જ. ૨૭ મે, ૧૯૨૩ અ. ૨૯ નવેમ્બર, ૨૦૨૩

એક અમેરિકન રાજદ્વારી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે જાણીતા હેન્રી કિસિંજરનો જન્મ જર્મનીના બાવેરિયાના ફર્થમાં થયો હતો. તેમનાં માતાનું નામ પૌલા અને પિતાનું નામ લૂઈસ હતું. વૉશિંગ્ટન હાઇટ્સ, મેનહટનમાં જર્મન-અમેરિકન સમુદાયમાં હાઈસ્કૂલનાં વર્ષો પસાર કર્યાં બાદ તેમણે ન્યૂયૉર્કની સિટી કૉલેજમાં એકાઉન્ટિંગનો અભ્યાસ કર્યો હતો. તેમણે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન યુ.એસ. આર્મીમાં સેવા આપી હતી. યુદ્ધ બાદ તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો, જ્યાં તેમણે શૈક્ષણિક રીતે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. બાદમાં તેઓ યુનિવર્સિટીમાં પ્રોફેસર બન્યા અને પરમાણુ શસ્ત્રો તેમજ વિદેશનીતિના નિષ્ણાત તરીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામ્યા. રાષ્ટ્રપતિ નિકસન દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને બાદમાં રાજ્યના સચિવ તરીકે નિયુક્ત થયા તે પહેલાં તેમણે સરકારી એજન્સીઓ, થિંક ટૅન્ક, નેલ્સન રોકફેલર અને નિકસનના રાષ્ટ્રીય કક્ષાના વિવિધ અભિયાનોમાં સલાહકાર તરીકે કામ કર્યું હતું. રિયલ પોલિટિક ક્ષેત્રે જાણીતા અને ભૂરાજનીતિ પ્રત્યે વ્યાવહારિક અભિગમના હિમાયતી એવા હેન્રી કિસિંજરે સોવિયેત યુનિયન સાથે અટકાયત નીતિનો પાયો નાખ્યો હતો અને ચીન સાથે સંબંધો શરૂ કર્યા હતા. યોમ કિપ્પુર યુદ્ધનો અંત લાવવા માટે મધ્યપૂર્વમાં ‘શટલ ડિપ્લોમસી’માં વ્યસ્ત રહી તેમણે પૅરિસ શાંતિ કરારો માટે જરૂરી વાટાઘાટો કરી હતી. જેને લીધે વિયેટનામ યુદ્ધમાં અમેરિકન સંડોવણીનો અંત આવ્યો હતો. આથી ઘણા અમેરિકન વિદ્વાનો તેમને એક અસરકારક સેક્રેટરી ઑફ સ્ટેટ માનતા હતા. ૨૦૦૨માં ભારતની મુલાકાત લીધી હતી. સરકાર છોડ્યા પછી કિસિંજરે, કિસિંજર ઍસોશિયેટ્સની સ્થાપના કરી હતી, જે એક આંતરરાષ્ટ્રીય ભૂ-રાજકીય સલાહકાર કંપની છે જે તેમણે ૧૯૮૨થી મૃત્યુપર્યંત ચલાવી હતી. તેમણે રાજદ્વારી ઇતિહાસ અને આંતરરાષ્ટ્રીય સંબંધો પર એક ડઝનથી વધુ પુસ્તકો લખ્યાં છે. હેન્રી કિસિંજરને તેમની લશ્કરી સેવાઓ માટે બ્રૉન્ઝ સ્ટાર નામના પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. ૧૯૭૩ના નોબેલ શાંતિ પુરસ્કારથી પણ તેઓ વિભૂષિત થયા હતા.
અશ્વિન આણદાણી