Categories
વાચન સમૃદ્ધિ

ચલણી નોટ

આધુનિક જમાનામાં વૈશ્વક સ્તરે વ્યાપક રીતે અમલમાં આવેલું વિનિમયનું માધ્યમ. તે બિલ, કાગદી ચલણ અથવા નોટ સ્વરૂપમાં હોય છે. તે એક પરક્રામ્ય વટાઉ ખતપત્ર હોય છે. તે વચનચિઠ્ઠી (પ્રૉમિસરી નોટ) તરીકે પણ ઓળખાય છે. ઓછા મૂલ્યવાળા નાણાકીય એકમો માટે હવે સિક્કાઓ ચલણમાં રાખવામાં આવે છે; જ્યારે વધુ મૂલ્યવાળા નાણાકીય એકમો માટે બૅંકનોટો ચલણમાં રખાતી હોય છે.

ચલણ તરીકે બૅંકનોટના ચલણની શરૂઆત સાતમી સદીમાં ચીનમાં તાંગ અને સૉંગ વંશજોના શાસનકાળ દરમિયાન થઈ હતી.

ચલણ તરીકે બૅંકનોટના ચલણની શરૂઆત સાતમી સદીમાં ચીનમાં તાંગ અને સૉંગ વંશજોના શાસનકાળ દરમિયાન થઈ હતી. તાંબાના બનેલા સિક્કાઓ વ્યાપારવાણિજ્યના વિનિમયવ્યવહારમાં વજનની દૃષ્ટિએ પ્રતિકૂળ જણાતાં તાંગ વંશજોએ બૅંકનોટો ચલણમાં આણી. મૉંગોલ સામ્રાજ્યમાં યુઆન વંશના શાસન દરમિયાન તેનો અમલ શરૂ થયો. યુરોપના દેશોમાં ચૌદમી સદીમાં વિનિમયના માધ્યમ તરીકે બૅંક-નોટ દાખલ કરવામાં આવી અને સત્તરમી સદીમાં તો તેનો વ્યવસ્થિત રીતે વ્યવહાર થવા લાગ્યો. તે પૂર્વે સોના કે ચાંદી જેવી કીમતી ધાતુઓના સિક્કાઓ વિનિમયના માધ્યમ તરીકે પ્રચલિત હતા; પરંતુ જેમ જેમ વાણિજ્ય અને વ્યાપારમાં વિનિમયના વ્યવહારોનું વિસ્તરણ થતું ગયું તેમ તેમ ધાતુના પુરવઠાની અછતને કારણે તેના સિક્કાઓ બનાવવા મુશ્કેલ થતા ગયા. વળી ધાતુના સિક્કાઓ દ્વારા વ્યાપારવાણિજ્યના વ્યવહારોમાં નડતી મુશ્કેલીઓ ક્રમશ: વધુ ને વધુ છતી થતી ગઈ, જ્યારે ભિન્ન ભિન્ન મૂલ્ય ધરાવતી કાગળની નોટો મારફત વ્યવહાર કરવો કેટલો અનુકૂળ છે તે જણાતું ગયું. ૧૬૯૬માં બૅંક ઑવ્ સ્કૉટલૅંડ એ સર્વપ્રથમ વ્યાપારી બૅંક હતી જેણે સફળ રીતે બૅંકનોટો ચલણમાં મૂકી. તે પૂર્વે બૅંકનોટો બહાર પાડવાનો ઇજારો તે દેશની મધ્યસ્થ બૅંક ધરાવતી હતી. આજે પણ બૅંક ઑવ્ સ્કૉટલૅન્ડ વ્યાપારી બૅંક હોવા છતાં ચલણી નોટો બહાર પાડતી હોય છે. અમેરિકાના ક્રાંતિયુદ્ધ દરમિયાન યુદ્ધની નાણાકીય જરૂરિયાતો પૂરી કરવાના હેતુથી કૉન્ટિનેન્ટલ કૉંગ્રેસ દ્વારા કૉન્ટિનેન્ટલ બૅંકનોટો ફરતી કરવામાં આવી. ૧૮૬૨ સુધી અમેરિકાના સમવાયતંત્રની સરકારે બૅંકનોટો ફરતી કરી ન હતી; પરંતુ ૧૭૮૯માં અમેરિકાનું બંધારણ અધિકૃત રીતે સ્વીકૃત થતાં ત્યાંની કૉંગ્રેસે પોતાની સર્વપ્રથમ મધ્યસ્થ બૅંકને ચલણી નોટો બહાર પાડવાની સત્તા આપી; પરંતુ આ સત્તા આગળ ચાલુ ન રખાતાં ૧૮૧૧માં આ બૅંકે પોતાનું એ કાર્ય સમેટી લીધું. ત્યારબાદ વર્ષ ૧૮૧૬માં અમેરિકાની કૉંગ્રેસે દેશની બીજી મધ્યસ્થ બૅંકને બૅંકનોટો બહાર પાડવાની સત્તા આપી, જે કામ તેમણે ૧૮૪૧ સુધી ચાલુ રાખ્યું. ૧૯૩૩માં અમેરિકાની સમવાય સરકારે બહાર પાડેલા વહીવટી હુકમ અન્વયે ધાતુના સિક્કાઓની અવેજીમાં કાગળની નોટો ચલણમાં મૂકવામાં આવી; એટલું જ નહિ, પરંતુ જે નાગરિકો પોતાની પાસે બૅંકનોટોની અવેજીમાં સો ડૉલરના મૂલ્યનો સોનાનો જથ્થો રાખે તેમને દસ હજાર ડૉલર જેટલો દંડ તથા દસ વર્ષના કારાવાસની સજા ફટકારવામાં આવે એવી જોગવાઈ પણ એ હુકમ દ્વારા કરવામાં આવી.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૭, ચલણી નોટ, પૃ. 97) ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

