Categories
વાચન સમૃદ્ધિ

ડૉ. વીણા મઝુમદાર

જ. 28 માર્ચ, 1927 અ. 30 મે, 2013

ભારતીય શિક્ષણવિદ, ડાબેરી કાર્યકર અને નારીવાદી મહિલાનો જન્મ કૉલકાતામાં થયો હતો. પિતા પ્રકાશ મઝુમદાર. પાંચ ભાઈબહેનોમાં સૌથી નાનાં વીણા મઝુમદાર હતાં. પિતા એન્જિનિયર અને કાકા જાણીતા ઇતિહાસવિદ હતા. પરિવારની સ્થિતિ સાધારણ હતી. નિશાળનું શિક્ષણ કૉલકાતામાં લીધું. બનારસ હિન્દુ યુનિવર્સિટીની મહિલા કૉલેજ અને કૉલકાતાની આશુતોષ કૉલેજમાં અભ્યાસ કર્યો. આશુતોષ કૉલેજમાં મહિલા વિદ્યાર્થી યુનિયનનાં સેક્રેટરી બન્યાં. કૉલેજના અભ્યાસ દરમિયાન તેમણે રામારાવ સમિતિના સમર્થનમાં એક બેઠકનું આયોજન કર્યું. જેમાં હિન્દુ કાયદા સુધારા દ્વારા પુત્રીઓ માટે વારસાના અધિકારોના વિસ્તરણની ભલામણ કરવામાં આવી. 1947માં દેશ સ્વતંત્ર થયો. ત્યારબાદ તેઓ ઑક્સફર્ડની સેન્ટ હ્યુજ કૉલેજમાં ગયાં. ત્યાં 1951માં સ્નાતકની પદવી મેળવી. દેશમાં પાછાં ફર્યાં. 1951માં પટણા યુનિવર્સિટીમાં લેક્ચરર તરીકે જોડાયાં. જ્યાં તેઓ રાજકીય વિજ્ઞાનનો અભ્યાસ કરાવતાં હતાં. થોડા જ સમયમાં ત્યાં ટીચર્સ ઍસોસિયેશનનાં સેક્રેટરી બન્યાં. આમ, કિશોરાવસ્થાથી જ નેતા બનવાના ગુણો તેમનામાં હતા. તેમના મિત્ર પ્રોફેસર બિધુ ભૂષણ દાસની ભલામણથી ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં તેમની નિમણૂક થઈ. ત્યાં થોડાં વર્ષો કાર્ય કર્યાં પછી ભારત આવ્યાં. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનમાં તેઓ શિક્ષણઅધિકારી તરીકે જોડાયાં હતાં. તેમનો વિશેષ અભ્યાસ દેશમાં મહિલાઓની સ્થિતિ વિશેનો રહ્યો છે. તેઓ 1980માં ઇન્ડિયન કાઉન્સિલ ઑફ સોશિયલ સાયન્સ રિસર્ચ (ICSSR) હેઠળ સ્થાપિત સ્વાયત્ત સંસ્થા, સેન્ટર ફોર વિમેન્સ ડેવલપમેન્ટ સ્ટડીઝ(CWDS)નાં સ્થાપક ડિરેક્ટર હતાં અને બે વર્ષ ફેલો તરીકે પણ કાર્ય કરેલું. તેમનાં સંસ્મરણોનું પુસ્તક ‘મેમોરિઝ ઑફ એ રોલિંગ સ્ટોન’ નામે પ્રકાશિત થયું છે.

