Categories
વાચન સમૃદ્ધિ

તિરુવનન્તપુરમ્ (ત્રિવેન્દ્રમ્)

કેરળના ચૌદ જિલ્લાઓે પૈકી એક જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. રાજ્યના છેક દક્ષિણ છેડે આ જિલ્લો આવેલો છે. જિલ્લાનું મૂળ નામ તિરુવનન્તપુરમ્ છે. જે નામથી હવે તે ફરી ઓળખાતું થયું છે. જૂની આખ્યાયિકા પ્રમાણે ત્રિવેન્દ્રમના સ્થળે ગીચ જંગલ હતું. આ જંગલમાંથી વિષ્ણુની મૂર્તિ મળી આવી અને તેની અહીં સ્થાપના કરવામાં આવી. ‘તિરુવનન્તપુરમ્’નો અર્થ ‘અનંતનું પવિત્ર નગર’ થાય છે. જિલ્લાનું ક્ષેત્રફળ 2192 ચોકિમી. છે. જિલ્લાની વસ્તી 35,21,000 (2021, આશરે) છે. વસ્તીની ગીચતા ચોકિમી.દીઠ 1344 છે. જિલ્લાની સાક્ષરતાનું પ્રમાણ 92 ટકા છે. ભારતનાં બધાં રાજ્યો પૈકી સાક્ષરતામાં તેનું બીજું સ્થાન છે. જિલ્લાના ત્રણ તાલુકાઓ છે.

કોવાલમ્ બીચ, તિરુવનન્તપુરમ્

જિલ્લાની ઉત્તરે કેરળનો કોલ્લમ જિલ્લો, દક્ષિણે તમિળનાડુનો કન્યાકુમારી જિલ્લો, પૂર્વ દિશાએ તમિળનાડુનો તિરુનેલવેલી અને કટ્ટાબોમ્મન જિલ્લો અને પશ્ચિમે અરબી સમુદ્ર છે. જિલ્લાના ત્રણ કુદરતી વિભાગો છે. પૂર્વ ભાગમાં પશ્ચિમઘાટનો ડુંગરાળ વિસ્તાર છે. વચ્ચે મધ્યનું મેદાન અને તેની પશ્ચિમે દરિયાકાંઠે આવેલું મેદાન છે. ત્રિવેન્દ્રમ્ દરિયાની સપાટીથી 76 મી. ઊંચું છે. જિલ્લામાં દરિયાકિનારે તાડ, નારિયેળી, કેળ અને સોપારીનાં વૃક્ષો છે. મોસમી પ્રકારની આબોહવાવાળાં જંગલોમાં સાગ, મૅહોગની, સીસમ, વાંસ, રબર વગેરે વૃક્ષો તથા સર્પગંધા જેવી ઔષધિઓ જોવા મળે છે. ડાંગર, શેરડી, મરી, એલચી, ચા, કાજુ, ટોપિઓકા વગેરે મુખ્ય પાક છે. અનાજની ખાધવાળા આ જિલ્લામાં 50 % જમીનમાં રોપણી દ્વારા થતા પાકોનું વાવેતર થાય છે. તેનાં જંગલોમાં વાઘ, હાથી, વાંદરા, હરણ, મગર, ઝેરી અને બિન-ઝેરી સાપો જોવા મળે છે. અહીં કાબર, કબૂતર, પોપટ, મેના, કાગડો ઉપરાંત અનેક રંગબેરંગી પક્ષીઓ હોય છે. અહીં પદ્મનાભનું મંદિર તથા અન્ય મંદિરો, વેધશાળા, વસ્તુ-સંગ્રહાલય, રાજમહેલ વગેરે જોવાલાયક સ્થળો છે. તિરુવનન્તપુરમ્ શહેરની નજીક ‘કોવાલમ્ બીચ’ સહેલાણીઓને આકર્ષે છે.

(વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8, તિરુવનન્તપુરમ્, પૃ. 836 અથવા જુઓ https://gujarativishwakosh.org/તિરુવનન્તપુરમ્/)

Categories
વાચન સમૃદ્ધિ

સુભાષચંદ્ર બોઝ

જ. 23 જાન્યુઆરી, 1897 અ. 18 ઑગસ્ટ, 1945

ભારતમાં બ્રિટિશરો સામે સશસ્ત્ર લડાઈ કરનાર અને તે માટે આઝાદ હિંદ ફોજની રચના કરનાર મહાન સ્વાતંત્ર્યસેનાની સુભાષચંદ્ર બોઝનો જન્મ કટક, ઓડિશામાં થયો હતો. બાળપણથી જ તેમને અસામાન્ય બુદ્ધિમત્તા, ધૈર્ય, સંગઠનશક્તિ, અમોઘ વક્તૃત્વ જેવા ગુણોનું વરદાન મળ્યું હતું. કૉલકાતામાં બી.એ.ની પરીક્ષા પાસ કરી લંડનમાં આઈ.સી.એસ.નો અભ્યાસક્રમ પૂરો કર્યો. ત્યારબાદ ભારતમાં તેમના રાજકીય ગુરુ ચિત્તરંજન દાસની પ્રેરણાથી રાજકારણમાં આવ્યા અને બંગાળ કૉંગ્રેસમાં આગવું સ્થાન ઊભું કર્યું. 1938માં 41 વર્ષની વયે કૉંગ્રેસના પ્રમુખપદે ચૂંટાયા. સ્વતંત્રતાની ચળવળમાં ભાગ લઈ 1941 સુધીમાં 11 વાર જેલવાસ ભોગવ્યો. 1939માં ગાંધીવાદી સભ્યો સાથે મતભેદ થતાં કૉંગ્રેસના પ્રમુખપદેથી રાજીનામું આપ્યું અને કૉંગ્રેસમાં ફૉર્વર્ડ બ્લૉક સ્થાપ્યો. તેઓ માનતા કે બ્રિટિશ સામ્રાજ્યશાહી સામે સશસ્ત્ર સામનાની વધુ આવશ્યકતા છે. આ જ વર્ષ દરમિયાન બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે સમગ્ર દેશનો પ્રવાસ કરી એક હજાર સભાઓ સંબોધી યુદ્ધવિરોધી પ્રચાર કર્યો. 17 જાન્યુઆરી, 1941ની રાત્રે કૉલકાતાના નિવાસસ્થાનેથી સરકારની નજરકેદમાંથી તેઓ નાસી છૂટ્યા. ત્યાંથી બર્લિન જઈ તેઓ હિટલરને મળ્યા. અહીં તેમણે હિંદી લોકોને બ્રિટિશરો વિરુદ્ધ સામનો કરવા પ્રેર્યા. ત્યારબાદ ટોકિયો ગયા અને તે પછી સિંગાપોર ગયા. સિંગાપોરમાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગનું પ્રમુખપદ સોંપવામાં આવ્યું અને તેમને ‘નેતાજી’ તરીકે વધાવી લેવામાં આવ્યા. અહીં તેમણે ‘ચલો દિલ્હી’ અને ‘જય હિંદ’ની ઘોષણા કરી. ‘તુમ મુઝે ખૂન દો મૈં તુમ્હે આઝાદી દૂંગા’ એ આહવાનને બહોળો પ્રતિસાદ મળ્યો. જાન્યુઆરી, 1944માં તેઓ આઝાદ હિંદ ફોજનું મથક રંગૂન લઈ ગયા. તે પછી અંગ્રેજો સામે ભારતની સરહદે મરણિયો જંગ ખેલીને મોડક, કોહિમા, ફલામ, હાકા વગેરે મહત્ત્વનાં થાણાં કબજે કર્યાં, પરંતુ કુદરતી આફતને લીધે તથા વિશ્વયુદ્ધમાં જાપાનની હારને કારણે પીછેહઠ કરવી પડી. એમ કહેવાય છે કે નેતાજી 18 ઑગસ્ટ, 1945ની રાત્રે તાઇપેનથી ટોકિયો જતા હતા ત્યારે વિમાન અકસ્માતમાં તેમનું અવસાન થયું. જોકે તેમના અવસાન અંગે હજી વિવાદ પ્રવર્તે છે. માતૃભૂમિની મુક્તિ માટે અવિરત પ્રયાસ કરનાર નેતાજી આજે પણ ભારતીય જનસમાજમાં જીવંત છે.

