Categories
વાચન સમૃદ્ધિ

પં. શિવકુમાર શર્મા

જ. ૧૩ જાન્યુઆરી, ૧૯૩૮ અ. ૧૦ મે, ૨૦૨૨

હિંદુસ્તાની શાસ્ત્રીય રાગોને સૌપ્રથમ સંતૂરવાદ્ય પર વગાડનાર ભારતના મહાન સંતૂરવાદક પં. શિવકુમાર શર્માનો જન્મ જમ્મુમાં ગાયક પિતા ઉમાદત્ત શર્માને ત્યાં થયો હતો. કુશળ ગાયક અને તબલાં તથા દિલરુબાના નિષ્ણાત પિતા પાસેથી માત્ર ૭ વર્ષની ઉંમરથી શિવકુમાર શર્માએ કંઠ્યસંગીતની તાલીમ લેવાનું શરૂ કર્યું અને રિયાઝ દ્વારા રાગ-રાગિણીઓનો પરિચય કરવા માંડ્યો. તેમણે તબલાં, સરોદ અને સિતારવાદનમાં પણ કુશળતા મેળવી, પરંતુ સંતૂરવાદ્ય પર વધારે રુચિ ધરાવનાર શર્માજીએ તેમનું સમગ્ર કૌશલ્ય સંતૂરવાદનમાં કેન્દ્રિત કર્યું. સંતૂરવાદ્ય મૂળ કાશ્મીરનું છે. પ્રાચીન વાદ્ય ‘શતતંત્રી વીણા’માં રહેલા ૧૦૦ તારમાં અનુરૂપ ફેરફારો કરીને તેમાં કુલ ૧૧૬ તાર લગાવીને પિતા-પુત્રએ હિંદુસ્તાની શાસ્ત્રીય રાગોને સંતૂર જેવા લોકવાદ્યમાં ઝાલા, જોડ તથા ગતકારી અસરકારક રીતે વગાડી શકાય તે પ્રકારનું સક્ષમ બનાવ્યું. સંતૂરવાદનના તેમના રેડિયો ઉપર આપેલા કાર્યક્રમોમાં સંતૂરના મધુર સ્વરોએ ભારતના લોકોનાં દિલ જીતી લીધાં. ૧૯૫૫માં મુંબઈમાં સ્વામી હરિદાસ સંગીત સંમેલનમાં તેમના પ્રથમ જાહેર કાર્યક્રમને લોકોએ ખૂબ વખાણ્યો. પછીથી તેમના સંતૂરના સુમધુર સ્વરનો આસ્વાદ ભારતનાં નાનાંમોટાં શહેરો ઉપરાંત વિદેશોના લોકોને પણ માણવા મળ્યો. સૂર અને સ્વર પર મજબૂત પકડ ધરાવનાર પં. શિવકુમાર શર્માની સંતૂરના શ્રેષ્ઠતમ વાદક તરીકેની કીર્તિ ચોમેર વ્યાપી ગઈ. હિન્દી ફિલ્મો ‘ઝનક ઝનક પાયલ બાજે’, ‘સિલસિલા’, ‘લમ્હે’, ‘ડર’માં તેમનું મધુર સંતૂરવાદન લોકોને સાંભળવા મળ્યું. તેમના આલબમ ‘કૉલ ઑફ ધ વેલી’એ ખૂબ લોકચાહના પ્રાપ્ત કરી છે. સંતૂરવાદ્યને વૈશ્વિક સ્તરે લોકપ્રિય બનાવવાનું સમગ્ર શ્રેય પં. શિવકુમારને ફાળે જાય છે. ફિલ્મ પુરસ્કારો ઉપરાંત ૧૯૮૬માં ‘સંગીત નાટક અકાદમી પુરસ્કાર, ૧૯૯૧માં ‘પદ્મશ્રી’ અને ૨૦૦૧માં ‘પદ્મવિભૂષણ’ની પદવીઓથી તેઓ સન્માનિત થયા છે.

