Categories
વાચન સમૃદ્ધિ

અંબાજી

એક પ્રખ્યાત શક્તિપીઠ. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દાંતા અને આરાસુર પર્વતમાળા વચ્ચે આવેલું તે પ્રસિદ્ધ યાત્રાધામ છે. ભૌગોલિક સ્થાન : ૨૪° ૧૯´ ઉ. અ. અને ૭૨° ૫૦´ પૂ. રે.. ભારતના વિભિન્ન પ્રદેશોની માફક ગુજરાત પણ શક્તિની સાધના અને ઉપાસનાનું કેન્દ્ર છે. ગુજરાતનાં દેવીની ઉપાસનાનાં અનેક પવિત્ર સ્થળોમાં અંબિકા, કાલિકા અને શ્રીબાલા બહુચરા મુખ્ય છે. આ સિવાય ગૌણ રૂપે કચ્છમાં આશાપુરા, ભુજ પાસે રુદ્રાણી, દ્વારકા પાસે અભયમાતા, પોરબંદરનાં હરસિદ્ધ માતા, ગોંડલનાં ભુવનેશ્વરી, ઘોઘા-ભાવનગર પાસે ખોડિયાર માતા, હળવદ પાસે સુંદરી ભવાની, વઢવાણમાં બૂટ(ભૂત)માતા, ચોટીલાનાં ચામુંડા, નર્મદાતટે અનસૂયા, પેટલાદ પાસે આશાપુરી વગેરે પ્રખ્યાત છે.

અંબાજીનું મંદિર, માતાના સ્થાને અખંડ દીપ અને ગબ્બરનો ડુંગર

આરાસુરી અંબિકા કે અંબાજી એટલે માતાજી. માતાને સંસ્કૃતમાં ‘अम्बा’ કહે છે. પૌરાણિક કથા કહે છે કે દક્ષે કરેલા યજ્ઞમાં તેમણે પોતાની પુત્રી સતી અને જમાઈ શિવને નિમંત્રણ આપ્યું ન હતું; પરંતુ પિતાને ત્યાં યજ્ઞ હોઈ અન્ય દેવદેવીઓને જતાં જોઈ સતી પણ પિતાને ત્યાં ગયાં. ત્યાં પોતાના પતિનું અપમાન અને પોતાની અવગણના જોઈ તેમને લાગી આવતાં પોતાના દેહને બાળી નાખ્યો. શિવને ખબર પડતાં ક્રોધના આવેશમાં વીરભદ્રને ઉત્પન્ન કરી યજ્ઞનો નાશ કર્યો. મૃત સતીના દેહને લઈ શિવ આવેશ અને આઘાતથી ફરવા લાગ્યા. શંકર ભગવાનના મોહને છિન્નભિન્ન કરવાના હેતુથી વિષ્ણુએ ચક્રને ગુપ્ત રીતે સતીના દેહમાં પ્રવેશ કરાવી દેહનાં અંગોને છેદવા માંડ્યાં. જ્યાં જ્યાં આ અંગો પડ્યાં ત્યાં ત્યાં શક્તિપીઠો થઈ. ગુજરાતના અર્બુદારણ્ય(આરાસુર વિસ્તાર)માં પર્વતના શિખર ઉપર સતીના હૃદયનો એક ભાગ પડ્યો હતો. ત્યાં થયેલી આ શક્તિપીઠમાં માતા અંબા પૂજાય છે. અંબાજી વિશે લોકોમાં અનેક કથાઓ પ્રચલિત પણ થઈ છે. ગબ્બર (ગહવર-ગુફા) માતાની ગુફા કહેવાય છે. ઇડરિયો ગઢ – ચામુંડાની ટેકરી માતાજીનું વિહારસ્થાન છે. દાંતાના ઠાકોર અંબાજીના ભક્ત અને વહીવટકર્તા હતા. ૨૦૨૫ મુજબ વસ્તી આશરે ૨૫,૭૦૦ છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, અંબાજી, પૃ. 88)

