Categories
વાચન સમૃદ્ધિ

હેલિકૉપ્ટર

જમીન પરથી સીધું હવામાં ઉપર જઈ શકે અને હવામાંથી સીધું જ નીચે જમીન પર ઊતરી શકે તેવું હવાઈ જહાજ. હેલિકૉપ્ટર સામાન્ય વિમાન કરતાં કેટલીક રીતે અલગ છે. તે સામાન્ય વિમાન જેટલું ઝડપી હોતું નથી. તે ઘોંઘાટ વધુ કરે છે. વળી તે કદમાં નાનું હોવાથી તેમ જ તેને ઉડાણપટ્ટી(runway)ની જરૂર ન હોવાથી તે અનુકૂળ ઘાસિયા મેદાન પર, રસ્તા પર, ઑફિસ કે મકાનોની અગાસી પર પણ ઉતરાણ કરી શકે છે. હેલિકૉપ્ટર મર્યાદિત સંખ્યામાં જ વ્યક્તિઓને બેસાડી શકે છે. તે વિમાન જેટલી ઊંચાઈએ ઊડી શકતું નથી. હેલિકૉપ્ટરની સૌપ્રથમ કલ્પના કરનાર હતા ઇટાલીના લિયૉનાર્દો-દ-વિન્સી (Leonardo-da-Vinci). ઇજનેરી દૃષ્ટિએ પણ તેને કેમ ઉડાડી શકાય તેની યોજના તેમણે વિચારેલી. ૧૯૩૭માં જર્મનીમાં હીનરિક ફૉર્કે બે પરિભ્રામકવાળું હેલિકૉપ્ટર બનાવ્યું હતું. ૧૯૩૯માં ઇગોર સિકૉરસ્કીએ પ્રમાણમાં નાનું પણ નિયંત્રણમાં રાખી શકાય તેવું એક પરિભ્રામકવાળું હેલિકૉપ્ટર બનાવેલું. તેના પરથી આધુનિક હેલિકૉપ્ટરો વિકાસ પામ્યાં.

હેલિકૉપ્ટર

સામાન્ય વિમાનમાં જોવા મળતી પાંખોને બદલે હેલિકૉપ્ટરમાં ઉપરના ભાગે ઊભા દંડ પર ગોઠવેલાં લાંબાં પાતળાં પાંખિયાં(blades)વાળો પંખો કે પરિભ્રામક(rotor) હોય છે. હેલિકૉપ્ટરનું એન્જિન પાંખિયાંને ગોળ ગોળ ફેરવે છે, જેને લીધે તે કેટલીક હવાને નીચેની તરફ ધકેલે છે અને હેલિકૉપ્ટર ઉપરની તરફ ઊંચકાય છે. હેલિકૉપ્ટરનું ઉત્પ્રસ્થાન (take-off) કરાવવા માટે પાઇલટ પાંખિયાંને નમાવે છે. આને લીધે પાઇલટ તેને હવામાં એક ઠેકાણે સ્થિર રાખી શકે છે, આમતેમ ઘુમાવી શકે છે અથવા નીચે ઉતારી પણ શકે છે. આગળ વધવા માટે તે પાંખિયાં એવી રીતે નમાવે છે કે હવા પાછળ તેમ જ નીચેની તરફ ધકેલાય. હેલિકૉપ્ટરની પૂંછડીના ભાગે પણ એક ફરતો પરિભ્રામક હોય છે જે હેલિકૉપ્ટરને મુખ્ય પરિભ્રામકથી વિરુદ્ધ દિશામાં ફરતું અટકાવે છે અને સમતોલન આપે છે. હેલિકૉપ્ટરના આગળના ભાગમાં યંત્રો તથા નિયંત્રણ-કૅબિન હોય છે. તેમાં પાઇલટ બેસે છે. તે પહોંચી ન શકાય તેવી જગ્યાએથી માણસો અને સાધનોના પરિવહન માટે, બે ગામોની વચ્ચે કે હવાઈ મથકો વચ્ચે અવરજવર માટે, લશ્કરમાં સૈન્ય કે શસ્ત્રોની હેરફેર માટે તથા અન્નનો પુરવઠો પહોંચાડવા માટે ઉપયોગી છે. યુદ્ધમાં ઘવાયેલા સૈનિકોને તાત્કાલિક સહીસલામત જગ્યાએ કે હૉસ્પિટલમાં પહોંચાડવા માટે હેલિકૉપ્ટર વધુ સગવડભર્યું નીવડે છે. તે હવામાં ઉપર-નીચે, આગળ-પાછળ, આજુ-બાજુ જઈ શકે છે અને હવામાં સ્થિર પણ રહી શકે છે; આથી પર્વતો, ખીણો, દરિયામાં કે નદીના પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે તે ઉપયોગી છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-10, હેલિકૉપ્ટર, પૃ. 194)