પ્રીતિ ચોકસી

Categories
વાચન સમૃદ્ધિ

મીઠાનો ગાંગડો મને પાછો

આપ ================

ગૌતમ ગોત્રના અરુણિ ઋષિના પુત્ર અને ધૌમ્ય ઋષિના શિષ્ય ઉદ્દાલક ઋષિ સમક્ષ એમના જ્યેષ્ઠ પુત્ર શ્વેતકેતુએ અતિ ગહન અને મહત્ત્વપૂર્ણ જિજ્ઞાસા પ્રગટ કરી. અત્યાર સુધી શ્વેતકેતુએ આત્મા સંબંધી ઘણા વિચારો અને ચર્ચાઓ સાંભળ્યાં હતાં. એ પોતાનું શરીર પ્રત્યક્ષ જોઈ શકતો હતો, કિંતુ એનો આત્મા અગોચર હતો. એના મનમાં વારંવાર શંકા જાગતી કે આ બધા આત્મનિષ્ઠ પુરુષો આત્માની ચર્ચા-વિચારણા કરે છે, પણ તે હવામાં બાચકાં ભરવા જેવી તો નહીં હોય ને ! શ્વેતકેતુએ પોતાના આત્મા વિશેનો સંશય પ્રગટ કર્યો. એના પિતા અને મહાન ઋષિ ઉદ્દાલકે એને મીઠાનો એક નાનો ગાંગડો લઈ આવવાનું કહ્યું. એ ગાંગડો ઋષિએ પાણીથી ભરેલા પાત્રમાં નાખવા કહ્યું. બીજા દિવસે ઋષિ ઉદ્દાલકે પોતાના પુત્ર શ્વેતકેતુને કહ્યું કે પેલું પાણી ભરેલું પાત્ર લાવ અને મેં આપેલો મીઠાનો ગાંગડો પાછો આપ. શ્વેતકેતુએ કહ્યું, ‘મીઠાનો એ ગાંગડો પાણીમાં નાખી દીધો છે. મીઠાનું કોઈ અલાયદું અસ્તિત્વ રહ્યું નથી. હવે તમને કેવી રીતે પાછો આપું ?’ વેદ-વેદાંગના પારંગત ઉદ્દાલક ઋષિએ કહ્યું, ‘કશો વાંધો નહીં. આ પાત્રમાં જે પાણી છે તેના ઉપરના ભાગમાંથી પાણી લઈને એક ઘૂંટડો પી જા. પછી એના સ્વાદ વિશે મને કહેજે.’ શ્વેતકેતુ ઉપરનું પાણી પી ગયો અને કહ્યું કે આ તો મીઠાનું અત્યંત ખારું પાણી છે. આથી પિતાએ કહ્યું, ‘શ્વેતકેતુ, આ પાત્રમાંથી ઉપરનું પાણી કાઢી નાખ અને વચ્ચેનું પાણી પી જા. શ્વેતકેતુએ પિતાની આજ્ઞા માથે ચઢાવી અને મધ્યભાગનું પાણી પીધું, તો એ પણ ખૂબ ખારું હતું. ઉદ્દાલક ઋષિએ ફરી કહ્યું, ‘ખેર, આ પાત્રમાં રહેલા પાણીના ઉપરના ભાગમાં ખારાશ છે, વચ્ચે ખારાશ છે. હવે એકદમ નીચે રહેલું પાણી પીઓ.’ શ્વેતકેતુએ પાત્રની સાવ નીચે રહેલા પાણીને લઈને પીવાનો પ્રયત્ન કર્યો અને બોલી ઊઠ્યો, ‘અરે, આ તો ખૂબ ખારું છે. આ સાંભળી ઋષિ ઉદ્દાલકે કહ્યું, ‘પ્રિય પુત્ર, આ બધું જ મીઠાના ગાંગડા જેવું છે. હવે તને તારી વાત સમજાશે. પાણીમાં મીઠું ઓગળી ગયું છે. મીઠું નજરે ચઢતું નથી, કિંતુ ઉપર, વચ્ચે કે નીચે – સર્વત્ર એની ખારાશ અનુભવવા મળે છે. બસ, આવી જ વાત છે આત્માની. એ શરીરમાં સતત રમણ કરતો હોય છે, છતાં આપણે તેમને જોઈ શકતા નથી.’ એ દિવસે શ્વેતકેતુને શરીર અને આત્માના ભેદની ઓળખ મળી.

