Categories
વાચન સમૃદ્ધિ

કક્કો ખરો કરનાર બારાક્ષરી ગુમાવે છે

પોતાનો કક્કો ખરો કરાવનારી વ્યક્તિ કોઈ સભામાં જાય, ત્યારે બીજાના વિચારો તરફ આદર આપવાને બદલે માત્ર પોતાના વિચારો જ ઝીંકે રાખે છે. પોતાની વાત કરતાં કરતાં એ ઉશ્કેરાઈ જાય છે. ગુસ્સે થઈ જાય છે. ક્યારેક આંખમાં બનાવટી આંસુ લાવે છે, પરંતુ ગમે તેમ કરીને પણ એ પોતાનું ધાર્યું સિદ્ધ કરે છે. આવી ધાર્યું સિદ્ધ કરવાની એની ટેવ એના ઘરમાં પણ અખંડિત હોય છે. ઘરની બાબતોમાં પણ એ પોતાની વાત કોઈ પણ રીતે બીજાઓ પર ઠસાવવા માગે છે. આને માટે જરૂર પડે એ ધાકધમકીનો ઉપયોગ કરે અથવા તો પોતાના ક્રોધની મદદ લે છે, પરંતુ ઑફિસમાં હુકમ ચલાવવાની એની ટેવ ઘરમાં પણ બરકરાર રાખે છે. મનોમન એ ફુલાય છે કે એની કેટલી બધી ધાક છે અને એનો ગર્વ વિકસે છે, કારણ કે બધે જ એનું ધાર્યું થાય છે. સમય જતાં પરિસ્થિતિ પલટાય, તોપણ એ એનું વલણ છોડતો નથી અને પરિણામે ખૂબ દુ:ખી થાય છે. એ વાત ભૂલી ગયો હોય છે કે કોઈ પણ પ્રશ્નને અનેક બાજુઓ હોય છે અને કોઈ પણ સમસ્યાના ઘણા ઉકેલ હોય છે. એ માત્ર પોતાની ‘શૈલી’ પ્રમાણે ઉકેલ વિચારતો હોય છે, પરંતુ એમ કરવા જતાં એ ઉકેલને યોગ્ય એવી બીજી શૈલીઓની ઉપેક્ષા કરે છે. વ્યવસાયમાં ધૂંવાંપૂંવાં રહેતી વ્યક્તિ ઘરમાં પણ એ જ રીતે વર્તતી હોય છે. એની છવાઈ જવાની કે ધાક બેસાડવાની ટેવ બધે સરખી પ્રવર્તતી હોય છે. પ્રભાવ પાડવાનો પ્રયત્ન ઘણી વાર માનવીની પામર વૃત્તિમાંથી પ્રગટતો હોય છે. પોતાની હાજરીની કોઈ પણ ભોગે નોંધ લેવાય તે માટે વિવાદો જગાવીને ક્ષુદ્ર વર્તન કરતો હોય છે. આમ કરવા જતાં એના જીવનની સાહજિકતા ગુમાવતો જાય છે અને પછી એ પોતે જ પોતાના પ્રભાવક પાંજરામાં પુરાઈ જાય છે.

