Categories
વાચન સમૃદ્ધિ

ટેરાકોટા

પકવેલી માટી કે માટીના વિવિધ ઘાટ. પલાળેલી માટી ગૂંદીને તેમાંથી હાથ, ચાકડો અને બીબાની મદદથી ઠામવાસણ, રમકડાં વગેરેને પકાવીને તૈયાર કરાય તે પકવેલી માટીનાં રમકડાં–ઘાટ તે ટેરાકોટા. ભારતમાં ‘ટેરાકોટા’(સં. धाराकूट)ની પરંપરા આશરે પાંચેક હજાર વર્ષ જેટલી પ્રાચીન છે. ટેરાકોટા નદીકાંઠાની સંસ્કૃતિ, નદીનો દોઆબ અને  જ્યાં રસળતી માટી મળી શકે ત્યાં વિશેષ પ્રકારે થયા છે. ભારતમાં ટેરાકોટાના રમકડાં-ઘાટ ઘડવાની પરંપરા વાયવ્યના બલૂચિસ્તાન, ઝોબ તેમજ કુલ્લીની અસરથી શરૂ થયેલ છે. તેમાં ઊઘડતી સંસ્કૃતિમાં ‘માતૃત્વ’ આપનાર એવી ‘દિગંબરાદેવી’ અને ગોમાતાને ફળાવનાર એવા ‘વૃષભ’ના અનેક ઘાટ ઘડાયા છે. હડપ્પા સંસ્કૃતિમાં ટેરાકોટા : પૂર્વ હડપ્પા પરંપરાના ટેરાકોટા વાયવ્યમાં માલધારી, ખેડૂત તેમજ કુંભકારના હાથે ઘડાયા હોય તેવા નાના નાના ઘાટ રૂપે મળ્યા છે. ઉત્તરકાલીન પરંપરામાં માતૃકા, આખલો વગેરે ઘડાયા છે. નારીના ઘાટ પર આંખ, નાક, હોઠ અને સ્તન તેમજ ઘરેણાં વાટા વણીને ચોંટાડાયેલ છે. હડપ્પામાંથી નારીના પુષ્કળ ટેરાકોટા મળ્યા છે તો પુરુષની માત્ર એક જ આકૃતિ મળી છે. તે ઉપરાંત પંખી, પશુ જેવાં કે વાનર, બકરો, ગેંડો, હાથી, સૂવર, સિંહ અને ખૂંધ વગરનો તેમજ ખૂંધવાળો એવા બે પ્રકારના વૃષભ મળ્યાં છે. સર્જનાત્મક રમકડાંમાં માથું હલાવે તેવું પંખી, કૂકડો, મોર, પોપટ, ગાડું તેમજ સિસોટી છે.

ગુજરાતમાં લોથલના ઉત્ખનનમાંથી પણ સીધા સરળ હાથે ઘડેલાં તેમજ સર્જનાત્મક ઘાટનાં આખલો, ગાય, ઘેટું, ભુંડ, ગેંડો વગેરે મળ્યાં છે. અહીંથી વિશેષ રૂપે પશુના ઘાટ મળ્યા છે, તે સિંધુ ઘાટી કરતાં કુલ્લી સંસ્કૃતિ સાથે વધારે સામ્ય ધરાવે છે. ઈ. સ. પૂ. ૧૯૦૦થી ૧૩૦૦ અનુહડપ્પા કાળ માટે એવું મનાતું હતું કે આ સમયગાળો અંધકારયુગ છે, પણ નવા સંશોધનથી જાણવા મળ્યું છે કે મધ્ય પશ્ચિમ ભારતમાંથી આહર અને માળવામાંથી પશુ તેમજ વૃષભના કુદરતી ઘાટ પ્રકારના ટેરાકોટા મળી આવ્યા છે. ઈ. સ. પૂ. હજારેક વર્ષે ભારતીય સભ્યતામાં લોખંડની શોધથી નવા ફેરફારો થયા, લોખંડનાં હથિયારો અને ઘોડાથી ખેંચાતાં વાહન શરૂ થયાં,  તેથી માનવ, પશુ અને રથનાં રમકડાં શરૂ થયાં. બિહાર બક્સર વગેરે સ્થળેથી આવા ટેરાકોટા મળ્યા છે. તે ઉપરાંત દળદાર ટેરાકોટા પટના, ભીટા, કૌસાંબીમાંથી ઉપલબ્ધ થયા છે. પાટલિપુત્રના ટેરાકોટામાં ગોળ પંખા જેવા અધોવસ્ત્રમાં ગતિનો આભાસ અને હાથોની ગોઠવણી પણ આગળપાછળ દર્શાવવાનો પ્રયત્ન થયો છે. મૌર્યકાલીન ટેરાકોટામાં કલાત્મકતા પ્રવેશી પરંપરિત પ્રાકૃત ઘડતરમાં ફેરફાર થયા, જે ભારતીય ટેરાકોટામાં મહત્ત્વપૂર્ણ છે. આવા ટેરાકોટા પાટલિપુત્રમાંથી મળ્યા છે. બુલંદીબાગમાંથી મળેલા ટેરાકોટા પૉલિશ કરેલા છે. મૌર્યકાળના ટેરાકોટાના ઘાટઘડતરમાં મોઢું બીબાથી ઢાળેલું છે. શરીરનાં અન્ય અંગો હાથ વડે જ નજાકતભરી રીતે તૈયાર કરેલાં છે. તેમાં ગતિમય ઘાઘરપટ્ટ, અલંકૃત શિરોવેષ્ટન વગેરે વિગતપૂર્ણ છે. મથુરામાંથી ઉપલબ્ધ મૌર્યકાલીન ટેરાકોટા જોતાં લાગે કે ભારતીય પ્રજાપતિ ઈરાની પરંપરાથી પરિચિત છે. શુંગકાળના ટેરાકોટા પૂર્વ તેમજ ઉત્તર ક્ષેત્રમાંથી પુષ્કળ મળ્યા છે. તેના ઘાટઘડતરની પ્રક્રિયામાં નાવીન્ય દેખાય છે. પરંપરિત ગોળાશવાળી આકૃતિની સાથોસાથ ભીંતે સમથળ ટાંગી શકાય તેવી છીછરા ઘાટની પ્લેટો પણ થઈ છે. શુંગકાળે લોકજીવનનું સામૂહિક ઉત્થાન જોઈ શકાય છે, તેથી આ કાળના ટેરાકોટામાં નરનારીનાં સાંસારિક જીવનનાં દૃશ્યો સપાટ પ્લેટમાં નિરૂપિત છે. શુંગકાલીન નારીરૂપ ઘાટમાં ભરચક શિરોવેષ્ટન, હાથે પુષ્કળ કંગન, હાર, પગે અલંકારો તેમજ કટિમેખલાથી નારીરૂપ ભરચક કરાયું છે, તેમાં ગજલક્ષ્મી તેમજ માતૃત્વ આપનાર દેવીનું પ્રતીક પ્રદર્શિત છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮, ટેરાકોટા, પૃ. ૩૧૮)

