Categories
વાચન સમૃદ્ધિ

ભયને બદલે ધ્યેય પર દૃષ્ટિ

ઠેરવીએ ======================================

ક્ષણેક્ષણ ચોપાસ ભયનો વિચાર કરનારી વ્યક્તિનું ચિત્ત ભયના ખજાના જેવું હોય છે. એ કોઈ પણ કાર્ય કરતાં પૂર્વે એમાં આવનારા ભયથી ગ્રસિત બની જાય છે. પહેલી વાર વિમાનનો પ્રવાસ કરે, તે પહેલાં એ મનમાં કેટલીય ગડમથલો અને ભય સેવતી હોય છે. એ વિચારે છે કે આ વિમાનના પ્રવાસમાં વૉમિટ થશે તો શું થશે ? એ વિચારે છે કે આ વિમાનને અકસ્માત થશે તો શું થશે ? આમ કાર્ય કરતાં પૂર્વે ભયનો વિચાર કરવાની મનને આદત હોય છે. આવી આદતને પરિણામે ઘણી વ્યક્તિ કાર્ય કરવાનું માંડી વાળે છે. સફળતા મેળવવા માટે પુરુષાર્થ કરતાં પૂર્વે એવું વિચારે છે કે એ સફળ માનવીએ કેટલી બધી નિષ્ફળતાઓ મેળવી હતી. આવી નિષ્ફળતા મને મળે તો શું થાય ? એના કરતાં આવી માથાકૂટ છોડી દેવી બહેતર છે. એ કોઈ સજ્જન કે સંત બનવાનું વિચારતી નથી, કારણ કે એને આવા સજ્જનો અને સંતોએ જીવનમાં અનુભવેલાં કષ્ટો જ ભયભીત કરનારાં લાગે છે. કોઈ પણ કાર્ય પૂર્વે એનું મન શક્ય કે અશક્ય એવા કેટલાય ભયથી ગભરાઈ જાય છે અને પછી કાર્યની સિદ્ધિનો વિચાર માંડી વાળે છે, અરે ! કાર્ય કરવાનો વિચાર જ માંડી વાળે છે. મનમાં માત્ર આવનારા ભયનો વિચાર કરે છે. વળી, એ કાર્ય કરવાનું બંધ કરીને મનમાં એ કાલ્પનિક ભયથી બચી ગયાનો આનંદ અનુભવે છે. જેમણે ઉત્તરધ્રુવ કે દક્ષિણધ્રુવ સર કર્યા હશે, અવકાશમાં ઊંચે ઊંચે ઉડ્ડયન કર્યાં હશે એવી વ્યક્તિઓ કાર્યનો વિચાર કરતી હોય છે, ભયનો વિચાર કરતી નથી. આમ ભયનો બહુ વિચાર કરવાને બદલે કાર્ય પર લક્ષ્ય ઠેરવવું જોઈએ. વિચાર કરવાથી ભય દૂર થશે નહીં, પ્રયાસ કે પ્રવૃત્તિ કરવાથી દૂર થશે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

