Categories
વાચન સમૃદ્ધિ

દેવું ચૂકવી દીધું

અમેરિકાના સોળમા પ્રમુખ અબ્રાહમ લિંકન સામાન્ય માનવીની વાસ્તવિક સ્થિતિને બરાબર પારખતા હતા. તેઓ સ્વયં એક નિરક્ષર અને ગરીબ છોકરામાંથી આપબળે આગળ વધીને અમેરિકાના પ્રમુખ બન્યા હતા. વળી એક વાર નહીં, પણ બે વાર પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. એમનું જીવન નિરંતર યુદ્ધ જેવું પસાર થયું. એ સમયે અમેરિકામાં ચાર ચાર વર્ષ સુધી દક્ષિણ અને ઉત્તરનાં લશ્કરો વચ્ચે આંતરવિગ્રહ ચાલ્યો અને એ સમયે પ્રમુખ અબ્રાહમ લિંકનને આ કાંટાળો તાજ પોતાના શિરે ધારણ કરવો પડ્યો. એક વાર સૈન્યનું નિરીક્ષણ કરવા આવેલા અબ્રાહમ લિંકન સમક્ષ વિલિયન સ્કોટ નામના યુવાનને હાજર કરવામાં આવ્યો. એના પર એવો આરોપ હતો કે એ ચોકી કરવાને સ્થળે ઊંઘી ગયો હતો અને તેથી તેને મૃત્યુદંડની સજા ફરમાવવામાં આવી હતી. લિંકનના કરુણાભર્યા હૃદયને આવું ક્યાંથી પસંદ પડે ? એટલે એમણે એ યુવાનને કહ્યું, ‘તું મારું બિલ ચૂકવી આપીશ, તો તને ઠાર કરવામાં નહીં આવે.’ આ વાત સાંભળીને સૈનિક વિલિયમ સ્કોટ વિચારમાં પડી ગયો. એણે કહ્યું, ‘હું મારી સઘળી મિલકત ગિરવે મૂકીને આપને વધારેમાં વધારે છસો ડૉલર આપી શકું તેમ છું.’ ત્યારે લિંકને હસીને કહ્યું, ‘ના, તારે તારું દેવું સૈનિક તરીકેની તારી ફરજ બજાવીને ચૂકવવું પડશે.’ આ વાતને છ મહિના વીતી ગયા અને એક ખૂંખાર લડાઈમાં લિંકનના સૈનિકો નદી ઓળંગતા હતા, ત્યારે ઘણા સૈનિકોને તરતાં આવડતું નહોતું. વિલિયમ સ્કોટ તરવાનું જાણતો હતો, તેથી એણે જાનના જોખમે છ સૈનિકોને નદીની પાર ઉતાર્યા. એ સાતમા સૈનિકને તરતો તરતો નદીપાર લાવતો હતો, ત્યાં દુશ્મનની ગોળી એના માથા પર વાગી અને એણે જળસમાધિ લીધી. લિંકન પાસેથી મૃત્યુદંડમાંથી ક્ષમા પામેલા વિલિયમ સ્કોટે પોતાનું બલિદાન આપીને પ્રમુખનું દેવું ચૂકવ્યું !

