Categories
વાચન સમૃદ્ધિ

અરવિંદ રાઠોડ

જ. 14 ફેબ્રુઆરી, 1941 અ. 1 જુલાઈ, 2021

ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મોના અભિનેતા અને અખબારી છબીકાર અરવિંદ રાઠોડનો જન્મ ભાવનગરમાં થયો હતો. તેમના પિતા અમદાવાદમાં દરજીકામ કરતા હતા. શાળામાં ભણતા હતા ત્યારથી સંગીત અને નાટકમાં રસ હતો. શાળામાં પ્રાર્થના ગવડાવતા. દસેક વર્ષની ઉંમરે ‘નટુ-ગટુ’ નાટકમાં નટુનું પાત્ર ભજવનાર છોકરો બરાબર નહોતો તેથી તેનું પાત્ર તેમણે ભજવ્યું. આ રીતે અભિનયની શરૂઆત થઈ. શાળા-કૉલેજમાં અભિનય માટે ઇનામો મળ્યાં હતાં. તેઓ મિત્રના સ્ટુડિયોમાં જતા અને ફોટોગ્રાફીની બધી જ ટૅકનિક શીખ્યા. તેમને અભિનય અને સારામાં સારાં કપડાં પહેરવાનો શોખ હતા. તેમણે ‘ગુજરાત સમાચાર’માં ફોટોજર્નાલિસ્ટ તરીકે કામ કર્યું હતું. તેઓ મુંબઈ ગયા. ફિલ્મજગતમાં તસવીરકાર તરીકે ઘૂમતા હતા. એમણે અરુણા ઈરાનીના પિતા ફરદૂન ઈરાનીના નાટક ‘મોટા ઘરની વહુ’માં ભૂમિકા કરી. એ ભૂમિકાને કારણે તેમણે પત્રકાર તરીકેની નોકરી છોડવી પડી. તેમણે રાજેશકુમાર નામે બાર વર્ષ સુધી નાટકો કર્યાં. તેમણે દિલીપકુમાર અને સાયરાબાનુના નિકાહ વખતે ફોટા પાડ્યા અને બદરી કાચવાલાના સામયિકના છેલ્લા પાને એ ફોટા છપાયા. બીજા દિવસે દિલીપકુમારે કહ્યું કે એ ફોટોગ્રાફરને મારા તરફથી એક હજાર રૂપિયાનું ઇનામ ! 1967-68માં ‘પ્રીત પિયુ ને પાનેતર’ નાટક માટે મુંબઈ ગયા. રાજ કપૂરે તેમને ‘મેરા નામ જોકર’માં નાનકડો રોલ આપ્યો અને ત્યારથી ફિલ્મો સાથે જોડાયા. 1967માં તેમની પહેલી ફિલ્મ ‘ગુજરાતણ’ આવી. એ પછી ‘કંકુ’, ‘સંસારલીલા’, ‘જનનીની જોડ’, ‘જનમટીપ’, ‘ભાદર તારાં વહેતાં પાણી’, ‘જેસલ તોરલ’ જેવી ઘણી ફિલ્મોમાં તેમણે કામ કર્યું. ‘ભાદર તારાં વહેતાં પાણી’માં ‘જેઠા’ની ભૂમિકાથી તેઓ ખલનાયક તરીકે લોકપ્રિય બન્યા. તેમણે 250 જેટલી ફિલ્મો, ધારાવાહિકો અને 70થી વધુ નાટકોમાં કામ કર્યું. તેમણે ‘કોરાકાગઝ’, ‘અગ્નિપથ’, ‘ખુદાગવાહ’ જેવી હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું. તેમણે ‘મને અજવાળાં બોલાવે’ નાટકનું દિગ્દર્શન પણ કર્યું હતું. તેમને અનેક ઍવૉર્ડઝ મળ્યા હતા. 2006માં ‘થોડી ખુશી થોડે ગમ’ માટે તેમને શ્રેષ્ઠ અભિનેતા તરીકે ભારતીય ટેલિ ઍવૉર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

તેજપુર

અસમના શોણિતપુર જિલ્લાનું વહીવટી મથક. આ પૂર્વે તે દારાંગ જિલ્લાનું વડું મથક હતું. તે 26° 37´ ઉ. અ. તથા 92° 47´ પૂ. રે. પર બ્રહ્મપુત્ર નદીના જમણા કાંઠે વસેલું છે. તે શિલૉંગથી 147 કિમી. ઈશાન તરફ આવેલું છે. વસ્તી : 1,48,000 (2025, આશરે). નગરના આસપાસના વિસ્તારમાં ચા, શેરડી, ડાંગર, શણ તથા રાઈની પેદાશ થાય છે. અહીંથી કૉલકાતા તરફ મોટા પાયા પર ચાની નિકાસ થાય છે, અને તે માટે નગરમાં ચા પર પ્રક્રમણ કરવાના એકમો  વિકસાવવામાં આવ્યા છે. નગરમાં ઉચ્ચશિક્ષણની કૉલેજો તથા સરકારી ઔદ્યોગિક પ્રશિક્ષણ સંસ્થા (ITI) છે. નગરની કૉલેજો ગુવાહાટી યુનિવર્સિટી સાથે સંકળાયેલી છે.