બાળકૃષ્ણ માધવરાવ મૂળે

Categories
વાચન સમૃદ્ધિ વ્યક્તિ વિશેષ

વસુબહેન

સાહિત્યકાર, સમાજસેવક અને આકાશવાણીનાં પૂર્વનિયામક વસુબહેનનો જન્મ વડોદરામાં ૨૩ માર્ચ ૧૯૨૪ના રોજ થયો હતો.

માતા સરસ્વતીબહેન અને પિતા રામપ્રસાદ. પિતા વડોદરા રાજ્યના પોલિટિકલ સેક્રેટરી હતા. તેમણે બાળપણમાં જ માતાની છત્રછાયા ગુમાવી હતી.

વસુબહેનનું શાલેય શિક્ષણ વડોદરામાં થયું. અમદાવાદમાં આવ્યા પછી એસ.એલ.યુ. કૉલેજમાંથી સ્નાતક અને બી.એડ. થયાં. તેઓ ૧૯૪૯માં ઑલ ઇન્ડિયા રેડિયોમાં જોડાયાં. આકાશવાણીમાં જુદાં જુદાં પદો પર કાર્ય કરી નિયામક બન્યાં. તેમણે ગુણવત્તાયુક્ત અને લોકપ્રિય કાર્યક્રમોનું નિર્માણ કર્યું અને પ્રસારિત કર્યા. આકાશવાણીને લોકપ્રિય બનાવવામાં તેમનો અમૂલ્ય ફાળો રહ્યો છે.

તેમની કાર્યનિષ્ઠાને કારણે બ્રિટિશ બ્રૉડકાસ્ટિંગ ઑર્ગેનાઇઝેશન અને વૉઇસ ઑવ્ અમેરિકાએ એમને મુલાકાત માટે આમંત્રણ આપ્યું હતું. તેઓ ૧૯૮૨માં આકાશવાણીમાંથી નિવૃત્ત થયાં. નિવૃત્તિ બાદ ગુજરાત સરકારે એમને સમાજકલ્યાણ સલાહકાર બોર્ડનાં અધ્યક્ષ બનાવ્યાં. તેઓ ગુજરાત સ્ત્રીકેળવણી મંડળ અને ચિલ્ડ્રન એકૅડેમીનાં પ્રમુખ હતાં. તેમણે ‘આનંદમ્’ નામે મિત્રોનું સાંસ્કૃતિક મંડળ સ્થાપ્યું અને એનાં મંત્રી બન્યાં. તેઓ જુવેનાઇલ વેલફેર બોર્ડ, અમદાવાદનાં અધ્યક્ષ હતાં. તેમણે જે સંસ્થામાં કાર્ય કર્યું તે બધી જ સંસ્થાઓને ચેતનવંતી બનાવી.

વસુબહેન સમાજસેવિકા ઉપરાંત સારાં લેખિકા પણ હતાં. તેમણે ‘રતનબાઈ, ઠમકો કરો’ નામનું એકપાત્રીય નાટક લખ્યું હતું અને એમાં અભિનય પણ કર્યો હતો. તેમણે નવલિકા અને નવલકથાક્ષેત્રે ખેડાણ કર્યું છે. તેમની પહેલી લઘુનવલ ‘ઝાકળ પિછોડી’ (૧૯૫૯) હતી. આ ઉપરાંત તેમણે ‘પાંદડે
પાંદડે મોતી’ (૧૯૬૩), ‘સરસિજ’ (૧૯૬૬), ‘દિવસે તારા રાતે વાદળ’ (૧૯૬૮), ‘માણા રાજ’ (૧૯૭૩), ‘ઘડી અષાઢ ને ઘડી ફાગણ’ (૧૯૮૦), ‘બે આંખની શરમ’ (૧૯૯૬) નવલિકાસંગ્રહો આપ્યા છે. ‘યોગાનુયોગ’(૨૦૦૨)માં તેમણે રેખાચિત્રો આપ્યાં છે. તેમની વાર્તાઓ હિન્દી, અંગ્રેજી, કન્નડ અને મલયાળમ જેવી ભાષાઓમાં અનૂદિત થઈ છે. તેમનાં પુસ્તક ‘પાંદડે પાંદડે મોતી’ને ભગિની નિવેદિતા પુરસ્કાર અને ‘યોગાનુયોગ’ને કાકાસાહેબ કાલેલકર પુરસ્કાર મળ્યા છે.

