Categories
વાચન સમૃદ્ધિ

ઢોળાયેલા દૂધની ચિંતા

ન્યૂયૉર્કના બ્રોંક્સના 939 વુડિક્રિસ્ટ ઍવન્યુમાં આવેલી જ્યોર્જ વૉશિંગ્ટન હાઈસ્કૂલમાં શરીરવિજ્ઞાનના શિક્ષક બ્રાન્ડવાઇન વિદ્યાર્થીઓને પ્રયોગશાળામાં લઈ ગયા. એમણે દૂધની એક બૉટલ ડેસ્કના સાવ છેડે રાખી હતી અને વિદ્યાર્થીઓ એ બૉટલને જોઈને વિચારવા લાગ્યા કે આ દૂધની બૉટલનો શરીરવિજ્ઞાન સાથે શું સંબંધ હશે ? એવામાં એકાએક બ્રાન્ડવાઇન ઊઠ્યા, ડેસ્ક થોડું હાલ્યું અને બૉટલ નીચે પડી ગઈ. એમાંનું બધું દૂધ ઢોળાઈ ગયું અને વિદ્યાર્થીઓએ ભારે શોરબકોર કર્યો, ત્યારે શિક્ષક બ્રાન્ડવાઇને કહ્યું કે, ‘દૂધ હવે વહી ગયું છે. આમ રડવાથી હવે ફાયદો શું ? તમે ગમે તેટલો કકળાટ કરશો, તોપણ દૂધનું એક ટીપું તમને મળે તેમ નથી. જો થોડી સાવધાની રાખી હોત તો દૂધની બૉટલ પડી ન હોત, પણ હવે બીજું કંઈ થઈ શકે તેમ પણ નથી. આથી આ ઘટનાને ભૂલીને બીજા કામમાં ડૂબી જાવ, નહીં તો આ ઘટનાનો માત્ર અફસોસ કરતા જ રહેશો.’ અધ્યાપક બ્રાન્ડવાઇનની આ સલાહ સાંભળતાં જ વિદ્યાર્થી એલન સાઉન્ડર્સનું ચિત્ત ચમક્યું, કારણ કે ઘણા લાંબા સમયથી એના મન પર ચિંતાનું એક ભૂત સવાર થઈ ગયું હતું. પોતાની ભૂલને માટે એ સતત ક્ષુબ્ધ અને અશાંત રહેતો હતો. આખી રાત એ બનાવ વિશે વિચારતો અને આમતેમ પડખાં ઘસતો હતો. એની ભૂલ એને સૂવા દેતી નહોતી, તેથી વિચારતો કે આવી સ્થિતિમાં હું પરીક્ષામાં કઈ રીતે સફળ થઈશ. વળી એમ વિચારતો કે મેં પેલી ભૂલ કરી એને બદલે જુદી રીતે કામ કર્યું હોત તો ભૂલ થાત નહીં. ક્વચિત્ એમ પણ થતું કે એણે અમુક રીતે વાત કરી એને બદલે બીજી રીતે વાત કરી હોત, તો વધુ સારું થાત, પણ જ્યારે શિક્ષકે કહ્યું કે, ભૂલ થતી હોય તો સાવધાન રહેવું જરૂરી છે, પરંતુ જો ભૂલ થઈ જાય તો એના પસ્તાવામાં જ આખું જીવન કાઢી નાખવું તે ખોટું છે. એમ કરવાથી તો કશું નહીં વળે.

Categories
વાચન સમૃદ્ધિ

સૈયદ સુલેમાન નદવી

જ. 22 નવેમ્બર, 1884 અ. 22 નવેમ્બર, 1953

સૈયદ સુલેમાન નદવીનો જન્મ બિહારમાં આવેલા નાલંદા જિલ્લાના દેસના નામના ગામમાં થયો હતો. તેઓ દક્ષિણ એશિયાના ઇતિહાસકાર, લેખક અને ઇસ્લામના વિદ્વાન હતા. તત્કાલીન પરંપરા મુજબ શરૂઆતની તાલીમ ઘરઆંગણે લીધા પછી તેઓ 1901માં વિખ્યાત મદરેસા નદવતુલઉલેખાંમાં દાખલ થયા. ત્યાં ઇતિહાસકાર, લેખક અને કવિ અલ્લામા શિબ્લી નોંમાનીના સંપર્કમાં આવ્યા અને પોતે તેમના કાબેલ અનુગામી પુરવાર થયા. મૌલાના શિબ્લીએ તેમને મદરેસામાંથી પ્રસિદ્ધ થતા સામયિકના સહતંત્રી બનાવીને ધાર્મિક તથા વિવિધ સાહિત્યના સંપાદનની જવાબદારી સોંપી. તેઓ કૉલકાતાથી પ્રસિદ્ધ થતા મૌલાના અબુલ કલામ આઝાદના ખ્યાતનામ અખબાર ‘અલ-હિલાલ’ના સંપાદકમંડળમાં જોડાયા. મૌલાના શિબ્લી નોંમાનીએ 1914માં આઝામગઢ ખાતે દારુલ મુસન્નિફીનના નામે એક સંસ્થા ઊભી કરી. તેનો આશય વિદ્વાન લેખકો-સંશોધકો વગેરેને પ્રોત્સાહન આપવાનો હતો. સૈયદ સુલેમાન પોતાના ઉસ્તાદના આગ્રહથી આઝમગઢ આવ્યા અને સંસ્થાની જવાબદારી સંભાળી લીધી. તેના સર્વાંગી વિકાસમાં તેઓ તનમનથી પરોવાઈ ગયા. તેમની અંતિમ અને સર્વોત્તમ રચના ‘સીરતુન્નબી’ છે. તેના ફક્ત બે ભાગ છપાયા પછી તબિયતના કારણે પથારીવશ થયા. એ પુસ્તકનું કામ પૂરું કરવા તેઓ ખૂબ ચિંતિત હતા, પણ તે પુસ્તક તેઓ પૂરું કરી શક્યા નહિ. પરંતુ કુદરતે સૈયદ સુલેમાનને જશ આપ્યો કારણ કે તેમણે પોતાના ઉસ્તાદના આ ભગીરથ કાર્યને પૂરેપૂરા ન્યાય સાથે બીજા પાંચ ભાગમાં પૂરું કર્યું. આજે આ ખ્યાતનામ ગ્રંથની ભારત-પાકિસ્તાનમાં અનેક આવૃત્તિઓ થયેલી છે અને અરબી તથા અંગ્રેજી ભાષામાં તેનો અનુવાદ પણ થયો છે. તેમનાં અનેક પુસ્તકોમાં ઉમર-ખય્યામ ઉપરનો તેમનો ગ્રંથ ‘ખય્યામ’ ખૂબ મહત્ત્વનો લેખાય છે. ભાષાવિજ્ઞાન અને ભાષાના ઇતિહાસ ઉપર તેમના અનેક નિબંધો છપાયા છે. ‘નુકૂશે સુલેમાની’ નામનો ગ્રંથ આજેય ઘણાં વિશ્વવિદ્યાલયોના ઉર્દૂના અભ્યાસક્રમોમાં સામેલ છે. 1940માં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીએ તેમને માનદ ડી.લિટ્.ની પદવી એનાયત કરી હતી.

