Categories
વાચન સમૃદ્ધિ

હંસ

એક જળચર પક્ષી. હંસને ઠંડી આબોહવા માફક આવે છે. આફ્રિકા અને ઍન્ટાર્ક્ટિકા સિવાય દરેક ખંડમાં જ્યાં ઠંડી આબોહવા હોય ત્યાં તે વસે છે. ચપટી ચાંચ, લાંબી નાજુક ડોક, લાંબી પાંખો, ટૂંકી પૂંછડી તથા પગ ધરાવતા હંસ દેખાવે ખૂબ સુંદર લાગે છે. હંસનાં પીંછાં પાણીમાં ન ભીંજાય તેવાં હોય છે. પગનાં આંગળાં પાતળી ચામડીથી જોડાયેલાં હોવાથી તે હલેસાંની જેમ તરવામાં મદદ કરે છે. જમીન પર પણ હંસ ચાલી, દોડી શકે છે. હંસ બતક કરતાં કદમાં મોટો હોય છે. પાણીમાં છટાદાર રીતે તે તરે છે. મોટા ભાગે હંસ સફેદ પીંછાં ધરાવે છે. ઉત્તર ગોળાર્ધમાં આવા હંસ વસે છે, જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં કાળાં પીંછાંવાળા હંસ જોવા મળે છે. તે લાંબું અંતર ઊડી શકે છે. હંસ પાણીમાં ઊગતી વનસ્પતિ અને નાનાં જળચરોને પોતાની લાંબી ડોક વડે તળાવમાંથી મેળવીને ખાય છે. તળાવકાંઠે ઊગતું ઘાસ કે ખેતરમાં ઊગેલા દાણા પણ ખાય છે. ૨થી ૩ વર્ષની વયે તે પોતાના જીવનસાથીને શોધી લે છે. નર અને માદા મોટા અવાજો કરી, પાંખો ફેલાવી એકબીજાની સન્મુખ નાચે છે. હંસની જોડ જીવનપર્યંત સાથે રહે છે.

હંસ ઘાસ તથા અન્ય ઝાડ-પાનથી તળાવના કિનારે માળો બાંધે છે. માદા ૪થી ૬ સફેદ ઈંડાં મૂકે છે. સામાન્ય રીતે ઈંડાં સેવવાની જવાબદારી માદાની હોય છે. જ્યારે માદા ઈંડાં સેવતી હોય ત્યારે આક્રમક થઈ જાય છે. શિયાળ, કૂતરા, માણસ કે અન્ય સજીવ પ્રાણીઓનો તે સામનો કરે છે. બચ્ચાં જન્મે ત્યારે રાખોડી રંગનાં પીંછાં ધરાવે છે. થોડા જ વખતમાં તેમને ઊડવાનાં પીંછાં આવે છે અને ૭ અઠવાડિયાંમાં તેઓ ઊડતાં શીખી જાય છે. હંસમાં કૌટુંબિક ભાવના સારી હોય છે. બચ્ચાંની તે સારી સંભાળ લે છે. બચ્ચાં માની પીઠ પર બેસીને સવારી કરે છે. વિવિધ જાતના હંસો જાતભાતના અવાજો કાઢી શકે છે. પૌરાણિક હિન્દુ માન્યતા પ્રમાણે હંસ સરસ્વતીનું વાહન ગણાય છે. નળ-દમયંતીની વાતમાં હંસ દૂતનું કામ કરી નળ તથા દમયંતીના રૂપનું વર્ણન એકબીજાની સામે કરે છે. કૈલાસ પાસે આવેલ માનસરોવરમાં હંસ વસે છે. આપણે ત્યાં એવી વાયકા છે કે, માનસરોવરના હંસ મોતીનો ચારો ચરે છે. આ વાયકામાં થોડું તથ્ય છે. માનસરોવરના કાંઠે મળી આવતી કેટલીક છીપની જાતોમાં મોતી પાકે છે. આ હંસલા આવી છીપમાંના જીવને ખાઈને મોતીનો મળ વાટે કે ચાંચ દ્વારા ત્યાગ કરે છે અને તેથી આ માત્ર કવિકલ્પના નથી. કેટલીક જાતની મીઠા પાણીની છીપમાં મોતી તૈયાર થતાં હોય છે. હંસ બાળવાર્તાઓમાં પણ આવે છે. ‘અગ્લી ડકલિંગ’ની વાર્તામાં બતકનાં બચ્ચાં અને હંસનાં બચ્ચાંની વાત આવે છે. રશિયન બૅલેમાં ‘સ્વાન લેક’ જાણીતું બૅલે-નૃત્ય છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-10 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

