Categories
વાચન સમૃદ્ધિ

વર્તમાન એ ભવિષ્યની ખરીદી કરે છે

માનવીને મળેલા અમૂલ્ય જીવનને સાર્થક કરવા માટે એમ કહેવામાં આવે છે કે એણે પળનો પણ પ્રમાદ કરવો જોઈએ નહીં. આ પળનો પ્રમાદ કઈ રીતે થતો હશે ? એનો વિચાર મનમાં સ્વાભાવિક રીતે ઉદભવે. હકીકતમાં જીવન એ પળનું બનેલું છે. વ્યક્તિના જીવનની માત્ર એક પળ પણ વેડફાઈ જાય તોપણ એના જીવન પર એનો પ્રભાવ પડતો હોય છે. આ પળને ઉજાળવા માટે વ્યક્તિએ પ્રત્યેક પળને જીવતાં શીખવું જોઈએ. સામાન્ય રીતે વ્યક્તિ પોતાના ભૂતકાળની ક્ષણને લઈને વર્તમાનની ક્ષણને ઓળખતી હોય છે, પણ એની એ વર્તમાનની ક્ષણ સાથે ભૂતકાળનાં ભય, શંકા અને દ્વિધા જોડાય, તો એની વર્તમાનની ક્ષણ પણ વિફળ બને છે. જીવનની ક્ષણોને જૂની-પુરાણી વિચારસરણીથી જોવા જનાર પોતાની આજની ઘડીને રળિયામણી કરવાને બદલે વ્યર્થ બનાવી દે છે. આ રીતે વ્યક્તિએ વર્તમાનની ક્ષણને વર્તમાનમાં જ જીવવાની કોશિશ કરવી જોઈએ. ભૂતકાળની ક્ષણથી વર્તમાનને જોનાર દ્વિધા અનુભવે છે, તો વર્તમાનની ક્ષણે ભવિષ્યનો વિચાર કરનાર ભયને જુએ છે. ભૂતકાળમાં સરી ગયેલી ક્ષણની ચિંતા છોડો અને આવતી કાલની ક્ષણની ચિંતા હટાવી દો. ગઈકાલની ક્ષણ પ્રમાદ લાવશે અને આવતી કાલની અનિશ્ચિતતા. ખરી જરૂર તો પ્રત્યેક ક્ષણને વર્તમાનમાં જીવવાની છે. વર્તમાન આપણા ભવિષ્યને આકાર આપે છે અને વીતી ગયેલા ભૂતકાળને સુધારે છે. આથી ‘આજ’ એ હકીકત છે. ‘ગઈકાલ’ એ વીતી ગયેલું સ્વપ્ન છે અને આવતી કાલ એ આવનારી પરિસ્થિતિની કલ્પના છે. વીતેલાનો શોક નહીં, આવનારની ફિકર નહીં; વર્તમાન પાસે છે આજનું કર્મ, નક્કર હકીકત અને યથાર્થ દર્શન.

