Categories
વાચન સમૃદ્ધિ

સૌથી મોટી પદવી

ઇંગ્લૅન્ડના સમ્રાટ જેમ્સે પોતાનો રાજભંડાર સમૃદ્ધ કરવા માટે એક નવી યુક્તિ અજમાવી. પ્રજા પાસેથી કર ઉઘરાવીને નાણાં એકત્ર કરવામાં લોકસમૂહના અસંતોષનો ભય સતાવે છે, કિંતુ એણે ધનિકો હોંશે હોંશે ધન આપે એવો નુસખો કર્યો. એ કોઈને ‘ડ્યૂક’ની પદવી આપવા લાગ્યા, તો કોઈને ‘લૉર્ડ’ બનાવવા લાગ્યા. આ પદવી માટેની રકમ પણ નક્કી કરી. અમુક રકમ આપે એટલે અમુક કક્ષાની પદવીની એને નવાજેશ કરવામાં આવે. પદવીવાંછુઓની લાઇન લાગવા માંડી. દરેકને પદવીથી પોતાની પ્રતિભા ઉપસાવવી હતી. વગર પુરુષાર્થે સન્માન પામવું હતું. સમ્રાટ જેમ્સ જાણતા હતા કે પદવીથી કોઈ મહાન બનતું નથી. મહાન બનવા માટે તો ઉમદા સદ્ગુણો હોવા જોઈએ, પરંતુ એને તો પદવીપિપાસુઓની તુચ્છ અહંકારવૃત્તિ પોષીને ધન એકત્ર કરવું હતું. એક વાર એની રાજસભામાં એક સજજન વ્યક્તિ આવી. સમ્રાટે પૂછ્યું, ‘‘કહો, તમને કઈ પદવી આપું ? કયો ઇલકાબ તમારે જોઈએ છે ?’’ પેલી વ્યક્તિએ કહ્યું, ‘‘સમ્રાટ, તમે લૉર્ડ અને ડ્યૂક જેવી પદવી આપો છો, પણ મારે એવી પદવી જોઈતી નથી.’’ સમ્રાટે કહ્યું, ‘‘અરે ! તમે કહો ને ! જો યોગ્ય રકમ આપશો તો ‘લૉર્ડ’થી પણ કોઈ ચઢિયાતી કે ‘ડ્યૂક’થી પણ અતિ ગૌરવ ધરાવતી નવી પદવી આપીશ.’’ પેલી વ્યક્તિએ કહ્યું, ‘‘સમ્રાટ, માફ કરજો. મારે કોઈ મહાન ગૌરવવાળી પદવી જોઈતી નથી. સીધી-સાદી પદવીની જરૂર છે. મને ‘સજજન’ બનાવી દો.’’ સમ્રાટે કહ્યું, ‘‘ભાઈ, હું તને ‘લૉર્ડ’ કે ‘ડ્યૂક’ બનાવી શકું, પણ તને સજજન બનાવવાનું કામ મારી શક્તિ બહારનું છે.’’

