Categories
વાચન સમૃદ્ધિ

અંગકોરવાટ

એશિયામાં સૌથી મોટું ગણાતું કંબોડિયાનું વિશાળ મંદિર-સંકુલ.

ઈ. સ. ૧૮૫૮માં હેન્રી મૌહાઉટ નામના ફ્રેન્ચ પ્રકૃતિવિજ્ઞાનીએ કંબોડિયાનાં જંગલો વચ્ચે એક એવું મંદિર શોધી કાઢ્યું જેની ભવ્યતા ગ્રીસ કે રોમમાં મળી આવેલી ઇમારતો કરતાં પણ ચડિયાતી હતી. થોડા જ સમયમાં જાણવા મળ્યું કે અંગકોરવાટ નામે ઓળખાતું એ મંદિર એકલુંઅટૂલું નથી, પણ લગભગ ૪૫ ચોરસ કિમી.ના વિસ્તારમાં બંધાયેલાં દેવાલયોના ભવ્ય સંકુલનો તે એક ભાગ છે. અંગકોરવાટ મંદિરની સ્થાપના ખ્મેર સમ્રાટ સૂર્યવર્મા-બીજા(ઈ. સ. ૧૧૧૨–૧૧૫૨)એ કરી હતી. આજે અંગકોરવાટ મંદિર એક વિશાળ જળાશય વચ્ચે ટાપુની જેમ ઊભું છે. તેને ફરતી ખાઈમાં હજી પણ પાણી છે. ખાઈની કુલ લંબાઈ ચાર કિમી. અને પહોળાઈ ૧૯૬ મીટર કરતાં વધારે છે.

અંગકોરવાટનું વિરાટ વિષ્ણુમંદિર-સંકુલ

મંદિરમાં દાખલ થવા માટે ખાઈ પર બાંધેલો પુલ લગભગ ૧૧ મીટર પહોળો અને જમીનથી લગભગ સવા બે મીટર ઊંચો અને ૪૫૩ મી. લાંબો છે. પુલમાર્ગની બંને બાજુએ વિશાળ કદના નાગોની હારમાળા છે. તેમની વિકરાળ ફણાઓ ૪ મી. જેટલી ઊંચી છે. આ પુલમાર્ગ એક વિશાળ ગોપુરને જઈ મળે છે. અહીંથી મંદિર શરૂ થાય છે. મંદિરનું પ્રવેશદ્વાર પશ્ચિમ દિશા તરફ છે. મંદિરમાં પ્રવેશ કરવાના મુખ્ય દ્વારની બંને બાજુના કઠેડાઓ અને મંદિર પરનાં સુશોભનોની શ્રેણીઓ પણ ઉત્તમ કારીગરી દર્શાવે છે. અનેક પૌરાણિક કથાઓ તેનાં ખ્મેર અર્થઘટનો સાથે બારમી સદીના સ્થાપત્ય અને શિલ્પકલાના ઉત્તમ સંસ્કારો સાચવે છે. અહીંનાં શિલ્પો લગભગ ૨૦૦ મી. જેટલો લાંબો વિસ્તાર આવરે છે. એમાં રામાયણ, મહાભારત અને હરિવંશ-પુરાણના પ્રસંગો, પૌરાણિક કથાઓ, વિષ્ણુ અને તેના અવતારો – ખાસ કરીને રામ અને કૃષ્ણની કથાઓ દર્શાવાયાં છે. બાહ્ય સુશોભનોમાં અપ્સરાઓનાં ૧૭૫૦ જેટલાં પૂરા કદનાં કલાત્મક મૂર્તિશિલ્પો છે. અંગકોરવાટ મૂલત: વિષ્ણુમંદિર હતું અને તેના ગર્ભગૃહમાં વિષ્ણુની ભવ્ય પ્રતિમા સ્થાપેલી હતી. પાછળથી કમ્બુજનરેશ જયવર્મા ૭મા(ઈ. સ. ૧૧૮૧–૧૨૧૮)એ એને બૌદ્ધ મંદિરમાં ફેરવ્યું અને તેના ગર્ભગૃહમાં બૌદ્ધ પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી હોવાનું મનાય છે. આવું મંદિર ભગવાન જ રચી શકે એવું સ્થાનિક લોકો માને છે અને તેથી તે દેવોના શિલ્પી વિશ્વકર્મા દ્વારા નિર્માયેલું હોવાનું જણાવે છે.

ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-1

Categories
વાચન સમૃદ્ધિ

સિગમન્ડ ફ્રૉઇડ

જ. 6 મે, 1856 અ. 23 સપ્ટેમ્બર, 1939

મનોવિશ્લેષણ વિચારધારાના પ્રણેતા તરીકે જગતભરમાં ખ્યાતિ પામેલા મનોવિજ્ઞાની સિગમન્ડનો જન્મ યહૂદી કુટુંબમાં થયો હતો. ચાર વર્ષની વયે તેઓ પરિવાર સાથે વિયેના આવ્યા. ત્યાં તેમનું બાળપણ ઘરની આર્થિક તંગી તથા વિકટ સંજોગોમાં પસાર થયું. પાંચ વર્ષની વયે તેઓ શાળામાં દાખલ થયા, ભણવામાં મોખરે રહ્યા. તેઓએ રમવાની ઉંમરમાં સતત અભ્યાસ, વાચન અને પરિશ્રમમાંથી આનંદ લેવાનું વલણ વિકસાવ્યું. 17 વર્ષની વયે તેઓએ ઉજ્જ્વળ સફળતા સાથે શાળાનું શિક્ષણ પૂરું કર્યું. ત્યારબાદ તેમણે તબીબી વિદ્યાનો અભ્યાસ કરવાનો નિર્ણય લીધો. ઈ. સ. 1873માં તેમણે વિયેના યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો, તેઓનો મુખ્ય વિષય તબીબી વિદ્યા હોવા છતાં તેમની શૈક્ષણિક અભિરુચિનું ક્ષેત્ર ખૂબ વ્યાપક રહ્યું. 1876માં તેઓએ સંશોધનના ક્ષેત્રમાં પણ ઝંપલાવ્યું. તેમણે 1885માં મજ્જાકીય રોગો વિશેનાં તેમનાં સંશોધનો અને નિરીક્ષણોને આધારે ઘણાં પુસ્તકો પ્રકાશિત કર્યાં છે. ત્યારબાદ તેઓ મજ્જાવિકૃતિશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે નિયુક્ત થયા. તેઓએ ‘સ્ટડીઝ ઑવ્ હિસ્ટેરિયા’ પર પુસ્તક લખ્યું છે. સમગ્ર જીવન દરમિયાન ફ્રૉઇડે ઘણાં બધાં પુસ્તકો, લેખો, સંશોધન-અહેવાલો લખ્યાં છે. તેમના અચેતન મનના સિદ્ધાંતે વિચારકો અને વૈજ્ઞાનિકોમાં ખળભળાટ મચાવેલો. છેલ્લાં સો વર્ષમાં વૈચારિક ક્રાન્તિમાં વિશિષ્ટ પ્રભાવ પાડનારાઓમાં ફ્રૉઇડનું સ્થાન મોખરે રહ્યું. તેના વિચારો અને સિદ્ધાંતોનો પ્રભાવ ચિકિત્સાક્ષેત્રે અને સંશોધનક્ષેત્રે બહુ જ પ્રબળ અને વ્યાપક બન્યો. તે ઉપરાંત રોજિંદા જીવનને સમજવામાં, સાહિત્ય-કળાઓને મૂલવવામાં, ધર્મનાં રહસ્યો સમજવામાં અને સાંસ્કૃતિક ઘટનાઓ સમજવા સુધી તેનો વ્યાપ વધતો ગયો. જિંદગીનાં છેલ્લાં 16 વર્ષ તેઓ વિકટ પરિસ્થિતિમાં જીવ્યા. 1938માં નાઝી ઉગ્રવાદીઓને કારણે તેમને ઑસ્ટ્રિયા છોડવું પડ્યું અને લંડન સ્થાયી થયા. ત્યાં તેમનું અવસાન થયું.

