Categories
વાચન સમૃદ્ધિ

વિજય આનંદ ગજપતિ રાજુ

જ. 28 ડિસેમ્બર, 1905 અ. 2 ડિસેમ્બર, 1965

ભારતીય ક્રિકેટ ખેલાડી અને ‘વિઝી’ના હુલામણા નામથી ઓળખાતા મહારાજકુમાર ઑફ વિજયાનગરમના રાજવીનું પૂરું નામ રસ વિજય આનંદ ગજપતિ રાજુ હતું. તેમણે અજમેરની માયો કૉલેજ અને ઇંગ્લૅન્ડની હેલીબરી ઍન્ડ ઇમ્પીરિયલ સર્વિસ  કૉલેજમાં અભ્યાસ કર્યો. તેઓ ટેનિસ અને ક્રિકેટના ખેલાડી હતા. તેમણે 1926માં તેમની ક્રિકેટટીમ બનાવી તેમાં ભારતીય અને વિદેશી ખેલાડીઓની ભરતી કરી. 1936માં ઇંગ્લૅન્ડના પ્રવાસે ગયેલી ભારતીય ક્રિકેટટીમના તેઓ કૅપ્ટન હતા. ત્રણ ટેસ્ટમૅચોમાંથી બે મૅચ હાર્યા અને એક ટેસ્ટમૅચ ડ્રૉ થઈ હતી. તેમણે આ પ્રવાસમાં ક્રિકેટર લાલા અમરનાથને અશિસ્તભર્યા વર્તન માટે ભારત પાછા મોકલ્યા હતા. આથી ક્રિકેટજગતમાં હલચલ મચી ગઈ હતી. તેમણે દિલ્હીના ફિરોજશાહ કોટલા મેદાનમાં વાઇસરૉય લૉર્ડ વિલિંગ્ડન નામ પરથી એક પેવેલિયનનું દાન આપ્યું હતું. તેમના  પ્રોત્સાહનથી કાનપુર ટેસ્ટ ક્રિકેટનું કેન્દ્ર બન્યું. તેઓ 1954થી 1957 સુધી BCCIના પ્રમુખ હતા અને વર્ષો સુધી ઉપપ્રમુખ તરીકે પણ સેવા આપી હતી. તેમના આમંત્રણને માન આપી સી. કે. નાયડુએ 1956-57માં ઉત્તરપ્રદેશની ટીમનું નેતૃત્વ કર્યું હતું. તેમણે 1948-49માં વેસ્ટ ઇન્ડીઝ સામેની શ્રેણીથી રેડિયો કૉમેન્ટરી આપવાનું શરૂ કર્યું હતું. 1959માં તેઓ ભારતના ઇંગ્લૅન્ડપ્રવાસ વખતે બીબીસી માટે મહેમાન કૉમેન્ટેટર હતા. તેઓ મૅચનું જીવંત વર્ણન કરવા કરતાં મૅચની આલોચના કરવા માટે વધુ પ્રસિદ્ધ હતા. તેઓ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમથી લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. 1944માં બનારસ યુનિવર્સિટીએ તેમને માનદ ડૉક્ટર ઑફ લૉની ડિગ્રી આપી હતી. તેમની યાદમાં એક આંતર ઝોનલ યુનિવર્સિટી ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિઝી ટ્રૉફી આપવામાં આવે છે. 1958માં ભારત સરકારે તેમને પદ્મભૂષણથી સન્માનિત કર્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

હસ્તકળા

ઘરવપરાશની કે જાહેર વપરાશની ચીજ-વસ્તુઓને હાથ વડે સુંદર અને આકર્ષક બનાવવાની કુશળતા – આવડત.

આવી હસ્તકળા હજારો વર્ષોથી માણસ દાખવતો આવ્યો છે. જ્યારે યંત્રો શોધાયાં નહોતાં ત્યારે ધારદાર પથ્થર વડે લાકડામાંથી પાત્રો બનાવવાં, ટોપલા-ટોપલીઓ ગૂંથવી, દોરાને ગૂંથી તેમાંથી કેટલીક અવનવી ચીજ-વસ્તુઓ બનાવવી – આવી આવી હાથકારીગરી અને કલાની અનેક ચીજવસ્તુઓ બનાવવાની પ્રવૃત્તિ આદિમ કાળથી ચાલતી આવી છે. ભારતનાં વિવિધ રાજ્યોની ભાતીગળ સંસ્કૃતિ છે. એમનું લોકજીવન પણ વૈવિધ્યસભર છે. તેમનું પ્રતિબિંબ, તેમનો પ્રભાવ હસ્તકળાની ચીજ-વસ્તુઓમાં જોવા મળે છે. દરેક રાજ્યની – ત્યાંની પ્રજાની આગવી હસ્તકળા છે – અનોખી શૈલી છે, જે તેમની હસ્તકળાની કલાકૃતિઓ જોતાં પ્રતીત થાય છે.

