Categories
વાચન સમૃદ્ધિ

રશ્મિભાઈ ક્ષત્રિય

જ. ૨૧ ફેબ્રુઆરી, ૧૯૨૬ અ. – ઑગસ્ટ, ૧૯૮૬

ગુજરાતના એક આધુનિક ચિત્રકાર અને કલાશિક્ષક. વડોદૃરાના એક મધ્યમવર્ગમાં જન્મેલા રશ્મિની બાર વર્ષની ઉંમર પહેલાં જ માતાપિતા અવસાન પામતાં કાકાએ તેમને ઉછેર્યા. મૅટ્રિક્યુલેશન કર્યા પછી અમદાવાદ ખાતે રવિશંકર રાવળની ચિત્રશાળા ‘ગુજરાત કલાસંઘ’માં વિદ્યાર્થી તરીકે જોડાઈને કલાસાધના આરંભી. એ સાથે સરકારના રેશિંનગ અનાજના ખાતામાં નોકરી શરૂ કરી. પરંતુ સરકારે નોકરીમાંથી કાઢી મૂકતાં સરકારી ઑફિસના ઓટલા પર બેસીને લોકોને વિવિધ અરજીઓ લખી આપીને ગુજરાન ચલાવ્યું તથા કલાસાધના માટેના ખર્ચની જોગવાઈ કરી. ઉદાર રવિશંકર રાવળે પણ તેમને કલાસાધના માટે આર્થિક મદદ કરી. આ જ રીતે અંગ્રેજી સાહિત્યમાં સ્નાતક અને અનુસ્નાતક પદવીઓ પણ પ્રાપ્ત કરી. એ પછી પહેલાં ઉત્તર ગુજરાતના સરઢવ ગામમાં અને પછી અમદાવાદની શેઠ સી.એન. વિદ્યાવિહાર શાળામાં પ્રાથમિક વિભાગમાં ચિત્રકલાના શિક્ષક તરીકે કારકિર્દી શરૂ કરી અને પૂરી કરી. શેઠ સી. એન. વિદ્યાવિહારના નિયામક સ્નેહરશ્મિ(ઝીણાભાઈ દેસાઈ)એ ૧૯૭૩માં વિદ્યાવિહારના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન કરેલું. કેવી રીતે કલાપ્રવૃત્તિ કરવી તે બાબતમાં રશ્મિભાઈ બાળકોને પૂરતી આઝાદી આપતા. કેવી રીતે બાળકોને કલાશિક્ષણ આપવું તે બાબતમાં સ્નેહરશ્મિએ રશ્મિભાઈને પૂરતી આઝાદી અને મોકળાશ આપેલાં. તેઓ બાળકો પાસે કલાના અવનવા પ્રયોગો કરાવતા. રશ્મિભાઈ મૌલિક ચિત્રકાર હતા અને તેમનાં ચિત્રોનાં પ્રદર્શનો રશિયા, ચેક રિપબ્લિક, જર્મની, ઇટાલી, કૅનેડા, જાપાન, બ્રિટનમાં થયેલાં. તેમની મૌલિક કલાનો સૂર હતો – ‘મારાં લોહી અને આંસુથી લખેલી મારા પ્રેમ અને નિરાશાની વેદના.’ તેમને બિલાડાં ખૂબ જ વહાલાં હતાં. તેમણે ઘણી બધી બિલાડીઓ પાળેલી અને રોજેરોજ તેમને જાતે રાંધીને ખવડાવતા. આજીવન એકાકી – અપરિણીત રશ્મિભાઈ કલાશિક્ષક તરીકે નિવૃત્ત થયા પછી ત્રણ માસમાં જ અવસાન પામ્યા.

