Categories
વાચન સમૃદ્ધિ

સુભદ્રાબહેન શ્રોફ

જ. 9 ફેબ્રુઆરી, 1915, અ. 26 માર્ચ, 2006

ગુજરાતનાં સ્વાતંત્ર્યસેનાની અને કન્યાકેળવણીના પાયાનાં કાર્યકર સુભદ્રાબહેન શ્રોફનો જન્મ સૌરાષ્ટ્રના જેતલસર ગામમાં થયો હતો. પિતા ચીમનલાલ શ્રોફ વડોદરાના કલાભવનના પ્રિન્સિપાલ હતા. સુભદ્રાબહેને મૅટ્રિક સુધીનું શિક્ષણ વડોદરામાં લીધું હતું. 1936માં તેઓ અંગ્રેજી વિષય સાથે એમ.એ. થયાં. એ પછી તેઓ નડિયાદના વિઠ્ઠલ કન્યા-વિદ્યાલયમાં જોડાયાં, પરંતુ રાષ્ટ્રીય ચળવળમાં ભાગ લેવા માટે સંસ્થામાંથી રાજીનામું આપ્યું અને સ્વાતંત્ર્યસેનાનીઓની ટુકડીમાં જોડાયાં. ખેડા જિલ્લાના નાના ગામમાં ભાષણ આપીને સ્વાતંત્ર્યની લડતનો પ્રચાર કરતાં સુભદ્રાબહેન પકડાયાં. તેમને ત્રણ માસની જેલની સજા થઈ. જેલવાસ દરમિયાન સુભદ્રાબહેનનાં માતુશ્રી બીમાર પડ્યાંના સમાચાર આવ્યા. પોતે પેરોલ પર છૂટી શકે, પરંતુ એ માટે કોઈ પણ ચળવળમાં ભાગ નહીં લેવાની લેખિત બાંયધરી આપવી પડે. એ એમને મંજૂર ન હતું. સુભદ્રાબહેન જેલમાં જ રહ્યાં. તેમનાં માતુશ્રી અવસાન પામ્યાં. દુ:ખદ પ્રસંગે પણ મક્કમતાથી તેમણે જેલવાસ પૂરો કર્યો હતો. ત્યાર પછી તેઓ વડોદરા અને મુંબઈમાં રાષ્ટ્રીય શાળામાં જોડાયાં. દરબાર ગોપાળદાસે, સુભદ્રાબહેન શ્રોફ અને સુમતિબહેન વૈદ્યને રાજકોટમાં કન્યાકેળવણી માટેની સંસ્થા શરૂ કરવાનું આમંત્રણ આપ્યું. 1946ની 9મી જૂને દરબારસાહેબ, ભક્તિબા અને ઢેબરભાઈના પ્રયત્નોથી, નારણદાસભાઈ ગાંધીના સહયોગથી રાષ્ટ્રીય શાળાના મકાનમાં શ્રી વલ્લભ કન્યા વિદ્યાલયની શરૂઆત શ્રી શામળજીભાઈ વિરાણીના પુત્રોની નાણાકીય સહાયથી થઈ. શરૂઆતમાં 11 ધોરણ સુધીની શાળા અને છાત્રાલય શરૂ કરવામાં આવ્યાં હતાં. એ પછી બાળમંદિર, પ્રાથમિક શાળા, પ્રી-પીટીસી, ઉચ્ચતર માધ્યમિક, વ્યક્તિત્વ વિકાસ-કેન્દ્ર અને લોકવિજ્ઞાન-કેન્દ્ર જુદા જુદા સમયે શરૂ કરવામાં આવ્યાં. તેઓએ 1946થી 1966 સુધી સતત 20 વર્ષ આ સંસ્થાના આચાર્યપદે રહી 50 વર્ષની વયે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી. 1964માં સંસ્થાનાં નિયામક બન્યાં તથા 24 વર્ષ કાર્યરત રહ્યાં. 1965માં ગુજરાત રાજ્યનો શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો ઍવૉર્ડ તેમને આપવામાં આવ્યો હતો. સૌરાષ્ટ્ર, મુંબઈ અને ગુજરાત સરકારના મહિલા ઉદ્યોગ, પાઠ્યપુસ્તક, પ્રૌઢશિક્ષણ સહિત અનેક મહત્ત્વની સમિતિઓમાં વર્ષો સુધી સક્રિય સભ્ય રહ્યાં હતાં.