Categories
વાચન સમૃદ્ધિ

કૌમુદી મુન્શી

જ. 3 ફેબ્રુઆરી, 1929 અ. 14 ઑક્ટોબર, 2020

ગુજરાતી સુગમસંગીતને લોકપ્રિય બનાવનાર, કુંવર નંદલાલ મુન્શી અને અનુબહેન મુન્શીના છઠ્ઠા સંતાન તરીકે જન્મેલ કૌમુદી મુન્શીના દાદા માધવલાલ મુન્શી બ્રિટિશ વાઇસરૉય લૉર્ડ મિન્ટોના સલાહકાર સમિતિના સભ્ય હતા અને મામા રમણલાલ વસંતલાલ દેસાઈ ગુજરાતી સાહિત્યના ખૂબ જાણીતા લેખક હતા. દેખીતી રીતે જ ઘરમાં સાહિત્ય અને સંગીતનું વાતાવરણ હતું. 1950માં તેઓ બનારસ યુનિવર્સિટીમાંથી સંગીતમાં સ્નાતક થયા ત્યારે સમાજ ગાયિકાઓને પ્રોત્સાહન આપે તેવો ન હતો. 21 વર્ષની વયે રેડિયો પર ગાયિકા બનવાના સપના સાથે તેઓ મુંબઈ આવ્યાં. હિન્દીભાષી હોવાના લીધે ગુજરાતી ગાવાનું ખૂબ કપરું હોવા છતાં શ્રી ર. વ. દેસાઈના માર્ગદર્શન હેઠળ અને ભાઈ અક્ષય દેસાઈના પીઠબળથી તેમણે ખૂબ પરિશ્રમ કર્યો. 1952માં તેમણે ઑલ ઇન્ડિયા રેડિયોમાં ઓડિશન આપ્યાં અને પસંદગી પણ પામ્યાં. મુંબઈમાં તેમને વિરલ સંગીતસર્જકો શ્રી અવિનાશ વ્યાસ, શ્રી દિલીપ ધોળકિયા, શ્રી અજિત મર્ચન્ટ વગેરેનો સહવાસ સાંપડ્યો. પરિવારોના વિરોધ વચ્ચે તેઓ શ્રી નીનુ મજુમદાર સાથે લગ્નગ્રંથિથી જોડાયાં. સાહિત્ય અને સંગીતને વરેલી આ જોડીએ ગુજરાતની અસ્મિતાને છાજે એવાં અસંખ્ય સુંદર સ્વરાંકનો અને ગીતોથી ગુજરાતી સુગમસંગીતને સમૃદ્ધ કર્યું. તે સમયનાં ઠૂમરીક્વીન ગણાતાં શ્રી સિદ્ધેશ્વરી દેવી પાસે તેમણે તાલીમ લીધી. જાણીતા સંગીતકાર તાજ અહેમદ ખાન પાસે ગઝલ ગાયકીની તાલીમ લીધી. લગભગ 50 વર્ષની સંગીત કારકિર્દી ધરાવનાર અને ગાતી વખતે દરેક ભાવને આત્મસાત્ કરી જાણનાર કૌમુદીબહેન ગુજરાતની ‘બુલબુલ’ (Nightangle of Gujarat) કહેવાયાં. તેઓ એવા જૂજ કલાકારોમાંનાં એક હતાં કે જે ગરબો, ગઝલ કે ઠૂમરી – દરેકને અસરકારક રીતે રજૂ કરી શકતાં. ગાનપ્રકારો દાદરા, ચૈતી, કજરી, ભોજપુરી લોકગીતો દરેકમાં તે નિપુણ હતાં. દૂરદર્શન અને ઑલ ઇન્ડિયા રેડિયો પર તેમણે ઘણા કાર્યક્રમો આપ્યા. 1952માં HMV દ્વારા તેમનું ગરબાનું આલબમ બહાર પાડવામાં આવ્યું હતું. તેમની અનેક રચનાઓને કંઠ આપ્યો છે જેમાં ‘ગુજરાત મોરી મોરી રે’, ‘ઓ શ્રીનાથજી ચોર્યાસી રંગનો સાથિયો’, ‘સાચી રે મારી સત રે ભવાની મા’ વગેરેનો સમાવેશ થાય છે.

Categories
વાચન સમૃદ્ધિ

હૃષીકેશ (ઋષિકેશ)

ઉત્તરાખંડ રાજ્યમાં ગંગાકાંઠે આવેલું પવિત્ર યાત્રાધામ.

