Categories
વાચન સમૃદ્ધિ

જૉલિયો ક્યૂરી ફ્રેડરિક

જ. 19 માર્ચ, 1900 અ. 14 ઑગસ્ટ, 1958

ફ્રેંચ ભૌતિક રસાયણવિદ જેમને 1935માં પત્ની આઇરિન ક્યૂરી સાથે, સંયુક્ત રીતે નવા રેડિઓઍક્ટિવ તત્ત્વોની શોધ માટે રસાયણશાસ્ત્રનું નોબેલ પારિતોષિક અર્પણ થયું હતું.. અભ્યાસ કરતાં, ફ્રેડરિક ખેલકૂદમાં આગળ હતા. કૌટુંબિક સંજોગોને કારણે વિના-શુલ્ક શિક્ષણ માટે લેવોઝિયર મ્યુનિસિપલ સ્કૂલમાં જવાની ફરજ પડી. જ્યાંથી પ્રથમ ક્રમ સાથે ઇજનેરીમાં સ્નાતક બન્યા. ત્યારબાદ તેઓ લશ્કરી સેવામાં જોડાયા. લશ્કરી સેવાઓ પૂરી કરી. તેમણે સંશોધન માટેની શિષ્યવૃત્તિ મેળવી. ભૌતિકશાસ્ત્રી પૉલ લૅન્ડાવિનની ભલામણથી 1925માં મેરી ક્યૂરીએ પોતાની પ્રયોગશાળામાં તેમને મદદનીશ તરીકે રાખ્યા. અહીં ક્યૂરીની પુત્રી આઇરિન સાથે ફ્રેડરિકની મુલાકાત થઈ. આઇરિનને લાગ્યું કે ફ્રેડરિક પોતાની સાથે વિજ્ઞાન, કળા, ખેલકૂદ અને માનવવાદમાં સહયોગ સાધી શકે તેમ છે તેથી તેઓ 26 ઑક્ટોબર, 1926માં લગ્નગ્રંથિથી જોડાયાં. હવે આઇરિનના માર્ગદર્શન હેઠળ ફ્રેડરિકે પ્રાયોગિક રીતરસમો શીખી લીધી. આ સાથે અભ્યાસ પણ ચાલુ રાખ્યો. 1928થી બધા જ વૈજ્ઞાનિક લેખો તેઓ બંને સંયુક્ત રીતે તૈયાર કરતાં હતાં. તેઓ બંનેએ સાથે કૃત્રિમ રેડિઓઍક્ટિવ તત્ત્વો, ન્યૂટ્રૉન અને ઘન ઇલેક્ટ્રૉન પૉઝિટિવ ઉપર અનેક સંશોધનો કર્યાં. 1937માં ફ્રેડરિકની નિમણૂક ફ્રાન્સ-દ-કૉલેજમાં પ્રાધ્યાપક તરીકે થઈ. તે દરમિયાન નવા વિકિરણસ્રોત તૈયાર કરવા પાછળ તેમણે ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમની દેખરેખ નીચે આર્ક્યુલકાકાન અને આવરી ખાતે તૈયાર થઈ રહેલ પ્રવેગક(accelerator) અને ફ્રાન્સ-દ-કૉલેજમાં 7 Mevના સાઇક્લોટ્રૉન તૈયાર થયાં. (1 Mev = 1 મિલિયન ઇલેક્ટ્રૉન વોલ્ટ = 106eV = 1.6 10-13 જૂલ) 1941માં નૅશનલ ફ્રન્ટ કમિટીની રચનામાં તેમણે ભાગ લીધો હતો. 1956માં સામ્યવાદી પક્ષના મધ્યસ્થ સમિતિના સભ્ય બન્યા. જ્યારે તેમનાં પત્ની અને બાળકોએ સ્વિટ્ઝર્લૅન્ડમાં આશ્રય લીધો ત્યારે ફ્રેડરિક પૅરિસમાં જ રહ્યા. 1945માં અણુ-ઊર્જા ઉત્પાદનની યોજના માટે જનરલ દ-ગોલે તેમને સત્તા આપી. 1946માં તેઓ નિર્દેશક તરીકે જોડાયા. તેમણે પૅરિસમાં ન્યુક્લિયર-ભૌતિકવિજ્ઞાનની નવી પ્રયોગશાળા શરૂ કરી. આઇરિનના મૃત્યુ બાદ પણ તેનાં અધૂરાં કાર્યો ફ્રેડરિકે પૂરાં કર્યાં.

