અપરાધીઓની વસ્તીથી ઊભરાતું હતું ઇંગ્લૅન્ડનું વોલવર્થ ઉપનગર. અહીંના મોટા ભાગના લોકો અત્યંત ગરીબ અને નિરક્ષર હતા. આને કારણે આ વિસ્તારની વસ્તીમાં ખૂબ ગુનાખોરી હતી. સ્વાભાવિક રીતે જ આની એમનાં સંતાનો પર વિપરીત અસર પડે. વળી નાનાં નાનાં છોકરાઓ પાસે પણ ખોટાં કામો કરાવતા હતા. આ સમયે કેમ્બ્રિજની પેમબ્રૂક કૉલેજનો વિદ્યાર્થી ચાર્લ્સ ફેરર એન્ડ્રુઝ આ વિસ્તારમાં રહેવા આવ્યો. એના પિતા પાદરી હતા અને એ પણ ચર્ચ ઑફ ઇંગ્લૅન્ડ સાથે જોડાયેલો હતો. આ એન્ડ્રુઝે પહેલું કામ આસપાસની વસતીનાં બાળકોને ભણાવવાનું શરૂ કર્યું એમને એમના દૈનિક જીવનની નાની પણ મહત્ત્વપૂર્ણ વાતો સોદાહરણ સમજાવતા હતા. બાળકોને એમની વાત ખૂબ પસંદ પડી ગઈ. એ પછી એન્ડ્રુઝે ધીરે ધીરે એમનામાં ઉત્તમ સંસ્કાર સીંચવાનો પ્રારંભ કર્યો. આ વસતીમાં વસતા ઘણા લોકોએ અનુભવ્યું કે એમનાં બાળકોનાં કામ અને આચરણમાં ઘણો સુધારો થયો છે. આ બાળકો યુવાન બન્યાં એટલે એમણે એન્ડ્રુઝના સદાચારનો સંદેશ આપતા લોકોને કહ્યું, ‘તમે પ્રત્યેક રવિવારે સભામાં આવો અને નિર્ધાર કરો કે સપ્તાહમાં એક દિવસ અપરાધ નહીં કરો.’ યુવાનોની વાતથી સહુને એટલી બધી ખુશી ઊપજી કે એમણે નક્કી કર્યું કે અઠવાડિયામાં ચાર દિવસમાં કોઈ અપરાધ નહીં કરે અને સારું જીવન જીવશે. સમય જતાં વોલવર્થ વિસ્તારની સંપૂર્ણ કાયાપલટ થઈ ગઈ અને સભ્યસમાજનું એક અંગ બની ગયો. આ જ સી. એફ. એન્ડ્રુઝ હંમેશાં ન્યાયના પક્ષે રહ્યા અને તેથી જ બ્રિટિશ સામ્રાજ્ય સામેની ભારતની લડતને એમણે ટેકો આપ્યો. ભારતીય રાજકીય કૉંગ્રેસની પ્રવૃત્તિમાં ભાગ લેવા માંડ્યા અને ૧૯૧૩માં ચેન્નાઈમાં વણકરોની હડતાળનો યોગ્ય હલ લાવ્યા. આ ચાર્લ્સ ફેરર એન્ડ્રુઝને એમના પ્રથમ અક્ષરને લઈને ગાંધીજી Christ’s Faithful Apostole કહેતા હતા. ગાંધીજીને દક્ષિણ આફ્રિકાથી ભારત આવવાનો આગ્રહ કરનાર પણ આ જ એન્ડ્રુઝ હતા અને ગરીબોના મિત્ર એવા એન્ડ્રુઝને સહુ ‘દીનબંધુ એન્ડ્રુઝ’ કહેવા લાગ્યા.
કુમારપાળ દેસાઈ