Categories
વાચન સમૃદ્ધિ

સમસ્યાનો ઉકેલ

પ્રશ્નોને ઉકેલવાને બદલે એને ‘કોલ્ડ સ્ટોરેજ’માં રાખીને એકઠા કરવાની ઘણી વ્યક્તિઓને આદત હોય છે, તો કેટલીક વ્યક્તિ એવી હોય છે કે જે પોતાની રોજિંદી સમસ્યાને પણ મહાસમસ્યા તરીકે અનુભવતી હોય છે. જેમ કે કોઈની મુલાકાતે જતી વખતે દસેક મિનિટ સુધી રિક્ષા કે ઉબર ન મળે, તો વ્યક્તિ એટલી બધી અકળાઈ જાય છે કે જાણે એને એનું આખુંય જીવન સમસ્યાઓથી ઊભરાઈ ગયેલું લાગે છે. એક બીજી બાબત એ છે કે આપણી ઇંદ્રિયોને સમસ્યા સાથે પ્રગાઢ સંબંધ છે. આપણને કાનથી કોઈક વાત સાંભળવા મળે અને પછી મનમાં એ ઘૂંટાયા કરે, એમાંથી મનમાં શંકા અને દ્વેષ જાગે, બદલો લેવાની ઇચ્છા થાય અને એ બદલો લેવાની અશક્તિ કે એનું આયોજન એ તમારી સામે સમસ્યા રૂપે ખડાં થઈ જાય છે. વહેલી સવારે અખબારના સમાચારો વાંચીને તમે હળવાશ અનુભવો છો ખરા ? પ્રભાતની નવી તાજગીનો અહેસાસ થાય છે ખરો ? કે પછી જગત આખું રાજકારણની મેલી રમતોથી, આત્મહત્યા અને બળાત્કારથી, પ્રજાની પરેશાની કે પછી પરસ્પરની દુશ્મનીથી તમને ઊભરાયેલું લાગે છે ? કદાચ આ તમારી સમસ્યા ન હોય, પણ ‘જગત આખું સમસ્યાઓથી ભરેલું છે અને એમાં હું જીવી રહ્યો છું’, એવો ભાવ તો જરૂર થશે. આ સમસ્યાઓના જગતમાં જેમ જેમ વધુ જીવતા જઈએ, તેમ તેમ સમસ્યાઓથી વધુ ઘેરાતા જઈએ છીએ અને પછી જીવન આખુંય સમસ્યામય લાગે છે. આથી જ એક પછી એક સમસ્યાના ઉપાયની ખોજ કરવી જોઈએ. તમે અત્યંત સ્થૂળ શરીર ધરાવતા હશો તો રાતોરાત પાતળા થઈ શકશો નહીં. આથી એને સમસ્યારૂપ ગણીને ચાલવાને બદલે એનો ઉપાય શોધો. એના પ્રત્યે ‘નૅગેટિવ’ દૃષ્ટિએ જોવાનું બંધ કરીએ અને સમસ્યાની સામે માથું ઝુકાવી દેવાને બદલે જરા ટટ્ટાર થઈને ઊભા રહો. હતાશ, નિરાશ થઈને માથું ઢાળીને બેસી રહેનારની નિરાશા વધુ ઘેરી બને છે અને ટટ્ટાર ઊભા રહેનારના શરીરમાં એક ઊર્જા પ્રગટ થાય છે. આમ પૉઝિટિવ વિચાર કરવાથી આપણા પ્રશ્નોના એક પછી એક ઉકેલ તરફ જઈ શકીએ છીએ અને જેમ જેમ સમસ્યાને સ્વસ્થતાથી ઉકેલતા જઈએ, તેમ તેમ સમસ્યાના ઉકેલની ઘણી નવી સૂઝ અને ઉપાય પણ મળી જશે.

