Categories
વાચન સમૃદ્ધિ

તિરાને

યુરોપના અગ્નિખૂણામાં આવેલ આલ્બેનિયા પ્રજાસત્તાક દેશની રાજધાની. એડ્રીઆટિક સમુદ્રથી પૂર્વમાં 32 કિમી. દૂર કિનારાના મેદાનમાં તે પથરાયેલ છે. મૂળ તે ફળદ્રૂપ મેદાનની દક્ષિણે ચૂનાના ખડકોની હારમાળાની તળેટીમાંનો જંગલવિસ્તાર હતો. વસ્તી આશરે 6,21,000 (2020, આશરે) છે. ઓટોમન સેનાપતિ બર્કીન્ઝાદેશ સુલેમાન પાશાએ 1600માં તેની સ્થાપના કરી હતી. 1946માં રશિયાની અસર હેઠળ સામ્યવાદીઓએ તેનો હવાલો સંભાળ્યો ત્યારબાદ ત્યાં વિવિધ વસ્તુઓ બનાવતી વીસ જેટલી નવી ફૅક્ટરીઓ સ્થપાઈ તથા સરકારી કચેરીઓ, શાળાઓ અને દવાખાનાનાં નવાં મકાનો બંધાયાં. ઉપરાંત ત્યાં જળવિદ્યુત-ઊર્જામથક પણ બાંધવામાં આવ્યું અને પાણીપુરવઠાની સગવડ આધુનિક બનાવાઈ. અહીં શહેરની આસપાસના વિસ્તારમાં ઑલિવ અને બદામની ખેતી મોટા પાયે થાય છે.

તિરાને શહેરની આસપાસમાં થતી (1) ઑલિવ અને (2) બદામની ખેતી

તે આલ્બેનિયાનું મહત્ત્વનું ઔદ્યોગિક કેન્દ્ર હોઈ અહીં મિકૅનિકલ એન્જિનિયરિંગને લગતા ઉદ્યોગ ઉપરાંત છાપકામનાં યંત્રો, મકાન-બાંધકામનાં જરૂરી સાધનો, કાચ, સિરામિક, લાકડાની બનાવટો અને અનેક લઘુઉદ્યોગોનો વિકાસ થયો છે. આલ્બેનિયાનાં અન્ય શહેરો સાથે તે રસ્તા, રેલ અને હવાઈ માર્ગે સંકળાયેલ છે. અહીંની વસ્તીનો મોટો ભાગ ઇસ્લામ ધર્મ પાળે છે. 1920માં જ્યારે તે દેશનું મુખ્ય વહીવટી મથક બન્યું, ત્યારે તેની વસ્તી માત્ર 10,000ની હતી. ત્યારબાદ રાજા ઝૉગ જે સ્વતંત્ર આલ્બેનિયાનો પ્રથમ અને એકમાત્ર રાજવી રહ્યો છે, તેણે ઇટાલિયન સ્થપતિઓને રોકીને શહેરનો નવો કેન્દ્રીય વિસ્તાર અને સ્કેન્ડરબર્ગ ચોકની આસપાસ સરકારી કચેરીઓનાં ભવ્ય મકાનો બંધાવ્યાં. શહેરનો વિસ્તાર વધતાં તેને આધુનિક સ્વરૂપ મળ્યું. 1939થી 44ના સમય દરમિયાન ઇટાલિયન અને જર્મન લશ્કરોએ અહીં થાણાં સ્થાપ્યાં હતાં, અને તેના પર પોતાનો કબજો જમાવ્યો હતો.

ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8

Categories
વાચન સમૃદ્ધિ

મહાશ્વેતાદેવી

જ. 14 જાન્યુઆરી, 1926 અ. 28 જુલાઈ, 2016

સામાજિક કાર્યકર્તા અને બંગાળી લેખિકા મહાશ્વેતાદેવીનો જન્મ ઢાકામાં સાહિત્યપ્રેમી માતાપિતાને ત્યાં હિન્દુ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતા મનીષ ઘટક જાણીતા કવિ તથા નવલકથાકાર હતા અને માતા ધારત્રીદેવી લેખિકા તથા સામાજિક કાર્યકર હતાં. ભારતના ભાગલા બાદ તેઓ ભારતમાં પશ્ચિમ બંગાળમાં સ્થળાંતરિત થયાં. મહાશ્વેતાદેવીએ વિશ્વભારતી અને કલકત્તા યુનિવર્સિટી ખાતે અભ્યાસ કરીને અંગ્રેજી વિષયમાં કૉલેજમાં અધ્યાપકની તાલીમ લીધી હતી. તેઓ હિન્દી, ઊડિયા તથા સાંથાલી ભાષાનાં પણ જાણકાર હતાં. અભ્યાસ દરમિયાન તેઓ સમતાવાદી સામ્યતાવાદી વિચારધારા તરફ આકર્ષાઈ ગયાં હતાં. 1943માં બંગાળમાં દારુણ દુકાળ પડ્યો ત્યારે કૉલેજિયન મહાશ્વેતાદેવી સામ્યવાદી પક્ષનાં ગર્લ સ્ટુડન્ટ્સ ઍસોસિયેશનનાં આગેવાન બની ગયાં. તેઓએ રાહત કામગીરી બજાવી હતી. ગરીબી અને ભૂખમરો નિકટથી નિહાળી તેઓ માનવતાવાદી અને માર્કસવાદી બની ગયાં. 1947માં જાણીતા અભિનેતા-નાટ્યકાર બીજન ભટ્ટાચાર્ય સાથે લગ્ન કર્યાં, પણ 1961માં છૂટાછેડા લીધા. 1965માં અસિત ગુપ્તા સાથે પુનર્લગ્ન કર્યાં. 1956માં તેમની સૌપ્રથમ ઐતિહાસિક નવલકથા ‘ઝાંસીની રાણી’ પ્રગટ થઈ. તેઓએ 42 નવલકથાઓ, 15 નવલિકાસંગ્રહો, બાળકો માટેનાં પાંચ પુસ્તકો તથા 30 જેટલાં પાઠ્યપુસ્તકો લખ્યાં હતાં. તેમની સૌથી પ્રખ્યાત કૃતિ ‘હજાર ચુરાશીર મા’ છે. તેના ઉપરથી હિંદી ચલચિત્ર ‘હજાર ચૌરાસી કી માં’ પણ બન્યું હતું. 1994માં આવેલી ‘રુદાલી’ ફિલ્મથી તેઓ વધુ જાણીતાં થયાં. જે તેમની નવલકથા ‘રુદાલી’ પરથી બનાવવામાં આવી હતી. તેમની કૃતિઓ હિંદી, ઊડિયા, તેલુગુ, મલયાળમ, કન્નડ, ગુજરાતી, મરાઠી તથા પંજાબી ભાષામાં ઉપરાંત અંગ્રેજી, ઇટાલિયન, જાપાની ભાષામાં અનૂદિત થઈ છે. તેઓએ આદિવાસી સમુદાયના હિત માટે ઝંડો ઉઠાવ્યો હતો. તેમના વિકાસ માટે તનતોડ મહેનત કરી હતી. બિહાર, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં આદિવાસી લોકોના સંઘર્ષો માટે સમર્પિત હતાં. તેમને મળેલાં સન્માનોમાં 1979માં સાહિત્ય અકાદમી ઍવૉર્ડ, 1986માં પદ્મશ્રી, 1996માં જ્ઞાનપીઠ ઍવૉર્ડ, 1997માં રોમન મેગ્સેસે ઍવૉર્ડ તથા 2006માં પદ્મવિભૂષણનો સમાવેશ થાય છે.

Categories
વાચન સમૃદ્ધિ

સૌથી મહત્ત્વની સંપત્તિ

ઈ. સ. 1936માં અમેરિકાના ઉદ્યોગપતિ ચાર્લ્સ સ્ક્વૈબે એક વ્યક્તિની સલાહકાર તરીકે નિમણૂક કરી. એને મહિનાના પચીસ હજાર ડૉલરનો પગાર આપવાનું નક્કી કર્યું. માત્ર સલાહ આપવા માટે કંઈ આટલો મોટો પગાર હોય ખરો ? પરંતુ આ કરોડાધિપતિ માનતો હતો કે જીવનમાં એક સલાહ અનેક સમસ્યાઓને ઉકેલી આપે છે. કોઈ અનુભવી આ મૂંઝવણનું મૂળ કારણ શોધીને સતત પજવતી સમસ્યાઓ રાતોરાત દૂર કરી દે છે. અમેરિકન કરોડાધિપતિ ચાર્લ્સ સ્ક્વૈબે ઊંચા પગારે નીમેલા સલાહકારને પૂછ્યું, ‘‘જીવનમાં સહુથી અમૂલ્ય સંપત્તિ કઈ છે ? જે સંપત્તિ એક વાર ગુમાવીએ તો ફરી મળતી નથી. ગયેલું ધન પાછું મેળવી શકાય છે, કથળેલું સ્વાસ્થ્ય પુન: સંપાદિત થાય છે, પરંતુ જીવનમાં ફરી પ્રાપ્ત ન થતી એવી અમૂલ્ય સંપત્તિ કઈ ? એ જાણવામાં આવે તો એના ઉપયોગ અંગે પૂરી સાવધાની રખાય.’’ સલાહકારે કરોડપતિને કહ્યું, ‘‘જીવનમાં સૌથી મહત્ત્વની સંપત્તિ તે સમયનો યોગ્ય ઉપયોગ છે. આના માટે રોજ પ્રભાતે કામોની યાદી બનાવવી જોઈએ. એમાંથી જે અત્યંત મહત્ત્વનાં કામો હોય તેને તેના મહત્ત્વ પ્રમાણે ક્રમસર ગોઠવવાં જોઈએ અને તે પછી બીજાં સામાન્ય કામોની નોંધ કરવી જોઈએ. એ મહત્ત્વનાં કાર્યો પહેલાં ક્રમસર પૂર્ણ કરવાં જોઈએ. આમ કરનાર વ્યક્તિ જ સમયનો યોગ્ય ઉપયોગ કરી શકે છે.’’ કરોડપતિને સવાલ જાગ્યો કે આવી અગ્રતાક્રમે યાદી બનાવવાનો અર્થ શો ? ત્યારે એને સમજાયું કે સિત્તેર વર્ષ જીવતો માનવી પચીસ વર્ષ નિદ્રામાં, આઠ વર્ષ અભ્યાસમાં, સાત વર્ષ વૅકેશન અને મોજમસ્તીમાં, છ વર્ષ આરામ અને બીમારીમાં, પાંચ વર્ષ રોજના વાહનવ્યવહારમાં, ચાર વર્ષ ભોજનમાં અને ત્રણ વર્ષ સામાન્ય કામકાજમાં પસાર કરી દે છે. આથી મહત્ત્વનું કાર્ય કરવા માટે વ્યક્તિ પાસે માત્ર બાર જ વર્ષ હોય છે. માટે વ્યક્તિએ પોતાનાં કામોના ક્રમને યોગ્ય રીતે ગોઠવવા જોઈએ.