Categories
વાચન સમૃદ્ધિ

કરુણાના સંદેશવાહક

અપરાધીઓની વસ્તીથી ઊભરાતું હતું ઇંગ્લૅન્ડનું વોલવર્થ ઉપનગર. અહીંના મોટા ભાગના લોકો અત્યંત ગરીબ અને નિરક્ષર હતા. આને કારણે આ વિસ્તારની વસ્તીમાં ખૂબ ગુનાખોરી હતી. સ્વાભાવિક રીતે જ આની એમનાં સંતાનો પર વિપરીત અસર પડે. વળી નાનાં નાનાં છોકરાઓ પાસે પણ ખોટાં કામો કરાવતા હતા. આ સમયે કેમ્બ્રિજની પેમબ્રૂક કૉલેજનો વિદ્યાર્થી ચાર્લ્સ ફેરર એન્ડ્રુઝ આ વિસ્તારમાં રહેવા આવ્યો. એના પિતા પાદરી હતા અને એ પણ ચર્ચ ઑફ ઇંગ્લૅન્ડ સાથે જોડાયેલો હતો. આ એન્ડ્રુઝે પહેલું કામ આસપાસની વસતીનાં બાળકોને ભણાવવાનું શરૂ કર્યું એમને એમના દૈનિક જીવનની નાની પણ મહત્ત્વપૂર્ણ વાતો સોદાહરણ સમજાવતા હતા. બાળકોને એમની વાત ખૂબ પસંદ પડી ગઈ. એ પછી એન્ડ્રુઝે ધીરે ધીરે એમનામાં ઉત્તમ સંસ્કાર સીંચવાનો પ્રારંભ કર્યો. આ વસતીમાં વસતા ઘણા લોકોએ અનુભવ્યું કે એમનાં બાળકોનાં કામ અને આચરણમાં ઘણો સુધારો થયો છે. આ બાળકો યુવાન બન્યાં એટલે એમણે એન્ડ્રુઝના સદાચારનો સંદેશ આપતા લોકોને કહ્યું, ‘તમે પ્રત્યેક રવિવારે સભામાં આવો અને નિર્ધાર કરો કે સપ્તાહમાં એક દિવસ અપરાધ નહીં કરો.’ યુવાનોની વાતથી સહુને એટલી બધી ખુશી ઊપજી કે એમણે નક્કી કર્યું કે અઠવાડિયામાં ચાર દિવસમાં કોઈ અપરાધ નહીં કરે અને સારું જીવન જીવશે. સમય જતાં વોલવર્થ વિસ્તારની સંપૂર્ણ કાયાપલટ થઈ ગઈ અને સભ્યસમાજનું એક અંગ બની ગયો. આ જ સી. એફ. એન્ડ્રુઝ હંમેશાં ન્યાયના પક્ષે રહ્યા અને તેથી જ બ્રિટિશ સામ્રાજ્ય સામેની ભારતની લડતને એમણે ટેકો આપ્યો. ભારતીય રાજકીય કૉંગ્રેસની પ્રવૃત્તિમાં ભાગ લેવા માંડ્યા અને ૧૯૧૩માં ચેન્નાઈમાં વણકરોની હડતાળનો યોગ્ય હલ લાવ્યા. આ ચાર્લ્સ ફેરર એન્ડ્રુઝને એમના પ્રથમ અક્ષરને લઈને ગાંધીજી Christ’s Faithful Apostole કહેતા હતા. ગાંધીજીને દક્ષિણ આફ્રિકાથી ભારત આવવાનો આગ્રહ કરનાર પણ આ જ એન્ડ્રુઝ હતા અને ગરીબોના મિત્ર એવા એન્ડ્રુઝને સહુ ‘દીનબંધુ એન્ડ્રુઝ’ કહેવા લાગ્યા.

