Categories
વાચન સમૃદ્ધિ

હું જાગું છું !

ઇરાકના બસરાની ગરીબ વસ્તીમાં ઇસ્માઇલને ત્યાં જન્મેલી એની ચોથી પુત્રી રાબિયાને કારમી ગરીબી અને દૃઢ પ્રભુભક્તિ વારસામાં મળ્યાં હતાં. બાળપણથી જ રાબિયા નમાજ અને ઇબાદતમાં પિતાની સાથે રહેતી હતી અને મોડી રાત સુધી સતત નામસ્મરણ(જિકર)માં પિતાની સાથે એ પણ લીન રહેતી હતી. રાબિયાએ કઠોર તપશ્ચર્યા કરી. એનું જીવન આધ્યાત્મિક ચમત્કારોથી પરિપૂર્ણ હતું. સંત રાબિયાનું અધ્યાત્મ સૂફી મતમાં આગવું સ્થાન ધરાવે છે. અગાઉના સૂફી સંતો નરકના ભય અને સ્વર્ગની લાલસાથી અલ્લાહની પ્રાર્થના કરતા હતા, પણ એમનામાં અખંડ પ્રભુભક્તિ ધરાવતું જીવનસમર્પણ નહોતું. રાબિયાએ સૂફી પરંપરામાં નરકના ભય અને સ્વર્ગની લાલસાને હટાવીને માત્ર નિઃસ્વાર્થ પ્રભુભક્તિનો મહિમા કર્યો. પોતે ગરીબ હોવા છતાં કોઈની સહાય કે મદદ સ્વીકારતા નહીં, કારણ કે તેઓ માનતા કે લોકો પાસે જે ભેટસોગાદો છે, તે પણ અલ્લાહે જ આપેલી છે. એમનું પોતાનું તો આમાં કશું નથી ! ઈશ્વર પરત્વેના પ્રેમની આવી સમર્પણશીલતાની ભાવના એ ‘ઇશ્કેહકીકી’ એ સૂફી મતના પાયાનો સિદ્ધાંત બની ગયો. એ કહેતી કે ‘અલ્લાહ મારી પરિસ્થિતિથી વાકેફ છે, પછી મારે કંઈ એમને યાદ કરાવવાનું રહેતું નથી.’

એક વાર રાબિયાની ઝૂંપડીમાં ચોર આવ્યો. એની ઝૂંપડી સાવ ખાલી હતી. માત્ર રાબિયાએ ઓઢેલી એક ચાદર હતી. રાબિયાની ચાદર ઉઠાવીને ચોર ભાગવા ગયો, તો એને દરવાજો દેખાતો બંધ થઈ ગયો. એ સમયે ચોરને એક ગેબી અવાજ સંભળાયો, ‘તું એમ માનીશ નહીં કે બધા ઊંઘે છે અને તું ચોરી કરી રહ્યો છે.’ આ અવાજ સાંભળીને ચોર હેરાન-પરેશાન થઈ ગયો. એ ગેબી અવાજે કહ્યું, ‘સાંભળ, રાબિયાએ પોતાની જાત મને સમર્પિત કરી છે અને આથી એ સૂતી હોય છે, ત્યારે હું જાગતો હોઉં છું.’

આ અવાજ સાંભળીને ચોર ચાદર છોડીને ભાગ્યો.

