, ‘બરખા’, ‘બિંદિયા’ જેવી ફિલ્મોમાં અભિનય કરવાની તક સાંપડી. 1968માં ફિલ્મ ‘બ્રહ્મચારી’માં એમનો હાસ્ય-અભિનય દર્શકોએ આવકાર્યો. ત્યારથી હાસ્યઅભિનેતા તરીકે એમની ઓળખ બની. આગવી સંવાદપ્રસ્તુતિ, આગવો આંખોનો અભિનય અને અવાજપ્રક્ષેપણે (voice projection) એમને અનોખા અભિનેતા તરીકે અનોખું સ્થાન અપાવ્યું. ‘પુરાના મંદિર’, ‘3 D સામરી’ જેવી કેટલીક હૉરર ફિલ્મોમાં પણ એમણે અભિનય કર્યો. પરંતુ દર્શકોએ એમને હાસ્યઅભિનેતા તરીકે જ આવકાર્યા. 1975માં ફિલ્મ ‘શોલે’માં સૂરમા ભોપાલીના પાત્રએ એમને હાસ્યની દુનિયામાં એક અમર મુકામ ઉપર મૂકી દીધા. એમણે અનેક ફિલ્મોમાં અભિનય કર્યો જે લગભગ યાદગાર બની રહ્યો. ‘શહેનશાહ’, ‘કાલિયા’, ‘અંદાઝ અપના અપના’ જેવી ફિલ્મોમાં એમનું પાત્ર દર્શકોના ચિત્તમાં આજે પણ અકબંધ છે. 2009માં ફિલ્મ ‘લાઇફ પાર્ટનર’માં એમનો અભિનય એમની અંતિમ યાદ બની રહ્યો. મુંબઈમાં કૅન્સરની બીમારીમાં 81 વર્ષની વયે એમનું અવસાન થયું.