અમિતાભ મડિયા

Categories
વાચન સમૃદ્ધિ

સરકસ (સર્કસ)

સામાન્ય રીતે વિશાળ ગોળાકાર તંબુમાં  પ્રેક્ષાગારમાં બેઠેલા લોકોના મનોરંજન માટે તેમની વચ્ચેના વર્તુલાકાર પટાંગણમાં હેરતભર્યા જોખમી અંગકસરત તેમ જ અંગસંતુલનના તથા પ્રાણીઓ સાથેના ખેલપ્રયોગો રજૂ કરનારા ખેલબાજો અને હાસ્યજનક ચેષ્ટાઓ તથા પ્રયોગોથી લોકોને રમૂજ કરાવનારા જોકરો વગેરેનું મનોરંજક મંડળ. ખેલપ્રયોગોનું મંચનસ્થળ ગોળાકાર હોવાથી આનું નામ (circle પરથી circus) ‘સરકસ’ પડ્યું. ૧૮મી સદીમાં લંડનમાં ઘોડેસવારી તથા અંગકસરતના ખેલથી સરકસની શરૂઆત થઈ. ત્યારબાદ અમેરિકામાં તેનો ખૂબ વિકાસ થયો અને પ્રેક્ષકો તરફથી તેને સારો પ્રતિસાદ મળતો ગયો. સરકસ માટે મોટા મેદાનમાં કે નદીના પટમાં તંબુ તાણવામાં આવતા. તંબુની વચ્ચે ગોળાકાર મંચ પર સરકસના ખેલ ભજવાતા, જે ગોળાકાર પટાંગણની ફરતે બેઠેલા પ્રેક્ષકો માણતા. સૌપ્રથમ પરેડ થતી. તેમાં કલાકારો મેદાનમાં આવી ચપળતા, સરળતા તથા ઝડપથી અંગસરતના ખેલો બતાવતા. પરેડમાં સરકસનાં બધાં પ્રાણીઓ અને વિદૂષકો પણ જોડાતાં. સમય જતાં સરકસમાં બૅન્ડ ઉમેરાયું. સરકસમાં ઊંચે બાંધેલા ઝૂલાના ખેલ શરૂ થયા. કલાકારો તાલ સાથે પોતાની અંગકલાનો આકર્ષક સુમેળ સાચવી શકતા થયા.

વિદૂષકો(જોકરો)નું વૃંદ પણ સરકસનું એક અનિવાર્ય આકર્ષક અંગ હોય છે. બાળકોને ગમે તેવી વેશભૂષા સાથે વિદૂષકો આવતા હોય છે. મોટા ગોળ નાકવાળો તેમનો ચહેરો પણ બાળકોને રમૂજ પ્રેરે છે. આ વિદૂષકો આડાઅવળા ફરે, હાલતાંચાલતાં પડી જાય, દીવાલ રંગવાને બદલે એકબીજાને રંગી દે, એકબીજાની પાછળ દોડી ધમાચકડી મચાવી જાતભાતની હાસ્યાસ્પદ ચેષ્ટાઓથી આબાલવૃદ્ધ સૌને હસાવતા રહે. વિદૂષકોના ખેલ સરકસમાં સામાન્ય રીતે અંગકસરતના ખેલોમાં વચ્ચે વચ્ચે આવતા હોય છે. દરમિયાન બીજા મહત્ત્વના –મોટા ખેલોની સાજસજાવટ આદિની પૂર્વતૈયારી પણ કરી દેવામાં આવતી હોય છે. વળી વિદૂષક પ્રેક્ષકોને મઝા કરાવવા સાથે પોતાના સાથી ખેલબાજોને મદદ કરવાનું કામ પણ કરતા હોય છે. કોઈ ખેલબાજ જ્યારે ખેલ બતાવે ત્યારે તેને સુરક્ષા આપવાનું કામ પણ વિદૂષક કરતા હોય છે. ૧૮૮૦માં ભારતમાં વિષ્ણુપંત ચાત્રેએ પ્રથમ સરકસ શરૂ કર્યું હતું. તેનું નામ ‘ધ ગ્રેટ ઇન્ડિયન સરકસ’ રાખ્યું હતું. ભારતમાં જૈમિની સરકસ, જંબો સરકસ, પ્રભાત સરકસ, કમલા સરકસ, ગ્રેટ ગોલ્ડન સરકસ વગેરેનાં નામ મોખરે રહ્યાં છે. દક્ષિણ ભારતમાંથી સરકસમાં કામ કરવા માટે ઘણા ખેલકારો આવતા રહ્યા છે. ચીન, રશિયા, પૂર્વ યુરોપ અને અમેરિકામાં પણ સરકસના ખેલ સારી રીતે પ્રચલિત થયેલા છે. સરકસ ઉપર ‘મેરા નામ જોકર’ જેવી કેટલીક ફિલ્મો પણ બની છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સરકસ (સર્કસ), પૃ. 33)