હસ્તકલાથી તૈયાર થયેલી વસ્તુઓ

ગુજરાતમાં વિવિધ જાતનાં ભરત-ગૂંથણ દ્વારા બનતા ચાકળા અને ચંદરવાઓ, ચણિયા, કમખા અને કેડિયાં જોવા મળે છે. આ ઉપરાંત બાળકો માટેના પહેરવેશ પણ સુંદર ભરતગૂંથણવાળા જોવા મળે છે. વળી અશ્વો, ઊંટ તથા બળદો માટેના સાજમાં અવનવું કલાત્મક ભરતગૂંથણ કરેલું જોવા મળે છે. મોતીકામનાં તોરણો તથા તરણેતરના મેળામાં જોવા મળતી રંગબેરંગી છત્રીઓમાં ગુજરાતની ભરતગૂંથણની ઉત્તમ કળાનો પરિચય થાય છે. જરી-કિનખાબવાળી, હાથવણાટની અને ગાંઠો વાળીને બાંધેલી બાંધણીઓ, અજરખ કામવાળાં વસ્ત્રો ગુજરાતમાં જોવા મળે છે. કચ્છનાં કાચચિત્રો, ચાંદીકામના નમૂનાઓ, માટીકામનાં વાસણો, રમકડાં, ગાય-બળદના ઘૂઘરા, લાખકામ તથા બાટિકકામના નમૂનાઓ તેમ જ માટીની કોઠીઓમાં હસ્તકળાનું દર્શન થાય છે. કચ્છનું બન્ની ભરત તેના ઝીણવટભર્યા ટાંકા, રંગોની આયોજના તેમ જ સુઘડતાને લીધે ઊડીને આંખે વળગે છે. રાજસ્થાનમાંનું બાંધણી તેમ જ લહેરિયાંનું રંગાટીકામ વખણાય છે. આમ ભારતનાં ગામ અને નગરોમાં લોકોના જીવનમાં કલાકસબ જળવાયો છે. તેઓ ગૃહ-સુશોભન અને વસ્ત્રાભૂષણ માટે હાથકારીગરીથી અનેક વસ્તુઓ બનાવે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10, હસ્તકળા, પૃ. 141)

Categories
વાચન સમૃદ્ધિ

લાન્સ નાયક આલ્બર્ટ એક્કા

જ. 27 ડિસેમ્બર, 1942 અ. 3 ડિસેમ્બર, 1971

1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન અદ્વિતીય પરાક્રમ કરી શહીદ થનાર આલ્બર્ટ એક્કાનો જન્મ બિહારના ગુમલા જિલ્લાના જરી ગામમાં થયો હતો. પિતા જુલિયસ અને માતા મરિયમ. પ્રાથમિક શિક્ષણ સી. સી. સ્કૂલ, પટરાટોલીમાં અને માધ્યમિક શિક્ષણ મિડલ સ્કૂલ, ભીખાપુરમાં મેળવ્યું. બાળપણથી સેનામાં જોડાવાની ઇચ્છા હતી. તેઓ સારા હૉકી ખેલાડી હતા. 1962માં ભારતીય સેનામાં જોડાયા. 3 ડિસેમ્બર, 1971ની રાત્રે 14મી ગાર્ડ્ઝની કંપનીના 120 જવાનો સાથે લાન્સનાયક આલ્બર્ટ એક્કા અગરતલાથી ચારેક કિમી.ના અંતરે આવેલા ગંગાસાગર તરફ નીકળ્યા. રસ્તામાં પાકિસ્તાની સૈનિકોએ ઍન્ટિટૅન્ક અને ઍન્ટિપર્સોનેલ સુરંગો પાથરી હતી. રેલવે ટ્રૅકના માટીના પાળા પર ચાલતા એક સૈનિકનો પગ તારમાં આવતાં પ્રકાશ  થયો. થોડે દૂર બંકરની બહાર ઊભેલા પાકિસ્તાની સૈનિકે આ જોયું. આબ્લર્ટે દોડીને તેની છાતીમાં બૅયોનેટ મારી. બીજા સૈનિકો આવી પહોંચતાં બંકરમાંના સૈનિકોને મારી નાખ્યા. ગોળીબારમાં આપણા કેટલાક સૈનિકો શહીદ થયા. આલ્બર્ટને પણ ગોળી વાગી. તેમ છતાં તેઓ ગોળીબાર કરતા દુશ્મનના બંકર તરફ ગયા. આ દરમિયાન તેમને હાથમાં અને ગરદનમાં ગોળી વાગી તોપણ દુશ્મનોને માર્યા. પાકિસ્તાની સૈનિકો રેલવેની ઊંચી કૅબિનમાં હતા. આલ્બર્ટ ઘાયલ થયા હતા તોપણ તેઓ ઘસડાઈને કૅબિન સુધી પહોંચ્યા અને ગ્રેનેડનો મારો કર્યો. ગોળીબાર વચ્ચે તેઓ કૅબિનની સીડી ચડી ઉપર ગયા અને દુશ્મનોનો સફાયો કર્યો. લોહી વહી જવાથી અશક્તિ આવી હતી તોપણ કૅબિનની બહાર નીકળ્યા. સીડીના પગથિયે પડી જતાં તેમનો નિષ્પ્રાણ દેહ ગબડીને જમીન પર નીચે આવ્યો. બહાદુરી અને હિંમતપૂર્વક દુશ્મનોનો સફાયો કરી સાથી સૈનિકોના જીવ બચાવી શહાદત વહોરનાર આલ્બર્ટ એક્કાને પરમવીરચક્ર (મરણોત્તર) એનાયત કરવામાં આવ્યો છે. ઝારખંડના રાંચીમાં ‘આલ્બર્ટ એક્કા ચૉક’માં તેમનું પૂતળું મૂકવામાં આવ્યું છે.