Categories
વાચન સમૃદ્ધિ

મંજુબહેન મહેતા

જ. ૨૧ મે, ૧૯૪૫ અ. ૨૦ ઑગસ્ટ, ૨૦૨૪

પ્રસિદ્ધ સિતારવાદક મંજુબહેનનો જન્મ જયપુરના જાણીતા ભટ્ટ કુટુંબમાં થયો હતો. તેમના પિતાશ્રી મનમોહન ભટ્ટ અને માતા ચંદ્રકલા ભટ્ટ – બંનેને સંગીતનો ઘણો શોખ હતો. માતા-પિતાએ મંજુને સંગીત શીખવા માટે પ્રોત્સાહિત કર્યાં હતાં અને સંગીત શીખવા અલ્વર મોકલ્યાં હતાં. તેમના મોટા ભાઈ શશીમોહનજી પંડિત રવિશંકરના શિષ્ય હતા અને તેમની પાસેથી સિતારવાદન શીખતા હતા. મંજુબહેન આઠ વર્ષની વયથી છાનામાના મોટા ભાઈની ગેરહાજરીમાં સિતાર વગાડી લેતાં. મંજુબહેનની આટલી લગની જોઈને શશીમોહનજી તેમના પ્રથમ ગુરુ બન્યા અને તેમને સિતાર શિખવાડવા લાગ્યા. બાળકલાકાર મંજુબહેને ૧૧ વર્ષની વયે સિતારવાદનના કાર્યક્રમો આપવા માંડ્યા. રેડિયો પર પણ કાર્યક્રમ આપતાં. સંગીતમાં વધુ અભ્યાસ માટે સ્કૉલરશિપ મળતાં ૧૫ વર્ષની વયે જોધપુર જઈ સંગીતની સાધના શરૂ કરી. ૧૯૬૮માં ૨૩ વર્ષની વયે તબલાવાદક નંદન મહેતા સાથે લગ્ન થયાં અને તેઓ અમદાવાદ આવ્યાં. અહીં ૩૫ સભ્યોના સંયુક્ત કુટુંબમાં સમાઈ ગયાં. નંદન મહેતાના પિતાએ તેમને અન્યને સિતાર તથા કંઠ્ય સંગીત શીખવવા માટે પ્રોત્સાહિત કર્યાં. મંજુબહેને ૧૯૬૯થી ‘દર્પણ’માં સિતાર શીખવવાનું શરૂ કર્યું. ૧૯૮૦માં તેમણે પોતાની સંસ્થા ‘સપ્તક’ની સ્થાપના કરી, જેમાં કંઠ્યસંગીત તથા વાદ્યસંગીતનું શિક્ષણ અપાય છે. છેલ્લાં ત્રીસ વર્ષથી દર જાન્યુઆરી મહિનામાં ‘સપ્તક’ દ્વારા ૧૪ દિવસના મહોત્સવનું આયોજન થાય છે. તેમાં રાષ્ટ્રીય ખ્યાતનામ શાસ્ત્રીય સંગીતના શ્રેષ્ઠ કલાકારો ભાગ લે છે. ભારતભરમાં તથા વિદેશમાં આ કાર્યક્રમની પ્રશંસા થાય છે. મંજુબહેનને ગુજરાત સરકાર દ્વારા પંડિત ઓમકારનાથ ઍવૉર્ડ, મુંબઈમાં પંડિત જસરાજ ઘરાના ઍવૉર્ડ, સંગીત કલારત્ન માર્તંડ સન્માન, મારવાડ સંગીતરત્ન ઍવૉર્ડ, સંગીત કલા ગૌરવ પુરસ્કાર, નારીશક્તિ ઍવૉર્ડ મળેલ છે. તદુપરાંત ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ તરફથી કલાક્ષેત્રે અપાતો પદ્મભૂષણ ડૉ. ધીરુભાઈ ઠાકર સવ્યસાચી સારસ્વત ઍવૉર્ડ વર્ષ ૨૦૧૬માં મળેલો.

