Categories
વાચન સમૃદ્ધિ

કૅપ્ટન મનોજકુમાર પાંડે

જ. 25 જૂન, 1975 અ. 3 જુલાઈ, 1999

પરમવીરચક્ર વિજેતા કૅપ્ટન મનોજ પાંડેનો જન્મ ઉત્તરપ્રદેશના રુઢા ગામમાં થયો હતો. પિતા ગોપીચંદ અને માતા મોહિની. તેમણે લખનઉની હેરાલ્ડ મૉન્ટેસોરી સ્કૂલ અને રાણી લક્ષ્મીબાઈ સ્કૂલમાં અભ્યાસ કર્યો પછી લખનઉની સૈનિક સ્કૂલમાં દાખલ થયા. બારમું ધોરણ પાસ કરી નૅશનલ ડિફેન્સ એકૅડેમીમાં જોડાયા. પછી વધુ તાલીમ માટે દહેરાદૂનની ઇન્ડિયન મિલિટરી એકૅડેમીમાં જોડાયા અને 7 જૂન, 1997માં 11મી ગોરખાં રાઇફલ્સની પહેલી બટાલિયનમાં સેકન્ડ લેફ્ટેનન્ટ બન્યા. સર્વિસીસ સિલેક્શન બોર્ડ ઇન્ટર્વ્યૂમાં તેમને પૂછવામાં આવ્યું કે, તમે સેનામાં કેમ જોડાવા માગો છો ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે, હું પરમવીરચક્ર મેળવવા માગું છું. તેમણે 1999માં કુકરથાંગ, જુબર અને બીજાં શિખરો પરથી પાકિસ્તાની સૈનિકોને હાંકી કાઢ્યા હતા. 2/3 જુલાઈ, 1999ની રાત્રે મનોજકુમાર પાંડેએ સૈનિકો સાથે પહેલવાન ચોકી તરફ કૂચ કરી. તેમને ટેકરીની બંને બાજુથી ગોળીબારનો સામનો કરવો પડ્યો. મનોજકુમારે એક ટુકડીને જમણી તરફ મોકલી અને પોતે ડાબી તરફ દુશ્મનોના બંકરો સાફ કરવા આગળ વધ્યા. ગોળીબાર વચ્ચે તેમણે પહેલું બંકર કબજે કર્યું. બીજા બંકરના દુશ્મનોને હેન્ડ ગ્રેનેડ વડે માર્યા અને બંકર કબજે કર્યું. ત્રીજા બંકર તરફ જતાં ગોળીબારમાં સાથીદારો ઘવાયા. મનોજકુમારના ખભા અને જાંધમાં ગોળીઓ વાગી તેમ છતાં તેમણે ત્રીજા બંકર પર હુમલો કરવાની સૂચના આપી પોતે બીજી દિશાએથી આગળ વધ્યા. પેટે ઘસડાઈ બંકરની પાછળની બાજુએ પહોંચ્યા. છરાના ઘાથી દુશ્મનોને મારી નાખ્યા. પોતાના ઘાની પરવા કર્યા વિના તેઓ પેટે ઘસડાતા આગળ વધ્યા અને હેન્ડ ગ્રેનેડનો ઘા કર્યો એ જ વખતે દુશ્મનની ગોળીઓ મનોજકુમારના કપાળની આરપાર નીકળી ગઈ. તેમના ગ્રેનેડથી દુશ્મનોનો નાશ થયો. જીવનના ભોગે બંકરો કબજે કર્યા. ઉપરાંત શસ્ત્રો અને દારૂગોળાનો ભંડાર પણ મેળવ્યો. તેમના અજોડ પરાક્રમ અને ફરજનિષ્ઠા માટે તેમને પરમવીરચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમની શહાદત પછી અનેક સ્થળો, રમતની ટ્રૉફી, સ્ટેડિયમ, મકાનો, ચોક વગેરેને તેમનું નામ આપવામાં આવ્યું છે. દ્રાસમાં કારગિલ યુદ્ધ સંગ્રહાલયની એક ગૅલરીનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે. અમરચિત્ર કથા દ્વારા અઢારમી વાર્તા તેમને સમર્પિત કરવામાં આવી છે.

