Categories
વાચન સમૃદ્ધિ

મારો અભિપ્રાય

બ્રિટનના અગ્રણી મુત્સદ્દી, રૂઢિચુસ્ત પક્ષના નેતા, લેખક અને કુશળ વક્તા સર વિન્સેન્ટ ચર્ચિલે (જ. ઈ. 1874થી અ. ઈ. 1965) બીજા વિશ્વયુદ્ધની કટોકટીના સમયમાં બ્રિટનનું વડાપ્રધાનપદ ગ્રહણ કર્યું. ઈ. સ. 1940થી 1945 સુધી વડાપ્રધાનપદે રહીને એમણે બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટન અને મિત્રરાજ્યોને વિજય અપાવવામાં સિંહફાળો આપ્યો. વિશ્વયુદ્ધની કટોકટીના સમયે દેશને વિજય માટે એમણે આપેલો સંકેત ‘V’ (‘V’ For Victory) ઇંગ્લૅન્ડના રાષ્ટ્રીય સ્વાભિમાન અને ખમીરનું પ્રતીક બની ગયો હતો. તેઓ વડાપ્રધાન હતા, તે સમયે બ્રિટનની પાર્લમેન્ટમાં કોઈ અગત્યના વિષય પર ચર્ચા ચાલી રહી હતી અને વિન્સેન્ટ ચર્ચિલની વિચારધારાની સામે વિરોધ પક્ષના અગ્રણી વક્તવ્ય આપતા હતા. એમનું પ્રવચન અત્યંત લાંબું, અવ્યવસ્થિત અને કશી નક્કર હકીકતો વિનાનું હોવાથી વિન્સેન્ટ ચર્ચિલ કંટાળી ગયા. વળી, પ્રવચન આપતાં ઘણો સમય વીતી ગયો હોવા છતાં એ વિરોધ પક્ષના અગ્રણી અટકતા નહોતા. આથી વિન્સેન્ટ ચર્ચિલ પોતાના સ્થાને બેસીને ઝોકાં ખાવા લાગ્યા અને ધીરે ધીરે પાર્લમેન્ટની પાટલી પર માથું નાખીને નિદ્રાધીન બની ગયા. વિરોધ પક્ષના અગ્રણી તો આવી તકની રાહ જોઈને જ બેઠા હતા. એમણે એકાએક વક્તવ્ય આપવાનું થોભાવીને વિન્સેન્ટ ચર્ચિલ તરફ આંખો માંડી. આથી પાર્લમેન્ટના તમામ સભ્યો વિન્સેન્ટ ચર્ચિલ તરફ જોવા લાગ્યા અને એમને ખ્યાલ આવ્યો કે ચર્ચિલ પાર્લમેન્ટની કાર્યવાહી દરમિયાન ઊંઘી રહ્યા છે. વિરોધી નેતાએ આ પરિસ્થિતિનો પૂરો લાભ લેતાં કહ્યું, ‘વડાપ્રધાન મિ. ચર્ચિલ, તમે ઊંઘો છો તો પછી તમે મારા વિરોધી મુદ્દાઓનો જવાબ કઈ રીતે આપશો ? મારા પ્રવચનના મુદ્દાઓ વિશે તમારે અભિપ્રાય આપવાનો છે, એનો તમને ખ્યાલ છે ને ?’ આ સાંભળીને પાર્લમેન્ટના સભ્યો ખડખડાટ હસવા લાગ્યા, ત્યારે વિન્સેન્ટ ચર્ચિલે આંખો બંધ રાખીને કહ્યું, ‘તમારા પ્રવચન વિશે મારો અભિપ્રાય ? આ ઊંઘ એ જ અભિપ્રાય.’ ચર્ચિલનો આ ઉત્તર સાંભળીને આખું સભાગૃહ તાળીઓના ગડગડાટથી ગાજી ઊઠ્યું.

