ઈરાનના પૂર્વ ઍઝારબૈજાન પ્રાંતની રાજધાની અને મુખ્ય શહેર. તેનું નામ ઈરાની ભાષાના ‘ટપરીઝ’ ઉપરથી પડ્યું છે, જેનો અર્થ વહેતી ગરમી થાય છે. તે આર્મેનિયા રાજ્યની સરહદથી દક્ષિણે ૯૭ કિમી., તુર્કસ્તાનથી પૂર્વમાં ૧૭૭ કિમી. અને ઉર્મિયા સરોવરથી આશરે ૫૫ કિમી. અંતરે છે. તે ૩૮° ઉ. અ. અને ૪૬° ૩´ પૂ. રે. ઉપર, કૂહઈ-સહંડ પર્વતની ઉત્તર તરફ છે. તે ચારે બાજુ પર્વતોથી ઘેરાયેલું છે. ઈરાનનાં શહેરોમાં તેનું ચોથું સ્થાન છે. ૨૦૨૪માં તેની વસ્તી ૧૬ લાખ ૭૦ હજાર (આશરે) હતી. તેની આસપાસ ગરમ પાણીના ઝરાઓ આવેલા છે. આ સ્થળની આબોહવા ખંડસ્થ છે. ઉનાળો ગરમ અને સૂકો છે. દિવસનું સરેરાશ તાપમાન ૩૨°થી ૩૬° સે. રહે છે, જ્યારે રાત્રિનું તાપમાન ૧૧°થી ૧૭° સે. રહે છે. શિયાળામાં બરફ પડે છે ત્યારે તાપમાન –૮° સે. થઈ જાય છે. નવેમ્બરથી માર્ચ દરમિયાન આશરે ૬૩૫ મિમી. વરસાદ પડે છે. ટબ્રિઝ ધરતીકંપના વિસ્તારમાં છે. ઈ. સ. ૭૯૧, ૮૫૮, ૧૦૪૧, ૧૭૨૧, ૧૭૮૦, ૧૭૯૧ અને ૧૯૯૦માં થયેલા ધરતીકંપને લીધે જાન-માલની ખૂબ હાનિ થઈ હતી.

ટબ્રિઝ શહેર
તે મહત્ત્વનું વેપારી કેન્દ્ર છે. હાથવણાટના કીમતી ગાલીચા અહીં તૈયાર થાય છે અને તેની નિકાસ થાય છે. આ ઉપરાંત ચામડાની વસ્તુઓ બનાવવાનાં, ખાદ્ય પદાર્થો, ગરમ, રેશમી અને સુતરાઉ કાપડ અને સૂતર, દીવાસળી, મોટરસાઇકલ, ઘરગથ્થુ વપરાશનાં સાધનો બનાવવાનાં કારખાનાં તથા ક્રૂડ ઑઇલ શુદ્ધ કરવાનું કારખાનું અહીં છે. તે ઇજિપ્ત અને મધ્ય એશિયાનાં શહેરોને જોડતા વણઝાર-માર્ગ ઉપર આવેલું હોવાથી ભૂતકાળમાં આ પ્રદેશો સાથે તેનો બહોળો વેપાર હતો. હાલ પાકા ધોરી માર્ગો તથા તહેરાન અને રશિયાના વર્ચસવાળા દેશો સાથે રેલવે અને ભૂમિમાર્ગો દ્વારા તે જોડાયેલું છે. તેનું વિમાનમથક આંતરિક સ્થળો અને બાહ્ય દેશોને સાંકળે છે. મૉંગોલ શહેનશાહ મહમૂદ ઘાઝાન(૧૨૯૫-૧૩૦૯)ના રાજ્યનું તે પાટનગર હતું. ૧૩૯૨માં તૈમૂરે તે જીતી લીધું હતું. કેટલાક દશકા બાદ તે કારા કોયુનબુ તુર્કોનું, ૧૪૩૬માં ઈરાનનું અને સોળમી સદીમાં શાહ ઇસ્માઇલના રાજ્યનું પાટનગર હતું. ઑટોમન તુર્ક અને રશિયાનાં આક્રમણોનું તે અવારનવાર ભોગ બન્યું હતું. ૧૮૨૬માં રશિયાએ તેના પર આક્રમણ કરેલું. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન શરૂઆતમાં તુર્કીએ અને ત્યારપછી રશિયાએ તે કબજે કર્યું હતું. ૧૯૪૬માં ઈરાની લશ્કરે ટબ્રિઝમાંના ઍઝરબૈજાન પ્રજાસત્તાકના મુખ્ય મથકનો નાશ કર્યો હતો. ૧૯૭૮-૭૯માં ઈરાનના શાહ વિરુદ્ધની ક્રાંતિને કારણે ત્યાં હુલ્લડો અને અથડામણો થઈ હતી. મસ્જિદ-એ-કબુદ તરીકે ઓળખાતી ‘ભૂરી મસ્જિદ’ (૧૪૬૫-૬૬), ઘાઝાન ખાનની બાર બાજુઓવાળી કબરના અવશેષો છે. ૧૩૨૨ પૂર્વે મસ્જિદ તરીકે બંધાયેલો કિલ્લો વગેરે જોવાલાયક છે. અહીં યુનિવર્સિટી સ્થપાતાં, વિદ્યાધામ તરીકે તેનો વિકાસ થયો છે — પ્રવાસધામ તરીકે પણ તેની ખ્યાતિ છે.
શિવપ્રસાદ રાજગોર
ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-8 માંથી