Categories
વાચન સમૃદ્ધિ

આમળાં

દ્વિદળી વર્ગની વૃક્ષ-સ્વરૂપ ધરાવતી એક ઔષધીય વનસ્પતિ. તેને એરંડી, રતનજોત અને રબરના કુળમાં મૂકવામાં આવે છે. આમળાનો ઉલ્લેખ વૈદિક કાળથી જોવા મળે છે. આમળાંનું મૂળ વતન દક્ષિણ ભારત મનાય છે. કોંકણ, માથેરાન, સાપુતારા, શામળાજી, બરડો, ગિરનાર, આબુ-અંબાજી તથા પશ્ચિમઘાટનાં જંગલોમાં ૧,૩૫૦ મી.ની ઊંચાઈ સુધી તે જોવા મળે છે. ઉત્તરપ્રદેશ આમળાંની ખેતીમાં મોખરે છે. ગુજરાતમાં ખેડા જિલ્લામાં તેનું છૂટુંછવાયું વાવેતર થાય છે. આમળાંની માગ વધતી હોવાથી ખેડૂતો તેના તરફ આકર્ષાય છે. તે અમેરિકા તથા એશિયાના ઉષ્ણ ભાગોમાં બગીચાઓમાં વવાય છે. આમળાનું વૃક્ષ ૮થી ૧૫ મી. ઊંચાઈ ધરાવતું સાધારણ નાનું કે મધ્યમ કદનું હોય છે. તેની છાલ લીસી, સુંદર અને પીળાથી માંડી ભૂરા રંગની હોય છે. તેની ડાળીઓ પર નાનાં સાદાં પર્ણો પાસે પાસે આવેલાં હોવાથી તે સંયુક્ત પર્ણ જેવાં લાગે છે. કોઈક આમળાંના વૃક્ષ પર નર અને માદા બંને પ્રકારનાં પુષ્પો આવે છે તો ક્યારેક નર અને માદા વૃક્ષો જુદાં જુદાં હોય છે. તેને ઝૂમખામાં નાનાં પુષ્પો લાગે છે; જેમાંથી લીસાં, સખત આછા પીળા રંગનાં ગોળાકાર સોપારી જેવડાં ફળ થાય છે. તે ફળ ૬ ખાંચ ધરાવે છે. તેની અંદર છ બીજ હોય છે. આમળાંનાં ફળ ખૂબ રસાળ હોય છે. તેનો સ્વાદ ખાટો, કડવો, મધુર, તૂરો અને શીતળ હોય છે.

આમળાંનાં વૃક્ષને ગોરાડુ અને મધ્યમ, કાળી જમીન તથા ગરમ સૂકો વિસ્તાર વધારે અનુકૂળ આવે છે. આમળાંનો પાક શિયાળામાં આવે છે. આમળાંને મીઠા અને હળદરના પાણીમાં આથીને ખાવાના કામમાં લેવાય છે. આ ઉપરાંત, તેમાંથી અથાણું તથા ગળ્યાં અને ખારાં આમળાંનો મુખવાસ અને ચ્યવનપ્રાશ પણ બનાવાય છે. તેનાં ફળમાં વિપુલ પ્રમાણમાં વિટામિન ‘સી’ હોય છે. ફળના તાજા ગરમાં વિટામિન ‘સી’ ૭૨૦ મિગ્રા./૧૦૦ ગ્રા. અને દબાવીને કાઢેલા રસમાં ૯૨૧ મિગ્રા./૧૦૦ ગ્રા. હોય છે. તેનું લાકડું ખેતીનાં સાધનો, થાંભલા તથા ફર્નિચર બનાવવા અને હલકી કક્ષાના બાંધકામમાં ઉપયોગમાં લેવાય છે. તેનો બળતણ તરીકે અને કોલસો પાડવા પણ ઉપયોગ થાય છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, આમળાં, પૃ. 115)

Categories
વાચન સમૃદ્ધિ

વિષ્ણુ નારાયણ નાંબુદ્રી (નાંબુથીરી)

