Categories
વાચન સમૃદ્ધિ

અખાત્રીજ

વૈશાખ સુદ ત્રીજની પવિત્ર મનાતી તિથિ – અક્ષયતૃતીયા.

અખાત્રીજને વણજોયું શુભ મુહૂર્ત લેખવામાં આવે છે; તેથી તે દિવસે કોઈ પણ નવું કાર્ય શરૂ કરાય તો તેમાં ફતેહ મળે તેવી શ્રદ્ધા લોકોમાં વ્યાપકપણે જોવા મળે છે. ‘અક્ષય’ એટલે ‘જેનો ક્ષય ન થાય તે’. આથી આ દિવસે શરૂ કરેલ કાર્ય નિર્વિઘ્ને પાર પડે છે એવી માન્યતા છે. તે દિવસે કરેલ દાન લેખે લાગે છે. તે દિવસે અનેક લોકો ‘પોતાની સમૃદ્ધિ વધશે’ તેવી ભાવનાથી સોનું કે તેનાં ઘરેણાં ખરીદે છે. અખાત્રીજને દિવસે જો રોહિણી નક્ષત્ર અને સોમવાર હોય તો તે વધુ શુભ ગણાય છે. આ દિવસે ઘણાં નવયુગલો લગ્નગ્રંથિથી બંધાય છે. હિંદુ અને જૈન કૅલેન્ડર ચંદ્રની ગતિ પર આધારિત હોય છે; તેથી તેમાં ક્યારેક કોઈ તિથિનો ક્ષય તો કોઈની વૃદ્ધિ પણ થાય છે; પરંતુ ‘અક્ષયતૃતીયા’ માટે વૈશાખ સુદ ત્રીજનો દિવસ નિયત જ રહે છે.

લક્ષ્મીજીનો સિક્કો, ખેડૂતો અખાત્રીજે નવા વર્ષની ખેતીની શરૂઆત કરે છે.

પુરાણોમાં અખાત્રીજનો વિવિધ સંદર્ભોમાં ઉલ્લેખ છે. આ શુભ દિવસે વેદવ્યાસે ગણપતિ પાસે મહાભારત જેવો પવિત્ર ગ્રંથ લખાવવાની શરૂઆત કરી હતી. દ્રૌપદીનું ચીર-હરણ, યુધિષ્ઠિરને થયેલ અક્ષયપાત્રની પ્રાપ્તિ અને દ્વારિકામાં સુદામા-કૃષ્ણનું મિલન અને તે પછી તાંદુલ આરોગ્યા બાદ કૃષ્ણ દ્વારા સુદામાની ગરીબાઈનું નિવારણ – આ બધા પ્રસંગો પણ આજ દિવસે બન્યાનું નોંધાયું છે. ખેડૂતો અખાત્રીજે નવા વર્ષની ખેતીની શરૂઆત કરે છે. વળી વિષ્ણુના છઠ્ઠા અવતાર પરશુરામની તથા દેવી અન્નપૂર્ણાની જન્મજયંતી આ દિવસે આવે છે. શંકર ભગવાનની કૃપાથી કુબેર અખાત્રીજના દિવસથી દેવોનો ખજાનચી બન્યો હતો. આથી કુબેરના, લક્ષ્મીયંત્રના પૂજનનું આ દિવસે મહત્ત્વ છે. પવિત્ર ગંગા નદીનું સ્વર્ગમાંથી અવતરણ પણ આ દિવસે થયું હતું. ત્રેતાયુગનો પ્રારંભ પણ આ દિવસથી થયો હતો. ચારધામની યાત્રા પણ દર વર્ષે આ દિવસથી શરૂ કરાતી હોય છે.

અખાત્રીજથી રથયાત્રાના રથ બનાવવાનું કામ પણ શરૂ થાય છે. બંગાળમાં આ દિવસે ગણેશ અને લક્ષ્મીદેવીની પૂજા કરી નવા ચોપડા લખવાની શરૂઆત કરાય છે. આ દિવસે ખેડૂતો (જેમ કે, ઓડિશાના, જાટ જાતિના વગેરે) ખેતીની શરૂઆત કરે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, અખાત્રીજ, પૃ. 8)