Categories
વાચન સમૃદ્ધિ

મહારાણા પ્રતાપ

જ. 9 મે, 1540 અ. 29 જાન્યુઆરી, 1597

મેવાડના શૂરવીર રાજવી અને મહાન દેશભક્ત રાજપૂત મહારાણા પ્રતાપ તેમની ટેક અને પ્રતિજ્ઞાપાલન માટે ખ્યાતનામ છે. મેવાડના સિસોદિયા વંશના રાજાઓએ મુઘલ સમ્રાટો સામે નહીં નમવાની લીધેલી પ્રતિજ્ઞાનું પાલન કરવા અનેક કષ્ટો અને સંઘર્ષો વેઠ્યાં. અકબરે ફેબ્રુઆરી, 1568માં ચિતોડ પર આક્રમણ કરીને તે જીતી લીધું. તે સમયે રાણા ઉદયસિંહે કુંભલમેરમાં આશ્રય લીધો. તેમણે ઉદયપુર નામનું શહેર વસાવ્યું. રાણા ઉદયસિંહના અવસાન બાદ તેમના મોટા પુત્ર રાણા પ્રતાપને રાજગાદી મળી. (1 માર્ચ, 1572). રાણા પ્રતાપે મુઘલ સૈન્યનો સામનો કરવા લશ્કર એકત્રિત કરવા માંડ્યું. તેમણે રાજપૂતો અને ક્ષત્રિયો ઉપરાંત પઠાણો તથા ભીલોનો સાથ મેળવ્યો. તે સમયે તેઓ ગોગુન્દાથી રાજ્ય કરતા હતા. તેમણે સૈન્ય એકઠું કરી શસ્ત્રોથી સુસજ્જ કર્યું. અકબરે રાણા પ્રતાપને હરાવવા માટે સેનાપતિ માનસિંહના નેતૃત્વ હેઠળ મોટું લશ્કર મોકલ્યું. 21 જૂન, 1576ના રોજ પ્રતાપસિંહ અને માનસિંહના લશ્કરો વચ્ચે હલદીઘાટીના મેદાન પર ભીષણ યુદ્ધ થયું. પ્રતાપસિંહનો ચેતક નામનો અશ્વ ગંભીર રીતે ઘાયલ થયો, પરંતુ મૃત્યુ પામતાં પહેલાં આ વફાદાર અશ્વ ઝડપી ગતિથી પ્રતાપસિંહને યુદ્ધભૂમિથી દૂર સલામત સ્થળે લઈ ગયો અને સ્વામીનો જીવ બચાવ્યો. રાણા પ્રતાપે પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી ચિતોડ મુક્ત નહીં થાય ત્યાં સુધી હું કે મારા વંશજો કોઈ પણ ભોગવિલાસથી દૂર રહીશું. વૃક્ષપાત્ર સિવાય કોઈ પણ ધાતુપાત્રમાં ભોજન કરીશું નહીં. ઘાસની શય્યા પર શયન કરીશું અને માથાના વાળ કપાવીશું નહીં. અકબરે રાણા પ્રતાપસિંહને પકડવા અનેક પ્રયાસો કર્યા. તેણે કુંભલગઢમાં આશ્રય લીધો. અકબર દ્વારા કુંભલગઢનો કિલ્લો જીતવા મોટું લાવલશ્કર મોકલવામાં આવ્યું, પરંતુ તે પહેલાં પ્રતાપસિંહ તે સ્થળ છોડી ચૂક્યા હતા. 1584 સુધીમાં પ્રતાપસિંહે મેવાડનો ઘણો પ્રદેશ પાછો મેળવ્યો હતો. તેમણે ચિતોડ અને માંડલગઢ સિવાયનું સમગ્ર મેવાડ પાછું મેળવી લીધું હતું. ભામાશા નામના વફાદાર સાથીએ તેમને નાણાકીય મદદ કરી. માતૃભૂમિની રક્ષા કાજે અણનમ અને અજેય રહેનાર તથા કઠિન પ્રતિજ્ઞાપાલન કરનાર આ દેશભક્ત, ભારતીય ઇતિહાસમાં અમર અને અજોડ છે.

