Categories
વાચન સમૃદ્ધિ

વિષાદયોગનો મર્મ

‘હું જાણું છું કે મારા જીવનની શ્રેષ્ઠતમ નિધિ તમે છો. એવું કોઈ ધન નથી કે જે તમારા સમાન હોય. આમ છતાં મારું ઘર ભંગાર વસ્તુઓથી ભરેલું છે, એને હું ફેંકી શકતો નથી. કવિવર રવીન્દ્રનાથ ટાગોરની આ પંક્તિઓ માનવહૃદયમાં વસતા મોહના આકર્ષણને દર્શાવે છે. એ મોહ માણસને ઘેરી લે છે. એના આત્મા પર એક એવું કાળું ઘનઘોર વાદળ છવાઈ જાય છે કે જેનાથી એનો આત્મસૂર્ય ઢંકાઈ જાય છે. એ મોહ માનવીને વાસ્તવિક પરિસ્થિતિથી અળગો કરી દે છે અને એ આંખો બંધ કરીને એની પાછળ સતત દોડે છે. એથીયે વિશેષ તો એ મોહને કારણે પરિસ્થિતિનો સાચો તાગ મેળવી શકતો નથી. ‘શ્રીમદ્ ભગવદ્ગીતા’માં શ્રીકૃષ્ણ અને અર્જુનના સંવાદને આપણે ઘટના રૂપે જોઈએ છીએ. ક્યારેક અર્જુનના વિષાદયોગની વાત કરીએ છીએ, પરંતુ એ ઘટનાની ભીતરમાં છુપાયેલા ભાવને જાણવો પડે. અર્જુન વીર છે, બુદ્ધિશાળી છે, કુશળ ધનુર્ધર છે અને છતાં એ કપરી વેળાએ મોહગ્રસ્ત બને છે. શું અર્જુનને ખબર નહોતી કે એને આ કૌરવો સાથે યુદ્ધ કરવાનું છે ? પાંડવોનો નાશ કરવા માટેની, કૌરવોનાં કેટલાંય ષડયંત્રોની એને પૂરેપૂરી જાણ હતી અને આમ છતાં યુદ્ધ સમયે મોહ જાગે છે. એ મોહ પર માનવીએ વિજય મેળવવો જોઈએ. ઘોડો તોફાની બને, તો તેના પરનો સવાર લગામ છોડી દેતો નથી, પણ ઘોડાને વશ કરવા પ્રયત્ન કરે છે. આ ઘટનાનો મર્મ એ છે કે આપણે મક્કમ મને નિર્ણય કર્યો હોય, પરંતુ જ્યારે એ પ્રમાણે કાર્ય કરીએ, ત્યારે મુશ્કેલી આવે છે અને તેથી જ શ્રીકૃષ્ણ કહે છે કે, ‘તારી મોહગ્રસ્તતામાં તને તારું શુભ દેખાતું નથી.’ આનો અર્થ એટલો જ કે બુદ્ધિથી નિર્ણય કરવો એ એક વાત છે અને એથીયે વિશેષ મહત્ત્વનું તો એ નિર્ણયને કાર્યાન્વિત કરવાનું છે.