Categories
વાચન સમૃદ્ધિ

રાધારમણ મિત્ર

જ. 23 ફેબ્રુઆરી, 1897 અ. 7 ફેબ્રુઆરી, 1992

બંગાળી લેખક, સંશોધક અને પ્રતિભાવંત રાજકીય કાર્યકર રાધારમણ મિત્રનો જન્મ કૉલકાતામાં મધ્યમવર્ગીય કુટુંબમાં થયો હતો. 1913માં તેઓ કૉલકાતાની હિન્દુ સ્કૂલમાંથી મૅટ્રિક થયા. 1915માં તેમણે ઇન્ટરમીડિયેટની પરીક્ષા ગોલ્ડ મેડલ સાથે પાસ કરી. 1917માં તેમણે સેન્ટ પાઉલસ કેથીડ્રલ મિશન કૉલેજમાંથી ગ્રૅજ્યુએશન કર્યું હતું. કૉલકાતા યુનિવર્સિટીમાંથી એમ.એ. થયા બાદ ઉત્તરપ્રદેશમાં ઓટાવા ખાતે શિક્ષક થયા પછી  ગાંધીજીની અસહકારની ચળવળમાં જોડાયા. તેમાં પકડાયા, જેલવાસ ભોગવ્યો. જેલમુક્તિ બાદ કેટલાંક વર્ષો સુધી અમદાવાદના સાબરમતી આશ્રમમાં ગાંધીજી સાથે કામ કર્યું. પાછળથી તેઓ ક્રાંતિકારી રાજકારણમાં જોડાયા. 1923માં મેરઠ કાવતરા કેસમાં અન્ય ક્રાંતિકારીઓ સાથે તેમની ધરપકડ કરવામાં આવી. પાછળથી તેમને છોડી મૂકવામાં આવ્યા. ત્યારબાદ 1938માં તેઓ ભારતના સામ્યવાદી પક્ષમાં જોડાયા. તેઓ કૉલકાતા શહેરના પ્રાચીન અવશેષોના સંશોધનમાં સતત પ્રવૃત્ત રહેલા. તેમના ‘કાલિકાતા દર્પણ’ (1-2) નામના સંશોધનગ્રંથ બદલ તેમને 1981ના વર્ષનો સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ મળ્યો હતો. તેમની અન્ય કૃતિઓમાં ‘Bangalar Tin Manishi’, લાલબિહારી ડેને લગતું પુસ્તક ‘Kalikatay Vidyasagar’ ‘David Hare : His Life and works’ છે. આ ઉપરાંત તેમની પાસેથી વિવિધ વિષયોના નિબંધોનો સંગ્રહ પણ મળ્યો છે.

Categories
વાચન સમૃદ્ધિ

તેલંગાણા

ભારતીય દ્વીપકલ્પના દક્ષિણ ભાગમાં આવેલું ભૂમિબંદિસ્ત રાજ્ય. સ્થાન : આ રાજ્ય 18° 11´ ઉ. અ. અને 79° 1´ પૂ. રે.ની આજુબાજુ આવેલ છે. તેનો વિસ્તાર 1,12,077 ચો.કિમી. જેટલો છે. વિસ્તારની દૃષ્ટિએ ભારતમાં 11મા ક્રમે અને વસ્તીની દૃષ્ટિએ 12મા ક્રમે આવે છે. આ રાજ્યની ઉત્તરે મહારાષ્ટ્ર, પૂર્વે છત્તીસગઢ, અગ્નિએ આંધ્રપ્રદેશ અને પશ્ચિમે કર્ણાટક રાજ્યોની હદ મળે છે. તેલંગાણા શબ્દ ‘Trilingadesh’ (land of three lings)  એટલે કે જ્યાં મહત્ત્વનાં શિવમંદિરો આવેલાં છે તે પ્રદેશ. (ક્લેશવર્મ–Kalesh Waram, શ્રી શૈલમ્–SriShailam, અને ડરકશર્મા–Draksharma). એમ પણ મનાય છે કે તેલંગણા જે તેલંગઢ (Telangadh) ઉપરથી બન્યો હશે અથવા તેલુગુ ભાષા શબ્દ ઉપરથી તેલંગાણા શબ્દ આવ્યો હશે. બીજી જૂન, 2014ના રોજ આંધ્રપ્રદેશ રાજ્યમાંથી એક નવા રાજ્ય તરીકે તેલંગાણાનું નિર્માણ કરવામાં આવ્યું છે.

રામોજી ફિલ્મ સિટી

આ રાજ્યની મુખ્ય બે નદીઓ ગોદાવરી અને ક્રિશ્ના છે. આ સિવાય ભીમા, મનેર, મંજીરા, મુસ્ત, તુંગભદ્રા વગેરે નાની નદીઓ આવેલી છે. સામાન્ય રીતે આ જંગલોમાં સાગ, સાલ, રોઝવૂડ, ખેર, ટીમરું વગેરે વૃક્ષો જોવા મળે છે. આ રાજ્યમાં ખેતીનો આધાર ગોદાવરી, ક્રિશ્ના અને નાની નદીઓના જળસ્રોત તેમજ વરસાદ પર રહેલો છે. આ રાજ્યમાં ડાંગરની ખેતી મુખ્ય છે. આ સિવાય મકાઈ, તમાકુ, કપાસ, શેરડી જેવા પાકો તેમજ કેરી, દ્રાક્ષ જેવાં ફળો તેમજ કાકડી અને શાકભાજીની ખેતી મુખ્ય છે. આમ આ રાજ્યની આવકનો આધાર ખેતી છે. આ રાજ્યના પાટનગર હૈદરાબાદની આજુબાજુના વિસ્તારોમાં ઑટોમોબાઇલ અને પુરજા બનાવવાના, ખાણ અને ખનિજોને લગતા, કાપડ, દવા બનાવવાના, ખાદ્યપ્રકરણ ખાદ્યતેલ બનાવવાના અને સેવાના એકમો આવેલા છે. ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં તેલુગુ ફિલ્મ ઉદ્યોગ દ્વિતીય ક્રમે આવે છે. ‘રામોજી ફિલ્મ સિટી’ જે વિશ્વનો સૌથી મોટો ફિલ્મ સ્ટુડિયો છે. ગિનિસ વર્લ્ડ રેકૉર્ડમાં તે નોંધાયેલ છે. રાજ્યની કુલ વસ્તી (2022, આશરે) મુજબ આશરે 4 કરોડ છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-9, તેલંગાણા, પૃ. 2 અથવા જુઓ https://gujarativishwakosh.org/તેલંગાણા/)