Categories
વાચન સમૃદ્ધિ

રેને લેનેડ

જ. 17 ફેબ્રુઆરી, 1781 અ. 13 ઑગસ્ટ, 1826

સ્ટેથોસ્કોપની સૌપ્રથમ શોધ કરનાર વિશ્વવિખ્યાત ફ્રેંચ ચિકિત્સક રેને લેનેકનો જન્મ ક્વિમ્પર ફ્રાન્સમાં થયો હતો. પાંચ વર્ષની વયે માતાનું અવસાન થતાં તેઓ કાકાની દેખરેખ હેઠળ નેનટેસમાં તબીબી અભ્યાસ કરવા ગયા. બાળપણમાં નબળું સ્વાસ્થ્ય ધરાવતા રેને લેનેક અભ્યાસમાં તેજસ્વી અને પ્રતિભાશાળી કારકિર્દી ધરાવતા હતા. પિતાની તબીબી શિક્ષણ માટેની અનિચ્છા હોવાથી રેને અભ્યાસ છોડી થોડા સમય માટે ગ્રામીણ વિસ્તારમાં જતા રહ્યા. અહીં તેમણે નૃત્ય અને સંગીતની તાલીમ લીધી. ખાસ કરીને વાંસળીવાદનમાં નિપુણતા પ્રાપ્ત કરી. વળી ત્યાં ગ્રીક ભાષાનો પણ ઊંડો અભ્યાસ કર્યો. 1799માં તેમણે ફરી તબીબી શિક્ષણ લેવાનું શરૂ કર્યું. તેમણે માનવશરીરરચના તથા ખાસ કરીને છાતીને લગતા રોગોનો અભ્યાસ કર્યો. શિક્ષણ પૂરું થતાં તેઓ પૅરિસની નેકર હૉસ્પિટલમાં કાર્યરત બન્યા. તેમણે કૉલેજ ડી ફ્રાન્સમાં પ્રોફેસર તરીકે કામ કર્યું. રેનેએ 1816માં સ્ટેથોસ્કોપની શોધ કરી. ગ્રીક ભાષામાં Stethos (chest) અને Stopos (examination). પહેલું સ્ટેથોસ્કોપ પોલી લાકડીનું હતું. આ ઉપકરણ 25 સેમી. × 2.5 સેમીના માપનું હતું. તેને લાકડીનું બનાવવા પાછળ એક કારણ, તેણે શાળામાં નાનાં બાળકોને પોલી લાકડીનો એક છેડો કાન પર રાખી બીજે છેડેથી ધ્વનિ સાંભળતાં જોયાં હતાં. બીજું કારણ, તેઓ એક સારા વાંસળીવાદક હોવાથી વાંસળીની ડિઝાઇનવાળું ઉપકરણ બનાવવાનું ઉચિત લાગ્યું. તેમના સમયમાં ડૉક્ટરો દર્દીની છાતી પર કાન રાખી ધબકારા સાંભળતા. જે તેમને અયોગ્ય લાગ્યું. ખાસ કરીને મહિલાઓને થોડું અસહજ લાગતું. 1820માં રેનેએ બનાવેલા સ્ટેથોસ્કોપની લોકપ્રિયતા ઇટાલી, જર્મની, ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ વગેરે દેશોમાં વધવા માંડી. જોકે કેટલાક તબીબોએ તેમની મજાક કરતાં કહ્યું, ‘આપણી પાસે સાંભળવા માટે કાન છે તો સ્ટેથોસ્કોપનો ઉપયોગ શા માટે કરવો ?’ તેમણે પેરિટોઇનીટીસ, સિરોસિસ મેલાનોમા, મેટાસ્ટેસિસ, ટીબી વગેરેની પરિભાષા સમજાવી. તેઓ ખૂબ ધાર્મિક વૃત્તિ ધરાવતા દયાળુ, પરગજુ અને કટ્ટર કૅથલિક હતા. રોગનિદાન ક્ષેત્રે ક્રાંતિકારી, મૂળભૂત અને આવશ્યક શોધ માટે તથા ડૉક્ટરોની ઓળખ ગણાતા સ્ટેથોસ્કોપની શોધ કરનાર રેનેનું 45 વર્ષની વયે અવસાન થયું.

