Categories
વાચન સમૃદ્ધિ

જૉસેફ મૅકવાન

જ. ૯ ઑક્ટોબર, ૧૯૩૬ અ. ૨૮ માર્ચ, ૨૦૧૦

ગુજરાતના જાણીતા નવલકથાકાર જૉસેફ મૅકવાનનો જન્મ આણંદ જિલ્લાના ત્રણોલી ગામે થયો હતો. પિતાનું નામ ઇગ્નાસ અને માતાનું નામ હીરી. વતન ઓડ. બાળપણ ગરીબીમાં પસાર થયું. મજૂરી કરતાં કરતાં અભ્યાસ કર્યો. પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ તરત જ નોકરીએ લાગ્યા. તેમણે બહારના વિદ્યાર્થી તરીકે એમ.એ., બી.એડ્. સુધીનો અભ્યાસ કર્યો. એમ.એ. થયા બાદ થોડા સમય ડાકોરની કૉલેજમાં હિન્દીના અધ્યાપક તરીકે કાર્ય કર્યું. પણ તેઓ માનતા કે માધ્યમિક શિક્ષણ મજબૂત હોવું જોઈએ. આથી અધ્યાપક તરીકેની નોકરી છોડી, આણંદની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા. શિક્ષણકાર્યની સાથે તેઓ સમાજસુધારાની પ્રવૃત્તિઓ પણ કરતા. ૧૯૫૬થી તેમણે લેખનકાર્ય શરૂ કર્યું. તેમની પાસેથી ટૂંકી વાર્તાઓ, નવલકથાઓ તથા ચરિત્રસાહિત્ય મળ્યું છે. ‘વ્યથાનાં વીતક’(૧૯૮૫)માં એમણે લખેલાં જીવનચરિત્રો સંગૃહીત થયાં છે. તેમની પાસેથી ‘આંગળિયાત’, ‘મારી પરણેતર’, ‘મનખાની મિરાત’, ‘બીજ-ત્રીજનાં તેજ’ જેવી સત્ત્વશીલ નવલકથાઓ પ્રાપ્ત થઈ છે. ‘આંગળિયાત’ તેમની ખૂબ જાણીતી નવલકથા છે. ૧૯૮૯માં દિલ્હી સાહિત્ય અકાદેમી દ્વારા આ નવલકથા પુરસ્કૃત થઈ હતી. ‘સાધનાની આરાધના’, ‘આગળો’, ‘પન્નાભાભી’ તેમના વાર્તાસંગ્રહો છે. તેમની પાસેથી નિબંધસંગ્રહો તથા સંપાદનો પણ મળ્યાં છે. તેમને ગુજરાત સાહિત્ય અકાદમી તથા ગુજરાતી સાહિત્ય પરિષદના અનેક પુરસ્કારો મળ્યા છે. ગુજરાત સાહિત્ય સભા તરફથી ૧૯૯૦ની સાલનો ધનજી કાનજી સુવર્ણચંદ્રક મળ્યો હતો. આ ઉપરાંત સંસ્કાર ઍવૉર્ડ, ક. મા. મુનશી સુવર્ણચંદ્રક, દર્શક ઍવૉર્ડ વગેરેથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાતી દલિત સાહિત્યના અગ્રણી સાહિત્યકાર અને નવલકથાકાર તરીકે તેઓ પ્રતિષ્ઠિત છે.