Categories
વાચન સમૃદ્ધિ

રૉય ગિલક્રિસ્ટ

જ. ૨૮ જૂન, ૧૯૩૪ અ. ૧૮ જુલાઈ, ૨૦૦૧

શેરડીનાં ખેતરોમાં રમીને ક્રિકેટનો પ્રારંભ કરનાર રૉય ગિલક્રિસ્ટ જહાજી કંપનીમાં નોકરી કરતો હતો અને વેસ્ટ ઇન્ડીઝના કિંગસ્ટનમાં ખેલાતી બિકોન કપ સ્પર્ધામાં ખેલતો હતો. એ પછી જમૈકાના યુવકોની ટીમમાં પસંદ થયો અને ‘સ્પૉર્ટ્સમૅન ઑફ ધ ઇયર’ બન્યો. વેસ્ટ ઇન્ડીઝની આંતરટાપુઓની સ્પર્ધામાં જમૈકા તરફથી ચાર વખત રમ્યા બાદ તરત જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ખેલવાની તક મળી. ૧૯૫૭ના ઇંગ્લૅન્ડના પહેલા પ્રવાસમાં એની ઝડપી ગોલંદાજીને વિશેષ સફળતા મળી નહીં, પરંતુ એ સમયે ટેસ્ટમાં ઇંગ્લૅન્ડના ગ્રેવનીને એવા ઝડપી દડાથી આઉટ કર્યો કે સ્ટમ્પના બે ટુકડા થઈ ગયા. રૉય ગિલક્રિસ્ટને બૅટ્સમૅનના શરીર પર વાગે તે રીતે ‘બીમર’ નાખવાનો શોખ હતો. આવા દડા નાખીને એ બૅટ્સમૅનનો આત્મવિશ્વાસ સમૂળગો નષ્ટ કરી નાખતો અને એથીયે વિશેષ એને ઘાયલ કરતો. વેસ્ટ ઇન્ડીઝના સુકાનીઓએ એને આવા દડા નાખવા નહીં, એવી ખાસ ચેતવણી આપી હતી. ૧૯૫૮-૫૯માં ભારતના પ્રવાસે આવેલો વેસ્ટ ઇન્ડીઝનો સુકાની ગેરી એલેક્ઝાન્ડર પણ આનાથી નારાજ હતો. ઘણી વાર તો બૉલિંગ કરવાની રેખાથી ચારેક ડગલાં આગળ વધીને બૅટ્સમૅનના શરીર પર દડો વીંઝતો હતો. નાગપુરની ચોથી ટેસ્ટમાં ભારતીય ખેલાડી એ.જી. ક્રિપાલસિંઘને પીચ પર ખૂબ આગળ વધીને ‘બીમર’ નાખ્યો અને ક્રિપાલસિંઘની પાઘડી પડી ગઈ અને એને માથામાં પુષ્કળ વાગ્યું. એ પછીની નૉર્થ ઝોનની મૅચમાં પણ ગિલક્રિસ્ટે આવો બીમર નાખવાની આદત છોડી નહીં અને સ્વર્ણજિતસિંઘ નામના ખેલાડી સામે એણે સતત બીમર નાખવા માંડ્યા. આ સ્વર્ણજિત અને વેસ્ટ ઇન્ડીઝના સુકાની ગેરી એલેક્ઝાન્ડર કેમ્બ્રિજમાં સહાધ્યાયી હતા. લંચ સમયે એલેક્ઝાન્ડરે ગિલક્રિસ્ટને બેસાડી રાખ્યો અને રિઝર્વ ખેલાડીને મેદાન પર આવવા કહ્યું. એ પછી બીજા ખેલાડીઓ પાકિસ્તાનના પ્રવાસે ગયા, ત્યારે સુકાની એલેક્ઝાન્ડરે એને કહ્યું કે, ‘તમે ફ્લાઇટ પકડીને પાછા જાવ’ અને આ ઘટના પછી રૉય ગિલક્રિસ્ટની કારકિર્દીનો અંત આવ્યો. ક્રિકેટની કામયાબી કરતાં ગિલક્રિસ્ટ એના હિંસક વર્તન અને ક્રોધી સ્વભાવને કારણે વધારે જાણીતો બન્યો હતો. એણે ૧૩ ટેસ્ટમાં ૩,૨૨૭ દડામાં ૨૬ રનની સરેરાશથી ૫૭ વિકેટ લીધી અને ૫૫ રનમાં ૬ વિકેટ એ એનો શ્રેષ્ઠ દેખાવ રહ્યો. જ્યારે પ્રથમ કક્ષાના ક્રિકેટમાં એણે ૪૨ મૅચમાં ૮,૩૯૧ દડા નાખીને ૨૬ રનની સરેરાશની ૧૬૭ વિકેટ ઝડપી હતી.