Categories
વાચન સમૃદ્ધિ

ચંદ્રશેખર શંકર ધર્માધિકારી

જ. 20 નવેમ્બર, 1927 અ. 3 જાન્યુઆરી, 2019

સ્વાતંત્ર્યસેનાની, વકીલ, ન્યાયાધીશ અને લેખક ચંદ્રશેખર શંકર ધર્માધિકારીનો જન્મ મધ્યપ્રદેશના રાયપુરમાં. પિતા દાદા ધર્માધિકારી અને માતા દમયંતી. માતાપિતાએ આઝાદીનાં આંદોલનોમાં ભાગ લીધો હતો અને જેલમાં ગયાં હતાં. ચંદ્રશેખર શંકરે પણ ચૌદ વર્ષની ઉંમરે 1942ના ‘હિંદ છોડો’ આંદોલનમાં ભાગ લીધો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ નાગપુરની અને વર્ધાની મ્યુનિસિપલ પ્રાથમિક શાળામાંથી મેળવ્યું. માધ્યમિક શિક્ષણ નવભારત વિદ્યાલય, વર્ધામાં મેળવ્યું. નાગપુર યુનિવર્સિટીમાંથી એમ.એ. અને એલએલ.બી.ની પદવી પ્રાપ્ત કરી. તેમણે 1954થી 1972 સુધી વકીલાત કરી. 1972માં બૉમ્બે હાઈકોર્ટમાં વધારાના ન્યાયાધીશ તરીકે નિયુક્ત થયા. 2014માં તેમના અધ્યક્ષપદે નિમાયેલી સમિતિએ મહારાષ્ટ્ર સરકારને હોટલ અને રેસ્ટોરન્ટમાં બાર ગર્લ્સ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી હતી જેથી મહિલાઓ પર અત્યાચારના ગુનાઓ ઘટી શકે. તેમણે મહિલાઓના અધિકારો, આદિવાસી અને જેલના કેદીઓના કલ્યાણ માટે શકવર્તી ચુકાદાઓ આપ્યા હતા. તેઓ ગાંધીમૂલ્યોના સમર્થક હતા. સત્ય અને અહિંસાના આગ્રહી હતા. તેમણે અનેક સંસ્થાઓમાં વિવિધ પદ પર રહીને સમાજસેવા કરી હતી. તેઓ મહારાષ્ટ્ર વહીવટી ટ્રિબ્યૂનલ, રાષ્ટ્રીય મહિલા આયોગ, જમનાલાલ બજાજ ફાઉન્ડેશન, ગ્લોબલ સ્કૂલ્સ ફાઉન્ડેશન, ગાંધી રિસર્ચ ફાઉન્ડેશન, કુસુમાગ્રજ પ્રતિષ્ઠાન જેવી  અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. તેમણે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને મરાઠીમાં 24 જેટલાં પુસ્તકો લખ્યાં છે; જેમાં ‘શોધ ગાંધીંચા’, ‘ચંદ્રોદય’, ‘અંતરયાત્રા’, ‘સહપ્રવાસ’, ‘લોકતંત્ર પરહેજ ઔર પાબંદિયાં’, ‘રિફલેક્શન્સ ઑન ઇન્ડિયા કૉન્સ્ટિટ્યૂશન–રિલિજિયન ઍન્ડ રુલ ઑફ રુલ’ મુખ્ય છે. તેમના પુસ્તક ‘ભારતીય સંવિધાનચે અધિષ્ઠાન’ને મહારાષ્ટ્ર સરકારનો સાહિત્ય પુરસ્કાર મળ્યો હતો. આ ઉપરાંત ગોપાલકૃષ્ણ ગોખલે પુરસ્કાર, ગાંધીજન પુરસ્કાર, ગોસેવા રત્ન પુરસ્કાર, રાષ્ટ્ર ગૌરવ પુરસ્કાર જેવા અનેક પુરસ્કારોથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારત સરકારે 2003માં પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