નરેન્દ્ર કોહલી

જ. 6 જાન્યુઆરી, 1940 અ. 17 એપ્રિલ, 2021

હિન્દી સાહિત્યના સુપ્રસિદ્ધ સર્જક નરેન્દ્ર કોહલીનો જન્મ પાકિસ્તાનમાં આવેલા સિયાલકોટમાં થયો હતો. પિતા પરમાનંદ અને માતા વિદ્યાવતી. નરેન્દ્રનું પ્રારંભિક શિક્ષણ લાહોર અને સિયાલકોટમાં થયું હતું. દેશ-વિભાજન પછી પરિવાર ભારતમાં આવ્યો અને જમશેદપુરમાં સ્થાયી થયો. પછીનો અભ્યાસ જમશેદપુરમાં થયો. તેમણે જમશેદપુર કો-ઑપરેટિવ કૉલેજમાંથી બી.એ. અને દિલ્હી યુનિવર્સિટીમાંથી એમ.એ. અને પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી. તેમણે કારકિર્દીની શરૂઆત દિલ્હીની પી.જી.ડી.એ.વી. કૉલેજથી કરી. 1965માં મોતીલાલ નહેરુ કૉલેજ, દિલ્હીમાં જોડાયા અને 1 નવેમ્બર, 1995ના રોજ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી ત્યાં સુધી તેમણે ત્યાં જ અધ્યાપન કર્યું. તેમને બાળપણથી જ લેખનનો શોખ હતો. આઠમા ધોરણમાં હતા ત્યારે શાળાના મુખપત્રમાં ઉર્દૂમાં ‘હિન્દુસ્તાન : જન્નત નિશાન’ વાર્તા પ્રકાશિત થઈ હતી એ પછી ‘કિશોર’, ‘અવાજ’ વગેરે સામયિકોમાં રચનાઓ પ્રગટ થઈ. તેમની નવલકથાઓમાં આધુનિકતા હોવા છતાં તે પાશ્ચાત્ય અસરથી મુક્ત છે. તેમણે ભારતની સાંસ્કૃતિક પરંપરા અને મૂલ્યોને પ્રતિબિંબિત કર્યાં છે. તેમણે રામાયણની કથાનો ઉપયોગ કરીને ચાર ખંડોમાં 1800 પાનાંની નવલકથા લખી. 1975માં ‘દીક્ષા’ના પ્રકાશનથી હિન્દી સાહિત્યમાં નવો યુગ શરૂ થયો. તેમણે શ્રીકૃષ્ણની કથા પર આધારિત ‘અભિજ્ઞાન’, મહાભારત આધારિત ‘મહાસમર’ અને સ્વામી વિવેકાનંદના જીવન આધારિત ‘તોડો કારા તોડો’ નવલકથા લખી. તેમણે સામાજિક અને ઐતિહાસિક નવલકથાઓ ઉપરાંત નવલિકા, નાટક, વ્યંગ્ય, નિબંધ, પ્રવાસવર્ણન અને બાળસાહિત્યમાં વિપુલ સર્જન કર્યું છે. તેમનાં પુસ્તકોનો કન્નડ, નેપાળી, ઊડિયા, મરાઠી, અંગ્રેજી અને પંજાબી ભાષામાં અનુવાદ થયો છે. તેમને અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને ભારત સરકાર દ્વારા 2017માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 2023થી તેમનો જન્મદિવસ 6 જાન્યુઆરી હિન્દી સાહિત્યજગતમાં ‘સાહિત્ય લેખક દિવસ’ તરીકે ઊજવવામાં આવે છે.