Categories
વાચન સમૃદ્ધિ

હૈદરાબાદ (ભારત)

આંધ્રપ્રદેશ તથા તેલંગણા રાજ્યનું પાટનગર.

તે ૧૭° ૨૫´ ઉ. અ. અને ૭૮° ૩૦´ પૂ. રે.ની આજુબાજુનો ૫૬૨ ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની વસ્તી આશરે ૧,૧૨,૦૦,૦૦૦ (૨૦૨૫, આશરે) જેટલી છે. તે ભારતનું મહત્ત્વનું શહેર તથા વેપારનું કેન્દ્ર છે. હૈદરાબાદની આબોહવા પ્રમાણમાં ગરમ અને સૂકી રહે છે. શિયાળા મધ્યમ રહે છે. સરેરાશ વરસાદ લગભગ ૯૦૦ મિમી. જેટલો પડે છે. હૈદરાબાદ અગત્યનું વેપારનું મથક છે. આ શહેર ચાર મુખ્ય ઔદ્યોગિક વિભાગોમાં વહેંચાયેલું છે. આસામાબાદમાં રસાયણો તથા સિગારેટના એકમો આવેલા છે. સનતનગર અને કુકતપલ્લી(Kukatpally)માં આવેલાં કારખાનાંમાં ધાતુકામ ઉપરાંત રેફ્રિજરેટર અને ઘડિયાળનું ઉત્પાદન થાય છે. મૌલા અલી અને નચારામમાં બિસ્કિટ, રસાયણો અને ઔષધીય પેદાશો બને છે, જ્યારે રામચંદ્રપુરમાં વીજળી અને વીજાણુનાં ભારે સાધનોનું ઉત્પાદન થાય છે. વળી શહેરમાં આટાનાં, કાચનાં સાધનોનાં; બંદૂકો, કાગળ તથા રેશમી કાપડનાં કારખાનાં પણ આવેલાં છે. હૈદરાબાદમાં ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ફર્મેશન ટૅક્નૉલૉજી(I.I.I.T.)ની સંસ્થા, બાયૉટૅક રિસર્ચ, ફાર્મસીઓ તથા માઇક્રોસૉફ્ટનાં અને ઇન્ફોસિસ, ઑરેકલનાં કાર્યાલયો આવેલાં હોવાથી તેને ‘હાઇટૅક સિટી’ કહેવામાં આવે છે. એ રીતે તેને ‘સાયબરાબાદ’ નામ પણ અપાયું છે. આ શહેરને બાગબગીચા અને વૃક્ષોથી હરિયાળું બનાવાયું છે.

ઇન્ફર્મેશન ટૅક્નૉલૉજીની સંસ્થાઓનો કાર્યાલયો ધરાવતો એક વિસ્તાર, હૈદરાબાદ

હૈદરાબાદ તેની આજુબાજુનાં રાજ્યો તેમ જ ભારતનાં મુખ્ય શહેરો સાથે સડક, રેલ તથા હવાઈ માર્ગથી સંકળાયેલું છે. અહીંનું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક વિશાળ અને આધુનિક છે. તેલુગુ મુખ્ય ભાષા છે. આ શહેરમાં ઘણાં સંગ્રહાલયો અને કૉલેજો છે. અહીં આવેલી ઓસ્માનિયા યુનિવર્સિટી ખૂબ જૂની અને જાણીતી છે. શહેરમાં આવેલી સંશોધનસંસ્થાઓ પૈકી ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ એશિયન સ્ટડીઝ અને અબ્દુલ કલામ આઝાદ ઓરિયેન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ મુખ્ય છે. સ્ટેટ સેન્ટ્રલ લાઇબ્રેરી અને ઓરિયેન્ટલ મૅન્યુસ્ક્રિપ્ટ લાઇબ્રેરી અહીંનાં મુખ્ય પુસ્તકાલયો છે. ગોલકોંડા વર્ષો સુધી નજીકની ખાણોમાંથી મળતા હીરાનું મુખ્ય કેન્દ્ર બની રહેલું. ભારતભરમાં ખ્યાતિ પામેલા સાલારજંગ મ્યુઝિયમમાં વિવિધ પ્રકારની વસ્તુઓના ૩૫,૦૦૦ જેટલા અલભ્ય નમૂનાઓ પ્રદર્શિત કરેલા છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-10, હૈદરાબાદ, પૃ. 195)

