Categories
વાચન સમૃદ્ધિ

ભોગીલાલ ધીરજલાલ લાલા

જ. 7 ડિસેમ્બર, 1877 અ. 30 ઑગસ્ટ, 1965

ગુજરાતના લોકસેવક, ગાંધીયુગના સ્વાતંત્ર્ય સૈનિક અને મુંબઈ વિધાન પરિષદના અધ્યક્ષ ભોગીલાલના પિતા મૅજિસ્ટ્રેટ હતા. ભોગીલાલે પ્રાથમિક શિક્ષણ અમદાવાદ તથા સૂરત જિલ્લાના ઓલપાડામાં, માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં અને ઉચ્ચશિક્ષણ વડોદરાની કૉલેજમાં લીધું હતું. બી.એ., એલએલ.બી. થઈને 1901માં તેમણે વકીલાત શરૂ કરી, પરંતુ 1920માં ગાંધીજીએ અસહકારની લડત શરૂ કરીને વકીલોને વકીલાત છોડવાની હાકલ કરી ત્યારે, તેમણે ધીકતી કમાણીવાળી પોતાની વકીલાતનો ત્યાગ કરીને ભારતમાતાની મુક્તિ માટેની ચળવળમાં ઝંપલાવ્યું. 1927થી 1932 દરમિયાન તેમણે લૉ કૉલેજમાં પ્રોફેસર તરીકે કામ કર્યું હતું. 1920થી કૉંગ્રેસ દ્વારા કરવામાં આવતા જાહેર સેવાનાં સર્વ કાર્યોમાં તેઓ સરદાર વલ્લભભાઈ પટેલના માર્ગદર્શન મુજબ કામ કરતા હતા. પરદેશી કાપડ સામે અને દારૂનાં પીઠાં ઉપર પિકેટિંગ કરવું, ટિળક સ્વરાજ ફાળો ઉઘરાવવો, ગુજરાતમાં રેલસંકટ, દુષ્કાળ, બિહારનો ધરતીકંપ અને અતિવૃષ્ટિ દરમિયાન રાહતકાર્યો કરવાં; સ્વદેશીનો પ્રચાર કરવો વગેરે લોકસેવાનાં કાર્યો તેમણે કર્યાં હતાં. તેઓ ગુજરાત પ્રાંતિક કૉંગ્રેસ સમિતિના મંત્રી, અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં ઉપપ્રમુખ હતા. 1942ની ‘હિંદ છોડો’ ચળવળમાં ભાગ લીધો તેથી તેમની ધરપકડ થઈ. મુંબઈ રાજ્યની વિધાનપરિષદના અધ્યક્ષ તરીકે 1956માં ચૂંટાયા. સરદાર પટેલના વિશ્વાસુ કાર્યકર થયા. તેઓને લોકોએ ‘લાલા કાકા’નું લાડીલું બિરુદ આપ્યું હતું.

Categories
વાચન સમૃદ્ધિ

ઘરને બદલે કબ્રસ્તાનમાં જીવીએ છીએ !

કબ્રસ્તાનમાં સૂતેલાં મુર્દાંઓની વાત સાંભળી છે ? એમને એકબીજા સાથે હસ્તધૂનન કરતાં કે આલિંગન કરતાં જોયાં છે ખરાં ! કેટલાંય વર્ષોથી એકબીજાની પડખોપડખ સૂતા છે અને છતાં એમની વચ્ચે કશો વ્યવહાર નથી. માત્ર મૌન ધારણ કરીને સાવ પાસે સૂતાં છે, પણ માત્ર કબ્રસ્તાનમાં સૂતેલાંઓ જ એકબીજા સાથે વાત કરતા નથી એવું નથી; એક જ અગાસી કે ટૅરેસ નીચે વસતા લોકો પણ સાથે રહેતા હોવા છતાં એમની વચ્ચે કોઈ સંવાદ નથી. એ ન તો સ્નેહથી એકબીજાને હસ્તધૂનન કરે છે કે ન તો પ્રેમથી આલિંગન કરે છે. જેમ મુર્દામાં જાન નથી, એમ એમના જીવનમાં પણ પ્રાણ નથી. એક જ ઘરમાં પતિ અને પત્ની વસે છે, છતાં એકબીજાને દિલથી મળતાં નથી. એક જ બંગલામાં પિતા-પુત્ર વસે છે, પણ એમની વચ્ચે બોલ્યા-વ્યવહાર નથી. એક જ રસોડે બે ભાઈની રસોઈ થાય છે, છતાં એમના જીવનમાં મીઠાશ નથી. ચાર દીવાલ વચ્ચે સાસુ અને વહુ સાથે રહેતાં હોવા છતાં એમની વચ્ચે પ્રેમનો કોઈ સંવાદ નથી. માત્ર મકાનને જ દીવાલો હોતી નથી. માનવી-માનવી વચ્ચે પણ ‘અદૃશ્ય’ દીવાલો ચણાયેલી હોય છે. આવું ઘર કબ્રસ્તાન નથી તો બીજું શું છે ? જ્યાં જીવનમાં સ્નેહ નથી, ત્યાં આનંદનું સ્વર્ગ ક્યાંથી ઊતરશે ? જ્યાં પરસ્પર માટે પ્રેમ નથી, ત્યાં પારકા માટે અનુકંપા ક્યાંથી જાગશે ? એક જ કુટુંબની વ્યક્તિઓ માત્ર દેહથી સમીપ છે, પણ દિલથી સાવ ભિન્ન છે. એમના ચહેરા અતિ સુંદર છે, પણ એ પરસ્પરને દ્વેષયુક્ત ઝેરભરી નજરે નિહાળે છે. સમાન વાતાવરણમાં જીવતા હોવા છતાં ભિન્ન ભિન્ન દુનિયામાં વસે છે. સ્વાર્થની, ભેદની અને માત્ર પોતાની દુનિયામાં જીવતો માણસ ઘરમાં હોવા છતાં કબરમાં પોઢેલો છે.

