Categories
વાચન સમૃદ્ધિ

નિરભિમાની હોય, તે જ લોકનેતા

વિશ્વના મહાન ક્રાંતિકારી નેતા અને સોવિયેત સંઘના પ્રથમ સમાજવાદી શાસક લેનિનના ઉદ્દામ ક્રાંતિકારી વિચારો સોવિયેત સંઘની પ્રજામાં નવો ઉત્સાહ જગાવતા હતા. લેનિને 1917ના ઑક્ટોબરમાં વિશ્વના ઇતિહાસમાં મહત્ત્વની એવી ‘બૉલ્શેવિક ક્રાંતિ’નું સર્જન કર્યું અને તેની સફળતાના પગલે લેનિનના નેતૃત્વ હેઠળ રશિયામાં નવી સરકાર રચાઈ. કુશળ રાજકારણી, વિચક્ષણ વ્યૂહરચનાકાર અને માર્ક્સવાદના સૈદ્ધાંતિક માળખાને પરિસ્થિતિના સંદર્ભમાં નવો ઓપ આપનાર, શ્રમજીવીઓનો રાહબર લેનિન વ્યવહારકુશળ લોકનેતા તરીકે રશિયન પ્રજાની અપાર ચાહનાને પામ્યા. લેનિનના નેતૃત્વની વાત સાંભળીને રશિયાના વિખ્યાત લેખક મેક્સિમ ગોર્કી એક વાર લેનિનની જાહેરસભામાં ગયા. મનમાં એવું વિચાર્યું હતું કે સમગ્ર રાષ્ટ્રમાં નવી ચેતના જગાવનાર અને સમાજવાદી ક્રાંતિ સર્જનાર આ નેતાનું ભાષણ એક વાર તો સાંભળી આવું. મેક્સિમ ગોર્કી સભાસ્થાને ગયા, ત્યારે જનમેદનીથી એ ખીચોખીચ હતું. એમના પ્યારા નેતા લેનિનના આગમનની રાહ જોઈને સહુ ઊભા હતા. કેટલીય આંખો લેનિનનાં દર્શન કરવા માટે આતુર હતી. ઉત્સાહથી ધબકતા આ વાતાવરણમાં લેનિન કઈ રીતે પ્રવેશશે ? મેક્સિમ ગોર્કીએ તો વિચાર્યું કે નક્કી, લેનિનનું દોરદમામ સાથે આગમન થશે અથવા તો આગળ છડીદારો હશે અને સાથીઓ જયઘોષ પોકારતા હશે, પરંતુ એમણે જોયું તો દૂર એક ખૂણામાં લેનિન કેટલાક કામદારો સાથે વાતચીતમાં ડૂબેલા હતા. સભાનો સમય થયો એટલે લેનિનનું નામ બોલાયું અને લેનિન પોતાની આસપાસના કામદારો પાસેથી સીધા સ્ટેજ પર ગયા. લેનિનની લોકો સાથેની આત્મીયતાનો મેક્સિમ ગોર્કી પર ઊંડો પ્રભાવ પડ્યો. પ્રચંડ લોકજુવાળ પોતાની સાથે હોય એવો લોકપ્રિય નેતા કેટલો બધો નિરભિમાની ! એ દિવસથી ગોર્કીનો લેનિન માટેનો આદર દ્વિગુણિત થઈ ગયો.

