Categories
વાચન સમૃદ્ધિ

વૃક્ષને માટે દુઆ

અધ્યયન પૂર્ણ કરીને શિષ્ય રબ્બી નહમને પોતાના ગુરુ સંત રબ્બી ઇસાકને પોતાને માટે દુઆ માગવાનું કહ્યું, ત્યારે ગુરુ રબ્બી ઇસાકે પોતાના શિષ્યને એક કથા સંભળાવી. એમણે કહ્યું, ‘એક માનવી રણમાં સફર કરી રહ્યો હતો. એનું ભાથું તદ્દન ખૂટી ગયું હતું. હવે કરવું શું ? એ સમયે રણમાં સફર કરતી વખતે એની નજર એક સુંદર ફળવાન વૃક્ષ પર પડી. એણે એ વૃક્ષનાં મીઠાં મધુરાં ફળ ખાધાં અને પછી એ વૃક્ષના છાંયડે નિરાંતે ઘસઘસાટ ઊંઘી ગયો. જાગ્યા પછી એણે ઝાડની નજીક આવેલા વહેતા ઝરણામાંથી પાણી પીધું અને પોતાની જાતને કહેવા લાગ્યો, ‘જિંદગીમાં ક્યારેય આવાં મધુર ફળ આરોગ્યાં નથી. જ્યારે ભૂખથી મારો જીવ નીકળી જતો હતો, ત્યારે આ વૃક્ષે મને ભોજન આપ્યું અને એના છાંયડામાં આશરો આપ્યો. હું એને કઈ રીતે શુક્રિયા કહું ? એને હું કઈ દુઆ આપું ?’ ગુરુ રબ્બી ઇસાકે આ વાત કહીને શિષ્ય રબ્બી નહમનને પ્રશ્ન પૂછ્યો, ‘શું એ માણસે એવી દુઆ કરવી જોઈએ કે આ વૃક્ષનાં ફળ મીઠાં મધુરાં રહે ? જો એ આવું કરે તો એ એની મૂર્ખતા જ ગણાય, કારણ કે એ મીઠાં મધુરાં ફળનો આસ્વાદ તો માણી ચૂક્યો હતો. જો એ એવી દુઆ કરે કે હે વૃક્ષ ! તું વધુ ને વધુ ઘટાદાર બન, તો તે પણ બરાબર નહીં, કારણ કે એની ઘટાદાર છાયામાં તો એ ઘસઘસાટ ઊંઘી ગયો હતો. અને જો એ એવી દુઆ કરે કે તારી નજીક સદા ઝરણું વહ્યા કરે, તો એણે નજીક વહેતા ઝરણામાંથી જ પાણી પીધું હતું.’ આ વાત કરીને રબ્બી ઇસાકે પોતાના શિષ્ય રબ્બી નહમનને પૂછ્યું, ‘ત્યારે તમે જ કહો કે વૃક્ષને માટે એણે કઈ દુઆ કરવી જોઈએ ?’ શિષ્ય રબ્બી નહમન વિચારમાં પડી ગયો એટલે ગુરુએ કહ્યું, ‘એણે તો એ દુઆ કરવી જોઈએ કે બીજાં વૃક્ષો તારા જેવાં કલ્યાણકારી બને. ભૂખ્યાને ભોજન આપનારાં અને થાકેલાને આરામ આપનારાં થાય. તેથી જો હું તને જ્ઞાનપ્રાપ્તિની દુઆ આપું, તો એ તો તારી પાસે મોજૂદ છે. ધન પણ તારી પાસે છે. સંતાનની દુઆ આપું, તો એ પણ તારી પાસે છે. હવે હું એટલી જ દુઆ આપીશ કે તારાં બાળકો તારા જેવાં જ્ઞાની અને સેવાભાવી બને.’

