Categories
વાચન સમૃદ્ધિ

આઇસલૅન્ડ

સ્કૉટલૅન્ડથી વાયવ્યમાં ૮૦૦ કિમી. દૂર આટલાન્ટિક મહાસાગરમાં આવેલો દેશ.

ભૌગોલિક સ્થાન : તે ૬૫° ઉ. અ. અને ૧૮° પ. રે.ની આજુબાજુનો આશરે ૧ લાખ ચો.કિમી. જેટલો છે. આઇસલૅન્ડમાં વસવાટની શરૂઆત નવમી સદીના આરંભમાં થઈ હતી. આઇસલૅન્ડમાં ધરતીકંપ વારંવાર થાય છે; પરંતુ તે ગંભીર સ્વરૂપના હોતા નથી. તેના કુલ ૧૩૦ જ્વાળામુખીમાંથી ૩૨ જેટલા હાલ સક્રિય છે. હેકલા (Hekla) અને લાકી (Laki) જાણીતા જ્વાળામુખીઓ છે. કુલ જમીનના ૨%માં જ જંગલો છે અને ૧,૦૨,૭૭૫ ચો.કિમી.ના વિસ્તારમાંથી ૧% વિસ્તાર જ ખેડાણલાયક છે. આ દેશ ઉત્તર ધ્રુવવૃત્ત નજીક આવેલો હોવા છતાં ત્યાંથી પસાર થતા ગરમ અખાતી પ્રવાહને કારણે ત્યાંનો દરિયો હૂંફાળો રહે છે અને ઠંડીની તીવ્રતા ઓછી અનુભવાય છે. અહીંના રીજવિક(પાટનગર)નું જાન્યુઆરી માસનું સરેરાશ મહત્તમ તાપમાન – ૧° સે. જ્યારે જુલાઈનું સરેરાશ મહત્તમ તાપમાન ૧૧° સે. રહે છે. વરસાદની સરેરાશ ૭૮૮ મિમી. જેટલી રહે છે.

લાકી જ્વાળામુખી

આઇસલૅન્ડની નદીઓ વહાણવટાને લાયક નથી. ‘ગોલ્ડન ફૉલ્સ’ અને ‘ગોડા ફૉલ્સ’ ત્યાંના જાણીતા ધોધ છે. આઇસલૅન્ડમાં સુંદર સરોવરો આવેલાં છે. અહીં જાતજાતનાં પક્ષીઓ આવે છે. માછીમારી માટે પણ આ સરોવર ખૂબ ઉપયોગી છે. પ્રવાસીઓ માટે તે આકર્ષણનું કેન્દ્ર પણ છે. આઇસલૅન્ડની કુલ વસ્તી ૪,૦૦,૦૦૦ લાખ (૨૦૨૬, આશરે) જેટલી છે. આઇસલૅન્ડના મોટા ભાગના લોકો નૉર્ડિક છે. ૯૬.૯% પ્રજા ઇવેન્જેલિકલ લ્યૂથરન છે. સત્તાવાર ભાષા આઇસલૅન્ડિક છે. તેઓ ખ્રિસ્તી ધર્મ પાળે છે. મત્સ્ય-ઉદ્યોગ અહીંના લોકોની જીવાદોરી છે. અહીંના જળવિસ્તારોમાં માછલીઓના ભંડાર આવેલા છે; જેમાં કોડ, કૅપલીન અને રેડફિશ મુખ્ય છે. મોટા ભાગની માછલીઓને સૂકવી, ડબ્બામાં કૅનિંગ કરી (canned) નિકાસ કરવામાં આવે છે. ગરમ પાણીના ઝરા અને ફુવારા આઇસલૅન્ડની લાક્ષણિકતા છે. આ પાણીની મદદથી તેઓ ટમેટાં, કાકડી, લેટિસની ભાજી (lettuce) અને ફૂલો ઉગાડે છે. રાજધાની રીજવિકનાં ઘરોમાં, ઑફિસોમાં ઝરાનું ગરમ પાણી પાઇપ વડે પૂરું પાડવામાં આવે છે. રાજધાની રીજવિક ઉપરાંત કોપવોગુર (Kopavogur), અકુરેયરી (Akureyri) જાણીતાં શહેરો છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, આઇસલૅન્ડ, પૃ. 95)

Categories
વાચન સમૃદ્ધિ

રાધાકૃષ્ણ તાહિલિયાની

જ. 12 મે, 1930 અ. 14 ઑક્ટોબર, 2015

ભારતીય નૌકાદળના ફ્લેગ ઑફિસર, એડમિરલ રાધાકૃષ્ણ તાહિલિયાનીનો જન્મ સિંધી પરિવારમાં  થયો હતો. તેમણે નેવલ વૉર કૉલેજ, યુનાઇટેડ સ્ટેટ્સ અને નૅશનલ ડિફેન્સ કૉલેજ, નવી દિલ્હીમાંથી સ્નાતકની પદવી મેળવી હતી.

