Categories
વાચન સમૃદ્ધિ

તાપી (નદી)

પશ્ચિમ ભારત અને ગુજરાતની એક મોટી નદી. પુરાણકથા મુજબ ‘તાપી’ શબ્દ સૂર્યપુત્રી ‘તપતી’ પરથી ઊતરી આવ્યો છે. મધ્યપ્રદેશના બેતુલ જિલ્લામાં મહાદેવની ટેકરીઓમાં આવેલ એક સરોવરમાંથી તે નીકળે છે. તેની કુલ લંબાઈ 752 કિમી તથા સ્રાવ વિસ્તાર 75,000 ચોકિમી. છે. અતિવૃષ્ટિના સમયમાં દર કલાકે તે 9,12,00,000 ક્યૂબિક મીટર અને સૂકી ઋતુ દરમિયાન 19,000 ક્યૂબિક મીટર પાણી સમુદ્રમાં ઠાલવે છે. ઉદ્ગમથી સમુદ્ર સુધી તેના પ્રવાહમાર્ગને ચાર વિભાગમાં વહેંચવામાં આવે છે : (1) ઉદ્ગમથી મહારાષ્ટ્રના ખાનદેશમાં પ્રવેશે છે ત્યાં સુધીના 250 કિમીનો વિસ્તાર. (2) ખાનદેશમાં 280 કિમી. વિસ્તાર સુધીનો વિસ્તાર. (3) ખડકાળ પ્રદેશમાં થઈ તે ગુજરાતના નીચાણવાળા વિસ્તારમાં પ્રવેશે છે તે 80 કિમી.નો વિસ્તાર તથા (4) સૂરતના ફળદ્રૂપ મેદાનમાં થઈ 144 કિમી.ના પ્રવાસ બાદ સમુદ્રને મળે છે તે વિસ્તાર.

સૂરતમાં તાપી નદી

ખાનદેશના વિસ્તારમાં નદીના મેદાનની રચના, સમુદ્રસપાટીથી 210થી 225 મી.ની ઊંચાઈ પર થઈ છે. પૂર્ણા, વાઘુર, ગીરના, બોરી, પુનઝરા અને શિવા નામની ઉપનદીઓ અહીં તાપીને મળે છે. ખાનદેશમાં તાપીનો અંતિમ 32 કિમી.નો પ્રવાહ સહ્યાદ્રિ-સાતપુડાની ટેકરીઓમાંથી પસાર થાય છે અને પથરાળ વિસ્તારમાંથી માર્ગ કાઢી જળપ્રપાતની રચના કરતો તે આગળ વધે છે. ગુજરાતમાં તે જ્યાં પ્રવેશે છે તે સ્થળ ‘હરણફાળ’ તરીકે ઓળખાય છે. કાકરાપાર સુધી પૂર્વના ડુંગરાળ પ્રદેશમાં વહી તે સમુદ્રને મળતાં પહેલાં દક્ષિણ ગુજરાતના મેદાનમાં પહોળા ‘સર્પાકાર’ વહનમાર્ગો બનાવે છે. તાપીના મુખથી ઉપરવાસમાં 45 કિમી. સુધી દરિયાઈ ભરતીની અસરને લીધે તેના વહનમાર્ગમાં માટીના દળદાર સ્તરોનો નિક્ષેપ થયેલો જોવા મળે છે. લાવાયિક ખડકોને ઘસીને તે ખડક કણોને પોતાની સાથે ઘસડી લાવી, ગુજરાતના મેદાનમાં નિક્ષેપ કરી કાળી કાંપની જમીનની રચના કરે છે. તેના માર્ગમાં વાધેચા જળપ્રપાત પાસે કાંપના નિક્ષેપથી નાના નાના બેટની રચના થાય છે. જે ઝાડી-ઝાંખરાંથી છવાયેલા છે. અવારનવાર પૂરનાં પાણી તેના પર ફરી વળે છે. આવો એક મોટો બેટ સૂરતથી લગભગ 8 કિમી. દૂર આવેલ છે. તાપીનો થાળાવિસ્તાર 1395 ચોકિમી. અને સ્રાવક્ષેત્ર 60,415 ચોકિમી. છે. ભૂતકાળમાં તાપીના મુખમાં વહાણો પ્રવેશી શકતાં હોવાથી સૂરત ઐતિહાસિક રીતે એક પ્રખ્યાત બંદર બન્યું હતું.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8, તાપી, પૃ. 790 અથવા જુઓ https://gujarativishwakosh.org/તાપી/)

