Categories
વાચન સમૃદ્ધિ

સબમરીન

સામાન્ય રીતે દરિયામાં પાણીની સપાટી નીચે લાંબો સમય પ્રવાસ કરી શકે તેવી યાંત્રિક નૌકા.

સબમરીન પાણીની સપાટી ઉપર તેમ જ પાણીની સપાટી હેઠળ પણ ચાલી શકે છે. સબમરીન જેવા વાહનની શોધ ૧૭મી સદીની શરૂઆતમાં થઈ હતી; પરંતુ ૧૯મી સદીમાં બે અમેરિકન સંશોધકો જૉન. પી. હૉલંડ અને સાયમન લેકને સબમરીન બાંધવામાં સફળતા મળી. તેમાં આંતરદહન એન્જિનો અને બૅટરીનો સહિયારો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સબમરીનોએ પહેલા અને બીજા વિશ્વયુદ્ધમાં મહત્ત્વની કામગીરી બજાવી હતી. અનેક ઉતારુ-જહાજો તથા લશ્કરી જહાજોને ડુબાડી દઈ આ સબમરીનોએ આતંક મચાવ્યો હતો.

સબમરીન જહાજના આકારની મોટી હવાચુસ્ત પેટી જેવી હોય છે. દરિયાના તળિયે પાણીનું પ્રચંડ દબાણ સહન કરવા માટે તેની સપાટી ધાતુની બનેલી મજબૂત હોય છે.  સબમરીન પેટ્રોલ, ડીઝલ જેવાં બળતણથી કે અણુશક્તિ(ન્યૂક્લિયર પાવર-ઊર્જા)થી ચાલે છે. તેમાં હવા ભરેલી ખાલી ચેમ્બરો હોય છે. આ ચેમ્બરો ખાલી હોય ત્યારે તે સપાટી પર રહે છે. આ ચેમ્બરોમાં પાણી ભરાય ત્યારે તેનું વજન વધે છે અને પાણીમાં નીચે જતી રહે છે. માછલીની ઝાલર જેવા તેના ‘હાઇડ્રૉપ્લેઇન્સ’ સબમરીન ડૂબે કે ઉપર આવે ત્યારે તેનું સંતુલન જાળવવામાં મદદ કરે છે. સબમરીન હજારો નાના-મોટા પુરજાઓનું બનેલું અતિ સંકુલ વાહન છે. તેની રચના અને કામગીરી અટપટી હોય છે. અણુશક્તિ-સંચાલિત સબમરીન તો પાણીની સપાટી પર આવ્યા વિના નીચે રહીને સેંકડો કિલોમીટરનો પ્રવાસ ખેડી શકે છે. સબમરીનનો મુખ્ય ઉપયોગ યુદ્ધમાં થાય છે. દરિયાના તળિયે સંશોધનો કરવા માટે પણ તે ઉપયોગી છે. આધુનિક સબમરીનો મહાવિનાશક અણુ-પ્રક્ષેપાસ્ત્રોથી સજ્જ હોય છે. આ સબમરીનો દિશા નક્કી કરવા માટે કમ્પ્યૂટરનો ઉપયોગ કરે છે. સબમરીનને ઘણા લોકો ‘પાતાળપરી’ તરીકે ઓળખે છે. જોકે આ પરી એક એવું ઘાતક વાહન છે, જે દુશ્મન માટે ભયાનક દુ:સ્વપ્ન લાવી શકે. મહિના– બે મહિના સુધી અંધારિયા દરિયે લપાતી-છુપાતી, એક જ ઠેકાણે અડિંગો જમાવીને બેઠેલી સબમરીનની ભાળ મેળવવી મુશ્કેલ હોય છે. જોકે આવી સબમરીન એની આસપાસ કે ઉપરના પાણીમાંથી પસાર થતાં જહાજોના સગડ બરાબર પારખી શકે છે. વિશ્વના વિકસિત દેશો પાસે જે સબમરીનો છે તેમની સરખામણીમાં ભારત પાસેની સબમરીનોની સંખ્યા, તેમનું કદ અને સંહારક શક્તિ વામણાં જ લાગે. જોકે ૨૦૧૨માં ભારતે રશિયા પાસેથી નવી ન્યૂક્લિયર સબમરીન ‘ચક્ર’ મેળવી છે. વળી સ્વદેશી બનાવટની એક ન્યૂક્લિયર સબમરીન ‘અરિહંત’ પણ તૈયાર થઈ ગઈ છે, જે પરંપરાગત સબમરીન કરતાં લાંબો સમય પાણીમાં રહી શકે છે. આમ ભારતના વિશાળ સાગરકિનારાનું રક્ષણ કરવા માટે બે અણુ-સબમરીનો નૌકાદળના કાફલામાં જોડાઈ છે. દુનિયાના કોઈ પણ સંરક્ષણદળમાં સૌથી છૂપી ખુફિયા કામગીરી સબમરીન બજાવે છે. દુશ્મન જહાજો કે એમના જાસૂસી ઉપગ્રહોની નજરથી બચવા દિવસો સુધી ઊંડા પાણીમાં રહેતી અને દેશની જળસીમાનું ધ્યાન રાખતી આ સબમરીનોમાં ક્યારેક અકસ્માતો પણ સર્જાય છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સબમરીન, પૃ. ૧૬)

