શારદા મુખરજી


જ. ૨૪ ફેબ્રુઆરી, ૧૯૧૯ અ. ૬ જુલાઈ, ૨૦૦૭

રાજકીય ક્ષેત્રે સફળ મહિલા અને ગુજરાતનાં પૂર્વરાજ્યપાલ શારદા મુખરજીનો જન્મ મુંબઈમાં મરાઠી પરિવારમાં થયો હતો. તેઓ સામાજિક કાર્યકર અને લોકસભાનાં પૂર્વસદસ્ય હતાં. પિતા પ્રતાપ સીતારામ પંડિત અને માતા સરસ્વતી પંડિત. તેમનો પરિવાર વર્ષો સુધી રાજકોટમાં વસવાટ કરતો.

તેમણે પ્રારંભિક શિક્ષણ રાજકોટમાં લીધું. ત્યારબાદ એલ્ફિન્સ્ટન કૉલેજ, મુંબઈ અને લૉ કૉલેજ, મુંબઈમાં ઉચ્ચશિક્ષણ લીધું. બીજા વિશ્વયુદ્ધ પહેલાં તેમણે ઍરફોર્સ અધિકારી સુબ્રતો મુખરજી સાથે લગ્ન કર્યાં. તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ ઍર ચીફ માર્શલ હતા. ૧૯૬૧માં ટોકિયો ખાતે શાહી ભોજનસમારંભ દરમિયાન સુબ્રતો મુખરજીનું અચાનક અવસાન થયું. ત્યારબાદ શારદા મુખરજી કૉંગ્રેસમાં જોડાયાં અને રાજકારણમાં સક્રિય બની ગયાં. મહારાષ્ટ્રના રત્નાગિરિ મતદાર મંડળમાંથી લોકસભા માટે તેઓ ચૂંટાયાં(૧૯૬૨-૬૭). તે જ મતદાર મંડળમાંથી ૧૯૬૭માં ફરી વાર કૉંગ્રેસના ઉમેદવાર તરીકે લોકસભામાં ચૂંટાયાં, પરંતુ ૧૯૭૧ની સામાન્ય ચૂંટણીમાં તેમનો પરાજય થયો. ૧૯૭૭-૭૮ દરમિયાન તેઓ આંધ્રપ્રદેશનાં રાજ્યપાલ બન્યાં. ૧૯૭૮-૮૩ દરમિયાન તેઓએ ગુજરાતનાં રાજ્યપાલ તરીકે સેવાઓ આપી. બંને રાજ્યોમાં પ્રથમ મહિલારાજ્યપાલ અને કુશળ વહીવટકર્તા તરીકે તેમણે ખૂબ લોકપ્રિયતા પ્રાપ્ત કરી. તેઓ યોજના આયોગમાં સંરક્ષણ બાબતોની અધ્યયન ટીમનાં સભ્ય તરીકે પણ રહી ચૂક્યાં હતાં. લોકસભાના સભ્યપદે હતાં ત્યારે તેમણે ઇંગ્લૅન્ડ, પ. જર્મની અને સેનેગલમાં ભારતીય સંસદીય પ્રતિનિધિ મંડળના નેતા તરીકે મુલાકાતો લીધી. તેમણે નૅશનલ શિપિંગ બોર્ડ, નાની બચત યોજનાના સલાહકાર મંડળ તથા ભારતીય હવાઈ દળની કલ્યાણ સમિતિની કારોબારીનાં સદસ્ય તેમજ ‘ચેતના’નાં પ્રમુખ તરીકે સેવાઓ આપી.

