Categories
વાચન સમૃદ્ધિ

હેન્રી કિસિંજર

જ. ૨૭ મે, ૧૯૨૩ અ. ૨૯ નવેમ્બર, ૨૦૨૩

એક અમેરિકન રાજદ્વારી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે જાણીતા હેન્રી કિસિંજરનો જન્મ જર્મનીના બાવેરિયાના ફર્થમાં થયો હતો. તેમનાં માતાનું નામ પૌલા અને પિતાનું નામ લૂઈસ હતું. વૉશિંગ્ટન હાઇટ્સ, મેનહટનમાં જર્મન-અમેરિકન સમુદાયમાં હાઈસ્કૂલનાં વર્ષો પસાર કર્યાં બાદ તેમણે ન્યૂયૉર્કની સિટી કૉલેજમાં એકાઉન્ટિંગનો અભ્યાસ કર્યો હતો. તેમણે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન યુ.એસ. આર્મીમાં સેવા આપી હતી. યુદ્ધ બાદ તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો, જ્યાં તેમણે  શૈક્ષણિક રીતે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. બાદમાં તેઓ યુનિવર્સિટીમાં પ્રોફેસર બન્યા અને પરમાણુ શસ્ત્રો તેમજ વિદેશનીતિના નિષ્ણાત તરીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામ્યા. રાષ્ટ્રપતિ નિકસન દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને બાદમાં રાજ્યના સચિવ તરીકે નિયુક્ત થયા તે પહેલાં તેમણે સરકારી એજન્સીઓ, થિંક ટૅન્ક, નેલ્સન રોકફેલર અને નિકસનના રાષ્ટ્રીય કક્ષાના વિવિધ અભિયાનોમાં સલાહકાર તરીકે કામ કર્યું હતું. રિયલ પોલિટિક ક્ષેત્રે જાણીતા અને ભૂરાજનીતિ પ્રત્યે વ્યાવહારિક અભિગમના હિમાયતી એવા હેન્રી કિસિંજરે સોવિયેત યુનિયન સાથે અટકાયત નીતિનો પાયો નાખ્યો હતો અને ચીન સાથે સંબંધો શરૂ કર્યા હતા. યોમ કિપ્પુર યુદ્ધનો અંત લાવવા માટે મધ્યપૂર્વમાં ‘શટલ ડિપ્લોમસી’માં વ્યસ્ત રહી તેમણે પૅરિસ શાંતિ કરારો માટે જરૂરી વાટાઘાટો કરી હતી. જેને લીધે વિયેટનામ યુદ્ધમાં અમેરિકન સંડોવણીનો અંત આવ્યો હતો. આથી ઘણા અમેરિકન વિદ્વાનો તેમને એક અસરકારક સેક્રેટરી ઑફ સ્ટેટ માનતા હતા. ૨૦૦૨માં ભારતની મુલાકાત લીધી હતી. સરકાર છોડ્યા પછી કિસિંજરે, કિસિંજર ઍસોશિયેટ્સની સ્થાપના કરી હતી, જે એક આંતરરાષ્ટ્રીય ભૂ-રાજકીય સલાહકાર કંપની છે જે તેમણે ૧૯૮૨થી મૃત્યુપર્યંત ચલાવી હતી. તેમણે રાજદ્વારી ઇતિહાસ અને આંતરરાષ્ટ્રીય સંબંધો પર એક ડઝનથી વધુ પુસ્તકો લખ્યાં છે. હેન્રી કિસિંજરને તેમની લશ્કરી સેવાઓ માટે બ્રૉન્ઝ સ્ટાર નામના પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. ૧૯૭૩ના નોબેલ શાંતિ પુરસ્કારથી પણ તેઓ વિભૂષિત થયા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