Categories
વાચન સમૃદ્ધિ

વસંતરાવ કપ્તાન

જ. 5 ફેબ્રુઆરી, 1905 અ. 25 સપ્ટેમ્બર, 1974

જાણીતા વ્યાયામપ્રવર્તક, વડોદરામાં ગુજરાત ક્રીડામંડળ સંસ્થાના સ્થાપક અને સંચાલક તથા સરદાર પટેલ યુનિવર્સિટી(વલ્લભવિદ્યાનગર)ના ભૂતપૂર્વ શારીરિક શિક્ષણ-નિયામક વસંતરાવનો જન્મ વડોદરામાં મરાઠી કુટુંબમાં થયો હતો. વડોદરામાં તાત્યાસાહેબ સહસ્રબુદ્ધેના શિષ્ય અને નારાયણ ગુરુની પરંપરાની કુસ્તીના તે પારંગત હતા. તેમણે પુણેના ડેક્કન જિમખાનામાં તથા વડોદરાના હિન્દવિજય જિમખાનામાં કુસ્તીનાં દંગલોમાં ભાગ લીધો હતો અને ભારે નામના પણ મેળવી હતી. મોટી ઉંમરે અમેરિકાના સ્પ્રિંગફિલ્ડની શારીરિક શિક્ષણ કૉલેજમાં અભ્યાસ કરી અનુસ્નાતકની ઉપાધિ પણ પ્રાપ્ત કરી હતી. તેમણે વડોદરામાં ગુજરાત ક્રીડામંડળ નામની રમત-સંસ્થા સ્થાપી હતી. આ ઉપરાંત તેઓ ‘કપ્તાન’ નામનું માસિક ચલાવતા હતા. તેમના દૃઢ સંકલ્પબળે અનેક પ્રતિકૂળ સંજોગો હોવા છતાં 1936માં બર્લિન ખાતે, 1948માં લંડનમાં વેમ્બ્લી ખાતે તથા 1966માં મેક્સિકો ખાતે યોજાયેલી વિશ્વ ઑલિમ્પિક રમતોનું નિરીક્ષણ કરવા પહોંચી ગયા હતા અને તેમાંથી ઘણી ઉપયોગી બાબતો અપનાવી હતી. તેઓ અપરિણીત રહીને દેશી વ્યાયામ અને રમતોના પ્રસાર અને વિકાસ માટે અવિરત કાર્યરત રહ્યા હતા. ભારતીય આદર્શ અનુસાર વ્યાયામ અને અધ્યાત્મનો વિરલ સુમેળ તેમના જીવનમાં જોવા મળે છે. તેઓ રામાયણની સંગીતમય કથાની અત્યંત હૃદયંગમ રજૂઆત કરી શકતા. દેશી વ્યાયામ અને રમતોના પ્રસાર અને વિકાસમાં બહુમૂલ્ય ફાળો નોંધાવવા બદલ તેમના અવસાન બાદ વડોદરા મહાનગરપાલિકાએ રાજમહેલ રોડથી પોલો ગ્રાઉન્ડ તરફ જતા માર્ગને ‘વસંતરાવ કપ્તાન માર્ગ’ નામ આપી તેમના પ્રદાનની સ્મૃતિ કાયમ રાખી છે.

