અનોખી સજા


અમેરિકાના ૩૪મા પ્રમુખ ડ્વાઇડ ડેવિડ આઇઝનહોવર (ઈ. સ. ૧૮૯૦થી ૧૯૬૯) મૂળે એક યશસ્વી સૈનિક હતા. પ્રથમ-દ્વિતીય વિશ્વયુદ્ધમાં સૈનિક તરીકે બહાદુરી અને દૂરંદેશી દાખવી હતી. સમય જતાં અમેરિકામાં અત્યંત લોકપ્રિય એવા આઇઝનહોવર સર્વોચ્ચ સેનાપતિ અને પંચતારક જનરલ બન્યા. ૧૯૫૨માં તેમણે કોરિયાના યુદ્ધમાં યુદ્ધમોકૂફી કરાવી અને ૧૯૫૭માં એમના સૂચનથી આંતરરાષ્ટ્રીય અણુપંચની રચના કરવામાં આવી. એ પછી સામ્યવાદ સામે મોરચો ઊભો કરવા માટે જુદા જુદા દેશો સાથે લશ્કરી કરારો કર્યા. આઇઝનહોવર કડક શિસ્તના હિમાયતી હતા. બીજા વિશ્વયુદ્ધ સમયે એમણે અમેરિકાનાં લશ્કરી દળોનું નેતૃત્વ સંભાળ્યું અને સૈન્યને સંગઠિત રહીને દુશ્મનોનો સામનો કરવા સતત સલાહ આપી. અમેરિકાની સેનામાં બે લશ્કરી અધિકારીઓ એવા હતા કે જેઓ એકબીજા સાથે સતત લડતા-ઝઘડતા રહેતા. પરસ્પરને માટે એમની આંખોમાં ઝેર હતું અને તેથી સાવ સામાન્ય બાબતમાં પણ ઉશ્કેરાઈને એકબીજા સામે અપશબ્દો બોલવા લાગતા અને ક્યારેક મારામારી કરવા સુધી પહોંચી જતા. સેનાપતિ આઇઝનહોવરે આ બંને સૈનિકોને સમજાવવા પ્રયત્ન કર્યો. સેનાની શિસ્તની વાત કરી. સેનામાં વિખવાદ હોય તો વિફળતા મળે એ સિદ્ધાંત સમજાવ્યો. આ સઘળું કહ્યું, છતાં બધું પથ્થર પર પાણી ! પેલા બે સૈનિકોએ ફરી તોફાન કર્યું એટલે સેનાપતિ આઇઝનહોવરે એમને સજા ફરમાવી. એક અધિકારીને કાચની દીવાલ ધરાવતી સરકારી બરાકને બહારથી સાફ કરવાની સજા કરી, તો બીજાને અંદરની બાજુથી એ કાચ સાફ કરવાની સજા કરી. કાચ ચોખ્ખા કરવા માટે બંનેને સાથે રહીને એટલી બધી મહેનત કરવી પડી કે સમય જતાં એમનાં મન ચોખ્ખાં થઈ ગયાં.

કુમારપાળ દેસાઈ

કૈલાસનાથ વાંછુ


જ. ૨૫ ફેબ્રુઆરી, ૧૯૦૩ અ. ૧૪ ઑગસ્ટ, ૧૯૮૮

ભારતના દસમા મુખ્ય ન્યાયાધીશપદે રહી ચૂકેલ કૈલાસનાથ વાંછુનો જન્મ અલાહાબાદમાં એક કાશ્મીરી પંડિત પરિવારમાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ મધ્યપ્રદેશના નૌગોંગમાં અને માધ્યમિક અને ઉચ્ચશિક્ષણ પંડિત પીર્થીનાથ હાઈસ્કૂલ, કાનપુર, મુઇર સેન્ટ્રલ કૉલેજ, અલાહાબાદ અને વાઘમ કૉલેજ, ઑક્સફર્ડથી પ્રાપ્ત કર્યું હતું. કૈલાસનાથ વાંછુ ૧ ડિસેમ્બર, ૧૯૨૬ના રોજ ઉત્તરપ્રદેશમાં જૉઇન્ટ મૅજિસ્ટ્રેટ તરીકે ભારતીય સિવિલ સર્વિસમાં જોડાયા હતા. અલાહાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે ફેબ્રુઆરી, ૧૯૪૭થી જાન્યુઆરી ૧૯૫૧ સુધી સેવા આપ્યા બાદ ૧૯૫૧થી ૧૯૫૮ સુધી રાજસ્થાન હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકેનો સૌથી લાંબા સમય સુધી તેમણે હોદ્દો ગ્રહણ કર્યો હતો. સમયાંતરે તેઓ ૧૯૫૦-૫૧માં ઉત્તરપ્રદેશ ન્યાયિક સુધારણા સમિતિના અધ્યક્ષપદે પણ હતા. ૧૯૫૪માં ફાયરિંગ ઇન્ક્વાયરી કમિશનના એકમાત્ર સભ્ય તરીકે સ્થાન શોભાવ્યા બાદ ૧૯૫૫માં તેઓ ધોલપુર ઉત્તરાધિકારી કેસ કમિશનના અધ્યક્ષસ્થાને અને કાયદા પંચના સભ્ય તરીકે પણ ફરજ પર હતા. ૧૨ એપ્રિલ, ૧૯૬૭ના રોજ કૈલાસનાથે ભારતના દસમા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા. સુપ્રીમ કોર્ટના કાર્યકાળ દરમિયાન તેમણે ૩૫૫ ચુકાદાઓ લખ્યા હતા.

