Categories
વાચન સમૃદ્ધિ

દરવાનસિંહ નેગી

જ. 4 માર્ચ, 1883 અ. 24 જૂન, 1950

વિક્ટોરિયા ક્રૉસથી સન્માનિત થયેલા પ્રથમ ભારતીય સૈનિકોમાંના એક દરવાનસિંહ નેગીનો જન્મ ગઢવાલ જિલ્લાના કફરતીર ગામમાં ખેડૂત પરિવારમાં થયો હતો. પિતા કલામસિંહ નેગી જમીનમાલિક અને ખેડૂત હતા. તેઓ 1902માં 19 વર્ષની ઉંમરે ભારતીય સેનાની 39મી ગઢવાલ રાઇફલ્સમાં જોડાયા હતા. જોડાયા પછી ઉત્તરાખંડના લેન્સડાઉનમાં લશ્કરી તાલીમ મેળવી 1914માં નાયકના પદ પર પહોંચ્યા હતા. 1914માં પ્રથમ વિશ્વયુદ્ધ વખતે ભારતીય સેનાની 39મી ગઢવાલ રાઇફલ્સની પહેલી બટાલિયનને જોડાવાનું થયું. બટાલિયન 9 ઑગસ્ટ, 1914ના રોજ લેન્સડાઉનમાં એકત્રિત થઈ. મુંબઈ થઈ 14 ઑક્ટોબરે માર્સેલ્સ પહોંચી. 29 ઑક્ટોબર સુધીમાં યુનિટ એસ્ટાયર્સની નજીક ફ્રન્ટ લાઇન પર પહોંચી ગઈ. સતત તોપમારા અને ગોળીબાર વચ્ચે 21 દિવસ અને 20 રાત્રિપાળી ભરેલી ખાઈઓમાં રહીને યુદ્ધમાં ભાગ લીધો. મર્યાદિત હથિયારો હતાં. બ્રેડ અને બિસ્ટિક પર નભીને લડ્યા. 23-24 નવેમ્બર, 1914ની રાત્રે દરવાનસિંહે અસાધારણ બહાદુરી દર્શાવી. તેમના યુનિટને દુશ્મનના કબજા હેઠળની ખાઈઓ પાછી મેળવવાનો આદેશ આપવામાં આવ્યો. બૉમ્બ અને ગોળીના વરસાદ વચ્ચે તેમણે ટુકડીને નેતૃત્વ પૂરું પાડ્યું. તેમના માથામાં બે વખત અને ડાબા હાથમાં ઈજાઓ થઈ તેમ છતાંય હિંમત હાર્યા નહીં. દુશ્મનો પાસે ખાઈઓ મેળવીને કાર્યવાહી પૂરી થયા પછી તેમણે પોતાને થયેલી ઈજાઓની જાણ કરી. ‘ધ લંડન ગૅઝેટ’માં તેમની મહાન બહાદુરીની પ્રશંસા કરવામાં આવી. 5 ડિસેમ્બર, 1914ના રોજ તેમને જ્યોર્જ પંચમના હસ્તે વિક્ટોરિયા ક્રૉસ એનાયત કરવામાં આવ્યો. તેઓ 1915માં ભારત પાછા ફર્યા. તેઓ હવાલદાર, જમાદાર અને પછી સૂબેદારના પદ સુધી પહોંચ્યા હતા. પ્રથમ વિશ્વયુદ્ધ પછી તેમણે ઇરાકમાં સેવા આપી. બ્રિટિશ સામેના આરબ બળવાને ખાળવા માટે તેમણે કાર્ય કર્યું હતું. તેઓ મે, 1926માં નિવૃત્ત થયા. તેમની સ્મૃતિમાં ઉત્તરાખંડના લેન્સડાઉનમાં આવેલા ગઢવાલ રાઇફલ્સના રેજિમેન્ટલ મ્યુઝિયમને દરવાનસિંહ મ્યુઝિયમ નામ આપવામાં આવ્યું છે.

