Categories
વાચન સમૃદ્ધિ

વાઘ કરતાં ખતરનાક

ચીનના મહાન ચિંતક અને ધર્મસ્થાપક કૉન્ફ્યૂશિયસે (ઈ. સ. પૂર્વે ૫૫૧થી ઈ. સ. પૂર્વે ૪૭૯) બાવીસમા વર્ષે પોતાના ઘરમાં પાઠશાળા સ્થાપી અને શિષ્યોને પ્રાચીન સાહિત્ય, સંસ્કૃતિ અને વિવિધ કલાઓનો અભ્યાસ કરાવવા લાગ્યા.

સત્યના ઉપાસક એવા કૉન્ફ્યૂશિયસ મિતભાષી અને મન, વચન અને કર્મમાં એકતા ધરાવતા હતા, એથીય વિશેષ ઈશ્વર કે પરલોક જેવી પરોક્ષ વસ્તુઓની પાછળ પડવાને બદલે આ લોકને સુધારીએ તેમ કહેતા. આ ભૂમિ પર સદાચાર દ્વારા નંદનવન વસાવીએ એ એમનું સૂત્ર હતું.

કૉન્ફ્યૂશિયસ એક વાર પોતાના શિષ્યો સાથે જંગલમાંથી પસાર થતા હતા, ત્યારે એમને કાને કોઈ આક્રંદ કરતી સ્ત્રીનો અવાજ પડ્યો. કૉન્ફ્યૂશિયસે એક શિષ્યને તપાસ કરવા માટે એ સ્ત્રીની પાસે મોકલ્યા ત્યારે તે સ્ત્રીએ કહ્યું,

‘આ જંગલમાં વાઘે આતંક મચાવી દીધો છે. થોડા દિવસ પહેલાં મારા સસરાને વાઘે ફાડી ખાધા અને એ પછી મારા પતિને પણ વાઘે ફાડી ખાધા.’

શિષ્યે ગુરુ કૉન્ફ્યૂશિયસને આ વાત કરી, ત્યારે કૉન્ફ્યૂશિયસે એ સ્ત્રીને કહ્યું, ‘આટલા બધા ભય અને દુ:ખમાં જીવો છો શા માટે ? એના કરતાં બીજી જગાએ રહેવા કેમ જતાં રહેતાં નથી ?’

આ સાંભળીને સ્ત્રીએ કહ્યું, ‘આપની વાત સાચી છે, પરંતુ અહીંનો રાજા અત્યંત દયાળુ છે, સહેજે જુલમી નથી, રાજના કર્મચારીઓ પ્રામાણિક છે, સહેજે લાંચિયા નથી. અહીંના વેપારીઓ બમણા ભાવે કશું વેચતા નથી, આથી વાઘનો ભય હોવા છતાં મને અહીં રહેવું ગમે છે.

કૉન્ફ્યૂશિયસે પોતાના શિષ્યો તરફ ફરીને કહ્યું, ‘કેવી સમજવા જેવી વાત છે. માણસો જુલ્મી રાજા અને ભ્રષ્ટાચારી અમલદારોને વાઘ કરતાંય ખતરનાક ગણે છે.’

