Categories
વાચન સમૃદ્ધિ

હરિવંશરાય બચ્ચન

જ. 27 નવેમ્બર, 1907 અ. 18 જાન્યુઆરી, 2003

હરિવંશરાય બચ્ચન હિન્દી ભાષાના એક પ્રસિદ્ધ કવિ તેમજ લેખક હતા. તેઓ હિન્દી કવિતાના ઉત્તર છાયાવાદ કાળના મુખ્ય કવિઓમાંના એક ગણાય છે. તેમનો જન્મ અલાહાબાદ પાસે પ્રતાપગઢ જિલ્લામાં એક નાના ગામ બાબૂપટ્ટીમાં થયેલો. તેમનું મૂળ નામ હરિવંશરાય શ્રીવાસ્તવ. તેઓનો જન્મ કાયસ્થ પરિવારમાં થયેલો. તેમને બાળપણમાં ‘બચ્ચન’ (જેનો અર્થ બાળક કે સંતાન) કહેવામાં આવતા. આ શબ્દ તેમણે પોતાના તખલ્લુસ તરીકે રાખ્યો. વળી મોટા પુત્ર અમિતાભના શાળાપ્રવેશ સમયે તેમણે પોતાની જ્ઞાતિ ન જણાવવા આ ‘બચ્ચન’ શબ્દને અટક તરીકે જ રાખ્યો. આરંભમાં તેમણે કાયસ્થ પાઠશાળામાં ઉર્દૂનું શિક્ષણ લીધું, પછી પ્રયાગ વિશ્વવિદ્યાલયમાંથી અંગ્રેજીમાં એમ.એ. કર્યું અને ત્યારબાદ સેંટ કૈથરીન કૉલેજ, કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં અંગ્રેજ કવિ ડબલ્યુ. બી. યેટ્સ પર સંશોધન કરી પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. 1942થી 1952 સુધી વિશ્વવિદ્યાલયમાં અંગ્રેજીના પ્રાધ્યાપક રહ્યા અને ત્યારપછી થોડો સમય આકાશવાણીમાં કાર્ય કરી પછી વિદેશ મંત્રાલયમાં હિન્દીના વિશેષજ્ઞ તરીકે દિલ્હીમાં રહ્યા. તેઓ હિન્દુસ્તાની અને અવધી ભાષામાં પણ પારંગત હતા. 1935માં ‘તેરા હારા’ તેમનું પ્રથમ પ્રકાશન હતું પણ તેમને ‘મધુશાલા’ની રચનાઓને કારણે અગ્રસ્થાન મળ્યું. 1936માં તેમણે ‘મધુબાલા’ તથા 1937માં ‘મધુકલશ’ના કવિતાસંગ્રહ બહાર પાડ્યા. તેમની રચનાઓમાં ઉમર ખય્યામની રુબાયતોનો પ્રભાવ જોવા મળે છે. ‘નિશા નિમંત્રણ’ (1938) અને ‘એકાન્ત સંગીત’ (1937) નામના કાવ્યસંગ્રહોમાં તેમની ઉત્કૃષ્ટ રચનાઓ છે. ‘આકુલ અંતર’ (1943), ‘સતરંગિની’ (1945), ‘હલાહલ’ (1946) અને ‘મિલનયામિની’(1950)માં તેમનાં યુગલક્ષી સુંદર ગીતો સંચિત થયેલાં છે. આ ઉપરાંત તેમના આત્મચરિત્ર ગ્રંથો જેમાં પ્રથમ ખંડ ‘ક્યા ભૂલું ક્યા યાદ કરું’(1960)માં પ્રથમ પત્નીના અવસાન સમયની વ્યથા-કથા, બીજા ખંડ ‘નીડર કા નિર્માણ’ (1970), ત્રીજા ખંડ ‘બસૈર સે દૂર’(1977)માં દેશ-નગર-પરિવારથી દૂર કેમ્બ્રિજમાં સંશોધન અને ચોથા ખંડ ‘દશદ્વાર અને સોપાન’માં અનેક રોચક વર્ણનો છે. આ ઉપરાંત ‘જનગીતા’ તથા શેક્સપિયરકૃત ‘મૅકબૅથ’ વગેરેના અનુવાદો પણ કર્યા છે. તેઓ 1952થી અલાહાબાદ રાજ્યસભાના મનોનીત સભ્ય હતા અને તેમણે સાહિત્ય અને શિક્ષણક્ષેત્રે આપેલા પ્રદાન માટે અનેક સન્માન પણ આપવામાં આવેલાં જેમાં 1976માં ‘પદ્મભૂષણ’ પારિતોષિક ખાસ ઉલ્લેખનીય છે.