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

શુભ્રા દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

અતુલ દેસાઈ

જ. ૩૧ જાન્યુઆરી, ૧૯૩૪ અ. ૨૦ જાન્યુઆરી, ૨૦૧૩

શાસ્ત્રીય કંઠ્યસંગીતમાં ગુજરાતના સુવિખ્યાત કલાકાર અતુલ દેસાઈનો જન્મ અમદાવાદમાં થયો હતો. પિતા ગિરીશચંદ્ર અને માતા સુલભાબહેન. સંગીતનો વારસો માતાપિતા તરફથી મળ્યો હતો. અમદાવાદની ચી. ન. વિદ્યાલયમાં તેમણે પ્રાથમિક શિક્ષણ મેળવ્યું. વડોદરાના કલાભવનમાંથી આર્કિટૅક્ચરનો અભ્યાસ કર્યો. ૧૯૫૫માં બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં સંગીતની વધુ તાલીમ માટે જોડાયા. તેમણે પં. ઓમકારનાથ ઠાકુર પાસેથી સંગીતની તાલીમ મેળવી હતી. ૧૯૫૬થી ૧૯૬૫ દરમિયાન તેઓ ભારતનાં અનેક આકાશવાણી-કેન્દ્રો સાથે પ્રથમ કક્ષાના કલાકાર તરીકે કાર્યરત હતા. ૧૯૬૫થી ૧૯૭૨ દરમિયાન આકાશવાણી અમદાવાદ કેન્દ્રના શાસ્ત્રીય સંગીત વિભાગના નિર્માતા તરીકે તેઓને પસંદ કરવામાં આવ્યા હતા. ૧૯૭૦થી તેઓ અમદાવાદની જાણીતી નૃત્યસંસ્થા ‘કદમ્બ’માં સંગીતવિભાગના નિયામક તરીકે જોડાયા હતા. તે જ વર્ષે અમદાવાદની નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ડિઝાઇનમાં અમેરિકાના જાણીતા સંગીતકાર ડેવિડ ટ્યૂડર પાસેથી ઇલેક્ટ્રૉનિક મ્યુઝિકનો અભ્યાસ કર્યો હતો. જાપાનના ઓસાકા શહેરમાં યોજાયેલ ‘એક્સ્પો-૭૦’ પ્રદર્શનમાં ભારત તરફથી ઇલેક્ટ્રૉનિક સંગીતનું નિર્દેશન તેમણે કર્યું હતું. ૧૯૭૫માં તેઓ ઇસરોના સેટેલાઇટ ઇન્સ્ટ્રક્શનલ ટેલિવિઝન એેક્સ્પેરિમેન્ટના સંગીત-નિર્દેશક બન્યા. તેમણે અનેક દેશોનો સાંસ્કૃતિક પ્રવાસ કર્યો હતો. અનેક નાટકો, નૃત્યનાટિકાઓ, રેડિયોરૂપકો, દૂરદર્શન પરની શ્રેણીઓ તથા બાળ-કાર્યક્રમોનું સંગીત-નિર્દેશન કર્યું હતું. ૧૯૮૬માં દિલ્હીમાં ઊજવાયેલા ‘અપના ઉત્સવ’માં ‘ગુંજે પથ્થર’ કાર્યક્રમના મ્યુઝિક ટ્રૅકનું સ્વરનિયોજન તેમણે કર્યું હતું. અતુલ દેસાઈને વડોદરાની ત્રિવેણી સંસ્થા દ્વારા શ્રેષ્ઠ કલાકાર ઍવૉર્ડ, ગુજરાત રાજ્ય દ્વારા ગૌરવ પુરસ્કાર અને ભારત સરકારના સાંસ્કૃતિક વિભાગ દ્વારા વિશિષ્ટ ફેલોશિપ આપવામાં આવ્યાં હતાં. તદ્ઉપરાંત તેમણે પ્રાયોગિક સંગીતના ક્ષેત્રે કરેલાં કાર્યો બદલ રાષ્ટ્રપતિના હસ્તે ૧૯૯૫-૯૬ના વર્ષનો સંગીત-નૃત્ય અકાદમી ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. અતુલ દેસાઈનાં પત્ની સંધ્યાબહેન કથક નૃત્યનાં જાણીતાં કલાકાર હતાં.