Categories
વાચન સમૃદ્ધિ

દુર્ગાબાઈ દેશમુખ

જ. ૧૫ જુલાઈ, ૧૯૦૯ અ. ૯ મે, ૧૯૮૧

ભારતીય યોજના આયોગનાં પ્રથમ મહિલાસભ્ય, બાહોશ સંસદ અને કુશળ વહીવટકર્તા દુર્ગાબાઈનો જન્મ આંધ્રપ્રદેશના એક મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. બાળપણમાં પિતાનું અવસાન થતાં માતા દ્વારા ઉછેર થયો, માતા પાસેથી બાળપણમાં સમાજકાર્યના બોધપાઠ મળ્યા. તેમની માતા કૃષ્ણાવેનમ્મા જિલ્લા કૉંગ્રેસ કમિટીમાં મંત્રી હતાં. આઠ વર્ષની વયે દુર્ગાબાઈનાં લગ્ન જમીનદાર પરિવારના દત્તક પુત્ર સાથે થયાં. થોડા જ સમયમાં લગ્નવિચ્છેદ થયો, કારણ કે બંનેની વિચારસરણીમાં જમીન-આસમાનનો તફાવત હતો. ત્યારબાદ દુર્ગાબાઈએ ફરી ભણવાનું શરૂ કર્યું. હવે દુર્ગાબાઈ હિંદી ભાષા શીખવા લાગ્યાં અને તેમના કરતાં ઓછું ભણેલાંઓને તેઓ હિંદી ભાષાનું શિક્ષણ આપતાં. ૧૯૨૩માં પોતાના પિયરના મકાનમાં બાલિકા હિંદી પાઠશાળાની સ્થાપના કરી. જ્યાં ૪૦૦ જેટલી છોકરીઓ હિંદી ભાષા શીખી, આ કામમાં તેમનાં માતા પણ જોડાયાં. ગાંધીજીએ દુર્ગાબાઈની આ સિદ્ધિથી પ્રભાવિત થઈને સુવર્ણચંદ્રક એનાયત કર્યો હતો. યુવા અવસ્થાથી તેઓએ દારૂનું સેવન, દેવદાસીની પ્રથા, બાળવિવાહ, નિરક્ષરતા અને અંધશ્રદ્ધા જેવી સામાજિક બદીઓ સામે ઝુંબેશ શરૂ કરી. ખાદીના પ્રચાર-પ્રસાર, મીઠાના સત્યાગ્રહમાં તેઓએ આગળ પડતી ભૂમિકા ભજવી. મીઠાના સત્યાગ્રહમાં ભાગ લેવા બદલ તેમની ધરપકડ થઈ. ૧૯૪૬માં દુર્ગાબાઈ દેશની બંધારણ સમિતિનાં સદસ્ય બન્યાં. ‘આંધ્ર મહિલાસભા’ની સંસ્થા સ્થાપી. તેની નિશ્રામાં સમયાંતરે દવાખાનાંઓ, સારવાર કેન્દ્રો, સાક્ષરતા કેન્દ્રો તથા હસ્તકૌશલના એકમોની સ્થાપના કરી. હૉસ્પિટલ અને શ્રી વેંકટેશ્વર કૉલેજ સ્થાપી. ભારતના આયોજન પંચના સભ્ય તથા રાજ્યપાલ તરીકે પણ દેશને તેમની સેવાઓ પ્રાપ્ત થઈ હતી. ૧૯૫૩માં ભારતના અગ્રણી પ્રકાશક (સર) સી. ડી. દેશમુખ સાથે લગ્ન થયાં. તેઓ પોલજી હોફમાન ઍવૉર્ડ, નહેરુ લિટરસી ઍવૉર્ડ, યુનેસ્કો ઍવૉર્ડ અને પદ્મવિભૂષણથી સન્માનિત થયાં છે.

Categories
વાચન સમૃદ્ધિ

ટોકેલો

દક્ષિણ પૅસિફિક મહાસાગરના મધ્ય ભાગમાં આવેલો ટાપુસમૂહ. ભૌગોલિક સ્થાન : ૯° ૦૦´
દ. અ. અને ૧૭૧° ૪૫´ પ. રે.. તે પશ્ચિમ સામોઆથી ઉત્તરે ૫૦૦ કિમી. અને હવાઈ ટાપુઓથી નૈર્ઋત્યે ૩૮૪૦ કિમી. દૂર આવેલો છે. આ પરવાળાના ટાપુઓમાં અટાફુ, ફાકાઓફુ અને નુકુનોનો સમાવેશ થાય છે. તેનું કુલ ક્ષેત્રફળ ૧૨ ચોકિમી. છે. સૌથી મોટા ટાપુ ફાકાઓફુનું ક્ષેત્રફળ ૫.૩ ચોકિમી. છે. આ ટાપુઓની આસપાસ ઘણા નાના ટાપુઓ આવેલા છે. આ ટાપુઓ સમુદ્રની સપાટીથી ૩થી ૫ મી. જેટલા ઊંચા છે. ટાપુના વચ્ચેના ભાગમાં છીછરું સરોવર છે અને તેની ફરતે કિનારે જમીન આવી છે, જે પરવાળાના ખડકોની બનેલી હોઈ ખૂબ જ છિદ્રાળુ છે. અહીં સરાસરી તાપમાન ૨૮° સે. રહે છે. એપ્રિલથી નવેમ્બર દરમિયાન ૨૫૦૦ મિમી. વરસાદ પડે છે. ક્યારેક આ ટાપુઓ ‘ટાઇફૂન’ વાવાઝોડાનો ભોગ બને છે. અહીં ગીચ જંગલો આવેલાં છે. અહીં નારિયેળી અને પેન્ડેનસ જેવાં ૪૦ પ્રકારનાં વૃક્ષો જોવા મળે છે. ઉંદર, ખિસકોલી, ભુંડ, મરઘાં, દરિયાઈ પક્ષીઓ તથા સ્થળાંતર કરીને આવતાં યાયાવર પક્ષીઓ જોવા મળે છે.