Categories
વાચન સમૃદ્ધિ

સુચિત્રા સેન

જ. ૬ એપ્રિલ, ૧૯૩૫ અ. ૧૭ જાન્યુઆરી, ૨૦૧૪

‘મહાનાયિકા’નું બિરુદ મેળવનાર સુચિત્રા સેનનો જન્મ બાંગ્લાદેશમાં થયો હતો. તેમનું મૂળ નામ રોમા દાસગુપ્તા હતું. પિતા કરુણામય દાસગુપ્તા અને માતા ઇન્દિરા દેવી. તેમનો ઉછેર પટણામાં તેમના મોસાળમાં થયો હતો. નાની વયે જ તેમનાં લગ્ન દીબાનાથ સેન સાથે થયાં હતાં. સુચિત્રા પરણીને સાસરે ગયાં તે પછી તેમના સસરા અને પતિએ તેમની પ્રતિભા પારખી, તેમને અભિનય માટે ખૂબ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. તેમણે સુચિત્રા સેન નામ સાથે બંગાળી ચિત્રોમાં કામ શરૂ કરી દીધું. પરિણીત અભિનેત્રીને પ્રેક્ષકો પ્રણયદૃશ્યોમાં સ્વીકારતા નથી એવી એક માન્યતા તેમણે તોડી નાખી હતી. બંગાળી ચિત્રોના લોકપ્રિય અભિનેતા ઉત્તમકુમાર અને સુચિત્રા સેનની જોડીએ વર્ષો સુધી એક પછી એક સફળ ચિત્રો આપ્યાં હતાં. તેમણે અભિનય આપેલી ૬૦ ફિલ્મોમાં ૩૦ ફિલ્મો તેમણે ઉત્તમકુમાર સાથે કરી હતી. બંગાળી અને હિંદી ચિત્રોમાં રૂપસૌંદર્ય અને અભિનયપ્રતિભાથી એક અભિનેત્રી તરીકે જીવંત દંતકથા બની જવાની સિદ્ધિ તેમણે મેળવી હતી. બધાં ચિત્રોમાં તેમના તેજસ્વી વ્યક્તિત્વને કારણે તેમની ભૂમિકાઓ મહત્ત્વની બની રહી હતી. તેમણે ‘દેવદાસ’, ‘મમતા’ અને ‘આંધી’ જેવી હિન્દી ફિલ્મોમાં પણ દમદાર અભિનય આપ્યો હતો.

સુચિત્રાના પતિ દીબાનાથનું ૧૯૬૯માં એક અકસ્માતમાં અવસાન થયું હતું. જોકે કાનૂની રીતે તે પહેલાં જ બંને છૂટાં પડી ગયાં હતાં. ૧૯૭૮ના અરસામાં તેમનું ચિત્ર વ્યાવસાયિક રીતે નિષ્ફળ જતાં સુચિત્રાએ એકાએક જ માયા સંકેલી લીધી હતી. તેમણે જાહેરમાં દેખાવાનું પણ બંધ કરી દીધું હતું. અભિનયમાંથી નિવૃત્તિ લીધા બાદ તેઓ રામકૃષ્ણ મિશનની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલાં રહ્યાં હતાં. કોઈ પણ આંતરરાષ્ટ્રીય ચિત્ર મહોત્સવમાં પારિતોષિક મેળવનારાં તેઓ પ્રથમ ભારતીય અભિનેત્રી બન્યાં હતાં. તેમનાં નોંધપાત્ર ચલચિત્રોમાં ‘કજરી’, ‘સદાનંદેર જોલા’, ‘ઓરા થાકે ઓધારે’, ‘ગૃહપ્રવેશ’, ‘અગ્નિપરીક્ષા’, ‘દેવદાસ’, ‘ભાલોબાસા’, ‘સાગરિકા’, ‘દીપ જ્વલે જાય’, ‘સાત પાકે બાંધા’, ‘મમતા’, ‘આલો અમાર આલો’, ‘આંધી’ વગેરેનો સમાવેશ થાય છે. તેમને મળેલા પુરસ્કારોમાં ૧૯૭૨માં ‘પદ્મશ્રી’, ૨૦૧૨માં ‘બાન્ગા વિભૂષણ’, ૨૦૦૫માં દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડ(જે તેમણે સ્વીકાર્યો ન હતો)નો સમાવેશ થાય છે.

Categories
વાચન સમૃદ્ધિ

સંધિ (રાજકીય કે વ્યવહાર-ક્ષેત્રમાં)

બે દેશો વચ્ચે સ્વીકૃત થયેલ અને નિશ્ચિત પદ્ધતિ દ્વારા સત્તાધીશો દ્વારા માન્ય થયેલું સુલેહનામું.