Categories
વાચન સમૃદ્ધિ

તારંગા

ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું જૈન તીર્થસ્થાન. આ યાત્રાધામ ખેરાલુ તાલુકાના ટીમ્બા ગામની નજીકમાં આશરે 24° ઉ. અ. તથા 72° 46´ પૂ. રે. પર આવેલું છે. વળી મહેસાણાને સાંકળતા બ્રૉડગેજ રેલમાર્ગનું અંતિમ રેલ-મથક ‘તારંગાહિલ’ તેનાથી પૂર્વમાં લગભગ 10 કિમી.ને અંતરે છે. તારંગા અને અંબાજીને સાંકળતા રેલમાર્ગનું પણ આયોજન થયું છે. તારંગાની મુખ્ય ટેકરીનું શિખર સમુદ્રસપાટીથી 486 મી. અને તારામાતાના મંદિર પાસેની ટેકરીનું શિખર 446 મી.ની ઊંચાઈ ધરાવે છે. તારંગાની ટેકરીઓમાંથી રૂપેણ નદી નીકળે છે. આ સમગ્ર પ્રદેશ આછી વનરાજિથી છવાયેલો છે. વળી આ ટેકરીઓના પૂર્વભાગમાં થઈને સાબરમતી નદી વહે છે અને તેના પરનો ધરોઈ બંધ નજીકમાં આવેલો છે.

તારંગાનું પ્રસિદ્ધ જૈન દેરાસર

‘પ્રભાવકચરિત’માં જૈન તીર્થ તારંગનાગ ગિરિનો ઉલ્લેખ છે. ‘વ્રજસ્વામિ પ્રબંધ’માં તારણગિરિનો ઉલ્લેખ છે, જે તારંગગિરિ હોવાનું જણાય છે. આર્ય ખપુટાચાર્યના સમકાલીન વેણી વત્સરાજ નામે બૌદ્ધ ધર્માનુયાયી રાજાએ ગિરિ (તારંગા) ઉપર તારાઉર (તારાપુર) નામનું નગર વસાવી એમાં બૌદ્ધ દેવી તારાનું મંદિર બંધાવ્યું, આર્ય ખપુટાચાર્યના ઉપદેશથી રાજાએ જૈન ધર્મ અંગીકાર કર્યો. ત્યાં એણે મહાવીરની શાસનદેવી સિદ્ધાર્થિકાનું મંદિર બંધાવ્યું. તારંગા ડુંગરની તળેટીની ઉત્તર દિશામાં હાલના અજિતનાથ જૈન મંદિરથી અંદાજે 2.5 કિમી.ના અંતરે તારણ માતાનું સ્થાનક આવેલું છે. આ સ્થાનકની બાજુમાં એક ગુફામાં ધારણદેવીનું સ્થાનક છે. અહીંની એક બીજી ગુફા જોગીડાની ગુફા તરીકે ઓળખાય છે. એમાં તામ્રવર્ણા પાષાણ ઉપર બૌદ્ધિવૃક્ષ નીચે ચાર બૌદ્ધમૂર્તિઓ કંડારેલી છે. તારંગા ડુંગર પર કુમારપાળે અજિતનાથનું મંદિર બંધાવ્યું હોવાના ઉલ્લેખો ‘કુમારપાલપ્રતિબોધ’, ‘પ્રભાવકચરિત’, ‘કુમારપાલપ્રબંધ’, ‘વીરવંશચરિત’ તથા ‘ઉપદેશતરંગિણી’માં મળે છે. વસ્તુપાલે તારંગાના અજિતનાથચૈત્યમાં આદિનાથ અને નેમિનાથનાં બિંબ વિ. સં. 1284 (ઈ. સ. 1228)માં સ્થાપ્યાનો અભિલેખ મળ્યો છે. મંદિરના પ્રાંગણમાં આવેલા એક નાના કીર્તિસ્તંભ પર કુમારપાળના રાજ્યકાળના છેલ્લા વર્ષ વિ. સં. 1230 (ઈ.સ. 1174–75)નો અભિલેખ છે. તીર્થસ્થાનની આજુબાજુનો વિસ્તાર ટેકરીઓથી ઘેરાયેલો હોવાથી પર્યટકો માટે પણ આ તીર્થધામ આકર્ષણનું સ્થાન બન્યું છે. અહીંની વસ્તી 1,687 (2011) હતી.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8, તારંગા, પૃ. 806 અથવા જુઓ https://gujarativishwakosh.org/તારંગા/)