Categories
વાચન સમૃદ્ધિ

રામાનંદ સાગર

જ. 29 ડિસેમ્બર, 1917 અ. 12 ડિસેમ્બર, 2005

ફિલ્મ અને ટીવી સિરિયલ ક્ષેત્રના અગ્રણી નિર્માતા, દિગ્દર્શક, પટકથા-સંવાદલેખક અને હિંદી તથા ઉર્દૂ ભાષાના સાહિત્યસર્જક રામાનંદ સાગરનું મૂળ નામ તો ચંદ્રમૌલિ, પરંતુ મોસાળ પરિવારે દત્તક લીધા બાદ તેમને ‘રામાનંદ’ નામ આપવામાં આવ્યું હતું. પિતા દીનાનાથ ચોપરા સાહિત્યકાર હોવાથી બાળપણથી જ રામાનંદ પર સાહિત્યસર્જનના સંસ્કાર પડેલા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ લાહોર ખાતે અને ઉચ્ચશિક્ષણ તેમણે શ્રીનગરની કૉલેજમાંથી પ્રાપ્ત કર્યું હતું. સંસ્કૃત વિષય સાથે પંજાબ યુનિવર્સિટીમાંથી અનુસ્નાતકની પદવી તેમણે સુવર્ણચંદ્રક સાથે પ્રાપ્ત કરી હતી અને પર્શિયન વિષયમાં સર્વાધિક ગુણ મેળવી ‘મુનશી ફઝલ’ નામની પદવી પણ હાંસલ કરી હતી. દહેજપ્રથાનો વિરોધ કરવાના કારણસર રામાનંદ સાગરને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા, તેથી ભરણપોષણના સાધન તરીકે તેમણે પટાવાળા, ટ્રક-ક્લીનર અને સાબુના વિક્રેતા તરીકે પણ કામગીરી કરી હતી. રાત્રિના સમયે ભણવાનું ચાલુ રાખી એ જ સમયમાં ‘ડાયરી ઑવ્ અ ટીબી પેશન્ટ’ નામે એક સર્જનકથા લખી, જે ‘અદલ-એ-મશરિક’ નામના તત્કાલીન જાણીતા સામયિકમાં હપતાવાર પ્રસિદ્ધ થઈ હતી જે તેમની પ્રથમ કૃતિ તરીકે ખૂબ લોકપ્રિય નીવડી. રામાનંદ સાગર શરૂઆતમાં ‘દૈનિક પ્રતાપ’ અને ત્યારબાદ ‘દૈનિક મિલાપ’માં જોડાયા હતા. 1948માં તેમની નવલકથા ‘ઔર ઇન્સાન મર ગયા’ પ્રકાશિત થઈ, જે ખૂબ લોકપ્રિય બનેલી. 1951માં તેમણે સાગર આર્ટસ’ની સ્થાપના કરી અને તેના નેજા હેઠળ 1951થી 1985ના ગાળામાં તેમણે 50 ચલચિત્રોનું નિર્માણ કર્યું. ગુજરાતી ફિલ્મ ‘વીર માંગડાવાળો’નું નિર્માણ તેમણે કર્યું હતું. દૂરદર્શન પર સળંગ 71 હપતામાં પ્રદર્શિત થયેલી દૃશ્ય-શ્રાવ્ય શ્રેણી ‘રામાયણ’ (1986-88) દેશ-વિદેશના કરોડો લોકોએ નિહાળી અને ખૂબ લોકપ્રિય રહી. ભારત સરકારે 2001માં તેમને પદ્મશ્રીથી નવાજ્યા હતા અને જમ્મુ યુનિવર્સિટીએ તેમને માનદ્ ડૉક્ટરેટની પદવી પણ અર્પણ કરી હતી.