Categories
વાચન સમૃદ્ધિ

ત્રિવેન્દ્રમ વેધશાળા (તિરુવનંતપુરમ્ વેધશાળા)

ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં ત્રાવણકોરના રાજા રામ વર્માએ તે સમયે ભારત ખાતેના બ્રિટનના રાજકીય પ્રતિનિધિ રેસિડન્ટ જનરલ સ્ટુઅર્ટ ફ્રેઝરના સૂચનથી ૧૮૩૬માં ત્રિવેન્દ્રમમાં સ્થાપેલી ખગોલીય વેધશાળા. આ વેધશાળા ‘ત્રાવણકોર ઑબ્ઝર્વેટરી’ તરીકે ઓળખાય છે. આ વેધશાળાની ઇમારતનો નકશો તૈયાર કરવાની અને એના બાંધકામની જવાબદારી ચેન્નાઈના એક ઇજનેર કૅપ્ટન હૉર્સલેને સોંપવામાં આવી અને ૧૮૩૭માં એ તૈયાર થઈ ગયા પછી એના પ્રથમ નિયામક તરીકે રાજાએ જ્હૉન કાલ્ડેકૉટ નામના ખગોળશાસ્ત્રીની નિમણૂક કરી. કાલ્ડેકૉટ આ અગાઉ એલેપી બંદર ખાતે ત્રાવણકોર સરકારના વ્યાપારિક આડતિયા તરીકેની ફરજ બજાવતા હતા. કાલ્ડેકૉટને ખગોળ ઉપરાંત હવામાનના અભ્યાસમાં પણ એટલો જ રસ હતો. ત્રિવેન્દ્રમ ખાતે આવી બેવડી કામગીરી બજાવતી વેધશાળા સ્થાપવાનો મૂળ વિચાર એનો જ હતો અને ફ્રેઝરને આની અગત્ય પણ એણે જ સમજાવી હતી.

ત્રિવેન્દ્રમ વેધશાળા (રેખાચિત્ર)

કાલ્ડેકૉટનો જન્મ કયા વર્ષે થયો અને મૃત્યુ કયા વર્ષે થયું એ અંગે ચોક્કસ માહિતી મળતી નથી, પરંતુ એક સંદર્ભ અનુસાર એનો જન્મ ૧૮૧૩માં અને અવસાન ૧૮૪૭માં થયું. જ્યારે બીજા સંદર્ભ અનુસાર એનું જન્મવર્ષ ૧૮૦૦ છે, જ્યારે મૃત્યુવર્ષ ૧૮૪૯ છે. પરંતુ, એણે બજાવેલી કામગીરી અને એનો કાલાનુક્રમ જોતાં એનો જીવનકાળ સન ૧૮૦૦થી ૧૮૪૯ વધુ બંધબેસતો આવે છે. આ વેધશાળા જુલાઈ ૧૮૩૭થી કામ કરતી થઈ અને આરંભનાં મોટા ભાગનાં નિરીક્ષણો કાલ્ડેકૉટે પોતાની પાસેનાં ઉપકરણોની મદદથી કર્યાં; પરંતુ ત્રાવણકોરના રાજા નવું નવું જાણવાના શોખીન હોવાથી અને વિજ્ઞાનમાં પોતાનો દેશ યુરોપનાં રાષ્ટ્રો સાથે કદમ મિલાવી શકે તેવી તીવ્ર ઇચ્છા ધરાવતા હોવાથી વેધશાળાને આધુનિક ઉપકરણોથી સજ્જ કરવાનો નિર્ણય લેવાયો. પરિણામે વેધશાળા ચાલુ થયા પછી થોડા જ સમય બાદ કાલ્ડેકૉટને જરૂરી ઉપકરણોની ખરીદી કરવા યુરોપ મોકલવામાં આવ્યા. ૧૮૪૧માં એ પાછા ફર્યા અને પોતાની સાથે ખગોળ ઉપરાંત હવામાન અને ચુંબકીય અભ્યાસ માટેનાં જરૂરી સાધનો પણ લેતા આવ્યા.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-9, ત્રિવેન્દ્રમ વેધશાળા (તિરુવનંતપુરમ્ વેધશાળા), પૃ. 74 અથવા જુઓ https://gujarativishwakosh.org/ત્રિવેન્દ્રમ વેધશાળા/)