Categories
વાચન સમૃદ્ધિ

તેતર (partridge)

સીમમાં અને ખાસ કરીને ખેતરમાં દેખાતું અને સામાન્યપણે શિકારના પક્ષી તરીકે ઓળખાતું જાણીતું પક્ષી. શિકારનાં પક્ષીઓ ગૅલીફૉર્નિસ શ્રેણીનાં હોય છે. તેતરનો સમાવેશ આ શ્રેણીના ફૅસિનીડે કુળમાં થાય છે. કદમાં તેતર કબૂતર કરતાં સહેજ નાનું હોય છે. તેની લંબાઈ આશરે 33 સેમી. જેટલી થાય છે. ભારતના લગભગ બધા વિસ્તારોમાં જોવા મળતા આ પક્ષીના સહસભ્યો એશિયા, યુરોપ અને ઉત્તર આફ્રિકામાં પણ છે. તેતરનાં નર અને માદા લગભગ સમાન કદનાં હોય છે. તેના શરીરનો બાંધો મજબૂત અને સુવિકસિત હોય છે. તેની ચાંચ ટૂંકી પરંતુ મજબૂત હોય છે. ઉડ્ડયનની દૃષ્ટિએ નિર્બળ જણાતું તેતર, મુખ્યત્વે જમીન પરનું પક્ષી ગણાય છે. દોડવામાં તે ખૂબ પાવરધું હોવાથી રક્ષણ માટે પોતાની પાંખ કરતાં પગ ઉપર વધારે વિશ્વાસ રાખે છે. તેતરની આંગળીઓ નહોરવાળી હોય છે. અને જમીન ઉપર જીવન ગુજારતું હોવા છતાં રાત્રિવાસ માટે તે વૃક્ષ ઉપર ચઢી જાય છે.

ચિત્રાંગ અથવા તલિયા તેતર

આ પક્ષીને અનાજનાં ખેતરોમાં ટોળા-સ્વરૂપે ફરવું ગમે છે. આ ટોળામાં નર, માદા અને બચ્ચાં એકસાથે વિચરે છે. પગની આંગળીઓ નહોરયુક્ત હોય છે. તેથી ખોરાકના ગ્રહણમાં તે ચાંચ કરતાં પગનો ઉપયોગ વધારે કરે છે. તેના ખોરાકમાં મુખ્યત્વે ફળ, બીજ, કીટકો અને કૃમિઓનો સમાવેશ થાય છે. નહોરની મદદથી તે જમીન ખોતરે છે અને ધૂળ-સ્નાન પણ કરે છે. તેના પાચનમાર્ગમાં આવેલું અન્ન સંગ્રહાશય મોટા કદનું હોવાથી તેતર એકીસાથે ઘણું ખાઈ શકે છે. આથી જ કહેવત પડી છે કે ‘‘નાનું એવું તેતરડું, ખાય આખું ખેતરડું.’’ તેતરની પાંખો ગોળાકાર, ટૂંકી અને અલ્પવિકસિત જણાય છે. સ્વરતંત્રની સરળ રચના ધરાવતું હોવાથી, તે મધુર ગાયન ગાઈ શકતું નથી. તેતર સામાન્ય રીતે શીત ઋતુમાં સલામત સ્થળ પસંદ કરી, માળો બાંધે છે. પ્રજનનકાળ દરમિયાન માદાને આકર્ષવા માટે, પૂરી તાકાતથી, નર અવાજ કરે છે. એનો આ અવાજ ‘કીક્ કીરીરીરી, કીક્ કીરીરીરી’ તેવો સંભળાય છે. માદા માળામાં તે એકસાથે 6થી 9 ઝાંખા સફેદ રંગનાં ઈંડાં મૂકે છે. ઈંડાંમાંથી બહાર નીકળતાં બચ્ચાં, જન્મતાંની સાથે દોડી શકે છે. તેતરનો સ્વભાવ મિલનસાર હોવાથી અત્યંત સાહજિકતાથી મનુષ્ય સાથે ભળી જાય છે. તેતરની ત્રણ જાતિઓ ભારતમાં સામાન્ય છે : (1) ચિત્રાંગ અથવા તલિયા તેતર (the painted partridge) : તેતરની આ જાતિ દક્ષિણ ભારતમાં વિશેષ રૂપે જોવા મળે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8, તેતર, પૃ. 914 અથવા જુઓ https://gujarativishwakosh.org/તેતર/)

