Categories
વાચન સમૃદ્ધિ

તેતર (partridge)

સીમમાં અને ખાસ કરીને ખેતરમાં દેખાતું અને સામાન્યપણે શિકારના પક્ષી તરીકે ઓળખાતું જાણીતું પક્ષી. શિકારનાં પક્ષીઓ ગૅલીફૉર્નિસ શ્રેણીનાં હોય છે. તેતરનો સમાવેશ આ શ્રેણીના ફૅસિનીડે કુળમાં થાય છે. કદમાં તેતર કબૂતર કરતાં સહેજ નાનું હોય છે. તેની લંબાઈ આશરે 33 સેમી. જેટલી થાય છે. ભારતના લગભગ બધા વિસ્તારોમાં જોવા મળતા આ પક્ષીના સહસભ્યો એશિયા, યુરોપ અને ઉત્તર આફ્રિકામાં પણ છે. તેતરનાં નર અને માદા લગભગ સમાન કદનાં હોય છે. તેના શરીરનો બાંધો મજબૂત અને સુવિકસિત હોય છે. તેની ચાંચ ટૂંકી પરંતુ મજબૂત હોય છે. ઉડ્ડયનની દૃષ્ટિએ નિર્બળ જણાતું તેતર, મુખ્યત્વે જમીન પરનું પક્ષી ગણાય છે. દોડવામાં તે ખૂબ પાવરધું હોવાથી રક્ષણ માટે પોતાની પાંખ કરતાં પગ ઉપર વધારે વિશ્વાસ રાખે છે. તેતરની આંગળીઓ નહોરવાળી હોય છે. અને જમીન ઉપર જીવન ગુજારતું હોવા છતાં રાત્રિવાસ માટે તે વૃક્ષ ઉપર ચઢી જાય છે.

ચિત્રાંગ અથવા તલિયા તેતર

આ પક્ષીને અનાજનાં ખેતરોમાં ટોળા-સ્વરૂપે ફરવું ગમે છે. આ ટોળામાં નર, માદા અને બચ્ચાં એકસાથે વિચરે છે. પગની આંગળીઓ નહોરયુક્ત હોય છે. તેથી ખોરાકના ગ્રહણમાં તે ચાંચ કરતાં પગનો ઉપયોગ વધારે કરે છે. તેના ખોરાકમાં મુખ્યત્વે ફળ, બીજ, કીટકો અને કૃમિઓનો સમાવેશ થાય છે. નહોરની મદદથી તે જમીન ખોતરે છે અને ધૂળ-સ્નાન પણ કરે છે. તેના પાચનમાર્ગમાં આવેલું અન્ન સંગ્રહાશય મોટા કદનું હોવાથી તેતર એકીસાથે ઘણું ખાઈ શકે છે. આથી જ કહેવત પડી છે કે ‘‘નાનું એવું તેતરડું, ખાય આખું ખેતરડું.’’ તેતરની પાંખો ગોળાકાર, ટૂંકી અને અલ્પવિકસિત જણાય છે. સ્વરતંત્રની સરળ રચના ધરાવતું હોવાથી, તે મધુર ગાયન ગાઈ શકતું નથી. તેતર સામાન્ય રીતે શીત ઋતુમાં સલામત સ્થળ પસંદ કરી, માળો બાંધે છે. પ્રજનનકાળ દરમિયાન માદાને આકર્ષવા માટે, પૂરી તાકાતથી, નર અવાજ કરે છે. એનો આ અવાજ ‘કીક્ કીરીરીરી, કીક્ કીરીરીરી’ તેવો સંભળાય છે. માદા માળામાં તે એકસાથે 6થી 9 ઝાંખા સફેદ રંગનાં ઈંડાં મૂકે છે. ઈંડાંમાંથી બહાર નીકળતાં બચ્ચાં, જન્મતાંની સાથે દોડી શકે છે. તેતરનો સ્વભાવ મિલનસાર હોવાથી અત્યંત સાહજિકતાથી મનુષ્ય સાથે ભળી જાય છે. તેતરની ત્રણ જાતિઓ ભારતમાં સામાન્ય છે : (1) ચિત્રાંગ અથવા તલિયા તેતર (the painted partridge) : તેતરની આ જાતિ દક્ષિણ ભારતમાં વિશેષ રૂપે જોવા મળે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8, તેતર, પૃ. 914 અથવા જુઓ https://gujarativishwakosh.org/તેતર/)