મહાભૈરવ મંદિર

આ નગર ઉત્તરીય રેલવેનું અંતિમ મથક છે. નગરની બાજુમાં સલાનિબારી હવાઈ મથક વિકસાવવામાં આવ્યું છે. લશ્કરી દૃષ્ટિએ આ નગર વિશેષ મહત્ત્વ ધરાવે છે. બીજા વિશ્વયુદ્ધ (1939–45) દરમિયાન મિત્ર રાષ્ટ્રોના સૈનિકોને ચીનના કુનમિંગ ખાતે ઉતારવા માટે અહીંના વિમાની મથકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભારત-ચીન-યુદ્ધ (1962) દરમિયાન તે ભારતીય લશ્કરનું મહત્ત્વનું થાણું હોવાથી ચીની સૈનિકોએ યુદ્ધના પ્રથમ તબક્કામાં જ આ નગર પર આક્રમણ કર્યું હતું. પુરાણપ્રસિદ્ધ રાજા બાણાસુરનું પાટનગર શોણિતપુર એ જ આજનું તેજપુર એવી માન્યતા પ્રચલિત છે. 10મી સદીમાં નગર પાલ રાજાઓની રાજધાનીનું શહેર હતું. તે જમાનાના કેટલાક શિલાલેખો, કોતરણીઓ તથા મંદિરોના ભગ્ન અવશેષો અહીં છે. કામરૂપના 12મી સદીના શાસક વલ્લભદેવનાં પાંચ તામ્રપત્ર પણ ત્યાંથી મળી આવ્યાં છે.

ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8

Categories
વાચન સમૃદ્ધિ

મોહમ્મદ માંકડ

જ. 13 ફેબ્રુઆરી, 1928 અ. 5 નવેમ્બર, 2022

ગુજરાતી સાહિત્યના જાણીતા નવલકથાકાર, ટૂંકી વાર્તાકાર, કટારલેખક અને અનુવાદક મોહમ્મદભાઈનો જન્મ સૌરાષ્ટ્રના પાળિયાદ ગામમાં વલીભાઈ માંકડને ત્યાં થયો હતો. તેમણે બી.એ. સુધીનો અભ્યાસ કરેલો. દસેક વર્ષ બોટાદ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે સેવા આપેલી. ત્યારબાદ લેખન માટે સુરેન્દ્રનગર ખાતે કાયમી વસવાટ. 1982થી 1992 સુધી તેમણે ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રથમ પ્રમુખ તરીકે સેવાઓ આપેલી. 1984થી 1990 સુધી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના સભ્યપદે હતા. તેઓ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય પણ હતા. મોહમ્મદ માંકડે ‘સંદેશ’માં વર્ષો સુધી ‘કેલિડોસ્કોપ’ નામની કટાર લખેલી. તેમની પાસેથી ‘કાયર’, ધુમ્મસ’, ‘અજાણ્યા બે જણ’, ‘વંચિતા’, ‘બંધનગર’ (1-2), ‘અશ્વદોડ’ વગેરે સત્તરેક નવલકથાઓ મળી છે. ‘માટીની મૂર્તિઓ’, ‘વાત વાતમાં’, ‘ઝાકળનાં મોતી’ વગેરે તેમના વાર્તાસંગ્રહો છે. ‘આજની ક્ષણ’, ‘કેલિડોસ્કોપ’ (ભાગ 1-4), ‘સુખ એટલે’, ‘ઉજાસ’ વગેરે નિબંધસંગ્રહો છે. ‘ચંપૂકથાઓ’ (1-2) બાળભોગ્ય વાર્તાઓનો સંગ્રહ છે. ‘મહાનગર’ એ તેમનું અનૂદિત પુસ્તક છે. તેમને 1987માં ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર તરફથી શ્રી ક. મા. મુનશી સુવર્ણચંદ્રક મળેલો. તેમની ‘વેળાનાં વછૂટ્યાં’, ‘ઉજાસ’, ‘અશ્વદોડ’, ‘ના’, ‘ક્યારે આવશો ?’ વગેરે કૃતિઓને પુરસ્કારો મળ્યા છે. 2007નો રણજિતરામ ચંદ્રક મળેલો અને 2018માં તેમને સાહિત્ય ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.