Categories
વાચન સમૃદ્ધિ

માઇકલ મધુસૂદન દત્ત

જ. 25 જાન્યુઆરી, 1824 અ. 29 જૂન, 1873

ઓગણીસમી સદીના બંગાળી સાહિત્યના કવિ અને નાટ્યકાર માઇકલ મધુસૂદન દત્તનો જન્મ સાગરદરી, બંગાળ(હાલ બાંગ્લાદેશ)માં થયો હતો. શિક્ષણ ગામની જ શાળામાં લીધું, પછી પરિવાર કૉલકાતા સ્થાયી થયો. તેથી પ્રેસિડન્સી કૉલેજ(તે સમયે હિન્દુ કૉલેજ)માં પણ થોડા સમય પછી બિશપ કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. જ્યાં ગ્રીક, લૅટિન અને સંસ્કૃતનો અભ્યાસ કર્યો. અંગ્રેજી સાહિત્ય તથા સંસ્કારિતાનું ઘેલું લાગવાથી લેખનની શરૂઆત અંગ્રેજી કાવ્યથી કરી. ઇંગ્લૅન્ડ તેમના માટે આધ્યાત્મિક વતન બનવાથી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવાથી પરિવાર નારાજ થયો, આથી મદ્રાસ (ચેન્નાઈ) ગયા. ત્યાં 1848થી 1852 દરમિયાન ‘મદ્રાસ મેઇલ (પુરુષ) ઓર્ફન એસાઇલમ્ સ્કૂલ’માં શિક્ષક બન્યા. ત્યારબાદ 1852થી 1856 સુધી ‘મદ્રાસ યુનિવર્સિટી હાઈસ્કૂલ’માં અધ્યાપક રહ્યા અને આ દરમિયાન લેખનકાર્ય પણ ચાલુ રાખ્યું. ‘ટિમોધી પેન પોએમ’ તખલ્લુસથી ‘ધ કેપ્ટિવ લેડીઝ’ અને ‘વિઝન ઑફ ધ પાસ્ટ’ નામથી અંગ્રેજી કાવ્યો રચ્યાં.

1848માં તેમને બંગાળી નાટકોનો અંગ્રેજી અનુવાદ કરવાનું કામ સોંપાયું ત્યારે તેમને બંગાળી મૌલિક નાટક લખવાનો વિચાર સ્ફુર્યો. તેમનું પ્રથમ નાટક ‘શર્મિષ્ઠા’ (1858) રંગભૂમિ પર સફળ થયું. આ સાથે જ આધુનિક બંગાળી નાટકનો પ્રારંભ થયો. તેમનાં બે પ્રહસનો – ‘એકેઇ કી બાલે સભ્યતા’ અને ‘બડો સાલિકેર ઘેર રોન’ તથા સોનેરી સફરજનની ગ્રીક પુરાણકથાના રૂપાંતર રૂપે ‘પદ્માવતી’ નાટક લખ્યું. આ ત્રણે 1860માં પ્રગટ થયાં. 1861માં ‘કૃષ્ણાકુમારી’ લખી ટ્રૅજેડીના સ્વરૂપનો પ્રયોગ કર્યો. તેમનું પ્રથમ મહાકાવ્ય ‘તિલોત્તમા સંભવ કાવ્ય’ (1860) બ્લૅન્ક વર્સના પ્રયોગ રૂપે હતું. આથી બંગાળી કવિતામાં છંદ અને કાવ્યબંધનની દૃષ્ટિએ એક નવો તબક્કો આરંભાયો. તેમની શ્રેષ્ઠ કાવ્યરચનાની શરૂઆત ‘મેઘનાદવધ કાવ્ય’(1861)ના પ્રકાશન દ્વારા થઈ. તે પછી ‘વ્રજાંગના’ અને ‘વીરાંગના’માં પણ અનેકવિધ નવા છંદપ્રયોગો કર્યા. ઇંગ્લૅન્ડ ગયા પછી લખેલાં સૉનેટ ‘ચતુર્દશદી કવિતાવલિ’ નામે 1866માં ગ્રંથસ્થ થયાં. તેમણે ફ્રેન્ચમાંથી લા ફૉન્તેનની કેટલીક બોધકથાઓ તથા મૂળ ગ્રીક પરથી ‘ઇલિયડ’ના કેટલાક સર્ગોનો અનુવાદ કર્યો. 1871માં ‘હેક્ટર બદ્ધ’ નામનો અનુવાદ તેમની છેલ્લી ગણનાપાત્ર કૃતિ હતી. તેમના વિશિષ્ટ પ્રદાન માટે ભારત સરકારે તેમના નામની ટપાલટિકિટ પણ બહાર પાડી હતી.