જુદાં જુદાં ક્ષેત્રોમાં તેમણે કરેલાં કાર્યોને અનેક સન્માનો દ્વારા બિરદાવવામાં આવ્યાં છે. તેમને મહિલા ગૌરવ ઍવૉર્ડ, ‘ધ ગ્રેટ ડોટર ઑવ્ ધ સોઇલ’નો રાષ્ટ્રીય ઍવૉર્ડ, પુષ્પાબહેન મહેતા ઍવૉર્ડ, સિસ્ટર નિવેદિતા ઍવૉર્ડ અને સંસ્કૃતિ ઍવૉર્ડ આપવામાં આવ્યા છે.

તેમનું અવસાન ૧૩ ડિસેમ્બર, ૨૦૨૦ના રોજ થયું હતું.

Categories
વાચન સમૃદ્ધિ

ડરે તે બીજા

અમેરિકાના 28મા પ્રમુખ વૂડ્રો વિલ્સનને એમના સલાહકારે કહ્યું કે ‘અમેરિકાના નૌકાદળે ભવ્ય પરાક્રમ કરીને યશસ્વી વિજય મેળવ્યો છે.’ વિખ્યાત બંદર ધરાવતા મેક્સિકોના શહેર વેરા ક્રૂઝ પર અમેરિકાના નૌકાદળે યશસ્વી વિજય મેળવ્યો છે. હવે અમેરિકાના લશ્કરને માટે મેક્સિકો શહેરને નિશાન બનાવીને ધ્વંસ કરવાનું સરળ બન્યું હતું. ચોતરફ અમેરિકાના વિજયની પ્રશંસા થતી હતી.

ઘણા સૈનિકોની કુરબાનીની ઈંટ પર વિજયની ઇમારત રચાય છે, એ રીતે અમેરિકાના નૌકાદળના ઘણા યુવાન સૈનિક આ યુદ્ધમાં માર્યા ગયા અને એમના મૃતદેહોને ન્યૂયૉર્ક લાવવામાં આવતા હતા. ન્યૂયૉર્કમાં એમની રાષ્ટ્રસન્માન સાથે મોટા પાયે અંતિમ યાત્રા યોજી હતી.

અમેરિકાના પ્રમુખ વૂડ્રો વિલ્સને આમાં મુખ્ય શોક પ્રદર્શક તરીકે ભાગ લેવાનું નક્કી કર્યું. પ્રમુખના સલાહકારે એમ કહ્યું કે ચોતરફ વિજયનું વાતાવરણ છે, ત્યારે તમે શા માટે અંતિમ વિધિ શોકગ્રસ્ત કાર્યક્રમમાં જાવ છો ?

અમેરિકાના પ્રમુખ વૂડ્રો વિલ્સને જણાવ્યું, ‘‘આ કોઈ શોકગ્રસ્ત કાર્ય નથી. બલ્કે પ્રજાની ચેતના અને રાષ્ટ્રભક્તિની પરાકાષ્ઠા દર્શાવનારો કાર્યક્રમ છે.’’

પ્રમુખના સલાહકારે મુખ્ય વાત પર આવતાં કહ્યું કે અમેરિકા અને મેક્સિકો વચ્ચે ઘણા લાંબા વખતથી યુદ્ધ ચાલે છે ! એ બંને પક્ષોને ખૂબ થકવનારું બન્યું છે. એમાં એવી પણ વાતો ચાલે છે કે અમેરિકન પ્રમુખની હત્યા કરવા માટે ઘણાં કાવતરાંઓ યોજાયાં છે.

આ સાંભળીને વૂડ્રો વિલ્સને કહ્યું કે મારી સામે કાવતરાંઓ ઘડાય છે એ માત્ર અફવા પણ હોઈ શકે.

એક વ્યક્તિએ કહ્યું, ‘‘શ્રીમાન પ્રમુખશ્રી, તમે વૉશિંગ્ટન ડી.સી. ન જાઓ તો સારું.’’ બીજાએ કહ્યું, ‘‘હવે ન્યૂયૉર્ક સલામત રહ્યું નથી.’’ જ્યારે પત્રકાર તરીકે આવેલી ત્રીજી વ્યક્તિએ કહ્યું, ‘‘અમેરિકા એના પ્રમુખને ગુમાવે તે પોસાય
તેમ નથી.’’

પ્રમુખ વૂડ્રો વિલ્સને જવાબ આપ્યો, ‘‘અમેરિકાને પ્રમુખ વગર ચાલશે, પણ બીકણ કે બાયલો પ્રમુખ નહીં પોસાય.’’

અને વૂડ્રો વિલ્સને હકીકતમાં ન્યૂયૉર્ક જઈને પ્રમુખ તરીકે સૈનિકોની અંતિમ વિધિમાં આગેવાની સંભાળી.

કુમારપાળ દેસાઈ