Categories
વાચન સમૃદ્ધિ

રામાનંદ સાગર

જ. 29 ડિસેમ્બર, 1917 અ. 12 ડિસેમ્બર, 2005

ફિલ્મ અને ટીવી સિરિયલ ક્ષેત્રના અગ્રણી નિર્માતા, દિગ્દર્શક, પટકથા-સંવાદલેખક અને હિંદી તથા ઉર્દૂ ભાષાના સાહિત્યસર્જક રામાનંદ સાગરનું મૂળ નામ તો ચંદ્રમૌલિ, પરંતુ મોસાળ પરિવારે દત્તક લીધા બાદ તેમને ‘રામાનંદ’ નામ આપવામાં આવ્યું હતું. પિતા દીનાનાથ ચોપરા સાહિત્યકાર હોવાથી બાળપણથી જ રામાનંદ પર સાહિત્યસર્જનના સંસ્કાર પડેલા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ લાહોર ખાતે અને ઉચ્ચશિક્ષણ તેમણે શ્રીનગરની કૉલેજમાંથી પ્રાપ્ત કર્યું હતું. સંસ્કૃત વિષય સાથે પંજાબ યુનિવર્સિટીમાંથી અનુસ્નાતકની પદવી તેમણે સુવર્ણચંદ્રક સાથે પ્રાપ્ત કરી હતી અને પર્શિયન વિષયમાં સર્વાધિક ગુણ મેળવી ‘મુનશી ફઝલ’ નામની પદવી પણ હાંસલ કરી હતી. દહેજપ્રથાનો વિરોધ કરવાના કારણસર રામાનંદ સાગરને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા, તેથી ભરણપોષણના સાધન તરીકે તેમણે પટાવાળા, ટ્રક-ક્લીનર અને સાબુના વિક્રેતા તરીકે પણ કામગીરી કરી હતી. રાત્રિના સમયે ભણવાનું ચાલુ રાખી એ જ સમયમાં ‘ડાયરી ઑવ્ અ ટીબી પેશન્ટ’ નામે એક સર્જનકથા લખી, જે ‘અદલ-એ-મશરિક’ નામના તત્કાલીન જાણીતા સામયિકમાં હપતાવાર પ્રસિદ્ધ થઈ હતી જે તેમની પ્રથમ કૃતિ તરીકે ખૂબ લોકપ્રિય નીવડી. રામાનંદ સાગર શરૂઆતમાં ‘દૈનિક પ્રતાપ’ અને ત્યારબાદ ‘દૈનિક મિલાપ’માં જોડાયા હતા. 1948માં તેમની નવલકથા ‘ઔર ઇન્સાન મર ગયા’ પ્રકાશિત થઈ, જે ખૂબ લોકપ્રિય બનેલી. 1951માં તેમણે સાગર આર્ટસ’ની સ્થાપના કરી અને તેના નેજા હેઠળ 1951થી 1985ના ગાળામાં તેમણે 50 ચલચિત્રોનું નિર્માણ કર્યું. ગુજરાતી ફિલ્મ ‘વીર માંગડાવાળો’નું નિર્માણ તેમણે કર્યું હતું. દૂરદર્શન પર સળંગ 71 હપતામાં પ્રદર્શિત થયેલી દૃશ્ય-શ્રાવ્ય શ્રેણી ‘રામાયણ’ (1986-88) દેશ-વિદેશના કરોડો લોકોએ નિહાળી અને ખૂબ લોકપ્રિય રહી. ભારત સરકારે 2001માં તેમને પદ્મશ્રીથી નવાજ્યા હતા અને જમ્મુ યુનિવર્સિટીએ તેમને માનદ્ ડૉક્ટરેટની પદવી પણ અર્પણ કરી હતી.

