Categories
વાચન સમૃદ્ધિ

સાગરનું પાણી ક્યાં ?

ગ્રીસમાં જૈન્થ્રસ નામનો એક અતિ ધનવાન વેપારી વસતો હતો. જૈન્થ્રસની અઢળક મિલકત જોઈને બહારથી ખુશ દેખાતા મિત્રો ભીતરમાં  એના પ્રત્યે પ્રબળ દ્વેષ ધરાવતા હતા અને તેઓ જૈન્થ્રસની અવમાનના કરવાની તક સદાય શોધતા જ હતા. ધનવાન જૈન્થ્રસની સૌથી મોટી મર્યાદા એ હતી કે મિત્રો સાથેની ચર્ચામાં એવા અતિ ઉત્સાહમાં કોઈ એવી બડાશભરી વાત કરતા કે જે એમને ખુદને મુશ્કેલીમાં મૂકી દેતી. એક વાર જૈન્થ્રસના મિત્રો એની પ્રસંશા કરતા હતા, ત્યારે જૈન્થ્રસે ગર્વભેર કહ્યું, ‘જો હું ઇચ્છું, તો ઊંચાં ઊંચાં મોજાંઓથી ભરેલો આખો સાગર પી જાઉં.’ મિત્રો તો આવી તકની રાહ જોઈને જ બેઠા હતા એટલે તરત એ બધાએ જૈન્થ્રસ સાથે શરત લગાવી અને જૈન્થ્રસે અતિ ઉત્સાહમાં કહી નાખ્યું, ‘જો ત્રણ મહિનાની અવધિમાં આખેઆખો સાગર પી જઈશ નહીં, તો હું જાતે અગ્નિસ્નાન કરીશ.’ એના મિત્રોએ તો આ સાંભળીને ખુશખુશાલ ચહેરે વિદાય લીધી; પરંતુ જૈન્થ્રસ એકલો પડ્યો, ત્યારે એને ખ્યાલ આવ્યો કે એનો બડાશ મારવાનો સ્વભાવ એને જ કેટલું બધું નુકસાન કરે છે ! હવે કરવું શું ? એ રાત-દિવસ ચિંતામાં ડૂબી ગયો. એણે જાણ્યું કે અહીં ઈસપ નામની બુદ્ધિશાળી વ્યક્તિ સરસ વાર્તાઓ રચે છે. એની પાસેથી પોતાની સમસ્યાનો ઉકેલ મળશે એમ માનીને જૈન્થ્રસ ગયો અને ઈસપે એને એના કાનમાં મુશ્કેલીનો ઉપાય કહ્યો. જૈન્થ્રસ ખુશ થતો થતો પાછો ગયો. ત્રણ મહિના પછી બધા દોસ્ત ભેગા મળ્યા અને ધનવાન જૈન્થ્રસને મળ્યા અને કહ્યું, ‘ચાલ, સાગરને પી જઈને બતાવ.’ જૈન્થ્રસે કહ્યું, ‘મિત્રો, મેં સાગરનું જળ પીવાનું કહ્યું હતું; પરંતુ જ્યારે હું સાગરનું પાણી પીવા એના કિનારે પહોંચ્યો, ત્યારે ખ્યાલ આવ્યો કે સાગરનું પાણી ક્યાં છે ? આમાં તો અનેક નાની-મોટી નદીઓ પોતપોતાનું પાણી નાખે છે. તમે પહેલાં નદીના પાણીને અલગ કરો, તો હું સમુદ્રનું જળ પી જઈશ.’ જૈન્થ્રસના ઉત્તરે મિત્રોને નિરુત્તર કરી નાખ્યા. પણ એ દિવસથી બડાશભરી વાત ક્યારેય નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી.

Categories
વાચન સમૃદ્ધિ

અરુણા દેસાઈ

જ. 13 મે, 1924 અ. 16 ફેબ્રુઆરી, 2007

મહિલાઓનાં સ્વાતંત્ર્ય અને રક્ષણ માટે જીવન સમર્પિત કરનાર સમાજસેવિકા અરુણાબહેનનો જન્મ જૂનાગઢમાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ વડોદરામાં અને માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં લીધું હતું. 1946માં માનસશાસ્ત્રના વિષય સાથે તેઓ સ્નાતક બન્યાં હતાં. માત્ર ત્રણ વર્ષની વયે માતાનું અવસાન થતાં ફોઈ પુષ્પાબહેનની છત્રછાયામાં ઉછેર થયો. પુષ્પાબહેન ગુજરાતનાં સુપ્રસિદ્ધ સમાજસેવિકા હતાં. અરુણાબહેનને પુષ્પાબહેન પાસેથી બાળપણથી જ જીવનઘડતરના પાઠ શીખવા મળ્યા અને તેમણે આજીવન સમાજસેવાનો ભેખ લઈ લીધો. પુષ્પાબહેનના વિકાસગૃહનાં કાર્યોમાં મદદ કરતાં. તેઓ સ્વાતંત્ર્યચળવળમાં પણ પુષ્પાબહેનની પ્રવૃત્તિઓમાં સહકાર આપતાં. 1945માં પુષ્પાબહેને વઢવાણમાં સ્થાપેલા વિકાસ વિદ્યાલયમાં સમાજસેવાની જવાબદારી અરુણાબહેને ઉપાડી લીધી હતી. અહીં અનાથ નિરાધાર બાળકો, ત્યક્તાઓ, વિધવાઓ, તિરસ્કૃત સ્ત્રીઓને આશ્રય અપાતો. તેઓ વઢવાણની ભૂમિ પર બાળકો ભણીગણીને પોતાના પગ પર ઊભા રહી સ્વતંત્ર રીતે જીવન જીવી શકે તે માટે પ્રયત્નશીલ હતાં. આવી બાળાઓનું ખૂબ સુંદર જીવનઘડતર કરતાં. સમાજસેવા અને સ્ત્રીઉન્નતિ સાથે તેના પાયા સમી આર્થિક વિકાસની સમસ્યાને હલ કરવા ખૂબ પરિશ્રમ કર્યો. અરુણાબહેનના કઠિન પરિશ્રમને કારણે વિકાસ વિદ્યાલય આજે એક મોટું સેવાશ્રમ બની રહ્યું છે. આ સંસ્થાની ઘણી શાખાઓ ગુજરાતમાં સ્થપાઈ છે. વઢવાણની ધરતી પરથી ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકાર સુધી તેમનાં સત્કાર્યોની સુવાસ પહોંચી. તેમને અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારો પ્રાપ્ત થયા, જેમાં મુખ્યત્વે 1981માં બાલકલ્યાણક્ષેત્રે રાજ્ય સરકાર તરફથી પુરસ્કાર, 1989માં મહિલા સુરક્ષા પુરસ્કાર, 2002માં રાજીવ ગાંધી માનવસેવા પુરસ્કાર અને 2005માં જમનાલાલ બજાજ ઍવૉર્ડ ફોર ડેવલપમેન્ટ ઍન્ડ વેલ્ફેર ઑવ્ વિમેન ઍન્ડ ચિલ્ડ્રન ઍવૉર્ડનો સમાવેશ થાય છે.

