Categories
વાચન સમૃદ્ધિ

આત્મા અને ઇંદ્રિયો વચ્ચેનો ઉંબરો છે મન

યુવકનું અકાળે અવસાન થતાં એક વ્યક્તિએ દુ:ખના બોજ સાથે નાની વયે થયેલા અવસાન અંગે આંખમાં આંસુ સાથે શોક પ્રગટ કર્યો. બીજી વ્યક્તિએ કહ્યું કે નાની વયમાં વ્યસનમાં સપડાયેલા એને માટે આ જ ભાવિ નિર્મિત હતું. આમ કહેનારી વ્યક્તિના ચહેરા પર દુ:ખ કે શોકનું નામનિશાન નહોતું. એક વ્યક્તિ પ્રત્યેક બાબતને લાગણીના આવેગ સાથે જુએ છે, તો બીજી વ્યક્તિ દરેક બાબતની વિશ્લેષક બનીને ચિકિત્સા કરે છે. મનનાં આ બે પ્રકારનાં વલણ છે. એકમાં લાગણી પ્રધાન છે, તો બીજામાં બુદ્ધિ. એકમાં નકરી ભાવના, તો બીજામાં માત્ર તર્ક. મનના આવા ખંડદર્શનને કારણે વ્યક્તિ એક વાતનો સ્વીકાર કરે છે અને બીજાનો અસ્વીકાર કરે છે. મનને પૂર્ણ રૂપે ખીલવવા માટે અખંડ મનની ઓળખ જરૂરી છે. એને માટે પૂર્ણદર્શન હોવું જોઈએ. માત્ર ભાવુકતા કે ફક્ત તાર્કિકતાથી વિચારનારનું ચિત્ત સમય જતાં જડ બની જાય છે. એનું એકપક્ષી મનોવલણ દરેક બાબતને પોતાની ફાવતી રીતે જુએ છે. મનની જીવંતતાને માટે આવી પક્ષપાતી જડતા છોડવી જરૂરી બને છે. મનને ઢળવું બહુ પસંદ છે. ઇંદ્રિયો જે માર્ગે વાળે તે માર્ગે વળવાનું મનને ખૂબ ગમે છે. મનમાં જ્યારે પ્રપંચ, પૂર્વગ્રહ કે કુટિલતા જાગે છે ત્યારે એ મનમાંથી પરમાત્મા વિદાય લે છે. જે મનમાં પ્રપંચ, મડાગાંઠ કે કુટિલતા હોતી નથી ત્યાં સામે ચાલીને પરમાત્મા આસન જમાવે છે. મનનું ખંડદર્શન હંમેશાં પૂર્વગ્રહરહિત હોય છે. એ માત્ર એક બાજુ જુએ છે. બીજી આંખ બંધ કરીને માત્ર એક જ આંખે જુએ છે. સમગ્રને જોવાને બદલે ખંડદર્શન કરે છે. આથી જ સાચો સાક્ષીભાવ કેળવીને અને અનાસક્ત રહીને જ અખંડ મનને પામી શકાય.