Categories
વાચન સમૃદ્ધિ

રમેશચંદ્ર મજુમદાર

જ. 4 નવેમ્બર, 1888 અ. 11 ફેબ્રુઆરી, 1980

ભારતના જગપ્રસિદ્ધ ઇતિહાસકાર રમેશચંદ્ર મજુમદારે ઇતિહાસ વિષય સાથે એમ.એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ કરીને પ્રેમચંદ રાયચંદ સ્કૉલરશિપ મેળવી હતી. ‘કૉર્પોરેટ લાઇફ ઇન એન્શિયન્ટ ઇન્ડિયા’ વિષય પર મહાનિબંધ લખીને તેમણે કલકત્તા યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી  પ્રાપ્ત કરી હતી અને ત્યાં વ્યાખ્યાતા તરીકે કામ પણ કર્યું હતું. ત્યારબાદ ઢાકા યુનિવર્સિટીમાં ઇતિહાસના પ્રોફેસર અને તે પછી ઉપકુલપતિ તરીકે સેવા બજાવી હતી. બનારસ હિંદુ યુનિવર્સિટીમાં સેવા આપ્યા બાદ નાગપુર યુનિવર્સિટીની કૉલેજ ઑફ ઇન્ડોલૉજીના આચાર્ય તરીકે તેમણે યશસ્વી સેવા બજાવી હતી. યુનાઇટેડ સ્ટેટ્સની શિકાગો અને પેન્સિલવેનિયા યુનિવર્સિટીએ તેમને મુલાકાતી પ્રાધ્યાપક તરીકે નિમંત્ર્યા હતા. રમેશચંદ્ર મજુમદાર ભારતની અને વિદેશની ઇતિહાસવિષયક સંસ્થાઓ સાથે સક્રિય રીતે જોડાયેલા હતા. ઇન્ડિયન હિસ્ટ્રી કૉંગ્રેસ, ઑરિયેન્ટલ કૉન્ફરન્સ અને ઇન્સ્ટિટ્યૂટ ઑફ હિસ્ટોરિકલ સ્ટડીઝના પ્રમુખ તરીકે તેમણે સફળ કામગીરી કરી હતી. તેઓ કૉલકાતાની એશિયાટિક સોસાયટી, ગ્રેટ બ્રિટન અને આયર્લૅન્ડની રૉયલ એશિયાટિક સોસાયટી તથા મુંબઈની એશિયાટિક સોસાયટીના માનાર્હ ફેલો હતા. તેઓ ભારતીય વિદ્યાભવન, મુંબઈના માનાર્હ અધ્યક્ષ અને ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટ, પુણેના માનાર્હ સભ્ય હતા. ડૉ. રમેશચંદ્ર મજુમદારને ભારતની વિવિધ યુનિવર્સિટીઓ અને શિક્ષણ-સંસ્થાઓએ વ્યાખ્યાનમાળાઓ આપવા આમંત્રણ આપ્યું હતું. તેમના ઇતિહાસને લગતા અનેક સંશોધન-લેખો દેશવિદેશનાં પ્રતિષ્ઠિત સામયિકોમાં પ્રગટ થયા છે. ‘ધી અર્લી હિસ્ટ્રી ઑફ બૅંગોલ’ (1925) નામના લઘુગ્રંથમાં તેમણે ઉત્તર-વૈદિક કાળથી, પાલવંશનું શાસન સ્થપાતાં સુધીનો ઇતિહાસ આલેખ્યો છે. આ સિવાય તેમણે ‘હિંદુ કૉલોનિઝ ઇન ધ ફાર ઈસ્ટ’ (1944), ‘એશિયન્ટ ઇન્ડિયા’ (1952), ‘ધ ક્લાસિકલ એકાઉન્ટ્સ ઑફ ઇન્ડિયા’ (1960) જેવાં પુસ્તકો લખ્યાં છે. ઇતિહાસક્ષેત્રે કરેલા અમૂલ્ય પ્રદાનની કદર કરીને જાદવપુર યુનિવર્સિટી તથા કલકત્તા યુનિવર્સિટીએ તેમને ડિ.લિટ.ની માનાર્હ ઉપાધિ આપી હતી. કૉલકાતાની સંસ્કૃત કૉલેજ તરફથી તેમને ‘ભારતતત્ત્વભાસ્કર’નું બિરુદ અને મુંબઈની એશિયાટિક સોસાયટી તરફથી ‘કૅમ્પબેલ ગોલ્ડ મેડલ’ આપવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

હરણ

ખરીવાળા પગવાળું, વાગોળનારું, એક સસ્તન પ્રાણી.

