Categories
વાચન સમૃદ્ધિ

ઉદયપ્રભા મહેતા

જ. ૨૬ જૂન, ૧૯૧૪ અ. ૧૫  એપ્રિલ, ૧૯૮૬

રૂઢિચુસ્ત સમાજમાં નારી જાગૃતિની શક્તિ દેખાડી અને ગુજરાતની એક ગૌરવવંતી અને ક્રાંતિકારી નારી તરીકે નામના પામનાર ઉદયપ્રભાબહેનનો જન્મ અમદાવાદની માંડવીની પોળમાં એક ચુસ્ત વૈષ્ણવ કુટુંબમાં થયેલો. માત્ર ચાર વર્ષની વયે તેમના પિતાનું  અવસાન થયું હતું. માતાનાં સંસ્કાર, જતન અને વહાલને કારણે એમને સામાજિક જીવનમાં વિકસવાની સુવિધા મળી હતી. મૅટ્રિકની પરીક્ષા પાસ કર્યા પછી એસ. એલ. યુ. આર્ટ્સ કૉલેજમાંથી ૧૯૩૪માં ગ્રૅજ્યુએટ થયાં. ભણતર પૂરું થયા પછી એક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરી, પરંતુ તેમાં ખાસ  રસ ન પડ્યો. ૧૯૩૨માં સ્થપાયેલ જ્યોતિસંઘમાં તેમણે ખંડ સમય માટે કામ કર્યું. પાછળથી તેનાં પ્રમુખ પણ બન્યાં અને સંઘ સાથે કાયમ જોડાયેલાં રહ્યાં. ગાંધીજીની પ્રેરણાથી તેમણે આજીવન ખાદી અપનાવી હતી. તેમનું જીવન સાદગીપૂર્ણ હતું. ૧૯૩૦થી ૧૯૪૨ની લડતમાં તેમણે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રોજ સવાર પડે પ્રભાતફેરીમાં જવું, દેશભક્તિનાં ગીતો ગાવાં, આઝાદીના નારા લગાવવા, સરઘસો કાઢવાં, પત્રિકાઓ લખવી-વહેંચવી, વિદેશી કાપડનો બહિષ્કાર કરવો, ઘેર ઘેર ખાદી વેચવી, દારૂનાં પીઠાં પર પિકેટિંગ કરવું વગેરે પ્રવૃત્તિઓમાં તેઓ નીડરપણે ભાગ લેતાં. તેઓ સ્ત્રીઓની સ્વતંત્રતા, સમાનતા જેવા મૂળભૂત અધિકારોમાં માનતાં. તે સમયે તેમણે ભાઈદાસભાઈ મહેતા સાથે સ્નેહલગ્ન કરેલાં અને આઝાદીની લડત સાથે સાથે એક પત્ની, માતા તથા ગૃહિણીની ફરજ પણ નિભાવતાં રહ્યાં. તેઓ આજીવન સમાજસેવાના કાર્ય સાથે જોડાયેલાં રહ્યાં હતાં. અમદાવાદ મ્યુનિસિપલ બોર્ડમાં ૧૯૪૬થી સ્ત્રીઓનાં પ્રતિનિધિ ચૂંટાયાં. ૧૯૫૪માં ચૅરમૅન થયાં. ૧૯૫૬માં અખિલ હિંદ મહિલા પરિષદ, એલિસબ્રિજ શાખામાં ઉપપ્રમુખ અને પછી પ્રમુખ બન્યાં. ૧૯૬૯માં ગુજરાત સ્ત્રી કેળવણી મંડળમાં પ્રમુખ થયાં. કેટલીક બૅંક તથા સંસ્થાઓ સાથે એમણે સક્રિય કામગીરી કરી. તેઓ આકાશવાણી, મહીપતરામ રૂપરામ આશ્રમ અને વિકાસગૃહ સાથે પણ ગાઢ રીતે સંકળાયેલાં હતાં.

Categories
વાચન સમૃદ્ધિ

નવી આશા આપતી નિષ્ફળતા

‘સંજોગો માનવીને ઘડે છે’ એ સૂત્ર તમે જીવનભર સાંભળતા આવ્યા છો. અનુકૂળ સંયોગને વ્યક્તિ આશીર્વાદરૂપ માને છે અને પ્રતિકૂળ સંયોગોને શાપરૂપ કે અવરોધરૂપ ગણે છે. જીવનપટ પર નજર નાખતી વખતે એ શોધે છે કે કયા સંજોગો સારા મળ્યા અને કયા નરસા મળ્યા ! કયા આનંદદાયી હતા અને કયા દુ:ખદાયી ! હકીકત એ છે કે સંજોગો વ્યક્તિને ઘડતા નથી, બલકે સંજોગો પ્રત્યેનો અભિગમ વ્યક્તિને ઘડે છે. એક જ સંજોગ એક વ્યક્તિને દુ:ખમાં ગરકાવ કરનારો લાગે, તો એ જ બનાવ પરથી બીજી વ્યક્તિ કોઈ જીવનબોધ તારવે છે. એક જ ઘટના એક વ્યક્તિને અવરોધક લાગે છે, તો બીજી વ્યક્તિને એ પ્રેરક લાગે છે. આમ સંજોગો મહત્ત્વના નથી, પરંતુ સંજોગો પ્રત્યેનો આપણો અભિગમ મહત્ત્વનો છે. અબ્રાહમ લિંકનને ચૂંટણીમાં વારંવાર હાર મળી, છતાં એ પરાજયથી પગ વાળીને બેસી રહેવાને બદલે પ્રયત્ન કરતા રહ્યા. બીજી વ્યક્તિને આટલા પરાજયો ખમવા પડ્યા હોય તો જિંદગીભર ચૂંટણીમાં ઊભા રહેવાનું નામ સુધ્ધાં ન લે. આમ સંજોગો કરતાં એ પ્રત્યેનો અભિગમ, એમાંથી તારવેલો મર્મ અને એમાંથી મેળવેલો સંકેત મહત્ત્વના છે. સંજોગ પ્રત્યેનું વલણ જ સામાન્ય માનવી અને અસામાન્ય માનવીનો ભેદ છતો કરી દે છે. સામાન્ય માનવી નિષ્ફળતા મળતાં આગળ વધવાનું માંડી વાળે છે, જ્યારે અસામાન્ય કે લોકોત્તર વ્યક્તિ નિષ્ફળતા મળે તો તેમને સફળતા-પ્રાપ્તિનો એક મુકામ માનીને આગળ વધતી રહે છે. પોતાની નિષ્ફળતામાંથી એ અર્થ શોધતી હોય છે, કારણ તપાસતી હોય છે અને એ પાર કરીને આગળ મંજિલ તૈયાર કરતી હોય છે. નિષ્ફળતા એ બીજાને નિરાશા જગાવનારી લાગે કિંતુ કર્તવ્યશીલને નવી આશાનો સંચાર કરતી લાગે છે.