Categories
વાચન સમૃદ્ધિ

આત્મહત્યાનો વિચાર સ્વયં આત્મહત્યા કરશે

આકાશમાં જામેલાં કાળાં ઘનઘોર વાદળોની જેમ મન પર નિરાશા છવાઈ ગઈ હોય, ત્યારે કરવું શું ? એક એવી ઉદાસીનતા જીવનમાં આવી ગઈ હોય કે અન્ય વ્યક્તિની ઉપસ્થિતિ જ અળખામણી બનતી હોય અને પોતાની જાત તરફ ભારોભાર અણગમો આવતો હોય, ત્યારે કરવું શું ? આવે સમયે વ્યક્તિ ડિપ્રેશનનો શિકાર બને છે. વર્તમાન જિંદગીની પરિસ્થિતિથી મોં ફેરવી લે છે. એ આત્મહત્યા કરવાનું વિચારે છે અને કરે પણ છે. એ વિચારે છે કે આવી ઘોર ઉદાસીનતા અને ગાઢ નિરાશાની ઊંડી ખીણમાંથી હું ક્યારે બહાર નીકળી શકીશ ? એ હકીકત છે કે દરેક વ્યક્તિના જીવનમાં એક યા બીજા સમયે એને ચારે બાજુથી ઉદાસીનતા ઘેરી વળતી હોય છે. ક્યારેક પોતાના કોઈ અપરાધને લીધે ભીતરમાં થતી પીડાને પરિણામે એ બધાથી દૂર નાસતી હોય છે. એને એકલવાયા રહેવું પસંદ પડે છે અને આ એકલતા જ એના જીવનને ખાઈ જતી હોય છે. કોઈ વખત જીવનમાં આવેલા આઘાતથી મનથી અવાચક બની ગઈ હોય છે. કોઈ પોતે રચેલા કારાવાસમાં સ્વયં કેદ થઈને જીવે છે. આવી સ્થિતિ અનુભવતી વ્યક્તિએ કોઈ જરૂરિયાતમંદને મદદ કરવાનો વિચાર કરવો જોઈએ. તમે કોઈને મદદ કરવા જાવ એટલે તમે તમારી જાતમાંથી બહાર નીકળી જાવ છો. અત્યાર સુધી માત્ર પોતાનો જ વિચાર કરતા હોવાથી ઘોર નિરાશાથી ઘેરાઈ ગયા હતા, પણ હવે અન્યને મદદરૂપ થવાના વિચારથી સ્વકેન્દ્રિતાનું કોચલું ભેદી શકશો અને અન્યને મદદરૂપ થઈને બીજાના ચહેરા પર આનંદ કે ખુશી જોવાની અભિલાષા રાખશો. તમારા પોતાના સ્વાર્થી વિચારોના કારાવાસમાંથી નીકળીને પરમાર્થી વિચારોના મુક્ત ગગનમાં ઊડવા માંડશો એટલે આપોઆપ સઘળી નિરાશા, દુ:ખ, ચિંતા કે ડર ખરી પડશે અને આત્મહત્યાનો વિચાર સ્વયં પોતાની જ હત્યા કરી બેસશે.