નૃત્ય કરતી બહેનો

લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને મચ્છીમારી છે. નારિયેળ, ટારો, બ્રેડ, ફ્રૂટ, પપૈયાં, કેળાં વગેરે મુખ્ય પાકો છે. છીછરાં સરોવરો અને સમુદ્રમાં માછીમારી કરવામાં આવે છે. તરાપા તથા ઘરના બાંધકામ માટે તૌઅન્વે વૃક્ષનું ખાસ વાવેતર કરાય છે. કોપરાં પીલવાની મિલ અને તરાપા બાંધવાના ઉદ્યોગો ઉપરાંત લાકડાનું કોતરકામ, ટોપા (hats), સાદડીઓ, બૅગથેલીઓ બનાવવાના ગૃહઉદ્યોગો વિકસ્યા છે. અહીંની મુખ્ય નિકાસ કોપરાની છે. ટાપુઓનો આસપાસનો સમુદ્ર છીછરો અને ખડકોવાળો છે તેથી વહાણ કે સ્ટીમર ઊંડા પાણીમાં થોભે છે અને હોડી મારફત માલની ચડઊતર થાય છે. ૧૯૮૨થી
સી-પ્લેન આવે છે. ટાપુના મોટા ભાગના લોકો સામોઆના લોકોને મળતા પૉલિનીશિયન છે. તેમની ભાષા અને સંસ્કૃતિ સમાન છે. કુલ વસ્તી ૨૬૦૦ (૨૦૨૫, આશરે)ના ૯૮% લોકો ખ્રિસ્તી છે. લોકો અન્યત્ર સ્થળાંતર કરે છે. વહીવટની ભાષા ટોકેલો ભાષા છે, પણ અંગ્રેજી ભાષાનો પણ વ્યાપક ઉપયોગ થાય છે. ૧૭૬૫માં કોમોડોર જ્હૉન બાયરને આ ટાપુની શોધ કરી હતી. ૧૮૪૧માં યુ.એસ. દ્વારા ત્યાંની ભાષા તથા રીતિરિવાજને લગતું સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. ૧૮૬૩માં રોગચાળો ફેલાતાં તથા પેરૂના ચાંચિયાઓએ  લોકોને  ગુલામ તરીકે પકડી જતાં ત્યાંની વસ્તી ૨૦૦ જેટલી થઈ ગઈ હતી. ૧૮૭૭માં બ્રિટને આ પ્રદેશ ફીજીના હાઈકમિશનર નીચે મૂક્યો હતો. ૧૮૮૯માં તે રક્ષિત પ્રદેશ જાહેર થયો હતો. ૧૯૧૬થી ગિલ્બર્ટ અને એલિસ ટાપુના ભાગ તરીકે બ્રિટિશ તાજનું તે સંસ્થાન બન્યું હતું. ૧૯૨૫માં તે ન્યૂઝીલૅન્ડની દેખરેખ નીચે મુકાયું અને ૧૯૪૮થી તે ન્યૂઝીલૅન્ડનો વિધિસરનો ભાગ બનેલ છે. દરેક ટાપુનો વહીવટ ૪૫ સભ્યોની બનેલી કાઉન્સિલની સહાયથી કમિશનર દ્વારા કરવામાં આવે છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-8 માંથી