આ વન્ય પ્રાણી જંગલ, પર્વત તથા ઘાસિયાં મેદાનોમાં વસે છે. ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ, ઍન્ટાર્ક્ટિકા, મધ્ય અને દક્ષિણ આફ્રિકા સિવાયના વિશ્વના અન્ય દેશોમાં તે જોવા મળે છે. હરણની આશરે ૫૩ જાતિઓ છે, જે વિવિધ કદ ધરાવે છે. ‘મૂસ’ (Moose) મોટામાં મોટા કદનું હરણ છે અને તે ઉત્તર અમેરિકા અને કૅનેડામાં વસે છે. નરમૂસ ૨.૩ મીટરની ઊંચાઈ તથા ૮૧૫ કિગ્રા. વજન ધરાવે છે. તેનાં શિંગડાં ૧.૪ મીટર પહોળાં અને ૨૭ કિગ્રા. વજન ધરાવે છે. જ્યારે પુડુ તે સૌથી નાના કદનું હરણ દક્ષિણ અમેરિકામાં વસે છે. તે ૩૦ સેમી. ઊંચું અને ૬.૮ કિગ્રા. વજન ધરાવે છે. હરણની અન્ય જાતોમાં રેન્ડિયર, રેડ ડિયર, હંગલ (કાશ્મીરી સાબર), સાબર, ચીતળ, ભસતું હરણ, કસ્તૂરીમૃગ વગેરેનો સમાવેશ થાય છે. નીલગાય, કાળિયાર, શિંકારા, ચતુ:શૃંગી વગેરે હરણની જાતિનાં પણ અલગ પ્રકારનાં મૃગો છે – તે ઘેટાં-બકરાં કે ગાય-ભેંસના સમૂહનાં (bowidas) પ્રાણીઓ છે. હરણની બે મુખ્ય જાતિઓ તેમનાં શિંગડાંથી અલગ પડે છે. તેમાં એક જાતનાં મૃગો, ખરી પડે તેવાં શાખા-વિભાજિત શિંગડાં ધરાવે છે. તેમનાં શિંગડાં ઉપર મખમલ જેવી રુવાંટીનું આચ્છાદન હોય છે, જ્યારે બીજી જાતનાં મૃગો શાખાવિહીન અને ખરે નહીં તેવાં શિંગડાં ધરાવે છે. તેમનું મૂળ અસ્થિ સાથે જોડાયેલું હોય છે. આવાં મૃગો ‘ઍન્ટિલોપ’ કહેવાય છે. તેમનાં શિંગડાં વળવાળાં અને અણીદાર હોય છે; દા. ત., કાળિયાર, શિંકારા વગેરે.

હરણ

હરણ લાંબા પગ, મોટી આંખો, સુંદર ત્વચા અને શિંગડાં ધરાવે છે. તેની શ્રવણશક્તિ અને ઘ્રાણશક્તિ ઘણી તીવ્ર હોય છે. શિંગડાં વડે નર માદાને મેળવવા માટે બીજા નર જોડે યુદ્ધ કરે છે. પોતાના રક્ષણ માટે પણ તે શિંગડાંનો ઉપયોગ કરે છે. માદાને શિંગડાં હોતાં નથી. હરણ ટોળામાં રહેવાનું પસંદ કરે છે. માદાઓ તેનાં બચ્ચાં સાથે સમૂહમાં રહે છે. તે જ્યારે નરની સરહદમાં પ્રવેશે છે ત્યારે નર આ જૂથનો વડો બની જાય છે. રામાયણમાં સીતાના હરણ માટે સુવર્ણમૃગનું રૂપ લઈ મારીચ રાક્ષસ તેને લલચાવે છે અને તેનો વધ કરવા રામને જવું પડે છે તે વાત જાણીતી છે. ઘણી બાળવાર્તાઓમાં હરણની વાત આવે છે. ‘હરણ’ અને ‘મૃગ’ શબ્દો એક જ અર્થમાં વપરાય છે, પરંતુ ‘Deer’ માટે ‘હરણ’ અને ‘ઍન્ટિલોપ’ માટે ‘મૃગ’ શબ્દ વપરાય તો ઇષ્ટ છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10, હરણ, પૃ. 116)