Categories
વાચન સમૃદ્ધિ

સ્વયંસંચાલન

આપમેળે નિયંત્રિત રીતે કાર્યો થાય તેવી વ્યવસ્થા.

ઉત્પાદનક્ષેત્રે અનેક પરિવર્તનો થતાં રહ્યાં છે. તેમાં સ્વયંસંચાલન એ ખૂબ મહત્ત્વની શોધ છે. ઉત્પાદનક્ષેત્રે મોટા જથ્થાના ઉત્પાદનમાં તેમ જ નાના ઉત્પાદનમાં સ્વયંસંચાલન એ મોટી ક્રાંતિ ગણાય છે. મોટા ભાગે કારખાનામાં યંત્રોમાં તથા યંત્રોનું સંચાલન કરનાર તંત્રમાં સ્વયંસંચાલનનો ઉપયોગ થાય છે. એક યંત્રને ચાલુ કરવામાં આવે ત્યાર પછી તેનું કામ પૂરું થતાં એની મેળે બંધ થઈ જાય. કામમાં ભૂલ થાય તો જાતે સુધારી લે અથવા યંત્રને અટકાવી દે અથવા વધુ જરૂરી હોય તો ચેતવણીની સાયરન વગાડે – આ બધું સ્વયંસંચાલનને આભારી છે. પ્રારંભે માનવ બધાં કામો પોતાના હાથથી કરતો. ધીમે ધીમે સમય જતાં તે હાથની સાથે મગજનો ઉપયોગ કરતો થયો. તેણે તેના કામમાં મદદરૂપ થાય તેવાં ઓજારો બનાવવાનું શરૂ કર્યું. અનેક વર્ષોના ગાળામાં માણસ સાદાં યંત્રોથી માંડીને ઢાળ, ગરગડી, સ્ક્રૂ, ચક્ર, ઉચ્ચાલન વગેરે બનાવતો થયો. વરાળયંત્રને કારણે યંત્રો નજીવા શ્રમથી વધુ ઝડપી બન્યાં. વીજળીશક્તિ અને વીજાણુશક્તિની શોધોએ અનેક યંત્રો આપમેળે ચાલે તેવી સુવિધા કરી આપી.

પ્રોગ્રામેબલ ઑટોમેશનમાં પ્રોગ્રામ દ્વારા કરાતું કાર્ય

સ્વયંસંચાલન એ ઉત્ક્રાંતિકારી બાબત છે. ઔદ્યોગિક ક્રાંતિમાં માનવકાર્ય મશીન વડે થતું ગયું ત્યારથી જ મશીન દ્વારા સ્વયંસંચાલનનો પ્રારંભ થયો. સ્વયંસંચાલનની રીતો ઇલેક્ટ્રિકલ, મિકૅનિકલ, ઇલેક્ટ્રૉનિકલ, ન્યૂમેટિક (વાતીય) કે તેમાંની એકથી વધુના સંયુક્ત રૂપે હોઈ શકે. અત્યારના સમયમાં ઇલેક્ટ્રૉનિક્સનો ઉપયોગ કરતી રીતોનો ઉપયોગ વધી રહ્યો છે. સ્વયંસંચાલિત ઉત્પાદન બે પ્રકારનું હોઈ શકે – નિશ્ચિત (fixed) પ્રકારનું કે જેમાં ફેરફાર કરી શકાય નહિ અથવા તો તે કરવો મુશ્કેલ બને અને બીજું પ્રોગ્રામેબલ ઑટોમેશન. નિશ્ચિત સ્વયંસંચાલન એ મિકૅનિકલ, ઇલેક્ટ્રિકલ કે ન્યૂમેટિક સાધનોથી થાય છે અને તેને ‘Hard Automations’ કહેવાય છે. પ્રોગ્રામેબલ ઑટોમેશનમાં પ્રોગ્રામ દ્વારા મશીન પર કરવાનાં બધાં કાર્યોનો અનુક્રમ તથા દરેકને લાગતો સમય નક્કી થાય છે. ઇલેક્ટ્રૉનિકલ ઉપકરણો અને કમ્પ્યૂટર દ્વારા પ્રોગ્રામ તૈયાર કરવામાં આવે છે. પ્રોગ્રામ સહેલાઈથી બદલી શકાય છે. પ્રોગ્રામેબલ ઑટોમેશન એ ‘Soft Automation’ કહેવાય છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10, સ્વયંસંચાલન, પૃ. 91)