શ્રદ્ધા ત્રિવેદી

Categories
વાચન સમૃદ્ધિ

સ્થળાંતર

૧. પશુપંખીઓનું સ્થળાંતર

વધુ સારી પર્યાવરણીય અનુકૂળતા પ્રાપ્ત કરવા, ખોરાકની અછત નિવારવા, પ્રજોત્પત્તિ કરવા તથા બચ્ચાંના ઉછેર માટે પ્રાણીઓની એક સ્થળેથી બીજા સ્થળે થતી અવરજવર. આ ઘટના કીટકો, પક્ષીઓ, માછલીઓ, કાચબા અને સસ્તન પ્રાણીઓની બાબતમાં ઘટતી હોય છે. સ્થળાંતરની ક્રિયા જમીન પર, જળપ્રવાહોમાં અને હવામાં થતી હોય છે. મોટા ભાગનાં પ્રાણીઓ સમૂહમાં સ્થળાંતર કરતાં હોય છે. જીવશાસ્ત્રીઓ તો બે સ્થળો વચ્ચેની લાંબા ગાળાની ૠતુને અનુલક્ષીને નિયમિત થતી અવરજવરને જ સ્થળાંતર ગણે છે. પક્ષીઓનું સ્થળાંતર અદભુત અને નૈસર્ગિક ઘટના છે. તે ચોક્કસ સમય અને હવામાનને આધીન હોય છે. પક્ષીઓ નાજુક દેહ ધરાવતાં હોવા છતાં કલાકો અને દિવસો સુધી લગાતાર, થોભ્યા વિના ઊડીને સ્થળાંતર કરે છે. આ માટે ધ્રુવીય ટર્ન નામના એક પક્ષીનું ઉદાહરણ તેની લાંબી ઉડાન માટે જાણીતું છે. આ પક્ષી શિયાળામાં ઉત્તર ધ્રુવથી ૧૮,૦૦૦ કિલોમીટરનું અંતર કાપી દક્ષિણ ધ્રુવના હૂંફાળા વાતાવરણમાં આવે છે. થોડા સમય બાદ જ્યારે દક્ષિણ ધ્રુવમાં શિયાળો બેસે છે ત્યારે તે એટલી લાંબી ઉડાન કરી ફરી મૂળ સ્થળે પાછું આવે છે. આમ દર વર્ષે તે ૩૬,૦૦૦ કિલોમીટરની લાંબી મજલનું સ્થળાંતર કરે છે.

આફ્રિકાનાં જંગલોમાં થતું પશુઓનું સ્થળાંતર

યુરોપિયન વાર્બલર (Warbler) નામનું પક્ષી શિયાળામાં ૪,૦૦૦ કિલોમીટર જેટલું ઉડાન કરી એશિયા કે આફ્રિકા પહોંચે છે. ભારતમાં પણ શિયાળામાં અનેક યાયાવર પક્ષીઓ ઠેરઠેર આવે છે. રાજસ્થાનમાં આવેલું ભરતપુર પક્ષી-અભયારણ્ય આ માટે જાણીતું છે. આ ઉપરાંત ગુજરાતમાં કચ્છ તથા નળસરોવર અને થોળ તળાવ પાસે પણ ઘણાં યાયાવર પક્ષીઓ આવે છે. તેમાં મુખ્યત્વે સુરખાબ (ફ્લૅમિંગો), ચોટીલી પેણ, ઢોંક, નીલકંઠી તથા વૈયું નામનાં પક્ષીઓનો સમાવેશ થાય છે. આ પક્ષીઓ કેવી રીતે રસ્તો શોધતાં હશે તે પ્રશ્ન વૈજ્ઞાનિકોને મૂંઝવે છે. તેઓ સૂર્ય, ચંદ્ર અને તારાના આધારે, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને આધારે કે રસ્તામાં આવતાં મુખ્ય સ્થાનોને આધારે સ્થળાંતર કરે છે તેવું અનુમાન કરવામાં આવે છે. આ માછલી ખંભાતના અખાતમાંથી નર્મદા નદીના ઉપરવાસમાં સરદાર સરોવર કે તેથી આગળ ઈંડાં મૂકવા જાય છે. અને બચ્ચાં ફરીથી ઊંધી દિશામાં પ્રસ્થાન કરી ખંભાતના અખાતમાં પ્રવેશે છે. દરિયાઈ કાચબીઓ ૨૦૦૦ કિલોમીટર દૂરથી સ્થળાંતર કરી દરિયાના બીચ પર ઈંડાં મૂકવા આવતી હોય છે. આફ્રિકાનાં જંગલોમાં ખોરાક મેળવવા માટે વાઇલ્ડ બીસ્ટ –જંગલી ભેંસો તથા ઝિબ્રા ટોળામાં સ્થળાંતર કરે છે. આ પ્રાણીઓ ખૂબ વેગથી, માર્ગમાં આવતા અવરોધોને ગણકાર્યા વિના ઊંધું ઘાલીને દોડતાં જ રહે છે. તેની અડફટમાં કોઈ બીજું પ્રાણી આવે તો તે કચડાઈ જાય.