તક્ષશિલા

પ્રાચીન ભારતીય સંસ્કૃતિ અને વિદ્યાસંસ્કારના કેન્દ્રરૂપ જગવિખ્યાત નગરી. પ્રાચીન ભારતના રાવળપિંડી શહેરની પશ્ચિમે પાંત્રીસ કિમી.ના અંતરે આવેલું આ સ્થળ ગાંધાર પ્રાન્તની રાજધાની હતું. રામના ભાઈ ભરતે આની સ્થાપના કરેલી અને પુત્ર તક્ષને અહીંનો રાજા નીમેલો. એના નામ ઉપરથી આ રાજધાની તક્ષશિલા તરીકે ઓળખાઈ, એવો વાલ્મીકિ રામાયણમાં ઉલ્લેખ છે. ઈ. સ. પૂ.ના છઠ્ઠા સૈકામાં ઈરાનીઓની, બીજા સૈકામાં ઇન્ડો-બૅક્ટ્રિયનોની અને પહેલા સૈકામાં સીથિયનોની તો ઈસુના પ્રથમ સૈકામાં કુષાણોની અને પાંચમા સૈકામાં હૂણોની રાજસત્તા અહીં પ્રવર્તતી હતી. ઈસુના છઠ્ઠા સૈકામાં આ શહેરનો નાશ થયો. મધ્ય એશિયા અને ભારત વચ્ચેના વેપારી માર્ગ ઉપરનું સ્થાન હોઈ એનું રાજકીય મહત્ત્વ તો હતું જ, પણ એક વિદ્યાકેન્દ્ર તરીકેની એની ખ્યાતિ વિશ્વમાં હતી. ઈ. સ. પૂ. સાતમી સદીથી ઈસવી છઠ્ઠી સદી સુધી તક્ષશિલા અપ્રતિમ ખ્યાતિ ધરાવતું વિદ્યાકેન્દ્ર હતું. ઉજ્જયિની, મથુરા, મિથિલા, રાજગૃહ, વારાણસી જેવાં મહાનગરો તથા કુરુ–કોશલ જેવા પ્રદેશોમાંથી નાતજાતના ભેદભાવ વિના વિદ્યાર્થીઓ અહીં ઉચ્ચશિક્ષણ લેવા આવતા હતા. આ વિદ્યાકેન્દ્ર ગુરુકુલ સ્વરૂપનું હતું. વિદ્યાર્થીઓ ગુરુ–આચાર્યને ઘેર રહેતા હતા. ગરીબ વિદ્યાર્થીઓ દિવસે ગુરુના ઘરનું કામ કરતા અને રાતે અભ્યાસ કરતા. શ્રીમંત વિદ્યાર્થીઓ ફી ભરીને ભણતા. વિષમ પરિસ્થિતિમાં પણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા.

તક્ષશિલા ખાતેનો બૌદ્ધ સ્તૂપ

આચાર્ય જીવક, ભગવાન કૌટિલ્ય, વૈયાકરણી પાણિનિ, કોશલ સમ્રાટ પ્રસેનજિત અહીંના વિદ્યાર્થી હતા. જીવક અને કૌટિલ્ય અહીં આચાર્યપદે રહેલા. બ્રાહ્મણદર્શનનું આ વિદ્યાકેન્દ્ર હોઈ અહીં ત્રણ વેદ, વ્યાકરણ અને દર્શન મુખ્ય વિષયો હતા. ઉપરાંત વૈદક, શલ્યકર્મ, ગજવિદ્યા, ધનુર્વિદ્યા, યુદ્ધવિદ્યા, જ્યોતિષ, નામું, વાણિજ્ય, કૃષિ, ખગોળ, સંગીત, નૃત્ય, ચિત્ર વગેરે વિષયોનું અહીં અધ્યાપન થતું. અહીં વિશેષજ્ઞતા માટે જ વિદ્યાર્થીઓ આવતા. ચારિત્ર્ યનું ઘડતર, વ્યક્તિત્વનો વિકાસ, ધર્મ અને નીતિનું સિંચન, સંસ્કૃતિનું સંરક્ષણ વગેરે આ વિદ્યાકેન્દ્રનાં વ્યાવર્તક લક્ષણો હતાં. આજની મુક્ત વિદ્યાપીઠનું આ પૂર્વકાલીન સ્વરૂપ હતું. પદવી પરીક્ષા ન હતી. અભ્યાસ પૂરો કર્યા પછી વ્યાવહારિક અનુભવ માટે વિદ્યાર્થીઓ દેશાટને જતા. હૂણોના આક્રમણને પરિણામે આ નગરનો નાશ થયો તે પહેલાં ચીની પ્રવાસી ફાહિયાન અહીં આવ્યો હતો; પરંતુ સાતમી સદીમાં આવેલા યુઅન શ્વાંગે આ નગરની મુલાકાત લીધી તે વખતે તે ખંડિયેર અવસ્થામાં હતું, આ નગરના અવશેષો પ્રજાને પ્રત્યક્ષ કરવાનું  પ્રથમ કાર્ય જનરલ કનિંગહામે 19મી સદીના ઉત્તરાર્ધમાં કર્યું હતું. પરંતુ તેનું વ્યવસ્થિત ઉત્ખનન સર જ્હૉન માર્શલના માર્ગદર્શન હેઠળ આ સદીની શરૂઆતમાં હાથ ધરવામાં આવ્યું અને ત્યારપછી 1944–45માં સર મોર્ટિમર વ્હીલરે તેના પર વિશેષ પ્રકાશ પાડ્યો હતો.

ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8