Categories
વાચન સમૃદ્ધિ

સન્માન પદમાં કે માનવતામાં ?

સમ્રાટ સિકંદરના સેનાપતિની નિષ્ઠા, કુશળતા અને માનવતા સર્વત્ર પ્રસિદ્ધ હતી. સમ્રાટ સિકંદર સ્વયં એની કાર્યપદ્ધતિથી પ્રસન્ન હતો, પરંતુ એક વાર સેનાપતિથી નાનકડી ક્ષતિ થતાં ગુસ્સે ભરાયેલા સમ્રાટે એને નીચી પાયરી પર ઉતારીને સૂબેદાર બનાવી દીધો, પરંતુ સેનાપતિ પર આનો કશો પ્રભાવ પડ્યો નહીં. એણે આ પરિસ્થિતિનો સ્વીકાર કર્યો અને અગાઉ જેટલી જ નિષ્ઠા, તત્પરતા અને સમર્પણભાવથી કામગીરી બજાવતો હતો. થોડા સમય બાદ કાર્યપ્રસંગે સમ્રાટ સિકંદરને મળવાનું થયું, ત્યારે સમ્રાટ સિકંદરે આ સૂબેદારનો ઉત્સાહ જોઈને પ્રશ્ન કર્યો, ‘તમે સેનાપતિ હતા ત્યારે જેટલા આનંદ અને ઉત્સાહથી રહેતા હતા, એટલા જ આનંદ અને ઉત્સાહથી અત્યારે પણ રહેતા લાગો છો. મને તો એમ કે તમને આ રીતે નીચલી પાયરીએ મૂક્યા તેથી તમે દુઃખી અને હતોત્સાહ થઈ ગયા હશો.’ સૂબેદારે કહ્યું, ‘ના શહેનશાહ, બલ્કે હું વધુ સુખી થયો છું. પહેલાં તો સૈનિકો અને અધિકારીઓ મારાથી ભયભીત રહેતા હતા. નજીક આવતાં ડરતા હતા. હવે એ મને પ્રેમથી મળવા આવે છે અને જરૂર પડ્યે મારી સલાહ પણ લે છે. એ રીતે મને એમની નિકટ આવવાનો અને સેવા કરવાનો સુંદર મોકો મળ્યો છે’ સિકંદરે કહ્યું, ‘એ બધું તો ઠીક, પરંતુ તમને સેનાપતિના સર્વોચ્ચ પદ પરથી દૂર કરીને આવા સામાન્ય સ્થાને મૂક્યા, તેનું તમને અપમાન લાગ્યું નથી ? લોકો તમારી મજાક કરતા હશે અથવા તો મનોમન હાંસી ઉડાવતા હશે, એમ નથી માનતા ?’ સૂબેદારે સિકંદરને વળતો સવાલ કર્યો, ‘શહેનશાહ, તમે મને એ સમજાવશો કે સન્માન પદમાં છે કે માનવતામાં ? ઉચ્ચ પદ પ્રાપ્ત કરીને કોઈ અહંકારી બની જાય અને અન્ય લોકોની ઉપેક્ષા કરે કે એમના પર જુલમ ગુજારે તો તે નિંદનીય છે. ખરું સન્માન તો ઈમાનદારી, કર્તવ્યનિષ્ઠા અને પરોપકાર છે અને એવું કરવાની મને વિશેષ તક મળતી હોવાથી હું અત્યંત સુખી, સંતુષ્ટ અને આનંદિત છું.’ સૂબેદારનો ઉત્તર સાંભળીને સિકંદરે આખી રાત એના વિશે વિચાર કર્યો અને બીજે દિવસે વહેલી સવારે આ કર્તવ્યનિષ્ઠ સૂબેદારને બોલાવીને એનું છીનવેલું પદ સન્માનભેર પાછું આપ્યું.