બળવંતરાય મહેતા

જ. ૧૯ ફેબ્રુઆરી, ૧૮૯૯ અ. ૧૯ સપ્ટેમ્બર, ૧૯૬૫

ગુજરાત રાજ્યના બીજા મુખ્યમંત્રી, સ્વાતંત્ર્યસેનાની અને ભારતમાં પંચાયતી રાજના પિતામહ તરીકે જાણીતા બળવંતરાય ગોપાળજી મહેતાનો જન્મ ભાવનગરમાં થયો હતો. ભાવનગરની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં અભ્યાસ કરી ૧૯૧૬માં મૅટ્રિક થયા. ત્યારબાદ ૧૯૨૦માં મુંબઈ યુનિવર્સિટીની બી.એ.ની પરીક્ષા પાસ કરી, પરંતુ અસહકારની ચળવળ ચાલતી હોવાથી ડિગ્રી લીધી નહીં. તેઓ ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાઈને અર્થશાસ્ત્ર-વિશારદ થયા. ગાંધીજીના પ્રભાવ હેઠળ અહિંસા અને સાદગીમય જીવન જેવા ગુણો અપનાવ્યા. ૧૯૨૦થી તેમણે જાહેર જીવનમાં ઝંપલાવ્યું. તેઓ મહિલા- ઉત્કર્ષ, હરિજનકલ્યાણ, કુદરતી આપત્તિ સમયનાં રાહતકાર્યો વગેરે માટે તત્પર રહેતા. ૧૯૨૭માં તેમણે ભાવનગરમાં હરિજન આશ્રમ સ્થાપ્યો. ૧૯૨૧માં ગુજરાતી સાપ્તાહિક ‘સૌરાષ્ટ્ર’ની સંપાદક સમિતિમાં જોડાઈને તેમણે દેશી રાજ્યોના લોકોનો અવાજ ચોમેર પહોંચાડ્યો. ૧૯૨૩માં ભાવનગર પ્રજામંડળની સ્થાપના કરી. તેમણે નાગપુર ઝંડા સત્યાગ્રહ, બારડોલી સત્યાગ્રહ, વ્યક્તિગત સત્યાગ્રહ, રાજકોટ સત્યાગ્રહ વગેરેમાં સક્રિય ભાગ લીધો. ૧૯૪૨ની ‘હિંદ છોડો’ ચળવળમાં ભાગ લેવા બદલ જેલવાસ ભોગવ્યો. તેમણે બધું મળીને કુલ સાત વર્ષની સજા ભોગવી. ૧૯૪૨ના જેલજીવન દરમિયાન તેમણે મેડમ ક્યૂરીના જીવનચરિત્રનો અનુવાદ કર્યો. તેમણે ઑલ ઇન્ડિયા સ્ટેટ્સ પીપલ્સ કૉન્ફરન્સના મહામંત્રી તરીકે ૧૯૩૧થી ૧૯૪૭ સુધી સેવાઓ આપી. ભારતનું બંધારણ ઘડવા માટે રચાયેલ બંધારણસભામાં ચૂંટાઈને ૧૯૫૦ સુધી કાર્યરત રહ્યા. જાન્યુઆરી, ૧૯૪૮માં ભાવનગર રાજ્યના મુખ્યમંત્રી બન્યા. ૧૯૫૨ અને ૧૯૫૭માં લોકસભામાં ચૂંટાયા. તેમણે અખિલ ભારત પંચાયત પરિષદના પ્રમુખ તરીકે પંચાયતી રાજ માટેનો અહેવાલ તૈયાર કર્યો. તેઓ અખિલ ભારત કૉંગ્રેસ સમિતિના સભ્ય પણ બન્યા. ૧૯૫૦-૫૨માં ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના મહામંત્રી તરીકે સેવાભાવના તથા નિષ્ઠા માટે નામના પામ્યા. સપ્ટેમ્બર, ૧૯૬૩માં તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. ગુજરાતના સર્વાંગી વિકાસ માટે તેઓ કાર્યરત હતા. ૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન સરહદના વિસ્તારમાં દુર્ભાગ્યવશ તેમનું વિમાન તોડી પાડવામાં આવ્યું  અને તેમનું તથા તેમનાં પત્ની સરોજબહેનનું અવસાન થયું.

શુભ્રા દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

જૂડો

વિશ્વમાં પ્રસાર પામેલી મલ્લયુદ્ધ પ્રકારની જાપાનની લોકપ્રિય રમત. નિ:શસ્ત્ર અવસ્થામાં આત્મરક્ષા માટે પ્રયોજાતી ૨૦૦૦ વર્ષ જૂની જ્યુજિત્સુ નામની યુદ્ધકલામાંથી તેનો ઉદભવ થયો. ચીન, જાપાન અને તિબેટના બૌદ્ધ સાધુઓને વિહાર-સમયે હિંસા વિના આત્મરક્ષા અર્થે તૈયાર રહેવાની આવશ્યકતામાંથી આ કલા વિકાસ પામી. જિગોરો કાનો (૧૮૬૦-૧૯૩૮) નામના જ્યુજિત્સુનિષ્ણાતે ૧૮૮૨માં આ રમતને નવો ઘાટ આપ્યો. તેણે ભયાવહ દાવ કાઢી નાખીને સરળ ક્રીડાપદ્ધતિની રચના કરી. ૧૯૫૧માં આંતરરાષ્ટ્રીય જૂડો મંડળ સ્થપાયું. ૧૯૫૬થી જાપાનમાં ટોકિયોમાં વિશ્વશ્રેષ્ઠની સ્પર્ધાઓનો આરંભ થયો. એ જ વર્ષથી તેનો ઑલિમ્પિક રમતોત્સવમાં અને લગભગ પાછળ જ એશિયાઈ રમતોત્સવમાં સમાવેશ કરાયો. ૧૯૮૦થી ન્યૂયૉર્ક(યુ.એસ.)માં મહિલા શ્રેષ્ઠ સ્પર્ધાઓ આરંભાઈ.