Categories
વાચન સમૃદ્ધિ

દમણ

ગુજરાતના દક્ષિણ ભાગમાં આવેલો કેન્દ્રશાસિત પ્રદેશ. ભૌગોલિક દૃષ્ટિએ તળ ગુજરાતમાં આવેલું આ સંસ્થાન 1961 પૂર્વે પોર્ટુગલની સત્તા નીચેનો પ્રદેશ હતું. દમણ આ પ્રદેશનું મુખ્ય વહીવટી મથક છે, જે દમણગંગાના બંને કાંઠે 20° 25´ ઉ. અ અને 72° 51´ પૂ. રે. ઉપર વસેલું છે. નદીના મૂળ ઉપર આવેલા કિલ્લાથી તે રક્ષિત છે. વાપી નજીકનું રેલવેસ્ટેશન છે. દમણના પ્રદેશની એક બાજુ ભૂમિભાગ છે તો બાકીની ત્રણ બાજુએ અરબી સમુદ્ર આવેલો છે. તેની પૂર્વ બાજુએ વલસાડ જિલ્લાનો પારડી તાલુકો, ઉત્તરમાં ભગવાન અને કોલક નદીઓ, દક્ષિણે કાલી નદી અને પશ્ચિમે અરબી સમુદ્ર છે. દમણનો કુલ વિસ્તાર 72 ચોકિમી. છે અને વસ્તી આશરે 2,43,000 (2026, આશરે) છે, જ્યારે શહેરની વસ્તી 62,000 (2026, આશરે) છે. નાની અને મોટી દમણ એવા તેના બે ભાગ છે.

દમણમાં આવેલો જેમ્પોર બીચ

દમણનો સમગ્ર પ્રદેશ સપાટ છે. તે સમુદ્રકિનારે આવેલું હોવાથી તેની આબોહવા ભેજવાળી અને ખુશનુમા છે. શિયાળો અને ચોમાસું હળવાં હોય છે. ત્યાં સરેરાશ વાર્ષિક વરસાદ 1,600 મિમી. પડે છે. કિનારાના પ્રદેશમાં નારિયેળી અને આંબા, કેળ, ચીકુડી, ફણસ વગેરે ફળોનાં વૃક્ષો છે. અંતરિયાળ ભાગમાં ડાંગર, શેરડી, ઘઉં, કઠોળ, નાગલી, સપોતા વગેરે પાક થાય છે. રસ્તાને કિનારે, તળાવને કાંઠે તથા ખેતરના શેઢે સાગ, બાવળ, સાદડ વગેરેનાં વૃક્ષો જોવા મળે છે. જંગલનું પ્રમાણ નહિવત્ છે. દમણગંગા ઉપર 1971–72થી શરૂ કરાયેલ અને 1984માં પૂર્ણ થયેલ બંધ દ્વારા દમણ વિસ્તારનાં 26 ગામોને સિંચાઈનો લાભ મળે છે અને તેથી ત્રણ વખત પાક લઈ શકાય છે. આશરે 80% લોકો ખેતીમાં રોકાયેલા છે. દીવ અને દમણમાં લઘુઉદ્યોગોના કુલ 531 ઘટકો છે, જેમાંથી મોટા ભાગના ઉદ્યોગો દમણમાં આવેલા છે. દમણમાં તલવાડા ખાતે વિદ્યુતમથક છે અને તેનાં બધાં ગામોનું વીજળીકરણ થયું છે. કાપડ, પ્લાસ્ટિક, લઘુ ઇજનેરી, દવા, રસાયણ વગેરે ઉદ્યોગો વિકસ્યા છે. દમણમાં કુલ 183 કિમી.ના રસ્તા છે. કિલ્લા નજીક નદીના મધ્યભાગમાં 4 મી. પાણી રહે છે અને 500 ટનનાં જહાજો મોટી ભરતી વખતે અહીં આવી શકે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, ગ્રંથ-9, દમણ, પૃ. 209 અથવા જુઓ https://gujarativishwakosh.org/દમણ/)