ચૈતન્ય મહાપ્રભુ


જ. ૨૭ ફેબ્રુઆરી, ૧૪૮૫ અ. ૯ જુલાઈ, ૧૫૩૩

મધ્ય ગૌડ સંપ્રદાયના સ્થાપક અને નામસંકીર્તનના પ્રવર્તક. જગન્નાથ મિશ્ર અને શચીદેવીનું દસમું સંતાન નિમાઈ-વિશ્વંભર. તેમના મોટા ભાઈ વિશ્વરૂપ. મોટા ભાઈ વિશ્વરૂપ સંસાર ત્યજી અદ્વૈત સંન્યાસી થઈ ગયા હોવાથી નિમાઈ-વિશ્વંભરને ખૂબ લાડમાં ઉછેરવામાં આવેલા. નિમાઈ ગૌર વર્ણના હોવાથી ગૌરહરિ, ગૌરાંગ કે ગોરાચાંદ નામે પણ ઓળખાતા. તેઓ એક મેધાવી, પ્રતિભાસંપન્ન વિદ્યાર્થી હતા, વળી વ્યાકરણ ઉપરાંત અલંકાર અને ન્યાયશાસ્ત્રમાં પણ પ્રવીણ થયા. ન્યાયશાસ્ત્રમાં પ્રસિદ્ધ ગ્રંથ ‘દીધિતિ’ લખનાર પંડિત રઘુનાથને પ્રસન્ન રાખવા તે જ વિષય પરનો પોતાનો ગ્રંથ ગંગામાં પધરાવી દીધો હતો. ૧૬ વર્ષની ઉંમરે નિમાઈ પંડિતે મુકુંદ સંજયના ચંડીમંડપમાં પોતાની પાઠશાળા આરંભી. તેમનું પ્રથમ લગ્ન લક્ષ્મીદેવી સાથે થયું હતું. પણ છાત્રો સાથે યાત્રાએ ગયા હતા અને પાછા ફર્યા તે દરમિયાન લક્ષ્મીદેવીનું સર્પદંશથી અવસાન થયેલું. માતાના આગ્રહથી તેમનું બીજું લગ્ન વિષ્ણુપ્રિયા સાથે થયું. પણ માત્ર ત્રેવીસ વર્ષની ભરયુવાન વયે વિશ્વંભર-નિમાઈએ શ્રી શંકરાચાર્યની ભારતીશાખાના શ્રી કેશવભારતી પાસે પૂર્ણવિધિપૂર્વક સંન્યાસદીક્ષા લીધી. ગુરુએ આપેલા નામ પ્રમાણે ‘કૃષ્ણ ચૈતન્ય’ થયા. હવે શ્રી ચૈતન્યનું મુખ્ય નિવાસધામ જગન્નાથપુરી બન્યું. અહીં પરમ વૈષ્ણવ ભક્ત તરીકે પ્રસિદ્ધ અને સન્માન્ય થઈ ચૂકેલા શ્રી ચૈતન્યે અનેક વિદ્વાનોનો આદર પ્રાપ્ત કર્યો. શ્રી ચૈતન્ય ઝારખંડને માર્ગે થઈ વૃંદાવનની યાત્રાએ ગયા. આ યાત્રાએથી પાછા ફર્યા પછી તેમણે નીલાચલની બહાર પગ મૂક્યો ન હતો. આયુષ્યનાં છેલ્લાં ૧૨ વર્ષો પ્રેમોન્માદ દશામાં અંતેવાસીઓએ રાતદિવસ સંભાળ રાખવી પડતી. નામ સંકીર્તન અને મહામંત્રનો પ્રચાર તથા મધુરભાવની સાધના એ બે શ્રી ચૈતન્યનાં અવતારકાર્ય ગણાય છે. બંગાળના બાઉલ સંગીતભક્તો તેમને પોતાના આદિ પ્રવર્તક માને છે. આ ઉપરાંત ‘ઇસ્કોન’ના કૃષ્ણભક્તો ‘હરે કૃષ્ણ હરે રામ’ની જે ધૂન ગાય છે તે પણ શ્રી ચૈતન્ય મહાપ્રભુની દેન છે. તેમની જ પ્રેરણાથી વૃંદાવનના છ ગોસ્વામીઓનું મંડળ અને ત્યારપછી તેમાંથી જ સંપ્રદાય સર્જાય છે. એક લોકશ્રુતિ પ્રમાણે તેમણે સમુદ્રમાં ઝંપલાવી સમાધિ લીધી જ્યારે બીજી લોકશ્રુતિ પ્રમાણે ભગવાન જગન્નાથને આલિંગન આપી મૂર્તિમાં લીન થઈ ગયા. તેમના અંતરંગ મંડળમાં શ્રી નિત્યાનંદ મુખ્ય હતા તેથી ‘નિતાઈ’ અને ‘નિમાઈ’નાં નામ નામસંકીર્તનમાં જોવા મળે છે.

