Categories
વાચન સમૃદ્ધિ

અભયારણ્ય

વન્ય પ્રાણીઓના ભયમુક્ત વિહાર અને નિસર્ગ તથા વનસંપત્તિના જતન અને રક્ષણ માટેનું અનામત સ્થળ કે વિસ્તાર. ભારતના બંધારણમાં વન્ય જીવનને બચાવવા માટેની જોગવાઈ કરવામાં આવેલી છે. તે પ્રમાણે દેશની નૈસર્ગિક વનસંપત્તિ અને પ્રાણીસૃષ્ટિનાં જતન અને સંરક્ષણ માટે ખાસ રક્ષિત વિસ્તારો જાહેર કરવામાં આવ્યા છે. તે વિસ્તારો અભયારણ્ય તથા રાષ્ટ્રીય ઉદ્યાનો તરીકે ઓળખાય છે. આ જોગવાઈને આધારે ત્યાં વસતા વન્ય જીવોને પૂરતું રક્ષણ મળે છે. આ માટેની કાયદાકીય જોગવાઈનું ઉલ્લંઘન કરનારને સજા થાય છે. વન અને વનમાંની પ્રાણીસૃષ્ટિ ભારતની અણમોલ રાષ્ટ્રીય સંપત્તિ છે. માનવ, પશુ-પક્ષી, વનસ્પતિ એકબીજાં સાથે એવા સંબંધોથી બંધાયેલાં છે કે વનસ્પતિ કે પશુ-પક્ષીઓને નુકસાન થાય અથવા તેમનો નાશ થાય, તો તેની વિપરીત અસર મનુષ્યજાતિ પર પણ થાય છે. આથી જ અમુક પ્રાણી અથવા વનસ્પતિની કોઈ જાત નામશેષ થવાની સ્થિતિમાં જોવા મળે તો સમજવું કે પર્યાવરણ વિકૃત બનતું જતું હોવાનો તેમાં સંકેત છે. આથી જ વન્ય જીવજાતિઓની જાણકારી, તેમનો અભ્યાસ, તેમની જાળવણીની માહિતી વગેરે ધ્યાનમાં રાખીને જ દેશના વિકાસની યોજના ઘડાય છે.

કૉર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન

ભારતમાં અત્યારે ૫૫૬ અભયારણ્યો અને ૧૦૪ રાષ્ટ્રીય ઉદ્યાનો છે. બધાં જ રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો એકસરખાં નથી. કેટલાંક ખાસ પ્રાણીઓની જાળવણી માટે છે; જેમ કે, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન તથા અભયારણ્ય સિંહની જાળવણી માટે છે. ત્યાં સિંહ ઉપરાંત જોવા મળતાં બીજાં પ્રાણીઓમાં દીપડા, ચિત્તલ, સાબર, નીલગાય, ચૌશિંગા, ચિંકારા, જંગલી ભુંડ, જરખ તેમ જ વિવિધ પક્ષીઓનો સમાવેશ થાય છે. સૌરાષ્ટ્રના પૂર્વ ભાગમાં આવેલા વેળાવદરમાં અભયારણ્યનું મુખ્ય પ્રાણી કાળિયાર છે. મધ્યપ્રદેશમાં આવેલું કાન્હા તથા ઉત્તરાંચલમાં આવેલું કૉર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન ત્યાંના વન્ય જીવોની વિવિધતા તથા વિપુલતા માટે જાણીતાં છે. કાન્હામાં વાઘ, દીપડા, ચિત્તલ, સાબર, બારાસિંગ, જંગલી ભુંડ, મુંટજેક, કાળિયાર, ચૌશિંગા, જરખ, રીંછ વગેરે પશુઓ અને પક્ષીઓની ૨૦૦ જાતિઓ જોવા મળે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, અભયારણ્ય, પૃ. 34)