Categories
વાચન સમૃદ્ધિ

આઇસલૅન્ડ

સ્કૉટલૅન્ડથી વાયવ્યમાં ૮૦૦ કિમી. દૂર આટલાન્ટિક મહાસાગરમાં આવેલો દેશ.

ભૌગોલિક સ્થાન : તે ૬૫° ઉ. અ. અને ૧૮° પ. રે.ની આજુબાજુનો આશરે ૧ લાખ ચો.કિમી. જેટલો છે. આઇસલૅન્ડમાં વસવાટની શરૂઆત નવમી સદીના આરંભમાં થઈ હતી. આઇસલૅન્ડમાં ધરતીકંપ વારંવાર થાય છે; પરંતુ તે ગંભીર સ્વરૂપના હોતા નથી. તેના કુલ ૧૩૦ જ્વાળામુખીમાંથી ૩૨ જેટલા હાલ સક્રિય છે. હેકલા (Hekla) અને લાકી (Laki) જાણીતા જ્વાળામુખીઓ છે. કુલ જમીનના ૨%માં જ જંગલો છે અને ૧,૦૨,૭૭૫ ચો.કિમી.ના વિસ્તારમાંથી ૧% વિસ્તાર જ ખેડાણલાયક છે. આ દેશ ઉત્તર ધ્રુવવૃત્ત નજીક આવેલો હોવા છતાં ત્યાંથી પસાર થતા ગરમ અખાતી પ્રવાહને કારણે ત્યાંનો દરિયો હૂંફાળો રહે છે અને ઠંડીની તીવ્રતા ઓછી અનુભવાય છે. અહીંના રીજવિક(પાટનગર)નું જાન્યુઆરી માસનું સરેરાશ મહત્તમ તાપમાન – ૧° સે. જ્યારે જુલાઈનું સરેરાશ મહત્તમ તાપમાન ૧૧° સે. રહે છે. વરસાદની સરેરાશ ૭૮૮ મિમી. જેટલી રહે છે.

લાકી જ્વાળામુખી

આઇસલૅન્ડની નદીઓ વહાણવટાને લાયક નથી. ‘ગોલ્ડન ફૉલ્સ’ અને ‘ગોડા ફૉલ્સ’ ત્યાંના જાણીતા ધોધ છે. આઇસલૅન્ડમાં સુંદર સરોવરો આવેલાં છે. અહીં જાતજાતનાં પક્ષીઓ આવે છે. માછીમારી માટે પણ આ સરોવર ખૂબ ઉપયોગી છે. પ્રવાસીઓ માટે તે આકર્ષણનું કેન્દ્ર પણ છે. આઇસલૅન્ડની કુલ વસ્તી ૪,૦૦,૦૦૦ લાખ (૨૦૨૬, આશરે) જેટલી છે. આઇસલૅન્ડના મોટા ભાગના લોકો નૉર્ડિક છે. ૯૬.૯% પ્રજા ઇવેન્જેલિકલ લ્યૂથરન છે. સત્તાવાર ભાષા આઇસલૅન્ડિક છે. તેઓ ખ્રિસ્તી ધર્મ પાળે છે. મત્સ્ય-ઉદ્યોગ અહીંના લોકોની જીવાદોરી છે. અહીંના જળવિસ્તારોમાં માછલીઓના ભંડાર આવેલા છે; જેમાં કોડ, કૅપલીન અને રેડફિશ મુખ્ય છે. મોટા ભાગની માછલીઓને સૂકવી, ડબ્બામાં કૅનિંગ કરી (canned) નિકાસ કરવામાં આવે છે. ગરમ પાણીના ઝરા અને ફુવારા આઇસલૅન્ડની લાક્ષણિકતા છે. આ પાણીની મદદથી તેઓ ટમેટાં, કાકડી, લેટિસની ભાજી (lettuce) અને ફૂલો ઉગાડે છે. રાજધાની રીજવિકનાં ઘરોમાં, ઑફિસોમાં ઝરાનું ગરમ પાણી પાઇપ વડે પૂરું પાડવામાં આવે છે. રાજધાની રીજવિક ઉપરાંત કોપવોગુર (Kopavogur), અકુરેયરી (Akureyri) જાણીતાં શહેરો છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, આઇસલૅન્ડ, પૃ. 95)