Categories
સાંપ્રત કાર્યક્રમો

શિક્ષણવિદ ડૉ. દાઉદભાઈ ઘાંચી જ્ઞાનપ્રતિભા ઍવૉર્ડ

ડૉ. પંકજ જોશી

(આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વિજ્ઞાની અને ખગોળ ભૌતિકશાસ્ત્રી)

અમદાવાદ યુનિર્સિટીમાં ભૌતિકશાસ્ત્રના પ્રતિષ્ઠિત પ્રોફેસર (Distinguished Professor) અને ઇન્ટરનેશનલ સેન્ટર ફોર સ્પેસ ઍન્ડ કોસ્મોલોજીના સ્થાપક ડિરેક્ટર |

ડૉ. પંકજ જોશીને વિખ્યાત ઉદ્યોગપતિ અને રાજ્યસભાના સાંસદ |

શ્રી ગોવિન્દભાઈ ધોળકિયાના હસ્તે શિક્ષણવિદ ડૉ. દાઉદભાઈ ઘાંચી જ્ઞાનપ્રતિભા ઍવૉર્ડ અર્પણ થશે.

પ્રાસંગિક |

પ્રવીણ ક. લહેરી – કુમારપાળ દેસાઈ |

21 નવેમ્બર 2025, શુક્રવાર, બપોરના 3.30 વાગ્યે

Categories
વાચન સમૃદ્ધિ

સ્વાતંત્ર્યદેવીની પ્રતિમા (Statue of Liberty)

યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ અમેરિકાના ન્યૂયૉર્કના બારાના પ્રવેશદ્વારે લિબર્ટી ટાપુ પર આવેલી સ્વાતંત્ર્યદેવીની વિશ્વવિખ્યાત પ્રતિમા. આ શિલ્પનું પૂરું નામ છે ‘લિબર્ટી એન્લાઇટનિંગ ધ વર્લ્ડ’. તાંબાનું આ ભવ્ય પ્રતિમાશિલ્પ યુ.એસ.ની ઓળખના પ્રતીકરૂપ છે. પ્રતિમાવાળો લિબર્ટી ટાપુ મૅનહટ્ટન ટાપુના નૈઋત્ય છેડાથી આશરે ૨.૫ કિમી. જેટલા અંતરે આવેલો છે. ખુલ્લા ઝભ્ભા જેવું વસ્ત્ર પરિધાન કરેલી, જમણા હાથમાં પ્રગટેલી મશાલ પકડીને ઊભેલી સ્ત્રીનું આ ભવ્ય શિલ્પ જોનારની આંખોને મુગ્ધ કરે છે. મસ્તક પરના મુકુટના સાત આરા, સાત સમુદ્રો અને સાત ખંડો પરનાં સ્વાતંત્ર્યનાં પ્રકાશકિરણોનું સૂચન કરે છે. ડાબા હાથમાં રહેલું ઝૂલતું સાધન અમેરિકાના સ્વાતંત્ર્યદિનની રોમન અંકોમાં દર્શાવેલી ૪ જુલાઈ, ૧૭૭૬ની તારીખ સૂચવે છે. પગ હેઠળ દાબેલી સાંકળ અન્યાયી શાસનનો પ્રતિકાર કરતી બતાવી છે. લાખો પરદેશી પ્રવાસીઓ જ્યારે યુ.એસ.ના પ્રવેશદ્વાર સમા ન્યૂયૉર્કમાં પ્રવેશતાં સ્વાતંત્ર્યદેવીની આ પ્રતિમાની નજીકથી પસાર થાય છે ત્યારે તેમને આ પ્રતિમા આવકાર આપતી હોય અને સ્વતંત્રતા, સમાનતા ને બંધુતા માટેની પ્રેરણા આપતી હોય તેવું ન લાગે તો જ નવાઈ.

અમેરિકાના લિબર્ટી ટાપુ પર આવેલી સ્વાતંત્ર્યદેવીની પ્રતિમા

સ્વાતંત્ર્યદેવીની આ પ્રતિમા ફ્રાન્સના લોકોએ ૧૮૮૪માં યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ અમેરિકાના લોકોને ભેટ આપેલી છે.
સ્વાતંત્ર્યદેવીની પ્રતિમા બાબત સર્વપ્રથમ ખ્યાલ ફ્રેન્ચ રાજદ્વારી અને ઇતિહાસવિદ એડવર્ડ રેને લેફેબ્વ્રે દ લૅબાઉલને સ્ફુરેલો. ૧૮૬૫માં સ્વાતંત્ર્યના આદર્શને ઊજવવા માટે સંયુક્ત ફ્રેન્ચ-અમેરિકન સ્મારક બાંધવાનું સૂચન તેમણે કરેલું. ફ્રેન્ચ શિલ્પી બાર્થોલ્ડી તેમના મિત્ર હતા. આવું ભવ્ય શિલ્પ બનાવવા માટે તેમણે બાર્થોલ્ડીને તૈયાર કર્યા. ફ્રેન્ચ શિલ્પી ફ્રેડરિક ઑગસ્ટ બાર્થોલ્ડીએ આ પ્રતિમાના આકારની રૂપરેખા બનાવેલી તેમ જ તેની પ્રતિષ્ઠા માટેનું સ્થળ પણ નક્કી કરી આપેલું. પ્રતિમા તૈયાર કરવા માટે ફ્રેન્ચ નાગરિકોએ નાણાંનું દાન કરેલું, જ્યારે યુ.એસ.ના નાગરિકોએ તેની બેઠક તૈયાર કરવા માટે ફાળો એકઠો કરેલો.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10, સ્વાતંત્ર્યદેવીની પ્રતિમા, પૃ. 95)

