Categories
વાચન સમૃદ્ધિ

જૂડો

વિશ્વમાં પ્રસાર પામેલી મલ્લયુદ્ધ પ્રકારની જાપાનની લોકપ્રિય રમત. નિ:શસ્ત્ર અવસ્થામાં આત્મરક્ષા માટે પ્રયોજાતી ૨૦૦૦ વર્ષ જૂની જ્યુજિત્સુ નામની યુદ્ધકલામાંથી તેનો ઉદભવ થયો. ચીન, જાપાન અને તિબેટના બૌદ્ધ સાધુઓને વિહાર-સમયે હિંસા વિના આત્મરક્ષા અર્થે તૈયાર રહેવાની આવશ્યકતામાંથી આ કલા વિકાસ પામી. જિગોરો કાનો (૧૮૬૦-૧૯૩૮) નામના જ્યુજિત્સુનિષ્ણાતે ૧૮૮૨માં આ રમતને નવો ઘાટ આપ્યો. તેણે ભયાવહ દાવ કાઢી નાખીને સરળ ક્રીડાપદ્ધતિની રચના કરી. ૧૯૫૧માં આંતરરાષ્ટ્રીય જૂડો મંડળ સ્થપાયું. ૧૯૫૬થી જાપાનમાં ટોકિયોમાં વિશ્વશ્રેષ્ઠની સ્પર્ધાઓનો આરંભ થયો. એ જ વર્ષથી તેનો ઑલિમ્પિક રમતોત્સવમાં અને લગભગ પાછળ જ એશિયાઈ રમતોત્સવમાં સમાવેશ કરાયો. ૧૯૮૦થી ન્યૂયૉર્ક(યુ.એસ.)માં મહિલા શ્રેષ્ઠ સ્પર્ધાઓ આરંભાઈ.

જૂડોમાં પ્રતિસ્પર્ધી ભારે અને બળવાન હોય તોપણ તેના જ ભાર અને બળથી તેને માત કરવાની યુક્તિઓ વિકસાવવા પર ભાર મુકાયો છે. મર્મસ્થાનો પર પ્રહાર કરી તેને વેદનાગ્રસ્ત કરવા હાથનો ઉપયોગ થાય છે. આ કળાને આતેમી કહે છે. તેમાંથી કરાટે નામની સ્વતંત્ર રમત વિકસાવવામાં આવી છે. જૂડોમાં સમતલ સ્થાન ઉપર ૯ મી. બાજુવાળા સાદડી પાથરેલા ચોરસ ક્રીડાસ્થળ ઉપર બે સ્પર્ધકો નમન કરીને ક્રીડાનો આરંભ કરે છે. કપડાને ગળા કે બાંય પાસે પકડીને એકબીજાને ચીત કરવા મથે છે. ૩૦ સેકંડની ચીત-અવસ્થાથી પછાડનારને ગુણ મળે છે. પાશ તથા હસ્તમરોડ દ્વારા પણ ગુણ પ્રાપ્ત કરી શકાય છે. ગુણને ઇપોન કહે છે. યુદ્ધનો સમય ૩થી ૨૦ મિનિટનો છે. ઇપોન નોંધાય એટલે રમત પૂરી થઈ ગણાય છે. નિયત અવધિ પતી જવા છતાં ઇપોન નોંધાય નહિ, ત્યારે નિર્ણાયકો યુદ્ધ દરમિયાન સ્પર્ધકોના એકંદર કૌશલને લક્ષમાં લઈ વિજેતા ઠરાવે છે. રમતમાં શારીરિક તથા માનસિક ચપળતાનું મહત્ત્વ ઘણું છે. સ્પર્ધકોમાં બે મુખ્ય વર્ગો – વિદ્યાર્થીકિયુ તથા નિષ્ણાત-દાન — છે. એમાં વિવિધ કક્ષાઓ છે, જે પટાના રંગ ઉપરથી સૂચિત થાય છે. સામાન્ય રીતે ચોથી દાન-કક્ષા ઇષ્ટ ગણાય છે. ૭થી ૧૦ વર્ષ સુધી સપ્તાહમાં ૩ દિવસ પ્રશિક્ષણ લીધા પછી તે સિદ્ધ થાય છે. ૫મી દાન-કક્ષા માટે કાળો પટો, ૬થી ૮ દાન-કક્ષા માટે કાળો અથવા રાતો અને શ્વેત પટો, ૯થી ૧૧ દાન-કક્ષા માટે રાતો પટો અને ૧૨મી દાન-કક્ષાએ બેવડી પહોળાઈનો શ્વેત પટો ધારણ કરવામાં આવે છે. સર્વોચ્ચ કક્ષાનો રાતો પટો વિશ્વમાં કેવળ ૧૩ પુરુષો ધરાવે છે. અમેરિકા તથા ભારત સહિત ઘણા દેશોમાં જૂડો રમત લોકપ્રિય થઈ રહી છે. જોકે ભારતમાં જૂડોની સરખામણીમાં કરાટે વધારે લોકપ્રિય છે. સેના તથા પોલીસદળમાં જવાનોને તેનું વ્યવસ્થિત શિક્ષણ આપવામાં આવે છે. વડાપ્રધાન જેવી મહાનુભાવ વ્યક્તિઓની રક્ષા માટેના કર્મચારીઓ જૂડોના નિષ્ણાત હોય છે. વિશ્વના શ્રેષ્ઠ રમતવીરોમાં જાપાનના યાસુહિરો, યામાશિતા, શોઝો ફુજી, નાઓયા યોગાવા અને હિતોશી સાઈતો, નેધરલૅન્ડ્ઝના વિલ્હેમ રુસ્કા, ઑસ્ટ્રિયાના પીટર સેઇઝનબેખર, પોલૅન્ડના વાલ્ડેમર લેજિયન તથા બેલ્જિયમની ઇન્ગ્રિડ બર્ગમન્સનો સમાવેશ થાય છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