Categories
વાચન સમૃદ્ધિ

હોમી વાડિયા

જ. 22 મે, 1911 અ. 10 ડિસેમ્બર, 2004

ભારતીય સિનેજગતના નિર્દેશક અને નિર્માતાનો જન્મ સૂરતમાં થયો હતો.  શિક્ષણ માંડ મૅટ્રિક સુધીનું. ત્યારબાદ મોટા ભાઈ જે. બી. વાડિયા ફિલ્મક્ષેત્રે હોવાથી તેમણે પણ ફિલ્મક્ષેત્રે જવાનું પસંદ કર્યું. તેઓ 1933માં સ્થાપિત વાડિયા મૂવીટોન પ્રોડક્શનના સહ-સંસ્થાપક હતા. તેમણે સૌપ્રથમ 1934માં ‘વીર ભારત’ ફિલ્મનું દિગ્દર્શન કર્યું. પ્રથમ ફિલ્મથી જ સ્ટંટ ફિલ્મોની શ્રેણીનો પ્રભાવ શરૂ થયો. આ ફિલ્મો ભવ્ય સેટ્સ, ભવ્ય વેશભૂષાને લીધે ચકિત કરી દેનારાં દૃશ્યોવાળી સાબિત થઈ અને તેમણે સ્ટંટ ફિલ્મોમાં આગવી નામના મેળવી. તેમાં તેમને સૌથી મોટો આધાર અભિનેત્રી નાદિયાનો મળ્યો. નાદિયાનાં દિલધડક સ્ટંટ દૃશ્યો પ્રેક્ષકોને હેરત પમાડે તેવાં હતાં અને તેથી ટિકિટબારી પર ટંકશાળ પડતી હતી. ફિલ્મોમાં રેલવે, ટ્રેન, પ્રાણીઓ, પિસ્તોલ જેવી વસ્તુઓનો સૌપ્રથમ ઉપયોગ કરનાર હોમી વાડિયા હતા. તેમણે 1942માં વસંત પિક્ચર્સની સ્થાપના કરી. તેમણે ચાળીસથી વધુ ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું જેમાં ‘હંટરવાલી’ (1935), ‘મિસ ફ્રંટિયર મેલ’ (1936), ‘હીરે કી રાની’ (1940) તથા ‘હાતિમ તાઈ’ (1956)નો પણ સમાવેશ છે. 1954માં સ્થાપિત ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન પ્રોડ્યૂસર્સ ગિલ્ડ ઑફ ઇન્ડિયા’ના એક સંસ્થાપક સભ્ય પણ હતા. 1942 સુધી વાડિયા મૂવીટોનની બાર ફિલ્મો હોમી વાડિયાએ દિગ્દર્શિત કરેલી. 1949માં ગુજરાતી ફિલ્મો પણ તેમણે બનાવેલી. તેમની એક ફિલ્મ ‘નૌજવાન’ ગીત વિનાની ફિલ્મ હતી.

Categories
વાચન સમૃદ્ધિ

આત્મગોપન (Camouflage)

પર્યાવરણ સાથે એકરૂપતા સાધી જાતબચાવ કરવાની પ્રાણીઓની તરકીબ.

પ્રાણીજગતમાં ભક્ષકથી બચવું અને ભક્ષ્યને પકડવું એ સૌથી મોટી પ્રવૃત્તિ છે. આ માટે પ્રાણીઓ જાતજાતની તરકીબો કરતાં હોય છે. જાતબચાવ માટે પ્રાણીઓ પોતાના પરિસરમાં રંગરૂપથી ભળી જઈને, ભક્ષકની નજરથી બચવાની યુક્તિ અજમાવે છે. ઘણાં પ્રાણીઓ તેમના આકારની મદદથી આત્મગોપન કરે છે. ઘણાં જીવડાં સૂકી ડાળી જેવાં લાગે છે અને ઝાડની ડાળીમાં ભળી જાય છે. ઘણાં જીવડાં પાંદડાં જેવાં લાગે છે ને પાંદડાંમાં ભળી જાય છે. પતંગિયાં પણ તેમની નાજુક રંગબેરંગી પાંખોને લીધે ફૂલોમાં ભળી જઈ તેમના ભક્ષકની નજરથી બચી જાય છે. ઘણાં પ્રાણીઓના શરીર પરના ચટાપટા તેમને આત્મગોપન કરવામાં મદદ કરે છે. ઊભા ઘાસમાં ઊભા ચટાપટાવાળો વાઘ સહેલાઈથી છુપાઈને રહી શકે છે અને હરણ જેવાં ઘાસ ચરતાં પ્રાણીઓ પર તે ત્રાટકી શકે છે.

તીડનું આત્મગોપન

હરણના શરીર પરની ટપકાં જેવી ભાત તેને પણ આત્મગોપન કરવામાં મદદ કરે છે. ઝાડનાં પાંદડાંમાંથી ચળાઈને આવતા તડકાની ટપકાં છાંયડાની ભાતમાં હરણના શરીરની ભાત ભળી જાય છે. વળી કેટલીક માછલીઓ તથા કાચિંડા જેવાં કેટલાંક પ્રાણીઓ તેમના પરિસર પ્રમાણે રંગો ધારણ કરી શકે છે. ઠંડા પ્રદેશમાં રહેતાં પ્રાણીઓને આસપાસના બરફમાં ભળી જવા માટે ધોળા વાળ મળેલા હોય છે. શિયાળો પૂરો થતાં સસલાં, રીંછ, શિયાળ પાછાં તેમના મૂળ કથ્થાઈ રંગનાં થઈ જાય છે. ચટાપટાવાળાં ઝિબ્રા ટોળામાં ઊભાં હોય ત્યારે સિંહ તેમાંથી કોઈ એક ચોક્કસ પ્રાણીને સ્પષ્ટ જોઈ શકતો નથી. ચટાપટાને લીધે આ પ્રાણીઓ જાણે એકબીજાંમાં ભળી જાય છે. આથી સિંહ કોઈ એક પ્રાણીનો પીછો કરી તેને પકડી શકતો નથી. ટિટોડી પોતાનાં ઈંડાં જમીન પર ખુલ્લામાં મૂકે છે એટલે ઈંડાં કાંકરા જેવા દેખાવનાં હોય છે. મરઘીનાં બચ્ચાં નાનાં હોય ત્યારે પીળાં હોય છે, જેથી જમીન પર રહેતાં બચ્ચાં તેમના પરિસરમાં ભળી જાય છે. મોટાં થતાં બચ્ચાં રંગબેરંગી પીંછાં ધારણ કરે છે. આ રીતે પ્રાણી પોતાના આકાર, રંગ, શરીરની ભાત વગેરેને લીધે પરિસરમાં ભળી જાય તેવી તરકીબ કરે છે. આને આત્મગોપન (છદ્માવરણ) કહે છે.

ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1