1 સપ્ટેમ્બર, 1950ના રોજ ભારતીય નૌકાદળમાં જોડાયા અને 17 મે, 1952ના રોજ સબ-લેફ્ટનન્ટ તરીકે બઢતી મળી. તેઓ ભારતીય નૌકાદળ વાયુસેનામાં જોડાયા. 1960માં લેફ્ટનન્ટ કમાન્ડર બન્યા. 18 મે, 1961ના રોજ હોકર સી હોક ફાઇટરને લૅન્ડ કરીને INS વિક્રાંતના ડેક પર વિમાન લૅન્ડ કરનાર પ્રથમ નૌકાદળ પાઇલટ બન્યા. 1970માં કૅપ્ટન બન્યા. તેમણે 1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધમાં INAS300 સ્ક્વૉડ્રનને કમાન્ડ કર્યું. તેમણે INS ત્રિશૂલ અને ઍરક્રાફ્ટ કૅરિયર INS વિક્રાંતનું પણ કમાન્ડ કર્યું હતું. 1977માં કાર્યકારી રીઅર એડમિરલ તરીકે બઢતી મળી, તેઓ ગોવા નેવલ એરિયાના ફ્લેગ ઑફિસર કમાન્ડિંગ બન્યા. 1978માં તેમને સબસ્ટેન્ટિવ રીઅર એડમિરલ તરીકે બઢતી મળી. તેઓ નેવલ હેડક્વાર્ટર ખાતે આસિસ્ટન્ટ ચીફ ઑફ ધ નેવલ સ્ટાફ બન્યા પછી ડેપ્યુટી ચીફ ઑફ નેવલ સ્ટાફ બન્યા. તેઓ ફ્લેગ ઑફિસર કમાન્ડિંગ ઇન ચીફ સધર્ન નેવલ કમાન્ડ, ફ્લેગ ઑફિસર કમાન્ડિંગ ઇન ચીફ વેસ્ટર્ન નેવલ કમાન્ડ, વાઇસ ચીફ ઑફ ધ નેવલ સ્ટાફ બન્યા હતા. 1 ડિસેમ્બર, 1984ના રોજ ભારતીય નૌકાદળના ચીફ ઑફ ધ નેવલ સ્ટાફ તરીકે કાર્યભાર સંભાળ્યો. તેમણે 11મા નૌકાદળના વડા તરીકે સેવા આપી હતી. નિવૃત્તિ પછી 8 ફેબ્રુઆરી, 1990થી 20 સપ્ટેમ્બર, 1994 સુધી સિક્કિમના રાજ્યપાલ તરીકે કાર્ય કર્યું હતું. તેઓ ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલના ભારતીય ચેપ્ટરના સ્થાપક સભ્ય અને અધ્યક્ષ હતા. તેમણે બે નૌકાદળના ફ્લેગ ઑફિસર કમાન્ડિંગ ઇન ચીફ તરીકે કાર્ય કર્યું હતું. તેમને પરમ વિશિષ્ટ સેવા મેડલ અને અતિ વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

દરજીડો અથવા દરજી

ચકલીના કદનું ભારતમાં સર્વત્ર જોવા મળતું ગાયક પક્ષી. (અં. ટેઇલર બર્ડ, લૅ. ઑર્થોટોમસ સુટોરિયસ) કુળ મ્યુસિકૅપિડી, શ્રેણી પાસરિફૉર્મિસ. નગરો તથા ગામોમાં, ઉદ્યાનો તથા વાડીઓમાં છોડવેલ ઉપર ઊડતું જોવા મળે છે. પીઠ અને પાંખો લીલાશ પડતાં, પેટ સફેદ, માથું બદામી રંગનું અને પાછળ બહુ લાંબી નહિ એવી ઊભી પૂંછડી. લંબાઈ 12 સેમી. આસપાસ. એને ઓળખવું અઘરું નથી. જોકે ફુત્કી નામનું તેનું જાતભાઈ છેતરી જાય એવું બને. નરમાદા ઘણી વાર જોડમાં ફરે છે. લજ્જાળુ છતાં દોરા અથવા આહારની શોધમાં તે ઘરના વરંડામાં આવતાં ખચકાતું નથી.

દરજીડો

મોટા ભાગનાં પક્ષીઓની જેમ મુખ્ય આહાર જીવાત તથા તેનાં ઈંડાં છે. પુષ્પરસ પણ ભાવે. સ્વર મીઠો અને બુલંદ ટિવટ્, ટિ્વટ, ટિ્વટ અથવા જરા બદલાયેલો પ્રીત પ્રીત પ્રીત ઉદ્યાનોમાં સાંભળવા મળે. પક્ષીનું દરજીડો નામ તેના માળાને કારણે સાર્થક છે. છોડ કે વેલ અને કોઈ વાર પહોળાં પાંદડાંવાળાં નાનાં વૃક્ષ પર મીટર – બે મીટર ઊંચાઈ સુધીમાં બે કે ત્રણ પાંદડાંને સીવીને, સિલાઈ ઊકલી ન જાય તે માટે ગાંઠ વાળીને નાળચાના ઘાટનો માળો બનાવી, તેમાં વાળ, મૃદુ રેસા, રૂ, દોરા અને કુમળી ડાંખળીઓ પાથરી સુકોમળ આચ્છાદન કરે છે. માળા ઉપર ઢાંકણ જેવી રચના પણ હોય છે. તેથી ટાઢતાપ અને વર્ષામાં રક્ષણ મળે છે. સાધારણ દૃષ્ટિમાં માળો પરખાતો નથી. વર્ષાઋતુ દરજીડાનો સંવનનકાળ છે. સ્વભાવે નરમ અને લજ્જાળુ પક્ષી આ સમયે ઉન્માદમાં આવે છે. 3 કે 4 ઈંડાં મૂકે છે. ઈંડાંનો રંગ રતાશ કે ભૂરાશ પડતો શ્વેત, ઉપર બદામી ટપકાં. માણસ માળાનો સ્પર્શ કરે તો પક્ષી તેનો ત્યાગ કરે છે અને નવો માળો સીવે છે.

ગુજરાતી વિશ્વકોશ