Categories
વાચન સમૃદ્ધિ

રાધા બર્નિયર

જ. 15 નવેમ્બર, 1923 અ. 31 ઑક્ટોબર, 2013

થિયૉસૉફિકલ સોસાયટીનાં પ્રમુખ રાધા બર્નિયરનો જન્મ તામિળનાડુના અડ્યારમાં થયો હતો. માતા ભાગીરથી. પિતા એન. શ્રીરામ થિયૉસૉફિકલ સોસાયટીના પાંચમા પ્રમુખ હતા. રાધાનું શિક્ષણ થિયૉસૉફિકલ શાળા નૅશનલ ગર્લ્સ હાઈસ્કૂલમાં થયું. તેમણે રુક્મિણી દેવી અરુંડેલના કલાક્ષેત્ર ફાઉન્ડેશનમાં ભારતીય શાસ્ત્રીય નૃત્યની તાલીમ લીધી હતી. તેઓ બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી બી.એ. થયાં અને સંસ્કૃત વિષય સાથે એમ.એ.માં યુનિવર્સિટીમાં પ્રથમ આવ્યાં હતાં. તેઓ 1935માં થિયૉસૉફિકલ સોસાયટીમાં જોડાયાં. 1945થી 1951 સુધી તેનાં ગ્રંથપાલ રહ્યાં. તેઓ 1959થી 1963 સુધી મદ્રાસ થિયૉસૉફિકલ ફેડરેશનનાં પ્રમુખ રહ્યાં. 1960થી સંસ્થાની જનરલ કાઉન્સિલનાં સભ્ય હતાં. 1960થી 1972 સુધી વારાણસીમાં બેસન્ટ થિયૉસૉફિકલ સ્કૂલ, કૉલેજ અને કન્યાછાત્રાલયની વ્યવસ્થાનું કામ કર્યું. તેઓ ન્યૂ લાઇફ ફોર ઇન્ડિયા ચળવળનાં સ્થાપક હતાં. 1960થી તેમણે વિશ્વભરમાં પ્રવચનો આપ્યાં. તેમણે 1982માં નૈરોબીમાં, 1993માં બ્રાઝિલિયામાં અને 2001માં ઑસ્ટ્રેલિયામાં યોજાયેલ થિયૉસૉફિકલ સોસાયટીના ત્રણ વિશ્વ કૉંગ્રેસનું નેતૃત્વ કર્યું. તેમણે 1980થી ‘ધ થિયૉસૉફિસ્ટ’નું અને અન્ય થિયૉસૉફિકલ જર્નલોનું પણ સંપાદન કર્યું. સંસ્થાની લાઇબ્રેરીના સંશોધન જર્નલ ‘બ્રહ્મવિદ્યા’નાં સંપાદક તરીકે કામગીરી બજાવી. તેમણે ‘હઠયોગ-પ્રદીપિકા’ અને ‘સંગીત રત્નાકર’નો અનુવાદ કર્યો હતો. તેમણે તેમના અવસાન સુધી સંસ્થાની લાઇબ્રેરીના જર્નલ ‘ઇન્ડોલૉજી’નું સંપાદન કર્યું હતું. તેઓ કૅલિફૉર્નિયાની ક્રોટોના ઇન્સ્ટિટ્યૂટ ઑફ થિયૉસૉફીનાં વડા હતાં. સિડનીમાં ધ મેનોર સેન્ટર અને હોલૅન્ડમાં ઇન્ટરનેશનલ થિયૉસૉફિકલ સેન્ટરનાં પ્રમુખ હતાં. આ ઉપરાંત અનેક સંસ્થાઓમાં પ્રમુખપદ શોભાવ્યું હતું. તેઓ ઇસ્ટર્ન ઑર્ડર ઑફ ઇન્ટરનેશનલ કો-ફ્રીમેસનરીનાં સ્થાપક અને વડા હતાં. ‘નો અધર પાથ ટુ ગો’, ‘ધ વે ઑફ સેલ્ફ-નૉલેજ’ અને ‘ટ્રૂથ, બ્યૂટી ઍન્ડ ગુડનેસ’ તેમનાં મહત્ત્વનાં પુસ્તકો છે. તેઓ થિયૉસૉફિકલ સોસાયટીમાં જોડાયાં એ પહેલાં ભારતીય ફિલ્મોની અભિનેત્રી હતાં. તેમણે 1951માં જીન રેનોઇરની ‘ધ રિવર’ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રીની ભૂમિકા ભજવી હતી. ભારતની નાગાર્જુન  યુનિવર્સિટીએ 1984માં તેમને માનદ ડી.લિટ.ની પદવી એનાયત કરી હતી.