Categories
વાચન સમૃદ્ધિ

આઈ. એસ. જોહર

જ. 16 ફેબ્રુઆરી, 1920 અ. 10 માર્ચ, 1984

હિન્દી ફિલ્મજગતના અભિનેતા, લેખક, નિર્દેશક આઈ. એસ. જોહરનો જન્મ પાકિસ્તાનના તાલગંગમાં થયો હતો. આઈ. એસ. જોહરનું મૂળ નામ ઇંદ્રજિત સિંહ જોહર હતું. હિન્દી ફિલ્મોમાં હાસ્યઅભિનેતા તરીકે તેઓ જાણીતા હતા. લગભગ 50 વર્ષની ફિલ્મ કારકિર્દીમાં ભારતીય દર્શકોને હાસ્યનું મનોરંજન આપવાનું એમનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે. એમને ભારતના ચાર્લી ચૅપ્લિન ગણવામાં આવતા હતા. રાજનીતિ તથા અર્થશાસ્ત્રમાં સ્નાતક, અનુસ્નાતક તથા એલએલ.બી.નો અભ્યાસ કરનાર આઈ. એસ. જોહર શિક્ષિત અભિનેતા તરીકે પણ જાણીતા હતા. અભિનયનો શોખ એમને માયાનગરી મુંબઈ લઈ આવ્યો. જ્યાં બી. આર. ચોપરા એમના મિત્ર બન્યા. 1949માં ‘એક થી લડકી’ ફિલ્મ સાથે લેખન તથા અભિનય બંને ક્ષેત્રે એમણે પદાર્પણ કર્યું. 1951માં બી. આર. ચોપરા માટે ફિલ્મ ‘અફસાના’નું લેખન કર્યું, જેની સફળતાએ બી. આર. ચોપરાને એક અલગ ઊંચાઈ તરફ દિશા આપી. સામાજિક પ્રશ્નો સામે કટાક્ષભર્યો અવાજ ઉઠાવવા માટે આઈ. એસ. જોહર લેખન અને અભિનયને માધ્યમ બનાવતા. હાસ્ય નિષ્પત્તિ માટે એમનો એક આગવો અંદાઝ હતો. 1962માં લૉરેન્સ ઑફ અરેબિયા, 1958માં ‘હેરી બ્લૅક’ તથા ‘ડેથ ઑન ધ નાઇલ’ જેવી આંતરરાષ્ટ્રીય ફિલ્મોમાં અભિનય કરીને એમણે એક અલગ ઓળખ ઊભી કરી હતી. 1970માં ‘જોની મેરા નામ’માં ત્રણ ભૂમિકામાં અભિનય કરીને દર્શકોને ખૂબ મનોરંજન આપવા બદલ એમને ફિલ્મફેર ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ‘તીન દેવીયાં’, ‘બઢતી કા નામ દાઢ઼ી’, ‘નાસ્તિક’, ‘જોહર-મહેમૂદ ઇન ગોવા’, ‘જોહર-મહેમૂદ ઇન હૉંગકૉંગ’ જેવી અનેક ફિલ્મોમાં એમનો અભિનય દર્શકોના ચિત્તમાં ચિરંજીવ બન્યો. અંગત જીવનમાં તેઓ પાંચ વખત લગ્નગ્રંથિથી બંધાયા હતા. વિચક્ષણ લેખન, સહજ હાસ્યઅભિનય તથા નિર્દોષ અંગભંગિઓ આઈ. એસ. જોહરની વિશેષતા હતાં. ભારતીય ફિલ્મ દર્શકો એમને સદાય યાદ રાખશે.