Categories
વાચન સમૃદ્ધિ

મૂળશંકર મોહનલાલ ભટ્ટ

જ. ૨૫ જૂન, ૧૯૦૭ અ. ૩૧ ઑક્ટોબર, ૧૯૮૪

તેઓ ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ શિક્ષણશાસ્ત્રી, બાળસાહિત્યકાર, અનુવાદક અને જીવનચરિત્રકાર હતા. તેમણે બાળસાહિત્ય અને સાહિત્યક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. તેઓ ગુજરાતીમાં જૂલે વર્નની કૃતિઓનું ભાષાંતર કરવા માટે જાણીતા છે. ભાવનગરમાં મોહનલાલ અને રેવાબહેનને ત્યાં જન્મેલા મૂળશંકરભાઈએ ભાવનગરના શ્રી દક્ષિણામૂર્તિમાંથી શાળાકીય શિક્ષણ (વિનીત) પૂર્ણ કર્યું હતું. તેમણે ૧૯૨૧માં મૅટ્રિક પાસ કરીને ગૂજરાત વિદ્યાપીઠમાં ૧૯૨૭માં મુખ્ય વિષય તરીકે સંગીત અને દ્વિતીય વિષય તરીકે હિન્દી-ગુજરાતી સાથે સ્નાતક(સંગીતવિશારદ)ની પદવી પ્રાપ્ત કરી હતી. મૂળશંકર ભટ્ટે તેમના શિક્ષણકાર્યની શરૂઆત ૧૯૨૯માં મુંબઈના વિલેપાર્લે સ્થિત બૉમ્બે નૅશનલ સ્કૂલમાં સંગીત શિક્ષક તરીકે કરી હતી. ત્યારબાદ તેઓએ ભાવનગરમાં આવેલી દક્ષિણામૂર્તિ સંસ્થામાં ૧૯૩૦થી ૧૯૩૯ સુધી શિક્ષક અને રેક્ટર તરીકે, ઘરશાળામાં ૧૯૩૯થી ૧૯૪૫ સુધી શિક્ષક તરીકે, ૧૯૪૫થી ૧૯૫૩ સુધી ગ્રામદક્ષિણામૂર્તિ આંબલામાં આચાર્ય તરીકે અને ત્યારબાદ લોકભારતી ગ્રામ વિદ્યાપીઠમાં શિક્ષક અને રેક્ટર તરીકે સેવા આપી અને એ જ સમયગાળા દરમિયાન તેમણે લોકસેવા મહાવિદ્યાલયના આચાર્ય તરીકે પણ સેવા આપી. ૧૯૬૫માં નિવૃત્ત થયા પછી પણ અનેક સંસ્થાઓમાં તેમણે માનદ સેવા આપવાનું ચાલુ રાખ્યું. જૂલે વર્ન(ફ્રેન્ચ નવલકથાકાર, કવિ અને નાટ્યકાર)ની વિજ્ઞાન-સાહસકથાઓ જેમાં ‘સાગરસમ્રાટ’, ‘ગગનરાજ’, ‘પાતાળપ્રવેશ’, ‘સાહસિકોની સૃષ્ટિ’, ‘૮૦ દિવસમાં પૃથ્વીની પ્રદક્ષિણા’, ‘બલૂન પ્રવાસ’ વગેરે તેમની મુખ્ય અનુવાદની કૃતિઓ છે. આ ઉપરાંત વિક્ટર હ્યુગોની વિશ્વવિખ્યાત નવલકથા ‘લા-મિઝરેબલ’નો ‘દુ:ખિયારાં’ નામે તેમનો અનુવાદ જાણીતો છે. આવા મહાન ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ શિક્ષણશાસ્ત્રી મૂળશંકર મોહનલાલ ભટ્ટે ભાવનગરમાં અંતિમ શ્વાસ લીધો. મૂળશંકર ભટ્ટને નાનાભાઈ ભટ્ટ, ગિજુભાઈ બધેકા અને હરભાઈ ત્રિવેદી જેવા શિક્ષણવિદોની પરંપરામાં અંતિમ કડી માનવામાં આવે છે. તેમની શિક્ષણપદ્ધતિઓ અને સાહિત્યિક યોગદાન આજે પણ પ્રેરણારૂપ છે.