Categories
વાચન સમૃદ્ધિ

આઈ. એસ. જોહર

જ. 16 ફેબ્રુઆરી, 1920 અ. 10 માર્ચ, 1984

હિન્દી ફિલ્મજગતના અભિનેતા, લેખક, નિર્દેશક આઈ. એસ. જોહરનો જન્મ પાકિસ્તાનના તાલગંગમાં થયો હતો. આઈ. એસ. જોહરનું મૂળ નામ ઇંદ્રજિત સિંહ જોહર હતું. હિન્દી ફિલ્મોમાં હાસ્યઅભિનેતા તરીકે તેઓ જાણીતા હતા. લગભગ 50 વર્ષની ફિલ્મ કારકિર્દીમાં ભારતીય દર્શકોને હાસ્યનું મનોરંજન આપવાનું એમનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે. એમને ભારતના ચાર્લી ચૅપ્લિન ગણવામાં આવતા હતા. રાજનીતિ તથા અર્થશાસ્ત્રમાં સ્નાતક, અનુસ્નાતક તથા એલએલ.બી.નો અભ્યાસ કરનાર આઈ. એસ. જોહર શિક્ષિત અભિનેતા તરીકે પણ જાણીતા હતા. અભિનયનો શોખ એમને માયાનગરી મુંબઈ લઈ આવ્યો. જ્યાં બી. આર. ચોપરા એમના મિત્ર બન્યા. 1949માં ‘એક થી લડકી’ ફિલ્મ સાથે લેખન તથા અભિનય બંને ક્ષેત્રે એમણે પદાર્પણ કર્યું. 1951માં બી. આર. ચોપરા માટે ફિલ્મ ‘અફસાના’નું લેખન કર્યું, જેની સફળતાએ બી. આર. ચોપરાને એક અલગ ઊંચાઈ તરફ દિશા આપી. સામાજિક પ્રશ્નો સામે કટાક્ષભર્યો અવાજ ઉઠાવવા માટે આઈ. એસ. જોહર લેખન અને અભિનયને માધ્યમ બનાવતા. હાસ્ય નિષ્પત્તિ માટે એમનો એક આગવો અંદાઝ હતો. 1962માં લૉરેન્સ ઑફ અરેબિયા, 1958માં ‘હેરી બ્લૅક’ તથા ‘ડેથ ઑન ધ નાઇલ’ જેવી આંતરરાષ્ટ્રીય ફિલ્મોમાં અભિનય કરીને એમણે એક અલગ ઓળખ ઊભી કરી હતી. 1970માં ‘જોની મેરા નામ’માં ત્રણ ભૂમિકામાં અભિનય કરીને દર્શકોને ખૂબ મનોરંજન આપવા બદલ એમને ફિલ્મફેર ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ‘તીન દેવીયાં’, ‘બઢતી કા નામ દાઢ઼ી’, ‘નાસ્તિક’, ‘જોહર-મહેમૂદ ઇન ગોવા’, ‘જોહર-મહેમૂદ ઇન હૉંગકૉંગ’ જેવી અનેક ફિલ્મોમાં એમનો અભિનય દર્શકોના ચિત્તમાં ચિરંજીવ બન્યો. અંગત જીવનમાં તેઓ પાંચ વખત લગ્નગ્રંથિથી બંધાયા હતા. વિચક્ષણ લેખન, સહજ હાસ્યઅભિનય તથા નિર્દોષ અંગભંગિઓ આઈ. એસ. જોહરની વિશેષતા હતાં. ભારતીય ફિલ્મ દર્શકો એમને સદાય યાદ રાખશે.

