Categories
વાચન સમૃદ્ધિ

હરડે

દ્વિદળી વર્ગમાં આવેલી ઔષધીય ગુણ ધરાવતી એક વનસ્પતિ.

હરડે દેશી ઔષધિઓમાં સૌથી વધુ જાણીતી છે. તેને હિન્દીમાં ‘હરડ’, ‘હડ’ કે ‘હર્રે’ કહે છે. સંસ્કૃતમાં ‘હરીતકી’ કહે છે. હરડેનાં વૃક્ષો ભારતમાં સર્વત્ર થાય છે. ખાસ કરીને હિમાલયના નીચેના વિસ્તારોમાં રાવીથી પૂર્વ-પશ્ચિમ બંગાળ તેમ જ આસામમાં પંદરસો ચોવીસ મીટરની ઊંચાઈ સુધીમાં તે થાય છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને દક્ષિણ ભારતની  ટેકરીઓ પર તે નાના વૃક્ષ સ્વરૂપે મળે છે. પંજાબના કાંગડા અને અમૃતસર વિસ્તારમાં સારી હરડે થાય છે. હરડેનાં વૃક્ષો આશરે ૧૫થી ૨૪ મીટરની ઊંચાઈનાં જોવા મળે છે. તેનાં વૃક્ષો ભરાવદાર હોય છે. હરડેનાં પાન સાદાં, એકાંતરિક, ૭થી ૨૦ સેમી. લાંબાં, ૫-૧૦ સેમી. પહોળાં અને અંડાકાર હોય છે. પર્ણદંડની ટોચ ઉપર મોટી ગ્રંથિઓની એક જોડ આવેલી હોય છે. પુષ્પો નાનાં, આછાં પીળાં, સફેદ ધાવડીના પુષ્પના આકારનાં હોય છે. ફળ ૨.૫૪ સેમી.થી ૫ સેમી. લાંબું અને ખૂબ જ મજબૂત હોય છે; જેના ઉપર પાંચ ઊપસેલી ધાર હોય છે. કાચાં ફળો લીલા રંગનાં હોય છે અને પાકી ગયા પછી પીળાં સોનેરી રંગનાં થઈ જાય છે. ફળો વિવિધ આકારનાં જોવા મળે છે. ઔષધોમાં હરડેની છાલનો ઉપયોગ થાય છે. છાલ કાઢતાં તેમાંથી ઠળિયો નીકળે છે. તે ઠળિયામાં પણ નાનું લાંબું મીંજ હોય છે. હરડેનાં નાનાં નાનાં ખરી ગયેલાં ફળો કાળા રંગનાં અને લાંબી ગોળ ધારોવાળાં હોય છે, જે હીમજ તરીકે ઓળખાય છે. એપ્રિલ-મે મહિનામાં નવાં પાન અને પુષ્પો આવે છે. ઠંડીની ઋતુમાં ફળો લાગે છે. જાન્યુઆરીથી એપ્રિલ મહિનામાં ફળોનો સંગ્રહ કરી લેવામાં આવે છે. ખરી ગયેલાં નાનાં ફળો – હીમજ ખૂબ જ રેચક અને તીક્ષ્ણ હોય છે. ભારતીય ઔષધકોશમાં છ પ્રકારની હરડે છે, પણ વ્યાવહારિક દૃષ્ટિએ હરડેની ત્રણ જાત મળે છે : ૧. નાની હરડે કે હીમજ, ૨. પીળી હરડે અને ૩. મોટી હરડે કે કાબુલી હરડે.