Categories
વાચન સમૃદ્ધિ

દેવું ચૂકવી દીધું

અમેરિકાના સોળમા પ્રમુખ અબ્રાહમ લિંકન સામાન્ય માનવીની વાસ્તવિક સ્થિતિને બરાબર પારખતા હતા. તેઓ સ્વયં એક નિરક્ષર અને ગરીબ છોકરામાંથી આપબળે આગળ વધીને અમેરિકાના પ્રમુખ બન્યા હતા. વળી એક વાર નહીં, પણ બે વાર પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. એમનું જીવન નિરંતર યુદ્ધ જેવું પસાર થયું. એ સમયે અમેરિકામાં ચાર ચાર વર્ષ સુધી દક્ષિણ અને ઉત્તરનાં લશ્કરો વચ્ચે આંતરવિગ્રહ ચાલ્યો અને એ સમયે પ્રમુખ અબ્રાહમ લિંકનને આ કાંટાળો તાજ પોતાના શિરે ધારણ કરવો પડ્યો. એક વાર સૈન્યનું નિરીક્ષણ કરવા આવેલા અબ્રાહમ લિંકન સમક્ષ વિલિયન સ્કોટ નામના યુવાનને હાજર કરવામાં આવ્યો. એના પર એવો આરોપ હતો કે એ ચોકી કરવાને સ્થળે ઊંઘી ગયો હતો અને તેથી તેને મૃત્યુદંડની સજા ફરમાવવામાં આવી હતી. લિંકનના કરુણાભર્યા હૃદયને આવું ક્યાંથી પસંદ પડે ? એટલે એમણે એ યુવાનને કહ્યું, ‘તું મારું બિલ ચૂકવી આપીશ, તો તને ઠાર કરવામાં નહીં આવે.’ આ વાત સાંભળીને સૈનિક વિલિયમ સ્કોટ વિચારમાં પડી ગયો. એણે કહ્યું, ‘હું મારી સઘળી મિલકત ગિરવે મૂકીને આપને વધારેમાં વધારે છસો ડૉલર આપી શકું તેમ છું.’ ત્યારે લિંકને હસીને કહ્યું, ‘ના, તારે તારું દેવું સૈનિક તરીકેની તારી ફરજ બજાવીને ચૂકવવું પડશે.’ આ વાતને છ મહિના વીતી ગયા અને એક ખૂંખાર લડાઈમાં લિંકનના સૈનિકો નદી ઓળંગતા હતા, ત્યારે ઘણા સૈનિકોને તરતાં આવડતું નહોતું. વિલિયમ સ્કોટ તરવાનું જાણતો હતો, તેથી એણે જાનના જોખમે છ સૈનિકોને નદીની પાર ઉતાર્યા. એ સાતમા સૈનિકને તરતો તરતો નદીપાર લાવતો હતો, ત્યાં દુશ્મનની ગોળી એના માથા પર વાગી અને એણે જળસમાધિ લીધી. લિંકન પાસેથી મૃત્યુદંડમાંથી ક્ષમા પામેલા વિલિયમ સ્કોટે પોતાનું બલિદાન આપીને પ્રમુખનું દેવું ચૂકવ્યું !

