તમે માનસિક રીતે હતાશા અનુભવો છો ? શરીરનો મેદ એટલો બધો વધી ગયો છે કે સાંધામાં પારાવાર દુઃખાવો થાય છે ? કુટુંબજીવનમાં ચાલતા ક્લેશથી વારંવાર લાગણીમય આઘાતો અનુભવવા પડે છે ? જીવનમાં વ્યક્તિ માનસિક, શારીરિક કે લાગણીમય પીડા અનુભવે છે, ત્યારે એ પોતાની પીડાને માથે લઈને ફર્યા કરે છે અને સતત એનાં જ ગીત ગાયા કરે છે. બીજી બધી બાબતો ભૂલીને પોતાની પીડાના વિચારને સતત ખંજવાળ્યા કરે છે. પરિણામે જીવનની પ્રત્યેક પીડામાં રહેલો સંદેશ એ પામી શકતો નથી. એ પીડા એને સાચી સલાહનો જે પુરસ્કાર આપે છે, તે પ્રાપ્ત કરી શકતો નથી. દરેક પીડા વખતે મન એમ વિચારે છે કે ‘આમ કર્યું હોત, તો આ ન થયું હોત. જીવનમાં સાચી સમજણ કેળવી હોત, તો હતાશા આવી ન હોત. ગુટકાના વ્યસનીઓ સમય જતાં થતી પીડાથી જ્યારે પરેશાન થાય, ત્યારે ગુટકાને દોષ આપે છે. શરીરની નબળાઈની ફરિયાદ કરે છે. ભૂખ લાગતી નથી, કહી વસવસો કરે છે, પણ વ્યસનના પ્રારંભકાળે જાગ્યો નહીં, તે એને યાદ આવતું નથી. નિયમિત વ્યાયામ અને પૌષ્ટિક ખોરાક પર લક્ષ કેન્દ્રિત કરીને આરોગ્યનું ધ્યાન રાખ્યું હોત, તો સ્થૂળ કાયાને પરિણામે થયેલો સાંધાનો દુઃખાવો ન થયો હોત. નાની નાની તુચ્છ બાબતોને ભૂલીને સહુની સાથે પ્રેમથી વ્યવહાર કર્યો હોત તો આટલો મોટો કુટુંબક્લેશ થયો ન હોત. પ્રત્યેક પીડા મનને સતત એની ભૂલ બતાવે છે. પોતાની ભૂલનો એ વસવસો કરે છે અને પીડામાં જ પોતાનું જીવન વ્યતીત કરે છે, પરંતુ દરેક પીડાનો એક બીજો સંદેશ છે અને તે છે પીડામુક્ત બનવાનો. પીડાનો એ સંદેશ કાન દઈને સાંભળવો જોઈએ. તમારી પીડા કહે છે કે મનની હતાશા ખંખેરી નાખો, શરીરના આરોગ્યને પ્રાથમિકતા આપો અને કુટુંબમાં સ્નેહનું વાતાવરણ સર્જો.
કુમારપાળ દેસાઈ


