Categories
વાચન સમૃદ્ધિ

જમીન પર તો ચાલતાં શીખો

એક વાર અંધારી રાત્રે વિખ્યાત ખગોળશાસ્ત્રી અલ ખ્વારિજ્મી ઘૂમવા નીકળ્યા. એ જમાનામાં આકાશના તારાઓની ઓળખ મેળવનારા ખગોળશાસ્ત્રી અલ ખ્વારિજ્મી જેવો બીજો કોઈ ખગોળશાસ્ત્રી નહોતો. ચોતરફ એમની વિદ્યાની પ્રશંસા થતી હતી અને તારાઓની ગતિ જોઈને વ્યક્તિના ભવિષ્યના જીવનની ગતિ બતાવવાની એમની કાબેલિયત પર સહુ કોઈ આફરીન પોકારી ગયા હતા. રાત્રે ફરવા નીકળેલા આ સમર્થ ખગોળશાસ્ત્રી ખ્યાલ ન રહેતાં ઊંડા ખાડામાં પડી ગયા. મદદ કરવા માટે એ જોર જોરથી બૂમો પાડતા હતા. થોડો સમય તો કોઈ આવ્યું નહીં, પણ એવામાં એક વૃદ્ધ સ્ત્રી એ રસ્તેથી નીકળી અને એણે જોયું તો ખાડામાંથી કોઈ મદદ માટે બૂમો પાડતું હતું. એ ગરીબ, નિરક્ષર મહિલાએ ઘણી મહેનત કરીને એમને બહાર કાઢ્યો. ખગોળશાસ્ત્રી અલ ખ્વારિજ્મીએ આ વૃદ્ધાનો આભાર માન્યો. વૃદ્ધા તો હસીને આગળ ચાલી. કીર્તિવંત ખગોળશાસ્ત્રીથી રહેવાયું નહીં એટલે એમણે એ વૃદ્ધાને અટકાવીને પૂછ્યું, ‘તમે મને ઓળખ્યો ખરો ? હું આ જમાનાનો મશહૂર ખગોળશાસ્ત્રી અને જ્યોતિષશાસ્ત્રી છું. આકાશના તારાને જોઈને માણસની જિંદગીની ગતિ ભાખી શકું છું. તમે મને ખાડામાંથી બહાર કાઢ્યો ને મદદ કરી, તે માટે તમારું ભવિષ્ય જોઈને મારા પરના અહેસાનનો બદલો ચૂકવવો છે.’ પેલી વૃદ્ધાએ હસીને કહ્યું, ‘અરે ! જેને જમીન પરના ખાડાની જાણકારી ન હોય, એને વળી માનવીના ભવિષ્યની જાણકારી હોય ખરી ? પહેલાં તમે જે જમીન પર ચાલો છો, એને બરાબર જાણો, પછી તારાઓની ગતિનું માપ કાઢવા બેસજો.’ વૃદ્ધાનાં આ વચનોએ ખગોળશાસ્ત્રીના હૃદય પર પ્રભાવ પાડ્યો. એમને સમજાયું કે જે જમીન પર ચાલો છો, તે જમીનનો વાસ્તવિક ખ્યાલ ન હોય, તો આકાશને જાણીને શું કરશો? આ ખગોળશાસ્ત્રી આકાશના બદલે પાતાળના-ભૂગર્ભના ભેદ ઉકેલવા લાગ્યો અને ભૂસ્તરશાસ્ત્રી બન્યો. વૃદ્ધાના એક વાક્યે આકાશમાં નજર માંડીને બેઠેલા ખગોળશાસ્ત્રીના જીવનની દિશા બદલી નાખી.