અશ્વિન આણદાણી

સરગવો


ઔષધીય ગુણો ધરાવતી દ્વિદળી વર્ગમાંની એક વનસ્પતિ.

સરગવાનાં વૃક્ષો મયમ કદનાં હોય છે. તેની ઊંચાઈ ૪.૫થી ૧૦ મીટર સુધીની હોય છે. તેનું થડ ૩૦થી ૬૦ સેમી.નો વ્યાસ ધરાવે છે. સરગવાની છાલનો રંગ ભૂખરો હોય છે. પાન આમલી જેવાં પણ ઘણાં મોટાં હોય છે. લાકડું ખૂબ જ પોચું હોવાથી ઇમારતી કામમાં આવતું નથી. સરગવો સફેદ, કાળા અને લાલ રંગનાં ફૂલોવાળો —એમ ત્રણ જાતનો થાય છે. તેનાં ફૂલોમાંથી મધના જેવી સુગંધ આવે છે. સરગવાની શિંગોની લંબાઈ ૨૨.૫થી ૫૦ સેમી. સુધીની હોય છે. તેનો રંગ લીલો અને ત્રિકોણાકાર હોય છે. શિંગોની ઉપરની છાલ કઠણ હોય છે અને તેમની અંદર સફેદ રંગનો ગર્ભ હોય છે. તેમાં ત્રિકોણાકાર પાંખોવાળાં બીજ હોય છે. સરગવાને મહા-ફાગણ માસમાં ફૂલો અને ચૈત્ર-વૈશાખમાં શિંગો આવે છે. સરગવાનાં વૃક્ષો ભારતભરમાં સર્વત્ર થાય છે. તેનાં વૃક્ષો બાગ-બગીચા, ખેતરો અને વાડીઓમાં તેમ જ ઠેર ઠેર જોવા મળે છે. સફેદ ફૂલોનો સરગવો લગભગ સર્વત્ર થાય છે. દક્ષિણ અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના જૂનાગઢના વિસ્તારના સમુદ્ર-કિનારાના પ્રદેશમાં સરગવો સારો થાય છે. તે કઠણ માટી (clay) સિવાયની બધા પ્રકારની જમીનમાં થાય છે. તેને દક્ષિણ ભારતની ઉષ્ણકટિબંધીય દ્વીપીય (insular) આબોહવા સૌથી અનુકૂળ છે. આ વૃક્ષનું પ્રસર્જન બીજ અને કલમો દ્વારા થાય છે. સરગવાની વધુ જાણીતી જાતોમાં જાફના, ચવકચેરી, ચેમુંરુંગાઈ, કટુમુરુંગાઈ, કોડીકાલ મુરુંગાઈ, યઝપાનામ સરગવો તથા પીકેએમ. ૧નો સમાવેશ થાય છે.

સરગવાના વૃક્ષના બધા જ ભાગ ઉપયોગમાં લેવામાં આવે છે. શાક અને સૂપ બનાવવા માટે શિંગો ઉપયોગમાં આવે છે. તેના ઝાડનો ગુંદર શરૂઆતમાં સફેદ રંગનો પણ પછી તે ઘટ્ટ લાલ રંગનો કાળાશ પડતો થાય છે. આ ગુંદર કાપડ છાપવાના રંગમાં વપરાય છે; તે ખાવામાં વપરાતો નથી. સરગવાનાં બીજમાંથી કાગળ ચોંટાડવાનો ગુંદર બને છે. તે ખૂબ સ્વચ્છ અને સફેદ હોય છે. નાના વૃક્ષનાં મૂળ અને તેની છાલથી ચામડી લાલ થઈ જાય છે અને ફોડલા પડે છે. પર્ણો વિટામિન ‘A’ અને ‘C’ ધરાવે છે. તેનો મલમ ઘા ઉપર લગાડવામાં આવે છે. તેનાં પુષ્પો શક્તિદાયક, મૂત્રલ (diuretic) અને પિત્તરેચક તરીકે વપરાય છે. તેનાં બીજનું તેલ સંધિવા અને ગાંઠિયા વા પર લગાડવામાં આવે છે. સરગવાનાં સૂકાં બીજોમાંથી ૩૫થી ૪૦ ટકા તેલ મળે છે, જે સ્વચ્છ અને પાતળું હોય છે. તેનો સુગંધી તેલો બનાવવામાં ખૂબ જ ઉપયોગ થાય છે. સરગવો ભૂખ લગાડે છે અને પચવામાં હલકો હોય છે. તે સ્કર્વી અને શરદીના રોગોમાં ઉપયોગી છે. તેનાં બીજ કડવાં હોય છે અને તાવ મટાડે છે. તે ઝાડાને રોકે છે. તે વીર્યવર્ધક અને હૃદય માટે લાભદાયી છે, પણ લોહી બગાડે છે. તે આંખ માટે હિતકારી અને કફ, વાયુ, જખમ, કૃમિ, ચળ, સોજો, મોંની જડતા, ચરબી, બરોળ, કોઢ અને ક્ષયના રોગોમાં ફાયદાકારક છે. આમ સરગવાના બધા જ ભાગો ઔષધીય ગણાય છે અને અનેક રોગો મટાડવામાં તેનો ઉપયોગ કરાય છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

અમલા પરીખ