હરડે

આયુર્વેદની દૃષ્ટિએ હરડે અત્યંત ઉપયોગી હોવાથી તેને સંસ્કૃતમાં ‘नास्ति यस्य गृहे माता तस्य माता हरीतकी ।’ (‘જેના ઘરે નથી માતા, તેની માતા હરીતકી.’) – એ રીતે વર્ણવાય છે. હરડેમાં ખારા રસ સિવાય બાકીના પાંચેય રસ હોય છે. ગુણમાં તે હળવી, રુક્ષ, વિપાકે મધુર અને પ્રભાવથી ત્રિદોષહર છે. જોકે વિશેષભાવે તે કફદોષ દૂર કરનાર છે. તેનો લેપ સોજા, પીડા અને ઘા મટાડી તેને રૂઝવે છે. તે રક્તસ્રાવ પણ બંધ કરે છે. આ ઉપરાંત તે ખોરાકને પચાવવામાં, બુદ્ધિ વધારવામાં તથા આંખના રોગ મટાડવામાં મદદ કરે છે. હરડેના વૃક્ષનું લાકડું ખાસ મૂલ્યવાન નથી, પણ તેનો ઉપયોગ બાંધકામ માટે અને સ્તંભ તથા પાટડા તરીકે થાય છે. તે ગાડાંમાં મુખ્યત્વે માળખાં, ધરીઓ કે દંડ બનાવવામાં ઉપયોગી થાય છે. કેટલીક વાર તેનો ઉપયોગ હોડીઓ અને રેલવેના વૅગનનું તળિયું બનાવવા માટે પણ થતો હોય છે. આયુર્વેદમાં સૌથી જાણીતી ત્રિફળાની ઔષધિમાં હરડે, બહેડાં અને આંબળાંનું મિશ્રિત ચૂર્ણ હોય છે.

ગુજરાત બાળવિશ્વકોશ ગ્રંથ-10 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

કૅપ્ટન ગુરુબચનસિંહ સલારિયા

જ. 29 નવેમ્બર, 1935 અ. 5 ડિસેમ્બર, 1961

શહીદ કૅપ્ટન ગુરુબચનસિંહ સલારિયાનો જન્મ હાલ પાકિસ્તાનમાં આવેલ જનવલ ગામે થયો હતો. માતા ધનદેવી અને પિતા મુન્શીરામ. પિતા બ્રિટિશ હિંદની સેનામાં હતા. પિતા દ્વારા લશ્કરી વાતો સાંભળી બાળક ગુરુબચનસિંહમાં દેશપ્રેમના સંસ્કાર દૃઢ થયા. 1946માં બૅંગાલુરુની કિંગ જ્યોર્જ રૉયલ મિલિટરી કૉલેજમાં પ્રવેશ મળ્યો. બીજા વર્ષે કૉલેજની જલંધર શાખામાં દાખલ થયા. ઘરની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તેમણે સંરક્ષણ મંત્રાલયને ફી માફી માટે પત્ર લખ્યો. માફી મંજૂર થતાં અભ્યાસખર્ચમાંથી મુક્તિ મળી. 1956માં નૅશનલ ડિફેન્સ એકૅડેમીમાં અને ત્યાર પછી ઇન્ડિયન મિલિટરી એકૅડેમીમાં અભ્યાસ કર્યો. તેઓ 1લી ગોરખા રાઇફલ્સની 3જી બટાલિયનમાં જોડાયા. 1961માં તેમને સંયુક્ત રાષ્ટ્રના ઑપરેશનના ભાગ રૂપે કોંગો પ્રજાસત્તાકમાં મોકલવામાં આવ્યા. 5 ડિસેમ્બર, 1961ના રોજ કટાંગાના સશસ્ત્ર અલગતાવાદીઓએ એલિઝાબેથવિલે ઍરપૉર્ટ જવાના રસ્તાની નાકાબંધી કરી. આ નાકાબંધી દૂર કરવાનું કામ સલારિયા અને 15 જવાનોની ટીમને સોંપવામાં આવ્યું. બપોરે દુશ્મનોએ ગુરુબચનસિંહની આલ્ફા કંપની પર ગોળીબાર શરૂ કર્યો. દુશ્મનોને રોકવા તેઓ રાઇફલ લઈને દુશ્મનો પર તૂટી પડ્યા અને સાથીઓને લડવા માટે પ્રોત્સાહન આપતા રહ્યા. તેમને ગરદનમાં ગોળી વાગી તેમ છતાંય તેઓ અટક્યા નહીં. દુશ્મનની ખાઈ સુધી પહોંચી ગયા. કેટલાકને રાઇફલના છરાથી તો કેટલાકને ખુકરીથી માર્યા. પછી તેઓ આગળ વધ્યા. ગોળીથી ઘાયલ થતાં ઘણું લોહી વહી જવાથી તેઓ ઢળી પડ્યા. તેમણે તેમના 15 સાથી જવાનો સાથે 90 જેટલા દુશ્મનોમાંથી 40ને માર્યા. દુશ્મનની બે કારનો ખાતમો કર્યો. તેઓ છેલ્લા શ્વાસ સુધી લડતા રહ્યા. પોતાના જીવની પરવા કર્યા વિના ફરજનું પાલન કરવા શહાદત વહોરનાર ગુરુબચનસિંહને ભારત સરકાર દ્વારા 1962માં પરમવીરચક્ર (મરણોત્તર) એનાયત કરવામાં આવ્યો.