Categories
વાચન સમૃદ્ધિ

આશારામ દલીચંદ શાહ

જ. 8 ફેબ્રુઆરી, 1842 અ. 26 માર્ચ, 1921

મોરબી, માળિયા, લાઠી રાજ્યોના કારભારી અને શિક્ષક આશારામનો જન્મ રાજકોટમાં. પિતા દલીચંદ અને માતા વખતબા. તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ રાજકોટમાં થયું. 1859માં પ્રાંતમાં યોજાયેલી પ્રથમ યુનિવર્સિટી પ્રવેશ પરીક્ષા પાસ કરી 17 વર્ષની ઉંમરે લીંબડીમાં શિક્ષક થયા. 1863માં જામનગર બદલી થઈ. 1865માં શિક્ષણ વિભાગમાંથી રાજીનામું આપી જામનગર રાજ્યમાં જોડાયા. જામનગર અને આમરણ વચ્ચે તકરાર ચાલતી હતી તેમાં તેમની નિમણૂક થઈ. પંચે જામનગર તરફી ચુકાદો આપ્યો. તેનો યશ તેમને મળ્યો. એ પછી તેઓ રાજકોટ ગયા અને એજન્સીની કોર્ટમાં વકીલાત કરવાની સનદ મેળવી. તેમને મોરબીના પાટવીકુમાર વાઘજી બીજાના શિક્ષક તરીકે નીમવામાં આવ્યા. પછી તેઓ મોરબીની શાળાના હેડમાસ્તર બન્યા. બ્રિટિશ રાજકીય એજન્ટે તેમને માળિયાના કારભારી નિયુક્ત કર્યા.  જુલાઈ, 1886માં કર્નલ વૉટસને તેમને લાઠીના મૅનેજર  નીમ્યા. તેમણે સાતેક વર્ષ સુધી લાઠી રાજ્યનું સંચાલન કર્યું. પછી તેઓ ચૂડામાં અને એ પછી બાંટવે અને સરદારગઢ (ગીદડ) રાજ્યના કારભારી તરીકે નિમાયા. 1898માં તેમણે સેવામાંથી નિવૃત્તિ લીધી.  તેઓ તલવાર, બંદૂક, કટાર વાપરી જાણતા હતા. તેઓ ઘોડેસવારીના શોખીન હતા. તેઓ ઊંટ ઉપર બેસીને લાંબી મુસાફરી કરતા હતા. તેમની સ્મરણશક્તિ તીવ્ર હતી. નિવૃત્તિ પછી તેઓ અમદાવાદમાં સ્થાયી થયા. તેમણે ગુજરાતી કહેવતો, રૂઢિપ્રયોગો અને કહેવતોનો ‘ગુજરાતી કહેવત સંગ્રહ’ (1911માં) પ્રગટ કર્યો. 1901માં સ્વામિનારાયણ મંદિરના નેતૃત્વ અને સંપત્તિનો ઉત્તરાધિકારનો વિવાદ થતાં તેમને ટ્રસ્ટી બનાવવામાં આવ્યા હતા. સહજાનંદ સ્વામીએ જૉન માલ્ક્સની રાજકોટમાં મુલાકાત લીધી ત્યારે તેઓ  ઉપસ્થિત રહ્યા હતા.