માનવી જીવનભર પ્રયાસ કરે, તોપણ દેહ-આત્માના ભેદને પામી શકતો નથી. માનવજીવનનો પરમ હેતુ જ એના ભેદને પારખવાનો-પામવાનો છે !

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

કમલા બેનીવાલ

જ. ૧૨ જાન્યુઆરી, ૧૯૨૭ અ. ૧૫ મે, ૨૦૨૪

ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ પક્ષનાં વરિષ્ઠ સભ્ય અને ગુજરાત રાજ્યનાં પૂર્વગવર્નર કમલા બેનીવાલનો જન્મ બ્રિટિશ ભારતની રાજપૂતાના એજન્સીના ગોરીર ખાતે એક જાટ પરિવારમાં થયો હતો. માત્ર ૧૫ વર્ષની વયે તેઓ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસમાં જોડાયાં હતાં અને ‘ભારત છોડો’ ચળવળમાં સામેલ થયાં હતાં. કમલા બેનીવાલ ૨૭ વર્ષની વયે ૧૯૫૪માં વિધાનસભાની ચૂંટણી જીત્યાં અને રાજસ્થાન રાજ્ય સરકારમાં મંત્રી બન્યાં હતાં. ૧૯૫૪થી જ તેમણે રાજસ્થાનમાં એક પછી એક કૉંગ્રેસ સરકારોમાં મંત્રીપદે રહી ગૃહ, તબીબી અને આરોગ્ય, શિક્ષણ અને કૃષિ સહિતના વિવિધ મહત્ત્વના વિભાગો સંભાળ્યા હતા. તેઓ અશોક ગેહલોત સરકારમાં મહેસૂલમંત્રીપદે રહ્યાં હતાં. ૧૯૮૦થી ૧૯૯૦ દરમિયાન કૅબિનેટ પ્રધાન તરીકે તેમણે કૃષિ, પશુપાલન, સિંચાઈ, શ્રમ અને રોજગાર, શિક્ષણ, કલા અને સંસ્કૃતિ, પર્યટન અને સંકલિત ગ્રામીણ વિકાસ જેવા વિવિધ વિભાગોનું નેતૃત્વ કર્યું હતું. એક મંત્રી તરીકે લગભગ ૫૦ વરસ સુધી રાજસ્થાન સરકારમાં સેવાઓ આપી. તેમની લાંબી કારકિર્દી દરમિયાન તેઓ પ્રદેશ કૉંગ્રેસ પક્ષની કામગીરી સાથે પણ સંકળાયેલાં હતાં. કમલા બેનીવાલને ઑક્ટોબર, ૨૦૦૯માં ત્રિપુરાના રાજ્યપાલપદે નિયુક્ત કરવામાં આવ્યાં હતાં. તેઓ પૂર્વોત્તર ભારતમાં પ્રથમ મહિલારાજ્યપાલ હતાં. એક મહિના બાદ ૨૭ નવેમ્બર, ૨૦૦૯ના રોજ તેમને ગુજરાત રાજ્યનાં રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં હતાં. જ્યાં તેમણે ચાર વરસથી વધુ સમય માટે સેવા આપી હતી. ૬ જુલાઈ, ૨૦૧૪ના રોજ તેમની મિઝોરમના રાજ્યપાલ પદ પર બદલી કરવામાં આવી હતી. ૯૭ વર્ષની વયે જયપુરની એક ખાનગી હૉસ્પિટલમાં ટૂંકી બીમારી બાદ કમલા બેનીવાલનું અવસાન થયું હતું.

અશ્વિન આણદાણી