ચિનુભાઈ શાહ

Categories
વાચન સમૃદ્ધિ

કૃષ્ણા સોબતી

જ. ૧૮ ફેબ્રુઆરી, ૧૯૨૫ અ. ૨૫ જાન્યુઆરી, ૨૦૧૯

જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત કરનારાં ખ્યાતનામ હિંદી સાહિત્યકાર. પ્રારંભિક શિક્ષણ દિલ્હી અને શિમલામાં લીધું. ત્યારબાદ લાહોરમાં ફતેહચંદ કૉલેજમાં અભ્યાસ કર્યા બાદ ભાગલા પડતાં તેઓ ભારત આવી ગયાં. બે વર્ષ સિરોહીના મહારાજાના પૌત્ર તેજસિંગને ત્યાં શિક્ષિકા તરીકે કાર્ય કર્યું. તેઓ મહાત્મા ગાંધી હિંદી યુનિવર્સિટી, વર્ધાનાં સભ્ય, નૅશનલ બુક ટ્રસ્ટનાં ટ્રસ્ટી, ૧૯૮૦-૮૨માં પંજાબ યુનિવર્સિટીમાં ફેલો, નવી દિલ્હી કેન્દ્રીય સાહિત્ય અકાદમીમાં ફેલો રહ્યાં. તેમનું લેખનકાર્ય ટૂંકી વાર્તાઓથી શરૂ થયું. ૧૯૪૪માં તેમની ‘લામા’ અને ‘નફિસા’ વાર્તા પ્રકાશિત થયેલી. તે જ વર્ષમાં ‘સિક્કા બદલ ગયા’ નામથી હિન્દુસ્તાન-પાકિસ્તાનના ભાગલાની કથા લખી. તેમની માતૃભાષા તો પંજાબી હતી પણ તેમણે હિંદીમાં લેખન કર્યું છે. ત્રીસ વર્ષના ગાળામાં તેમણે ૧૯૮૦માં વાર્તાસંગ્રહ ‘બાદલોં કે ઘેરે’, આખ્યાયિકા ‘ડાર સે બિછુડી’ (૧૯૫૮), ‘મિત્રો માર્જની’ (૧૯૬૭), ‘યારોં કે યાર’ (૧૯૬૮), ‘તિન પહાડ’ (૧૯૬૮), ‘એ લડકી (૧૯૯૧), ‘જૈની મહેરબાન સિંહ’ (૨૦૦૭), ‘ગુજરાત પાકિસ્તાન સે ગુજરાત હિંદુસ્તાન’ (૨૦૧૭) જે તેમના નિજી જીવનને સ્પર્શતી નવલકથા છે. તેમની વાર્તાઓના વિવિધ ભારતીય ભાષાઓમાં તથા અંગ્રેજીમાં અનુવાદ થયેલા છે. એમની નવલકથા ‘જિંદગીનામા’ને સાહિત્ય અકાદમી ઍવૉર્ડ (૧૯૮૦) મળેલો. તેઓ પોતાની કૃતિઓમાં પંજાબી, ઉર્દૂ અને રાજસ્થાની શબ્દપ્રયોગો કરતાં. કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર ઉપરાંત સાહિત્ય શિરોમણિ પુરસ્કાર, મૈથિલીશરણ ગુપ્ત પુરસ્કાર, સાહિત્યકલા પરિષદ પુરસ્કાર, ૧૯૯૯માં કથાચૂડામણિ ઍવૉર્ડ વગેરે એનાયત કરવામાં આવેલા. હિંદીમાં ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મેળવનાર તેઓ પ્રથમ મહિલા છે. ૨૦૧૭માં ભારતીય સાહિત્યનું સર્વોચ્ચ સન્માન ગણાય એવો જ્ઞાનપીઠ પુરસ્કાર પણ તેમને મળેલ છે.