Categories
વાચન સમૃદ્ધિ

હડપ્પા

સિંધુ સંસ્કૃતિનું એક નગર.

હડપ્પામાંના ખોદકામમાંથી પ્રાપ્ત વિભિન્ન પુરાવશેષોની વિશ્વનાં અન્ય સ્થળોએથી મળેલા સમકાલીન સંસ્કૃતિઓના અવશેષો સાથે તુલના કરતાં આ સ્થળ ઈ. સ. પૂર્વે ૨૫૦૦થી ૧૫૦૦ના સમયગાળાનું મનાય છે. ઈ. સ. પૂર્વે ૨૪૦૦માં સિંધ અને પંજાબમાં આ સંસ્કૃતિ પૂર્ણપણે વિકસી હતી. વર્તમાન પાકિસ્તાનના પૂર્વક્ષેત્રમાં સાહિવાલ શહેર નજીક, સિંધુ નદીની સહાયક રાવી નદીના કિનારે તે આવેલ છે.

સિંધુ સંસ્કૃતિનો એક નગર-અવશેષ – હડપ્પા

ઈ. સ. ૧૮૨૬માં ચાર્લ્સ મસોને આ પુરાસ્થળનો સર્વપ્રથમ ઉલ્લેખ કર્યો હતો. ઈ. સ. ૧૮૫૩ અને ૧૮૫૬માં ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ તરફથી જનરલ કનિંગહામે અહીં સ્થળ-તપાસ કરી. અહીંથી એકશૃંગી પશુ અને ચિત્રાત્મક લિપિથી અંકિત કેટલીક મુદ્રાઓ (seals) મળી આવી. ત્યારબાદ ૧૮૫૬માં કરાંચીથી લાહોર જનારી રેલલાઇનના પાટા પાથરવા માટે જ્યારે ખોદકામ ચાલુ કરાયું ત્યારે આ પુરાતન સ્થળ અંગે વધુ જાણકારી પ્રાપ્ત થઈ. ૧૯૨૧માં દયારામ સાહની દ્વારા જ્હૉન માર્શલના નિર્દેશનમાં અહીં વિધિવત્ ઉત્ખનન કરાયું. તે ચાર વર્ષ ચાલ્યું. દયારામ સાહની પછી માધો સ્વરૂપ વત્સે અહીં વિસ્તૃત ઉત્ખનન કર્યું. તે કાર્ય આઠ વર્ષ ચાલ્યું. ૧૯૪૯માં મોર્ટીમર વ્હીલરે હડપ્પાના પશ્ચિમી દુર્ગના ટિમ્બાનું ઉત્ખનન કર્યું. હડપ્પાના અવશેષો પરથી એવું લાગે છે કે એ વ્યવસ્થિત રીતે બંધાયેલું નગર હતું. એના રસ્તા ઉત્તરથી દક્ષિણ તરફ જતા હતા. મકાનો હારબંધ બંધાયેલાં હતાં. આવાસીય મકાનોના ઓટલા ઊંચા હતા અને દરેક ઘર કૂવો, ગટર વગેરેની સગવડ ધરાવતું હતું. બારી, બારણાં રસ્તા પર નહિ, પરંતુ ઘરની અંદરના ભાગમાં મૂકવામાં  આવતાં. ત્રણ સીડીઓની ઉપલબ્ધિ એકથી વધુ માળવાળાં મકાનો હોવાનું પુરવાર કરે છે. મકાનોના બાંધકામમાં પાકી ઈંટોનો વપરાશ થતો હતો. દુર્ગક્ષેત્ર રક્ષણાત્મક દીવાલ(કોટ)થી ઘેરાયેલું હતું. તેનું પ્રમુખ દ્વાર ઉત્તર દિશામાં અને બીજું દ્વાર દક્ષિણ તરફ આવેલું હતું. સમલંબ ચતુર્ભુજ આકાર ધરાવતા દુર્ગની લંબાઈ ઉત્તર-દક્ષિણ ૪૨૦ મી. અને પૂર્વપશ્ચિમ પહોળાઈ ૧૯૬ મી. હતી.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10, હડપ્પા, પૃ. 109)