Categories
વાચન સમૃદ્ધિ

સુખદેવ થાપર

જ. ૧૫ મે, ૧૯૦૭ અ. ૨૩ માર્ચ, ૧૯૩૧

ભારતની આઝાદી માટેની ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં શહીદ ભગતિંસહ અને રાજગુરુ સાથે જેમનું નામ બોલાય છે તે સુખદેવ થાપરનો જન્મ પંજાબના લુધિયાણા ખાતે રામલાલ થાપર અને રલ્લી દેવીને ત્યાં એક ખત્રી પરિવારમાં થયો હતો. તેમના પિતાજીનું અવસાન થવાથી કાકા અચિંતરામે તેમનું પાલનપોષણ કર્યું હતું. સુખદેવ હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન ઍસોસિયેશનના સભ્ય હતા. પંજાબ અને ઉત્તર ભારતના અન્ય વિસ્તારમાં ક્રાંતિકારી કાર્યક્રમોના આયોજનમાં તેઓની ભૂમિકા અગ્રેસર હતી. પીઢ નેતા લાલા લજપતરાય પર અંગ્રેજી સિપાહીઓએ લાઠીઓ વરસાવી અને તેની ઈજાઓથી તેમનું મૃત્યુ થયું તેના જવાબમાં ભગતિંસહ અને શિવરામ રાજ્યગુરુ દ્વારા ૧૭ ડિસેમ્બર, ૧૯૨૮ના રોજ સહાયક પોલીસ અધીક્ષક જે. પી. સોન્ડર્સની હત્યામાં તેમની સંડોવણી માટે સુખદેવ થાપરને સૌથી વધુ યાદ કરવામાં આવે છે. ૧૯૨૯માં જેલની ભૂખ હડતાળ અને લાહોર ષડયંત્ર કેસમાં સુખદેવ મુખ્ય આરોપી હતા. જેનું સત્તાવાર શીર્ષક ‘ક્રાઉન વિરુદ્ધ સુખદેવ અને અન્ય’ એવું હતું. ૮મી એપ્રિલ, ૧૯૨૯ના રોજ નવી દિલ્હીમાં થયેલ સેન્ટ્રલ ઍસેમ્બ્લી હૉલ બૉમ્બધડાકા બાદ સુખદેવ અને તેના સાથીઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેઓને દોષી ઠરાવીને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. ૨૩ માર્ચ, ૧૯૩૧ના રોજ સુખદેવને લાહોરની સેન્ટ્રલ જેલમાં ભગતિંસહ અને શિવરામ રાજ્યગુરુ સાથે ફાંસી આપવામાં આવી હતી. તે ત્રણેયના મૃતદેહોના ગુપ્ત રીતે સતલજ નદીને કિનારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમની યાદમાં ૨૩મી માર્ચને શહીદ દિવસ તરીકે ઊજવવામાં આવે છે. દિલ્હી યુનિવર્સિટીની એક કૉલેજનું નામ ‘શહીદ સુખદેવ કૉલેજ ઑફ બિઝનેસ સ્ટડીઝ’ સુખદેવ થાપરની યાદમાં રાખવામાં આવ્યું છે. તેમના જન્મસ્થળ લુધિયાણા શહેરના મુખ્ય બસસ્ટૅન્ડનું નામ ‘અમર શહીદ સુખદેવ થાપર ઇન્ટર સ્ટેટ બસ ટર્મિનલ’ રાખવામાં આવ્યું છે.

Categories
વાચન સમૃદ્ધિ

ચોવીસ કલાક પછી

સૂફી ફકીર જુનૈદને એના ગુરુએ એક શિખામણ ગાંઠે બંધાવી. ગુરુએ એને કહ્યું કે ‘કોઈ વ્યક્તિ કશું બોલે, ત્યારે તત્કાળ પ્રતિક્રિયા આપવાનો પ્રયત્ન કરતો નહીં. કોઈ ગુસ્સે થઈને ગમે તેટલા અપશબ્દો કહે, તોપણ તરત એની સામે જવાબ આપવા જઈશ, તો તું તારો વિવેક અને મર્યાદા બંને ખોઈ બેસીશ. આથી ત્વરિત ઉત્તર આપવાને બદલે થોડા સમય પછી ઉત્તર આપજે, કારણ કે ઉત્તર આપવાને માટે આપણા મનને સારાસારનો વિચાર કરવાની પૂરતી તક આપવી જોઈએ.’ એમાં પણ ફકીર જુનૈદને કહ્યું કે, ‘કોઈ તારા પર અત્યંત કોપાયમાન થાય, ખૂબ ગુસ્સે થાય, એનાં ભવાં ચડી જાય, એની આંખો લાલઘૂમ થઈ જાય અને હાથની મુઠ્ઠીઓ વાળીને એ બોલે, ત્યારે પણ તું એના અપશબ્દો, આરોપો કે આક્ષેપોનો તરત ઉત્તર આપવાને બદલે ચોવીસ કલાક બાદ ઉત્તર આપજે.’ પોતાના ગુરુની સલાહ સ્વીકારીને જુનૈદે સાધના કરવા માંડી. એક વાર એના વિરોધીઓએ આવીને એના પર અપશબ્દોનો વરસાદ વરસાવ્યો. કેટલાય અણછાજતા આક્ષેપો કર્યા. એનો આશય એટલો હતો કે જુનૈદ ગુસ્સે થાય અને ઉશ્કેરાઈને ફકીરને ન છાજે એવું દુર્વર્તન કરે. આવે સમયે જુનૈદ મૌન રહેતા. ગુરુએ આપેલી શિખામણનું સ્મરણ કરતા અને ગુસ્સાથી ધૂંઆપૂંઆ થયેલા પેલા માણસને કહેતા, ‘ભાઈ, હું તારી સઘળી વાતનો આવતીકાલે જવાબ આપીશ.’ બીજે દિવસે એ વ્યક્તિ ઉત્તર માટે ઉપસ્થિત થતી, ત્યારે જુનૈદ એને એટલું જ કહેતા કે ‘હવે મારે કંઈ કહેવાનું રહેતું નથી.’ આ જોઈને અપશબ્દો બોલનારી વ્યક્તિ એમને પૂછતી કે, ‘ગઈકાલે મેં તમારા પર ક્રોધ કરીને અપશબ્દોનો મારો વરસાવ્યો, છતાં તમે એના પ્રતિઉત્તર તરીકે કશું ન બોલ્યા. માત્ર મૌન રાખ્યું. તમને હું સમજી શકતો નથી.’ જુનૈદે કહ્યું, ‘મારા ગુરુએ મને સૂચવ્યું છે કે એવી વ્યક્તિ તારા પર ગુસ્સે થાય, તો ચોવીસ કલાક પછી ઉત્તર આપજે. એ દરમિયાન તારા ગુસ્સાના કારણમાં સચ્ચાઈ હોય તો તેને સ્વીકારું છું અને તેં ખોટા ઇરાદાથી ગુસ્સો કર્યો હોય, તો ચોવીસ કલાકમાં ગુસ્સો ઓગળી જતાં ક્ષમા આપું છું.’