Categories
વાચન સમૃદ્ધિ

હેમંત દેસાઈ

જ. 27 માર્ચ, 1934 અ. 2 ઑક્ટોબર, 2011

ગુજરાતી ભાષાના કવિ અને વિવેચક હેમંત દેસાઈનો જન્મ અમલસાડ પાસે આવેલા ગંધોર ગામે થયો હતો. વતન બીલીમોરા. પિતાનું નામ ગુલાબભાઈ અને માતાનું નામ મંજુલાબહેન. 1957માં બી.એ.; 1959માં એમ.એ. અને 1978માં પીએચ.ડી.ની પદવી મેળવી. બીલીમોરાની ટાટા હાઈસ્કૂલ અને અમદાવાદની સી. એન. વિદ્યાવિહાર હાઈસ્કૂલમાં શિક્ષકની નોકરી કરી. નવસારીની ગાર્ડા કૉલેજમાં અભ્યાસ દરમિયાન કવિ ઉશનસ્ ના પરિચયમાં આવ્યા. હેમંત દેસાઈને કવિતાના પાઠ શીખવા મળ્યા. રાજેન્દ્ર શાહ, ઉશનસ્ અને જયંત પાઠકનું સાન્નિધ્ય પણ મળ્યું. બચુભાઈ રાવત અને પિનાકિન ઠાકોર વગેરે કવિ-વિવેચકો પાસેથી પણ માર્ગદર્શન મળતું રહ્યું. કવિતા, વિવેચન અને સંશોધનની સાથે સાથે વિવિધ કૉલેજમાં અધ્યાપનનું કાર્ય પણ ચાલતું રહ્યું. અમદાવાદની એમ. જી. સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ, એલ. ડી. આર્ટસ કૉલેજ અને સાબરમતી આર્ટસ ઍન્ડ કૉમર્સ કૉલેજમાં ગુજરાતી ભાષા સાહિત્યનું અધ્યયન કરાવ્યું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભાષાભવનના અધ્યક્ષ તરીકે સેવા આપ્યા પછી 1994માં સેવાનિવૃત્ત થયા. ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી અને મધ્યસ્થ સમિતિના સભ્ય પણ રહી ચૂકેલા. 1997-98 દરમિયાન ‘કવિલોક’ દ્વૈમાસિકના તંત્રી હતા. કવિતા, વિવેચન અને સંપાદનમાં તેમની કલમ ચાલી છે. ‘ઇંગિત’, ‘મ્હેંક નજરોની ગ્હેક સપનોની’, ‘સોનલમૃગ’, ‘વરદાન ફૂલનું’ અને ‘સહજતયા’ એમના કાવ્યસંગ્રહો છે. ‘ગુજરાતી ખંડકાવ્ય : સ્વરૂપ, સિદ્ધિ અને વિસ્તાર’, ‘કવિતાની સમજ’, ‘અર્વાચીન કવિતામાં પ્રકૃતિ નિરૂપણ’, ‘કાવ્યસંગતિ’, ‘કલાપી’, તેમના વિવેચનના અને સંશોધનના ગ્રંથો છે. ‘કૂણાં સમણાંની જૂની ડાળ’ (શિશિરઋતુનાં કાવ્યોનો સંચય), ‘કદંબ કેરી છાયા’ (ભાનુપ્રસાદ પંડ્યા સાથે પીયૂષ પંડ્યાના કાવ્યસંગ્રહનાં કેટલાંક કાવ્યોના આસ્વાદલેખોનો સંચય) અને ‘ગુજરાતી કવિતાચયન’ તેમના સંપાદનોના સંગ્રહો છે. હેમંત દેસાઈના સાહિત્યસર્જનને વિવિધ ચંદ્રકો પણ મળ્યા છે. 1958માં કુમારચંદ્રક, 1987માં અખિલ ભારતીય કલાપી ઍવૉર્ડ, ‘કવિતાની સમજ’ કાવ્યસંગ્રહને ગુજરાત સરકારનું પ્રથમ પારિતોષિક, 1992માં ‘શબ્દાશ્રય’ને ગુજરાતી સાહિત્ય પરિષદનું રમણલાલ જોષી વિવેચન પારિતોષિક અને અ. ક. ત્રિવેદી સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયાં છે.

Categories
વાચન સમૃદ્ધિ

પ્રધાનમંડળમાં એકમત

અમેરિકાના માનવતાવાદી પ્રમુખ અબ્રાહમ લિંકનને (ઈ. સ. 1809 થી 1865) જીવનભર ઉપહાસ અને પ્રતિકારનો સામનો કરવો પડ્યો. રીઢા રાજકારણીઓ એમ માનતા હતા કે જંગલમાં વસનારો કઠિયારો નસીબના જોરે ભલે દેશનો પ્રમુખ બની બેઠો હોય, પરંતુ એને ક્યાંથી કુનેહભર્યા રાજકારણના કાવાદાવાનો ખ્યાલ આવશે? એની રેવડી દાણાદાણ થશે અંતે ઘોર નિષ્ફળતાથી નાસીપાસ થશે. અધૂરામાં પૂરું અમેરિકાના આંતરવિગ્રહના સમયમાં લિંકને રચેલી સર્વપક્ષીય રાષ્ટ્રીય સરકારમાં એણે પોતાના રિપબ્લિકન પક્ષમાંથી ત્રણ પ્રધાનો પસંદ કર્યા અને વિરોધી એવા ડેમોક્રૅટિક પક્ષમાં ચાર વ્યક્તિઓની પ્રધાનપદે નિમણૂક કરી. લિંકન નિર્ભય હતા. અમેરિકાની અખંડિતતા અને ગુલામોની મુક્તિની બાબતમાં કશી બાંધછોડ નહીં કરનારા લિંકન વિરોધની પરવા કરતા નહોતા. કોઈ લિંકનને કહેતું કે ‘આમાં બંને પક્ષનું સમતોલપણું ક્યાં ?’ ત્યારે લિંકન એમ કહેતા કે, ‘હું રિપબ્લિક પક્ષનો હોવાથી હું ચોથો. આથી પ્રધાનમંડળ સમતોલ ગણાય.’ એના પક્ષના જ લોકોએ એના પર ટીકાઓનો વરસાદ વરસાવ્યો અને એક પ્રધાને તો વિવેક છોડીને પ્રમુખ અબ્રાહમ લિંકનને લખ્યું, ‘દેશની રાજ્યવ્યવસ્થા અને વિદેશનીતિનું સંચાલન અને નિયમન કોણ કરશે ? આ માટેની સઘળી જવાબદારી ઉપાડવા માટે હું તૈયાર છું, પરંતુ એનો યશ તો પ્રમુખને ભાગે જ જશે ને !’ લિંકન એમનો ઇરાદો પારખી ગયા. એમને વિનયપૂર્વક જવાબ આપ્યો, પણ થોડા જ સમયમાં એમની દીર્ઘદૃષ્ટિ, કાર્યશક્તિ, આવડત અને મીઠાશથી બધા પ્રધાનો લિંકનની પ્રશંસા કરવા લાગ્યા અને એક પ્રધાને તો એમ પણ કહ્યું કે, ‘અમારા પ્રધાનમંડળમાં મત માત્ર એક જ છે અને તે પ્રમુખનો.’