Categories
વાચન સમૃદ્ધિ

પ્રબોધ બેચરદાસ પંડિત

જ. ૨૩ જૂન, ૧૯૨૩ અ. ૨૮ નવેમ્બર, ૧૯૭૫

જાણીતા ભાષાવિજ્ઞાની. ભાવનગર જિલ્લાના વળા ગામમાં તેમનો જન્મ. તેમણે અમદાવાદ અને અમરેલીમાં અભ્યાસ કર્યો હતો. ૧૯૩૯માં મૅટ્રિક થયા. ૧૯૪૨ની સ્વતંત્રતાની ચળવળમાં ભાગ લીધો હતો અને છ મહિના જેલવાસ પણ ભોગવ્યો હતો. સંસ્કૃત અને અર્ધમાગધી ભાષા વિષયો સાથે ૧૯૪૪માં બી.એ. થયા. ૧૯૪૬માં સંસ્કૃત અને ભાષાશાસ્ત્રના વિષય સાથે ભારતીય વિદ્યાભવનમાંથી એમ.એ. થયા. વધુ અભ્યાસ માટે લંડન ગયા અને સ્કૂલ ઑફ ઓરિએન્ટલ ઍન્ડ આફ્રિકન સ્ટડીઝમાં જોડાયા. ‘ષડાવશ્યક બાલાવબોધ વૃત્તિ’ ઉપર રાલ્ફ લિલી ટર્નરના માર્ગદર્શન હેઠળ સંશોધન કરીને ૧૯૫૦માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. ત્યારબાદ ભાષાશાસ્ત્રમાં રુચિ કેળવાતી ગઈ. જુલ્સ બ્લોચના સંપર્કમાં આવ્યા. તેમની પાસેથી વિવિધ ભારતીય બોલીઓનો અભ્યાસ કરવાની પ્રેરણા પ્રાપ્ત થઈ. તેમની શૈક્ષણિક કારકિર્દી અમદાવાદની એલ.ડી. આર્ટ્સ કૉલેજમાંથી શરૂ થઈ. ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં ભાષાશાસ્ત્રના અધ્યાપક, પુણેની ડેક્કન કૉલેજમાં પણ અધ્યાપન કરાવ્યું. દિલ્હી યુનિવર્સિટીમાં પણ ભાષાશાસ્ત્રના વ્યાખ્યાતા તરીકે કાર્ય કર્યું. વિદેશમાં પણ અનેક યુનિવર્સિટીઓમાં મુલાકાતી અધ્યાપક તરીકે રહ્યા અને ત્યાં પણ ભાષાશાસ્ત્રવિષયક અધ્યાપન કરાવ્યું. ગુજરાતી સાહિત્યમાં ભાષાવિજ્ઞાનના શુદ્ધ અભિગમથી કાર્ય કરનાર પ્રબોધભાઈ પંડિતે ‘ગુજરાતી ભાષાનું ધ્વનિસ્વરૂપ અને ધ્વનિપરિવર્તન’ (૧૯૬૬), ‘ભાષાવિજ્ઞાનના અર્વાચીન અભિગમો’ (૧૯૭૩), ‘પંચરંગ સમાજમાં ભાષા’ (૧૯૮૩) વગેરે ભાષાવિજ્ઞાનને લગતા મહત્ત્વના ગ્રંથો આપ્યા છે. તેમનું પુસ્તક ‘ગુજરાતી ભાષાનું ધ્વનિસ્વરૂપ અને ધ્વનિપરિવર્તન’ને ૧૯૬૭માં સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો. ગુજરાતી ભાષા અને ભાષાશાસ્ત્રમાં યોગદાન આપવા માટે ૧૯૭૩માં રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો.

