Categories
સાંપ્રત કાર્યક્રમો

માતૃભાષા સંવર્ધન કેન્દ્ર

વિષય : કાવ્યાસ્વાદ |

કાવ્ય : હળવે તે હાથે |

કવિ : માધવ રામાનુજ |

વક્તા : શ્રી રતિલાલ બોરીસાગર |

12 જૂન 2025, ગુરુવાર |

સમય : સાંજના 5-00 |

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, રમેશપાર્કની બાજૂમાં

વિશ્વકોશમાર્ગ ઉસ્માનપુરા અમદાવાદ 380 013

Categories
વાચન સમૃદ્ધિ

ટર્મિનાલિયા

દ્વિદળી વર્ગના કૉમ્બ્રિટેસી કુળની પર્ણપાતી વૃક્ષોની બનેલી મોટી પ્રજાતિ. તેનું કાષ્ઠમય આરોહી સ્વરૂપ ભાગ્યે જ જોવા મળે છે. તેની વિશ્વમાં લગભગ ૧૩૫ જેટલી જાતિઓ થાય છે અને એશિયા, આફ્રિકા અને અમેરિકાના ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં વિતરણ પામેલી છે. ભારતમાં ૧૬ જેટલી જાતિઓ થાય છે. આ પ્રજાતિની ભારતમાં થતી અગત્યની જાતિઓમાં Terminalia crenulata Reta (સાદડ); T arjuna (Roxb). Wight & Arn. (અર્જુન સાદડ); T. catappa, Linn. (દેશી બદામ); T. bellirica, Roxb, (બહેડાં); T. myriocarpa, Heurck & Muell-Arg. (પાનીસાજ); T. chebula, Retz. (હરડે) bialata stcud (સિલ્વર ગ્રે વૂડ), T. Roxb. ex fcm. (બં.હરિતકી) અને T. paniculata Roth(કિંજલ)નો સમાવેશ થાય છે. તેની કેટલીક જાતિઓ ઇમારતી કાષ્ઠ, ટૅનિન, ઔષધો અને ખાદ્ય બીજ માટે ખૂબ જાણીતી છે. ઘણીખરી જાતિઓના પર્ણતલપ્રદેશે એક યા બે સ્પષ્ટ ટપકાંવાળી ગ્રંથિ જોવા મળે છે. તેમનાં પર્ણો સાદાં મોટાં ચર્મિલ (coriaceous), અંડાકાર (ovate) કે દીર્ઘવૃત્તીય (elliptic) અને એકાંતરિક હોય છે. તે Antheraea mylitta (ટસર) પ્રકારના રેશમ કીટક માટે ઉત્તમ ખોરાક પૂરો પાડે છે.

દેશી બદામ                                  હરડે

સાદડ ઇમારતી લાકડા માટે આ પ્રજાતિની સૌથી અગત્યની જાતિ છે. તેનું રસકાષ્ઠ (sapwood) આછું પીળાશ પડતું સફેદ હોય છે. અંત:કાષ્ઠ (heartwood) આછા બદામીથી ઘેરા બદામી કે બદામી કાળા રંગનું હોય છે, જેમાં વધારે ઘેરા રંગના પટ્ટાઓના બનેલા લિસોટા હોય છે. તે ઘણું મજબૂત અને વજનદાર (વિશિષ્ટ ઘનત્વ ૦.૭૦૭–૦.૯૪ : વજન ૭૩૭–૭૬૧ કિગ્રા./ ઘનમીટર) હોવાથી ઇમારતી ઉપયોગ તથા રેલવે-સ્લીપરો માટે તેની ઘણી માગ રહે છે. અર્જુન સાદડનું રસકાષ્ઠ રતાશ પડતું સફેદ હોય છે અને અંત:કાષ્ઠ બદામીથી ઘેરા બદામી રંગનું હોય છે, જેમાં વધારે ઘેરા-કાળા રંગની રેખાઓ જોવા મળે છે. કાષ્ઠ ચમકીલું, ખૂબ સખત, ટકાઉ અને મધ્યમસરનું વજનદાર (વિશિષ્ટ ઘનત્વ ૦.૭૪; વજન ૮૧૬–૮૬૫ કિગ્રા./ ઘનમીટર) હોય છે. તેનો ઉપયોગ ખેતઓજારો, વીજળીના થાંભલા, બંદર-ધક્કા (getty) વગેરે માટે થાય છે. બહેડાંનું કાષ્ઠ પીળાશ પડતું ભૂખરું હોય છે, જેમાં અંત:કાષ્ઠ જુદું પાડી શકાતું નથી. તેનું વિશિષ્ટ ઘનત્વ ૦.૬૦–૦.૭૭ અને વજન ૫૯૩-૭૬૯ કિગ્રા./ઘનમીટર છે. લાકડું ખાણટેકા, પેટીપટારા, હોડીઓ અને લાકડાનાં પીપ માટે ઉપયોગી છે. તેનું લાકડું સામાન્ય રીતે  એટલું ટકાઉ નથી પરંતુ પાણીની અંદર તે સારું કામ આપે છે. તેનાં ફળમાંથી ટૅનિન તૈયાર થાય છે, જે ચર્મઉદ્યોગ તથા ઇતર ઉપયોગ માટે વપરાય છે. તેનાં બીજમાંથી અખાદ્ય તેલ પણ મળે છે, જે સાબુ માટે વાપરી શકાય છે. દેશી બદામ (બહેડાનું વૃક્ષ) : તેનું રસકાષ્ઠ તરુણ વૃક્ષોમાં ભૂખરું હોય છે. અંત:કાષ્ઠ મોટાં વૃક્ષોમાં જુદું પાડી શકાતું નથી. તે ઈંટ જેવા લાલ કે બદામી લીલા રંગનું હોય છે. તે ચમકીલું, લીસું અને હલકાથી પ્રમાણસર ભારે વજન (વિશિષ્ટ ઘનત્વ ૦.૪૬૩–૦.૬૭૩; વજન ૪૬૫–૬૭૩ કિગ્રા./ઘનમીટર) ધરાવે છે. તેનું કાષ્ઠ મકાન-બાંધકામ, પૈડાના નકશીકામ અને સામાન્ય સુથારીકામમાં ઉપયોગી છે. તેનો ઉપયોગ પ્લાય-બોર્ડ બનાવવામાં, તરાપો, વળીઓ વગેરેમાં થાય છે. લગભગ બદામ જેવા જ ગુણો ધરાવતાં મીંજ આપનારી આ જાતિનાં પર્ણો ઢોરના ચારા માટે ઉપયોગી હોવા ઉપરાંત ચામડીનાં દરદો માટે અકસીર ગણાય છે. છાલ તેમજ પર્ણોમાંથી મળતો રંગ પણ ઉપયોગી છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮, ટર્મિનાલિયા, પૃ. ૨૧૩)