Categories
વાચન સમૃદ્ધિ

મહારાજા રણજિતસિંહ

જ. 13 નવેમ્બર, 1780 અ. 27 જૂન, 1839

પંજાબમાં શીખ સામ્રાજ્યના સ્થાપક અને ‘શેર-એ-પંજાબ’ તેમજ ‘પંજાબકેસરી’ તરીકે ઓળખાતા મહારાજા રણજિતસિંહનો જન્મ ગુજરાનવાલા (હાલ પાકિસ્તાન) ખાતે થયો હતો. તેમના પિતા મહાસિંહનું 1792માં અવસાન થવાથી શીખ મિસલ (બંધુત્વની ભાવના પર રચાયેલ સૈન્યની ટુકડી) સુકર ચકિયાના તેઓ મુખી એટલે કે નાયક બન્યા હતા. આ સુકર ચકિયા મિસલ રાવી અને ચિનાબ નદીઓ વચ્ચેના પ્રદેશ પર સત્તા ધરાવતી હતી, જેમાં ગુજરાનવાલા નગર આસપાસના પ્રદેશનો સમાવેશ થતો હતો. મહારાજા રણજિતસિંહે જુલાઈ, 1799માં પંજાબનું પાટનગર લાહોર જીતી લીધું હોવાથી અફઘાનિસ્તાનના શાસક ઝમાનશાહે તેમને ગવર્નર તરીકે નીમ્યા હતા, પરંતુ તેમણે પોતાને પંજાબના મહારાજા તરીકે જાહેર કર્યા હતા. તેમણે ગુરુનાનક તથા ગુરુ ગોવિંદસિંહના નામના સિક્કા પડાવ્યા અને શીખ રાષ્ટ્રમંડળના નામથી રાજ્યનો વહીવટ કરવા માંડ્યો હતો. 1802માં તેમણે શીખોનું પવિત્ર યાત્રાધામ અમૃતસર જીતી લીધું હતું અને ત્યારબાદ પંજાબમાં આવેલી શીખ અને અફઘાનોની જાગીરો કબજે કરવા માંડી હતી. તેથી પૂર્વ તરફની એમની આગેકૂચ અંગ્રેજોએ અટકાવી હતી. 25 એપ્રિલ, 1809ના રોજ અંગ્રેજો સાથે થયેલ સંધિ મુજબ સતલજ નદીની પૂર્વના પ્રદેશોનો દાવો તેમણે જતો કર્યો હતો અને સતલજની દક્ષિણે આવેલી 45 જાગીરો તેમણે અંકુશમાં લીધી હતી. રણજિતસિંહનો મુખ્ય હેતુ યુદ્ધો દ્વારા પોતાના રાજ્યનો વિસ્તાર વધારવાનો હતો, તેથી તેમણે ગુરખાઓ પાસેથી કાંગડા અને અફઘાનો પાસેથી મુલતાન જીતી લીધું હતું. 1819માં કાશ્મીર જીતી લીધા બાદ અફઘાનિસ્તાનના પદભ્રષ્ટ શાસક શાહ સુજાને રાજ્યાશ્રય આપીને તેની પાસેથી જગપ્રસિદ્ધ  કોહિનૂર હીરો પડાવી લીધો હતો અને ત્યારબાદ વાયવ્ય સરહદે પેશાવર જીતી લીધા બાદ તેને ખાલસા કર્યું અને 1834માં તેમણે લડાખ પણ જીતી લીધું હતું. મહારાજા રણજિતસિંહ, સર્વસત્તાધીશ શાસક હોવા છતાં તેમણે વહીવટ કરવા માટે મંત્રીમંડળ રાખ્યું હતું. તેઓ લોકોની સુખાકારીની ખૂબ કાળજી લેતા હતા. તેમણે લાહોર અને અમૃતસરમાં તોપો, બંદૂકો, કારતૂસો અને દારૂગોળો બનાવવાનાં કારખાનાં સ્થાપ્યાં હતાં. તેમણે અન્ય ધર્મીઓને રાજ્યમાં ઊંચા હોદ્દા પર નીમ્યા હતા. તેઓ બહાદુર યોદ્ધા અને કુશળ સેનાપતિ હોવા છતાં પોતાને ‘ખાલસા’ના પ્રથમ સેવક માનતા હતા.