Categories
વાચન સમૃદ્ધિ

ઇન્દિરા ગોસ્વામી

જ. 14 નવેમ્બર, 1942 અ. 29 નવેમ્બર, 2011

અસમિયા સાહિત્યનાં જાણીતાં સાહિત્યકાર, વિવેચક, પ્રાધ્યાપક વિદુષીનો જન્મ ગુવાહાટી, આસામમાં થયો હતો. ઇન્દિરા ગોસ્વામીએ શિલૉંગની પાઇનમાઉન્ટ સ્કૂલમાં તથા ગુવાહાટીની તારિણી ચૌધરી ગર્લ્સ સ્કૂલમાંથી શાળાકીય શિક્ષણ લીધું. ગુવાહાટી યુનિવર્સિટીમાંથી આસામીઝ સાહિત્યમાં સ્નાતક અને ત્યારબાદ અનુસ્નાતક પદવી પ્રાપ્ત કરી. પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતાં ઇન્દિરા ગોસ્વામી નાનપણથી જ કલ્પનાશીલ અને સંવેદનશીલ હતા. અતિશય સંવેદનશીલતાને કારણે તેઓ આજીવન ડિપ્રેશનનો શિકાર બનેલાં. તેમને અવારનવાર આત્મહત્યાના વિચારો આવતા. પ્રેમલગ્નના દોઢ વર્ષમાં જ પતિ મધુરાયસમ આયંગરનું એક માર્ગ અકસ્માતમાં અવસાન થતાં તેમને વૈધવ્યનાં દુઃખ અને એકલતાનો અનુભવ થયો. વૃંદાવન જઈ તેમણે તેમના ગુરુ લાખેરુજીના માર્ગદર્શનમાં પીએચ.ડી. કર્યું. ત્રણ વર્ષના વૃંદાવનના નિવાસ દરમિયાન તેમણે રામાયણનો વિસ્તૃત અભ્યાસ કર્યો. તે સમયે વ્રજધામમાં રહેતી સમાજથી તિરસ્કૃત અને ઉપેક્ષિત એવી અનેક મજબૂર અને લાચાર વિધવાઓને જોઈને તેમનું દિલ દ્રવી ઊઠ્યું અને તેમણે યાદગાર નવલકથા ‘નીલકંઠી વ્રજ’(1986)નું સર્જન કર્યું. આ કૃતિએ તેમને ખૂબ યશ અપાવ્યો. તેના પરથી ‘અડાજ્યા’ નામની ફિલ્મ બની. જેને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય પુરસ્કારો પ્રાપ્ત થયા. ત્યારબાદ તેઓ દિલ્હી યુનિવર્સિટીમાં આસામીઝ સાહિત્યનાં પ્રોફેસર તરીકે જોડાયાં. દિલ્હીના નિવાસ દરમિયાન તેમણે મોટા ભાગની યાદગાર કૃતિઓનું સર્જન કર્યું; જેમાં ‘ઉદય ભાનુ’, ‘અહીરોન’, ધ રસ્ટેડ સ્વૉર્ડ, ‘ધ મૅન ફ્રોમ છિન્નમસ્તા’, ‘પેજીસ સ્ટેઇન્ડ વિથ બ્લડ’ વગેરે મુખ્ય ગણાય. તેમની હૃદયદ્રાવક આત્મકથા ‘એન અનફિનિશ્ડ ઑટોબાયૉગ્રાફી’ (1990) અનેક ભાષાઓમાં અનૂદિત થઈ છે. તેમના સાહિત્યસર્જન ક્ષેત્રે યોગદાન બદલ અનેક ઍવૉર્ડ પ્રાપ્ત થયા છે; જેમાં સાહિત્ય અકાદમીનો પુરસ્કાર, જ્ઞાનપીઠ ઍવૉર્ડ, અસોમ રત્ન સન્માન વગેરે સમાવિષ્ટ છે. કેટલીક જાણીતી યુનિવર્સિટીએ તેમને માનદ ડી. લિટ.ની પદવી અર્પણ કરી છે. 2002માં ભારત સરકાર તરફથી તેમને પદ્મશ્રીનો પુરસ્કાર આપવાની જાહેરાત થઈ, પરંતુ તેમણે તેનો અસ્વીકાર કર્યો.