Categories
વાચન સમૃદ્ધિ

શશી કપૂર

જ. 18 માર્ચ, 1938 અ. 4 ડિસેમ્બર, 2017

હિન્દી સિનેમાના મહાન અભિનેતા અને પૃથ્વીરાજ કપૂરના સૌથી નાના દીકરા શશી કપૂર એટલે હિન્દી સિનેમામાં અવિચળ સ્થાન ધરાવતા કપૂર કુટુંબની બીજી પ્રતિભાશાળી પેઢી. પિતાના નિર્માણ હેઠળના પૃથ્વી થિયેટરમાં તેમણે ઘણાં નાટકોમાં કામ કર્યું. બાળકલાકાર તરીકે શશીરાજ નામથી તેમણે મોટા ભાઈ રાજ કપૂરની ફિલ્મ ‘આગ’ (1948), ‘આવારા’(1951)માં યાદગાર અભિનય આપ્યો. 1948થી 1954 સુધી તેમણે રાજ કપૂર, અશોક કુમાર વગેરેના બાળપણનાં પાત્ર બખૂબી નિભાવ્યાં. પુખ્ત કલાકાર તરીકે 1961માં તેમની પ્રથમ ફિલ્મ ‘ધરમપુત્ર’ આવી. પછી તો તેમની સફળ ફિલ્મોની હારમાળામાં ‘વક્ત’, ‘યે દિલ કિસકો દૂં’, ‘આ ગલે લગ જા’, ‘ચોર મચાયે શોર’, ‘ત્રિશૂલ’, ‘ક્રાન્તિ’, ‘શર્મીલી’, ‘રોટી કપડા ઔર મકાન’, ‘નમકહલાલ’ વગેરે ફિલ્મો જોડાઈ. ‘જબ જબ ફૂલ ખીલે’માં નિર્દોષ નાવિકની ભાવુક ભૂમિકા ભજવનાર આ કલાકાર જનતાને ખૂબ સ્પર્શી ગયા.  આ પાત્ર માટે તેમને શ્રેષ્ઠ કલાકારનો ઍવૉર્ડ મળ્યો હતો. શશી કપૂરનો સંવાદ ‘મેરે પાસ માં હૈ‘ ભારતીય સંસ્કૃતિનો પડઘો પાડતો હોય તેમ ભારતભરમાં પ્રખ્યાત થઈ ગયો. કડક પિતા તરીકે ફિલ્મ ‘વિજેતા’માં, પત્રકારની ભૂમિકામાં ફિલ્મ ‘ન્યૂ દિલ્હી ટાઇમ્સ’માં, બેપરવાહ સરદાર તરીકે ‘જૂનુન’માં એમ દરેક પાત્રમાં તે છવાઈ ગયા. 1970માં તેમણે ‘ફિલ્મવાલા’ નામથી નિર્માણ હાઉસ શરૂ કર્યું અને માત્ર મનોરંજક નહીં, પણ ઉચ્ચકક્ષાની કલાત્મક ફિલ્મો જેવી કે ‘36 ચૌરંગી લેન’ (1981), ‘ઉત્સવ’ (1984) વગેરે રજૂ કરી. James Ivoryની અંગ્રેજી ફિલ્મ ‘The householder’માં પણ તેમણે અભિનય કર્યો. અમિતાભ બચ્ચન સાથે તેમની જોડી ‘કભી કભી’, ‘કાલા પથ્થર’, ‘સુહાગ’, ‘સિલસિલા’ વગેરે ફિલ્મોમાં ખૂબ જામી. 1998માં તેમની છેલ્લી ફિલ્મ ‘ઘર બાઝાર‘ આવી. તેમને નૅશનલ ફિલ્મફેર ઍવૉર્ડ સાથે ફિલ્મફેરનો લાઇફટાઇમ એચીવમેન્ટ ઍવૉર્ડ પણ મળ્યો હતો. 2011માં ભારત સરકારે તેમને પદ્મભૂષણથી સન્માનિત કર્યા હતા અને 2014માં દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડ એનાયત થયો હતો.