Categories
વાચન સમૃદ્ધિ

મોહનલાલ ચુનીલાલ ધામી

જ. ૧૩ જૂન, ૧૯૦૫ અ. ૨ એપ્રિલ, ૧૯૮૧

ગુજરાતી સાહિત્યના પ્રખ્યાત નવલકથાકાર, કવિ, નાટ્યકાર, પત્રકાર અને આયુર્વેદિક ચિકિત્સક મોહનલાલ ધામીનો જન્મ પાટણ, બરોડા સ્ટેટમાં થયો હતો. તેમણે ચોટીલાની હન્ટરમેન ટ્રેનિંગ કૉલેજમાં છઠ્ઠા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. બાળપણમાં તેઓ જૈન સાધુ બનવા ઇચ્છતા હતા, પરંતુ તે શક્ય ન બનતાં તેમણે દૂધપાકનો ત્યાગ કર્યો હતો. મોહનલાલ ધામીનાં પત્નીનું નામ કાંતાબહેન અને પુત્રનું નામ વિમલ હતું. ૧૯૨૮માં પાટણના ઉજમશી પીતાંબરદાસ આયુર્વેદિક કૉલેજમાંથી તેમણે ‘આયુર્વેદભૂષણ’ની પદવી પ્રાપ્ત કરી હતી. તેમણે બંગાળી, હિન્દી, સંસ્કૃત, પ્રાકૃત, ઉર્દૂ અને મરાઠી ભાષાઓનું જ્ઞાન મેળવ્યું હતું. ૧૯૨૯માં તેમણે ચોટીલામાં આયુર્વેદિક દવાખાનું શરૂ કર્યું અને ત્યારબાદ ૧૯૩૭માં રાજકોટમાં દવાખાનું શરૂ કર્યું હતું. મોહનલાલ ધામી, મહાત્મા ગાંધીના વિચારોથી પ્રભાવિત હોવાથી તેમણે જીવનભર ખાદીનો પહેરવેશ ધારણ કર્યો હતો. ભારતના સ્વતંત્રતા આંદોલનમાં પણ તેમણે ભાગ લીધો હતો અને જ્યારે વિસાપુર ખાતેના સત્યાગ્રહમાં ભાગ લીધો, ત્યારે બ્રિટિશ સરકાર દ્વારા તેમને જેલ થઈ હતી. આ ઉપરાંત વલ્લભભાઈ પટેલના સૂચન પર તેમણે મહારાષ્ટ્રનાં ગામોમાં જાગૃતિ ફેલાવવા માટે મોબાઇલ પ્રદર્શનનું આયોજન પણ કર્યું હતું. મોહનલાલ ધામી એક ઉત્કૃષ્ટ સાહિત્યકાર હતા. તેમણે લખેલાં ૧૭૦થી વધુ પુસ્તકોમાં જૈન ધર્મ આધારિત ઐતિહાસિક નવલકથાઓ, નાટકો, વાર્તાઓ, જીવનચરિત્રો, પ્રવાસવર્ણનો, બાળસાહિત્ય, નિબંધો, અનુવાદો, લોકસાહિત્ય અને ધાર્મિક સાહિત્યનો સમાવેશ થાય છે. તેમનું ‘દાદીમાનું વૈદું’ પુસ્તક ખૂબ પ્રખ્યાત છે. ‘મૃદુલ’ અને ‘બાજીગર’ ઉપનામ હેઠળ ૧૮ વર્ષની ઉંમરે તેમણે ‘આત્મા વિનોદ’ નામનું એક પુસ્તક લખ્યું અને ‘કોકિલ’ નામનું એક સામયિક પણ પ્રકાશિત કર્યું હતું. તેમણે ‘વરઘેલી’, ‘એના ચરણે’ અને ‘ભણેલી વહુ’ એમ ત્રણ ગુજરાતી ફિલ્મની કથા, સંવાદ અને ગીતો પણ લખ્યાં છે. તેમનાં ‘રૂપકોશા’ જેવાં પુસ્તકો યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં પણ સમાવિષ્ટ થયાં છે જેનું હિન્દી તથા અંગ્રેજી ભાષામાં પણ ભાષાંતર થયું છે. મોહનલાલ ધામીનું અવસાન રાજકોટમાં થયું.   

Categories
વાચન સમૃદ્ધિ

ટિયનજિન (Tianjin)

હોબાઈ પ્રાંતમાં આવેલું ચીનનું ત્રીજા નંબરનું મોટું શહેર અને પ્રમુખ બંદર. ભૌગોલિક સ્થાન : ૩૯° ૦૮´ ઉ. અ. અને ૧૧૭° ૧૨´ પૂ. રે. તેનું ચીની ભાષાનું નામ ‘ટીઆનજીન’ છે. તે બેજિંગથી નૈર્ઋત્ય ખૂણે ૧૩૮ કિમી. દૂર હાઈ હો (Hai Ho) નદીની પાંચ શાખાઓના સંગમસ્થાને ગ્રાન્ડ કૅનાલ ઉપર આવેલું છે. તે પીળા સમુદ્રના પો હાઈ (Po Hai) અખાતથી ઉપરવાસમાં ૫૬ કિમી. દૂર છે. ઉત્તર ચીનના વિશાળ મેદાનના છેક ઉત્તર છેડે આવેલું આ શહેર સમુદ્રની સપાટીથી માત્ર ૫ મી. ઊંચું છે. ટિયનજિન  આસપાસનો પ્રદેશ સપાટ અને ખૂબ ફળદ્રૂપ છે. આ શહેરની વસ્તી ૧,૩૮,૬૬,૦૦૦ (આશરે ૨૦૨૦) જેટલી છે. તેનો કુલ વિસ્તાર ૧૧,૯૪૬ ચોકિમી. જેટલો છે. ટિયનજિન સમુદ્રની નજીક હોવા છતાં તેની આબોહવા વિષમ છે. શિયાળાનું જાન્યુઆરી માસનું સરાસરી તાપમાન ૪° સે. છે, જ્યારે ઉનાળાનું જુલાઈ માસનું સરાસરી તાપમાન ૩૯° સે. છે. આમ ઉનાળા અને શિયાળાના તાપમાન વચ્ચે ઘણો ફરક છે. શિયાળામાં સાઇબીરિયાનો સૂકો ઠંડો પવન ઉત્તર દિશામાંથી વાય છે અને હિમની વર્ષા થાય છે. ઉનાળામાં પૅસિફિક મહાસાગર ઉપરથી દક્ષિણ તરફથી વાતો ભેજવાળો પવન વાર્ષિક સરેરાશ ૫૦૦ મિમી. વરસાદ આપે છે. નદીઓ અને બારાને બરફમુક્ત રાખવા ‘આઇસબ્રેકર’નો ઉપયોગ કરવો પડે છે. આસપાસના પ્રદેશમાં ઘઉં, ડાંગર, જવ, સોયાબીન વગેરે મુખ્ય પાક છે.

