વિષય : કવિશ્રી સુન્દરમનું `અનુસ્વાર અષ્ટક’ |
વક્તા : શ્રી રતિલાલ બોરીસાગર – ડૉ. પિંકી પંડ્યા
11 ડિસેમ્બર 2025, ગુરુવાર |
સમય : સાંજના 5-00
વિષય : કવિશ્રી સુન્દરમનું `અનુસ્વાર અષ્ટક’ |
વક્તા : શ્રી રતિલાલ બોરીસાગર – ડૉ. પિંકી પંડ્યા
11 ડિસેમ્બર 2025, ગુરુવાર |
સમય : સાંજના 5-00
વર્તમાન સમયમાં માનવીએ પ્રસન્નતા પ્રત્યે નકરી લાપરવાહી દાખવી છે અને એને પરિણામે એ જે ઇચ્છે તે વસ્તુ મળે છે, પરંતુ પ્રસન્નતા સાંપડતી નથી. એનું દૃશ્ય હતાશાના બોજથી, નિષ્ફળતાના ભારથી, ચિંતાઓના ઢગથી, દ્વેષના ડંખથી અને અપેક્ષાઓના બોજથી લદાયેલું હોય છે. પરિણામે એ સતત અપ્રસન્ન, બેચેન અને ધૂંધવાયેલો રહે છે. એના મનમાં ક્યારેક અપેક્ષાઓ જાગે છે, તો ક્યારેક કોઈના પ્રત્યે ઘૃણા અને ભૂત-ભાવિની ચિંતા એના મન પર આસન જમાવી દે છે. પ્રસન્નતા કહે છે કે જેના તરફ પારાવાર ઘૃણા હોય, એવી વ્યક્તિને સામે ચાલીને પ્રેમનું અમૃત આપવા જાવ. ઘૃણા કે તિરસ્કાર એવાં છે કે જે ચિત્તના સિંહાસન પર એક વાર બેસી જાય તો પછી ત્યાંથી ઊઠવાનું નામ લેતાં નથી. એક વાર એને ચિત્તના સિંહાસન પરથી ઉઠાડી મૂકો, તો લાગણીની ખિલખિલાટ વસંતનો અનુભવ થશે. વેરની ગાંઠ વાળવી સહુને ગમે છે, પણ એ ગાંઠને છોડીને સ્નેહની ગાંઠ મારવી એ જ પ્રસન્નતા પામવાનો સાચો ઉપાય છે. કલ્પના કરો કે જે હૃદયમાં કોઈનાય પ્રત્યે વેર, દ્વેષ કે ઘૃણા નહીં હોય, તે હૃદય કેવું લીલુંછમ અને રળિયામણું હશે ! આપણે વધુ આપીને ઓછાની અપેક્ષા રાખવાને બદલે ઓછું આપીને વધુ મેળવવાની સ્પૃહા રાખીએ છીએ અને એ સ્પૃહા સંતોષાય નહીં એટલે હૃદયમાં કટુતા રાખીએ છીએ. ‘એનું મેં આટલું કામ કર્યું’ કે ‘એને મેં આટલી મદદ કરી’ એ વાતને ભૂલી જવાને બદલે વારંવાર વાગોળીએ છીએ અને બમણા વળતરની ઇચ્છા રાખીએ છીએ. હકીકતમાં જેટલી અપેક્ષા ઓછી, એટલો આનંદ વધુ. અતિ અપેક્ષા એ તીવ્ર આઘાતનું કારણ બને છે. ઘરના બારણેથી અપેક્ષાને વિદાય આપશો, તો પ્રસન્નતા સામે ચાલીને મળવા આવશે.