Categories
વાચન સમૃદ્ધિ

હર્ષિદા પંડિત

જ. 15 ફેબ્રુઆરી, 1927 અ. 27 ફેબ્રુઆરી, 2012

મનોવિજ્ઞાનક્ષેત્રે ઉમદા માર્ગદર્શક અને અધ્યાપક હર્ષિદા પંડિતનો જન્મ અમદાવાદમાં થયો. પ્રારંભિક શિક્ષણ પણ અમદાવાદમાં જ લીધું. ત્યારબાદ ભાગલપુર અને મુંબઈમાં વધુ અભ્યાસ અર્થે ગયાં. 1948માં અંગ્રેજી સાહિત્ય સાથે સ્નાતકની ઉપાધિ મેળવી. 1950માં માનસશાસ્ત્ર તથા તત્ત્વજ્ઞાન સાથે એમ.એ. કર્યું. આ ઉપરાંત 1944માં કોવિદ અને 1949માં વિશારદની ઉપાધિઓ પણ મેળવી. ભણવાનો એટલો શોખ કે મિત્રો પાસેથી ઉછીના પૈસા લઈને પણ 1953માં વિદેશ ભણવા ગયાં. આ પહેલાં 1951માં શ્રી રામુ પંડિત સાથે લગ્નગ્રંથિથી જોડાયાં. 1957માં શૈક્ષણિક માનસશાસ્ત્રમાં યુનિવર્સિટી ઑફ સધર્ન કૅલિફૉર્નિયામાંથી એમ.એસ.ની ઉપાધિ મેળવી. ત્યારબાદ પેસેડોનાની વેસ્ટર્ન પર્સોનલ ઇન્સ્ટિટ્યૂટમાં સંશોધનની તાલીમ લીધી. 1958માં અમેરિકાથી ભારત આવીને અમદાવાદની સ્વામિનારાયણ કૉલેજમાં માનસશાસ્ત્રનાં વ્યાખ્યાતા તરીકે જોડાયાં. 1960માં એમ.એસ. યુનિવર્સિટી વડોદરામાં સ્ટુડન્ટ કાઉન્સેલિંગ સેન્ટરમાં મનોવૈજ્ઞાનિક તરીકે જોડાયાં. 1962થી 1987 સુધી એસ.એન.ડી.ટી. વિમેન્સ યુનિવર્સિટી, મુંબઈમાં મનોવિજ્ઞાન વિભાગમાં પ્રાધ્યાપકપદે અને ત્યારબાદ વિભાગીય અધ્યક્ષ તરીકે સેવા આપી. 1983માં ‘વહેમનું મનોવિજ્ઞાન’ પર મહાનિબંધ લખી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી ડૉક્ટરેટની ઉપાધિ મેળવી. 1986માં યુ.એસ.એ.માંથી ઇન્ટરનેશનલ એકૅડેમી ઑફ પ્રૉફેશનલ કાઉન્સેલિંગ ઍન્ડ સાઇકોથૅરપીમાં ડિપ્લોમેટ સ્ટેટસ મેળવ્યું. 1987માં એસ.એન.ડી.ટી.માંથી નિવૃત્ત થયા બાદ એ. કે. મુન્શી યોજનાના બાળમાર્ગદર્શન કેન્દ્ર તથા યૂથ કાઉન્સેલિંગ સેન્ટરમાં સેવાઓ આપી. 1989માં સરલા શેઠ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાઇલ્ડ ડેવલપમેન્ટ ઍન્ડ ગાઇડન્સ જેવી સંસ્થામાં માનસિક મંદબુદ્ધિ ધરાવનાર બાળકો માટેની વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું. માનવવર્તનમાં જુદાં જુદાં પાસાંઓ વિશેની કટારો ‘ગુજરાત સમાચાર’, ‘સ્ત્રી’, ‘સમકાલીન’ વગેરેમાં લખતાં. ‘નવનીત-સમર્પણ’, ‘અનસૂયા’, ‘ઉજાસ’, ‘જ્યોતિસંઘ પત્રિકા’ અને ‘અખંડ આનંદ’ સામયિકોમાં તેમના લેખો પ્રગટ થતા. તેમણે અનેક પુસ્તિકાઓ અને પુસ્તકો પણ લખ્યાં છે જેવાં કે, ‘બાળકોને જાતીય જ્ઞાન કેમ આપવું’, ‘ફ્રોઇડ પછીનું મનોવિશ્લેષણ’, ‘બાળમાનસને ઓળખીએ’, ‘મૂંઝવતું બાળવર્તન’, ‘સ્ત્રી-માનસશાસ્ત્ર’ અને ‘માનવમનની આંટીઘૂંટીઓ’ વગેરે. તેમનાં પુસ્તકો સંશોધકો માટે ખૂબ જ ઉપયોગી બની રહ્યાં છે.