Categories
વાચન સમૃદ્ધિ

સેવા એ જ વેપાર

ઇટલીના અસીસી પ્રાંતમાં વસતા એક ધનિક વેપારીના પુત્ર સીસોનું મન દુનિયાનાં દુ:ખો જોઈને દ્રવી જતું હતું. બીજાં બાળકો જ્યારે ખેલકૂદમાં આનંદ માણતાં હોય, ત્યારે સીસોને બીજા લોકોની પીડા અને દુ:ખને જોઈને વેદના થતી હતી. એનામાં દીન-દુખિયાં પ્રત્યે એવી પ્રબળ કરુણા હતી કે એની સ્થિતિ જોઈને એમને મદદ કર્યા વિના રહી શકતો નહીં. એક વાર રસ્તા પર રક્તપિત્તગ્રસ્ત ભિખારીને ભીખ માગતો જોયો અને ધનવાન પિતાના પુત્ર સીસોએ એને થોડા પૈસા આપ્યા. પરંતુ એ રક્તપિત્તની બીમારી ધરાવતો માનવી સીસો તરફ વેધક નજરે જોઈ રહ્યો. સીસો એની આંખના ભાવો વાંચીને પારખી ગયો કે આને પૈસા કરતાં વધુ તો પ્રેમ અને સેવાશુશ્રૂષાની જરૂર છે. સીસો એની સેવામાં ડૂબી ગયો. એના ધનવાન પિતાએ એને કહ્યું કે, ‘આપણો આટલો બહોળો વેપાર છે, તું વેપારમાં ધ્યાન આપ.’ ત્યારે સીસોએ એના પિતાને કહ્યું કે, ‘મારે માટે કોઈ વેપાર હોય કે જીવન હોય તો તે ગરીબ અને બીમારની સેવા કરવાનું છે.’ અને સીસોએ ગરીબોની સેવા કરવાનું લક્ષ્ય રાખ્યું. એ રક્તપિત્ત ધરાવતા લોકોની સેવા કરતો એટલું જ નહીં, પરંતુ એમને અગાધ સ્નેહ આપીને એમનામાં જીવવાની નવી તમન્ના પેદા કરતો હતો. એક વાર એણે ચર્ચ બનાવવાનો વિચાર કર્યો અને એમાં માત્ર ગરીબ અને દુ:ખી લોકોને જ સામેલ કર્યા. બધાએ ભેગા મળીને પથ્થર એકઠા કર્યા. સીસોના આ સેવાકાર્યની સુવાસ સઘળે પ્રસરી ગઈ અને એના મિત્રોએ સેવા અને નિર્માણ માટે એક સંગઠન ‘ધ પુઅર બ્રધર્સ ઑફ અસીસી’ શરૂ કર્યું. સમયની સાથે એ સંગઠનમાં વધુ ને વધુ લોકો જોડાતા ગયા અને થોડા સમય બાદ એ સંગઠનનું નામ ‘ફ્રાંસિસ્કોપ’ રાખવામાં આવ્યું. રક્તપિત્તની સેવા કરનાર સીસો માત્ર તેંતાળીસ વર્ષની વયે અવસાન પામ્યો, પરંતુ એનું સેવાભાવી લોકોનું આ સંગઠન આજેય દીન-દુખિયાંઓનો સહારો બની રહ્યું છે અને સીસોને ‘સેંટ ફ્રાન્સિસ ઑફ અસીસી’ના રૂપે સહુ યાદ કરે છે.

Categories
વાચન સમૃદ્ધિ

વ્રજલાલ કાળીદાસ શાસ્ત્રી

જ. 26 નવેમ્બર, 1825 અ. 14 નવેમ્બર, 1892

ગુજરાતી ભાષાશાસ્ત્રી, સંશોધક, અનુવાદક અને કવિ તરીકે જાણીતા વ્રજલાલ શાસ્ત્રીનો જન્મ સોજીત્રા તાલુકાના મલાતજ ગામના સાઠોદરા નાગર બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. મલાતજમાં જ પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ તેમણે સંસ્કૃત પાઠશાળાઓમાં સંસ્કૃત કવિતા અને વ્યાકરણનો અભ્યાસ કર્યો હતો. વ્યાકરણની સાથોસાથ તેમણે સાહિત્યનો પણ અભ્યાસ કર્યો હતો. તેમણે અમદાવાદસ્થિત જૈન મંદિર ખાતે સંસ્કૃત શીખવ્યું હતું. જૈન ધાર્મિક પુસ્તકોના અભ્યાસને કારણે તેઓ પ્રાકૃત, પાલિ, અપભ્રંશ અને અર્ધમાગધી ભાષાથી પરિચિત થયા હતા. જે પરથી તેમણે ગુજરાતી ભાષાવિજ્ઞાનનાં પુસ્તકો લખ્યાં હતાં. વ્રજલાલ શાસ્ત્રીએ 1865માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી અને ધર્મસભા સાથે કામ કર્યું હતું અને તેમના બે જર્નલ ‘બુદ્ધિપ્રકાશ’ અને ‘ધર્મપ્રકાશ’નું સંપાદન કર્યું હતું. સંશોધનકાર અને વિદ્વાન તરીકે તેમની પચીસ વર્ષની લાંબી કારકિર્દી હતી. 1876માં વર્નાક્યુલર કૉલેજ ઑફ સાયન્સમાં જોડાયા હતા અને 1879માં અમદાવાદની પ્રેમચંદ રાયચંદ કૉલેજમાં સંસ્કૃતના પ્રાધ્યાપક તરીકે જોડાયા હતા. વિદ્વાન સંશોધક અને લેખક વ્રજલાલ શાસ્ત્રી પાસેથી આપણને પંદર ગ્રંથો પ્રાપ્ત થયા છે – જેમાં ‘ગુજરાતી ભાષાનો ઇતિહાસ’ (1866), ‘ઉત્સર્ગમાલા’ (1870), ‘ધાતુસંગ્રહ’ (1870), ‘હિતોપદેશ શબ્દાર્થ’ (1870), વૈશેષિક તર્કસાર’ (1878), ‘ગુર્જર ભાષાપ્રકાશ’ (1892) અને ‘ઉક્તિસંગ્રહ’ ખાસ ઉલ્લેખનીય છે. ‘નાગરોત્પત્તિ’, ‘ભક્તિભાસ્કર’ તેમના પ્રકીર્ણ ગ્રંથો છે. ‘યાજ્ઞવલ્ક્યચરિત’ ગુજરાતીમાં એ પ્રકારનું પ્રથમ ચરિત્ર છે. ‘બ્રહ્મસૂત્રાર્થપ્રકાશ’, ‘મુક્તામાળા’ અને ‘રસગંગા’ 1934માં પ્રકાશિત થયેલાં મરણોત્તર પ્રકાશન છે.