Categories
વાચન સમૃદ્ધિ

સૈનિકનું મૂલ્યવાન જીવન

ગ્રેટ બ્રિટનના નૌકાદળના વડા હૉરેશિયો નેલ્સન (1758-1805) પોતાના વિશાળ નૌકાકાફલા સાથે દરિયાઈ સફર ખેડી રહ્યા હતા. માત્ર 12 વર્ષની વયે ઇંગ્લૅન્ડનો નૌકાસૈનિક બનનાર નેલ્સન વીસ વર્ષની વયે યુદ્ધજહાજનો કપ્તાન બન્યો. એ પછી સમય જતાં નેપોલિયન બોનાપાર્ટ સાથેનાં દરિયાઈ યુદ્ધોમાં બ્રિટનના નૌકાકાફલાની સફળ આગેવાની સંભાળનાર નૌકાધિપતિ બન્યો. એક વાર પોતાના નૌકાકાફલા સાથે નેલ્સન દરિયાઈ સફર ખેડતો હતો, ત્યારે એકાએક સામેથી દુશ્મનનાં બે જહાજો એમના તરફ ધસી આવતાં દેખાયાં. એ જહાજો ખૂબ ઝડપથી આવી રહ્યાં હતાં, તેથી નેલ્સને એના યુદ્ધજહાજને અતિ ઝડપે આગળ વધવા હુકમ કર્યો. આ સમયે નેલ્સનનો એક સૈનિક જહાજમાંથી દરિયામાં ગબડી પડ્યો. એ જીવ બચાવવા કોશિશ કરતો હતો. હાથ વીંઝીને જહાજ તરફ આવવાના મરણિયા પ્રયાસો કરતો હતો, પરંતુ જહાજની ગતિ રોકી શકાય તેમ નહોતી, કારણ કે સામેથી દુશ્મનનાં જહાજો ત્વરાથી સામે આવી રહ્યાં હતાં. નૌકાધિપતિ નેલ્સનને આ ઘટનાની જાણ કરવામાં આવી એટલે એણે તત્કાળ આદેશ કર્યો કે જહાજ પાછું લઈને ડૂબતા સૈનિકને કોઈ પણ ભોગે બચાવો. જહાજ પરના એના સાથીઓએ કહ્યું કે આમ કરીશું તો દુશ્મનનાં જહાજો આપણને ઘેરી વળશે અને એક સૈનિકને બચાવવા જતાં આપણે બધા દરિયાઈ સમાધિ પામીશું. નેલ્સને સમજાવ્યું કે એને માટે પ્રત્યેક સૈનિકનું જીવન અતિ મૂલ્યવાન છે અને તેથી એને આમ દરિયામાં ડૂબતો, મરણને હવાલે છોડી શકાય નહીં. જહાજ પાછું લાવવામાં આવ્યું અને સૈનિકને બચાવવામાં આવ્યો. આથી બન્યું એવું કે દુશ્મનોએ માન્યું કે ઇંગ્લૅન્ડનું જહાજ એમની તરફ એ માટે આવી રહ્યું છે કે એની મદદે ઇંગ્લૅન્ડનાં બીજાં જહાજો આવી રહ્યાં છે. આથી દુશ્મનોએ એમનાં જહાજો પાછાં વાળ્યાં અને સહુને સૈનિકની જિંદગી બચાવનાર હૉરેશિયો નેલ્સનની દિલેરીનો પરિચય થયો.

Categories
વાચન સમૃદ્ધિ

કલ્પના ચાવલા

જ. 17 માર્ચ, 1962 અ. 1 ફેબ્રુઆરી, 2003

ભારતીય મૂળની પ્રથમ મહિલાઅવકાશયાત્રી કલ્પના ચાવલાનો જન્મ હરિયાણાના કરનાલમાં થયો હતો. પિતા બનારસીલાલ અને માતા સંજોગતા. 1947માં વિભાજન થતાં પરિવાર ગુજરાંવાલાથી પંજાબમાં આવ્યો. તેમણે કરનાલની ટાગોર બાલનિકેતન સિનિયર સેકન્ડરી સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. 1982માં ચંડીગઢની પંજાબ એન્જિનિયરિંગ કૉલેજમાંથી ઍરોનૉટિકલ ઇજનેરીમાં બી.એસસી.ની પદવી મેળવી ઉચ્ચ અભ્યાસ માટે યુ.એસ. ગયાં. 1984માં યુનિવર્સિટી ઑવ્ ટેક્સાસમાંથી એમ.એસ.ની પદવી મેળવી. એ પછી યુનિવર્સિટી ઑવ્ કૉલોરાડોમાંથી 1986માં એમ.એસ. અને 1988માં પીએચ.ડી.ની પદવી મેળવી પછી નાસામાં સંશોધનકાર્ય માટે જોડાયાં. 1983માં જીન પિયેર હેરિસન સાથે લગ્ન કર્યું. તેઓ યુ.એસ.એ.નાં નાગરિક બન્યાં. 19 નવેમ્બર, 1997ના રોજ સ્પેસ-શટલ કોલંબિયામાં ઉડાન ભરી. તેમને પૃથ્વીની આસપાસ 252 વખત ભ્રમણ કરતાં 360 કલાક થયા હતા અને 16.5 મિલિયન કિલોમીટર અંતર કાપ્યું હતું. તેમની અંતિમ ઉડાન STS – 107માં હતી. આ મિશન 16 જાન્યુઆરી, 2003ના રોજ શરૂ થયું હતું. તેમણે અને તેમના સાથી અવકાશયાત્રીઓએ ભ્રમણકક્ષામાં રહીને 80થી વધુ પ્રયોગો કર્યા હતા. 1 ફેબ્રુઆરીના રોજ પૃથ્વીના વાતવરણમાં પુનઃ પ્રવેશ દરમિયાન સ્પેસ-શટલ તૂટી પડ્યું. સ્પેસ-શટલમાંના સાત ક્રૂ સભ્યો પણ મૃત્યુ પામ્યા. કલ્પના ચાવલાને અસંખ્ય મરણોત્તર સન્માનો આપવામાં આવ્યાં. તત્કાલીન વડાપ્રધાન અટલબિહારી વાજપેયીએ ઉપગ્રહ ‘મેટસેટ-1’નું નામ બદલીને ‘કલ્પના-1’ કરવાની જાહેરાત કરી. ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજીએ તેની એક ઇમારતનું નામ ચાવલાના નામ પરથી રાખ્યું છે. મંગળ પર કોલંબિયા હિલ્સમાંના એક શિખરનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશ દ્વારા મરણોત્તર કૉંગ્રેસનલ સ્પેસ મેડલ ઑફ ઑનરથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. નાસા સ્પેસ ફ્લાઇટ મેડલ અને નાસા ડિસ્ટિંગ્વિશ્ડ સર્વિસ મેડલ આપવામાં આવ્યા. ચંદ્ર પરના એક ખાડાનું નામ ‘ચાવલા’ રાખવામાં આવ્યું છે. કરનાલમાં તેમના નામની સરકારી મેડિકલ કૉલેજની સ્થાપના કરવામાં આવી છે. આ ઉપરાંત અનેક ઉપક્રમો તેમના નામ સાથે જોડવામાં આવ્યા છે.