Categories
વાચન સમૃદ્ધિ

હોળી

હિન્દુઓનો એક અગત્યનો તહેવાર. હોળી આપણો સામાજિક તહેવાર છે. તે જનસામાન્યનું પર્વ છે. ખાસ કરીને આદિવાસીઓ તે ખૂબ ઉત્સાહથી  ઊજવે છે. આ પર્વ ફાગણ મહિનાની પૂનમે ઊજવાય છે. આ પર્વ ફાગણ માસમાં આવતું હોવાથી તેને ‘ફાલ્ગુનિક’ પણ કહે છે. ભારતભરમાં ખાસ કરીને ગુજરાત અને રાજસ્થાનમાં આનંદ-ઉલ્લાસપૂર્વક આ ઉત્સવ ઊજવાય છે. રાજસ્થાનમાં તો આ પર્વને દિવાળીથી પણ વધુ મહત્ત્વ અપાય છે. ત્યાંની લઠ્ઠામાર હોળી જાણીતી છે. આ ઉત્સવના સંદર્ભમાં ફાગુ-ગીતોની પરંપરા પણ પ્રચલિત છે. પુરાણકાળથી આ પર્વની સાથે પ્રહલાદની વાત જોડાયેલી છે. ઘણાં વર્ષો પૂર્વે હિરણ્યકશિપુ નામનો દૈત્યવંશનો એક રાજા હતો. તેને પ્રહલાદ નામનો એક વિષ્ણુ-ભક્ત પુત્ર હતો. હિરણ્યકશિપુ પોતાને ભગવાનથીય ચડિયાતો માનતો હોવાથી તેનો પુત્ર પ્રહલાદ ભગવાનનું નામ લે તે તેને પસંદ નહોતું. તેણે પોતાના પુત્રને સમજાવવા ઘણા પ્રયત્નો કર્યા, પણ તેણે ભગવાનનું નામ લેવાનું છોડ્યું નહિ. હિરણ્યકશિપુએ પ્રહલાદને મારવા અનેક પ્રયત્નો કર્યા પણ રામ રાખે તેને કોણ ચાખે ? અંતે પ્રહલાદની ફોઈ હોલિકાને અગ્નિ બાળી ન શકે તેવું વરદાન હોવાથી તેને પ્રહલાદની હત્યા કરવાનું કામ સોંપ્યું. હોલિકા પ્રહલાદને ખોળામાં લઈને અગ્નિમાં બેઠી, પરંતુ ધર્મના પ્રતાપે પ્રહલાદનો વાળ પણ વાંકો ન થયો અને હોલિકા બળીને મૃત્યુ પામી. આમ, અધર્મ પર ધર્મનો વિજય થયો. તેની યાદમાં ફાગણ માસની પૂનમના દિવસે હોળીનો તહેવાર ઊજવવામાં આવે છે.

હોળી પ્રગટાવીને પૂજા-પ્રદક્ષિણા કરતા લોકો

ગામમાં કે શહેરમાં રહેતા લોકો અનુકૂળ જગ્યાએ લાકડાં ગોઠવીને ખડકલો કરે છે. તેમાં છાણાં પણ ગોઠવે છે. તેના પર સુકાયેલાં છાણાં(હોળૈયાં)નો હાર ચઢાવવામાં આવે છે. પછી સંધ્યાકાળે, મુહૂર્ત અનુસાર અગ્નિ પ્રગટાવી તેની પૂજા-પ્રદક્ષિણા કરવામાં આવે છે. નાળિયેર, ધાણી, ખજૂર વગેરે અગ્નિમાં હોમવામાં આવે છે. હોળીને મથાળે નાનકડી ધજા રોપાય છે. કેટલાક તેને પ્રહલાદ ભગતનું પ્રતીક માને છે. કેટલાક ધજા ફરકે કે પડે તેની દિશા ઉપરથી ઋતુમાનનો સંકેત ગ્રહણ કરે છે. હોળીના દિવસે લોકો ધાણી-ચણા તથા ખજૂર વગેરે લે છે, કેટલાક ઉપવાસ પણ રાખે છે. આ ટાણે ખાંડના હારડા લોકો લે છે. વળી ઢોલ-નગારાં પણ વગાડાય છે. પ્રાચીન કાળમાં તો આ સમયે ખેતરોમાંથી નવું પાકેલું ધાન્ય ઘરોમાં લવાતું. આ નવું અનાજ પ્રથમ દેવને અર્પણ કરીને પોતાના ઉપયોગમાં લેવાતું.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-10, હોળી, પૃ. 207)