Categories
વાચન સમૃદ્ધિ

જુથિકા રૉય

જ. 20 એપ્રિલ, 1920 અ. 5 ફેબ્રુઆરી, 2014

અત્યંત મધુર અવાજ અને પ્રતિભા ધરાવતાં ભજનગાયિકા જુથિકા રૉયનો જન્મ પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લામાં થયો હતો. ખૂબ નાની વયથી તેમણે ગાવાનું શરૂ કર્યું હતું. માત્ર સાત વર્ષની ઉંમરે તેમણે ગાયન પ્રસ્તુત કરવાની શરૂઆત કરી અને બાર વર્ષની વયે તેમનું પ્રથમ હિંદી ભજન ધ્વનિમુદ્રિત થયું. વિખ્યાત બંગાળી કવિ કાઝી નઝરૂલ ઇસ્લામ ઉર્ફે ‘કાઝીદા’ જુથિકા રૉયના માર્ગદર્શક અને પથપ્રદર્શક હતા. તેમની દોરવણી હેઠળ જુથિકાનું પ્રથમ આલબમ બહાર પડ્યું હતું. તે સિવાય બંગાળી સંગીતનિર્દેશક કમલ દાસગુપ્તાના સંગીત હેઠળ પણ તેમણે સુંદર ગીતો ગાયાં છે. 1934-1961ના લગભગ ત્રણ દાયકામાં જુથિકાએ ગાયેલાં હિંદી ગીતોની સંખ્યા આશરે 225 અને બંગાળી ગીતોની સંખ્યા આશરે 140 જેટલી છે. બંગાળી અને હિંદી ભાષાનાં ભજનો ઉપરાંત તેમણે ઉર્દૂ અને તમિળ ભાષામાં પણ થોડાંક ગીતો ગાયાં છે. ભજન અને ગીતો ઉપરાંત તેમણે કવ્વાલી પણ રજૂ કરેલ છે. મીરાંનાં ભજનો ગાવામાં તે વિશેષ ખ્યાતિ ધરાવે છે. મીરાંનાં ભજનોની વિશિષ્ટ પ્રકારની ગાયકીને કારણે જુથિકા રૉય તેમના પ્રશંસકોમાં ‘આધુનિક મીરાં’ના ઉપનામથી જાણીતાં બન્યાં છે. મીરાંબાઈનાં ભજનો ઉપરાંત જુથિકાએ સંત તુલસીદાસ, સંત સૂરદાસ અને સંત કબીર જેવા સંતકવિઓની રચનાઓને પણ પોતાનો કંઠ આપ્યો છે. તેમણે થોડાંક ફિલ્મી ગીતો ગાયાં છે, તેમ છતાં ભજનગાયિકા તરીકે તેમની પ્રતિષ્ઠા વધારે ઊંચી છે. તેમના પ્રશંસકોમાં મહાત્મા ગાંધી, પંડિત જવાહરલાલ નહેરુ, સરોજિની નાયડુ અને સત્ય સાંઈબાબા જેવાનાં નામ મોખરે મૂકી શકાય. 15 ઑગસ્ટ, 1947ના રોજ તીનમૂર્તિ ભવનના પોતાના શાસકીય નિવાસથી લાલ કિલ્લા સુધી રાષ્ટ્રને સંબોધવા જવા માટે પંડિત નહેરુ પસાર થતા હતા તે જ સમયે આકાશવાણી પરનું જુથિકાનું ગાયન પૂરું થયું હતું, પરંતુ પંડિતજીના સૂચનથી જુથિકા તરત જ આકાશવાણી કેન્દ્ર પાછાં ફર્યાં હતાં અને પંડિતજી લાલ કિલ્લા પર પહોંચે ત્યાં સુધી ભક્તિસંગીત ચાલુ રાખ્યું હતું. ગાંધીજી કોમી એખલાસ અને શાંતિ પ્રસ્થાપિત કરવા માટે નોઆખલીનો પ્રવાસ ખેડતા હતા ત્યારે બેલઘાટ ખાતેના તેમના રોકાણ દરમિયાન ગાંધીજીના આગ્રહથી જુથિકાએ તેમને પાંચથી છ ભજન સંભળાવ્યાં હતાં. 1972માં ભારત સરકારે તેમને પદ્મશ્રી ઇલકાબથી સન્માન્યાં હતાં.