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-8 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

અરદેશર દારાબશા શ્રોફ

જ. ૪ જૂન, ૧૮૯૯ અ. ૨૭ ઑક્ટોબર, ૧૯૬૫

ઉદ્યોગપતિ, બૅન્કર, કુશળ વહીવટકાર અને બાહોશ અર્થશાસ્ત્રી અરદેશરનો જન્મ મુંબઈમાં થયો હતો. મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. થયા અને લંડન યુનિવર્સિટીમાંથી બી.એસસી.ની પદવી પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ અમેરિકન ચેઇઝ બૅન્કમાં જોડાયા હતા. ભારત પરત આવી સિડનહામ કૉલેજ ઑવ્ કૉમર્સમાં એડવાન્સ બૅન્કિંગ વિષયના પ્રાધ્યાપક તરીકે પણ કામગીરી બજાવી હતી. ત્યારબાદ પંદર વર્ષમાં શૅરદલાલ તરીકે સફળતા પ્રાપ્ત કરી અને એક ગણનાપાત્ર શૅરદલાલ તરીકે તેઓ તાતા જૂથમાં આર્થિક સલાહકાર તરીકે જોડાયા. ૧૯૪૪માં બ્રેટન વુડ્ઝ ખાતે મળેલ વિશ્વ નાણાકીય અધિવેશનમાં તેઓ પ્રતિનિધિ તરીકે ગયા અને ત્યાં ભારતનો દાવો સબળતાથી રજૂ કર્યો. ૧૯૫૪માં મુક્ત સાહસ અને લોકશાહી વિચારસરણીનો પ્રચાર થાય તે માટે ફોરમ ઑવ્ ફ્રી એન્ટરપ્રાઇઝની સ્થાપના કરી હતી. દેશના વિકાસની દૃષ્ટિએ અમુક ઉદ્યોગો સરકારે જ ચલાવવા જોઈએ. તેઓ જાહેર અને ખાનગી સ્પર્ધાના વિરોધી હતા. તેઓ ન્યૂ ઇન્ડિયા એશ્યૉરન્સ કંપની લિમિટેડ અને ટાટા ટેક્સ્ટાઇલ જૂથના ચૅરમૅન પણ રહ્યા હતા. તેમણે ઇન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બર તથા બૉમ્બે શૅરહોલ્ડર્સ ઍસોસિયેશનના ઉપપ્રમુખ તરીકે તથા અન્ય અનેક સંસ્થામાં કોઈ ને કોઈ સભ્યપદે રહી જે તે કંપનીની સેવા કરી હતી. ઊંડી સૂઝ ધરાવનાર અર્થશાસ્ત્રી, પ્રામાણિક સજ્જન તરીકે પ્રસિદ્ધ એ. ડી. શ્રોફ ૧૯૬૦માં તાતા સન્સ લિમિટેડના ડિરેક્ટરપદેથી નિવૃત્ત થયા હતા. ૧૯૯૯માં ભારત સરકાર તરફથી તેમના જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે ટપાલટિકિટ બહાર પાડવામાં આવી હતી. પત્રકાર સુચેતા દલાલે તેમની જીવનકથા ઈ. સ. ૨૦૦૦માં પ્રકાશિત કરી હતી.