Categories
વાચન સમૃદ્ધિ

વિનાયક સાવરકર

જ. 28 મે, 1883 અ. 27 ફેબ્રુઆરી, 1966

સ્વાતંત્ર્યસેનાની, ક્રાંતિકારી, પ્રખર હિંદુત્વવાદી સમાજસુધારક અને સાહિત્યકાર વિનાયક સાવરકરનો જન્મ મહારાષ્ટ્રના નાશિક જિલ્લાના ભગૂર ગામમાં થયો હતો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ નાશિક ખાતે. 1901માં મૅટ્રિક થયા અને ઉચ્ચશિક્ષણ માટે પુણેની ફર્ગ્યુસન કૉલેજમાં દાખલ થયા. 1904માં મુંબઈ યુનિવર્સિટીની પ્રથમ વર્ષ એલએલ.બી.ની તથા 1905માં બી.એ.ની પરીક્ષા પાસ કરી. ત્યારબાદ શ્યામજી કૃષ્ણ વર્માની આર્થિક સહાયથી 1906માં બૅરિસ્ટર થવા માટે ઇંગ્લૅન્ડ ગયા. 1909માં બાર-ઍટ-લૉની પરીક્ષા પાસ કરી, પરંતુ પદવી ગ્રહણ કરવાની સ્પષ્ટ ના પાડી. પંદર વર્ષની વયે સ્વતંત્રતાની દેવી સમક્ષ દેશની સ્વાધીનતા માટે પ્રાણોની આહુતિ આપવા માટે પ્રતિજ્ઞા લીધી હતી. 1900માં નાશિક ખાતે યુવા સંગઠનની રચવાની પહેલ, 1903માં રાષ્ટ્રભક્તિથી અભિભૂત થઈ પ્રથમ કવિતા ‘જ્યોસ્તુતે’ની રચના કરી સાહિત્યસર્જનની શરૂઆત કરી. 1904માં ‘અભિનવ ભારત’ ક્રાંતિ-સંગઠનની સ્થાપનામાં પણ સક્રિય ભાગ લીધો. 1907માં લંડન ખાતે 1857ના સ્વાતંત્ર્યસંગ્રામની ઉજવણીમાં ભાગ લીધો. ઇટાલીના સ્વાતંત્ર્યસંગ્રામના કર્ણધાર જૉસેફ મૅઝિનીના લખેલ ચરિત્રનું પ્રકાશન કર્યું. 1910માં પૅરિસ ખાતે બૉમ્બ બનાવવાની ટૅકનિક જાણવા ગયા પણ ત્યાં ધરપકડ થઈ. ફ્રાન્સના માર્સેઇલ્સ બંદર નજીક જહાજના શૌચાલયમાંથી દરિયામાં છલાંગ મારી અને ડિસેમ્બરમાં ‘કાળાપાણી’ની જન્મટીપની કઠોર શિક્ષા ભોગવી. તેમને આંદામાનની સેલ્યુલર જેલની એકલ કોટડીમાં ગોંધી રાખી ઘાણી ચલાવવા જેવી કઠોર શારીરિક શ્રમની સજા કરી. કેદીઓ પરના જુલમોનો વિરોધ કરવા ભૂખહડતાળ અને સામૂહિક પ્રદર્શન ચાલુ રાખ્યાં. મરાઠીમાં રચેલું ‘કમલા’ મહાકાવ્યનું નિર્માણ ખીલી જેવી અણીદાર વસ્તુથી જેલની કોટડીની ભીંત પર કોતર્યું હતું. લગભગ એક વર્ષ સુધી બંગાળની અલિપુર જેલ તથા મુંબઈની રત્નાગિરિ જેલમાં પૂરવામાં આવ્યા. થોડો સમય પુણેની યરવડા જેલમાં પણ રાખવામાં આવ્યા. 1924ના જાન્યુઆરીમાં રાજકારણમાં ભાગ નહીં લેવાની તથા રત્નાગિરિ જિલ્લાની સરહદની બહાર ન જવાની શરતે છોડવામાં આવ્યા. 1970માં તેમની ટપાલટિકિટ બહાર પાડવામાં આવી. 2002માં પૉર્ટ બ્લેર ઍરપૉર્ટને ‘વીર સાવરકર ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ’ જાહેર કરવામાં આવ્યું. 2003માં ભારતીય સંસદમાં તેમનું તૈલચિત્ર મૂકવામાં આવ્યું હતું.

