Categories
વાચન સમૃદ્ધિ

કર્તવ્યની બલિવેદી પર

પ્રસિદ્ધ ફ્રેન્ચ રસાયણવિદ અને સૂક્ષ્મ જીવાણુશાસ્ત્રી લૂઈ પાશ્ચર (ઈ. સ. ૧૮૨૨-૧૮૯૫) પાસે વિજ્ઞાનની અદભુત આંતરસૂઝ અને પ્રાયોગિક નિપુણતા હતી. એમણે જે ક્ષેત્રમાં કાર્ય કર્યું, તેમાં પાયાનાં સંશોધનો કર્યાં અને સવિશેષ તો માનવજાતના કલ્યાણ માટે અને ઉદ્યોગો માટે આ સંશોધનો કર્યાં. ખાદ્ય-પદાર્થોને જંતુમુક્ત બનાવવાની (પાશ્ચરીકરણ) રીત અને રોગ સામેથી પ્રતિકારક રસી(વૅક્સિન)ની શોધ જેવી મહત્ત્વની શોધો કરી. દૂધ અને ખાદ્યસામગ્રીની સાચવણી માટેની એમણે કરેલી પાશ્ચરીકરણની રીત ઘણી પ્રચલિત બની. એમણે પ્રાણીના રોગો પર પણ સંશોધન કર્યું. એ સમયે રેશમઉદ્યોગ એ ફ્રાંસનો એક મોટો ઉદ્યોગ હતો. ૧૮૬૨માં રેશમના તાંતણા ઉત્પન્ન કરતા કીડા કોઈ રોગને કારણે મરી જવા લાગ્યા અને દેશનો મહત્ત્વનો ઉદ્યોગ ભયમાં મુકાઈ ગયો. આ સમયે પ્રસિદ્ધ રસાયણશાસ્ત્રી અને લૂઈ પાશ્ચર પર પ્રભાવ પાડનાર જ્યાં બાપ્તિસ્તે ડૂમાએ પાશ્ચરને આ રોગનો અભ્યાસ કરવાની વિનંતી કરી. આને માટે લૂઈ પાશ્ચર પૅરિસ છોડી અલાઇસ ગયા અને તેમણે રોગકારક બે જીવાણુઓ શોધી રેશમના કીડાને રોગમુક્ત કર્યા. આ સંશોધન દરમિયાન લૂઈ પાશ્ચરનાં ત્રણ સંતાનો બીમાર થતાં મૃત્યુ પામ્યાં ત્યારે એમને સાંત્વના આપવા આવેલા એક સ્વજને એમને કહ્યું, ‘શાબાશ, તમે ખરા હિંમતબાજ છો. ત્રણ ત્રણ બાળકોનાં દુ:ખદ અને આઘાતજનક અવસાન થયાં છતાં તમે હિંમત હાર્યા વગર કામ કર્યે જાઓ છો.’ લૂઈ પાશ્ચરે સહજતાથી કહ્યું, ‘હિંમતની તો મને ખબર નથી, પરંતુ આ મારી ફરજ છે અને હું એ મારી ફરજમાં સહેજે ચૂક થાય, તેમ ઇચ્છતો નથી.’

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

બાજી રાઉત

જ. ૫ ઑક્ટોબર, ૧૯૨૬ અ. ૧૧ ઑક્ટોબર, ૧૯૩૮

માત્ર બાર વર્ષની ઉંમરે માતૃભૂમિની સ્વતંત્રતા માટે બલિદાન આપનાર બાજી રાઉતનો જન્મ ઓડિશાના ઢેંકાનાલ જિલ્લાના નીલકંઠપુર ગામમાં ખંડાયત પરિવારમાં થયો હતો. પિતા હરિ અને માતા રાણિયાદેવીનો સૌથી નાનો પુત્ર હતો. બાળપણમાં જ પિતાનું અવસાન થતાં ઘરની સઘળી જવાબદારી માતાના શિરે આવી. માતા ડાંગર દળીને મજૂરી કરીને ગુજરાન ચલાવતી હતી. તેના મોટા ભાઈઓની આવક પણ ખૂબ જ ઓછી હતી. ઢેંકાનાલમાં શાસનની વિરુદ્ધ અવાજ ઉઠાવવા વૈષ્ણચરણ પટનાયકે ‘પ્રજામંડળ’ની સ્થાપના કરી. એમાં નાનાં બાળકોની એક વાનરસેના હતી. બાજી આ સેનામાં જોડાયો. બાજી બ્રિટિશ પોલીસની જાસૂસી કરવાનું અને તેમની પ્રવૃત્તિઓ વિશે સંદેશો પહોંચાડવાનું કામ કરતો. ૧૦ ઑક્ટોબર, ૧૯૩૮ના રોજ પટનાયકને પકડવા માટે પોલીસ ભુવન ગામમાં ગઈ, પરંતુ પટનાયક બ્રાહ્મણી નદી તરીને નીલકંઠપુર ગામમાં પહોંચી ગયા. પોલીસ મધ્યરાત્રિએ બ્રાહ્મણી નદી પાર કરવા માટે નીલકંઠપુર ઘાટ પહોંચી ત્યારે બાજી સૂતો હતો. પોલીસે તેને જગાડ્યો અને હોડીમાં બેસાડી નદી પાર કરાવવા કહ્યું. બાજીએ ના પાડતાં એક પોલીસે તેના માથા પર બંદૂકનો કુંદો માર્યો. આથી બાજીની ખોપરીમાં ફ્રૅક્ચર થયું, તે પડી ગયો. માથામાંથી લોહી વહેવા લાગ્યું છતાં તે ઊભો થયો. તેણે જોરથી અવાજ કરી પ્રજામંડળના કાર્યકારોને બોલાવ્યા. થોડી વારમાં લોકો ઘટનાસ્થળે આવી પહોંચ્યા. પોલીસે નિર્દયતાપૂર્વક બાજી પર ગોળીબાર કર્યો અને તે શહીદ થયો. આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો. બાજીના પાર્થિવ દેહને તેના વતન નીલકંઠપુર લાવવામાં આવ્યો. બાજીની અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયા. બાળક બાજી રાઉત ઇતિહાસમાં અમર થઈ ગયો. બાજીના જીવન અને પરાક્રમની ગાથા દર્શાવતું ‘બાજી રાઉત : ઇન્ડિયાઝ ફ્રીડમ ફાઇટર’ નાટકનું નિર્માણ કરવામાં આવ્યું છે.