જ. 2 જૂન, 1929 અ. 25 ફેબ્રુઆરી, 2021

મલયાળમના પ્રસિદ્ધ કવિ અને સાહિત્યકાર વિષ્ણુ નારાયણનો જન્મ કેરલમના તિરુવલ્લામાં થયો હતો. તેમની કવિતાઓમાં ભારતીય પરંપરા તથા આધુનિકતાનો અભૂતપૂર્વ સમન્વય જણાય છે. તેમણે તેમના દાદા પાસેથી વેદો, પુરાણો તથા સંસ્કૃતનું પારંપરિક શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ પ્રિન્સ માર્તંડા વર્મા હાઈસ્કૂલ પેરિંગારાથી શાળાકીય શિક્ષણ મેળવ્યું. તે પછી બર્ચમેન્સ (Berchmans) કૉલેજ, ચાંગનાસેરી(Changanassery)થી સ્નાતક થયા અને સેંટ જોસેફ કૉલેજ, દેવગિરિથી અનુસ્નાતકની પદવી પ્રથમ ક્રમાંક સાથે મેળવી. તેમણે તેમની કારકિર્દીની શરૂઆત પેરિંગારા શાળામાં ગણિતના શિક્ષક તરીકે કરી. ત્યારબાદ માલાબાર ક્રિશ્ચિયન કૉલેજમાં અંગ્રેજી વિષયના શિક્ષક તરીકે કામગીરી કરી. તદ્ઉપરાંત રાજ્યના વિભિન્ન ભાગો જેવા કે, કોઝિકોડ, કોલ્લમ્, પટ્ટામ્બી, અર્નાકુલમ્, ત્રિપુનીથુરા, ચિત્તૂર, થાલાસ્સેરી વગેરે સ્થળોએ અધ્યાપનકાર્ય કર્યું. તેમનામાં ઊંડી શબ્દસૂઝ તથા શબ્દલયની સમજ હતી. તેમણે કવિતાઓ ઉપરાંત નિબંધ, અનુવાદ અને બાળસાહિત્ય જેવાં લેખનક્ષેત્રે પોતાનું બહુમૂલ્ય યોગદાન આપ્યું. તેઓ એક સક્રિય પર્યાવરણવિદ પણ હતા. કેરલમના અરનમુભામાં પર્યાવરણ સંરક્ષણ સંઘર્ષમાં તેમણે અગ્રણી ભૂમિકા નિભાવી હતી. તેમનાં કેટલાંક મહત્ત્વનાં પુસ્તકો ‘સ્વાતંત્ર્ય ટેકુરિયેચોરુગીતમ્’ ‘ભૂમિગીતંગલ’, ‘ઇન્ડિયેન્નાવિક્રમ’, ‘ચારુલતા’, ‘અપરાજિતા’ વગેરે છે. નિવૃત્તિ બાદ તેમણે તેમના પૈતૃક મંદિર શ્રી વલ્લભ મંદિરમાં પૂજારી તરીકે કામ કર્યું હતું. ભારત સરકારે 2014માં તેમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. આ ઉપરાંત મલયાળમનો સર્વોચ્ચ સાહિત્યિક પુરસ્કાર એજુથાચન પુરસ્કારમ્, વાયલાર પુરસ્કાર, વલ્લથોલ પુરસ્કાર, આસાન પુરસ્કાર, સાહિત્ય અકાદમી પુરસ્કાર તથા ઓડક્કુઝલ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.

Categories
સાંપ્રત કાર્યક્રમો

શ્રી યશવંત દોશી સ્મૃતિ-વ્યાખ્યાનશ્રેણી

વિષય : મારા ગમતા ફિલ્મકાર પાયલ કાપડિયા : એમની વિશ્વદૃષ્ટિ અને બે ફિલ્મકૃતિઓ : મારી નજરે

કલાસમીક્ષક : શ્રી અમૃત ગંગર

Afternoon Clouds And What the Summer is Saying ?

આ બે ફિલ્મકૃતિઓ ગુજરાત વિશ્વકોશમાં પ્રથમ વાર રજૂ થશે. પૅરિસમાં વસતા પાયલ કાપડિયાએ આ ફિલ્મકૃતિઓની ખાસ હાઈરેઝ કૉપીઓ આપી છે.

8 જૂન, 2026, સોમવાર, સાંજના 5.30