ટિયનજિન શહેર

બેજિંગમાં પરદેશીઓના પ્રવેશ ઉપર પ્રતિબંધને કારણે ટિયનજિન પરદેશ સાથેના તથા ઉત્તર ચીનના આંતરિક વેપારનું કેન્દ્ર બન્યું છે. ૧૮૬૦માં ગ્રેટ બ્રિટનને અને ત્યારબાદ ક્રમશ: ફ્રાન્સ, બેલ્જિયમ, ઇટાલી, જર્મની, રશિયા, ઑસ્ટ્રિયા-હંગેરી વગેરે દેશોની યુરોપીય પ્રજાઓને વેપાર અર્થે ખાસ છૂટછાટો અપાઈ હતી અને તેમનો પોતાની સ્વતંત્ર હકૂમતવાળો રહેઠાણનો વિસ્તાર હતો. ચીનના કુલ વેપારમાં ટિયનજિનનો ૧૦% હિસ્સો છે. ચુઆન વંશના વખતથી (૧૨૭૪-૧૩૬૮) આ શહેર વેપાર ઉપરાંત ઉદ્યોગો અને વાહનવ્યવહારનું અગ્રગણ્ય કેન્દ્ર છે. ૧૯૪૯માં દેશમાં સામ્યવાદી પક્ષનું શાસન દાખલ થયા બાદ વેપારનું સ્થાન ભારે અને હળવા ઉદ્યોગોએ લીધું છે. ભારે યંત્રો, રસાયણો, પ્લાસ્ટિક, લોખંડ અને પોલાદ, જહાજોનું બાંધકામ અને સમારકામ, ઇલેક્ટ્રૉનિક સાધનો વગેરેના ભારે ઉદ્યોગો છે. કાગળ, ગરમ અને સુતરાઉ કાપડ, ચર્મઉદ્યોગ, રબરની વસ્તુઓ બનાવવાનો ઉદ્યોગ વગેરે હળવા ઉદ્યોગો છે. વળી હસ્ત અને લઘુઉદ્યોગો દ્વારા ગાલીચા, ગરમ ધાબળા, માટીની કલાત્મક વસ્તુઓ, છાપકામ માટેનાં બીબાંનું ઉત્પાદન થાય છે. આ ઉપરાંત મત્સ્યઉદ્યોગ અને મીઠું બનાવવાના ઉદ્યોગો પણ વિકસ્યા છે. દરિયાતળમાંથી પેટ્રોલિયમ મળી આવતાં પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ શરૂ થયો છે. ટિયનજિનને ચીનના અંદરના ભાગ સાથે જોડતો બધી ઋતુઓમાં ઉપયોગી ધોરી માર્ગ અને ૧૨ કિમી.નો ભૂગર્ભ માર્ગ છે. બેજિંગ-શાંઘાઈ તથા બેજિંગ-શેનયાંગ રેલવે ઉપરનું ટિયનજિન મહત્ત્વનું સ્ટેશન છે. હાઈ હો નદીના મુખ ઉપર ટગ્ગુ ખાતે ૧૯૪૦માં જાપાને બાંધેલું ટિયનજિનનું બંદર છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮, ટિયનજિન, પૃ. ૨૬૫)