Categories
વાચન સમૃદ્ધિ

જમીન પર તો ચાલતાં શીખો

એક વાર અંધારી રાત્રે વિખ્યાત ખગોળશાસ્ત્રી અલ ખ્વારિજ્મી ઘૂમવા નીકળ્યા. એ જમાનામાં આકાશના તારાઓની ઓળખ મેળવનારા ખગોળશાસ્ત્રી અલ ખ્વારિજ્મી જેવો બીજો કોઈ ખગોળશાસ્ત્રી નહોતો. ચોતરફ એમની વિદ્યાની પ્રશંસા થતી હતી અને તારાઓની ગતિ જોઈને વ્યક્તિના ભવિષ્યના જીવનની ગતિ બતાવવાની એમની કાબેલિયત પર સહુ કોઈ આફરીન પોકારી ગયા હતા. રાત્રે ફરવા નીકળેલા આ સમર્થ ખગોળશાસ્ત્રી ખ્યાલ ન રહેતાં ઊંડા ખાડામાં પડી ગયા. મદદ કરવા માટે એ જોર જોરથી બૂમો પાડતા હતા. થોડો સમય તો કોઈ આવ્યું નહીં, પણ એવામાં એક વૃદ્ધ સ્ત્રી એ રસ્તેથી નીકળી અને એણે જોયું તો ખાડામાંથી કોઈ મદદ માટે બૂમો પાડતું હતું. એ ગરીબ, નિરક્ષર મહિલાએ ઘણી મહેનત કરીને એમને બહાર કાઢ્યો. ખગોળશાસ્ત્રી અલ ખ્વારિજ્મીએ આ વૃદ્ધાનો આભાર માન્યો. વૃદ્ધા તો હસીને આગળ ચાલી. કીર્તિવંત ખગોળશાસ્ત્રીથી રહેવાયું નહીં એટલે એમણે એ વૃદ્ધાને અટકાવીને પૂછ્યું, ‘તમે મને ઓળખ્યો ખરો ? હું આ જમાનાનો મશહૂર ખગોળશાસ્ત્રી અને જ્યોતિષશાસ્ત્રી છું. આકાશના તારાને જોઈને માણસની જિંદગીની ગતિ ભાખી શકું છું. તમે મને ખાડામાંથી બહાર કાઢ્યો ને મદદ કરી, તે માટે તમારું ભવિષ્ય જોઈને મારા પરના અહેસાનનો બદલો ચૂકવવો છે.’ પેલી વૃદ્ધાએ હસીને કહ્યું, ‘અરે ! જેને જમીન પરના ખાડાની જાણકારી ન હોય, એને વળી માનવીના ભવિષ્યની જાણકારી હોય ખરી ? પહેલાં તમે જે જમીન પર ચાલો છો, એને બરાબર જાણો, પછી તારાઓની ગતિનું માપ કાઢવા બેસજો.’ વૃદ્ધાનાં આ વચનોએ ખગોળશાસ્ત્રીના હૃદય પર પ્રભાવ પાડ્યો. એમને સમજાયું કે જે જમીન પર ચાલો છો, તે જમીનનો વાસ્તવિક ખ્યાલ ન હોય, તો આકાશને જાણીને શું કરશો? આ ખગોળશાસ્ત્રી આકાશના બદલે પાતાળના-ભૂગર્ભના ભેદ ઉકેલવા લાગ્યો અને ભૂસ્તરશાસ્ત્રી બન્યો. વૃદ્ધાના એક વાક્યે આકાશમાં નજર માંડીને બેઠેલા ખગોળશાસ્ત્રીના જીવનની દિશા બદલી નાખી.