રાજશ્રી મહાદેવિયા

Categories
વાચન સમૃદ્ધિ

અનુકરણ એટલે અંત

વિશ્વવિખ્યાત હાસ્ય અભિનેતા બૉબ હૉપ (૧૯૦૩-૨૦૦૩) પોતાનાં માતાપિતા સાથે દેશાંતર કરીને અમેરિકા આવીને રહેવા લાગ્યા. એમના પિતા સંગીત-સમારોહમાં ગાયક તરીકે કામ કરતા હતા. એમણે થોડાં વર્ષો રંગભૂમિ પર નૃત્યકાર અને હાસ્યકાર તરીકે પણ કામ કર્યું હતું. બૉબ હૉપ કશુંક કરવા ચાહતા હતા. એમણે દસ વર્ષની વયે ‘ચાર્લી ચૅપ્લિન અનુકરણ સ્પર્ધા’માં વિજય મેળવ્યો અને એ પછી સ્ટેજ પર ગીત સાથે અભિનય કરવા લાગ્યા. આમાં એમણે ઘણાં વર્ષો વિતાવ્યાં, પરંતુ ચાર્લી ચૅપ્લિનની શૈલીમાં અનુકરણને કારણે એમની કોઈ આગવી છાપ ઉપસાવી શક્યા નહીં. વિલ રોગર્સ સરકસમાં કામ કરતા હતા, ત્યારે કંઈ જ બોલ્યા વગર દોરડાં ઘુમાવવામાં માહેર હતા. એક વાર અચાનક બૉબ હૉપને પોતાનામાં છુપાયેલી આગવી રમૂજવૃત્તિનો ખ્યાલ આવ્યો. એણે દોરડાં ઘુમાવતી વખતે પોતાની આ રમૂજી શૈલી દ્વારા દર્શકોને ખૂબ હસાવ્યા અને એને પરિણામે એની આગવી પ્રતિભા ઊભી થઈ. આ મૌલિકતાએ બૉબ હૉપ તરફ સહુનું ધ્યાન ખેંચ્યું. બૉબ હૉપે પોતાની ‘ડાહ્યા-ગાંડા’ જેવી જુદી જ ઇમેજ ઊભી કરી. એને કારણે જ લોકચાહના પામીને એ બૉબ હૉપ બની રહ્યા. રમૂજની એમની નિજી શૈલીએ દર્શકોનાં હૃદય જીતી લીધાં. જો એમણે માત્ર ચાર્લી ચૅપ્લિનના અભિનયનું અનુકરણ કરવાનું ચાલુ રાખ્યું હોત, તો રેડિયો, ટેલિવિઝન અને ફિલ્મમાં એ એની આગવી શૈલીથી અપાર લોકપ્રિયતા હાંસલ કરી શક્યા, તે પામી શક્યા ન હોત.

કુમારપાળ દેસાઈ