અંજના ભગવતી

Categories
વાચન સમૃદ્ધિ

અરિંવદ બૂચ

જ. ૨૦ ફેબ્રુઆરી, ૧૯૨૦ અ. ૨૮ જુલાઈ, ૧૯૯૮

મજૂર નેતા અરિંવદ બૂચનો જન્મ જૂનાગઢમાં નવરંગલાલ અને લજ્જાબહેનને ત્યાં થયો હતો. તેઓ અગ્રણી ગાંધીવાદી હતા અને મજૂર મહાજન સંઘના પ્રમુખપદે તેમણે સેવાઓ આપી હતી. પુણેની ફર્ગ્યુસન કૉલેજમાંથી ૧૯૪૧માં તેઓ વિજ્ઞાનના વિષય સાથે સ્નાતક થયા. પોરબંદરની મહારાણા મિલમાં જોડાયા બાદ ૧૯૪૨માં તેઓ મજૂર મહાજન સંઘમાં દાખલ થયા. સંઘના સ્થાપક નેતાઓ ખંડુભાઈ દેસાઈ અને શ્યામાપ્રસાદ વસાવડા પાસેથી તાલીમ મેળવી ઘડાઈ ગયા. સમય જતાં તેઓ પ્રમુખપદ સુધી પહોંચી ગયા. ૧૯૮૬ સુધી તે પદે કુશળતાથી સેવાઓ આપી પછી નિવૃત્ત થયા. પરંતુ સંઘની કારોબારી સમિતિએ તેમને પ્રમુખપદ માટે ફરી આમંત્રિત કરતાં ઑગસ્ટ, ૧૯૮૯થી પુન: તેઓ સંઘના પ્રમુખ બન્યા. આ કારકિર્દી દરમિયાન કાપડઉદ્યોગના કામદારોના હિતની સતત ચિંતા સેવી, કાપડઉદ્યોગના માલિકો સામે મજૂરો દ્વારા શાંતિમય લડતો ચલાવી. તેમણે મજૂર મહાજન સંઘને એક આદર્શ ઉદાહરણ સંસ્થા તરીકે વિકસાવી. તેઓ ૩૦ જેટલા કામદાર સંઘોના પણ પ્રમુખ બન્યા. જેમાં કેમિકલ ઉદ્યોગ, કામદાર સંઘ, મીઠાપુર અને ગુજરાત સ્ટેટ ટ્રાન્સપૉર્ટ વર્કર્સ ફેડરેશન ખાસ ઉલ્લેખનીય છે. તે ઉપરાંત તેમણે ઘણાં બધાં ટ્રસ્ટ અને સંસ્થાઓના પ્રમુખ કે ચૅરમૅનપદે પણ સેવાઓ આપી કુશળતા બતાવી હતી. ‘સેવા અને ‘મહિલા બૅન્ક જેવી ઘણી સંસ્થાઓના તેઓ સ્થાપક પ્રમુખ અને ચૅરમૅન રહ્યા હતા. કામદાર સંઘોની કામગીરી માટે તેમણે કુલ ૨૮ વાર વિદેશપ્રવાસ કર્યો હતો. ૫૫ વર્ષની વયે તેમની કારકિર્દીમાં તેઓ સદાયે કામદારોના પડખે ઊભા રહ્યા હતા. જીવનનાં અંતિમ વર્ષોમાં પણ ભારત સરકાર વિરુદ્ધ બંધ મિલોના કામદારોની તરફદારી માટે ૧૨૦૦ દિવસનો ફૂટપાથ સત્યાગ્રહ આદર્યો હતો. મજૂરો માટેની તેમની ઉત્કૃષ્ટ સેવાઓ બદલ તેમને અનેક સન્માનોથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા જેમાં ‘પદ્મશ્રી, ‘મે ડે’, ‘વિશ્વગુર્જરી’ સન્માનનો સમાવેશ થાય છે. ભારતના રાષ્ટ્રપ્રમુખ દ્વારા વિશ્વભારતી યુનિવર્સિટી, શાંતિનિકેતનના સભ્યપદે તેમની નિમણૂક થઈ હતી.

અમલા પરીખ