અંગત સ્નેહનો સ્પર્શ

ચાર વખત અને બાર વર્ષ સુધી પદે રહેનાર અમેરિકાના પ્રમુખ ફ્રેન્કલિન રૂઝવેલ્ટ(૧૮૮૨થી ૧૯૪૫)નો અંગત સચિવ પ્રમુખની એક આદતથી  પરેશાન થઈ ગયો. સચિવ ડિક્ટેશન લઈને પત્ર ટાઇપ કરીને રૂઝવેલ્ટની પાસે લાવતો, ત્યારે રૂઝવેલ્ટ કાં તો એમાં કોઈ સુધારો કરતા અથવા તો એમાં કશુંક સુધારીને લખતા, ક્યારેક તો થોડું નવું લખાણ લખીને ટાઇપ કરેલા કાગળ સાથે જોડી દેતા. સચિવને એમ થાય કે રૂઝવેલ્ટ શા માટે પત્ર લખાવતાં પૂર્વે મનમાં વિગતો વ્યવસ્થિત ગોઠવીને લખાવતા નથી. આમ વારંવાર બનતું હતું. એક વાર સચિવે પત્ર લખ્યો. ટાઇપ કરીને રૂઝવેલ્ટ પાસે હસ્તાક્ષર લેવા આવ્યો એટલે રૂઝવેલ્ટે એમાં એક-બે વાક્યોનો ઉમેરો કર્યો. સચિવ અકળાઈ ઊઠ્યો. એણે હિંમત કરીને પૂછી લીધું,  ‘આપ પત્રમાં જે લખાવવા માંગતા હો, તે ડિક્ટેશનમાં જ કેમ લખાવી દેતા નથી ? ટાઇપ કરેલા કાગળમાં આવું હાથ-લખાણ સારું લાગતું નથી. આ સાંભળી પ્રમુખ રૂઝવેલ્ટ હસ્યા અને પ્રેમથી બોલ્યા,  ‘દોસ્ત ! આ  માન્યતા તારી ભૂલભરેલી છે. ટાઇપ કરેલા કાગળમાં હું સ્વ-હસ્તાક્ષરમાં કંઈ લખું, તો તે પત્રને બગાડનારી બાબત નથી, પરંતુ એની શોભા વધારનારી છે. મારા હસ્તાક્ષરમાં લખાયેલા આ શબ્દો જોઈને એ વ્યક્તિને એમ થશે કે આ માત્ર ઔપચારિક પત્ર નથી. એને એમ લાગશે કે રાષ્ટ્રપતિએ જાતે લખીને એના પ્રત્યે ખાસ સ્નેહ દાખવ્યો છે. આમ હસ્તાક્ષરમાં થોડું લખવાથી એ પત્ર આત્મીય અને સૌહાર્દપૂર્ણ બને છે.  પ્રમુખનો અંગત સચિવ આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયો અને એના મનમાં રૂઝવેલ્ટ પ્રત્યેનો આદર વધી ગયો. અમેરિકાના પ્રમુખનો હોદ્દો ધારણ કરનારી વ્યક્તિ અન્યની લાગણીની કેટલી બધી માવજત કરે છે, એ જોઈને આશ્ચર્ય થયું. પોલિયોને કારણે શારીરિક તકલીફો ધરાવતા ફ્રેન્કલિન રૂઝવેલ્ટ ૧૯૩૨, ૧૯૩૬, ૧૯૪૦ અને ૧૯૪૪માં ડેમૉક્રૅટિક પક્ષ તરફથી પ્રમુખપદના ઉમેદવાર તરીકે ચૂંટાયા અને અમેરિકાના રાજકીય ઇતિહાસમાં ચાર વખત પ્રમુખપદે ચૂંટાનાર સર્વપ્રથમ અને એકમાત્ર વ્યક્તિ છે.

Categories
વાચન સમૃદ્ધિ

ચીનુભાઈ માધવલાલ બૅરોનેટ

જ. ૨૬ મે, ૧૮૬૪ અ. ૩ માર્ચ, ૧૯૧૬

બ્રિટિશ ભારતના પ્રથમ હિંદુ બૅરોનેટ, અમદાવાદના દાનવીર ઉદ્યોગપતિ ચીનુભાઈનો જન્મ અમદાવાદમાં માધવલાલ રણછોડલાલ તથા રેવાબાઈને ત્યાં નાગર બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. ગુજરાતના મિલઉદ્યોગના પિતા રાવબહાદુર રણછોડલાલ છોટાલાલના તેઓ પૌત્ર થાય. ૧૮૮૨માં મૅટ્રિકની પરીક્ષા પાસ કરીને કૉલેજમાં જોડાયા. તેઓ ગુજરાતી, ફારસી, સંસ્કૃત અને અંગ્રેજી ભાષામાં પારંગત હતા. થોડા સમય બાદ કૉલેજનો અભ્યાસ છોડીને દાદા સાથે શાહપુર મિલમાં જોડાયા અને ધંધાનો અનુભવ મેળવ્યો. ૧૮૯૮માં દાદાનું અને ત્યારબાદ પિતાનું અવસાન થવાથી બધી જવાબદારી પોતે સંભાળી લીધી. તેમણે પોતાના વહીવટ હેઠળની ત્રણ મિલોને પ્રથમ પંક્તિની બનાવી. તેમણે ઇજિપ્શિયન રૂમાંથી ૧૦૦ કાઉન્ટ જેટલું ઊંચી જાતનું સૂતર કાંતવાની રીત શરૂ કરી. તેમને અમદાવાદ મિલમાલિક ઍસોસિયેશનના પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે પણ ફરજ બજાવી હતી. ચીનુભાઈ દાનવીર પણ હતા. તેમણે મુખ્યત્વે શિક્ષણક્ષેત્રે દાન કરેલાં છે. તેમણે કરેલી સખાવતો વીસમી સદીના આરંભનાં વરસોમાં કરવામાં આવી હતી, જે તે સમયે ઘણી મોટી રકમો ગણાતી હતી. તેમણે આર. સી. ટૅકનિકલ ઇન્સ્ટિટ્યૂટ, આર. સી. હાઈસ્કૂલ ઉપરાંત અનેક શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મિક સ્થળો, આરોગ્યક્ષેત્રે તેમજ પુસ્તકાલય માટે દાન આપ્યું છે. સંસ્કૃત સાહિત્ય અને વેદાંતમાં રસ ધરાવનાર ચીનુભાઈએ વારાણસી, હરદ્વાર અને દક્ષિણ ભારતનાં ધાર્મિક સ્થળોમાં પણ સખાવતો કરી હતી. તેમનાં સેવાકાર્યોની કદર કરીને બ્રિટિશ સરકારે ૧૯૦૭માં સી.આઈ.ઈ.(CIE)નો  ખિતાબ આપ્યો હતો. ૧૯૧૧માં તેમને ‘નાઇટ(સર)નો ઇલકાબ આપવામાં આવ્યો હતો. ૧૯૧૩માં તેમને બૅરોનેટનો ખિતાબ મળ્યો હતો.