Categories
વાચન સમૃદ્ધિ

કૈલાશ નાથ કાત્જુ

જ. ૧૭ જૂન, ૧૮૮૭ અ. ૧૭ ફેબ્રુઆરી, ૧૯૬૮

ભારતના એક અગ્રણી રાજકારણી, ઓડિશા અને પશ્ર્ચિમ બંગાળના રાજ્યપાલ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી, કેન્દ્રીય ગૃહમંત્રી અને કેન્દ્રીય સંરક્ષણમંત્રી. કૈલાશ નાથ કાત્જુનો જન્મ જાઓરા (હાલના મધ્યપ્રદેશના) નામે એક રજવાડામાં થયો હતો. તેમનો પરિવાર કાશ્મીરી પંડિતોનો હતો, જેઓ જાઓરામાં સ્થાયી થયા હતા. તેમના પિતા ત્રિભુવન નાથ કાત્જુ રાજ્યના ભૂતપૂર્વ દીવાન હતા. તેઓ ૧૯૦૫માં લાહોરની ફોરમૅન ક્રિશ્ચિયન કૉલેજમાંથી સ્નાતક થયા હતા. ૧૯૦૭માં તેમણે અલાહાબાદ યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી મેળવી હતી. ૧૯૦૮માં તેમણે તે જ યુનિવર્સિટીમાંથી ઇતિહાસમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. તેમણે ૧૯૧૪માં કાનપુરમાં કાયદાનો વ્યવસાય શરૂ કર્યો હતો. તેમણે ૧૯૧૯માં અલાહાબાદ યુનિવર્સિટીમાંથી કાયદામાં ડૉક્ટરેટ પૂર્ણ કર્યું અને ૧૯૨૧માં અલાહાબાદ હાઈકોર્ટમાં વકીલ તરીકે જોડાયા હતા. ૧૯૩૩માં અલાહાબાદ હાઈકોર્ટમાં મેરઠ કાવતરાના આરોપીઓનો અને બાદમાં દિલ્હીના લાલ કિલ્લા ખાતે ભારતીય રાષ્ટ્રીય સૈન્યના કેસોમાં આરોપી લશ્કરી અધિકારીઓનો બચાવ કાત્જુએ કર્યો હતો. ૧૭ જુલાઈ, ૧૯૩૭ના રોજ, તેઓ ગોવિંદ વલ્લભ પંતના મંત્રીમંડળમાં સંયુક્ત પ્રાંતના કાયદા અને ન્યાય અને સંસદીય બાબતોના મંત્રી બન્યા હતા. ભારતની સ્વતંત્રતા પછી, કાત્જુએ ઘણા ઉચ્ચ રાજકીય હોદ્દા સંભાળ્યા હતા. શરૂઆતમાં તેમને ૧૫ ઑગસ્ટ, ૧૯૪૭થી ૨૦ જૂન, ૧૯૪૮ સુધી ઓડિશાના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. તેઓ ૨૧ જૂન, ૧૯૪૮ના રોજ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ બન્યા અને ૩૧ ઑક્ટોબર, ૧૯૫૧ સુધી આ પદ પર રહ્યા. ૧૯૫૧માં તેઓ મંદસૌર મતવિસ્તારમાંથી લોકસભામાં ચૂંટાયા અને જવાહરલાલ નહેરુના મંત્રીમંડળમાં કાયદામંત્રી તરીકે જોડાયા હતા. નવેમ્બર, ૧૯૫૧માં તેઓ દેશના ત્રીજા ગૃહમંત્રી અને ૧૯૫૫માં તેમને સંરક્ષણમંત્રી બનાવવામાં આવ્યા હતા. તેઓ ૩૧ જાન્યુઆરી, ૧૯૫૭ના રોજ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી બન્યા હતા અને ૧૧ માર્ચ, ૧૯૬૨ સુધી આ પદ પર રહ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

ટૅક્સાસ

છેક દક્ષિણ સરહદે આવેલું યુ.એસ.નું સંલગ્ન રાજ્ય. અલાસ્કા પછી ટૅક્સાસ સૌથી મોટું રાજ્ય છે. ભૌગોલિક સ્થાન : ૨૬° ઉ. અ. થી  ૩૬° ઉ. અ. અને ૯૪° પ. રે. થી ૧૦૬° પ. રે.. મેક્સિકો દેશની સરહદે આવેલું આ રાજ્ય કપાસના ઉત્પાદનમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ખનિજતેલ અને કુદરતી ગૅસનાં સૌથી મોટાં ક્ષેત્રો આ રાજ્યમાં આવેલાં છે. ક્ષેત્રફળ ૬,૭૮,૦૫૧ ચોકિમી. તથા વસ્તી ૩,૧૨,૯૦,૦૦૦ (૨૦૨૪, આશરે). આ રાજ્યની પૂર્વમાં લ્યુઇઝિયાના અને ઈશાન તરફ આરકાન્સાસ રાજ્યો આવેલાં છે. તેની દક્ષિણે મેક્સિકોની આંતરરાષ્ટ્રીય સરહદ અને મેક્સિકોના અખાતની જળસીમા આવેલી છે, જ્યારે તેની ઉત્તરે ઓક્લોહોમા અને પશ્ચિમે ન્યૂ મેક્સિકો રાજ્યો આવેલાં છે. નદીઓના મેદાની પ્રદેશમાં આવેલા આ રાજ્યની જમીન કાંપની બનેલી છે. રિઓ-ગ્રાન્ડ નદી ટૅક્સાસ રાજ્ય અને મેક્સિકો દેશની જળસીમા બનાવે છે, જ્યારે ઉત્તરે રેડ નદી ઓક્લોહોમા અને લ્યુઇઝિયાના રાજ્યને ટૅક્સાસથી જુદાં પાડે છે.