Categories
વાચન સમૃદ્ધિ

કિંગ ઑફ રૉક ઍન્ડ રૉલ

અમેરિકાના મિસિસિપિના ટુપેલો ગામના એક નિર્ધન પરિવારમાં એલ્વિસ પ્રૅસ્લે(ઈ. સ. 1935-1977)નો જન્મ થયો હતો. એના અગિયારમા જન્મદિવસે એને તીવ્ર ઇચ્છા હતી કે એની માતા ગ્લાડિસ જન્મદિનની ભેટ રૂપે એને સાઇકલ કે રાઇફલ ભેટ આપે, પરંતુ એની ગરીબ માતા પાસે આમાંથી એકે વસ્તુ ખરીદવાના પૈસા નહોતા. બે રૂમમાં રહેતું આ કુટુંબ પાડોશીઓની મદદ પર અને સરકારી ભોજન-સહાય પર ગુજરાન ચલાવતું હતું. માતાએ સાઇકલને બદલે એલ્વિસ પ્રૅસ્લેને ગિટાર ભેટ આપી. એલ્વિસ પ્રૅસ્લેને અત્યંત દુ:ખ થયું. એમ પણ લાગ્યું કે સાઇકલ હોત તો ફરવાની કેવી મજા પડત. પરંતુ એ પછી એણે મન મનાવીને ગિટારને પોતાની સાથી બનાવી દીધી. રાતદિવસ એ ગિટાર વગાડવા લાગ્યો અને સમય જતાં એનામાં એટલો બધો સંગીતપ્રેમ જાગ્યો કે મહાન ગાયક બનવાનાં સ્વપ્નાં સેવવા લાગ્યો. અગિયારમા વર્ષે ગિટારની ભેટ આપનારી માતા ગ્લાડિશને હવે કઈ ભેટ આપવી ? એણે ખૂબ મહેતનથી એક રેકૉર્ડ તૈયાર કરી અને માતાને જન્મદિવસની ભેટ રૂપે આપી. પોતાના પુત્રની આકરી મહેનત જોઈને એની માતાએ કહ્યું, ‘બેટા, ભલે તું ગરીબ પરિવારમાં જન્મ્યો હોય, પરંતુ એકે બાબતમાં પાછો પડે તેવો નથી. મને દૃઢ વિશ્વાસ છે કે જરૂર આખી દુનિયામાં તારી નામના થશે.’ માતાના શબ્દોએ એનામાં આત્મવિશ્વાસ જગાડ્યો. 19 વર્ષના એલ્વિસ પ્રૅસ્લેને 1954માં નિર્માતા સામ ફિલિપની સન રેકૉર્ડ્ઝ કંપનીમાં એક ગીત ગાવાની તક મળી. વાત એવી હતી કે સન રેકૉર્ડ કંપનીના માલિક સામ ફિલિપ એક એવા શ્વેત વર્ણના સ્ટેજ ગાયકની તલાશમાં હતા કે જેનો અવાજ નિગ્રો જેવો હોય. એલ્વિસ પ્રૅસ્લેએ ગાયું અને એ ગીત સામ ફિલિપને અત્યંત પ્રસંદ પડ્યું. બસ, પછી તો પૂછવું જ શું ? એલ્વિસ પ્રૅસ્લે સામ ફિલિપ સાથે જોડાઈ ગયો અને એની એક પછી એક અત્યંત લોકપ્રિય રેકૉર્ડ બહાર પડવા લાગી. એ વિશ્વપ્રસિદ્ધ ગાયક, ગીતલેખક અને અભિનેતા બન્યો. યુવાનોના હૃદય પર છવાઈ ગયો. સંગીતની દુનિયાનો એ સૌથી ધનવાન ગાયક બન્યો અને એથીય વિશેષ તો એને સહુ ‘કિંગ ઑફ રૉક ઍન્ડ રૉલ’ તરીકે અથવા તો ‘કિંગ’ તરીકે ઓળખવા લાગ્યા અને વીસમી સદીનો એક પ્રભાવશાળી કલ્ચરલ ‘આઇડોલ’ બની રહ્યો.