Categories
વાચન સમૃદ્ધિ

અમિયભૂષણ મજુમદાર

જ. 22 માર્ચ, 1918 અ. 8 જુલાઈ, 2001

બંગાળી ભાષાના ખ્યાતનામ નવલકથાકાર. તેમનો જન્મ બ્રિટિશ ઇન્ડિયાના સમયના કૂચબિહાર જિલ્લા(હાલમાં પશ્ચિમ બંગાળ)માં બંગાળી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. 1937માં તેઓએ સ્કોટિશ ચર્ચ કૉલેજ, કલકત્તા યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાનો આરંભ કર્યો, પણ ગંભીર માંદગીને લીધે તેમને કૂચબિહાર પાછા આવવું પડ્યું. થોડા મહિના બાદ તેઓ વિક્ટોરિયા કૉલેજ(હાલમાં આચાર્ય બ્રિજેન્દ્રનાથ સીલ કૉલેજ)માં દાખલ થયા અને 1939માં અંગ્રેજી વિષયમાં ઑનર્સ સાથે બી.એ.ની ઉપાધિ મેળવી. અંગ્રેજી ઉપરાંત ગણિતશાસ્ત્ર, ઇતિહાસ, ભૂગોળ, સંસ્કૃત, ફિલૉસૉફી અને કાયદાશાસ્ત્રમાં પણ તેમની સારી હથોટી હતી. કુટુંબની આર્થિક પરિસ્થિતિને કારણે તેમણે કૂચબિહાર હેડ પોસ્ટઑફિસમાં નોકરી લેવી પડી અને તેજસ્વી શૈક્ષણિક કારકિર્દીને તિલાંજલી આપવી પડી. તેઓ મજૂરસંઘની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા રહ્યા અને સાથે સાથે લેખનપ્રવૃત્તિ પણ ચાલુ  રાખી. તેઓ એક શક્તિશાળી લેખક હોઈ યુવાન લેખકોના પ્રેરણાસ્રોત બની રહ્યા. 1961માં તેમણે ચાર ટૂંકી વાર્તાઓથી લેખનનો પ્રારંભ કર્યો. ત્યારબાદ ‘રાણી ઇન્દુમતી’, ‘મોહિત સેનેર ઉપાખ્યાન’, ‘અંધકાર’, ‘સ્વર્ણસીતા’, ‘સત્ આચાર’ અને ‘મૃણ્મયી ઑપેરા’ જેવી અનેક વાર્તાઓ દ્વારા આદર્શવાદના અનુસંધાનમાં વાચકોને જોડવા પ્રયત્ન કર્યો. તેમની નોંધપાત્ર નવલકથાઓમાં ‘નીલ ભૂંઈયા’, ‘ગાર શ્રીખંડ’, ‘રાજનગર’, ‘દુખિયાર કુઠિ’, ‘નિર્વાસ’, ઉદ્વાસ્તુ’, ‘માહિષ્કુરાર ઉપકથા’, ‘વિલાસ વિનય વેદના’ તથા ‘ચાંદ બેને’નો સમાવેશ થાય છે. તેમની નવલકથાઓ ઐતિહાસિક નથી છતાં ઇતિહાસની અસર જોવા મળે છે.  તેમના સાહિત્યમાં સમાજજીવનનું સાચું પ્રતિબિંબ જોવા મળે છે. તેમની શૈલી બૌદ્ધિક પ્રભાવથી છટાદાર અને આકર્ષક લાગે છે. તેમના આવા વિશિષ્ટ પ્રદાન બદલ તેમને ઘણા પુરસ્કાર પ્રાપ્ત થયા છે. 1972માં ત્રિવૃત પુરસ્કાર, 1984માં ઉત્તર બંગ સંવાદસાહિત્ય પુરસ્કાર, 1986માં પશ્ચિમ બંગાળ સરકારનો બંકિમ પુરસ્કાર તથા તે જ વર્ષમાં નવલકથા ‘રાજનગર’ માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત કરવામાં આવેલા. આ ઉપરાંત કલકત્તા યુનિવર્સિટી, કલ્યાણી યુનિવર્સિટી, યુનિવર્સિટી ઑફ નૉર્થ બૅંગાલ દ્વારા માનદ ડી.લિટ.ની ઉપાધિ પણ આપવામાં આવી હતી.