Categories
વાચન સમૃદ્ધિ

રૉય ઓ ડિઝની

જ. 24 જૂન, 1893 અ. 20 ડિસેમ્બર, 1971

મનોરંજનક્ષેત્રે નવી દિશાઓ ખુલ્લી મૂકનાર અમેરિકી ભાઈઓ રૉય અને વૉલ્ટ પૈકીના એક રૉય ડિઝનીનો જન્મ શિકાગોમાં થયો હતો. ત્યારબાદ તેઓ કેન્સાસ (મિઝોરી) આવ્યા. તેમના પિતા એલિયાસે વર્તમાનપત્રોની વહેંચણીનું કામ માથે લીધું હતું. જેમાં રૉય અને વૉલ્ટ પિતાને મદદ કરતા. થોડા મોટા થયા ત્યારબાદ તેઓએ બૅંકમાં નોકરી કરી હતી. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન કાર્ગો જહાજ પર નૌકાદળમાં કાર્ય કર્યું પરંતુ ક્ષયરોગ થયા પછી તેમને રજા આપવામાં આવી. પછી વૉલ્ટ સાથે હોલિવુડમાં જોડાયા. બે ભાઈઓએ સંપ અને ખંતથી કામ કરી વિશ્વમાં પોતાનું નામ બનાવી દીધું. મનોરંજનક્ષેત્રે નવી દિશાઓ ખુલ્લી મૂકનાર અમેરિકી ચલચિત્રનિર્માતા તરીકે વૉલ્ટ ડિઝનીએ સમગ્ર વિશ્વમાં પોતાની ઓળખ સ્થાપી દીધી. મોટા ભાઈ રૉય ડિઝનીએ કંપનીની બધી ધંધાકીય અને વહીવટી જવાબદારી સ્વીકારી લીધી જેથી નાનો ભાઈ વૉલ્ટ પોતાનો બધો સમય તેની ફેન્ટસીને કચકડાના રીલમાં ઉતારી વિશ્વ સમક્ષ મૂકી શકે. બંને ભાઈઓએ સાથે મળીને ઑક્ટોબર, 1923માં વૉલ્ટ ડિઝની કંપનીની સ્થાપના કરી અને સાથે મળીને મનોરંજનનું સામ્રાજ્ય સ્થાપ્યું. બંને ભાઈઓની આ કંપનીમાં સરખી ભાગીદારી હતી જેમાં સર્જનની જવાબદારી વૉલ્ટની હતી અને નાણાકીય અને બિઝનેસની જવાબદારી રૉયની હતી. 1929માં રૉય ડિઝની કંપનીના પ્રથમ સીઈઓ બન્યા. 1945માં બંને ભાઈઓ બોર્ડના ચૅરમૅન બન્યા. 1960માં વૉલ્ટે કંપનીના ચૅરમૅન તરીકે રાજીનામું આપ્યું જેથી તેઓ સર્જનમાં વધારે ધ્યાન આપી શકે. રૉય ડિઝની હંમેશાં પ્રસિદ્ધિ અને કીર્તિથી દૂર રહ્યા. બંનેએ 1971માં ડિઝની વર્લ્ડની સ્થાપના કરી. વૉલ્ટનું અવસાન થયા પછી તેમણે ‘ડિઝની વર્લ્ડ’નું નામ તેમના ભાઈની સ્મૃતિમાં ‘વૉલ્ટ ડિઝની વર્લ્ડ’ રાખ્યું. રૉયની સ્મૃતિમાં કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ધ આર્ટસ ખાતે હર્બ અલ્પર્ટ સ્કૂલ ઑફ મ્યુઝિકના પ્રદર્શનસ્થળનું નામ રૉય ઓ ડિઝની કોન્સર્ટ હૉલ રાખવામાં આવ્યું છે.