Categories
વાચન સમૃદ્ધિ

તોરીનો (તુરિન)

ઇટાલીનો પ્રાન્ત તથા તેનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 45° 08´ ઉ. અ. અને 7° 22´ પૂ. રે.. આ ઔદ્યોગિક શહેર આલ્પ્સ પર્વતની પૂર્વ બાજુએ આવેલાં પહોળાં અને ફળદ્રૂપ મેદાનોની વચ્ચે પાયમોન્ટ પ્રદેશમાં ‘પો’ નદીના કિનારે વસેલું છે. વિસ્તાર 130 ચોકિમી. મૂળ વસાહત તુરિનીએ વસાવી હતી. ઈ. સ. પૂ. 218માં કાર્થેનિયન આક્રમણકાર કૅનિબાલે તેનો નાશ કરેલો. ત્યાર પછી રોમન સમ્રાટ ઑગસ્ટસે 24 ખંડમાં લંબચોરસ ખૂણે ફરી બંધાવેલી. નગરની વસ્તી આશરે 8,47,287, જ્યારે મેટ્રો શહેરની વસ્તી 22 લાખ (2022, આશરે) છે. 1950 અને 1960ની વચ્ચે દક્ષિણ ઇટાલીમાંથી સ્થળાંતર કરીને આવેલી વસ્તીને કારણે શહેરની વસ્તીનું પ્રમાણ વધ્યું છે. નગરમાં ઑટોમોબાઇલ, ઍરોપ્લેન, બૉલ-બેરિંગ, રબર, કાગળ, ધાતુ, રાસાયણિક, પ્લાસ્ટિક અને ઇલેક્ટ્રોટૅકનિકલને લગતા ઉદ્યોગો ઉપરાંત ચૉકલેટ તથા દારૂ બનાવવાના ઉદ્યોગો પણ વિકસ્યા છે.

તુરિન શહેર

આ નગરની ગણતરી દેશનાં સૌન્દર્યધામોમાં થાય છે. નગરમાં પો નદીના જમણા કિનારા પર ઉદ્યાનો તથા બગીચાઓ છે. નગરની જોડેની ટેકરી પર દેવળ છે. ઉપરાંત નગરમાં ઠેરઠેર સુંદર ઇમારતો અને ચોક છે. ‘તુરિનનું કફન’ એક દેવળમાં મૂકેલું છે. આ કફનમાં જિસસ ક્રાઇસ્ટનું શબ વીંટાળેલું હતું એવી લોકોની માન્યતા છે. ચોથી શતાબ્દીમાં રોમન સામ્રાજ્યની પડતી પછી આ શહેર લૉમ્બાર્ડ સામ્રાજ્યનું અંગ બનેલું. 1536થી 1567 સુધી ફ્રેન્ચોના કબજા દરમિયાન તુરિન ‘કૅપિટલ ઑવ્ ડચી ઑવ્ સેવોય’ બન્યું. આ શહેર 1720માં સારડેનિયન સામ્રાજ્યનું બન્યું અને ઓગણીસમી સદીમાં ઇટાલીનું રાજકીય અને બૌદ્ધિક કેન્દ્ર બન્યું. 1861થી 1865 સુધી યુનાઇટેડ ઇટાલીનું પાટનગર રહ્યું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તે ભારે હવાઈ હુમલાનું નિશાન બનેલું. 1405માં લૂઈસ ઑવ્ સેવોય અકેઇઆએ યુનિવર્સિટી ઑવ્ તુરિનની સ્થાપના કરેલી. આ સિવાય અહીં તુરિન પૉલિટૅકનિક (1859), ધ ગેલેરિયા ડેલ એકૅડેમિયા આલ્બર્ટિના (1652), ધ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ બિઝનેસ ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ ઑર્ગેનાઇઝેશન સ્ટડીઝ (1935) વગેરે શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે. નગરમાં ઘણાં સમૃદ્ધ ગ્રંથાલયો પણ છે.

ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-9

Categories
વાચન સમૃદ્ધિ

મયૂરધ્વજસિંહજી મેઘરાજસિંહજી ત્રીજા

જ. 3 માર્ચ, 1923 અ. 1 ઑગસ્ટ, 2010

ધ્રાંગધ્રા-હળવદ રજવાડાના અંતિમ શાસક હીઝ હાઇનેસ મેજર મહારાણા મહારાજ સર મયૂરધ્વજસિંહજીનો જન્મ ધ્રાંગધ્રાના સુંદરવિલાસ ખાતે થયો હતો. પિતા મહારાજા સર ઘનશ્યામસિંહજી અને માતા આનુદકુંવરબા સાહેબા. તેમના જન્મ વખતે યુદ્ધનાં ઢોલ વગાડવામાં આવ્યાં હતાં અને કેદીઓને મુક્ત કરવામાં આવ્યા હતા. તેમનું પ્રારંભિક શિક્ષણ મહેલની શાહી શાળામાં થયું. ત્યારબાદ તેમને ઇંગ્લૅન્ડ મોકલવામાં આવ્યા. તેમણે સમરસેટમાં મિલફિલ્ડ સ્કૂલ અને હર્ટફોર્ડશાયરમાં હીથ માઉન્ટ સ્કૂલમાં અભ્યાસ કર્યો. હેલીબરી કૉલેજમાં અભ્યાસ કરી ભારત પરત ફર્યા. 1942માં પિતાનું અવસાન થતાં તેઓ ગાદી પર બેઠા. તેમણે દહેરાદૂનની સેન્ટ જૉસેફ એકૅડેમી અને પુણેની શિવાજી મિલિટરી સ્કૂલમાં શિક્ષણ મેળવ્યું. તેમણે શાસનકાળ દરમિયાન અસ્પૃશ્યતાનિવારણ, સ્ત્રીઓને મિલકત ધરાવવાનો અને પુનર્લગ્ન કરવાની મંજૂરી, ફરજિયાત મફત પ્રાથમિક શિક્ષણ જેવા અનેક મહત્ત્વના કાયદા બનાવ્યા. તેઓ બ્રિટિશ હાઉસ ઑફ કૉમન્સમાં ભારતીય સ્વતંત્રતા બિલના અંતિમ વાચનના સાક્ષી હતા. તેઓ સૌરાષ્ટ્રના ડેપ્યુટી ગવર્નર બન્યા. પ્રથમ ચૂંટણીઓનું અધ્યક્ષપદ સંભાળ્યું. થોડો સમય સ્ટેટ બૅન્કના પ્રમુખ રહ્યા. 1967માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીત્યા હતા. તેઓ ઇન્ડિયન કાઉન્સિલ ઑવ વર્લ્ડ અફેર્સ, મિલફિલ્ડ સોસાયટી, કૉમનવેલ્થ પાર્લમેન્ટરી ઍસોસિયેશન, ન્યૂ નિસ્મેટિક સોસાયટી ઑવ્ ઇન્ડિયા, વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ફંડ અને હેરાલ્ડ્રી સોસાયટી ઑવ્ ઇન્ડિયા જેવી અનેક સંસ્થાના સભ્ય હતા. રૉયલ ઍન્થ્રૉપૉલૉજિક ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ગ્રેટ બ્રિટન ઍન્ડ આયર્લૅન્ડ અને રૉયલ એશિયાટિક સોસાયટીના ફેલો હતા. તેમણે ભારતની બંધારણ સભાના સભ્ય તરીકે સેવા આપી હતી. તેમને કિંગ જ્યોર્જ VI રાજ્યાભિષેક ચંદ્રક, ભારતીય સ્વતંત્રતા ચંદ્રક અને નાઇટ કમાન્ડર ઑવ્ ધ ઑર્ડર ઑવ્ ધ ઇન્ડિયન એમ્પાયર(KCIE)થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Categories
સાંપ્રત કાર્યક્રમો

માતૃભાષા સંવર્ધન કેન્દ્ર

વિષય : શબ્દો ભેગા અને છૂટા લખવા વિશે

વક્તા : શ્રી રતિલાલ બોરીસાગર – ડૉ. પિંકી પંડ્યા

27 માર્ચ, 2026, શુક્રવાર

સાંજના 5-00