કુમારપાળ દેસાઈ
જ. 10 ડિસેમ્બર, 1870 અ. 19 મે, 1958

મહાન ઇતિહાસકાર સર જદુનાથ સરકારનો જન્મ બંગાળના રાજશાહી જિલ્લાના કરચમરિયાના વૈષ્ણવ-કાયસ્થ પરિવારમાં થયો હતો. તેમનું પ્રારંભિક શિક્ષણ કરચમરિયા, રાજશાહીનગર અને કૉલકાતામાં થયું હતું. 1889માં ઇન્ટરમીડિયેટ ફર્સ્ટ આર્ટસની પરીક્ષા પાસ કર્યા બાદ તેઓ કૉલકાતાની પ્રેસિડેન્સી કૉલેજમાં જોડાયા અને બી.એ.ની ઇતિહાસ અને અંગ્રેજી વિષય સાથે 1891માં પરીક્ષા આપી અને યુનિવર્સિટીમાં બીજા ક્રમે આવ્યા. અંગ્રેજી વિષય સાથે એમ.એ.ની પરીક્ષામાં ટોચનું સ્થાન મેળવી તેમણે સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. જદુનાથનો પ્રથમ લેખ ‘ટીપુ સુલતાનનું પતન’ અને પ્રથમ નિબંધ ‘રવીન્દ્રનાથ ટાગોરની સાહિત્યિક કૃતિઓ’ વિશે હતો. 1898થી 1917ની વચ્ચે, 1901માં પ્રેસિડેન્સી કૉલેજમાં સંક્ષિપ્ત કાર્યકાળ સિવાય પટણા કૉલેજમાં તેમણે વિતાવ્યો. 1919માં તેઓ કટકની રેવનશો કૉલેજમાં અંગ્રેજી અને ઇતિહાસના પ્રોફેસર તરીકે જોડાયા. ત્યાં તેમણે બાંગ્લા શીખવવાનું પણ સ્વેચ્છાએ શરૂ કર્યું. 1926થી 1928 દરમિયાન તેમણે કલકત્તા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે સેવા આપી હતી. જદુનાથ સરકારનાં પ્રકાશનોમાં ‘ઇકૉનૉમિક્સ ઑફ બ્રિટિશ ઇન્ડિયા’, ‘હિસ્ટ્રી ઑફ ઔરંગઝેબ’ 1થી5 વૉલ્યુમ, ‘શિવાજી ઍન્ડ હિઝ ટાઇમ્સ’, ‘ફોલ ઑફ ધ મુઘલ એમ્પાયર’ વૉલ્યુમ 1થી 4, ‘મિલિટરી હિસ્ટ્રી ઑફ ઇન્ડિયા’ મોખરે છે. બાંગ્લામાં તેમનાં પુસ્તકોમાં ‘પટનાર કથા’, ‘મરાઠા જાતિબિકાશ’ અને ‘શિબાજી’નો સમાવેશ થાય છે. જદુનાથ સરકારને 1904માં કલકત્તા યુનિવર્સિટી દ્વારા ગ્રિફિથ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. 1926માં કમ્પેનિયન ઑફ ધ ઑર્ડર ઑફ ધ ઇન્ડિયન એમ્પાયર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને 1929માં તેમને નાઇટનો ખિતાબ આપવામાં આવ્યો હતો. 1936માં ઢાકા યુનિવર્સિટી દ્વારા તેમને ડી. લિટ.થી સન્માનિત કરવામાં આવ્યા. તેઓ 80 વર્ષના થયા ત્યારે બાંગિયા સાહિત્ય પરિષદ અને બાંગિયા ઇતિહાસ પરિષદે અનુક્રમે 1949 અને 1950માં તેમનું વિશેષ સન્માન કર્યું હતું. જદુનાથ પોતાના સમયના ભારતના અને વિદેશના મહાન ઇતિહાસકારોમાંના એક હતા. ડૉ. કે. આર. કાનુન્ગો અને ડૉ. એ. એલ. શ્રીવાસ્તવ (આગ્રા યુનિવર્સિટી) જેવા પ્રસિદ્ધ ઇતિહાસકારો તેમના શિષ્યો હતા.
અશ્વિન આણદાણી