Categories
વાચન સમૃદ્ધિ

લીલા મજુમદાર

જ. 26 ફેબ્રુઆરી, 1908 અ. 5 એપ્રિલ, 2007

બાળવાર્તાઓનાં પ્રખ્યાત બંગાળી લેખિકા લીલા મજુમદારનો જન્મ કૉલકાતામાં થયો હતો. તેમનું મૂળ વતન નાદિયામાં ચકધા. તેઓ પ્રમાદ રંજનરાયનાં પુત્રી, ઉપેન્દ્રકિશોરરાય ચૌધરીનાં ભાભી અને સુધીરકુમાર મજુમદારનાં પત્ની હતાં. તેમણે સેંટ જોન ડાયોસેસન (Diocesan) સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો. અહીંથી મૅટ્રિકની પરીક્ષા પાસ કર્યા બાદ કલકત્તા વિશ્વવિદ્યાલયમાંથી સ્નાતક અને અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી. બંને પરીક્ષાઓમાં અંગ્રેજી(સાહિત્ય)માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. 1931માં દાર્જિલિંગ મહારાણી સ્કૂલમાં શિક્ષિકા તરીકેનો કાર્યભાર સંભાળ્યો. રવીન્દ્રનાથ ટાગોરના નિમંત્રણ પર શાંતિનિકેતનમાં પ્રવેશ મેળવ્યો. ત્યાર બાદ અધિક સમય લેખનકાર્યમાં વિતાવ્યો. આમ પણ તેમનો પરિવાર બાળસાહિત્યમાં ઉલ્લેખનીય યોગદાન માટે  જાણીતો હતો. બે દશકના લેખન બાદ તેઓ ‘ઑલ ઇન્ડિયા રેડિયો’માં નિર્માતા રૂપે કાર્યરત બન્યાં. તેમના ભત્રીજા સુકુમાર રાયે તેમને બાળકો માટે લખવા પ્રોત્સાહિત કર્યાં. તેમની સૌપ્રથમ બાળવાર્તા 1922માં ‘સંદેશ’માં પ્રગટ થઈ, ત્યારથી તેમની સાહિત્યિક કારકિર્દીનો પ્રારંભ થયો. આગળ જતાં તેઓ સફળ વાર્તાકાર તરીકે પ્રસિદ્ધિ પામ્યાં. એક ગ્રંથસૂચિ મુજબ તેમના લઘુકથાઓના સંગ્રહ સહિત 125 પુસ્તકો, સંયુક્ત લેખનનાં પાંચ પુસ્તકો, અનુવાદિત પાંચ પુસ્તકો તથા 19 સંપાદિત પુસ્તકોનો સમાવેશ થાય છે. તેમની આત્મકથાત્મક રચના ‘પાક દોડી શિલાંગ’માં તેમણે તેમના બાળપણના દિવસો, શાંતિનિકેતન તથા ઑલ ઇન્ડિયા રેડિયોનાં તેમનાં શરૂઆતનાં વર્ષોનું નિરૂપણ કરેલ છે. તેમના કેટલાક ઉલ્લેખનીય વાર્તાસંગ્રહોમાં ‘પાડિપિસિર બર્મી બાકશ’ (1953), છોટોદેર શ્રેષ્ઠ ગલ્પ (1955), બાધેર ચોખ (1959), ગુપિર ગુપ્તખત (1959), બક ધાર્મિક (1960), એઈ જે દેખા (ટાગોર વિશે : 1961)નો સમાવેશ થાય છે. તેમને અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. જેમાં રાજ્ય પુરસ્કાર, સંગીત નાટક અકાદમી પુરસ્કાર, રવીન્દ્ર પુરસ્કાર વગેરે સમાવિષ્ટ છે. ઉત્તર બંગાળ અને કૉલકાતા વિશ્વવિદ્યાલય તરફથી તેમને માનદ ડી.લિટ.ની ઉપાધિ આપવામાં આવી હતી. 2019માં તેમના જીવન પર ‘પેરિસ્તાન – લીલા મજુમદાર કી દુનિયા’ શીર્ષકથી એક વૃત્તચિત્ર ફિલ્મ બનાવવામાં આવી છે.

Categories
સાંપ્રત કાર્યક્રમો

શ્રી કુમાર જયકીર્તિ પ્રેરિત અનેકાંત વ્યાખ્યાનમાળા

અને

ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજી

ચિંતનપ્રેરક વ્યાખ્યાનશ્રેણી

વિષય : પ્રભુ પાર્શ્વનાથનો આટલો પ્રભાવ કેમ ?

