Categories
વાચન સમૃદ્ધિ

આપણા પર્યાવરણની ચિંતા કરીએ !

તમે વિશ્વભરના પર્યાવરણની ચિંતા કરો છો, પણ તમારી આસપાસના પર્યાવરણનો વિચાર કર્યો છે ખરો ? તમે જે સ્થળે તમારી કામગીરી બજાવતા હો, તે સ્થળ વિશે ક્યારેય વિચાર કર્યો છે ? તમારી ઑફિસમાં ફાઈલોના અસ્તવ્યસ્ત ઢગલા પડ્યા છે ! કેટલાય કાગળો આમતેમ ઊડી રહ્યા હોય છે. વચ્ચે અખબારો પડ્યાં હોય અને ફર્નિચરો હિસાબની નોટબુકોથી કે પુસ્તક-સામયિકોથી ખીચોખીચ ભરેલાં હોય છે. હકીકત જેમ વિશ્વની સુખાકારી માટે પર્યાવરણની જાળવણી જરૂરી છે, એ જ રીતે વ્યક્તિની સુખાકારી અને કાર્યક્ષમતાની વૃદ્ધિ માટે એણે પોતાના નિવાસસ્થાન અને ઑફિસના પર્યાવરણનો વિચાર કરવો જોઈએે. કોઈક ઑફિસમાં તો વ્યક્તિ ટેબલ પર એટલી બધી ફાઈલોનો ખડકલો કરીને બેઠી હોય કે એને મળવા જાવ, ત્યારે એનો ચહેરો શોધવો મુશ્કેલ પડે. આનું કારણ એ નથી કે આ બધી ફાઈલો એને એકસાથે ઉપયોગી છે. આનું કારણ એ છે કે ફાઈલોને વ્યવસ્થિત ગોઠવવાની એને ભારે આળસ છે અથવા તો ફાઈલોનો ઢગલો કરીને એની અતિ વ્યસ્તતા બતાવવા માગે છે. કાર્ય, સમયનું વાતાવરણ વ્યક્તિના વિકાસ માટે જરૂરી છે. આમાં એનો ઘણો સમય વેડફાય છે. ઘણી વાર સરકારી ઑફિસમાં જાવ ત્યારે ઉત્સાહને બદલે ઉદાસીનતાનો અનુભવ થાય છે. ઠેરઠેર પડેલી ફાઈલોના ઢગલા પર જામી ગયેલી ધૂળ પ્રમાદની ચાડી ખાય છે. આ પ્રમાદ ધીરે ધીરે અધિકારીના મન પર કબજો જમાવે છે. તમારા પ્રશ્નોનો જવાબ આપતાં પૂર્વે આસપાસ જામેલો પ્રમાદ કે ભરડો વાળીને બેઠેલી આળસથી એ વિચારે છે કે મારે તો કશું કરવાનું નથી ! આથી વ્યક્તિએ પોતાની આસપાસ એવા વાતાવરણનું નિર્માણ કરવું જોઈએ કે જે એનામાં નવી પ્રેરણા અને જીવંત ઉત્સાહનો સંચાર કર્યાં કરે.