શુભ્રા દેસાઈ

સામેની વ્યક્તિને પહેલો દાવ


આપો =========================

પોતાની વાતને આવેશ આગ્રહપૂર્વક પ્રસ્તુત કરતી વ્યક્તિ બીજાને પોતાની વાત સમજાવવામાં ભાગ્યે જ સફળ થતી હોય છે. તમારો વિચાર અન્ય કોઈ વ્યક્તિ સ્વીકારે એમ ઇચ્છતા હો, તો પહેલાં તમારે શાંત ચિત્તે, એકાગ્રતાથી એ વ્યક્તિના વિચારો સાંભળવા જોઈએ. તમે એનું હૃદગત્ જાણી શકશો અને એની દલીલ કે એનાં કારણો સમજવા મળશે. આવે સમયે મોટા ભાગની વ્યક્તિઓ અધવચ્ચેથી જ એ દલીલ કે કારણોને તોડીને પોતાની વાત રજૂ કરતી હોય છે. આ આક્રમણ એવું જોખમી છે કે જેને પરિણામે સામી વ્યક્તિ તમારી વાત સ્વીકારે એવી કોઈ શક્યતા રહેતી નથી. આથી અન્ય વ્યક્તિને બરાબર સાંભળવી, એનો મુદ્દો કે વિચાર સમજવાનો સાચા દિલથી પ્રયાસ કરવો અને પછી તમારી વાત રજૂ કરવી. આમ પહેલો દાવ સામી વ્યક્તિને આપવો જોઈએ, પછી તમારે દાવમાં ઊતરવું જોઈએ. પરંતુ આપણે ત્યાં બને છે એવું કે વ્યક્તિ પોતે પહેલો દાવ આંચકી લે છે અને તેમને પરિણામે સામસામી દલીલબાજી, વિરોધ કે વિસંવાદ સિવાય બીજું કશું રહેતું નથી. સામી વ્યક્તિને સાંભળવાથી એની સાથે એક પ્રકારનો સેતુ બંધાશે. એ વ્યક્તિને પણ એમ લાગશે કે તમે એના વિચારોને આદર આપો છો. એને સમજવા કોશિશ કરો છો. આમ કરીને તમે એનો સાથ મેળવી શકશો, પરંતુ તમારી જ દલીલો જોરશોરથી રજૂ કરીને સામી વ્યક્તિને પરાજિત કરવા ચાહતા હશો, તો તમે જ અંતે પરાજિત થઈ જશો. સામી વ્યક્તિના મુદ્દાઓ સાંભળ્યા પછી એમાંથી જરૂરી મુદ્દાઓ સ્વીકારવા જોઈએ. તમારા સ્વીકારની વાત પણ પ્રગટપણે કરવી જોઈએ. એ પછી જ્યાં વિરોધી વિચાર હોય ત્યાં પણ પહેલાં એના વિચારનો આદર કરીને પછી પોતાની વાત મૂકવી જોઈએ. એવું પણ બને કે તમારા બધા જ મુદ્દાઓ સ્વીકારાય નહીં. સંવાદ સાધવા એક-બે મુદ્દે સમાધાનની તૈયારી રાખવી પડે.

કુમારપાળ દેસાઈ

ચાંપરાજ શ્રોફ


જ. ૨૩ ફેબ્રુઆરી, ૧૯૦૯ અ. ૩ જાન્યુઆરી, ૧૯૬૮

ગુજરાતના રસાયણઉદ્યોગના પિતા તરીકે ઓળખાતા ચાંપરાજભાઈનો જન્મ કચ્છમાં આવેલ ખ્યાતનામ શ્રોફ પરિવારમાં થયો હતો. કચ્છના માંડવીમાં જન્મેલા ચાંપરાજભાઈના પિતાનું નામ ચતુર્ભુજ શ્રોફ અને માતાનું નામ ગોકીબાઈ હતું. ભારતને રસાયણના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવામાં તેમનો મહત્ત્વનો ફાળો છે. તેમણે મુંબઈની  રૉયલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સમાં રસાયણવિજ્ઞાનમાં સ્નાતક કક્ષા સુધીનો અભ્યાસ કર્યો. અભ્યાસમાં તેજસ્વી હોવાથી બ્રિટન જઈને વધુ અભ્યાસ કરવા માટે તેમને કૉલેજ તરફથી સ્કૉલરશિપ આપવામાં આવી, પરંતુ તેમણે તે ન સ્વીકારતાં ભારતમાં જ રહેવાનો નિર્ધાર કર્યો. બી.એસસી.ના અભ્યાસ બાદ તેમણે કારખાનામાં નોકરી શરૂ કરી હતી. ઈ. સ. ૧૯૪૧માં તેમણે મુંબઈના જોગેશ્વરીમાં ‘એક્સલ કંપનીની શરૂઆત કરી હતી. તેમણે પ્રયોગશાળામાં અનેક રસાયણો બનાવ્યાં હતાં. આઝાદીની લડત દરમિયાન તેમણે ૧૯૪૨-૪૩માં ભૂગર્ભવાસીઓને હાથબનાવટના બૉમ્બ પૂરા પાડ્યા હતા. હવાઈ દળને ટિટેનિયમ ટેટ્રા ક્લોરાઇડ સ્મોકસ્ક્રીનની જરૂરિયાત પણ પૂરી પાડી હતી. અનાજને જીવાણુમુક્ત કરવા સરકારને સેલ્ફોસની જરૂરિયાત પૂરી પાડી હતી. કેટલાંક રસાયણોનું ઉત્પાદન ભારતમાં શક્ય બનાવવા માટે ૧૯૭૦ની સાલમાં ‘એક્સલ’ને ‘એક્સપૉર્ટ સબસ્ટિટ્યૂશન’નો સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો. આ ઉપરાંત ૧૯૮૩માં કેમટેક ફાઉન્ડેશનનો પર્યાવરણવિદનો અને ૧૯૯૬માં એન્વાયરન્મેન્ટ લાઇફટાઇમ એચીવમેન્ટ ઍવૉર્ડથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. પ્લાસ્ટિકનું ફર્નિચર બનાવવાનું શ્રેય પણ ચાંપરાજભાઈને જાય છે.

અંજના ભગવતી