જ. 1 ડિસેમ્બર, 1924 અ. 18 નવેમ્બર, 1962

ચીન સાથેના યુદ્ધ સમયે અજોડ પરાક્રમ કરનાર મેજર શૈતાનસિંહનો જન્મ જોધપુર જિલ્લાના બંસાર ગામમાં થયો હતો. પિતા લેફ્ટનન્ટ કર્નલ હેમસિંહ અને માતા જવાહરકુંવર. પિતાને બ્રિટિશ સરકારે ઑર્ડર ઑફ ધ બ્રિટિશ એમ્પાયર(OBE)થી સન્માનિત કર્યા હતા. ચોપાસણીની રાજપૂત હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો. જોધપુરની જશવંત કૉલેજમાંથી સ્નાતક થયા. તેઓ સારા ફૂટબૉલ ખેલાડી હતા. સ્નાતક થયા પછી જોધપુર સ્ટેટના દળમાં અધિકારી તરીકે જોડાયા. આઝાદી પછી જોધપુર રાજ્યનું ભારતમાં વિલીનીકરણ થયું, આથી તેમને કુમાઉ રેજિમેન્ટમાં મૂકવામાં આવ્યા. તેમણે 1961માં ‘નાગા હિલ્સ ઑપરેશન’ અને ગોવાના ભારતમાં જોડાણ માટે ‘ઑપરેશન વિજય’માં ભાગ લીધો હતો. તેમને 1955માં કૅપ્ટન અને 1962માં મેજરના પદ પર બઢતી આપવામાં આવી હતી. 1962માં ચીન સાથેના યુદ્ધ વખતે કુમાઉ રેજિમેન્ટની 13મી બટાલિયનની સી કંપની રેઝાંગ લા ખાતે તૈનાત હતી. મેજર શૈતાનસિંહ તેનું નેતૃત્વ કરતા હતા. 18 નવેમ્બર, 1962ની સવારે પાંચ વાગ્યે ચીની લશ્કરે હુમલો કર્યો, જેમાં ઘણા ચીની સૈનિકો માર્યા ગયા. એ પછી સવારે 5:40 વાગ્યે આગળની અને પાછળની બાજુઓથી ચીની સૈનિકોએ ફરી હુમલો કર્યો. આ હુમલામાંથી 7મી અને 8મી પ્લાટૂનના બધા સૈનિકો શહીદ થયા. યુદ્ધ દરમિયાન શૈતાનસિંહ ભારતીય પોસ્ટ વચ્ચે સંકલન કરી સૈનિકોને પ્રોત્સાહન આપતા હતા. ચીની સૈનિકોમાં મોટી સંખ્યા હતી અને ભારતીય જવાનો ઓછા હતા. તેઓ એક પોસ્ટ પરથી બીજી પોસ્ટ પર જતા હતા ત્યારે દુશ્મનની ગોળીથી ઘવાયા. તેમના હાથ અને પગમાં ગોળીઓ વાગી. તેમણે સાથીઓને આગળ વધવા કહ્યું. ભારતીય સૈનિકો છેલ્લી ગોળી અને છેલ્લા શ્વાસ સુધી લડતા રહ્યા. આ યુદ્ધમાં 123 ભારતીય સૈનિકોમાંથી 109 શહીદ થયા. યુદ્ધવિરામ પછી રોઝાંગ લા વિસ્તાર No man’s land જાહેર થયો. ત્રણ મહિના પછી મેજર શૈતાનસિંહ અને સાથી સૈનિકોના બરફથી ઢંકાયેલા મૃતદેહો મળી આવ્યા. તેમના પાર્થિવ દેહને જોધપુર લાવવામાં આવ્યો અને લશ્કરી સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. યુદ્ધમાં તેમણે દર્શાવેલ બહાદુરીભર્યું પરાક્રમ અને ફરજનિષ્ઠા બદલ 1963માં તેમને મરણોત્તર પરમવીરચક્ર એનાયત કરવામાં આવ્યો હતો. તેમની સ્મૃતિમાં તેમના બંસાર ગામનું નામ શૈતાનસિંહનગર કરવામાં આવ્યું.
અનિલ રાવલ