જૂડોમાં પ્રતિસ્પર્ધી ભારે અને બળવાન હોય તોપણ તેના જ ભાર અને બળથી તેને માત કરવાની યુક્તિઓ વિકસાવવા પર ભાર મુકાયો છે. મર્મસ્થાનો પર પ્રહાર કરી તેને વેદનાગ્રસ્ત કરવા હાથનો ઉપયોગ થાય છે. આ કળાને આતેમી કહે છે. તેમાંથી કરાટે નામની સ્વતંત્ર રમત વિકસાવવામાં આવી છે. જૂડોમાં સમતલ સ્થાન ઉપર ૯ મી. બાજુવાળા સાદડી પાથરેલા ચોરસ ક્રીડાસ્થળ ઉપર બે સ્પર્ધકો નમન કરીને ક્રીડાનો આરંભ કરે છે. કપડાને ગળા કે બાંય પાસે પકડીને એકબીજાને ચીત કરવા મથે છે. ૩૦ સેકંડની ચીત-અવસ્થાથી પછાડનારને ગુણ મળે છે. પાશ તથા હસ્તમરોડ દ્વારા પણ ગુણ પ્રાપ્ત કરી શકાય છે. ગુણને ઇપોન કહે છે. યુદ્ધનો સમય ૩થી ૨૦ મિનિટનો છે. ઇપોન નોંધાય એટલે રમત પૂરી થઈ ગણાય છે. નિયત અવધિ પતી જવા છતાં ઇપોન નોંધાય નહિ, ત્યારે નિર્ણાયકો યુદ્ધ દરમિયાન સ્પર્ધકોના એકંદર કૌશલને લક્ષમાં લઈ વિજેતા ઠરાવે છે. રમતમાં શારીરિક તથા માનસિક ચપળતાનું મહત્ત્વ ઘણું છે. સ્પર્ધકોમાં બે મુખ્ય વર્ગો – વિદ્યાર્થીકિયુ તથા નિષ્ણાત-દાન — છે. એમાં વિવિધ કક્ષાઓ છે, જે પટાના રંગ ઉપરથી સૂચિત થાય છે. સામાન્ય રીતે ચોથી દાન-કક્ષા ઇષ્ટ ગણાય છે. ૭થી ૧૦ વર્ષ સુધી સપ્તાહમાં ૩ દિવસ પ્રશિક્ષણ લીધા પછી તે સિદ્ધ થાય છે. ૫મી દાન-કક્ષા માટે કાળો પટો, ૬થી ૮ દાન-કક્ષા માટે કાળો અથવા રાતો અને શ્વેત પટો, ૯થી ૧૧ દાન-કક્ષા માટે રાતો પટો અને ૧૨મી દાન-કક્ષાએ બેવડી પહોળાઈનો શ્વેત પટો ધારણ કરવામાં આવે છે. સર્વોચ્ચ કક્ષાનો રાતો પટો વિશ્વમાં કેવળ ૧૩ પુરુષો ધરાવે છે. અમેરિકા તથા ભારત સહિત ઘણા દેશોમાં જૂડો રમત લોકપ્રિય થઈ રહી છે. જોકે ભારતમાં જૂડોની સરખામણીમાં કરાટે વધારે લોકપ્રિય છે. સેના તથા પોલીસદળમાં જવાનોને તેનું વ્યવસ્થિત શિક્ષણ આપવામાં આવે છે. વડાપ્રધાન જેવી મહાનુભાવ વ્યક્તિઓની રક્ષા માટેના કર્મચારીઓ જૂડોના નિષ્ણાત હોય છે. વિશ્વના શ્રેષ્ઠ રમતવીરોમાં જાપાનના યાસુહિરો, યામાશિતા, શોઝો ફુજી, નાઓયા યોગાવા અને હિતોશી સાઈતો, નેધરલૅન્ડ્ઝના વિલ્હેમ રુસ્કા, ઑસ્ટ્રિયાના પીટર સેઇઝનબેખર, પોલૅન્ડના વાલ્ડેમર લેજિયન તથા બેલ્જિયમની ઇન્ગ્રિડ બર્ગમન્સનો સમાવેશ થાય છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

ચિનુભાઈ શાહ