Categories
વાચન સમૃદ્ધિ

આબુ પર્વત

રાજસ્થાનની અરવલ્લી પર્વતમાળામાં આવેલું હવા ખાવાનું સ્થળ. આબુ પર્વત ૨૪° ૩૬´ ઉ. અક્ષાંશ અને ૭૨° ૪૫´ પૂ. રેખાંશ પર આવેલ છે. તે અરવલ્લી પર્વતમાળાના એક ભાગરૂપ છે. તેની લંબાઈ આશરે ૩ કિમી. અને પહોળાઈ ૧૦ કિમી. જેટલી છે. આબુ પર્વતમાળાનું સર્વોચ્ચ શિખર ‘ગુરુશિખર’ સમુદ્રની સપાટીથી ૧૭૨૨ મીટરની ઊંચાઈ ધરાવે છે. આ પર્વતનાં મુખ્ય શિખરોમાં પાર્ક ટેકરી, ભિગાલિયા ટેકરી, અધ્ધરદેવી ટેકરી, અચલગઢ અને સનસેટ પૉઇન્ટ મુખ્ય છે. માઉન્ટ આબુ હવા ખાવાનું પ્રખ્યાત સ્થળ ગણાય છે. દિલ્હી-અમદાવાદ રેલમાર્ગ ઉપર આબુ રોડ સ્ટેશનથી મોટરમાર્ગે આબુ પર્વત ઉપર પહોંચી શકાય છે. ઈ. સ. ૧૯૫૬ સુધી આબુ ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાનો ભાગ હતો; પરંતુ ત્યારબાદ તેને રાજસ્થાનના સિરોહી જિલ્લામાં ભેળવી દેવામાં આવ્યો છે.

પુરાણકથા પ્રમાણે પ્રાચીન કાળમાં અહીં ખીણ-વિસ્તાર પણ હતો. બાજુમાં વસિષ્ઠ ઋષિનો આશ્રમ હતો. ઋષિની ગાય કોઈ કોઈ વાર ખીણમાં પડી જતી. આથી ઋષિએ તેમના શિષ્ય અર્બુદને બોલાવી ખીણ પુરાવી દીધી. અર્બુદ પોતે ખીણ ઉપર વસી ગયો. આ ઉપરથી આ પર્વત અર્બુદાચલ કહેવાયો. સમયાંતરે તેનું નામ ‘આબુ’ થયું. અધ્ધરદેવી કે અર્બુદાદેવીનું પ્રખ્યાત મંદિર અહીં આવેલું છે. પર્વત ઉપર ઘણાં પૌરાણિક-ધાર્મિક તથા ઐતિહાસિક સ્થળો છે. હિન્દુઓ અને જૈનોનું આ પવિત્ર તીર્થક્ષેત્ર છે. આરસની સુંદર કોતરણીવાળાં દેલવાડાનાં દેરાં અનુપમ છે. વારંવાર જોવાનું મન થાય એવું તેનું શિલ્પ અને સ્થાપત્ય તેની એક આગવી અસ્મિતા દાખવે છે. ગુજરાતના તે સમયના જૈન મંત્રીઓ વસ્તુપાળ તથા તેજપાળે તે બંધાવેલાં. આ ઉપરાંત નખી તળાવ, ટૉડ રૉક, ગૌમુખ, રઘુનાથજીનું મંદિર વગેરે પણ જોવાલાયક સ્થળો છે. ગિરિમથક હોવાને કારણે ઉનાળામાં અહીં પ્રવાસીઓની સખત ભીડ રહે છે. ચોમાસામાં અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય ખીલી ઊઠે છે. પ્રવાસીઓ માટે અહીં આવાસની સુંદર સુવિધા છે. અહીં કેટલીક મિશનરી શાળાઓ પણ આવેલી છે. પ્રજાપિતા બ્રહ્માકુમારીનો આશ્રમ પણ અહીં છે. આ ઉપરાંત ગુરુશિખરની નજીકની ટેકરી પર સંદેશાવ્યવહારની સુવિધા માટે ટાવર ઊભું કરાયું છે. આ રીતે જોતાં તેનું વ્યૂહાત્મક મહત્ત્વ વધી જાય છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, આબુ પર્વત, પૃ. 112)