Categories
વાચન સમૃદ્ધિ

સંકટોની શીખ

કારમી ગરીબીને કારણે અમેરિકાની ડોરોથી ડિક્સને હંમેશાં કાળી મજૂરી કરવી પડી. વખતોવખત માંદગીથી ઘેરાઈ જતી હોવાને કારણે શરીર બીમાર હોય તોપણ જાત ઘસીને નહીં, બલ્કે તોડીને કામ કરવું પડ્યું. આને કારણે એ યુવાનીમાં જ વૃદ્ધ બની ગઈ. વળી જીવનમાં એવી કેટલીય અણધારી આપત્તિઓ આવી કે જેનો હિસાબ નહીં. એ પોતાની જિંદગીનું વિહંગાવલોકન કરતી ત્યારે એને એમ લાગતું કે જીવન એ એક યુદ્ધક્ષેત્ર જેવું છે કે જેમાં તૂટેલાં સ્વપ્નો, ભસ્મીભૂત થયેલી આશાઓ અને અણધાર્યા આઘાત ચોપાસ વિખરાયેલાં પડ્યાં છે. આકસ્મિક આફતોને કારણે એ શરીરથી નિર્બળ બની ગઈ અને સમય જતાં દિવ્યાંગ પણ થઈ ગઈ. આમ છતાં ડોરોથી ડિક્સ હંમેશાં વિચારતી રહી કે ગઈ કાલે આવેલી અઢળક મુસીબતોનો મેં સામનો કર્યો છે. આજે પણ હિંમતભેર એ મુસીબતો સામે લડી રહી છું. તો પછી આવતીકાલે આવનારી ભવિષ્યની અણદીઠ મુસીબતોની ચિંતા શા માટે કરવી? મનમાં એવો વિચાર પણ શા માટે લાવવો ? ડોરોથી ડિક્સે આજના આનંદમાં જીવતાં ને રહેતાં શીખી લીધું અને તેને પરિણામે આવતીકાલની ચિંતામાંથી ઊગરી ગઈ. એ કહેતી હતી, ‘જો હું કાલે એના પર વિજય મેળવી શકું, તો આજે કેમ નહીં?’ અને આ વિચારને કારણે એણે ક્યારેય પોતાની જાત માટે લાચારી અનુભવી નહીં કે અણધારી આફતોની કલ્પના કરીને ક્યારેય ભયભીત થઈ નહીં. એણે જોયું કે જિંદગીમાં બનતી ઘટનાઓ પ્રત્યે ક્યારેક હસવું આવે છે તો ક્યારેક રડવું આવે છે. ડોરોથી ડિક્સે નક્કી કર્યું કે ગમે તેટલાં સંકટોથી ઘેરાયેલી હોઈશ તોપણ અને ચિંતામાં ડૂબેલી હોઈશ તેમ છતાં એ સઘળી વાતો પ્રત્યે હું હસીશ. સંકટોને કારણે દુ:ખી નહીં થાઉં, કારણ કે આ સંકટો જ મને જીવનનો અખિલાઈથી પરિચય આપે છે અને સંઘર્ષો મને શીખવી ગયા છે કે જેના જીવનમાં સંઘર્ષ નથી, એ કશું પ્રાપ્ત કરી શકતા નથી.