Categories
વાચન સમૃદ્ધિ

ત્રિંકોમાલી

શ્રીલંકાનું પૂર્વ પ્રાંતનું જિલ્લામથક અને મહત્ત્વનું બંદર. ભૌગોલિક સ્થાન : 8° 34´ ઉ. અ. અને 81° 14´ પૂ. રે.. વિસ્તાર : 2727 ચોકિમી.. વસ્તી : 1,09,000 જેટલી (2026, આશરે) છે. તે કોલંબોથી ઈશાન ખૂણે 230 કિમી. દૂર આવેલું છે. તેનું પ્રાચીન નામ ગોકન્ના છે. તેનું બારું ત્રિંકોમાલીના ઉપસાગર ઉપર આવેલા દ્વીપકલ્પ ઉપર છે. અગાઉ તે કોડ્ડિયાર તરીકે જાણીતું હતું. તેનો અર્થ નદીના ઉપસાગર ઉપરનો કિલ્લો છે. ત્રિંકોમાલીનું બારું દુનિયાનાં ઉત્તમ કુદરતી બારાં પૈકીનું એક છે. તે 8° ઉ. અ. નજીક હોવાથી ઉનાળા અને શિયાળાના તાપમાનમાં બહુ ઓછો તફાવત રહે છે. બારે માસ હવા ભેજવાળી અને ગરમ રહે છે. તેમ છતાં સમુદ્રના સામીપ્યને લીધે આબોહવા સમધાત રહે છે. નૈઋત્ય અને ઈશાની મોસમી પવનો ઉનાળા અને શિયાળામાં આશરે 1000 મિમી. વરસાદ આપે છે. કિનારાના પ્રદેશમાં નાળિયેરીનાં વૃક્ષો છે, જ્યારે સપાટ પ્રદેશમાં ડાંગરનો પાક બે વખત લેવાય છે. લોકોનો મુખ્ય વ્યવસાય ખેતીવાડી અને પશુપાલન છે, જ્યારે મચ્છીમારી ગૌણ વ્યવસાય છે. મોતી આપતી ઑઇસ્ટર માછલી અહીં ક્વચિત્ જોવા મળે છે.

ત્રિંકોમાલીનું વિહંગાવલોકન

ત્રિંકોમાલી રેલવેનું ટર્મિનસ છે અને લંકાનાં અગત્યનાં શહેરો સાથે રેલ તથા માર્ગો દ્વારા જોડાયેલું છે. 1960થી કોલંબો ખાતે સ્ટીમરની ભારે અવરજવર રહેતી હોવાથી અને લાંબો વખત સ્ટીમરને બારા બહાર રાહ જોવી પડતી હોવાથી ત્રિંકોમાલી ખાતે માલસામાનની ચડઊતર અગાઉ કરતાં વધી છે. અહીં વિમાની મથક પણ છે. ચાની નિકાસ નોંધપાત્ર પ્રમાણમાં થાય છે, ચામડાં તથા સૂકી માછલીની નિકાસ થોડા પ્રમાણમાં થાય છે. પ્રાચીન કાળમાં ઇન્ડો-આર્યન આગંતુકોની પ્રમુખ વસાહત અહીં હતી. ઈ. સ. પૂ. 543થી તામિલ લોકો અહીં વસે છે. તેમણે દ્વીપકલ્પને છેડે 1000 સ્તંભોવાળું મંદિર બાંધ્યું હતું. પોર્ટુગીઝો અહીં સૌપ્રથમ સોળમી સદીમાં આવ્યા હતા. ઈ. સ. 1622માં આ મંદિરનો તેમણે નાશ કર્યો હતો અને તેના સ્થાને તેના પથ્થરોથી કિલ્લો બાંધ્યો હતો. 1639માં પોર્ટુગીઝોને હરાવીને ડચો અહીં આવ્યા હતા. તેમણે 1676માં ફૉર્ટ ફેડરિક બાંધ્યો હતો. ફ્રેન્ચો અને અંગ્રેજો વચ્ચે અઢારમી સદી દરમિયાન ભારતના કોરોમાંડલ કિનારા ઉપર પ્રભુત્વ જમાવવા માટે અનેક યુદ્ધો થયાં હતાં. અંગ્રેજોએ 1795માં ત્રિંકોમાલી ડચો પાસેથી જીતી લીધું હતું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 1942માં સિંગાપોરના પતન પછી અહીં ગ્રેટ બ્રિટને નૌકામથક સ્થાપ્યું હતું અને મ્યાનમાર અને મલાયામાંનાં જાપાનનાં લશ્કરી મથકો ઉપર યુ.એસ.નાં યુદ્ધવિમાનો અહીંથી હુમલો કરતાં હતાં. 1948માં શ્રીલંકા સ્વતંત્ર થયું છતાં આ લશ્કરી મથક બ્રિટનની હકૂમત નીચે તે અંગે થયેલા સંરક્ષણકરાર મુજબ 1957 સુધી રહ્યું હતું. સંરક્ષણકરાર રદ કરીને શ્રીલંકાની સરકારે આ મથકનો કબજો લીધો (1957).

ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-9