Categories
વાચન સમૃદ્ધિ

કૃષ્ણદેવ મુલગુંડ

જ. 27 મે, 1913 અ. 11 મે, 2004

પ્રખ્યાત મરાઠી નર્તક, કૉરિયૉગ્રાફર અને કૉસ્ચ્યુમ ડિઝાઇનર કૃષ્ણદેવ મુલગુંડનો જન્મ નાશિકમાં થયો હતો, જ્યાં તેમનું બાળપણ વીત્યું. 21 વર્ષની ઉંમરે, તેઓ ફાઇન આર્ટસનો અભ્યાસ કરવા માટે મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં જોડાયા. તેમણે ક્યારેય ઔપચારિક રીતે નૃત્યનો અભ્યાસ કર્યો ન હતો, પરંતુ આ સમય દરમિયાન તેઓ મુંબઈના ઓપન થિયેટર્સમાં અવારનવાર જવા માંડ્યા. ભારતીય શાસ્ત્રીય નર્તક ઉદય શંકરને નૃત્ય કરતા જોવાનો લ્હાવો તેમના જીવનની એક નિર્ણાયક ઘડી હતી. ઉદય શંકરનું નૃત્ય જોવા માટે ટિકિટ લેવાના પૈસા ન હોવાને કારણે તેમણે પોતાના રંગો અને બ્રશ વેચી ટિકિટ લીધી. નૃત્ય જોઈને તેઓ એટલા  અભિભૂત થઈ ગયા કે દરવાનને થોડા આનાની લાંચ આપી, ઉદય શંકરને મળ્યા. તેમને પોતાની કથની વર્ણવી અને ઉદય શંકરે મુલગુંડ તેમના બધા જ શો વિના મૂલ્યે જોઈ શકે તેવી વ્યવસ્થા કરી આપી. સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાંથી સ્નાતક થયા પછી, તેઓ પુણે આવ્યા. અહીં તેઓ રેણુકા સ્વરૂપ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલમાં કલાશિક્ષક તરીકે જોડાયા. ત્યાં તેમણે લોકનૃત્ય શીખવવાનું શરૂ કર્યું. પુણેમાં બાળકોના રંગભૂમિ અને બાળનાટ્યનો વિચાર વિકસાવ્યો. તે સમયે રોહિણી હટ્ટંગડી અને સ્મિતા પાટિલ જેવાં કુશળ મરાઠી કલાકારો પણ શરૂઆતના દિવસોમાં તાલીમ માટે તેમની પાસે આવતાં હતાં. તેમણે મુલગુંડના બાળનાટક ‘મંત્રેલું પાણી’માં અભિનય પણ કર્યો હતો. નાટકો લખવાની સાથે, તેઓ ફિલ્મો માટે કૉરિયૉગ્રાફી અને કૉસ્ચ્યુમ ડિઝાઇન પણ કરતા હતા. ‘ઘાસીરામ કોટવાલ’માં પણ તેમનું મહત્ત્વનું યોગદાન હતું. મુલગુંડે છત્રપતિ શિવાજી મહારાજના જીવન પર આધારિત નાટક બાબાસાહેબ પુરંદરેના ‘જાણતા રાજા’નું પણ કૉરિયૉગ્રાફ કર્યું હતું. તેમણે સમર્થ રામદાસના કાર્ય પર આધારિત ‘આનંદ વન ભુવાની’માં પણ કામ કર્યું હતું. કલા અને નૃત્યક્ષેત્રે મુલગુંડના યોગદાનને બિરદાવતાં તેમને કલાછાયા ઍવૉર્ડ, કલાગૌરવ ઍવૉર્ડ અને અખિલ ભારતીય મરાઠી નાટ્ય પરિષદ ઍવૉર્ડથી નવાજવામાં આવ્યા હતા.