અનિલ રાવલ

Categories
વાચન સમૃદ્ધિ

સ્તૂપ

ભગવાન બુદ્ધ કે તેમના ધર્મોપદેશકોના શરીરના અવશેષ (જેમ કે, વાળ, દાંત, અસ્થિ અને ભસ્માવશેષ) પર રચવામાં આવતું વિશિષ્ટ આકારવાળું સ્થાપત્ય. પાલિ ભાષામાં ‘સ્તૂપ’ને ‘થૂપ’, મ્યાનમારમાં ‘પૅગોડા’ અને  શ્રીલંકામાં ‘દાભગા’ કહેવાય છે. અવશેષને ધાતુપાત્રમાં રાખી તેને પથ્થરના દાબડામાં મૂકી, લેખ સાથે દાટવામાં આવતો. તેની ઉપર અંડાકાર ઘાટનું ઈંટોનું કે પથ્થરનું ચણતર કરવામાં આવતું. સ્તૂપના મુખ્ય ભાગને અંડ કહેવાય છે. અંડના પેટાળમાં ધાતુપાત્રમાં પવિત્ર અવશેષની સાથે વિવિધ રત્નો; સોનું, ચાંદી કે હાથીદાંતનાં નાનાં ‘રત્નપદ્મ’ રાખવામાં આવતાં. ક્યારેક આ પવિત્ર અવશેષો સોનાના પાત્રમાં એ પાત્રને ચાંદીના પાત્રમાં, એ પાત્રને તાંબાના પાત્રમાં અને અંતે તેને પથ્થરના પાત્રમાં મૂકવામાં આવતા. ક્યારેક પથ્થરના દાબડા પર અવશેષોને લગતો કે સ્તૂપના નિર્માણને લગતો લેખ કોતરવામાં આવતો.

શાંતિ સ્તૂપ, લેહ

સ્થાપત્યનો આ અંડ ભાગ ચોરસ પીઠિકા પર રચવામાં આવતો. અંડનું મથાળું કાપીને તેને ઉપરથી સપાટ કરવામાં આવતું. ત્યાં પથ્થરનો કઠેડો બનાવવામાં આવતો. જેને ‘હર્મિકા’ કહેવામાં આવે છે. હર્મિકાની મધ્યમાં છત્રદંડ રોપવામાં આવતો. દંડને મથાળે ત્રણ છત્રો મૂકવામાં આવતાં. તે નીચેથી ઉપર જતાં મોટાં થતાં હોય છે. સ્તૂપની આસપાસ પ્રદક્ષિણા થાય તેવી વ્યવસ્થા કરાય છે. સ્તૂપનું નિર્માણ મોટા ભાગે રાજાઓ કરાવતા. આ માટે બુદ્ધનાં જીવન અને કાર્ય સાથે સંબંધ ધરાવતાં સ્થળોની પસંદગી કરાઈ છે. મધ્યપ્રદેશમાં સાંચી, ઉત્તરપ્રદેશમાં સારનાથ તથા તક્ષશિલાના સ્તૂપ જાણીતા છે. સ્તૂપ ગમે તેટલા જીર્ણ થાય તોપણ તેને કાઢી નખાતા નથી. તેનો જીર્ણોદ્ધાર કરાવાય છે. સ્તૂપની આસપાસ પથ્થરની વેદિકા (રેલિંગ) ચણી અને તેમાં પ્રવેશદ્વારો બનાવાય છે. આ પ્રવેશદ્વારને તોરણ કહે છે. સાંચીનો સ્તૂપ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. શ્રીલંકા, મ્યાનમાર, થાઇલૅન્ડ અને ઇન્ડોનેશિયામાં પણ સ્તૂપો જોવા મળે છે. જોકે વિવિધ સ્તૂપોના આકારમાં થોડા થોડા ફેરફારો પણ નજરે ચડે છે.

ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૧૦