અંજના ભગવતી

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૧૦, સ્થળાંતર, પૃ. ૭૧)

Categories
વાચન સમૃદ્ધિ

રાજકુમાર

જ. ૮ ઑક્ટોબર, ૧૯૨૬ અ. ૩ જુલાઈ, ૧૯૯૬

ભારતીય હિન્દી સિનેમાજગતના અભિનેતા રાજકુમાર અનોખા અવાજ, અનોખી સંવાદ-રજૂઆત અને અનોખી અદાકારી માટે લોકપ્રિય અભિનેતા હતા. તેમનું મૂળ નામ કુલભૂષણ પંડિત હતું. અભિનયક્ષેત્રે વિશિષ્ટ ઓળખ ઊભી કરવા માટે રાજકુમારના નામ સાથે કારકિર્દી શરૂ કરી. ૧૯૪૦માં શ્રીનગરથી મુંબઈ આવીને સ્થાયી થયા. જ્યાં મુંબઈ પોલીસ વિભાગમાં સબ-ઇન્સ્પેક્ટર તરીકે સેવા બજાવી. દરમિયાન દિગ્દર્શક નજમ નક્વી રાજકુમારના વ્યક્તિત્વથી અભિપ્રેત થયા અને ૧૯૫૨માં ફિલ્મ ‘રંગીલી’માં અભિનય કરાવ્યો. ૧૯૫૭માં મહેબૂબ ખાનની ફિલ્મ ‘મધરઇન્ડિયા’માં અભિનય કર્યો અને પ્રતિભાવંત અભિનેતા તરીકે લોકપ્રિય બન્યા. ત્યારબાદ ‘ઘમંડ’, ‘દિલ અપના ઔર પ્રીત પરાઈ’, ‘વક્ત’, ‘કાજલ’, ‘હીર-રાંઝા’, ‘નીલકમલ’, ‘હમરાઝ’, ‘પાકિઝા’, ‘કર્મયોગી’ જેવી અનેક ફિલ્મોમાં અભિનય કરીને એક આગવી ઓળખ ઊભી કરી. ‘જાની’ શબ્દ રાજકુમારના મોટા ભાગના સંવાદોની શરૂઆતનો અપેક્ષિત શબ્દ રહેતો. એક સમયે રાજકુમારના સંવાદો ઉપર સિનેમાઘરોમાં પડદા ઉપર સિક્કાઓનો વરસાદ થતો. કારકિર્દીના પાછલા પડાવમાં પણ ‘સૌદાગર’, ‘તિરંગા’, ‘બેતાજ બાદશાહ’, ‘બુલંદી’ જેવી ફિલ્મોમાં એમનો અભિનય અને પડદા પરની ઉપસ્થિતિ (screen presence) ફિલ્મના મુખ્ય અભિનેતા માટે પડકાર સમી રહેતી. પત્ની ગાયત્રી કુમાર, બે પુત્રો તથા એક પુત્રી તેમનો પરિવાર હતો. ગળાના કૅન્સરની બીમારીમાં મુંબઈ ખાતે એમનું અવસાન થયું. રાજકુમાર દર્શકોની સ્મૃતિમાં સદા અમર અભિનેતા તરીકે અંકિત થયેલા રહેશે.

અલ્પા શાહ