Categories
વાચન સમૃદ્ધિ

મિખાઇલ ગોર્બાચોવ

જ. 2 માર્ચ, 1931 અ. 30 ઑગસ્ટ, 2022

સોવિયત સંઘ(રશિયા, 1958-1991)ના સર્વોચ્ચ નેતા મિખાઇલ ગોર્બાચોવનો જન્મ કૉકેસસની ઉત્તરે એક ખેડૂતને ત્યાં થયો હતો. 16 વર્ષની વયે તેમણે ટ્રૅક્ટર પર કામ કરવા માંડ્યું. તે પછી 1950માં મૉસ્કો યુનિવર્સિટીમાંથી ન્યાયશાસ્ત્રના વિષયમાં સ્નાતક થયા. 1967માં પત્રવ્યવહાર દ્વારા કૃષિ-અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો. 1955થી 1962ના ગાળામાં સામ્યવાદી પક્ષના યુવક મંડળ – કૉન્સોમોલમાં જોડાયા. ત્યારબાદ સામ્યવાદી પક્ષના સામાન્ય મંત્રી તરીકે વરણી પામ્યા. તેમણે રશિયાના રાજકારણ અને અર્થકારણમાં આમૂલ પરિવર્તન આણ્યું, જેની દૂરગામી અસરો વર્તાવા માંડી. આર્થિક ક્ષેત્રે ઉત્પાદન વધારવા તથા કેન્દ્રીકરણ દૂર કરી બજારલક્ષી મુક્ત સાહસ પર આધારિત અર્થકારણ અપનાવવું તેમને જરૂરી લાગ્યું. વળી સર્વદેશીય નવવિધાન કરવું પણ આવશ્યક લાગ્યું. આ ઉદ્દેશો સિદ્ધ કરવા ગોર્બાચોવે બે સિદ્ધાંતો પ્રતિપાદિત કર્યા : નવગઠન (પેરેસ્ટ્રોઇકા) અને ખુલાવટ (ગ્લાસનોસ્ટ). પેરેસ્ટ્રોઇકા નવી રચના તથા સર્વદેશીય પરિવર્તન માટેનો અને ગ્લાસનોસ્ટ દ્વારા મુક્ત સમાજ ઊભો કરવાનો હેતુ હતો. યુદ્ધકીય વાતાવરણને શાંતિમાં પલટાવવા માટે તેમણે પૂર્વ યુરોપમાં વોર્સો કરારની રૂએ લશ્કરોમાં ઘટાડો કર્યો. રાજકીય ક્ષેત્રે પ્રમુખનું સર્વોપરી સ્થાન ગ્રહણ કર્યા બાદ તેમણે સમતુલનની નીતિ અપનાવી. તેમને એકીસાથે ઘરઆંગણાક્ષેત્રે, વિદેશના આર્થિક તેમજ રાજકીય ક્ષેત્રે ગંભીર સમસ્યાઓનો સામનો કરવાનો આવ્યો. વૈશ્વિક ધોરણે શાંતિથી યુદ્ધ સમાપ્ત થયું. શસ્ત્રદોડ અટકી અને લશ્કરમાં તેમજ શસ્ત્રોમાં મોટે પાયે કાપની શરૂઆત થઈ. તેમના દ્વારા રશિયાનું જે નવસંસ્કરણ થયું તે મોટે ભાગે અફર હતું. ખુલાવટની નીતિના સ્વીકાર સાથે તેમનું કાર્ય પૂર્ણ થયું તેવું કહી શકાય, પરંતુ રશિયાનું વિઘટન, એ તેના જેવી મહાસત્તાની પડતી અને તેને કારણે દુનિયાની બદલાયેલી પરિસ્થિતિ વગેરે તેમની નેતાગીરીની નબળી બાજુ દર્શાવે છે. તેમના સત્તાત્યાગની પ્રક્રિયા રક્તવિહીન રહી તે તેમની નીતિનો વિજય દર્શાવે છે. પલટાતા યુગનાં એંધાણ પારખી તેમણે જે પરિવર્તનો કર્યાં તેમાં તેઓ સફળ રહ્યા. 1990માં તેમને શાંતિનો નોબેલ પુરસ્કાર આપીને પશ્ચિમની દુનિયાએ તેમનું બહુમાન કર્યું.

Categories
વાચન સમૃદ્ધિ

અજંતાની ગુફાઓ

ભારતીય ભિત્તિચિત્રોની કલાશૈલી ધરાવતી પ્રખ્યાત બૌદ્ધ ગુફાઓ.