Categories
વાચન સમૃદ્ધિ

ઇમરે કેરતેસ

જ. 9 નવેમ્બર, 1929 અ. 31 માર્ચ, 2016

ઇમરેનો જન્મ હંગેરીના પાટનગર બુડાપેસ્ટમાં થયો હતો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હિટલરે હજારો યહૂદીઓને પકડીને પોલૅન્ડની આશવિઝ શિબિરમાં મૂક્યા હતા, તેમાં કેરતેસ પણ હતા. ત્યારબાદ તેમને જર્મનીની શિબિરમાં મૂક્યા. યુદ્ધ પૂરું થયું અને મુક્તિ મળી પણ કેરતેસને શિક્ષણ મળ્યું જ નહીં. 19 વર્ષની વયે તેમણે સમાચારપત્રમાં કામ કર્યું. 1957થી હંગેરી પર કમ્યુનિસ્ટોનું શાસન આવ્યું. લોકો પર જુલમ ગુજારવામાં આવ્યો. રશિયાએ હંગેરીની પ્રજા પર અનેક સિતમ વરસાવ્યા. કેરતેસને ગુલામી પસંદ નહોતી, તેથી તેમણે નોકરી છોડવી પડી. ત્યારબાદ તેમણે નિત્શે ફ્રૉઇડ, વિટગેંસ્ટાઇન, શ્વાઇત્ઝર વગેરેના સાહિત્યનો અનુવાદ કરી તેની કમાણીમાંથી પેટગુજારો કર્યો. આ રીતે ચાળીસ વર્ષ વીતી ગયાં. આ કઠોર જીવનને લીધે તેમણે મુશ્કેલીઓ સામે હસતાં શીખી લીધું. તેઓ યહૂદી પરિવારમાં જન્મ્યા હતા તેથી ઘણી યાતનાઓ વેઠવી પડી. સાહિત્યનું નોબેલ પારિતોષિક તેમણે 2002માં મળ્યું. આ પારિતોષિક મેળવનાર તેઓ પહેલા હંગેરિયન છે. 1989માં સામ્યવાદી રશિયાનું માળખું તૂટી પડ્યું ત્યારે હંગેરી રશિયાની ચુંગાલમાંથી છૂટ્યું અને આઝાદીના શ્વાસ લીધા. ઇમરેની પ્રથમ નવલકથા ‘ફેટલેસ’ 1965માં લખાઈ, જે નોબેલ પારિતોષિક માટે મુખ્ય કારણ છે. ત્યારબાદ 1988માં ‘ફિઆસ્કો’, અને 1990માં ‘કૅડિશ ફોર એ ચાઇલ્ડ નોટ બોર્ન’ નામની નવલકથા લખી. 1992માં ‘ગેબી ડાયરી’ નામનો ગ્રંથ પ્રકાશિત કર્યો. આ સર્વ રચનામાં વીસમી સદીની ત્રાસદાયક ઘટનાઓની સમીક્ષા કરવામાં આવી છે. આ પુસ્તકો વાચકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યાં. તેઓને ‘બ્રેન્ડેનબર્ગ’ જર્મન પારિતોષિકથી નવાજવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

આપણા પર્યાવરણની ચિંતા કરીએ !

તમે વિશ્વભરના પર્યાવરણની ચિંતા કરો છો, પણ તમારી આસપાસના પર્યાવરણનો વિચાર કર્યો છે ખરો ? તમે જે સ્થળે તમારી કામગીરી બજાવતા હો, તે સ્થળ વિશે ક્યારેય વિચાર કર્યો છે ? તમારી ઑફિસમાં ફાઈલોના અસ્તવ્યસ્ત ઢગલા પડ્યા છે ! કેટલાય કાગળો આમતેમ ઊડી રહ્યા હોય છે. વચ્ચે અખબારો પડ્યાં હોય અને ફર્નિચરો હિસાબની નોટબુકોથી કે પુસ્તક-સામયિકોથી ખીચોખીચ ભરેલાં હોય છે. હકીકત જેમ વિશ્વની સુખાકારી માટે પર્યાવરણની જાળવણી જરૂરી છે, એ જ રીતે વ્યક્તિની સુખાકારી અને કાર્યક્ષમતાની વૃદ્ધિ માટે એણે પોતાના નિવાસસ્થાન અને ઑફિસના પર્યાવરણનો વિચાર કરવો જોઈએે. કોઈક ઑફિસમાં તો વ્યક્તિ ટેબલ પર એટલી બધી ફાઈલોનો ખડકલો કરીને બેઠી હોય કે એને મળવા જાવ, ત્યારે એનો ચહેરો શોધવો મુશ્કેલ પડે. આનું કારણ એ નથી કે આ બધી ફાઈલો એને એકસાથે ઉપયોગી છે. આનું કારણ એ છે કે ફાઈલોને વ્યવસ્થિત ગોઠવવાની એને ભારે આળસ છે અથવા તો ફાઈલોનો ઢગલો કરીને એની અતિ વ્યસ્તતા બતાવવા માગે છે. કાર્ય, સમયનું વાતાવરણ વ્યક્તિના વિકાસ માટે જરૂરી છે. આમાં એનો ઘણો સમય વેડફાય છે. ઘણી વાર સરકારી ઑફિસમાં જાવ ત્યારે ઉત્સાહને બદલે ઉદાસીનતાનો અનુભવ થાય છે. ઠેરઠેર પડેલી ફાઈલોના ઢગલા પર જામી ગયેલી ધૂળ પ્રમાદની ચાડી ખાય છે. આ પ્રમાદ ધીરે ધીરે અધિકારીના મન પર કબજો જમાવે છે. તમારા પ્રશ્નોનો જવાબ આપતાં પૂર્વે આસપાસ જામેલો પ્રમાદ કે ભરડો વાળીને બેઠેલી આળસથી એ વિચારે છે કે મારે તો કશું કરવાનું નથી ! આથી વ્યક્તિએ પોતાની આસપાસ એવા વાતાવરણનું નિર્માણ કરવું જોઈએ કે જે એનામાં નવી પ્રેરણા અને જીવંત ઉત્સાહનો સંચાર કર્યાં કરે.