Categories
વાચન સમૃદ્ધિ

અહો આશ્ચર્યમ્

જીવનમાં સર્વથા નિષ્ફળ ગયેલો નાસીપાસ યુવાન બગીચામાં બેઠો હતો. એને વેપારમાં એટલી જંગી ખોટ આવી હતી કે જમીન-જાયદાદ ગીરવે રાખવી પડી હતી. મિત્રોએ પણ એનાથી મોં ફેરવી લીધું હતું. આવી પરિસ્થિતિમાં ડૂબેલા યુવાનની પાસે ધનવાન લાગતો એક વૃદ્ધ માણસ આવ્યો અને એણે યુવાનને એની નિરાશાનું કારણ પૂછ્યું. યુવાને જિંદગીમાં આવેલી આસમાની-સુલતાનીની વાત કરી ત્યારે વૃદ્ધે કહ્યું, ‘સહેજે ચિંતા ન કરીશ. મારું નામ જ્હોન ડી રોકફેલર છે. હું તને ઓળખતો નથી, પણ તું ઈમાનદાર લાગે છે આથી તને ઉછીના દસ હજાર ડૉલર આપવા હું તૈયાર છું.’ આટલું બોલીને એ વૃદ્ધે ચેકબુકમાં રકમ લખી આપી અને કહ્યું, ‘બરાબર એક વર્ષ પછી આપણે આ બગીચામાં મળીશું અને તું એ સમય સુધીમાં મહેનત કરીને મારું દેવું ચૂકવી આપજે.’ વીસમી સદીમાં દસ હજાર ડૉલરનો ચેક એ ઘણી મોટી રકમ ગણાતી અને યુવકનું મન હજી માનતું નહોતું કે એ અપરિચિત વ્યક્તિએ કઈ રીતે મારા પર આટલો મોટો ભરોસો કર્યો, જ્યારે મને ખુદને મારા પર ભરોસો નથી. એણે ચેકને જાળવીને રાખ્યો અને રાતદિવસ મહેનત કરવા લાગ્યો. વિચાર કર્યો કે કોઈ મોટી મુશ્કેલી આવશે ત્યારે ચેકની રકમનો ઉપયોગ કરીશ. એના મનમાં એક જ ધૂન હતી કે દેવું ચૂકવીને હું મારી પ્રતિષ્ઠા પુનઃ પ્રાપ્ત કરું. એના પ્રયત્નો સફળ થવા લાગ્યા અને માથેથી દેવું ઊતરી ગયું. નિર્ધારિત દિવસે એ ચેક લઈને રોકફેલરની રાહ જોઈને ઊભો રહ્યો. એ વૃદ્ધ આવ્યા, યુવકે ભાવથી પ્રણામ કર્યાં. ત્યાં એક નર્સ દોડતી આવી અને વૃદ્ધને પકડી લીધા. યુવક પરેશાન થઈ ગયો. નર્સે કહ્યું, ‘આ પાગલ વારંવાર પાગલખાનામાંથી ભાગી જાય છે અને લોકોને જ્હોન ડી. રોકફેલર બનીને ચેક આપે છે.’ યુવક મૂંઝવણમાં પડી ગયો. જે ચેકની તાકાતથી એણે આ કામ કર્યું હતું, તે ખરે જ બનાવટી હતો. આ તે કેવું કહેવાય ?

