Categories
વાચન સમૃદ્ધિ

લોકોની માગ

નોકરીની શોધમાં ન્યૂયૉર્ક આવેલા નાના છોકરા થોમસ લિપ્ટને ઘણી મહેનત કરી, પણ નોકરી મેળવવામાં સફળતા હાથ લાગી નહીં. આવે સમયે એ છોકરાને એ વાતનું સ્મરણ થયું કે જહાજમાં બેસીને એ જ્યારે ન્યૂયૉર્ક તરફ આવતો હતો, ત્યારે પ્રવાસીઓમાં સતત એક ચર્ચા ચાલતી હતી કે અજાણ્યા ન્યૂયૉર્કમાં આપણે ક્યાં જઈશું, કઈ હોટલમાં ઊતરીશું ? એ હોટલ સસ્તી હશે કે મોંઘી, સલામત હશે કે જોખમી ? નોકરી મેળવવામાં નિષ્ફળતા મળતાં થોમસ લિપ્ટને એક નવો વિચાર કર્યો. એ હોટલના માલિક પાસે ગયો અને એમને કહ્યું, ‘હું તમને મહિને પચાસ પ્રવાસીઓ લાવી આપીશ. એના બદલામાં તમારે મને ભોજન અને નિવાસની સગવડ આપવાની.’ આ છોકરાની વાત પર પહેલાં તો મૅનેજરને વિશ્વાસ બેઠો નહીં, પણ પછી કહ્યું કે, ‘પચાસ તો ઠીક છે, પણ ચાલીસ પ્રવાસીઓ લાવીશ તોય તને એક મહિના સુધી ભોજન અને નિવાસની સગવડ આપીશ.’ પેલો છોકરો સામાન મૂકીને તરત ન્યૂયૉર્કના બંદર તરફ રવાના થયો. એ બંદર પર એક જહાજ આવ્યું હતું. એમાંથી ઊતરતા પ્રવાસીઓ પાસે જઈને આ છોકરાએ પોતાની હોટલમાં કેવી કેવી સગવડો છે એની વાત કરી. એનું ભાડું કેટલું ઓછું છે તે સમજાવ્યું અને એમાં મળતી વિશેષ સગવડોનું વર્ણન કર્યું. આમ પહેલા દિવસે જ આ છોકરો એકસાથે ચાલીસ કરતાંય વધુ પ્રવાસીઓને લઈને પોતાની હોટલ પર આવ્યો. એની આ કામયાબીથી મૅનેજર ખુશ થઈ ગયો અને હોટલમાં નોકરીએ રાખી લીધો. ધીરે ધીરે આ છોકરાએ પોતીકો ધંધો વિકસાવ્યો અને પોતાની અટકની બ્રાન્ડ સાથે ચાની કંપની શરૂ કરીને ‘લિપ્ટન ચા’ને દુનિયાભરમાં જાણીતી કરી.

Categories
વાચન સમૃદ્ધિ

હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય

જ. ૨ એપ્રિલ, ૧૮૯૮ અ. ૨૩ જૂન, ૧૯૯૦

ભારતીય કલાકાર, નાટ્યકાર, અદાકાર, સંગીતકાર અને અંગ્રજી ભાષામાં કવિતા લખનાર કવિ હતા. તેઓ સરોજિની નાયડુના નાના ભાઈ હતા. તેમના પિતાજીએ હૈદરાબાદ કૉલેજની સ્થાપના કરી, તેમનાં માતાજી કવયિત્રી હતાં અને બંગાળી ભાષામાં કવિતાઓ લખતાં. હરીન્દ્રનાથ ૧૯ વર્ષના હતા ત્યારે ‘ધ ફિસ્ટ ઑફ યૂથ’ નામનું તેમની કવિતાઓનું પ્રથમ પુસ્તક છપાયું હતું. આ પુસ્તક તેઓએ અંગ્રેજી ભાષામાં લખ્યું હતું, પણ તેમાં લખેલ કવિતાઓ ભારતીય સંસ્કૃતિ પર હતી. તેઓનાં લગ્ન કમલાદેવી ચટ્ટોપાધ્યાય જોડે થયાં હતાં, જે એક સમાજવાદી હતાં. તેઓ ઑલ ઇન્ડિયા વુમન્સ કૉન્ફરન્સ અને ઑલ ઇન્ડિયા હૅન્ડિક્રાફ્ટસ બોર્ડનાં અધ્યક્ષ હતાં. હરીન્દ્રનાથ અને કમલાદેવીનું લગ્નજીવન લાંબું ચાલ્યું નહીં અને તેઓ છૂટાં પડી ગયાં. હરીન્દ્રનાથે ‘રેલગાડી’, ‘સૂર્ય અસ્ત હો ગયા’, ‘તરુણ અરુણસે રંજિત ધરણી’ જેવી કવિતાઓ લખી અને સ્વરબદ્ધ કરી. રવીન્દ્રનાથ ટાગોર પણ તેમની કવિતાની પ્રશંસા કરતા હતા. બાળકો માટે તેમણે હિન્દી ભાષામાં ઘણી કવિતાઓ લખી છે. ૧૯૫૧ની ભારતની પ્રથમ લોકસભાની ચૂંટણીમાં વિજયવાડા મતવિસ્તારમાંથી સ્વતંત્ર ઉમેદવાર તરીકે જીત્યા હતા. તેમણે  સત્યજિત રેની ત્રણ ફિલ્મોમાં, ‘સાહિબ, બીબી ઔર ગુલામ’ તથા ‘બાવર્ચી’ ફિલ્મમાં અભિનય કર્યો હતો. ૧૯૮૪માં મુંબઈ દૂરદર્શન ‘આડોશ પડોશ’ નામની ટીવી સિરિયલમાં તેઓએ ભાગ લીધો હતો.

