Categories
વાચન સમૃદ્ધિ

અફઘાનિસ્તાન

દક્ષિણ મધ્ય એશિયામાં આવેલો પહાડી દેશ.

તેની ઉત્તરે ઉઝબેકિસ્તાન, ઈશાને તઝાકિસ્તાન, પૂર્વ અને ઈશાને ચીન, પૂર્વ દક્ષિણ પાકિસ્તાન, પશ્ચિમે ઈરાન અને વાયવ્યે તુર્કમેનિસ્તાન આવેલા છે. તેને દરિયાકિનારો નથી. પાકિસ્તાન અને ભારત લદ્દાખ પ્રદેશની સીમા અને અફઘાનિસ્તાનની સીમા ભારત સાથે જોડાયેલી છે. આમ તે પાંચ દેશોની ભૂમિસીમાથી ઘેરાયેલો છે. અફઘાનિસ્તાન ત્રણ પ્રકારનું ભૂપૃષ્ઠ ધરાવે છે. લોખંડ, તાંબું, સીસું અને જસત અહીંનાં મુખ્ય ખનિજો છે. ઉત્તરના સપાટ પ્રદેશોમાં ખેતીનો વ્યવસાય વિકસેલો છે. ઘઉં, ડાંગર, મકાઈ, જવ અને કપાસ અહીંના મુખ્ય પાકો છે. નૈઋત્યનો ઉચ્ચપ્રદેશ રણવિસ્તાર ધરાવે છે. અહીં ઉનાળામાં ધૂળની આંધી થાય છે. મધ્યમાં ઊંચી પર્વતમાળાઓ આવેલી છે, જે હિમાલય પર્વતમાળાના ભાગ રૂપે છે. તેમાં હિંદુકુશ અને સુલેમાન પર્વતમાળાનો પણ સમાવેશ થાય છે. એમાં ખૈબરઘાટ આવેલો છે. પ્રાચીન સમયમાં સિકંદરે આ માર્ગેથી આક્રમણ કર્યું હતું. ૧,૬૦૦ કિમી. લાંબી અમુદરિયા નદી હિમાલયમાંથી નીકળી અરબી સમુદ્રને મળે છે. કાબુલ નદીના ખીણવિસ્તારમાં વિવિધ જાતનાં વૃક્ષો ઊગે છે.

હજરત અલી મઝાર શરીફબલ્ખ- અફઘાનિસ્તાન

રાજધાની કાબુલમાં ગુરુ ગોરખનાથનું પ્રખ્યાત મંદિર છે. શહેરની મધ્યમાંથી કાબુલ નદી પસાર થાય છે. તેની આસપાસ લીલીછમ ખીણો આવેલી છે. નગરની બહાર બાલાહસાર નામે કિલ્લો આવેલો છે. કાબુલ ઉપરાંત કંદહાર, હૈરાત, અઝર-એ-શરીફ મુખ્ય શહેરો છે. અહીં લગભગ બધા જ લોકો ઇસ્લામ ધર્મ પાળે છે, તે પૈકી ૯૦ % સુન્ની અને ૧૫ % શિયા મુસ્લિમો તથા ૦.૩ % અન્ય લોકો વસે છે. અડધા ઉપરાંત પ્રજા પશ્તોન તથા બાકીના લોકો તાદઝિક, ઉઝબેક, દારી, તુર્કમેની, ઉર્દૂ, આરબીક, બલોચી, નૂરીસ્તાની, પશાઈ, હઝારા તથા અંગ્રેજી ભાષા બોલે છે. અહીંની ગાલીચા અને તાંબાનાં વાસણો પરની હસ્તકળા વિશ્વવિખ્યાત છે. અફઘાનિસ્તાનની સૌથી મહત્ત્વની આર્થિક પ્રવૃત્તિ તે ખેતી અને પશુપાલન છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-1, અફઘાનિસ્તાન, પૃ. 27)