વક્તા : શ્રી ચંદ્રકાંત મહેતા

વિષય : પ્રભુપાર્શ્વનાથ-18 વિશેષતા સાથે એક અપૂર્વ દર્શન

વક્તા : શ્રી કુમારપાળ દેસાઈ

અતિથિવિશેષ : શ્રી ગૌરવભાઈ શેઠ

તારીખ 28-2-2026, શનિાર, સાંજે 5-30

Categories
વાચન સમૃદ્ધિ

તેહરાન

ઈરાનનું પાટનગર અને દેશના મધ્ય પ્રાંતનું વહીવટી કેન્દ્ર. ભૌગોલિક સ્થાન : 35° 40´ ઉ. અ. અને 51° 26´ પૂ. રે.. અલ્બુર્ઝ પર્વતમાળાના દક્ષિણ ઢોળાવ પર તે આવેલું છે, જે તેને કાસ્પિયન સમુદ્રથી જુદું પાડે છે. તે સમુદ્રસપાટીથી આશરે 1200 મી. ઊંચાઈ પર જારુદ અને કરાજ નદીની વચ્ચે આવેલું છે. તેની દક્ષિણે ઈરાનનું મધ્યવર્તી મેદાન વિસ્તરેલું છે. તેનું નામ જૂના ફારસી શબ્દ ‘તેહ’ એટલે કે ‘ગરમ જગ્યા’ (સ્થળ) પરથી પડેલું છે. આ પ્રદેશની અસહ્ય ગરમીથી બચવા ઘણા લોકો ઉનાળામાં હવા ખાવાના સ્થળ શેમીરાન (ઉત્તરે આશરે 17 કિમી. દૂર) જતા હોય છે. તહેરાનથી ઈશાનમાં આશરે 70 કિમી.ના અંતરે બરફથી આચ્છાદિત માઉન્ટ ‘દામવંદ’ આવેલ છે, જે મૃત જ્વાળામુખી છે. આ નગર 262 ચોકિમી.ના વિસ્તારમાં પથરાયેલું છે. નગરની વસ્તી આશરે 86.9 લાખ (2016) છે. ઈરાનના પદભ્રષ્ટ શાહ મહંમદ રઝા પહેલવી(1919–80)નું રહેઠાણ આ નગરમાં હતું.

તેહરાન શહેર

તેહરાનના ઉનાળા સખત ગરમ અને શિયાળા અતિ ઠંડા હોય છે. ઉનાળાનું સરાસરી તાપમાન જુલાઈમાં 29° સે. અને જાન્યુઆરીનું તાપમાન 4° સે. હોય છે. આખા વર્ષનો સરાસરી વરસાદ 200 મિમી. જેટલો પડે છે. વરસાદ સામાન્ય રીતે નવેમ્બરથી મેના અંત સુધી પડે છે. ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધીમાં હિમવર્ષા પણ થાય છે. આ નગર દેશનું મહત્ત્વનું વ્યાપારી કેન્દ્ર ગણાય છે. ત્યાંના નજીકના વિસ્તારમાં ખાંડ તથા સિમેન્ટનાં કારખાનાં છે. ઉપરાંત આ નગર તેના કાપડઉદ્યોગ માટે જાણીતું છે. ત્યાં ઘણી સ્પિનિંગ તથા જિનિંગ મિલો આવેલી છે. ત્યાંથી મોટા પાયા પર ગરમ ધાબળાની નિકાસ થાય છે. આ નગર સડક, રેલવે અને હવાઈ માર્ગથી સમગ્ર દેશ સાથે જોડાયેલું છે. દેશના રેલમાર્ગો ઉત્તર, વાયવ્ય, દક્ષિણ અને પૂર્વ દિશા તરફ ફેલાયેલા છે. સાથોસાથ આ નગર તુર્કસ્તાન મારફત ટ્રાન્સયુરોપીય રેલવે સાથે પણ જોડાયેલું છે. હવાઈ માર્ગ દ્વારા તેહરાન યુરોપ-એશિયા અને ઈરાનના અખાતી દેશો જોડે જોડાયેલું છે. નગરની મુખ્ય વસ્તી મુસ્લિમ છે. એ ઉપરાંત લઘુમતીમાં અમેરિકન, આસિરિયન અને બહુ થોડા યહૂદી લોકો પણ ત્યાં વસે છે. પર્શિયન એ ત્યાંની મુખ્ય ભાષા છે. શહેરમાં સિપેહસાલાર મસ્જિદ, બહારસ્તાન પૅલેસ, શાહ-અલ-અમારેહ પૅલેસ, આર્કિયોલૉજિકલ મ્યુઝિયમ વગેરે જોવાલાયક સ્થળો આવેલાં છે. આજનું તેહરાન એ જૂના ઈરાનના પાટનગર રે’નું વારસદાર શહેર છે. ઈ. સ. 1200માં મોંગોલ લોકોએ તેનો વિધ્વંસ કરેલો. આજે પણ તેહરાનથી આશરે 6 કિમી. દક્ષિણે જૂના પાટનગર રે’ના અવશેષો જોવા મળે છે.

ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-9