Categories
વાચન સમૃદ્ધિ

કાર્યકુશળતાનો પ્રભાવ

ગ્રીસમાં એક નિર્ધન બાળક આખો દિવસ જંગલમાં લાકડાં કાપતો હતો અને સાંજે લાકડાનો ભારો બનાવીને બજારમાં વેચવા બેસતો હતો. એની કમાણી એ જ આખા પરિવારના ભરણપોષણનું સાધન હતી. આથી એ છોકરો ખૂબ મહેનત કરતો અને ખૂબ સુંદર રીતે લાકડાંનો ભારો બાંધતો. એક વાર આ છોકરો બજારમાં ભારો વેચવા માટે બેઠો હતો, ત્યારે એક સજ્જન ત્યાંથી પસાર થયા. એમણે જોયું તો આ છોકરાએ ખૂબ કલાત્મક રીતે લાકડાંનો ભારો બાંધ્યો હતો. બીજા લોકો જેમતેમ લાકડાંનો ભારો બાંધતા હતા. થોડાં લાકડાં બહાર નીકળી ગયાં હોય અને થોડાં સહેજ આમતેમ લબડતાં પણ હોય, જ્યારે આ છોકરાએ ખૂબ સુંદર અને વ્યવસ્થિત રીતે ભારો બાંધ્યો હતો. પેલા સજ્જને એ છોકરાને પૂછ્યું, ‘શું આ લાકડાંનો ભારો તમે પોતે બાંધ્યો છે ?’ છોકરાએ આત્મવિશ્વાસ સાથે ઉત્તર આપ્યો, ‘હા જી, હું આખો દિવસ લાકડાં કાપું છું અને જાતે જ ભારો બાંધું છું અને આ બજારમાં વેચવા આવું છું.’ સજ્જને વળી પ્રશ્ન કર્યો, ‘તો શું તું આ ભારો ફરી ખોલીને બાંધી શકે ખરો ?’ છોકરાએ ‘હા’ કહીને માથું ધુણાવ્યું અને ભારો ખોલી ફરી એને  અત્યંત સ્ફૂર્તિ અને ચપળતાથી સુંદર રીતે બાંધ્યો. આ સજ્જન આ બાળકનો આત્મવિશ્વાસ અને એની કાર્યકુશળતાથી અત્યંત પ્રભાવિત થયા અને એમને એમ લાગ્યું કે આ બાળક પાસે નાનામાં નાના કામને સુંદર અને વ્યવસ્થિત રીતે કરવાની ક્ષમતા છે. જો એને યોગ્ય શિક્ષણ અને તાલીમ મળે, તો એ જરૂર જીવનમાં કોઈ મહત્ત્વપૂર્ણ કાર્ય કરી શકે. એ સજ્જને એ છોકરાને કહ્યું, ‘તું મારી સાથે ચાલ. હું તને ભણાવીશ.’અને છોકરો એ સજ્જન સાથે ગયો. એ સજ્જન હતા ગ્રીસના તત્ત્વચિંતક ડેમોક્રિટ્સ અને એણે જે બાળકને મદદ કરી તે હતો ગ્રીસનો મહાન ગણિતશાસ્ત્રી અને ફિલસૂફ પાયથાગોરસ. જેના ‘પાયથાગોરસ પ્રમેય’ આજે પણ પ્રચલિત છે.