Categories
વાચન સમૃદ્ધિ

મલ્હારરાવ હોલકર

જ. 16 માર્ચ, 1693 અ. 20 મે, 1766

ઇન્દોરના પ્રથમ મહારાજા મલ્હારરાવ હોલકરનો જન્મ મહારાષ્ટ્રના સતારા જિલ્લાના મુરુમ ગામમાં ખાંડુજી હોલકરને ત્યાં થયો હતો. તેમનું મૂળ વતન ખેડ તાલુકાનું વફગાંવ હતું, પરંતુ હોલ ગામમાં આવી સ્થાયી થયા આથી હોલકર કહેવાયા. 1696માં પિતાનું અવસાન થયું ત્યારે તેઓ ત્રણ વર્ષના હતા. માતા એમને લઈને ખાનદેશના તાલોદ ગામમાં ભાઈ ભોજરાજ બારગલના ઘરે રહેવા ગયાં. મલ્હારરાવ યુવાન થતાં કંથાજીએ એમને ઘોડેસવાર તરીકે પોતાની ટુકડીમાં રાખ્યા. આમ તેમની લશ્કરી કારકિર્દી શરૂ થઈ. 1721માં તેઓ પેશ્વા બાજીરાવની સેનામાં જોડાયા. પોતાની મહેનત અને બુદ્ધિથી તેઓ આગળ વધ્યા. તેઓ બાજીરાવના વિશ્વાસુ સેનાપતિ બન્યા. 1725માં તેમને 500 ઘોડેસવારના ઉપરી બનાવવામાં આવ્યા. 1728માં અમઝેરાના યુદ્ધમાં રાણોજી સિંધિયા અને ઉદાજી પવાર સાથે ભાગ લીધો. 1730માં પેશ્વાએ માળવા પ્રાંતના સૂબેદાર તરીકે તેમની નિમણૂક કરી અને ચોથ ઉઘરાવવાનું કામ સોંપ્યું. તેમણે ચિમાજી અપ્પાના નેતૃત્વ હેઠળ પોર્ટુગીઝો પાસેથી બસેનનો કિલ્લો જીતી લીધો. 1748માં રોહિલ્લા અભિયાનમાં બહાદુરી માટે તેમને શાહી સરદેશમુખીનો ખિતાબ આપવામાં આવ્યો હતો. તેઓ નર્મદા અને સહ્યાદ્રી વચ્ચે આવેલા પ્રદેશના શાસક હતા. તેમણે 1717માં ગૌતમાબાઈ સાથે લગ્ન કર્યાં. એ પછી બાનાબાઈ, દ્વારકાબાઈ, હરકુબાઈ અને એક ખાંડા રાણી સાથે પણ લગ્ન કર્યાં હતાં. 1754માં ભરતપુરના જાટ મહારાજા સૂરજમલ સામે કુમ્હેર કિલ્લાના ઘેરા દરમિયાન તેમના એકના એક પુત્ર ખંડેરાવનું અવસાન થયું. ખંડેરાવના અવસાન પછી ખંડેરાવનાં પત્ની અહિલ્યાબાઈને તેમણે સતી થતાં અટકાવી હતી. મલ્હારરાવનું આલમપુર ખાતે અવસાન થયું. તેમના અવસાન પછી અહિલ્યાબાઈએ આલમપુરમાં તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા, એ સ્થળે સમાધિ છત્રી બનાવી હતી.

Categories
વાચન સમૃદ્ધિ

ત્રિપોલી (લિબિયા)

: લિબિયાનું પાટનગર અને દેશનું મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 35° 24´ ઉ. અ. અને 13° 11´ પૂ. રે.. તે દેશના ઉત્તર-પશ્ચિમ કિનારે ટ્યૂનિશિયાની સરહદથી 200 કિમી. દૂર ભૂમધ્ય સાગર પર આવેલ છે. વસ્તી 12,10,000 (2026, આશરે). લિબિયાનું મહત્ત્વનું બંદર હોવા ઉપરાંત ખેતપેદાશોના વ્યાપાર માટે તે મુખ્ય બજાર-કેન્દ્ર પણ છે. તેની ઔદ્યોગિક પ્રવૃત્તિઓમાં ખનિજતેલ-શુદ્ધીકરણ, ખાદ્ય-પ્રક્રમણ, મત્સ્ય-ઉદ્યોગ, ચર્મ-ઉદ્યોગ, તમાકુ, કાપડ, ઈંટ અને મીઠું બનાવવાના ઉદ્યોગો ઉપરાંત ગાલીચા વણવાના હસ્તકલા-ઉદ્યોગનો સમાવેશ થાય છે. જૂના શહેરવિસ્તારમાં વણકરો, સોની, કંસારા અને ચામડાની વસ્તુઓ બનાવનારાઓનું મોટું બજાર છે.

એક વખતનો ભવ્ય શાહી મહેલ, ત્રિપોલી

‘મુરીશ’ સ્થાપત્યના નમૂના અહીં મોજૂદ છે. બંદરની પાસે આવેલ સોળમી સદીનાં ભવ્ય સ્પૅનિશ મહેલમાં પ્રાગ્ ઇતિહાસ, પુરાતત્ત્વ, નૃવંશવિદ્યા, પ્રકૃતિવિજ્ઞાન તેમજ પ્રાચીન શિલાલેખોનું પ્રખ્યાત સંગ્રહાલય છે. શહેરનાં અનેક આકર્ષણો પૈકી વાસ્તુવિધાન અને કલાકારીગીરીના ઉત્તમ નમૂના તથા અઢારમી સદીની પુરાણી મસ્જિદો છે. આ મસ્જિદોના વિસ્તારમાં જૂના જમાનામાં સુંદર બગીચા બનાવવામાં આવ્યા હતા. હાલનું નવું શહેર સમુદ્રકિનારા પર નીલગિરિનાં વૃક્ષોની વીથિકા અને રોમન સમયનાં સ્થાપત્યોથી શોભે  છે. 1911–12ના ઇટાલી તથા લિબિયા વચ્ચેના યુદ્ધમાં તેના પર ઇટાલીએ વિજય મેળવ્યો હતો. 1943–51 દરમિયાન તે બ્રિટનના કબજામાં હતું. 1951માં લિબિયા સ્વતંત્ર થતાં તે દેશનું પાટનગર બન્યું. આ શહેરની સ્થાપના ફિનીશિયનોએ ઈ. સ. પૂ. આશરે 7મી સદીમાં કરેલી અને રોમન સામ્રાજ્યના સમયમાં તેને ઓપ આપવામાં આવ્યો. સ્થાપના પછીના ગાળામાં તેના પર રોમનો (ઈ. સ. પૂ. 146), વડાલો (આશરે ઈ. સ. 450), છઠ્ઠી સદીમાં બાઇઝેન્ટાઇનો તથા સાતમી સદીમાં આરબોનું શાસન દાખલ થયું હતું. 1146–58નો ગાળો બાદ કરતાં ઈ. સ. 1510 સુધી તેના પર આરબોનું શાસન હતું. 1551માં તેને તુર્કોએ જીતી લીધું હતું.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-9, ત્રિપોલી (લિબિયા), પૃ. 59 અથવા જુઓ https://gujarativishwakosh.org/ત્રિપોલી/)