Categories
વાચન સમૃદ્ધિ

આ તો ‘ઇઝી લાઇફ’ કે ડેડ લાઇફ !

આધુનિક માનવી ‘ઇઝી લાઇફ’ની શોધમાં નીકળ્યો છે. એ વારંવાર ‘ઇઝી લાઇફ’ માટે પ્રયત્ન કરતો જોવા મળે છે, પણ હકીકતમાં તો જેણે ‘ઇઝી લાઇફ’ જોવી છે, એણે કબ્રસ્તાનને જોવાની જરૂર છે. આવું જીવન કબ્રસ્તાનમાં સૂતેલા માણસોમાં છે, જીવંત માણસોમાં નહીં. ‘ઇઝી’ એટલે શું ? જેમાં સવાર પડે અને સાંજ પડે અને પછી રાત પડે ને વળી દિવસ ઊગે. મોજ અને મસ્તીમાં માનનારી આ ‘ઇઝી લાઇફ’ પાસે જીવનનો કોઈ ઘાટ હોતો નથી અને ઘાટના અભાવે એની પાસે કોઈ મૂલ્ય હોતું નથી. આવી વ્યક્તિ કશી પ્રાપ્તિમાં માનતી નથી. મહેનત કરવી એને ગોઠતી નથી અને મથામણથી સદૈવ દૂર ભાગે છે. સગવડ એનું સર્વસ્વ હોય છે. અનુકૂળતા એની અવિરત શોધ હોય છે. સ્થૂળ આનંદ એ એનું શ્રેષ્ઠ મનોરંજન હોય છે. આનો અર્થ જ એ કે કશાય પડકાર વિનાની જિંદગી એટલે ‘ઇઝી લાઇફ’, પણ પાયાનો સવાલ એ છે કે જ્યાં કોઈ પડકાર કે સંઘર્ષ ન હોય, ત્યાં જીવનનું કેન્દ્ર બંધાતું નથી. જીવનનું સત્ત્વ તો સંઘર્ષ વચ્ચે જ બંધાય છે. મુશ્કેલીઓ જ એની માણસાઈની અગ્નિપરીક્ષા બને છે. ઝંઝાવાતો પાર કરીને આગળ આવનાર જ પરિવર્તન સર્જી શકે છે. હાથ-પગ જોડી બેઠા બેઠા સુખેથી જિંદગી કાઢનાર પાસે મસ્તી, શક્તિ કે માનવતા નહીં જડે. આજની આધુનિક જીવનપદ્ધતિએ ખાવું, પીવું અને મસ્તીથી જીવવું એટલે જીવન – એવી વ્યાખ્યા કરી છે, પરંતુ આ પ્રકારના જીવનમાં વિચારોની દૃઢતા હોતી નથી. ધ્યેય માટેનું સમર્પણ હોતું નથી. હકીકત એ છે કે જે જીવનમાં પ્રયત્ન કે પુરુષાર્થ નથી, વિચારો કે આદર્શો નથી, એ જીવન જીવન નથી. માત્ર ખોખલું અસ્તિત્વ છે. તફાવત એટલો કે આવી વ્યક્તિ મૃત બનીને કબ્રસ્તાનમાં સૂતી હોતી નથી, પરંતુ મૃત બનીને ચાર દીવાલો વચ્ચે વસતી હોય છે.