Categories
વાચન સમૃદ્ધિ

નારાયણ સદાશિવ મરાઠે

જ. 8 ડિસેમ્બર, 1877 અ. 18 માર્ચ, 1956

મહારાષ્ટ્રના સંસ્કૃત વિદ્વાન અને ધાર્મિક સુધારક નારાયણ મરાઠેનો જન્મ કોલાબા જિલ્લાના સુડકોલી ગામમાં થયો હતો. તેમનું પ્રારંભિક શિક્ષણ ઘરે થયું હતું. સંસ્કૃત ભાષા અને હિન્દુ ધર્મશાસ્ત્રોના અધ્યયન માટે તેમણે 11 વર્ષની ઉંમરે ગૃહત્યાગ કર્યો. ઘણા વિદ્વાનો પાસે રહી અધ્યયન કર્યું, પરંતુ તેમના પર પ્રજ્ઞાનંદ સરસ્વતીનો વિશેષ પ્રભાવ પડ્યો. નારાયણે તેમની પાસે વેદાંતનું અધ્યયન કર્યું. તેઓ ઋગ્વેદ, સંસ્કૃત સાહિત્ય, વ્યાકરણ, મીમાંસા, ન્યાય અને વેદાંતના પ્રખર વિદ્વાન હતા. તેમણે ભૌતિકવિજ્ઞાન, જીવવિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનનાં પુસ્તકોનો અભ્યાસ કર્યો. આ ઉપરાંત ભારત અને વિશ્વનો ઇતિહાસ, ખગોળશાસ્ત્ર અને ભૂગોળનું પણ અધ્યયન કર્યું. તેઓ પોતાનાં બધાં જ કામ જાતે કરતા. દિવસભર અભ્યાસ કરતા અને તપસ્વી જેવું જીવન જીવતા. તેમણે તેમના ગુરુના નામ પરથી વાઈમાં ‘પ્રજ્ઞામઠ’ નામના વિદ્યાલયની સ્થાપના કરી. પછીથી એનું નામ ‘પ્રજ્ઞા પાઠશાળા’ રાખવામાં આવ્યું. આ વિદ્યાલયમાં ભારતીય દર્શનનું શિક્ષણ આપવામાં આવતું. તેમણે વામન કાણે જેવા વિદ્વાનોના સહયોગથી ‘ધર્મ નિર્ણય મંડળ’ની સ્થાપના કરી. તેમણે 1927માં ‘ધર્મકોશ કાર્યાલય’ની સ્થાપના કરી. આ સંસ્થા દ્વારા હિન્દુ ધર્મના વિવિધ ગ્રંથોને લગતા વિશ્વકોશ સમાન સાત ખંડો પ્રકાશિત કરવામાં આવ્યા. તેમણે પ્રાચીન શિક્ષણપદ્ધતિને ધ્યાનમાં રાખીને નવી શિક્ષણપદ્ધતિની રચના કરી. તેમણે 1931માં સંન્યાસ લીધો. સંન્યાસ પછી તેઓ કેવલાનંદ સરસ્વતીના નામે જાણીતા થયા. સંન્યાસ લીધા પછી પણ તેમણે હિંદુ દાર્શનિક વિચારધારાના પ્રચાર-પ્રસાર માટે કાર્ય ચાલુ રાખ્યું. તેમણે ‘મીમાંસાદર્શનમ્’ અને ‘અદ્વૈતસિદ્ધિ’નો મરાઠીમાં અનુવાદ કર્યો. ‘કૌશિતાકી બ્રાહ્મણ’ અને ‘તૈત્તિરીય શાખા’ના વિષયવસ્તુના કોષ્ટક તૈયાર કર્યાં. ‘સત્યશબ્દ સંવાદ’ અને ‘તૈત્તિરીય શાખા’ તેમનાં નોંધપાત્ર પુસ્તકો છે. તેમણે ‘મીમાંસા કોશ’ અને ‘અદ્વૈત વેદાંત કોશ’ની રચના કરી હતી.

Categories
વાચન સમૃદ્ધિ

હરિદ્વાર (હરદ્વાર)

ઉત્તરાખંડ રાજ્યના હરદ્વાર જિલ્લામાં આવેલું હિન્દુઓનું પવિત્ર યાત્રાધામ.

તે ૨૯O ૫૭´ ૩૦´´ ઉ. અ. અને ૭૮O ૧૨´ ૦૦´´ પૂ. રે. પર આવેલું છે. ઉત્તરમાં હિમાલયમાં ભગવાન હર (શિવજી) બિરાજે છે તે કેદારનાથ મંદિર તેમ જ ભગવાન હરિ કે શ્રીવિષ્ણુ બિરાજે છે તે બદરીનારાયણ મંદિર જવાનો પર્વતીય માર્ગ જ્યાંથી શરૂ થાય છે, તે સ્થળને હરદ્વાર કે હરિદ્વાર કહે છે. હિમાલયની તળેટીમાં નીલ અને બિલ્વ નામના બે પર્વતોની વચ્ચે એક સાંકડી ખીણમાં તે વસેલું છે. નીલ શિખર ઉપર ચંડિકાદેવી તથા બિલ્વ શિખર ઉપર મનસા કે મનીષા દેવીનાં મંદિરો આવેલાં છે. અહીં ગંગાનાં સર્વપ્રથમ દર્શન થાય છે. ગંગા નદી પહાડી પ્રદેશ છોડીને અહીંથી મેદાની પ્રદેશમાં પ્રવેશ કરે છે. તેથી હરિદ્વાર ગંગાદ્વાર તરીકે પણ જાણીતું છે. અહીંથી હિમાલયના પહાડી પ્રદેશનો પ્રારંભ થાય છે. આ તીર્થ ઘણું જ રમણીય છે. મોક્ષદાયિકા સાત પવિત્ર નગરીઓમાં તેનું સ્થાન છે.