રાજશ્રી મહાદેવિયા

જેટ પ્રપલ્શન લૅબોરેટરી(JPL),


યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ અમેરિકાના કૅલિફૉર્નિયાના પાસાડેની નજીક આવેલી પ્રયોગશાળા. તેની સ્થાપના સાથે સંકળાયેલી વ્યક્તિઓમાં થિયૉડૉર વૉન કાહરમાહનનું નામ મોખરે છે. મૂળ હંગેરીના પણ ૧૯૩૬માં અમેરિકાના નાગરિક બનેલા આ ભૌતિકશાસ્ત્રી ૧૯૩૦થી ૧૯૪૯ સુધી કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીની ગુગેનહાઇમ ઍરોનૉટિકલ લૅબોરેટરીના નિયામક હતા. તેમણે અને તેમના સહકાર્યકર્તાઓએ રૉકેટવિદ્યા અને અંતરિક્ષ-વિજ્ઞાનમાં ઉપયોગી થઈ પડે એવી પ્રયોગશાળાની સ્થાપના કરવાનું વિચાર્યું અને અમેરિકાની તત્કાલીન સરકારે તેને માટે સહાય પણ આપી. ૧૯૩૦ના અરસામાં આ સંસ્થાએ અમેરિકાના રૉકેટ-નિષ્ણાત રૉબર્ટ ગૉડાર્ડ(૧૮૮૨–૧૯૪૫)ને રૉકેટ અંગેના એમના પ્રારંભિક પ્રયોગો માટે મદદ કરી હતી; પરંતુ તેની વિધિસર સ્થાપના ૧૯૩૬માં થઈ. ૧૯૪૪થી તે ‘જેટ પ્રપલ્શન લૅબોરેટરી’ તરીકે ઓળખાય છે.

જેટ પ્રપલ્શન લૅબોરેટરી

દ્વિતીય વિશ્વયુદ્ધ વખતે આ જેપીએલ મોટા સંશોધન-મથકમાં ફેરવાઈ અને મુખ્યત્વે તેનો ઉપયોગ પ્રક્ષેપાસ્ત્રો બનાવવામાં થતો હતો. રશિયાના સ્પુટનિક પછી દુનિયાનો બીજો અને અમેરિકાનો પ્રથમ માનવસર્જિત ઉપગ્રહ ‘એક્સપ્લૉરર ૧’ આ જ પ્રયોગશાળામાં તૈયાર થયો હતો. આ ઉપગ્રહ ૩૧ જાન્યુઆરી, ૧૯૫૮ના રોજ પૃથ્વીની આસપાસ તરતો મૂકવામાં આવ્યો હતો. પાછળથી એ જ વર્ષના અંતે એટલે કે ૧ ઑક્ટોબર, ૧૯૫૮ના રોજ અમેરિકાના ‘નાસા’(નૅશનલ ઍરોનૉટિક્સ ઍન્ડ સ્પેસ ઍડમિનિસ્ટ્રેશન)ની સ્થાપના થતાં આ સંસ્થાને એમાં ભેળવી દેવામાં આવી, પણ તેનું સંચાલન ‘નાસા’ વતી કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજી(Caltech)ને સોંપવામાં આવ્યું.

આ સંસ્થા ‘નાસા’ના ‘ડીપ-સ્પેસ નેટવર્ક’(DSN)નું મહત્ત્વનું મથક છે. સૌરમાળાના ગ્રહો, ઉપગ્રહો કે પછી ચંદ્ર, હેલીનો ધૂમકેતુ જેવા સૂર્ય-પરિવારના પિંડો તરફ જનારાં અન્વેષી-યાનો સાથે સંદેશાવિનિમય કે સંદેશાવ્યવહાર જાળવણીની કામગીરી અહીંથી થાય છે. આ માટે એક મુખ્ય રેડિયો-ઍન્ટેના કૅલિફૉર્નિયામાં ગોલ્ડસ્ટોન ખાતે આવેલું છે. તેનો વ્યાસ ૬૪ મીટર છે. એની સાથે બીજાં ૨ સહાયક રેડિયો-ઍન્ટેના પણ ગોઠવેલાં છે; તેમનો વ્યાસ ૨૬ મીટર છે. ‘ડીપ-સ્પેસ નેટવર્ક’ અંતરિક્ષ-યાનો સાથે સંદેશાવ્યવહાર સ્થાપવા ઉપરાંત, ઘણા રેડિયો-પ્રયોગોમાં પણ પ્રયોજાય છે, જેમાં ગ્રહની સપાટીનો રડાર વડે અભ્યાસ કરવાની કામગીરીનો પણ સમાવેશ થાય છે. અમેરિકાનાં માનવવિહોણાં આંતરગ્રહીય (interplanetary) અંતરિક્ષ-અન્વેષી યાનો બનાવવામાં, વિકસાવવામાં અને એમના સંચાલનમાં આ સંસ્થાનો ફાળો બહુ મોટો છે. ૧૯૫૮થી આ સંસ્થાએ રેન્જર સર્વેયર, મરિનર જેવાં વિવિધ અન્વેષી-યાનો બનાવ્યાં છે. તે ઉપરાંત વાઇકિંગ, વૉયેજર, ગૅલિલિયો અને મૅગેલન જેવા મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટને લગતી સઘળી કે કેટલીક કામગીરી પણ અહીંથી જ કરવામાં આવી હતી. આ સંસ્થામાં ભૌતિકશાસ્ત્ર અને ઇલેક્ટ્રૉનિક ક્ષેત્રના સંશોધન ઉપરાંત, અંતરિક્ષ-યાન કે રૉકેટના પ્રણોદન(propulsion)ને લગતું સંશોધન પણ થાય છે. વધુમાં આ સંસ્થા કૅલિફૉર્નિયાના ટેબલ માઉન્ટન ખાતેની એક ખગોળીય વેધશાળાનું પણ સંચાલન કરે છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