Categories
વાચન સમૃદ્ધિ

સ્વાતંત્ર્યદેવીની પ્રતિમા (Statue of Liberty)

યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ અમેરિકાના ન્યૂયૉર્કના બારાના પ્રવેશદ્વારે લિબર્ટી ટાપુ પર આવેલી સ્વાતંત્ર્યદેવીની વિશ્વવિખ્યાત પ્રતિમા. આ શિલ્પનું પૂરું નામ છે ‘લિબર્ટી એન્લાઇટનિંગ ધ વર્લ્ડ’. તાંબાનું આ ભવ્ય પ્રતિમાશિલ્પ યુ.એસ.ની ઓળખના પ્રતીકરૂપ છે. પ્રતિમાવાળો લિબર્ટી ટાપુ મૅનહટ્ટન ટાપુના નૈઋત્ય છેડાથી આશરે ૨.૫ કિમી. જેટલા અંતરે આવેલો છે. ખુલ્લા ઝભ્ભા જેવું વસ્ત્ર પરિધાન કરેલી, જમણા હાથમાં પ્રગટેલી મશાલ પકડીને ઊભેલી સ્ત્રીનું આ ભવ્ય શિલ્પ જોનારની આંખોને મુગ્ધ કરે છે. મસ્તક પરના મુકુટના સાત આરા, સાત સમુદ્રો અને સાત ખંડો પરનાં સ્વાતંત્ર્યનાં પ્રકાશકિરણોનું સૂચન કરે છે. ડાબા હાથમાં રહેલું ઝૂલતું સાધન અમેરિકાના સ્વાતંત્ર્યદિનની રોમન અંકોમાં દર્શાવેલી ૪ જુલાઈ, ૧૭૭૬ની તારીખ સૂચવે છે. પગ હેઠળ દાબેલી સાંકળ અન્યાયી શાસનનો પ્રતિકાર કરતી બતાવી છે. લાખો પરદેશી પ્રવાસીઓ જ્યારે યુ.એસ.ના પ્રવેશદ્વાર સમા ન્યૂયૉર્કમાં પ્રવેશતાં સ્વાતંત્ર્યદેવીની આ પ્રતિમાની નજીકથી પસાર થાય છે ત્યારે તેમને આ પ્રતિમા આવકાર આપતી હોય અને સ્વતંત્રતા, સમાનતા ને બંધુતા માટેની પ્રેરણા આપતી હોય તેવું ન લાગે તો જ નવાઈ.

અમેરિકાના લિબર્ટી ટાપુ પર આવેલી સ્વાતંત્ર્યદેવીની પ્રતિમા

સ્વાતંત્ર્યદેવીની આ પ્રતિમા ફ્રાન્સના લોકોએ ૧૮૮૪માં યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ અમેરિકાના લોકોને ભેટ આપેલી છે.
સ્વાતંત્ર્યદેવીની પ્રતિમા બાબત સર્વપ્રથમ ખ્યાલ ફ્રેન્ચ રાજદ્વારી અને ઇતિહાસવિદ એડવર્ડ રેને લેફેબ્વ્રે દ લૅબાઉલને સ્ફુરેલો. ૧૮૬૫માં સ્વાતંત્ર્યના આદર્શને ઊજવવા માટે સંયુક્ત ફ્રેન્ચ-અમેરિકન સ્મારક બાંધવાનું સૂચન તેમણે કરેલું. ફ્રેન્ચ શિલ્પી બાર્થોલ્ડી તેમના મિત્ર હતા. આવું ભવ્ય શિલ્પ બનાવવા માટે તેમણે બાર્થોલ્ડીને તૈયાર કર્યા. ફ્રેન્ચ શિલ્પી ફ્રેડરિક ઑગસ્ટ બાર્થોલ્ડીએ આ પ્રતિમાના આકારની રૂપરેખા બનાવેલી તેમ જ તેની પ્રતિષ્ઠા માટેનું સ્થળ પણ નક્કી કરી આપેલું. પ્રતિમા તૈયાર કરવા માટે ફ્રેન્ચ નાગરિકોએ નાણાંનું દાન કરેલું, જ્યારે યુ.એસ.ના નાગરિકોએ તેની બેઠક તૈયાર કરવા માટે ફાળો એકઠો કરેલો.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10, સ્વાતંત્ર્યદેવીની પ્રતિમા, પૃ. 95)