કપાસનું ઉત્પાદન

રાજ્યમાં આવેલા સાન ઍન્ટોનિયો, કૉર્પસ ક્રિસ્ટી, હ્યૂસ્ટન, ડલાસ, બિગ સ્પ્રિંગ, એલ્પાસો શહેરો અગત્યનાં ઔદ્યોગિક કેન્દ્રો છે. નિગ્રો લોકોની સવિશેષ વસ્તી ધરાવતું આ રાજ્ય ગુનાઇત પ્રવૃત્તિઓ માટે સમગ્ર યુ.એસ.માં જાણીતું છે. કપાસ, મકાઈ અને ઘઉંનાં ખેતરોથી લીલુંછમ આ રાજ્ય આર્થિક સમૃદ્ધિમાં યુ.એસ.માં અગ્રસ્થાન ધરાવે છે. કૃષિઆવકમાં રાજ્યના પશુધનનો ફાળો અડધોઅડધ હોય છે. રાજ્યમાં યંત્રો, વાહનવ્યવહારનાં ઉપકરણો, વીજળીનાં સાધનો, રસાયણો, ખાદ્ય પ્રક્રમણ તથા ખનિજતેલની પેદાશોના ઔદ્યોગિક એકમો વિકસ્યા છે. ખનિજોમાં (ખનિજ)તેલ તથા કુદરતી વાયુનો જથ્થો સારા પ્રમાણમાં  મળે છે. રિયો-ગ્રાન્ડ એ રાજ્યની સૌથી મોટી નદી છે, જે ઉત્તર અમેરિકાની મોટી નદીઓમાંની એક છે. રાજ્યમાં ઘણાં કૃત્રિમ રીતે તૈયાર કરવામાં આવેલાં સરોવરો છે. પશ્ચિમ તરફના પ્રદેશમાં ઘણાં સરોવરો એવાં છે જેમાં માત્ર તોફાની વરસાદને લીધે જ પાણી હોય છે. કૃત્રિમ સરોવરના પાણીનો ઉપયોગ સિંચાઈ તથા જળવિદ્યુતશક્તિના સર્જન માટે થાય છે. લગભગ દસ વર્ષ સુધી (૧૮૩૫–૪૫) સ્વતંત્ર પ્રજાસત્તાક ઘટક તરીકે રહ્યા બાદ ૧૮૪૫માં તેને અમેરિકાના સંલગ્ન રાજ્ય તરીકે સંઘમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. માર્ચ, ૧૮૬૧માં આ રાજ્ય અમેરિકાના સંઘમાંથી અલગ થઈ ‘કૉન્ફેડરેટ સ્ટેટ્સ ઑવ્ અમેરિકા’માં સંલગ્ન રાજ્ય તરીકે ફરી સંઘમાં જોડાઈ ગયું. અમેરિકાના અંતરિક્ષ કાર્યક્રમમાં આ રાજ્યનો ફાળો મહત્ત્વનો રહ્યો છે. ૧૯૬૯માં અંતરિક્ષ યાન ‘ઍપોલો ૧૧’ રાજ્યના હ્યૂસ્ટન નગરની પડખે આવેલા ‘નાસા’ના મુખ્ય મથકથી છોડવામાં આવ્યું હતું તેના દ્વારા માનવે ચંદ્ર પર ઉતરાણ કર્યું હતું.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-8 માંથી