Categories
વાચન સમૃદ્ધિ

પુ. લ. દેશપાંડે

જ. 8 નવેમ્બર, 1919 અ. 12 જૂન, 2000

મરાઠી લેખક, અભિનેતા, દિગ્દર્શક, સંગીતકાર અને ગાયક પુરુષોત્તમ દેશપાંડેનો જન્મ મુંબઈમાં ગૌડ સારસ્વત બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. પિતા લક્ષ્મણ ત્ર્ યંબક દેશપાંડે અને માતા લક્ષ્મીબાઈ. મુંબઈના પાર્લેના ટિળક વિદ્યાલયમાં અભ્યાસ કરી ઇસ્માઈલ યુસુફ કૉલેજમાં અને પછી પુણેની ફર્ગ્યુસન કૉલેજમાંથી સ્નાતક થયા. પિતાનું અવસાન થતાં નોકરી શરૂ કરી સાથે નાટ્યકલાની તાલીમ મેળવી. તેમણે પટકથાઓ લખવાનું, અભિનય કરવાનું, ગાવાનું તેમજ સંગીતનિર્દેશનનું કામ કર્યું. એ પછી તેઓ અનુસ્નાતક થયા અને એલએલ.બી.ની પદવી મેળવી. પ્રારંભમાં મુંબઈની ઓરિએન્ટ હાઈસ્કૂલના શિક્ષક બન્યા પછી કર્ણાટકના બેલગામની રાણી પાર્વતી કૉલેજ અને મુંબઈની કીર્તિ કૉલેજમાં અધ્યાપન કર્યું. તેમણે આકાશવાણીના મુંબઈ, પુણે અને દિલ્હી કેન્દ્રમાં સેવા આપી. યુનેસ્કોની શિષ્યવૃત્તિ મેળવી ટેલિવિઝન અને પ્રસારણના અભ્યાસ માટે બીબીસી લંડન ગયા. પાછા આવ્યા પછી આકાશવાણી, મુંબઈમાં નાટ્ય વિભાગના અધ્યક્ષ બન્યા. તેમણે 1943માં લેખનની શરૂઆત કરી. ‘ખોગીર ભરતી’થી તેઓ હાસ્યલેખક તરીકે જાણીતા થયા. એમણે એકપાત્રીય નાટકો લખ્યાં અને ભજવ્યાં. ‘બટાટ્યાચી ચાળ’ નાટક ભારતભરમાં ભજવ્યું હતું. તેમણે મૌલિક નાટકોની સાથે વિદેશી નાટકોનાં રૂપાંતર પણ કર્યાં છે. એમનાં નાટકો ભારતની અનેક ભાષાઓમાં ભજવાયાં છે. એમનાં પુસ્તકોના અનુવાદ કન્નડ, ગુજરાતી, અંગ્રેજી સહિત અનેક ભાષાઓમાં થયા છે. 1965માં નાંદેડ ખાતે યોજાયેલ અખિલ ભારતીય મરાઠી નાટ્યસંમેલનમાં તેઓ પ્રમુખ હતા અને 1974માં ઇચલકરંજીમાં યોજાયેલ અખિલ ભારતીય સુવર્ણ મહોત્સવી મરાઠી સાહિત્ય સંમેલનના તેઓ અધ્યક્ષ હતા. તેમણે આપેલાં પદાર્પણ બદલ તેમને અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં સાહિત્ય અકાદમી પુરસ્કાર (1965), પદ્મશ્રી (1966), સંગીત નાટક અકાદમી પુરસ્કાર (1967), કાલિદાસ સન્માન (1987-88), બાળગંધર્વ સ્મૃતિ માનચિહ્ન (1988), રામ ગણેશ ગડકરી પુરસ્કાર (1989), પદ્મભૂષણ અને મહારાષ્ટ્ર ગૌરવ સન્માન (1990), ગરિમા પુરસ્કાર (1993), મહારાષ્ટ્રભૂષણ (1996) મુખ્ય છે. ત્રણ યુનિવર્સિટીઓએ તેમને માનદ ડૉક્ટર ઑવ્ લિટરેચરની પદવી આપી હતી.

Categories
વાચન સમૃદ્ધિ

ડોમિનિકા

: કૅરિબિયન સમુદ્રમાંનો એક નાનો  ટાપુ અને સ્વતંત્ર દેશ.

ભૌગોલિક સ્થાન : 15O 30´ ઉ. અ. અને 61O 20´ પ. રે.. વેનેઝુએલાના કિનારાથી 515 કિમી. અંતરે તે આવેલો છે. એક જમાનામાં બ્રિટનનું રક્ષિત રાજ્ય હતું. ડોમિનિકા ટાપુ એ જ્વાળામુખી પર્વતોની બનેલી પહાડી ભૂમિ પર આવેલ છે. આ પર્વતમાળા જંગલોથી છવાયેલી અને ઉત્તરથી દક્ષિણ તરફ પથરાયેલી છે, જે મોરને ડાયબ્લોટીન (આશરે 1447 મી) પાસે પૂરી થાય છે. આ વિસ્તારમાં પશ્ચિમે વહેતી તેઓયુ નદી તેમજ પૂર્વમાં વહેતી પગુઆ અને કેસેલબ્રુસ નદીઓ આવેલી  છે.  આ ટાપુનું ક્ષેત્રફળ 790 ચોકિમી. છે. તેની વસ્તી 72,412 (2021) છે. આ દેશનું પાટનગર રોઝીઉ છે. ડોમિનિકામાં  આવેલા જ્વાળામુખી પર્વતો લગભગ મૃત કે સુષુપ્ત અવસ્થામાં છે, પણ ટાપુની દક્ષિણે આવેલું ગરમ પાણીનું સરોવર અને ગરમ પાણીના ઝરા એ વાતની સાક્ષી પૂરે છે કે આ ટાપુ પર જ્વાળામુખીય અસરો હજુ પણ ચાલુ છે. ટાપુ પર જ્વાળામુખીયુક્ત ભૂપૃષ્ઠ હોવાને કારણે જમીન ફળદ્રુપ છે અને ગાઢાં ઉષ્ણકટિબંધી જંગલો વિપુલ પ્રમાણમાં આવેલાં છે.

કેળાંની ખેતી

ટાપુ પર પક્ષીજીવન ઘણું સમૃદ્ધ છે. 135 જાતનાં વિવિધ પક્ષીઓ તેના પર જોવા મળે છે; જેમાં પોપટ, ભૂરા માથાવાળાં હમિંગબર્ડ, ટ્રેમ્બલર, ઇગ્વાના, ઓપોસમ, અગુતી અને ચામાચીડિયાં વગેરેનો સમાવેશ થાય છે. ડોમિનિકાનો મુખ્ય પાક કેળાં છે, જેની બહારના દેશોમાં મોટે પાયે નિકાસ થાય છે. આ ઉપરાંત ખેડૂતો ગ્રેપફ્રૂટ, લીંબું, સંતરાં અને શાકભાજીની ખેતી કરે છે. નારિયેળ એ અહીંનું મહત્ત્વનું ફળ છે. તેથી કોપરાં, કોપરેલ અને સાબુના ઉદ્યોગો વિકસ્યા છે. ડોમિનિકાનું સમૃદ્ધ પર્યાવરણ અને શાંત આબોહવાને કારણે ટાપુ પર પર્યટન-ઉદ્યોગને વિકસાવવાની ઘણી શક્યતાઓ છે. ટાપુ પર કલુષિત થયા વગરના વિશાળ વિસ્તાર તેના અદ્ભુત કિનારા અને નૌકાવિહાર અને માછીમારીની સગવડને લીધે સહેલાણીઓને આકર્ષિત કરે છે. એ જ રીતે 1975માં બનાવેલો નૅશનલ પાર્ક પણ પર્યટકોને માટે મહત્ત્વનું સ્થાન છે. ઇતિહાસ : ડોમિનિકાનું શાસન બંધારણ પ્રમાણે ચાલે છે. આ બંધારણ 3 નવેમ્બર, 1978માં દેશના સ્વતંત્રતાના દિવસે અમલમાં આવેલું છે. તે દિવસથી ડોમિનિકા ગણરાજ્ય બન્યું. તે સંસદીય લોકશાહી ધરાવે છે. રાષ્ટ્રસમૂહ(કૉમનવેલ્થ)નું સભ્ય ઉપરાંત તે સંયુક્ત રાષ્ટ્રો, અમેરિકન રાજ્યોના મંડળનું અને કૅરિબિયન કૉમ્યુનિટીનું સભ્યપદ ધરાવે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8, ડોમિનિકા, પૃ. 601 અથવા જુઓ https://gujarativishwakosh.org/ડોમિનિકા/)