Categories
સાંપ્રત કાર્યક્રમો

કવિ શ્રી ન્હાનલાલનાં ગીતોની પ્રસ્તુતિ

અમર ભટ્ટ

19 માર્ચ 2026, ગુરુવાર, સાંજના 5-30 વાગ્યે

સૌજન્ય : શ્રી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ

ચંદ્રકાન્ત મહેતા, કુમારપાળ દેસાઈ, પ્રફુલ્લ રાવલ, આભાસ કવિ

ટ્રસ્ટીઓ

મહાકવિ શ્રી ન્હાનાલાલ સ્મારક ટ્રસ્ટ

Categories
વાચન સમૃદ્ધિ

તોરીનો (તુરિન)

ઇટાલીનો પ્રાન્ત તથા તેનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 45° 08´ ઉ. અ. અને 7° 22´ પૂ. રે.. આ ઔદ્યોગિક શહેર આલ્પ્સ પર્વતની પૂર્વ બાજુએ આવેલાં પહોળાં અને ફળદ્રૂપ મેદાનોની વચ્ચે પાયમોન્ટ પ્રદેશમાં ‘પો’ નદીના કિનારે વસેલું છે. વિસ્તાર 130 ચોકિમી. મૂળ વસાહત તુરિનીએ વસાવી હતી. ઈ. સ. પૂ. 218માં કાર્થેનિયન આક્રમણકાર કૅનિબાલે તેનો નાશ કરેલો. ત્યાર પછી રોમન સમ્રાટ ઑગસ્ટસે 24 ખંડમાં લંબચોરસ ખૂણે ફરી બંધાવેલી. નગરની વસ્તી આશરે 8,47,287, જ્યારે મેટ્રો શહેરની વસ્તી 22 લાખ (2022, આશરે) છે. 1950 અને 1960ની વચ્ચે દક્ષિણ ઇટાલીમાંથી સ્થળાંતર કરીને આવેલી વસ્તીને કારણે શહેરની વસ્તીનું પ્રમાણ વધ્યું છે. નગરમાં ઑટોમોબાઇલ, ઍરોપ્લેન, બૉલ-બેરિંગ, રબર, કાગળ, ધાતુ, રાસાયણિક, પ્લાસ્ટિક અને ઇલેક્ટ્રોટૅકનિકલને લગતા ઉદ્યોગો ઉપરાંત ચૉકલેટ તથા દારૂ બનાવવાના ઉદ્યોગો પણ વિકસ્યા છે.

તુરિન શહેર

આ નગરની ગણતરી દેશનાં સૌન્દર્યધામોમાં થાય છે. નગરમાં પો નદીના જમણા કિનારા પર ઉદ્યાનો તથા બગીચાઓ છે. નગરની જોડેની ટેકરી પર દેવળ છે. ઉપરાંત નગરમાં ઠેરઠેર સુંદર ઇમારતો અને ચોક છે. ‘તુરિનનું કફન’ એક દેવળમાં મૂકેલું છે. આ કફનમાં જિસસ ક્રાઇસ્ટનું શબ વીંટાળેલું હતું એવી લોકોની માન્યતા છે. ચોથી શતાબ્દીમાં રોમન સામ્રાજ્યની પડતી પછી આ શહેર લૉમ્બાર્ડ સામ્રાજ્યનું અંગ બનેલું. 1536થી 1567 સુધી ફ્રેન્ચોના કબજા દરમિયાન તુરિન ‘કૅપિટલ ઑવ્ ડચી ઑવ્ સેવોય’ બન્યું. આ શહેર 1720માં સારડેનિયન સામ્રાજ્યનું બન્યું અને ઓગણીસમી સદીમાં ઇટાલીનું રાજકીય અને બૌદ્ધિક કેન્દ્ર બન્યું. 1861થી 1865 સુધી યુનાઇટેડ ઇટાલીનું પાટનગર રહ્યું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તે ભારે હવાઈ હુમલાનું નિશાન બનેલું. 1405માં લૂઈસ ઑવ્ સેવોય અકેઇઆએ યુનિવર્સિટી ઑવ્ તુરિનની સ્થાપના કરેલી. આ સિવાય અહીં તુરિન પૉલિટૅકનિક (1859), ધ ગેલેરિયા ડેલ એકૅડેમિયા આલ્બર્ટિના (1652), ધ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ બિઝનેસ ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ ઑર્ગેનાઇઝેશન સ્ટડીઝ (1935) વગેરે શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે. નગરમાં ઘણાં સમૃદ્ધ ગ્રંથાલયો પણ છે.

ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-9