Categories
વાચન સમૃદ્ધિ

રાજ કપૂર

જ. 14 ડિસેમ્બર, 1924 અ. 2 જૂન, 1988

જાણીતા અભિનેતા, નિર્માતા અને દિગ્દર્શક રાજ કપૂરનું આખું નામ રણવીરરાજ પૃથ્વીરાજ કપૂર હતું. અભિનય પિતા તરફથી વારસામાં મળ્યો હતો. મૅટ્રિકમાં નાપાસ થયા પછી તેઓ ચલચિત્ર-ક્ષેત્રે આવી ગયા હતા. રણજિત સ્ટુડિયોમાં દિગ્દર્શક કેદાર શર્માના ત્રીજા મદદનીશ તરીકે તેમણે કારકિર્દીની શરૂઆત કરી. તે પછી બૉમ્બે ટૉકીઝમાં અમિય ચક્રવર્તી સાથે અને ફિલ્મિસ્તાનમાં સુશીલ મજુમદાર સાથે કામ કર્યું. તે સાથે પિતાએ સ્થાપેલા પૃથ્વી થિયેટર્સમાં પણ તેમણે મદદનીશ તરીકે ફરજ બજાવી  હતી. રાજ કપૂરે 1935માં ન્યૂ થિયેટર્સના ‘ઇન્કિલાબ’ નામના ચલચિત્રમાં બાળ-કલાકાર તરીકે કામ કર્યું હતું. નાયક (હીરો) તરીકે તેમને પ્રથમ તક પૃથ્વી થિયેટર્સના એક નાટક ‘દીવાર’માં મળી હતી તો ચલચિત્રમાં તેમને કેદાર શર્માની ફિલ્મ ‘નીલકમલ’માં તક મળી હતી. ફિલ્મ ‘આગ’માં તેમણે પહેલી વાર નરગિસ સાથે કામ કર્યું અને આ ફિલ્મથી જ નરગિસ સાથેની તેમની જોડીએ એક પછી એક  સફળ ચલચિત્રો આપ્યાં. ‘આગ’ ફિલ્મ પોતાની ચિત્રનિર્માણ સંસ્થા ‘આર. કે. ફિલ્મ્સ’ દ્વારા નિર્માણ પામી હતી. જેનું દિગ્દર્શન પણ રાજ કપૂરે જ કર્યું હતું. તેમની બીજી ફિલ્મ ‘બરસાત’ની સફળતાએ તેમને નિર્માતા-દિગ્દર્શક અને અભિનેતા તરીકે પ્રથમ હરોળમાં મૂકી દીધા હતા. અર્થપૂર્ણ ગીતો અને કર્ણપ્રિય સંગીત એમનાં ચલચિત્રોનું એક આગવું પાસું રહ્યાં છે. તેમનું ‘બૂટપોલિશ’ ચલચિત્ર અમેરિકામાં રજૂ થયું ત્યારે ખ્યાતનામ ‘ટાઇમ’ સાપ્તાહિકે તેને એક ઉત્તમ કલાકૃતિ ગણાવી હતી. ‘મેરા નામ જોકર’ તેમનું આત્મકથાત્મક અને સફળ ચલચિત્ર છે. ‘શ્રી 420’, ‘જાગતે રહો’, ‘બોબી’, ‘સંગમ’, ‘તીસરી કસમ’, ‘સત્યમ્ શિવમ્ સુન્દરમ્’, ‘જિસ દેશ મેં ગંગા બહતી હૈ’, ‘છલિયા’, ‘પ્રેમરોગ’ અને ‘રામ તેરી ગંગા મૈલી’ જેવી અનેક યાદગાર ફિલ્મ આપણને તેમની પાસેથી મળી છે. 1988માં તેમનું નિધન થયું તેના એક મહિના પહેલાં તેમને ફિલ્મજગતના શ્રેષ્ઠ પારિતોષિક દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડથી નવાજવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

