Categories
વાચન સમૃદ્ધિ

તુવાલુ

પશ્ચિમ-મધ્ય પૅસિફિક મહાસાગરમાં આવેલું પરવાળાના નાના નાના ટાપુઓનું જૂથ. તે આશરે 8° 0´ દ. અ. અને 178° 0´ પૂ. રે. પર તેમજ ઑસ્ટ્રેલિયાથી ઈશાનમાં લગભગ 4000 કિમી.ના અંતરે છે જે આજે ‘તુવાલુ’ નામે એક સ્વતંત્ર દેશ તરીકેનો રાજકીય દરજ્જો ધરાવે છે. ફુનાફુટી તેનું પાટનગર છે. પહેલાં તે એલિસ ટાપુઓ નામથી ઓળખાતું હતું. આ ટાપુઓની શોધ 1764માં બ્રિટિશ નૌકાસૈન્યના કપ્તાન જ્હોન બાયરને કરી હતી. 1892માં આ ટાપુઓને બ્રિટન સાથે જોડવામાં આવ્યા અને 1915માં તે ‘ગિલ્બર્ટ અને એલિસ ટાપુઓ’ની બનેલી બ્રિટનની ક્રાઉન કૉલોનીના ભાગરૂપ બન્યા. 1974માં પોલિનેશિયન ટાપુઓના મૂળવતનીઓએ આ કૉલોનીમાંથી ગિલ્બર્ટ ટાપુને અલગ કરવાની માંગણી કરી, કારણ કે ગિલ્બર્ટ ટાપુમાં માઇક્રોનેશિયન પ્રજા વસવાટ કરતી હતી. 1976માં એલિસ ટાપુઓથી ગિલ્બર્ટ ટાપુને અલગ કરવામાં આવ્યો. 1975માં એલિસ ટાપુઓના જૂથને સ્વાતંત્ર્ય બક્ષવામાં આવ્યું અને તેનું નામ બદલીને ‘તુવાલુ’ રાખવામાં આવ્યું.

તુવાલુનું પાટનગર ફુનાફુટી

આજે તે દુનિયાના સૌથી નાના દેશો પૈકીનો એક દેશ બન્યો છે. પૅસિફિક મહાસાગરનાં જળ ઉપર લગભગ 640 કિમી.ની લંબાઈમાં પથરાયેલા અને કુલ 26 ચોકિમી. ભૂમિવિસ્તારને આવરી લેતા નવ જેટલા પરવાળાના નાના નાના ટાપુઓ પૈકી ફુનાફુટી ટાપુ મુખ્ય છે. તેના પર આવેલા બંદર મારફત ત્યાંનો જળવ્યવહાર ચાલે છે. તે ગરમ અને ભેજવાળી વિષુવવૃત્તીય આબોહવા ધરાવે છે. આમ છતાં દરિયાઈ અસરોને લીધે તેની આબોહવા થોડીક નરમ બનેલી છે. ટાપુઓ પરની રેતાળ અને ક્ષારવાળી જમીનો નારિયેળીનાં વૃક્ષોના ઉછેર માટે વધુ માફક આવે છે, જેથી તેમના પર નારિયેળીનાં વૃક્ષોનાં ઝુંડ છવાયેલાં જોવા મળે છે. આ ઉપરાંત અહીં પૅન્ડાનસ નામનાં વૃક્ષો ઊગે છે. આ વૃક્ષનાં પાંદડાં લાંબાં અને કાંટાળાં હોય છે, તેમ જ તેને અનેનાસ જેવાં ફળ આવે છે. માત્ર 11,900(2021)ની વસ્તી ધરાવતા તુવાલુમાં સાક્ષરતાનું પ્રમાણ 96% જેટલું છે. અહીંના લોકો મુખ્યત્વે ખ્રિસ્તી ધર્મ પાળે છે, તેમ જ તુવાલુયન અને અંગ્રેજી ભાષામાં વ્યવહાર કરે છે. આ દેશ કોપરાં અને પૅન્ડાનસની નિકાસ દ્વારા વિદેશી હૂંડિયામણ મેળવે છે.

ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8

Categories
વાચન સમૃદ્ધિ

એ. કે. હંગલ

જ. 1 ફેબ્રુઆરી, 1914 અ. 26 ઑગસ્ટ, 2012

ભારતીય હિન્દી સિનેમાના ચરિત્ર અભિનેતા એ. કે. હંગલ એક આગવી ઓળખ ધરાવે છે. એમનું મૂળ નામ અવતાર ક્રિષ્ણ હંગલ હતું. તેઓ જન્મે કાશ્મીરી પંડિત હતા. પિતા સ્વાતંત્ર્યસેનાની હોવાને કારણે દેશભક્તિના સંસ્કાર એમને બાળપણથી જ પ્રાપ્ત થયા હતા. તેઓ ફિલ્મજગતમાં આવતાં પહેલાં સ્વાતંત્ર્યસેનાની તરીકે સતત સક્રિય રહ્યા. અર્થોપાર્જન માટે દરજીકામથી કારકિર્દીની શરૂઆત કરી, પરંતુ અભિનય પ્રત્યે બાળપણથી જ લગાવ હતો. 1936માં કરાંચીમાં શ્રી સંગીત પ્રિયા મંડળમાં જોડાયા, જ્યાં વિવિધ નાટકોમાં અભિનય કર્યો. મિત્રોના પ્રભાવથી માર્કસવાદી વિચારધારા અપનાવી. સામ્યવાદી ચળવળોની પ્રવૃત્તિઓને કારણે કારાવાસ પણ ભોગવવો પડ્યો. કારાવાસમાંથી મુક્ત થયા પછી મુંબઈમાં સ્થાયી થયા. ત્યાં અભિનય માટે ઇપ્ટા સંસ્થા સાથે જોડાયા. જીવનનાં પચાસ વર્ષ પછી હિન્દી ફિલ્મજગતમાં પદાર્પણ કર્યું. 1966માં બાસુ ભટ્ટાચાર્યના દિગ્દર્શનમાં ફિલ્મ ‘તીસરી કસમ’માં અભિનય કર્યો. ‘શાગિર્દ’, ‘આઈના’, ‘શોલે’, ‘શૌકીન’, ‘નમકહરામ’, ‘બાવર્ચી’, ‘અર્જુન’, ‘આપ કી કસમ’, ‘અવતાર’ જેવી લગભગ 225 ફિલ્મોમાં ચરિત્ર અભિનેતા તરીકે પાત્રો ભજવ્યાં. 2001માં ફિલ્મ ‘લગાન’માં તેમનો અભિનય ધ્યાનાકર્ષક રહ્યો. 2008 સુધી એમની અભિનયયાત્રા ચાલુ રહી. 2008માં સિરિયલ ‘ક્રિષ્ણ ઔર કંસ’માં મહારાજા ઉગ્રસેનના પાત્રને એમણે અવાજ આપ્યો. 2008માં ‘હમસે હૈ ઝમાના’ ફિલ્મમાં અભિનય કરીને અભિનયક્ષેત્રે સંન્યાસ લીધો. 91 વર્ષે ફૅશન શોમાં વ્હિલચૅર ઉપર બેસીને રેમ્પ વૉક કરીને એક આગવી ઓળખ પણ આપી. 2006માં ભારત સરકારે એમને પદ્મભૂષણ ઍવૉર્ડથી સન્માનિત કર્યા હતા. એ. કે. હંગલ સદા એક સંસ્કારી, નીતિવાન, આદર્શ વ્યક્તિના પાત્રમાં ભાવકોના હૃદયમાં સદાય બિરાજમાન રહેશે. 98 વર્ષની ઉંમરે ઉંમરાધીન વ્યાધિઓ અને ફૅક્ચર થવાને કારણે તેમનું અવસાન થયું.

Categories
વાચન સમૃદ્ધિ

ભરબપોરે અંધારું

યહૂદી ધર્મગુરુની આસપાસ શિષ્યો વીંટળાઈને બેઠા હતા. એમની વચ્ચે જ્ઞાનચર્ચા ચાલતી હતી. ધર્મગુરુએ શિષ્યોને એક પ્રશ્ન પૂછ્યો, ‘હે શિષ્યો, હવે રાત પૂરી થઈ ગઈ છે અને દિવસ શરૂ થયો છે, એ તમે ક્યારે કહી શકો ? અંધારાએ વિદાય લીધી છે અને અજવાળાનો ઉઘાડ થયો છે એવું તમને ક્યારે લાગે છે ?’ ધર્મગુરુનો આવો પ્રશ્ન સાંભળીને પ્રથમ તો શિષ્યો આશ્ચર્ય પામ્યા. આવો તે પ્રશ્ન હોય ! રાત પૂરી થાય છે અને દિવસ ઊગે છે એ તો રોજની બાબત છે. વ્યક્તિએ વ્યક્તિના અનુભવની વાત છે. એનો ઉત્તર આપવો કઈ રીતે ? એક શિષ્યે કહ્યું, ‘ગુરુજી, વહેલી સવારે દૂરથી પ્રાણીઓ આવતાં હોય અને એમાં બકરી કોણ છે અને ઘેટું કોણ છે, એનો ભેદ પારખી શકીએ, ત્યારે સવાર પડી કહેવાય.’ ધર્મગુરુએ નકારમાં માથું ધુણાવ્યું અને કહ્યું, ‘કોઈ બીજો શિષ્ય મારા પ્રશ્નનો ઉત્તર આપશે ખરો ?’ બીજા શિષ્યએ કહ્યું, ‘ગુરુજી, આસપાસ વૃક્ષોની વનરાજી હોય. એના ભણી જ આંખો માંડી હોય અને પછી ધીરે ધીરે પ્રકાશ પથરાતાં અમને અંજીર અને પીચનાં ઝાડ વચ્ચેનો તફાવત નરી આંખે દેખાય ત્યારે સમજવું કે બસ, સવાર પડી ગઈ છે.’ ત્રીજા શિષ્યે કહ્યું, ‘બારીમાંથી સૂર્યનું પહેલું કિરણ દેખાય ત્યારે સવાર પડી હોય એમ લાગે છે.’ તો કોઈ શિષ્યએ કહ્યું, ‘ખુલ્લા આકાશ નીચે સૂતા હોઈએ અને આંખમાં પહેલું સૂર્યકિરણ પડે ત્યારે એમ લાગે કે બસ, હવે સવાર પડી ગઈ.’ શિષ્યોના જવાબથી પણ ગુરુને સંતોષ થયો નહીં. અંતે થાકીને શિષ્યોએ કહ્યું, ‘ગુરુજી, અમારી વાત તમે સ્વીકારતા નથી, તો તમે જ અમને સમજાવો.’ યહૂદી ધર્મગુરુ બોલ્યા, ‘મારા પ્રિય શિષ્યો, તમે આ જગતની કોઈ પણ સ્ત્રીને તમારી ભગિનીના સ્વરૂપમાં જુઓ અને પુરુષને તમારા બંધુના રૂપે જુઓ, ત્યારે માનજો કે હવે સાચો ઉજાસ ફેલાયો છે. બાકી તો ભરબપોરે પણ અંધારું જ છે એમ માનજો. દિવસ ઊગ્યો છે એવું સહેજે માનશો નહીં.’