હર કી પેડી, બ્રહ્મઘાટ, હરિદ્વાર

આ નગર ઘણું પ્રાચીન ગણાય છે. કહેવાય છે કે અહીં કપિલ મુનિનું તપોવન હતું. તે સમયે આ નગર ‘કપિલા’ નામથી જાણીતું હતું. અહીં પિતા દક્ષ પ્રજાપતિ દ્વારા અનુષ્ઠિત યજ્ઞ નિમિત્તે ભગવાન શિવને આમંત્રિત ન કરવા બદલ તેમ જ યજ્ઞમાં શિવનો યજ્ઞભાગ ન કાઢવા બદલ પુત્રી પાર્વતીએ યજ્ઞકુંડમાં કૂદી પડીને પોતાના શરીરની આહુતિ આપેલી. અહીંની ગંગા તેના બીજા બધા ભાગ કરતાં વધુ પવિત્ર ગણાય છે. હ્યુ-ઍન-સંગ સાતમી સદીમાં અહીં હરિદ્વાર આવેલા. તેમણે અહીંનું વર્ણન ‘મોન્યુ-લો’ નામથી કરેલું છે. હરિદ્વારનું મોટામાં મોટું આકર્ષણ ‘હર કી પેડી’ છે, તે સ્થળ બ્રહ્મઘાટ તરીકે પણ જાણીતું છે. ત્યાં ગંગાદ્વારનું મંદિર તથા વિષ્ણુનાં ચરણચિહ્નો આવેલાં છે. બારે માસ અહીં લાખો લોકોની અવરજવર રહે છે. યાત્રાળુઓ અહીં ગંગાસ્નાન કરીને ચરણચિહ્નોની પૂજા કરે છે તથા પવિત્ર ગંગાજળ સાથે લઈને પાછા ફરે છે. કુંભ મેળા વખતે ભેગા થતા લાખો સાધુઓ આ જ ઘાટમાં સ્નાન કરે છે. એવો આ મહાપવિત્ર ઘાટ છે. આ બ્રહ્મઘાટમાં સ્નાન કરવું એ મહાપુણ્ય મનાય છે. ઘાટની વચ્ચે ઘડિયાળસ્તંભ આવેલો છે. સાંજે ગંગાઆરતી સમયે અહીં મોટી ભીડ જામે છે. ઘાટ પર બીજાં અનેક દેવ-દેવીઓનાં મંદિરો આવેલાં છે. યાત્રાળુઓની સગવડ માટે હરિદ્વારમાં ૨૦૦થી વધુ ધર્મશાળાઓ છે. નિ:શુલ્ક ભોજનાલયો પણ આવેલાં છે. દહેરાદૂન સુધીનો રેલમાર્ગ હોવાથી યાત્રીઓને હરિદ્વાર જવા આવવાની અનુકૂળતા રહે છે. બસની પણ સારી સગવડ છે. હરિદ્વારની નજીક કનખલ તથા જ્વાલાપુર તીર્થો આવેલાં છે. કનખલમાં સંત-સંન્યાસીઓ વસે છે. આઠેક કિમી.ના અંતરે કાંગડી ગુરુકુળ આવેલું છે. નજીકમાં હૃષીકેશ, લક્ષ્મણઝૂલા જેવાં જોવાલાયક સ્થળો પણ આવેલાં છે. લોકમાન્યતા મુજબ હરિદ્વારમાં મૃત્યુ પામનાર પરમપદને પામે છે.

ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10