તાઇપેઈ

ચીનની મુખ્ય ભૂમિની પડખે આવેલા ટાપુઓના બનેલા પ્રજાસત્તાક દેશ તાઇવાન(ફોર્મોસા)નું પાટનગર અને મોટામાં મોટું નગર. આ ટાપુના વાયવ્યે તે આશરે 25° 05´ ઉ. અ. તથા 121° 32´ પૂ. રે. પર આવેલું છે. મૂળમાં તાઇવાન અને તેને સંકલિત બીજા નાના નાના ટાપુઓ, એ ચીનનો એક અંતર્ગત ભાગ હતો, પણ 1949થી તે એક સ્વતંત્ર પ્રજાસત્તાક તરીકે અસ્તિત્વ ધરાવે છે. 1950થી આ નગરનો ઝડપી વિકાસ થયો છે, તેથી તે સમગ્ર એશિયાનાં સૌથી વધુ વિકાસ પામતાં નગરો પૈકીનું એક છે. આ નગરનું મૂળ ક્ષેત્રફળ લગભગ 67 ચોકિમી. હતું, પણ 1967માં અહીં નગરપાલિકા સ્થપાતાં આ ટાપુના સમગ્ર ઉત્તર ભાગમાં આવેલાં કી-લંગ અને તાન-શુઈ બંદરો સહિત ઘણાં ગામડાં અને કસબાઓને આ શહેરી વિસ્તારમાં સમાવી લેવામાં આવ્યાં હતાં, જેથી તેનું ક્ષેત્રફળ વધીને 272 ચોકિમી. જેટલું થયું. આ શહેરની વસ્તી 24,62,482 (મ્યુનિસિપાલિટી) 90,78,000 મહાનગર (2022) છે. વિશ્વમાં ગીચ વસ્તી ધરાવતાં નગરોમાં તેનો સમાવેશ થાય છે.

રાષ્ટ્રીય સંગ્રહાલય, તાઇપેઈ

આ નગર વ્યાપાર, ઉદ્યોગ તથા વાહનવ્યવહાર જેવી આર્થિક પ્રવૃત્તિઓમાં ટાપુનાં અન્ય નગરો કરતાં અગ્રેસર રહ્યું છે. અહીં દેશનાં અગત્યનાં સુતરાઉ કાપડનાં ઔદ્યોગિક એકમો આવેલાં છે. અહીં ખાસ કરીને વીજાણુ પુરજા અને ઉપકરણો, વિદ્યુત-યંત્રસામગ્રી અને ઉપકરણો, તાર, મોટરસાઇકલ, પ્લાસ્ટિક તથા રબરનો સરસામાન, વાતશૂન્ય ડબ્બાઓમાં પૅક કરવામાં આવતી ચીજવસ્તુઓ, નૌકા તથા જહાજ-બાંધકામ, હસ્તકૌશલ્યની વિવિધ ચીજવસ્તુઓને લગતા ઉદ્યોગો વિકસ્યા છે. તે શંગ-શાન નામનું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પણ ધરાવે છે. ત્યાં ઉત્તમ પ્રકારની જાહેર આરોગ્યવિષયક સેવાઓ ઉપલબ્ધ છે. નગરમાં પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ, તકનીકી અને વ્યવસાયલક્ષી શિક્ષણસંસ્થાઓ, ઉચ્ચશિક્ષણની સંસ્થાઓ તથા નૅશનલ તાઇવાન યુનિવર્સિટી, નૅશનલ તાઇવાન નૉર્મલ યુનિવર્સિટી અને નૅશનલ ચેંગચી યુનિવર્સિટી આવેલી છે. નગરમાં અનેક જોવાલાયક સ્થળો છે. તે પૈકીનું રાષ્ટ્રીય સંગ્રહસ્થાન ખૂબ સમૃદ્ધ છે. તેમાં હસ્તકલાકારીગરી, ચિત્રકામ, ભરતકામ, ચિનાઈ માટીનાં વાસણો તથા બીજી અનેક પ્રકારની પ્રાચીન અમૂલ્ય ચીજવસ્તુઓના લગભગ છ લાખ જેટલા નમૂના છે. આ સિવાય નગરમાં સંખ્યાબંધ ખ્રિસ્તી દેવળો તેમજ તાઓ તથા બૌદ્ધમંદિરો છે. તાઇપેઈના મધ્ય ભાગથી આશરે 16 કિમી. દૂર પર્વતની તળેટીમાં ગરમ પાણીના ઝરા છે અને આશરે 11 કિમી. દૂર ગ્રીન સરોવર આવેલું છે, જ્યાં જલવિહાર તથા જલરમતોની સુવિધાઓ છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8, તાઇપેઈ, પૃ. 751 અથવા જુઓ https://gujarativishwakosh.org/તાઇપેઈ/)