Categories
વાચન સમૃદ્ધિ

સફળતાનું નિવાસસ્થાન

કહેવાય છે કે ભાગ્ય જ મનુષ્યની સફળતા-નિષ્ફળતાનો શિલ્પી છે, પણ હકીકતમાં વ્યક્તિ પોતે જ પોતાની સફળતાનો શિલ્પી છે. એનો મર્મ એટલો કે સફળતા એ બાહ્ય યશોગાનમાં નથી, કિંતુ આંતરિક પ્રસન્નતામાં છે. મોટે ભાગે માનવી પોતાની સફળતા પારકાના અવાજમાં સાંભળવા ચાહે છે, પરંતુ એનો અર્થ તો એ થાય કે તમે આકરી મહેનત કરીને મેળવેલી તમારી સફળતા પર બીજાનો ‘કૉપીરાઇટ’ છે. જો એ તમારી પ્રશસ્તિ કરે, તો જ તમે પોતાની જાતને સફળ થયેલી માનો છો. આ વિશ્વમાં સફળ થનારી વ્યક્તિઓનો ભવ્ય ઇતિહાસ છે, પણ સવાલ એ જાગે છે કે એમને પ્રાપ્ત થયેલી સફળતાનો બાહ્ય આનંદ કેટલો ટક્યો હતો ? કેટલા લાંબા સમય સુધી એ સફળતાની શરણાઈ અને ઢોલ-નગારાના અવાજો એને સાંભળવા મળ્યા હતા ? આવી પારાવાર સફળતાનો હકીકતે અંત કેવો આવ્યો, તેને માટે સિકંદર, નેપોલિયન કે હિટલરના જીવનને જોવું જોઈએ અને ખ્યાલ આવશે કે સફળતા કેટલી ક્ષણજીવી અને અલ્પાયુષી હોય છે. એ સફળ વ્યક્તિના નિવાસસ્થાને એકાદ વર્ષ પછી મુલાકાત લેશો તો એ સફળતાની સ્મૃતિઓ સાવ જરી-પુરાણી થઈ ગઈ હશે. એક જમાનામાં એ સફળ વ્યક્તિનો ચોતરફ ડંકો વાગતો હતો, પણ જમાનો પલટાતાં એના સ્વજનો જ એને ભૂલી ગયા હશે. ગુજરાતના સુપ્રસિદ્ધ સાહિત્યકારની પ્રથમ પુણ્યતિથિએ યોજાયેલી સભામાં આયોજકો સિવાય સમ ખાવા માટે પણ કોઈ સાહિત્યકાર નજરે પડ્યા નહીં. હકીકતમાં તમારી સફળતાનું નિવાસસ્થાન તમારું હૃદય છે. ઉદારતા, સેવાભાવ અને આત્મવિશ્વાસથી તમે પોતે તમારું જે મૂલ્ય આંકો છો, એના પર તમારી સફળતા ટકેલી છે. બીજી વ્યક્તિઓ તમે સફળતા પામ્યા છો, એવાં યશોગાન ગાતી રહે એવી ઘેલછા રાખવાને બદલે તમારા ભીતરમાં એ સફળતાનો આનંદ માણવો જોઈએ. બીજાના સન્માન કરતાં પોતાના ભીતરનું સન્માન વિશેષ મહત્ત્વનું છે અને તેથી એ સફળતાનો પારાવાર આનંદ તમારા ભીતરમાં કેટલો છલકે છે, એના પર તમારી સફળતાનો આધાર છે.

Categories
વાચન સમૃદ્ધિ

મેબલ અરોલે

જ. 26 ડિસેમ્બર, 1935 અ. 1999

મેડિકલ ડૉક્ટર મેબલ અરોલેનો જન્મ જબલપુરમાં થયો હતો. અરોલે પિતા રાજપ્પાનનું બીજું સંતાન હતી. તેના પિતા ન્યૂ ટેસ્ટામેન્ટ ગ્રીકના પ્રોફેસર હતા અને માતા બીઆટ્રાઇસ ગુનારત્ન પિલ્લાઈ હતાં. મેબલનાં લગ્ન રજનીકાંત અરોલેની સાથે થયાં હતાં. ક્રિશ્ચિયન મેડિકલ કૉલેજ, વેલોરમાં તેની મુલાકાત રજનીકાંત સાથે થઈ હતી. 1959માં તેઓ બંને સાથે ગ્રૅજ્યુએટ થયાં અને પોતાની જિંદગી ગરીબ લોકોની સંભાળ કરવા માટે વિતાવવાનો નિર્ણય કર્યો. તેઓ બંનેએ વડાલામાં આવેલ મિશન હૉસ્પિટલમાં 1962થી 1966 સુધી કામ કર્યું. ત્યારબાદ તેઓ ચાર વર્ષ માટે ફુલબ્રાઇટ સ્કૉલરશિપ સાથે મેડિસિન અને સર્જરીમાં રેસિડન્સી ટ્રેનિંગ લેવા માટે જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે ગયાં. ત્યાં જનસમૂહના આરોગ્ય માટેના આગેવાન એવા કાર્લ ટેલરની દોરવણી હેઠળ ભારતના ગરીબ લોકો માટેના પ્રાથમિક આરોગ્ય અને વિકાસ માટે તૈયાર થયાં. અભ્યાસ પૂરો થતાં જ તેઓ ભારત પાછાં આવ્યાં પછી એક દુષ્કાળગ્રસ્ત તાલુકો જામખેડમાં કામ કરવાનું નક્કી કર્યું. શરૂઆતમાં તેમણે કુલ 10,000 વસ્તીવાળાં આઠ ગામોમાં કામ શરૂ કર્યું. આ પ્રોજેક્ટનાં પ્રથમ 25 વર્ષમાં તેઓએ 2,50,000 લોકોને આવરી લીધા. ધીમે ધીમે તેઓએ 178 ગામોમાં કામ કર્યું જેનાં પરિણામો ખૂબ આશ્ચર્યજનક હતાં, કારણ કે બાળકોનો મૃત્યુદર 1000 બાળકોમાંથી 176થી ઘટી 23 જેટલો થઈ ગયો. આ ઉપરાંત બીજાં પરિણામો આરોગ્યમાં સુધારો દર્શાવતાં હતાં. સુવાવડી સ્ત્રીઓના આરોગ્ય અને બાળકોનાં કુપોષણનો દર એક ટકાથી ઓછો હતો. 40 વર્ષ સુધી તેઓએ 300 ગામોમાં લગભગ 50,000 લોકોને સેવાઓ આપી. આ પ્રોજેક્ટનો લાભ લગભગ દસ કરોડ લોકોએ લીધો હતો. મેબલને રેમન મેગ્સેસે ઍવૉર્ડ મળેલો છે.

Categories
વાચન સમૃદ્ધિ

તાડ

વનસ્પતિના એકદળી વર્ગમાં આવેલા એરિકેસી કુળની એક જાતિનું વૃક્ષ. તેનું વૈજ્ઞાનિક નામ Borassus flabellifer. (બં. તાલ; ગુ. તાડ; હિં. તાડ, તાલ, તારકા ઝાર; મ. તાડ; તે. તાડીચેટ્ટુ; ત. પનાર્થ; ક. તાલે; મલ. પાના; અં. palmyra palm) છે. તેની બીજી ચાર જાતિઓ થાય છે. તે આફ્રિકાનું મૂલનિવાસી છે અને તેનો ફેલાવો ઉષ્ણકટિબંધના પ્રદેશોમાં થયેલો છે. ભારતમાં તેની એક જ જાતિ થાય છે. તેનું શુષ્ક વિસ્તારોમાં ખાસ વિસ્તરણ થયેલું છે. તે સામાન્ય રીતે 10થી 20 મીટર ઊંચું વૃક્ષ છે; પરંતુ કેટલીક જગ્યાએ 30 મીટર જેટલી મહત્તમ ઊંચાઈ ધરાવે છે. તે શાખારહિત કાળા રંગનું પ્રકાંડ ધરાવે છે. પ્રકાંડ પર ચિરલગ્ન (persistent) પર્ણતલો જોવા મળે છે. ટોચ ઉપર નજીક ગોઠવાયેલાં 30થી 40 પર્ણોનો (પર્ણ)મુકુટ (crown) હોય છે. પર્ણો મોટા કદનાં 1.0થી 1.5 મીટર પહોળાં પંખાકાર હોય છે. તે દ્વિગૃહી વનસ્પતિ હોવાથી નર અને માદા વૃક્ષો અલગ અલગ થાય છે. તેનાં પાકાં ફળ (તાડગુલ્લાં) અષ્ઠિલ જાંબલી કાળા રંગનાં, 15થી 20 સેમી. વ્યાસનાં, ગોળાકાર, રેસામય મધ્ય ફલાવરણ ધરાવતાં હોય છે. દરેકમાં બેથી ત્રણ બીજ હોય જે ગલેલી કે તાડફળી તરીકે જાણીતાં છે. કુમળી ગલેલી પારદર્શક કાચ જેવી સફેદ, નરમ જેલી જેવી તથા અંદર મીઠું પાણી ધરાવતી પોષક સ્વાદિષ્ટ વસ્તુ તરીકે ખવાય છે. પરંતુ પાકી જતાં ગલેલી કઠણ અને સફેદ રંગની બની જાય છે.

તાડનું વૃક્ષ અને તેનાં અંગો : પ્રકાંડ, ફળ સાથે શાખા, ફળ, બી

તાડના પ્રકાંડની ટોચના ભાગે પર્ણો નજીક નીચેના ભાગે છેદન કરીને તેમાંથી રસ મેળવવામાં આવે છે, જે નીરો તરીકે ઓળખાય છે. માદા વૃક્ષમાંથી રસનો ઉતાર નરવૃક્ષ કરતાં 50% જેટલો વધારે હોય છે. નીરો પારદર્શક, મીઠો, સ્વાદિષ્ટ, રુચિકર સુગંધ ધરાવતો રસ છે. તે પૌષ્ટિક પીણું છે. નીરામાં આથો ચડવાની પ્રક્રિયા તરત શરૂ થઈ જાય છે અને તાપમાન વધે તેમ તે વધે છે. આથી નીરાને નીચા ઉષ્ણતામાને રાખવો જરૂરી છે. તાજા નીરાનું સેવન વધુ ઉચિત ગણાય છે. આથો ચડેલો નીરો તાડી તરીકે ઓળખાય છે. તાડી સ્વાદમાં ખાટી લાગે છે. વધુ સમય જતાં તાડીમાં અમ્લનું પ્રમાણ વધવા લાગે છે અને મદ્યાર્કનું પ્રમાણ ઘટતું જાય છે. તેથી વધુ સમય આથો ચડેલી તાડી આરોગ્યને નુકસાનકારક હોઈ મનુષ્યના વપરાશ માટે યોગ્ય નથી. આમ, તાડના વૃક્ષના ઘણા ઉપયોગો હોવાથી તેને કલ્પવૃક્ષ ગણવામાં આવે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8, તાડ, પૃ. 761 અથવા જુઓ https://gujarativishwakosh.org/તાડ/)