તેમાં સુલેહ કે શાંતિના કરાર અને સ્વીકૃતિપત્રના ભાવાર્થ આવરી લેવાયા હોય છે. સંધિ સાથે અંગ્રેજીના ‘કન્વેન્શન’, ‘પ્રોટોકૉલ’, ‘કૉવેનન્ટ’, ‘ચાર્ટર’, ‘પૅક્ટ’, ‘સ્ટેચ્યૂટ’, ‘ઍક્ટ’, ‘ડેક્લેરેશન’ વગેરેની અર્થચ્છાયાઓ પણ જોવા મળે છે. આવી સંધિથી બે દેશોની સરકારો વચ્ચે હક્કો અને જવાબદારીઓ નક્કી થાય છે. જે તે સંધિકરારનું પાલન થાય તે માટે જવાબદાર અધિકારીઓને કામની સોંપણી કરવામાં આવે છે. આવી સંધિ તેમાં ભાગ લેનાર સૌ પક્ષકારોને બંધનકર્તા હોય છે. સામાન્ય રીતે આવી સંધિઓની વ્યવસ્થા આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ કરવામાં આવે છે. વધુમાં આંતરરાષ્ટ્રીય સંગઠનો આ માટેનાં ધારાધોરણો નક્કી કરે છે. મહદ્અંશે વિવિધ દેશો વચ્ચેના સરહદી ઝઘડાઓ, વ્યાપારી લેવડદેવડ, આયાત-નિકાસ, નાગરિકોની માન્યતા અને જળવિવાદ તેમ જ યુદ્ધો જેવી બાબતે આ પ્રકારની સંધિઓ દ્વારા મતભેદોનો ઉકેલ લાવવામાં આવે છે. આ અર્થમાં સંધિ એ દેશો વચ્ચેના મતભેદોની શાંતિમય અને સમજદારીપૂર્વકની પતાવટ હોય છે.

વર્સાઇલ્સ/વર્સેલ્સની સંધિ

૧૯૧૯માં થયેલી વર્સાઇલ્સ/વર્સેલ્સની સંધિ અનુસાર પ્રથમ વિશ્વયુદ્ધ(૧૯૧૪થી ૧૯૧૮)નો અંત લાવવામાં આવ્યો હતો. જેમાં એક તરફ વિજયી મિત્રરાષ્ટ્રો (allies) હતાં અને બીજી તરફ જર્મની, ઇટાલી (axis) જેવાં પરાજિત રાષ્ટ્રો હતાં. તેમાં મુખ્યત્વે વિશ્વયુદ્ધ બંધ કરી સુલેહને લગતી શરતો સામેલ કરવામાં આવી હતી. દેશો દેશો વચ્ચેના ગુનેગારોને પકડવા અંગેની સંધિ પ્રત્યર્પણ સંધિ તરીકે ઓળખાય છે. વિવિધ દેશો વચ્ચે એકબીજાને મુશ્કેલીના સમયે સહકાર આપવા માટે પણ સંધિ કરવામાં આવે છે. નૉર્થ ઍટલૅન્ટિક ટ્રીટી ઑર્ગેનાઇઝેશન (NATO) અથવા સાઉથ ઈસ્ટ એશિયા ટ્રીટી ઑર્ગેનાઇઝેશન (SEATO) દેશોના સમૂહને સલામતી આપતી સંધિઓ છે. આવી કોઈ સંધિ ટૂંકા સમય માટે નક્કી થઈ હોય તો તે કામચલાઉ સંધિ તરીકે ઓળખાય છે. દેશની અંદર કે બે દેશો વચ્ચે સંઘર્ષોના ઉકેલ માટે સંઘર્ષનિવારણ સંધિઓ પણ કરવામાં આવે છે. ભારત-પાકિસ્તાન દેશો વચ્ચે થયેલા સિમલા કરાર આ પ્રકારની સંધિ છે. આવી સંધિઓ આંતરરાષ્ટ્રીય કાયદાઓથી માન્ય થાય પછી જ તેનો અમલ કરી શકાય છે. સંધિ સંઘર્ષોને સમજદારીથી ઉકેલવાનો શ્રેષ્ઠ માર્ગ છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી