પકવેલી માટી કે માટીના વિવિધ ઘાટ. પલાળેલી માટી ગૂંદીને તેમાંથી હાથ, ચાકડો અને બીબાની મદદથી ઠામવાસણ, રમકડાં વગેરેને પકાવીને તૈયાર કરાય તે પકવેલી માટીનાં રમકડાં–ઘાટ તે ટેરાકોટા. ભારતમાં ‘ટેરાકોટા’(સં. धाराकूट)ની પરંપરા આશરે પાંચેક હજાર વર્ષ જેટલી પ્રાચીન છે. ટેરાકોટા નદીકાંઠાની સંસ્કૃતિ, નદીનો દોઆબ અને જ્યાં રસળતી માટી મળી શકે ત્યાં વિશેષ પ્રકારે થયા છે. ભારતમાં ટેરાકોટાના રમકડાં-ઘાટ ઘડવાની પરંપરા વાયવ્યના બલૂચિસ્તાન, ઝોબ તેમજ કુલ્લીની અસરથી શરૂ થયેલ છે. તેમાં ઊઘડતી સંસ્કૃતિમાં ‘માતૃત્વ’ આપનાર એવી ‘દિગંબરાદેવી’ અને ગોમાતાને ફળાવનાર એવા ‘વૃષભ’ના અનેક ઘાટ ઘડાયા છે. હડપ્પા સંસ્કૃતિમાં ટેરાકોટા : પૂર્વ હડપ્પા પરંપરાના ટેરાકોટા વાયવ્યમાં માલધારી, ખેડૂત તેમજ કુંભકારના હાથે ઘડાયા હોય તેવા નાના નાના ઘાટ રૂપે મળ્યા છે. ઉત્તરકાલીન પરંપરામાં માતૃકા, આખલો વગેરે ઘડાયા છે. નારીના ઘાટ પર આંખ, નાક, હોઠ અને સ્તન તેમજ ઘરેણાં વાટા વણીને ચોંટાડાયેલ છે. હડપ્પામાંથી નારીના પુષ્કળ ટેરાકોટા મળ્યા છે તો પુરુષની માત્ર એક જ આકૃતિ મળી છે. તે ઉપરાંત પંખી, પશુ જેવાં કે વાનર, બકરો, ગેંડો, હાથી, સૂવર, સિંહ અને ખૂંધ વગરનો તેમજ ખૂંધવાળો એવા બે પ્રકારના વૃષભ મળ્યાં છે. સર્જનાત્મક રમકડાંમાં માથું હલાવે તેવું પંખી, કૂકડો, મોર, પોપટ, ગાડું તેમજ સિસોટી છે.

ગુજરાતમાં લોથલના ઉત્ખનનમાંથી પણ સીધા સરળ હાથે ઘડેલાં તેમજ સર્જનાત્મક ઘાટનાં આખલો, ગાય, ઘેટું, ભુંડ, ગેંડો વગેરે મળ્યાં છે. અહીંથી વિશેષ રૂપે પશુના ઘાટ મળ્યા છે, તે સિંધુ ઘાટી કરતાં કુલ્લી સંસ્કૃતિ સાથે વધારે સામ્ય ધરાવે છે. ઈ. સ. પૂ. ૧૯૦૦થી ૧૩૦૦ અનુહડપ્પા કાળ માટે એવું મનાતું હતું કે આ સમયગાળો અંધકારયુગ છે, પણ નવા સંશોધનથી જાણવા મળ્યું છે કે મધ્ય પશ્ચિમ ભારતમાંથી આહર અને માળવામાંથી પશુ તેમજ વૃષભના કુદરતી ઘાટ પ્રકારના ટેરાકોટા મળી આવ્યા છે. ઈ. સ. પૂ. હજારેક વર્ષે ભારતીય સભ્યતામાં લોખંડની શોધથી નવા ફેરફારો થયા, લોખંડનાં હથિયારો અને ઘોડાથી ખેંચાતાં વાહન શરૂ થયાં, તેથી માનવ, પશુ અને રથનાં રમકડાં શરૂ થયાં. બિહાર બક્સર વગેરે સ્થળેથી આવા ટેરાકોટા મળ્યા છે. તે ઉપરાંત દળદાર ટેરાકોટા પટના, ભીટા, કૌસાંબીમાંથી ઉપલબ્ધ થયા છે. પાટલિપુત્રના ટેરાકોટામાં ગોળ પંખા જેવા અધોવસ્ત્રમાં ગતિનો આભાસ અને હાથોની ગોઠવણી પણ આગળપાછળ દર્શાવવાનો પ્રયત્ન થયો છે. મૌર્યકાલીન ટેરાકોટામાં કલાત્મકતા પ્રવેશી પરંપરિત પ્રાકૃત ઘડતરમાં ફેરફાર થયા, જે ભારતીય ટેરાકોટામાં મહત્ત્વપૂર્ણ છે. આવા ટેરાકોટા પાટલિપુત્રમાંથી મળ્યા છે. બુલંદીબાગમાંથી મળેલા ટેરાકોટા પૉલિશ કરેલા છે. મૌર્યકાળના ટેરાકોટાના ઘાટઘડતરમાં મોઢું બીબાથી ઢાળેલું છે. શરીરનાં અન્ય અંગો હાથ વડે જ નજાકતભરી રીતે તૈયાર કરેલાં છે. તેમાં ગતિમય ઘાઘરપટ્ટ, અલંકૃત શિરોવેષ્ટન વગેરે વિગતપૂર્ણ છે. મથુરામાંથી ઉપલબ્ધ મૌર્યકાલીન ટેરાકોટા જોતાં લાગે કે ભારતીય પ્રજાપતિ ઈરાની પરંપરાથી પરિચિત છે. શુંગકાળના ટેરાકોટા પૂર્વ તેમજ ઉત્તર ક્ષેત્રમાંથી પુષ્કળ મળ્યા છે. તેના ઘાટઘડતરની પ્રક્રિયામાં નાવીન્ય દેખાય છે. પરંપરિત ગોળાશવાળી આકૃતિની સાથોસાથ ભીંતે સમથળ ટાંગી શકાય તેવી છીછરા ઘાટની પ્લેટો પણ થઈ છે. શુંગકાળે લોકજીવનનું સામૂહિક ઉત્થાન જોઈ શકાય છે, તેથી આ કાળના ટેરાકોટામાં નરનારીનાં સાંસારિક જીવનનાં દૃશ્યો સપાટ પ્લેટમાં નિરૂપિત છે. શુંગકાલીન નારીરૂપ ઘાટમાં ભરચક શિરોવેષ્ટન, હાથે પુષ્કળ કંગન, હાર, પગે અલંકારો તેમજ કટિમેખલાથી નારીરૂપ ભરચક કરાયું છે, તેમાં ગજલક્ષ્મી તેમજ માતૃત્વ આપનાર દેવીનું પ્રતીક પ્રદર્શિત છે.
ખોડીદાસ પરમાર
(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮, ટેરાકોટા, પૃ. ૩૧૮)