Categories
વાચન સમૃદ્ધિ

થીબ્ઝ (ઇજિપ્ત)

પ્રાચીન ઇજિપ્ત અથવા મિસરનું સદીઓ સુધી પાટનગર. ઇજિપ્તમાં રાજાશાહીની શરૂઆત કરનાર મેનિસે એની સ્થાપના કરી હતી. થીબ્ઝ નગર નાઈલ નદીના બંને કાંઠે પથરાયેલું હતું. એમાં લક્સરનો મહેલ અને કર્ણાકનું મંદિર પૂર્વ કાંઠે આવેલાં હતાં. જ્યારે ગુરનાહ અને મેન્ડિનેટ હબુ નામના વિસ્તારો પશ્ચિમ કાંઠે આવેલા હતા. ઈ. સ. પૂ. 1500થી ઈ. સ. પૂ. 1000 દરમિયાન એની સૌથી વધારે જાહોજલાલી હતી. થટમોસ રાજાઓએ પણ એ સમય દરમિયાન રાજ કર્યું હતું. ઈ. સ. પૂ. 800થી એનું મહત્ત્વ ઘટવા માંડ્યું અને મેમ્ફિસ નગરનું મહત્ત્વ વધવા લાગ્યું. થીબ્ઝ એ ભવ્ય અવશેષો અને ખંડેરોવાળું સ્થળ છે, પરંતુ અત્યારે ત્યાં માત્ર થોડા આરબો જ વસવાટ કરે છે, જે પ્રવાસીઓના માર્ગદર્શક તરીકે કામ કરે છે. લક્સરના મહેલ પાસે લાલ ગ્રૅનાઇટ પથ્થરના બે સ્મૃતિસ્તંભો હતા. તેમાંનો એક પૅરિસના પ્લેસ ડી લા કૉન્કોર્ડમાં મૂકવામાં આવ્યો છે.

પ્રાચીન થીબ્ઝનાં વિશાળ મંદિરોના અવશેષો

થીબ્ઝમાં ઇજિપ્તના રાજાઓનાં વિશાળ કબ્રસ્તાનો આવેલાં હતાં. ખડકો વચ્ચે રહેલી સુંદર કબરોમાંથી હજારો મમીઓ બહાર કાઢવામાં આવ્યાં છે. ઇજિપ્તના લોકો મૃતદેહોમાં રસાયણો, દવાઓ અને મસાલાઓ ભરીને લાંબા સમય સુધી સાચવી રાખતા, જે મમી તરીકે ઓળખાતા. થીબ્ઝમાં વિશાળ મંદિરો, મહેલો અને સ્મારકોના અવશેષો છે. એમાં એક મેમ્નોનનું પૂતળું પણ છે, જેમાંથી દરરોજ સવારે સૂર્યોદય સમયે ધનુષ્યના ટંકાર જેવો મોટો અવાજ નીકળતો હતો. એમાં કોઈ તરકીબ હશે અથવા કોઈ માણસ છુપાઈને આવો અવાજ કરતો હશે એમ માનવામાં આવે છે. અહીં આવેલાં અન્ય સ્મારકોમાં રામસીસ–બીજાનું મંદિર, રામસીસ–ત્રીજાનું મંદિર અને મહેલ વગેરેનો સમાવેશ થાય છે. થીબ્ઝના મહારથીઓ ચડાઈઓ દ્વારા અરબસ્તાન, ઇથોપિયા અને એશિયા માઇનોરમાંથી પુષ્કળ ધનસંપત્તિ લાવતા અને એનાથી થીબ્ઝનાં મંદિરો તથા મહેલોને શણગારતા. ઈરાનના સમ્રાટ કેમ્બિસીસે ઈ. સ. પૂ. 525માં આ શહેરને લૂંટીને ઘણી મોટી સંપત્તિ મેળવી હતી એમ કહેવાય છે. આમ, થીબ્ઝ પ્રાચીન ઇજિપ્તનું ભવ્ય પાટનગર હતું, જેના અવશેષોએ પ્રાચીન ઇજિપ્તનાં ઇતિહાસ તથા સંસ્કૃતિ પર મહત્ત્વનો પ્રકાશ પાડ્યો છે. ઈ. સ. પૂ. 29માં રોમનોએ એનો નાશ કર્યો હતો.