Categories
વાચન સમૃદ્ધિ

તુંગભદ્રા

દક્ષિણ ભારતની એક મુખ્ય નદી. કર્ણાટક અને આંધ્રપ્રદેશમાંથી વહેતી 640 કિમી. લાંબી કૃષ્ણા નદીની તે મુખ્ય ઉપનદી છે. કર્ણાટકના ચિકમંગલૂર જિલ્લામાં આવેલ શૃંગેરીની નૈઋત્યમાં આશરે 2.5 કિમી. દૂર પશ્ચિમઘાટમાં આવેલ પુરાણ પ્રસિદ્ધ વરાહુ શિખર (ઊંચાઈ 1400 મી.) પરથી તુંગા અને ભદ્રા એમ બે નદીઓ નીકળે છે. શિમોગા જિલ્લાની ઉત્તરે કુડલી પાસે 14° ઉ. અ. અને 75° પૂ. રે. પર આ બે નદીઓ મળે છે અને ત્યાંથી તે તુંગભદ્રા તરીકે ઓળખાય છે. તુંગાના કાંઠે શૃંગેરી અને શિમોગા જેવાં ગામો વસ્યાં છે. ભદ્રા બાબાબુદાન ડુંગર તરફ વહી ઉત્તરમાં બેંકીપુર પાસેથી પસાર થઈ આગળ વધે છે.  તેના કાંઠે ભદ્રાવતી, બેંકીપુર, હરિહર, હોસ્પેટ અને હમ્પી નગરો આવેલાં છે.

તુગંભદ્રા બંધ

ઈશાન તરફ આગળ વધી આંધ્રપ્રદેશ અને કર્ણાટકની સરહદ પર 50 કિમી. સુધી વહ્યા બાદ આંધ્રપ્રદેશમાં કર્નુલ જિલ્લામાં સંગમેશ્વર પાસે તે કૃષ્ણાને મળે છે. કુમુદવતી, વરદા, હરિદ્રા, ચીના હગારી, વેદવતી વગેરે નદીઓ તુંગભદ્રાની ઉપનદીઓ છે.

ભારતમાં પ્રાચીન કાળથી નદીઓ પર બંધ બાંધી સિંચાઈ કરવાની પ્રથા પ્રચલિત હતી. 20મી સદીની શરૂઆતથી તુંગા અને ભદ્રા પર 38 જેટલા નાનામોટા બંધો બાંધવામાં આવ્યા હતા. આ બધા બંધો જૂના મૈસૂર રાજ્યમાં હતા. વિજયનગરના પ્રાચીન વંશના રાજવીઓએ 1336–1565 દરમિયાન તુંગભદ્રા પર અનેક બંધો બંધાવેલા, તે પૈકી દસ આજે પણ અસ્તિત્વમાં છે. બેલ્લારી જિલ્લાના હમ્પી પાસે આ નદીને કિનારે વિજયનગર સામ્રાજ્યના પ્રાચીન અવશેષો આજે પણ સચવાયેલા છે. બ્રિટિશ અમલ દરમિયાન 1903માં આ નદી પર એક સંયુક્ત બહુહેતુક યોજના અમલમાં મૂકવાનો ખરડો તૈયાર કરવામાં આવ્યો હતો. તે યોજના છેક 1956માં સાકાર થઈ. કર્ણાટકના બેલ્લારી જિલ્લામાં હોસ્પેટથી 8 કિમી. દૂર આ નદી નાનીમોટી ટેકરીઓ વચ્ચેથી પસાર થાય છે, ત્યાં મલ્લાપુર પાસે 2441 મી. લાંબો અને 49.33 મી. ઊંચો બંધ બાંધવામાં  આવ્યો છે. તેનાથી 1973-74માં 3.32 લાખ હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળ્યો હતો. અને 1 લાખ કિલોવૉટ વીજળીનું ઉત્પાદન થયું હતું. આ જળાશયને પંપા સરોવર નામ અપાયું છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8, તુંગભદ્રા, પૃ. 881 અથવા જુઓ https://gujarativishwakosh.org/તુંગભદ્રા/)