Categories
વાચન સમૃદ્ધિ

કિંગ ઑફ રૉક ઍન્ડ રૉલ

અમેરિકાના મિસિસિપિના ટુપેલો ગામના એક નિર્ધન પરિવારમાં એલ્વિસ પ્રૅસ્લે(ઈ. સ. 1935-1977)નો જન્મ થયો હતો. એના અગિયારમા જન્મદિવસે એને તીવ્ર ઇચ્છા હતી કે એની માતા ગ્લાડિસ જન્મદિનની ભેટ રૂપે એને સાઇકલ કે રાઇફલ ભેટ આપે, પરંતુ એની ગરીબ માતા પાસે આમાંથી એકે વસ્તુ ખરીદવાના પૈસા નહોતા. બે રૂમમાં રહેતું આ કુટુંબ પાડોશીઓની મદદ પર અને સરકારી ભોજન-સહાય પર ગુજરાન ચલાવતું હતું. માતાએ સાઇકલને બદલે એલ્વિસ પ્રૅસ્લેને ગિટાર ભેટ આપી. એલ્વિસ પ્રૅસ્લેને અત્યંત દુ:ખ થયું. એમ પણ લાગ્યું કે સાઇકલ હોત તો ફરવાની કેવી મજા પડત. પરંતુ એ પછી એણે મન મનાવીને ગિટારને પોતાની સાથી બનાવી દીધી. રાતદિવસ એ ગિટાર વગાડવા લાગ્યો અને સમય જતાં એનામાં એટલો બધો સંગીતપ્રેમ જાગ્યો કે મહાન ગાયક બનવાનાં સ્વપ્નાં સેવવા લાગ્યો. અગિયારમા વર્ષે ગિટારની ભેટ આપનારી માતા ગ્લાડિશને હવે કઈ ભેટ આપવી ? એણે ખૂબ મહેતનથી એક રેકૉર્ડ તૈયાર કરી અને માતાને જન્મદિવસની ભેટ રૂપે આપી. પોતાના પુત્રની આકરી મહેનત જોઈને એની માતાએ કહ્યું, ‘બેટા, ભલે તું ગરીબ પરિવારમાં જન્મ્યો હોય, પરંતુ એકે બાબતમાં પાછો પડે તેવો નથી. મને દૃઢ વિશ્વાસ છે કે જરૂર આખી દુનિયામાં તારી નામના થશે.’ માતાના શબ્દોએ એનામાં આત્મવિશ્વાસ જગાડ્યો. 19 વર્ષના એલ્વિસ પ્રૅસ્લેને 1954માં નિર્માતા સામ ફિલિપની સન રેકૉર્ડ્ઝ કંપનીમાં એક ગીત ગાવાની તક મળી. વાત એવી હતી કે સન રેકૉર્ડ કંપનીના માલિક સામ ફિલિપ એક એવા શ્વેત વર્ણના સ્ટેજ ગાયકની તલાશમાં હતા કે જેનો અવાજ નિગ્રો જેવો હોય. એલ્વિસ પ્રૅસ્લેએ ગાયું અને એ ગીત સામ ફિલિપને અત્યંત પ્રસંદ પડ્યું. બસ, પછી તો પૂછવું જ શું ? એલ્વિસ પ્રૅસ્લે સામ ફિલિપ સાથે જોડાઈ ગયો અને એની એક પછી એક અત્યંત લોકપ્રિય રેકૉર્ડ બહાર પડવા લાગી. એ વિશ્વપ્રસિદ્ધ ગાયક, ગીતલેખક અને અભિનેતા બન્યો. યુવાનોના હૃદય પર છવાઈ ગયો. સંગીતની દુનિયાનો એ સૌથી ધનવાન ગાયક બન્યો અને એથીય વિશેષ તો એને સહુ ‘કિંગ ઑફ રૉક ઍન્ડ રૉલ’ તરીકે અથવા તો ‘કિંગ’ તરીકે ઓળખવા લાગ્યા અને વીસમી સદીનો એક પ્રભાવશાળી કલ્ચરલ ‘આઇડોલ’ બની રહ્યો.

Categories
વાચન સમૃદ્ધિ

વિજય આનંદ ગજપતિ રાજુ

જ. 28 ડિસેમ્બર, 1905 અ. 2 ડિસેમ્બર, 1965

ભારતીય ક્રિકેટ ખેલાડી અને ‘વિઝી’ના હુલામણા નામથી ઓળખાતા મહારાજકુમાર ઑફ વિજયાનગરમના રાજવીનું પૂરું નામ રસ વિજય આનંદ ગજપતિ રાજુ હતું. તેમણે અજમેરની માયો કૉલેજ અને ઇંગ્લૅન્ડની હેલીબરી ઍન્ડ ઇમ્પીરિયલ સર્વિસ  કૉલેજમાં અભ્યાસ કર્યો. તેઓ ટેનિસ અને ક્રિકેટના ખેલાડી હતા. તેમણે 1926માં તેમની ક્રિકેટટીમ બનાવી તેમાં ભારતીય અને વિદેશી ખેલાડીઓની ભરતી કરી. 1936માં ઇંગ્લૅન્ડના પ્રવાસે ગયેલી ભારતીય ક્રિકેટટીમના તેઓ કૅપ્ટન હતા. ત્રણ ટેસ્ટમૅચોમાંથી બે મૅચ હાર્યા અને એક ટેસ્ટમૅચ ડ્રૉ થઈ હતી. તેમણે આ પ્રવાસમાં ક્રિકેટર લાલા અમરનાથને અશિસ્તભર્યા વર્તન માટે ભારત પાછા મોકલ્યા હતા. આથી ક્રિકેટજગતમાં હલચલ મચી ગઈ હતી. તેમણે દિલ્હીના ફિરોજશાહ કોટલા મેદાનમાં વાઇસરૉય લૉર્ડ વિલિંગ્ડન નામ પરથી એક પેવેલિયનનું દાન આપ્યું હતું. તેમના  પ્રોત્સાહનથી કાનપુર ટેસ્ટ ક્રિકેટનું કેન્દ્ર બન્યું. તેઓ 1954થી 1957 સુધી BCCIના પ્રમુખ હતા અને વર્ષો સુધી ઉપપ્રમુખ તરીકે પણ સેવા આપી હતી. તેમના આમંત્રણને માન આપી સી. કે. નાયડુએ 1956-57માં ઉત્તરપ્રદેશની ટીમનું નેતૃત્વ કર્યું હતું. તેમણે 1948-49માં વેસ્ટ ઇન્ડીઝ સામેની શ્રેણીથી રેડિયો કૉમેન્ટરી આપવાનું શરૂ કર્યું હતું. 1959માં તેઓ ભારતના ઇંગ્લૅન્ડપ્રવાસ વખતે બીબીસી માટે મહેમાન કૉમેન્ટેટર હતા. તેઓ મૅચનું જીવંત વર્ણન કરવા કરતાં મૅચની આલોચના કરવા માટે વધુ પ્રસિદ્ધ હતા. તેઓ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમથી લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. 1944માં બનારસ યુનિવર્સિટીએ તેમને માનદ ડૉક્ટર ઑફ લૉની ડિગ્રી આપી હતી. તેમની યાદમાં એક આંતર ઝોનલ યુનિવર્સિટી ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિઝી ટ્રૉફી આપવામાં આવે છે. 1958માં ભારત સરકારે તેમને પદ્મભૂષણથી સન્માનિત કર્યા હતા.