Categories
વાચન સમૃદ્ધિ

ચંદ્રલેખા

જ. 6 ડિસેમ્બર, 1928 અ. 30 ડિસેમ્બર, 2006

ભરતનાટ્યમની પારંપરિક શૈલીને આધુનિક સ્પર્શ આપનાર પ્રભાવશાળી નૃત્યકાર ચંદ્રલેખાનો જન્મ વાડા ગામ(મહારાષ્ટ્ર)માં થયો હતો. પિતા પ્રભુદાસ પટેલ અજ્ઞેયવાદી તબીબી અને માતા ધાર્મિક પ્રકૃતિનાં હતાં. તેમનું બાળપણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં વીત્યું. ચંદ્રલેખાએ નાની વયથી જ અભ્યાસની સાથોસાથ નૃત્યની તાલીમ લેવાનું શરૂ કર્યું. શાળાના શિક્ષણ પછી તેમણે કાયદાનો અભ્યાસ કરવા માંડ્યો, પરંતુ તેને અધવચ્ચે છોડીને નૃત્ય પાછળ જ પોતાનો સમય તથા શક્તિ સમર્પી દીધાં. થોડાં વર્ષોમાં જ ચેન્નાઈમાં શાસ્ત્રીય નૃત્યાંગના તરીકે તેમનું નામ જાણીતું થઈ ગયું. તેમની માન્યતા હતી કે કલાને આધુનિક યુગ સાથે સીધો સંબંધ હોવો જોઈએ. આધુનિક યુગના પ્રશ્નો, વિષયો, હકીકતોનું પ્રતિબિંબ કલા અને નૃત્યમાં ઝિલાવું જોઈએ.

પારંપરિક ભરતનાટ્યમ્ શૈલીમાં આ શક્ય ન જણાતાં તેમણે પોતાની શક્તિઓ અન્ય ક્ષેત્રોમાં કેન્દ્રિત કરી. તેઓ મહિલા અને માનવઅધિકારોની ચળવળમાં જોડાયાં. થોડું લેખનકાર્ય કર્યું, પોસ્ટર અને પુસ્તકોના જૅકેટની ડિઝાઇનિંગનું કામ પણ કર્યું, પરંતુ તેમની અંદરનો કલાકાર તેમને પુનઃ નૃત્યની દુનિયામાં કૉરિયૉગ્રાફર તરીકે ખેંચી લાવ્યો. તેમણે ભરતનાટ્યમની પારંપરિક શૈલીને નવીન અને આધુનિક ઓપ આપ્યો. તેમણે યોગની કેટલીક મુદ્રાઓ અને આસનોનો પોતાની નૃત્યશૈલીમાં સુંદર રીતે ઉપયોગ કર્યો. તેમની નૃત્યશૈલીમાં માનવદેહને, સુંદરતાના પ્રતીકને બદલે પુરુષ અને સ્ત્રીની શક્તિ, સત્તા તથા સ્વતંત્રતાના પ્રતીક તરીકે  પ્રયોજવામાં આવ્યો છે. તેમની ‘આંગિકા’, ‘લીલાવતી’, ‘શ્રી’ તથા ‘મહાકાલ’ જેવી નૃત્યનાટિકાઓને દેશ-વિદેશમાં ખૂબ પ્રશંસા મળી હતી. પાંત્રીસ વર્ષની લાંબી કારકિર્દીમાં ચંદ્રલેખાએ અનેક સંઘર્ષો, ટીકાઓ, વિરોધો અને મુશ્કેલીઓનો સામનો કર્યો. મજબૂત મનોબળ ધરાવતાં અને સ્વતંત્ર મિજાજનાં આ સ્ત્રીકલાકાર હંમેશાં પોતાના ધ્યેયમાં અડગ રહ્યાં. હૃદયરોગ જેવી ગંભીર માંદગીમાંથી ઊઠીને તેમણે હિંમતપૂર્વક પોતાનું કાર્ય કરવાનું ચાલુ રાખ્યું. તેમને મળેલા ઍવૉર્ડમાં સંગીત-નાટક અકાદમી ઍવૉર્ડ : ક્રિએટિવ ડાન્સ (1991), કાલિદાસ સન્માન (2003-2004), સંગીત નાટક અકાદમી ફેલોશિપ (2004) વગેરેનો સમાવેશ  થાય છે.