સુશ્રુત પટેલ

મનમોહન દેસાઈ


જ. ૨૬ ફેબ્રુઆરી, ૧૯૩૭ અ. ૧ માર્ચ, ૧૯૯૪

મનોરંજનના મહારથી ગણાતા મનમોહન દેસાઈનો જન્મ અને ઉછેર મુંબઈમાં થયા હતા. ચલચિત્રજગતમાં તેઓ ‘મનજી’ તરીકે ઓળખાતા. તેમના પિતા કીકુભાઈ દેસાઈ પૅરેમાઉન્ટ સ્ટુડિયોના માલિક અને નિર્માતા હતા. મનમોહન પાંચ વર્ષના હતા ત્યારે જ પિતાનું અવસાન થયું. પરિવાર ઉપર ભારે આર્થિક સંકટ આવી પડ્યું. સ્ટુડિયોની દેખરેખ રાખનારું કોઈ હતું નહિ અને પૈસાના અભાવે સ્ટુડિયો વેચી નાખવો પડ્યો. મુંબઈના ખેતવાડી વિસ્તારમાં પરિવાર રહેવા આવ્યો અને મનમોહન અંતિમ શ્વાસ સુધી આ મકાનમાં જ રહ્યા. મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ભણીને તેઓ સ્નાતક થયેલા, પરંતુ મનમાં દિગ્દર્શક બનવાનો કીડો સળવળતો હતો તેથી દિગ્દર્શનનો કસબ શીખવા એ સમયના અગ્રણી દિગ્દર્શક બાબુભાઈ મિસ્ત્રીના સહાયક તરીકે કામ શરૂ કર્યું. મોટા ભાઈ સુભાષ દેસાઈએ ‘છલિયા’ ફિલ્મનું નિર્માણ કર્યું અને નિર્દેશનની જવાબદારી યુવાન મનમોહનને સોંપી તેમને આગળ વધવાની તક પૂરી પાડી. ‘છલિયા’ની પટકથા મનમોહને પોતે લખી હતી અને રાજ કપૂર, નૂતન, પ્રાણ જેવા નામી કલાકારોને સફળતાપૂર્વક નિર્દેશિત કરી પોતાનું કસબ બતાવી આપ્યું.

૧૯૭૭માં પોતાની ખુદની નિર્માણ સંસ્થા ‘એમ. કે. ડી. ફિલ્મ્સ’ની સ્થાપના કરી. મનમોહન દેસાઈનાં ચલચિત્રોમાં કંઈ પણ બનવું અસંભવ ન હોય – એમ કહી એમની ટીકા કરાતી. પણ તેઓ હંમેશાં સામાન્ય પ્રેક્ષકને ધ્યાનમાં રાખીને ચલચિત્રોનું નિર્માણ કરતા. મોટા ભાગે તેમની બધી જ ફિલ્મો સફળ રહેતી અને પ્રેક્ષકોનો આવકાર પામતી.

૨૮ વર્ષની કારકિર્દીમાં ૨૦ ચલચિત્રોનું દિગ્દર્શન કરી ચલચિત્રજગતને ૧૬ સફળ ચિત્રો આપનાર મનમોહન દેસાઈએ મનોરંજનને નામે ક્યારેય અશ્લીલતા પીરસી નહિ. તેમની ફિલ્મો હંમેશાં પરિવાર સાથે બેસીને જોઈ શકતો. ૧૯૮૯માં ‘ગંગા, જમુના, સરસ્વતી’ ફિલ્મ નિષ્ફળ જતાં તેમણે નિવૃત્તિ લઈ લીધી.

તેમનાં સફળ ચલચિત્રોમાં ‘સચ્ચાજૂઠા’, ‘રામપુર કા લક્ષ્મણ’, ‘આ ગલે લગ જા’, ‘રોટી’, ‘પરવરિશ’, ‘ધરમવીર’, ‘અમર અકબર ઍન્થની’, ‘સુહાગ’, ‘નસીબ’ વગેરેનો સમાવેશ થાય છે.

અમલા પરીખ