યુવકનું અકાળે અવસાન થતાં એક વ્યક્તિએ દુ:ખના બોજ સાથે નાની વયે થયેલા અવસાન અંગે આંખમાં આંસુ સાથે શોક પ્રગટ કર્યો. બીજી વ્યક્તિએ કહ્યું કે નાની વયમાં વ્યસનમાં સપડાયેલા એને માટે આ જ ભાવિ નિર્મિત હતું. આમ કહેનારી વ્યક્તિના ચહેરા પર દુ:ખ કે શોકનું નામનિશાન નહોતું. એક વ્યક્તિ પ્રત્યેક બાબતને લાગણીના આવેગ સાથે જુએ છે, તો બીજી વ્યક્તિ દરેક બાબતની વિશ્લેષક બનીને ચિકિત્સા કરે છે. મનનાં આ બે પ્રકારનાં વલણ છે. એકમાં લાગણી પ્રધાન છે, તો બીજામાં બુદ્ધિ. એકમાં નકરી ભાવના, તો બીજામાં માત્ર તર્ક. મનના આવા ખંડદર્શનને કારણે વ્યક્તિ એક વાતનો સ્વીકાર કરે છે અને બીજાનો અસ્વીકાર કરે છે. મનને પૂર્ણ રૂપે ખીલવવા માટે અખંડ મનની ઓળખ જરૂરી છે. એને માટે પૂર્ણદર્શન હોવું જોઈએ. માત્ર ભાવુકતા કે ફક્ત તાર્કિકતાથી વિચારનારનું ચિત્ત સમય જતાં જડ બની જાય છે. એનું એકપક્ષી મનોવલણ દરેક બાબતને પોતાની ફાવતી રીતે જુએ છે. મનની જીવંતતાને માટે આવી પક્ષપાતી જડતા છોડવી જરૂરી બને છે. મનને ઢળવું બહુ પસંદ છે. ઇંદ્રિયો જે માર્ગે વાળે તે માર્ગે વળવાનું મનને ખૂબ ગમે છે. મનમાં જ્યારે પ્રપંચ, પૂર્વગ્રહ કે કુટિલતા જાગે છે ત્યારે એ મનમાંથી પરમાત્મા વિદાય લે છે. જે મનમાં પ્રપંચ, મડાગાંઠ કે કુટિલતા હોતી નથી ત્યાં સામે ચાલીને પરમાત્મા આસન જમાવે છે. મનનું ખંડદર્શન હંમેશાં પૂર્વગ્રહરહિત હોય છે. એ માત્ર એક બાજુ જુએ છે. બીજી આંખ બંધ કરીને માત્ર એક જ આંખે જુએ છે. સમગ્રને જોવાને બદલે ખંડદર્શન કરે છે. આથી જ સાચો સાક્ષીભાવ કેળવીને અને અનાસક્ત રહીને જ અખંડ મનને પામી શકાય.
કુમારપાળ દેસાઈ