Categories
વાચન સમૃદ્ધિ

શ્રી ચંદ્રશેખર સરસ્વતી

જ. ૨૦ મે, ૧૮૯૪ અ. ૮ જાન્યુઆરી, ૧૯૯૪

કાંચી મહાસ્વામી તરીકે ઓળખાતા શ્રી ચંદ્રશેખર સરસ્વતી ૨૦મી સદીના મહાન હિંદુ આધ્યાત્મિક નેતા અને વિચારક હતા. તેઓ કાંચી કામકોટી પીઠના ૬૮મા જગદગુરુ શંકરાચાર્ય હતા. તેઓ વિદ્વાન, તપસ્વી અને સમગ્ર ભારત માટે આધ્યાત્મિક દિશાના પ્રકાશપુંજ હતા. તમિળનાડુના વિલ્લુપુરમમાં સ્વામીનાથ શાસ્ત્રી અને મહાલક્ષ્મી અમ્મળના ઘરે તેમનો જન્મ થયો હતો. તેમનું બાળપણનું નામ સ્વામીનાથન હતું. બાળપણથી જ તેઓ તેજસ્વી, શાંત સ્વભાવના અને ધાર્મિક અભિગમ ધરાવતા હતા. ૧૯૦૫માં તિંદિવનમમાં સ્વામીનાથનનું ઉપનયન કરવામાં આવ્યું હતું. જ્યાં તેમના ઉછેર દરમિયાન જ તેઓ વેદોમાં પારંગત બની પૂજા કરવા લાગ્યા હતા. ૧૯૦૬માં કામકોટી પીઠના ૬૬મા આચાર્ય શ્રી ચંદ્રશેખર સરસ્વતી છઠ્ઠા, ચાતુર્માસ વ્રતના પાલન માટે તિંદિવનમ્ નજીકના પેરુમુક્કલમ્ ગામમાં રહ્યા હતા જ્યાં તેમણે સિદ્ધિ પ્રાપ્ત કરી અને પદ સંભાળ્યાના માત્ર એક અઠવાડિયા બાદ તેમનું અવસાન થયું. ત્યારબાદ સ્વામીનાથનના પિતરાઈ ભાઈને ૬૭મા આચાર્ય તરીકે સ્થાપિત કરવામાં આવ્યા, પરંતુ તેમનું અવસાન થતાં માત્ર ૧૩ વર્ષની ઉંમરે તેમને ૧૩ ફેબ્રુઆરી, ૧૯૦૭ના રોજ કાંચી કામકોટી પીઠના ૬૮મા શંકરાચાર્ય તરીકે ઘોષિત કરવામાં આવ્યા હતા. ભારતના અનેક પ્રદેશોમાં પદયાત્રા કરીને તેમણે વેદ, ઉપનિષદ, ધર્મશાસ્ત્ર અને ભક્તિનો સંદેશ ફેલાવ્યો હતો. તેમને તમિળ ભાષા પ્રત્યે પણ ખૂબ જ પ્રેમ હતો, તેથી અનેક તમિળ વિદ્વાનો સાથે ઘણાં પ્રવચનો પણ કર્યાં હતાં. તેમણે ભક્તોને મંદિર પરિસરની અંદર પ્રવેશવાની મંજૂરી આપીને આમૂલ સામાજિક ફેરફારો કર્યા હતા. ૧૫મી ઑગસ્ટ, ૧૯૪૭ના રોજ જ્યારે ભારત સ્વતંત્ર થયું, ત્યારે તેમણે રાષ્ટ્રધ્વજ અને તેમાં દેખાતા અશોક ચક્રના મહત્ત્વ પર ભાષણ પણ આપ્યું હતું. તેઓ જીવનભર નિર્વિકાર રહી, શાંતિ, સાધના અને સંયમમય જીવન જીવ્યા હતા. સંસ્કૃત અને વેદ શાસ્ત્રોમાં પારંગત હોવાથી તેમણે વેદોનું મહત્ત્વ પુન:સ્થાપિત કરવાનું કાર્ય કરી હજારો લોકોને આધ્યાત્મિક માર્ગે વળવાની પ્રેરણા આપી હતી. ૯૯ વર્ષની ઉંમરે તેમનું મહાપરિનિર્વાણ થયું. કાંચી મહાસ્વામી માત્ર એક સંત નહિ, પરંતુ એક યુગદ્રષ્ટા હતા. તેમના શિષ્ય શ્રી જયેન્દ્ર સરસ્વતી અને પછી શ્રી વિજયેન્દ્ર સરસ્વતી તેમની પરંપરાને આગળ ધપાવી રહ્યા છે.