Categories
વાચન સમૃદ્ધિ

હિરોશિમા-નાગાસાકીનો અણુબૉમ્બ-વિસ્ફોટ

બીજા વિશ્વયુદ્ધના અંતિમ તબક્કામાં યુ.એસે. જાપાનનાં આ બે શહેરો પર કરેલો અણુબૉમ્બનો ધડાકો.

હિરોશિમા : ૧૯૪૫માં ઑગસ્ટની છઠ્ઠી તારીખે સવારે ૮-૪૫ વાગ્યે યુ.એસ.ના લશ્કરી વિમાને પ્રથમ અણુબૉમ્બ જાપાનના મહત્ત્વના મથક હિરોશિમાના મધ્ય ભાગ પર નાખ્યો હતો. તે બૉમ્બને ‘લિટલ બૉય’ તરીકે ઓળખાવાયો હતો. એ અણુબૉમ્બ પડવાથી વિસ્ફોટ થયો. ૧૦.૪ ચોકિમી. વિસ્તારમાં આગ ફાટી નીકળી અને તેની અસર હેઠળ ૧૩ ચોકિમી. જેટલો વિસ્તાર નાશ પામ્યો. તે વખતની હિરોશિમાની ૩,૪૩,૦૦૦ વસ્તીમાંથી ૧,૩૭,૦૦૦ લોકોને તાત્કાલિક અસર પહોંચી. તે પૈકી આશરે અડધા લોકો તુરત અને બીજા પાછળથી મોતને ભેટ્યા. ૧૯૪૫ના વર્ષના અંતે મૃત્યુનો આંકડો ૧,૪૦,૦૦૦ સુધી પહોંચી ગયો. આ બધી તારાજી નિર્દોષ નાગરિકોની જ થયેલી. બચેલા માણસોમાંથી કેટલાક દાઝ્યા, કેટલાક અપંગ બન્યા તો કેટલાક વિકિરણને લીધે લ્યુકેમિયાની – કૅન્સરની માંદગીનો ભોગ બનતા ગયા. હિરોશિમામાં આશરે ૯૦,૦૦૦ મકાનો નાશ પામ્યાં, બાકીનાં રહેવા યોગ્ય ન રહ્યાં. આમ ૧૯૯૫ સુધીમાં વિકિરણની અસરથી મૃતકોની સંખ્યા ૧,૯૨૦૦૦ જેટલી થઈ.

શાંતિ-સ્મૃતિ ઉદ્યાન : સંગ્રહાલય અને સ્મારક, હિરોશિમા

હિરોશિમામાં જે સ્થળે બૉમ્બ-વિસ્ફોટ થયેલો છે ત્યાં શાંતિ-સ્મૃતિ ઉદ્યાન નામથી સંગ્રહાલય અને સ્મારકની સ્થાપના કરવામાં આવી છે. મોતને ભેટેલા લોકોની યાદમાં અહીં દર વર્ષે ૬ઠ્ઠી ઑગસ્ટનો દિવસ પુણ્યતિથિ તરીકે ઊજવાય છે.

નાગાસાકી : ૧૯૪૫ની સાલમાં ઑગસ્ટની નવમી તારીખે નાગાસાકી પર જે અણુબૉમ્બ ફેંકવામાં આવ્યો તેને યુ.એસે. ‘ફૅટ મૅન’ એવું નામ આપેલું. આ બૉમ્બના વિસ્ફોટના કારણે ૪.૫ ચોકિમી. વિસ્તારમાં વિનાશક અસર થઈ. ૪૦,૦૦૦ માણસો મૃત્યુ પામ્યા. ૨૫,૦૦૦ માણસો ઈજાગ્રસ્ત થયા, ૪૦% મકાનો ભસ્મીભૂત થયાં. આ ઘટના પછી જન્મેલાં બાળકો પર વિકિરણની અસર જોવા મળી.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10, હિરોશિમા-નાગાસાકીનો અણુબૉમ્બ-વિસ્ફોટ, પૃ. 177)