ભારતીય ચિત્રકલાના ઇતિહાસની શરૂઆત અજંતાની ગુફાઓમાં મળી આવેલાં ચિત્રોથી થાય છે એમ કહી શકાય. મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં ઔરંગાબાદથી ૧૦૩ કિમી. અને જલગાંવ રેલવે-સ્ટેશનથી ૫૫ કિમી.ના અંતરે આ ગુફાઓ આવેલી છે. અજંતાની ગુફાઓ બૌદ્ધોને લગતી છે. ‘અજંઠા’ નામના ગામ પાસે આ ગુફાઓ હોઈ એ નામે તે જાણીતી થઈ છે. બાઘોરા નદીના વહેળાની સામે પર્વતને કંડારીને અર્ધચંદ્રાકારે ૨૯ જેટલી ગુફાઓને કોતરી કાઢવામાં આવી છે. આ ગુફાઓ વર્ષો સુધી ઝાડીઝાંખરાંને કારણે ઢંકાયેલી અને અવાવરું રહી; પરંતુ આ ગુફાઓ શોધવાનું શ્રેય ઈ. સ. ૧૮૧૯માં મદ્રાસ સેનાના જનરલ જેમ્સને ફાળે જાય છે. તેમને અને તેમના સાથી સૈનિકોને આ ગુફાઓ અકસ્માતે જ મળી ગઈ હતી. આ ગુફાઓમાંથી ૧થી ૧૮ નંબરની ગુફાઓ દક્ષિણાભિમુખી અને બાકીની પૂર્વાભિમુખી છે. તેમાં ૯, ૧૦, ૧૯ અને ૨૬ નંબરની ગુફાઓ ચૈત્ય મંદિરરૂપ છે. અજંતાની બધી જ ગુફાઓમાં બૌદ્ધ પરંપરાની કળા જોવા મળે છે. તે ઈ. સ. પૂ. ૨૦૦થી ઈ. સ. ૬૫૦ દરમિયાન ત્રણ તબક્કે કંડારાયેલી છે.

મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં આવેલી અજંતાની ગુફાઓ

ભારતીય ભિત્તિચિત્રોની કલાશૈલીનો અહીં ૮૦૦ વર્ષનો ઇતિહાસ રજૂ થયો છે. દૃશ્યકલાનાં ત્રણ સ્વરૂપ – સ્થાપત્ય, શિલ્પ અને ચિત્રકલાનો અહીં ત્રિવેણીસંગમ થયો છે. આ ગુફાઓમાંથી નં. ૧, ૨, ૧૬ અને ૧૭મી ગુફામાંનાં ચિત્રો ઉત્તમ ગણાય છે, જેમાંનાં ઘણાં જળવાઈ રહ્યાં છે. આ ગુફાઓમાં ભગવાન બુદ્ધના વિવિધ જીવન-પ્રસંગોને આવરી લેવામાં આવ્યા છે. ગુફા નં. ૧નું બોધિસત્ત્વ(પદ્મપાણિ)નું ચિત્ર સર્વોત્તમ છે. હાથમાં નીલકમલ ધારણ કરીને ત્રિભંગમાં ઊભેલા બોધિસત્ત્વના મુખારવિંદ પર ચિંતન, મનોમંથન અને કરુણાના ભાવો અદ્ભુત રીતે અભિવ્યક્ત થયા છે. અજંતાની ગુફાનાં ચિત્રોની વિશેષતા એ છે કે ૮૦૦ વર્ષ સુધી આ ચિત્રકામ થયું હોવા છતાં તેના આલેખનમાં એકસૂત્રતા સચવાઈ છે. ગુજરાતના કલાગુરુ શ્રી રવિશંકર રાવળે આ ચિત્રોની પ્રતિકૃતિ કરીને તેનો ‘અજંતાના કલામંડપો’ નામે સંગ્રહ આપ્યો છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-1, અજંતાની ગુફાઓ, પૃ. 14)