Categories
વાચન સમૃદ્ધિ

મેહદી નવાઝ જંગ

જ. ૧૪ મે, ૧૮૯૪ અ. ૨૩ જૂન, ૧૯૬૭

એક ભારતીય અમલદાર અને નિઝામના શાસન દરમિયાન એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સચિવ તેમ જ ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ એવા મેહદી નવાઝ જંગનો જન્મ હૈદરાબાદના ડેક્કનના દારુલશીફામાં એક મધ્યમવર્ગના પરિવારમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ હૈદરાબાદમાં પૂર્ણ કર્યા બાદ ૧૯૧૧માં તેમણે મૅટ્રિકની પરીક્ષા પાસ કરી હતી. ઉચ્ચશિક્ષણ માટે હૈદરાબાદની કૉલેજમાં જોડાયા હતા પરંતુ ટાઇફૉઈડની બીમારીને લીધે સ્નાતકનો અભ્યાસ પૂર્ણ ન કરી શક્યા. ત્યારબાદ કાયદાનો અભ્યાસ કરી વહીવટી તાલીમ લઈ નિઝામ સરકારમાં અમલદાર તરીકે જોડાયા હતા. અડોરી સ્ટેશને મહાત્મા ગાંધીજીનાં દર્શન થતાં તેમના પ્રશંસક બની ગયા હતા. સરકારમાં ખજાનચી તરીકે તથા સ્થાનિક ભંડોળના સેક્રેટરી તરીકે પ્રશંસનીય કામગીરી બજાવી તેઓ મદદનીશ કલેક્ટરના હોદ્દા સુધી પહોંચ્યા હતા. દક્ષિણ ભારતમાં પડેલા કારમા દુષ્કાળ વખતે ૧૯૧૯-૨૦માં હૈદરાબાદ સરકારે દુષ્કાળગ્રસ્ત અધિકારી તરીકે તેમની નિમણૂક કરી હતી. અસરગ્રસ્ત વિસ્તારોમાં તેમણે એવી ખંતપૂર્વક સેવા કરી કે લોકો એમને ‘મેહદીબાબા’ તરીકે ઓળખવા લાગ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેઓ સહકારી ક્ષેત્રના નિષ્ણાત વૈકુંઠભાઈ મહેતાના પ્રભાવમાં આવ્યા હતા. સહકારી ક્ષેત્રે તેમણે હૈદરાબાદ સહકારી સંઘ, સહકારી વ્યાપાર નિગમ, માટી રંગાટ તથા ચરખા બનાવવાની સહકારી મંડળીઓ અને ખેતીવાડી સહકારી મંડળી વગેરેની સ્થાપના કરી હતી. ૧૯૨૬થી ૧૯૩૭ દરમિયાન હૈદરાબાદ સરકારમાં રહસ્યમંત્રી તરીકે નોંધપાત્ર સેવાઓ આપવા બદલ તેમને ‘નવાબ’નો ખિતાબ એનાયત કરવામાં આવ્યો હતો. ૧૯૪૯માં કૉંગ્રેસ પક્ષમાં જોડાઈ, ધારાસભ્ય બની ૧૯૬૦ સુધી આંધ્રપ્રદેશના જાહેર બાંધકામ અને વીજળી ખાતાના પ્રધાન તરીકે યશસ્વી કામગીરી બજાવી હતી. સાત ભાષાના જાણકાર, સ્કાઉટ પ્રવૃત્તિના પ્રણેતા અને કલાપ્રેમી હોવાથી ભારતીય લલિત કલા એકૅડેમીનું પ્રમુખપદ પણ તેમણે શોભાવ્યું હતું. અમદાવાદના પાલડીમાં તેમના નામનો હૉલ આજે પણ મોજૂદ છે.