Categories
વાચન સમૃદ્ધિ

દમાસ્કસ

સીરિયાનું પાટનગર, મોટામાં મોટું શહેર તથા વિશ્વનાં પ્રાચીન નગરોમાંનું એક. ભૌગોલિક સ્થાન : 33° 30´ ઉ. અ. અને 36° 18´ પૂ. રે.. માઉન્ટ કાસિયમની તળેટીમાં વસેલું આ નગર દરિયાની સપાટીથી આશરે 730 મીટર ઊંચાઈ પર અર્ધ સૂકા મેદાની પ્રદેશમાં રણદ્વીપ તરીકે દેશની નૈઋત્ય દિશામાં વિકસ્યું છે અને તેનો કુલ વિસ્તાર 105 ચોકિમી. છે તથા વસ્તી આશરે 28 લાખ જેટલી (2026, આશરે) છે. ઈ. સ. પૂ. 3000માં તેની સ્થાપના થઈ ત્યારથી બરડા નદી જે શહેરને બે વિભાગમાં વહેંચે છે તે શહેરના લોકોની પાણીની જરૂરિયાત પૂરી પાડે છે. આ શહેરમાં 90 ટકા સીરિયન અરબો અને બાકીના 10 ટકામાં ખ્રિસ્તીઓ, કુર્દ, અલ્જિરિયન, અફઘાન, પર્શિયન, તુર્કમનનો તથા ડ્રુઝનો સમાવેશ થાય છે. એક સમયે ત્યાં યહૂદીઓની વસ્તી પણ હતી, પરંતુ 1948 પછી મોટા ભાગના યહૂદીઓ ઇઝરાયલમાં સ્થળાંતર થયા છે.

દમાસ્કસ શહેરનો સુવિકસિત મધ્યવિસ્તાર

નગરનું તાપમાન શિયાળાની ઋતુમાં 3.4° સે. તથા ઉનાળાની ઋતુમાં 25.2° સે.ની આજુબાજુ હોય છે. શહેરનો વાર્ષિક સરેરાશ વરસાદ 217 મિમી. હોય છે. સીરિયાનું સાંસ્કૃતિક, આર્થિક અને રાજકીય કેન્દ્ર ગણાતા આ શહેરનો દક્ષિણ તરફનો વિસ્તાર હજારો વર્ષ જૂનો છે તથા ઉત્તર તરફનો વિસ્તાર અદ્યતન નગર તરીકે વિકસ્યો છે. દક્ષિણ તરફના જૂના વિસ્તારમાં વણેલી, ગૂંથેલી વસ્તુઓ તથા ધાતુનાં વાસણોનાં બજાર છે, જ્યારે ઉત્તર તરફના વિસ્તારમાં આધુનિક ઢબની ઇમારતો, આવાસો, હોટેલો, વાણિજ્ય અને વ્યાપારની પેઢીઓનાં કાર્યાલયો, બૅંકો તથા અન્ય નાણાસંસ્થાઓની ઇમારતો, ધનિકોના આલીશાન બંગલાઓ વગેરે નજરે પડે છે. ઉત્તર તરફનો વિસ્તાર સહેલાણીઓ માટે મુખ્ય આકર્ષણરૂપ છે. દમાસ્કસ સીરિયાનું મોટામાં મોટું ઔદ્યોગિક નગર તથા વાણિજ્ય અને વ્યાપારનું કેન્દ્ર છે. ઉદ્યોગોમાં કાપડ તથા ખાદ્યપ્રક્રમણ મોખરે છે. અન્ય વસ્તુઓમાં રેશમના કિનખાબ, ચામડાની બનાવટો, ચાંદીની વસ્તુઓ, દારૂ, વનસ્પતિ તેલો, દીવાસળી, કાષ્ઠની વસ્તુઓ વગેરેનો સમાવેશ થાય છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, ગ્રંથ-9, દમાસ્કસ, પૃ. 215 અથવા જુઓ https://gujarativishwakosh.org/દમાસ્કસ/)