૧૯૭૩માં પદ્મભૂષણથી તેમને સન્માનવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

સંગ્રહાલય (મ્યુઝિયમ)

ઐતિહાસિક, સાંસ્કૃતિક, વૈજ્ઞાનિક અને કલાકીય દૃષ્ટિએ મૂલ્યવાન વસ્તુઓની જાળવણી તથા પ્રદર્શન જ્યાં થતું હોય તે મથક – સંસ્થા. દેશપરદેશની અજાયબી ભરેલી, જાણવા અને જોવાલાયક વસ્તુઓનો સંગ્રહ કરીને તેને એક સ્થળે રાખવામાં આવ્યો હોય તેને સંગ્રહાલય, સંગ્રહસ્થાન કે મ્યુઝિયમ કહેવામાં આવે છે. તેના બે પ્રકારો છે : એક જાહેર સંગ્રહાલય – જેનું સંચાલન ને વહીવટ સાર્વજનિક સ્તરે – રાષ્ટ્રસ્તરે અથવા સ્થાનિક સત્તાતંત્ર મારફત થાય છે અને બીજું ખાનગી સંગ્રહાલય – જેનો વહીવટ કોઈ વ્યક્તિ કે ટ્રસ્ટીમંડળને હસ્તક હોય છે. સંગ્રહાલય લોકશિક્ષણનું અગત્યનું અંગ છે. આંખ અને સ્પર્શ દ્વારા અપાતી કેળવણીની યોજનામાં આવાં સંગ્રહાલયો શિક્ષણ માટેનું મહત્ત્વનું અંગ હોય છે. સંગ્રહાલયનો નિયામક (ક્યુરેટર) પ્રદર્શિત નમૂનાઓ સાથે સંકળાયેલા વિષયોનો નિષ્ણાત હોય છે. પ્રદર્શિત કરવા માટેની ચીજવસ્તુના મૂલ્યમહિમાનો તે જાણતલ હોય છે. કઈ વસ્તુ કઈ રીતે પ્રદર્શિત કરવી, તેને કઈ જગ્યાએ ગોઠવવી અને તેની જાળવણી કેવી રીતે કરવી તે તે નક્કી કરે છે.

સંગ્રહાલય પરંપરાગત રીતે આજ દિન સુધી વિકસેલી ને ટકેલી સંસ્કૃતિનો સાર્વજનિક ખજાનો હોય છે. તેમાં પ્રાચીન કાળથી માંડીને અર્વાચીન કાળની અવનવી ચીજવસ્તુઓના મૂળ કે અનુકૃત નમૂનાઓનો સંગ્રહ કરેલો હોય છે. તેમાં અનેક જુદા જુદા વિભાગો હોય છે; જેમ કે, ઐતિહાસિક-સાંસ્કૃતિક, કલા અને વિજ્ઞાનને લગતા તથા પ્રાકૃતિક વગેરે. સંગ્રહસ્થાનોમાં પ્રાણીવિભાગ હોય તો ત્યાં પ્રાણીઓના શબને ચર્મપૂરણ કરી પ્રદર્શિત કરવાની પણ વ્યવસ્થા કરાય છે.

ઐતિહાસિક સંગ્રહાલયમાં ઇતિહાસના જે તે સમયનાં સ્થળ કે વ્યક્તિ વિશેની માહિતી મળે છે. વળી ક્યારેક કોઈ વ્યક્તિએ સંઘરેલા સિક્કાઓ, ચંદ્રકો, ટિકિટો, ફર્સ્ટ-ડે-કવરો વગેરેનો પણ સમાવેશ થાય છે. સાંસ્કૃતિક સંગ્રહાલયમાં જુદા જુદા સમયના લોકોની જીવનશૈલી પ્રમાણે વસ્ત્રો, અલંકારો, જે તે સમયે વપરાતાં વાસણો, રાચરચીલું તથા રહેઠાણ વગેરેની માહિતી મળે છે. ક્યારેક વિજ્ઞાન અને તકનીકી સંગ્રહાલયમાં વિજ્ઞાનનાં પુરાતન ઉપકરણોથી માંડીને આધુનિક શોધોનાં ઉપકરણો જોવા મળે છે. કલાના સંગ્રહાલયમાં ચિત્રો, શિલ્પો અને હસ્તકલાના નમૂનાઓ વગેરે જોવા મળે છે.

ભારતમાં સાચા અર્થમાં ‘સંગ્રહાલય’નો ખ્યાલ ૧૮મી અને ૧૯મી સદીમાં અંગ્રેજો લાવ્યા. તે પહેલાં રાજાઓના મહેલમાં વૈભવની દૃષ્ટિએ અલભ્ય ચિત્રો, શિલ્પો, શસ્ત્રાસ્ત્રો કે કલાકૃતિઓને રાખવામાં આવતાં હતાં, પણ સામાન્ય લોકોને આ બધું જોવા-જાણવા કે માણવા માટે મળતું નહોતું. ભારતનું સૌથી પ્રથમ સંગ્રહાલય ૧૮૭૫માં કૉલકાતામાં બનાવવામાં આવ્યું હતું.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સંગ્રહાલય [મ્યુઝિયમ], પૃ. 63)

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી