Categories
વાચન સમૃદ્ધિ

રામચંદ્ર નારાયણ દ્વિવેદી

જ. 6 ફેબ્રુઆરી, 1915 અ. 11 ડિસેમ્બર, 1998

હિન્દી ફિલ્મોના ખ્યાતનામ ગીતકાર રામચંદ્ર દ્વિવેદીનો જન્મ ઉજજૈન જિલ્લાના બડનગરમાં થયો હતો. તેઓ કવિ ‘પ્રદીપ’ના નામથી ખ્યાતનામ છે. તેમના વડવાઓ મૂળ ઉત્તર ગુજરાતના, પરંતુ પ્લેગને કારણે સ્થળાંતર કરી મધ્યપ્રદેશમાં સ્થાયી થયા. તેમનું શાળેય શિક્ષણ ઇન્દોરમાં અને ઉચ્ચશિક્ષણ અલાહાબાદ અને લખનઉમાં થયું. ટીસર્ચ ટ્રેનિંગ કોર્સ કરીને શિક્ષક બન્યા. તેમને કવિતા લખવા અને રજૂ કરવાનો શોખ હતો. તેમણે કવિસંમેલનોમાં શ્રોતાઓને મોહિત કર્યા હતા. મુંબઈમાં યોજાયેલા કવિસંમેલનમાં તેમની કવિતાથી પ્રભાવિત થઈ હિમાંશુ રૉય દ્વારા તેમને ‘કંગન’ ફિલ્મમાં ચાર ગીતો લખવા આપ્યાં જેમાંનાં ત્રણ ગીતો તેમણે ગાયાં હતાં. તેમણે 1500 ઉપરાંત ગીતોની રચના કરી. અનેક ફિલ્મોમાં તેમનાં ગીતો લોકપ્રિય બન્યાં. જેમાં ‘પુનર્મિલન’, ‘બંધન’, ‘ઝૂલા’, ‘કિસ્મત’, ‘મશાલ’, ‘બાપ-બેટી’, ‘નાગમણિ’, ‘તલાક’, ‘નેતાજી સુભાષચંદ્ર બોઝ’, ‘અગ્નિરેખા’, ‘જય સંતોષી મા’, ‘પૈગામ’ અને ‘આંખ કા તારા’ ઉલ્લેખનીય છે. તેમનાં અનેક ગીતો લોકહૈયે વસી ગયાં હતાં. જેમાં ‘આઓ બચ્ચો તુમ્હેં દિખાયેં ઝાંકી હિન્દુસ્તાન કી’, ‘હમ લાયે હૈ તૂફાન સે કશ્તી નિકાલ કે’, ‘ઇન્સાફ કી ડગર પે બચ્ચોં દિખાઓ ચલકે’, ‘દે દી હમેં આઝાદી બિના ખડ્ગ બિના ઢાલ’, ‘પિંજરે કે પંછી રે’ જેવાં ગીતો આજે પણ એટલાં જ લોકપ્રિય છે. ‘કિસ્મત’ ફિલ્મના ગીતની ‘હિંદોસ્તાં હમારા હૈ’, પંક્તિમાં ‘ભારત છોડો’ ચળવળનો ધ્વનિ માલૂમ પડતાં અંગ્રેજ સરકારે તેમને પકડવા વૉરન્ટ કાઢ્યું હતું, પરંતુ તેઓ ભૂગર્ભમાં જતા રહ્યા. 1962ના ભારત-ચીન યુદ્ધમાં પરમવીર મેજર શૈતાનસિંહ ભાટીના બલિદાનથી પ્રભાવિત થઈ તેમણે ‘એ મેરે વતન કે લોગો’ ગીત લખ્યું એ ગીતથી તેમને ‘રાષ્ટ્રકવિ’નું સન્માન મળ્યું. તેમણે એ ગીતની રૉયલ્ટી ‘યુદ્ધ વિધવા ભંડોળ’માં આપી હતી. કવિ પ્રદીપને અનેક ઍવૉર્ડોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. બંગાળ ફિલ્મ જર્નાલિસ્ટ ઍસોસિયેશનનો શ્રેષ્ઠ ગીતકાર અને શ્રેષ્ઠ પાર્શ્વગાયક તરીકેનો ઍવૉર્ડ, ભારત સરકારનો શ્રેષ્ઠ ગીતકાર તરીકેનો ઍવૉર્ડ, સૂરસિંગાર ઍવૉર્ડ, રાષ્ટ્રીય એકતા ઍવૉર્ડ, સંગીત નાટક અકાદમી પુરસ્કાર, સંસ્કૃતિ સંબંધ પુરસ્કાર, દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડ વગેરે તેમને મળ્યા હતા. ભારતીય ટપાલ વિભાગે તેમની સ્મૃતિમાં પાંચ રૂપિયાની ટપાલટિકિટ બહાર પાડી હતી.

Categories
વાચન સમૃદ્ધિ

હેલિકૉપ્ટર

જમીન પરથી સીધું હવામાં ઉપર જઈ શકે અને હવામાંથી સીધું જ નીચે જમીન પર ઊતરી શકે તેવું હવાઈ જહાજ. હેલિકૉપ્ટર સામાન્ય વિમાન કરતાં કેટલીક રીતે અલગ છે. તે સામાન્ય વિમાન જેટલું ઝડપી હોતું નથી. તે ઘોંઘાટ વધુ કરે છે. વળી તે કદમાં નાનું હોવાથી તેમ જ તેને ઉડાણપટ્ટી(runway)ની જરૂર ન હોવાથી તે અનુકૂળ ઘાસિયા મેદાન પર, રસ્તા પર, ઑફિસ કે મકાનોની અગાસી પર પણ ઉતરાણ કરી શકે છે. હેલિકૉપ્ટર મર્યાદિત સંખ્યામાં જ વ્યક્તિઓને બેસાડી શકે છે. તે વિમાન જેટલી ઊંચાઈએ ઊડી શકતું નથી. હેલિકૉપ્ટરની સૌપ્રથમ કલ્પના કરનાર હતા ઇટાલીના લિયૉનાર્દો-દ-વિન્સી (Leonardo-da-Vinci). ઇજનેરી દૃષ્ટિએ પણ તેને કેમ ઉડાડી શકાય તેની યોજના તેમણે વિચારેલી. ૧૯૩૭માં જર્મનીમાં હીનરિક ફૉર્કે બે પરિભ્રામકવાળું હેલિકૉપ્ટર બનાવ્યું હતું. ૧૯૩૯માં ઇગોર સિકૉરસ્કીએ પ્રમાણમાં નાનું પણ નિયંત્રણમાં રાખી શકાય તેવું એક પરિભ્રામકવાળું હેલિકૉપ્ટર બનાવેલું. તેના પરથી આધુનિક હેલિકૉપ્ટરો વિકાસ પામ્યાં.

હેલિકૉપ્ટર

સામાન્ય વિમાનમાં જોવા મળતી પાંખોને બદલે હેલિકૉપ્ટરમાં ઉપરના ભાગે ઊભા દંડ પર ગોઠવેલાં લાંબાં પાતળાં પાંખિયાં(blades)વાળો પંખો કે પરિભ્રામક(rotor) હોય છે. હેલિકૉપ્ટરનું એન્જિન પાંખિયાંને ગોળ ગોળ ફેરવે છે, જેને લીધે તે કેટલીક હવાને નીચેની તરફ ધકેલે છે અને હેલિકૉપ્ટર ઉપરની તરફ ઊંચકાય છે. હેલિકૉપ્ટરનું ઉત્પ્રસ્થાન (take-off) કરાવવા માટે પાઇલટ પાંખિયાંને નમાવે છે. આને લીધે પાઇલટ તેને હવામાં એક ઠેકાણે સ્થિર રાખી શકે છે, આમતેમ ઘુમાવી શકે છે અથવા નીચે ઉતારી પણ શકે છે. આગળ વધવા માટે તે પાંખિયાં એવી રીતે નમાવે છે કે હવા પાછળ તેમ જ નીચેની તરફ ધકેલાય. હેલિકૉપ્ટરની પૂંછડીના ભાગે પણ એક ફરતો પરિભ્રામક હોય છે જે હેલિકૉપ્ટરને મુખ્ય પરિભ્રામકથી વિરુદ્ધ દિશામાં ફરતું અટકાવે છે અને સમતોલન આપે છે. હેલિકૉપ્ટરના આગળના ભાગમાં યંત્રો તથા નિયંત્રણ-કૅબિન હોય છે. તેમાં પાઇલટ બેસે છે. તે પહોંચી ન શકાય તેવી જગ્યાએથી માણસો અને સાધનોના પરિવહન માટે, બે ગામોની વચ્ચે કે હવાઈ મથકો વચ્ચે અવરજવર માટે, લશ્કરમાં સૈન્ય કે શસ્ત્રોની હેરફેર માટે તથા અન્નનો પુરવઠો પહોંચાડવા માટે ઉપયોગી છે. યુદ્ધમાં ઘવાયેલા સૈનિકોને તાત્કાલિક સહીસલામત જગ્યાએ કે હૉસ્પિટલમાં પહોંચાડવા માટે હેલિકૉપ્ટર વધુ સગવડભર્યું નીવડે છે. તે હવામાં ઉપર-નીચે, આગળ-પાછળ, આજુ-બાજુ જઈ શકે છે અને હવામાં સ્થિર પણ રહી શકે છે; આથી પર્વતો, ખીણો, દરિયામાં કે નદીના પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે તે ઉપયોગી છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-10, હેલિકૉપ્ટર, પૃ. 194)