ગુજરાતી વિશ્વકોશ, ભાગ-9

Categories
વાચન સમૃદ્ધિ

રામનારાયણ વિ. પાઠક

જ. 8 એપ્રિલ, 1887 અ. 21 ઑગસ્ટ, 1955

ગુજરાતી સાહિત્યના સર્જક અને અધ્યાપક રામનારાયણ પાઠકનો જન્મ અમદાવાદ જિલ્લાના ગણોલમાં થયો હતો. પિતાની અવારનવાર બદલી થવાથી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ જુદી જુદી જગ્યાએ મેળવ્યું. ઉચ્ચશિક્ષણ ભાવનગર અને મુંબઈમાં મેળવ્યું. 1904માં મૅટ્રિક તથા 1908માં પ્રથમ વર્ગ સાથે બી.એ. થયા. 1911માં મુંબઈ યુનિવર્સિટીમાંથી એલએલ.બી. થયા અને અમદાવાદમાં વકીલાત શરૂ કરી. ક્ષય રોગ થવાથી સાદરા રહેવા ગયા. 1920માં ગુજરાત કેળવણી મંડળમાં જોડાયા અને જે. એલ. ન્યૂ ઇંગ્લિશ સ્કૂલના આચાર્ય બન્યા, પરંતુ અસહકારનું આંદોલન શરૂ થતાં શાળા છોડી ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા. 1928 સુધી અધ્યાપક તરીકે કાર્ય કર્યું. 1926માં ‘પ્રસ્થાન’ માસિકનું તંત્રીપદ સંભાળ્યું. 1928માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી રાજીનામું આપી પૂર્ણકાલીન તંત્રી બન્યા. 1935માં મુંબઈની એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાં અધ્યાપક થયા. 1937માં અમદાવાદની એલ. ડી. આર્ટસ કૉલેજના અધ્યાપક બન્યા અને ‘પ્રસ્થાન’નું તંત્રીપદ છોડ્યું. તેઓ ‘ગાંધીયુગના સાહિત્યગુરુ’ તરીકે જાણીતા છે. 1946માં મુંબઈની ભવન્સ કૉલેજમાં અને પછી ભારતીય વિદ્યાભવનમાં કામ કર્યું. 1953માં આકાશવાણી મુંબઈના સલાહકાર તરીકે જોડાયા. તેમણે સ્વાતંત્ર્યની લડતમાં ભાગ લીધો હતો. એક વખત જેલની સજા પણ થઈ હતી. તેમણે કવિતા, ટૂંકી વાર્તા, નાટક, નિબંધક્ષેત્રે નોંધપાત્ર સર્જન કર્યું હતું. તેઓ ‘શેષ’ ઉપનામથી કાવ્યો, ‘દ્વિરેફ’ ઉપનામથી વાર્તાઓ અને ‘સ્વૈરવિહારી’ ઉપનામથી નિબંધો લખતા હતા. તેમણે 1921માં ‘જાત્રાળુ’ ઉપનામથી ‘રાણકદેવી’ કાવ્ય લખ્યું. એ પછી એક વખત ‘ભૂલારામ’ ઉપનામ પણ રાખ્યું હતું. ‘શેષનાં કાવ્યો’, ‘વિશેષ કાવ્યો’ (મરણોત્તર), ‘દ્વિરેફની વાતો’ ભાગ 1થી 3, ‘સ્વૈરવિહાર’ ભાગ 1-2, ‘મનોવિહાર’, ‘આલોચના’, ‘અર્વાચીન કાવ્ય સાહિત્યનાં વહેણો’, ‘નર્મદાશંકર કવિ’, ‘કુલાંગાર અને બીજી કૃતિઓ’, ‘બૃહત્ પિંગળ’ તેમનાં નોંધપાત્ર સર્જનો છે. તેઓ 1946માં રાજકોટ ખાતે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ હતા. તેમને 1949માં નર્મદચંદ્રક અને 1956માં સાહિત્ય અકાદમી ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

સૌથી મહાન માનવી

ચીનના મહાન ચિંતક કૉન્ફ્યૂશિયસ સત્યના ઉપાસક હતા અને એમનું અંગત જીવન નમ્ર, ગૌરવશાળી, વિવેકી અને સ્વસ્થ હતું. વ્યવહારકુશળ અને ન્યાયપ્રિય કૉન્ફ્યૂશિયસ એમ કહેતા કે અપકારનો બદલો અપકારથી ન વાળો, પણ ઉપકારથી વાળો. એવા જ્ઞાની સંત કૉન્ફ્યૂશિયસને ચીનના સમ્રાટે બોલાવીને પૂછ્યું, ‘હે જ્ઞાની પુરુષ, આ પૃથ્વી પર સૌથી મહાન વ્યક્તિ કોણ છે ?’ કૉન્ફ્યૂશિયસે હસીને કહ્યું, ‘સમ્રાટ, આપ વિશાળ સામ્રાજ્ય ધરાવો છો અને સામર્થ્યવાન છો, માટે મહાન છો.’ સમ્રાટે વળતો પ્રશ્ન કર્યો, ‘મારાથી મહાન કોણ હશે ?’ ત્યારે કૉન્ફ્યૂશિયસે કહ્યું, ‘ક્ષમા કરજો સમ્રાટ. હું સત્યનો ઉપાસક છું. ક્યારેય અસત્ય ઉચ્ચારતો નથી અને એ કારણે જ હું તમારાથી મહાન ગણાઉં.’ સમ્રાટે વળી પ્રશ્ન કર્યો, ‘આપણા બંનેથી પણ ચડિયાતી કોઈ મહાન વ્યક્તિ આ જગતમાં હશે ખરી ?’ કૉન્ફ્યૂશિયસે કહ્યું, ‘હા સમ્રાટ, ચાલો, જરા મહેલની બહાર એક લટાર મારી આવીએ.’ સંત અને સમ્રાટ મહેલની બહાર નીકળ્યા. બળબળતી બપોર હતી. ધોમધખતો તાપ હતો અને એવે સમયે એક નાનકડા ગામના પાદરે એક માણસ કોદાળી લઈને એકલો કૂવો ખોદી રહ્યો હતો. કૉન્ફ્યૂશિયસે એ માણસ તરફ આંગળી ચીંધી કહ્યું, ‘સમ્રાટ, કોઈ પણ દેશના સમ્રાટ કે સંત કરતાં આ માનવી વધારે મહાન છે, કારણ કે એ કોઈનીય મદદ લીધા વિના બીજાના ભલા માટે કાર્ય કરી રહ્યો છે. એ એકલે હાથે જે કૂવો ખોદશે એનો લાભ આખા ગામને મળશે. સહુની તૃષા તૃપ્ત થશે, આથી બીજાની સેવામાં જીવન વ્યતીત કરનાર માણસ સૌથી મહાન કહેવાય.’