તે ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્લામાં ૩૦° ૦૭´ ઉ. અ. અને ૭૮° ૧૮´ પૂ. રે. પર આવેલું છે. હરિદ્વારથી ઉત્તર તરફ તે ૨૪ કિમી.ને અંતરે સ્થિત છે. હૃષીકેશ સમુદ્રસપાટીથી ૩૯૨ મીટરની ઊંચાઈએ આવેલું છે. તેનો કુલ વિસ્તાર ૧૧.૫ ચોકિમી. જેટલો છે. તેની વસ્તી ૧,૪૮,૦૦૦ (૨૦૨૫, આશરે) જેટલી છે. હરિદ્વાર અને હૃષીકેશ જોડિયાં રાષ્ટ્રીય વારસાઈ શહેરો તરીકે જાણીતાં છે. પવિત્ર ગંગા નદી સાથે તેનું ધાર્મિક મહત્ત્વ જોડાયેલું છે. આ બંને શહેરો સડક અને રેલમાર્ગે નજીકનાં શહેરો સાથે જોડાયેલાં છે. અહીં ગંગા નદીના કિનારે આશરે ૧૦૦થી પણ વધુ આશ્રમો આવેલા છે. તેમાં મહર્ષિ મહેશ યોગીએ સ્થાપેલો ધ્યાનયોગ કેન્દ્રનો આશ્રમ, શિવાનંદનો દિવ્યજીવન સોસાયટી આશ્રમ તથા યોગસાધના આશ્રમનો સમાવેશ થાય છે. કૈલાસ આશ્રમ – બ્રહ્મવિદ્યાપીઠ વેદના અભ્યાસ માટેનું મુખ્ય કેન્દ્ર બની રહેલો છે. હિમાલયની તળેટીમાં વસેલું હૃષીકેશ તેના પવિત્ર, શુદ્ધ ધાર્મિક વાતાવરણને લીધે આત્મોન્નતિની ઉપાસના કરનારાઓ માટે જાણીતું સ્થળ બની રહ્યું છે.

હૃષીકેશ

વિશાળ પટ ધરાવતો અહીંનો ગંગાનો ત્રિવેણી ઘાટ શ્રદ્ધાળુઓ દ્વારા મુખ્ય સ્નાનઘાટ તરીકે ઉપયોગમાં લેવાય છે. ગંગા નદીમાં ડૂબકી લગાવીને નિષ્પાપ બન્યાની ભાવનાથી લોકો કૃતજ્ઞતા અને પ્રસન્નતા અનુભવે છે. રોજ સંધ્યાટાણે અહીં હૃષીકેશના આશ્રમોના સ્વામીઓ અને મહાત્માઓ ધાર્મિક પ્રવચનો આપે છે, પ્રવચનો પછી આરતી થાય છે. તે સમયે અહીંનું વાતાવરણ અલૌકિક શાંતિથી સભર બની રહે છે. ગંગા નદીના પ્રવાહમાંનાં મત્સ્યોને પવિત્ર ગણીને યાત્રીઓ તેમને વિવિધ ખાદ્યસામગ્રી અર્પે છે. અહીં ગંગાકાંઠે દર વર્ષે જાન્યુઆરી માસમાં એક સપ્તાહ માટે યોગ-ઉત્સવ ઊજવાય છે. તે દરમિયાન ધર્મગુરુઓ દ્વારા વ્યાખ્યાનો તેમ જ યોગાસનોનાં નિદર્શનો પણ યોજાય છે. ભાવિકો અને મુલાકાતીઓને હૃષીકેશમાં પ્રવેશ કરાવતો ‘લક્ષ્મણઝૂલા’ સેતુ હૃષીકેશની ઓળખ સમાન છે. લોકકથા અનુસાર રામની રક્ષા અર્થે મદદમાં રહેલા લક્ષ્મણે પોતાના ગુરુની હત્યા બદલ પ્રાયશ્ચિત્ત રૂપે અહીં ગંગા મધ્યે એક પગે ઊભા રહીને વર્ષો સુધી તપ કરેલું, તેની યાદગીરીમાં આ સેતુ નિર્માણ કરાયેલો છે. ભરતે પણ લક્ષ્મણની સાથે પોતાની માનસિક શુદ્ધિ માટે એટલા જ સમય માટે તપ કર્યું હતું, તેથી ભરતની યાદમાં અહીં ભરતમંદિર પણ છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10, હૃષીકેશ (ઋષિકેશ), પૃ. 187)