Categories
વાચન સમૃદ્ધિ

વસંતરાવ કપ્તાન

જ. 5 ફેબ્રુઆરી, 1905 અ. 25 સપ્ટેમ્બર, 1974

જાણીતા વ્યાયામપ્રવર્તક, વડોદરામાં ગુજરાત ક્રીડામંડળ સંસ્થાના સ્થાપક અને સંચાલક તથા સરદાર પટેલ યુનિવર્સિટી(વલ્લભવિદ્યાનગર)ના ભૂતપૂર્વ શારીરિક શિક્ષણ-નિયામક વસંતરાવનો જન્મ વડોદરામાં મરાઠી કુટુંબમાં થયો હતો. વડોદરામાં તાત્યાસાહેબ સહસ્રબુદ્ધેના શિષ્ય અને નારાયણ ગુરુની પરંપરાની કુસ્તીના તે પારંગત હતા. તેમણે પુણેના ડેક્કન જિમખાનામાં તથા વડોદરાના હિન્દવિજય જિમખાનામાં કુસ્તીનાં દંગલોમાં ભાગ લીધો હતો અને ભારે નામના પણ મેળવી હતી. મોટી ઉંમરે અમેરિકાના સ્પ્રિંગફિલ્ડની શારીરિક શિક્ષણ કૉલેજમાં અભ્યાસ કરી અનુસ્નાતકની ઉપાધિ પણ પ્રાપ્ત કરી હતી. તેમણે વડોદરામાં ગુજરાત ક્રીડામંડળ નામની રમત-સંસ્થા સ્થાપી હતી. આ ઉપરાંત તેઓ ‘કપ્તાન’ નામનું માસિક ચલાવતા હતા. તેમના દૃઢ સંકલ્પબળે અનેક પ્રતિકૂળ સંજોગો હોવા છતાં 1936માં બર્લિન ખાતે, 1948માં લંડનમાં વેમ્બ્લી ખાતે તથા 1966માં મેક્સિકો ખાતે યોજાયેલી વિશ્વ ઑલિમ્પિક રમતોનું નિરીક્ષણ કરવા પહોંચી ગયા હતા અને તેમાંથી ઘણી ઉપયોગી બાબતો અપનાવી હતી. તેઓ અપરિણીત રહીને દેશી વ્યાયામ અને રમતોના પ્રસાર અને વિકાસ માટે અવિરત કાર્યરત રહ્યા હતા. ભારતીય આદર્શ અનુસાર વ્યાયામ અને અધ્યાત્મનો વિરલ સુમેળ તેમના જીવનમાં જોવા મળે છે. તેઓ રામાયણની સંગીતમય કથાની અત્યંત હૃદયંગમ રજૂઆત કરી શકતા. દેશી વ્યાયામ અને રમતોના પ્રસાર અને વિકાસમાં બહુમૂલ્ય ફાળો નોંધાવવા બદલ તેમના અવસાન બાદ વડોદરા મહાનગરપાલિકાએ રાજમહેલ રોડથી પોલો ગ્રાઉન્ડ તરફ જતા માર્ગને ‘વસંતરાવ કપ્તાન માર્ગ’ નામ આપી તેમના પ્રદાનની સ્મૃતિ કાયમ રાખી છે.