શુભ્રા દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

મૃત્યુ સમયે અજાણી વ્યક્તિ

યમરાજ લાગે છે ====================

ભય પાસે લગીરે શક્તિ નથી. ભયભીત સ્વયં ભયને શક્તિમાન બનાવે છે. ભયને વાગોળી વાગોળીને એ પુષ્ટ કરે છે. ભય એ વ્યક્તિ પરનું કોઈ બાહૃા આક્રમણ નથી, પરંતુ વ્યક્તિના સ્વયંના નિમંત્રણને કારણે એ એના મનભુવનનો અતિથિ બને છે અને પછી માલિક બની જાય છે. ભયની ‘સવારી’ જોવા જેવી છે. પહેલાં વ્યક્તિમાં ભય જાગે કે આ કાર્ય સિદ્ધ થશે કે નહીં અને પછી જો એ ભયવશ થઈ જાય તો એ કાર્ય કરી શકતી નથી. પહેલાં ભય લાગે કે મારો વેપાર ચોપટ તો નહીં થઈ જાય ને ! અને ધીરે ધીરે એનો એ ભય વ્યાપારની રીતરસમોમાં પણ વ્યાપી વળશે. હું બીમાર પડી જઈશ તો શું થશે ? એવો ભય સતત સેવનાર વ્યક્તિ બીમાર પડે છે અને કદાચ એમાંથી ઊગરી જાય તોપણ એનું મન તો રોગગ્રસ્ત બની રહે છે ! કેટલાક ભય વ્યક્તિ સામે ચાલીને ઊભા કરે છે, જેમ કે આ પ્રવાસમાં જઈશ અને અણધાર્યું મૃત્યુ થશે તો ! વિમાન આકાશમાંથી એકાએક તૂટી પડશે તો ? બુઢાપામાં કોઈ ખૂબ પીડાકારી રોગ લાગુ પડશે તો ! ભયનો આવો પ્રવેશ થતાં વ્યક્તિ નિષ્ક્રિય બની જાય છે. પહેલાં મન ભયમાં ડૂબે છે, પછી બુદ્ધિ. એ બુદ્ધિ ભયને બહેકાવતી રહે છે. એની ઇચ્છાશક્તિ ધીરે ધીરે નિર્બળ કરતી રહે છે અને વ્યક્તિનાં અંગો શિથિલ થઈ જાય છે. જેમ જેમ વ્યક્તિ પોતાના ભયને વ્યક્ત કરતી જાય તેમ તેમ એનું મન નકારાત્મક બનતું જાય છે અને પહેલાં બારી વાટે પ્રવેશેલો ભય મનનાં સઘળાં બારણાંઓ પોતાને માટે ખોલી દે છે. રૂઢ માન્યતા, સમય-સંદર્ભ ગુમાવી બેઠેલા રિવાજો, વિચારશૂન્ય ગતાનુગતિકતા અને જડ ઘાલી ગયેલી અંધશ્રદ્ધા ભયનાં પૌષ્ટિક તત્ત્વો છે. એને વૃક્ષમાં ભૂત દેખાય, ઘરમાં પ્રેત ભમતું નજરે પડે અને અવસાન સમયે અજ્ઞાત વ્યક્તિ યમરાજ લાગે છે.

કુમારપાળ દેસાઈ