Categories
વાચન સમૃદ્ધિ

ઇન્દિરા ગોસ્વામી

જ. 14 નવેમ્બર, 1942 અ. 29 નવેમ્બર, 2011

અસમિયા સાહિત્યનાં જાણીતાં સાહિત્યકાર, વિવેચક, પ્રાધ્યાપક વિદુષીનો જન્મ ગુવાહાટી, આસામમાં થયો હતો. ઇન્દિરા ગોસ્વામીએ શિલૉંગની પાઇનમાઉન્ટ સ્કૂલમાં તથા ગુવાહાટીની તારિણી ચૌધરી ગર્લ્સ સ્કૂલમાંથી શાળાકીય શિક્ષણ લીધું. ગુવાહાટી યુનિવર્સિટીમાંથી આસામીઝ સાહિત્યમાં સ્નાતક અને ત્યારબાદ અનુસ્નાતક પદવી પ્રાપ્ત કરી. પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતાં ઇન્દિરા ગોસ્વામી નાનપણથી જ કલ્પનાશીલ અને સંવેદનશીલ હતા. અતિશય સંવેદનશીલતાને કારણે તેઓ આજીવન ડિપ્રેશનનો શિકાર બનેલાં. તેમને અવારનવાર આત્મહત્યાના વિચારો આવતા. પ્રેમલગ્નના દોઢ વર્ષમાં જ પતિ મધુરાયસમ આયંગરનું એક માર્ગ અકસ્માતમાં અવસાન થતાં તેમને વૈધવ્યનાં દુઃખ અને એકલતાનો અનુભવ થયો. વૃંદાવન જઈ તેમણે તેમના ગુરુ લાખેરુજીના માર્ગદર્શનમાં પીએચ.ડી. કર્યું. ત્રણ વર્ષના વૃંદાવનના નિવાસ દરમિયાન તેમણે રામાયણનો વિસ્તૃત અભ્યાસ કર્યો. તે સમયે વ્રજધામમાં રહેતી સમાજથી તિરસ્કૃત અને ઉપેક્ષિત એવી અનેક મજબૂર અને લાચાર વિધવાઓને જોઈને તેમનું દિલ દ્રવી ઊઠ્યું અને તેમણે યાદગાર નવલકથા ‘નીલકંઠી વ્રજ’(1986)નું સર્જન કર્યું. આ કૃતિએ તેમને ખૂબ યશ અપાવ્યો. તેના પરથી ‘અડાજ્યા’ નામની ફિલ્મ બની. જેને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય પુરસ્કારો પ્રાપ્ત થયા. ત્યારબાદ તેઓ દિલ્હી યુનિવર્સિટીમાં આસામીઝ સાહિત્યનાં પ્રોફેસર તરીકે જોડાયાં. દિલ્હીના નિવાસ દરમિયાન તેમણે મોટા ભાગની યાદગાર કૃતિઓનું સર્જન કર્યું; જેમાં ‘ઉદય ભાનુ’, ‘અહીરોન’, ધ રસ્ટેડ સ્વૉર્ડ, ‘ધ મૅન ફ્રોમ છિન્નમસ્તા’, ‘પેજીસ સ્ટેઇન્ડ વિથ બ્લડ’ વગેરે મુખ્ય ગણાય. તેમની હૃદયદ્રાવક આત્મકથા ‘એન અનફિનિશ્ડ ઑટોબાયૉગ્રાફી’ (1990) અનેક ભાષાઓમાં અનૂદિત થઈ છે. તેમના સાહિત્યસર્જન ક્ષેત્રે યોગદાન બદલ અનેક ઍવૉર્ડ પ્રાપ્ત થયા છે; જેમાં સાહિત્ય અકાદમીનો પુરસ્કાર, જ્ઞાનપીઠ ઍવૉર્ડ, અસોમ રત્ન સન્માન વગેરે સમાવિષ્ટ છે. કેટલીક જાણીતી યુનિવર્સિટીએ તેમને માનદ ડી. લિટ.ની પદવી અર્પણ કરી છે. 2002માં ભારત સરકાર તરફથી તેમને પદ્મશ્રીનો પુરસ્કાર આપવાની જાહેરાત થઈ, પરંતુ તેમણે તેનો અસ્વીકાર કર્યો.