Categories
વાચન સમૃદ્ધિ

સિમલા

હિમાચલ પ્રદેશનું પાટનગર. તે ૩૧° ૦૬´ ઉ. અ. અને ૭૭° ૧૩° પૂ. રે. પર આવેલું છે. સિમલા ભારતનું મહત્ત્વનું ગિરિમથક (hill station) ગણાય છે. તેની ઉત્તરે મંડી અને કુલુ, પૂર્વમાં કિન્નૌર, પૂર્વ અને અગ્નિ તરફ ઉત્તરાખંડ રાજ્ય, દક્ષિણે સિરમોર તથા પશ્ચિમમાં સોલન જિલ્લા આવેલાં છે. ૧૮૧૯માં અહીં અંગ્રેજોએ સર્વપ્રથમ આવાસો બનાવેલા. ૧૮૬૪માં સિમલાને બ્રિટિશ ઇન્ડિયાનું ગ્રીષ્મકાલીન પાટનગર બનાવવામાં આવ્યું. ૧૯૩૯ સુધી તે પંજાબ પ્રાંતનું ગ્રીષ્મકાલીન પાટનગર રહેલું. સ્વતંત્રતા પછી તે પંજાબનું મુખ્યાલય રહેલું અને ત્યારબાદ તે હિમાચલ પ્રદેશનું પાટનગર બન્યું.

કાલકા-સિમલા રેલમાર્ગ (યુનેસ્કોની વિશ્વ-વિરાસતની યાદીમાં સમાવેશ)

રાજ્યનું નામ સિમલા. દેવી કાલીનો અવતાર લેખાતાં શ્યામલા દેવી ઉપરથી તે નામ પડ્યું હોવાનું મનાય છે. તેનો વિસ્તાર ૨૫ ચોકિમી. જેટલો છે અને વસ્તી ૨,૩૮,૦૦૦ (૨૦૨૪, આશરે) જેટલી છે. આ શહેરના જુદા જુદા ભાગો ૨૦૧૨થી ૨,૪૩૮ મીટરની ઊંચાઈ પર વહેંચાયેલા છે. શહેરથી આશરે ૫ કિમી.ને અંતરે જુતોઘ ખાતે લશ્કરી છાવણી આવેલી છે. અહીંના જાન્યુઆરી અને જુલાઈનાં લઘુતમ અને મહત્તમ તાપમાન અનુક્રમે સરેરાશ ૧° સે. અને ૧૯° સે. જેટલાં રહે છે. સરેરાશ વાર્ષિક વરસાદ ૧,૬૦૦ મિમી. જેટલો પડે છે. શિયાળા દરમિયાન હિમવર્ષા પણ થાય છે. સિમલા તથા આજુબાજુ આવેલાં જંગલોમાં દેવદાર, રેઝિન, પાઇન, ઓક, ચીલ, કૈલ, ફર, સ્પ્રૂસ અને વાંસનાં વૃક્ષો જોવા મળે છે. ૧૯૦૫થી કાલકા–સિમલા રેલમાર્ગ શરૂ થયો છે. આ નયનરમ્ય રેલમાર્ગ ૮૦૬ પુલો પરથી તથા ૧૦૩ જેટલાં બોગદાંમાંથી પસાર થાય છે. ૨૦૦૮માં આ રેલવેનો યુનેસ્કોની વિશ્વ-વિરાસત(world heritage)ની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તે સડકમાર્ગે પણ અન્ય શહેરો સાથે જોડાયેલું છે. આ શહેર ઉત્તર ભારતનું મહત્ત્વનું પ્રવાસન-મથક પણ છે. પ્રવાસન અહીંનો એક મહત્ત્વનો ઉદ્યોગ છે. અહીં અવરજવર કરતા પ્રવાસીઓે માટે હોટલોની સગવડો ઊભી કરવામાં આવી છે. મૉલ રોડ સિમલાની ખૂબ જાણીતી જગ્યા છે. અહીં મુખ્ય બજાર, રેસ્ટોરાં, પોસ્ટ-ઑફિસ, પ્રવાસન-કાર્યાલય, બૅન્કો તથા થિયેટર આવેલાં છે. સિમલાથી ૨ કિમી. દૂર ૨,૪૩૮ મીટર(૮,૦૦૦ ફૂટ)ની ઊંચાઈએ જખૂ શિખર આવેલું છે. જ્યાંથી હિમાલયનું ખૂબ જ રમણીય દૃશ્ય નજરે પડે છે. અહીં પ્રાચીન હનુમાનમંદિર પણ આવેલું છે. આ ઉપરાંત કાલીબારી-મંદિર તથા તારાદેવી-મંદિર પણ જાણીતાં છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સિમલા, પૃ. 200)