Categories
વાચન સમૃદ્ધિ

સર્જકની ખુદવફાઈ

ખલિલ જિબ્રાને (1883થી 1931) એમનાં ચિંતનાત્મક લખાણોથી, ઉત્તમ કોટિના વિચારસૌંદર્યથી અને શબ્દથી વર્ણવી શકાય નહીં તેવા ભાવોને ચિત્રકલાના માધ્યમથી પ્રગટ કરવાની એમની શક્તિના લીધે સર્વત્ર ખ્યાતિ પ્રાપ્ત કરી. અંગ્રેજી અને અરબી બંને ભાષામાં લખાયેલાં એમનાં પુસ્તકો વિશ્વસાહિત્યમાં મહત્ત્વપૂર્ણ સ્થાન પામ્યાં. ખલિલ જિબ્રાન સરળ કિંતુ ભાવનાપ્રધાન જીવન જીવ્યા. આ કવિ-ચિત્રકારને જગતના વ્યવહારની બાબતમાં ઝાઝી સૂઝ પડતી નહીં. એક વાર બે સ્ત્રીઓએ જમીનની બાબતમાં ખલિલ જિબ્રાનની સાથે મોટી છેતરપિંડી કરી. કવિનું દિલ ગુસ્સાથી ધૂંધવાઈ ગયું અને મનોમન નક્કી કર્યું કે આ બંનેને અદાલતના પાંજરામાં ઊભા રાખીને જ જંપીશ. ન્યાયમૂર્તિ એમને સખત સજા કરે તો જ મારા ઘવાયેલા હૃદયને શાતા વળશે. આ બે સ્ત્રીઓએ પ્રપંચપૂર્ણ વ્યવહાર કરીને જિબ્રાનને આર્થિક રીતે સાવ મુફલિસ બનાવી દીધો હતો. આમાંની એક સ્ત્રી જિબ્રાનની પાસે એનું પુસ્તક ‘ધ પ્રોફેટ’ લઈને આવી અને સવાલ કર્યો, ‘‘તમે અમને અદાલતમાં સજા અપાવવા માંગો છો તે કેટલે અંશે યોગ્ય ગણાય ? ‘પ્રોફેટ’ પુસ્તકમાં તમે આલેખેલા ઉત્કૃષ્ટ વિચારો અને વ્યાપક ભાવનાઓનું શું ? જીવનનું આવું ઉત્કૃષ્ટ ચિંતન તમે લખ્યું છે તે તમને લાગુ પડે કે નહીં ?’’ ખલિલ જિબ્રાને કહ્યું, ‘‘વાત વિચારવા જેવી છે. હું તમને અદાલતમાં ઊભા કરીને મારા પુસ્તક સાથે બેવફાઈ તો કરતો નથી ને ? જીવનની ક્ષણિક ભ્રમણા સમાન સંપત્તિને ખાતર હું મારા જ શબ્દોની મારે હાથે હત્યા નહીં કરું ?’’ ખલિલ જિબ્રાનને ‘પ્રોફેટ’ની પ્રસ્તાવના યાદ આવી. એમાં એમણે લખ્યું હતું, ‘‘હું જ્યારે ‘પ્રોફેટ’ લખી રહ્યો હતો, ત્યારે એ પુસ્તક મને લખી રહ્યું હતું.’’ શું આ શબ્દો માત્ર આડંબરયુક્ત હતા ? ખલિલ જિબ્રાને પોતાના શબ્દગૌરવને ખાતર અદાલતનાં બારણાં ખખડાવવાને બદલે હાનિ સહન કરવાનું નક્કી કર્યું તેમ જ બંને સ્ત્રીઓએ કરેલા અન્યાયને ભૂલીને એમને ક્ષમા આપી.