Categories
વાચન સમૃદ્ધિ

બીમારીનો આભાર

ઑક્સફર્ડ યુનિવર્સિટીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા એકવીસ વર્ષના સ્ટિફન હૉકિંગ(જ. 8 જાન્યુઆરી, 1942)ના શરીરમાં એકાએક અણધાર્યા ફેરફારો થવા લાગ્યા. સ્કેટિંગ કરતાં બરફ પર પડી જતાં ડૉક્ટરો એમને હૉસ્પિટલમાં લાવ્યા અને લાંબી તપાસને અંતે ખ્યાલ આવ્યો કે એકવીસ વર્ષનો આ યુવક મોટરન્યૂરોન ડિસીઝ (MND) અથવા ઍમિયો ટ્રૉફિક લૅટર સ્ક્લેરોસિસ (ALS) નામના જીવલેણ રોગના હુમલાનો ભોગ બન્યો છે. લગભગ બધાં જ અંગો લકવાગ્રસ્ત બની ગયાં. આ એવી બીમારી હતી કે એમાં મગજ એના શરીર પરનું નિયંત્રણ ગુમાવી દે છે. ડૉક્ટરોએ પણ ભવિષ્ય ભાખ્યું કે સ્ટિફન હૉકિંગની બે વર્ષથી વધુ આવરદા નથી. એ પછી ન્યુમોનિયા થયો અને શ્વાસોચ્છવાસની ભારે તકલીફ થઈ. ગળાની શસ્ત્રક્રિયા કરતાં સ્વરપેટીને નુકસાન થતાં વાચા ચાલી ગઈ. પહેલાં તો હૉકિંગને એમ થયું કે હવે બ્રહ્માંડ વિજ્ઞાનમાં મેળવેલી પીએચ.ડી.ની પદવીનો શો મતલબ ? સ્ટિફન હૉકિંગનાં સઘળાં સ્વપ્નાં આથમી ગયાં હતાં, પરંતુ એનું મગજ બરાબર સ્વસ્થ હતું અને તેથી એણે થિયૉરેટિકલ ફિઝિક્સમાં સંશોધન કરવાનું ચાલુ રાખ્યું. એમાં એણે અદ્ભુત સિદ્ધિ મેળવી. ખગોળવિદ્યામાં આગવી નામના હાંસલ કરી. એનું પુસ્તક ‘બ્રીફ હિસ્ટ્રી ઑફ ટાઇમ’એ 237 સપ્તાહ સુધી ‘સન્ડે ટાઇમ્સ’ની બેસ્ટ-સેલર યાદીમાં સ્થાન પામીને વિક્રમ સર્જ્યો. એવું જ એમનું બીજું એટલું જ લોકપ્રિય પુસ્તક ‘ધ યુનિવર્સ ઇન એ નર શેલ’ છે. માથે મૃત્યુનો ડર ઝઝૂમતો હતો છતાં છેલ્લાં 39 વર્ષથી એ સતત સંશોધનકાર્ય કરે છે. એની પ્રથમ પત્ની જેન વાઇલ્ડે એને સમજાવ્યું હતું કે ભવિષ્ય જેવું કશું છે જ નહીં. વર્તમાનમાં જ જીવો. સ્ટિફન હૉકિંગ કહે છે કે આજે ક્યારેક મારા જીવનના ભૂતકાળને જોઉં છું, તો થાય છે કે હું કેટલું બધું શાનદાર જીવન જીવ્યો અને મારાં શોધ-સંશોધનોને માટે હું મારી બીમારીનો સૌથી વધુ આભારી છું. એને કારણે બધું છોડીને મારા ધ્યેયને વળગી રહ્યો. સ્ટિફન હૉકિંગે બ્લૅકહોલ, વિશ્વની ઉત્પત્તિના સિદ્ધાંત ‘બિગબૅંગ’ અને બ્રહ્માંડનાં વિવિધ પાસાંઓ વિશે સંશોધન કર્યું. આજે તેઓ બ્રહ્માંડના અંતિમ રહસ્યની શોધ કરી રહ્યા છે.

Categories
વાચન સમૃદ્ધિ

સુરેખા સિક્રી

જ. 19 એપ્રિલ, 1945 અ. 16 જુલાઈ, 2021

ભારતીય અભિનેત્રી જેમણે ત્રણેય માધ્યમ – ટેલિવિઝન , ફિલ્મ અને નાટકોમાં કામ કર્યું છે અને ઘણા ઍવૉર્ડ મેળવ્યા છે. તેઓ ઉત્તરપ્રદેશમાં આવેલ અલમોડા તથા નૈનિતાલમાં રહેતાં હતાં. શરૂઆતમાં તેઓ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં ભણ્યાં હતાં. ત્યારબાદ તેઓ રાષ્ટ્રીય નાટ્યશાળામાંથી 1971માં ગ્રૅજ્યુએટ થયાં. તેમણે દસ વર્ષ સુધી આ નાટ્યશાળામાં જ કામ કર્યું. ત્યારબાદ તેઓ મુંબઈ આવ્યાં. તેમના પિતાજી હવાઈ દળમાં કાર્યરત હતા અને માતા શિક્ષિકા તરીકે કાર્ય કરતાં હતાં. તેમનાં લગ્ન હેમંત રેગે સાથે થયાં હતાં. સુરેખા સિક્રીએ ‘બાલિકાબધૂ’ ટેલિવિઝન શ્રેણીમાં કામ કર્યું હતું. તેઓએ 1977માં રાજકીય નાટક ‘કિસ્સા કુર્સી કા’માં કામ કરી તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ હિન્દી અને મલયાળમ સિનેમામાં અને સોપ ઑપેરામાં પણ તેમણે કામ કર્યું હતું. તેમના દેખાવને પ્રેક્ષકો તથા વિવેચકો તરફથી ખૂબ પ્રશંસા મળી હતી. તેમણે ઘણી ફિલ્મોમાં અદાકારી કરી હતી, જેમાંની મુખ્ય ફિલ્મોમાં ‘કિસ્સા કુર્સી કા’, ‘અનાડી અનંત’, ‘તમસ’, ‘સલીમ લંગડે પે મત રો’, ‘પરિનતી’, ‘નઝર’, ‘કરામતી કોટ’, ‘લિટલ બુદ્ધ’, ‘મામો’, ‘સરદારી બેગમ’, ‘સરફરોશ’ વગેરે છે. તેઓને ‘મામો’ (1975), ‘તમસ’ (1983) અને ‘બધાઈ હો’ (2018) માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી તરીકે નૅશનલ ફિલ્મ ઍવૉર્ડ મળ્યો હતો. તેમને હિન્દી રંગભૂમિના તેમના યોગદાન માટે 1989માં સંગીત નાટક અકાદમી ઍવૉર્ડ મળ્યો હતો. આ ઉપરાંત શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી માટે રાષ્ટ્રીય ફિલ્મ ઍવૉર્ડ, ફિલ્મફેર ઍવૉર્ડ અને સ્ક્રીન ઍવૉર્ડ એમ ત્રણેય જાતના ઍવૉર્ડ તેમના અભિનયની સરાહના કરવા બદલ મળ્યા હતા.