Categories
વાચન સમૃદ્ધિ

સમુદ્રમંથન

દેવો અને દાનવોએ કરેલું ક્ષીરસાગરનું મંથન.

ભાગવત પુરાણની પ્રચલિત કથા અનુસાર એક વાર ફરવા નીકળેલા ઇન્દ્રને દુર્વાસા ૠષિ મળ્યા. ૠષિએ એક ફૂલમાળા ઇન્દ્રને આપી. ઇન્દ્રે તે માળા હાથીની સૂંઢ પર ફેંકી તો હાથીએ તેને પગ નીચે કચડી. દુર્વાસાને આમાં પોતાનું અપમાન લાગ્યું. તેથી તેમણે ઇન્દ્રને શાપ આપ્યો. આ શાપના કારણે દેવતાઓ શ્રીહીન, દુર્બળ અને નિસ્તેજ થયા. અસુરોએ સ્વર્ગમાં તાંડવ મચાવી દીધું. અમરાવતી તેમનું ક્રીડાંગણ બની ગઈ. ભયભીત દેવોએ ભગવાન વિષ્ણુનું શરણું લીધું. વિષ્ણુએ અસુરો સાથે સંધિ કરી. બેઉને સાથે મળીને ક્ષીરસાગરનું મંથન કરી અમૃત કાઢવાનો ઉપાય સૂચવ્યો. પરિણામે દેવો અને દાનવોએ મંદરાચલ પર્વતને રવૈયો અને વાસુકી નાગને નેતરું (મંથન માટેનું દોરડું) બનાવી ક્ષીરસાગરનું મંથન કર્યું; તે સમયે દેવોએ નાગના પૂંછડાનો અને દાનવોએ મુખનો ભાગ પકડેલો.

સમુદ્રમંથન

મંથન વખતે નિરાધાર મંદરાચલ પર્વત પાણીમાં ડૂબવા લાગ્યો તો વિષ્ણુએ કાચબાનો અવતાર (કચ્છપાવતાર) લઈ પર્વતને પોતાની પીઠ પર ઉઠાવી લીધો. ઘણા દિવસો સુધી સમુદ્રને વલોવ્યા બાદ તેમાંથી કાલકૂટ અથવા હળાહળ વિષ નીકળ્યું; જે જગતના રક્ષણાર્થે મહાદેવે પી લીધું. (વિષ તેમણે કંઠમાં જ રોકી રાખ્યું, તેથી તેમનો કંઠ નીલા રંગનો થઈ ગયો ને તેથી તેઓ ‘નીલકંઠ’ કહેવાયા.) તે પછી કામધેનુ ગાય, ઐરાવત હાથી, ઉચ્ચૈ:શ્રવા ઘોડો, રંભા આદિ અપ્સરાઓ, કૌસ્તુભમણિ, વારુણી (મદિરા), (પાંચજન્ય) શંખ, કલ્પવૃક્ષ, ચંદ્રમા, પારિજાતક વૃક્ષ અને લક્ષ્મીજી નીકળ્યાં. છેલ્લે હાથમાં અમૃતકુંભ લઈ ધન્વંતરિ પ્રગટ થયા. આ ચૌદ રત્નો કયા ક્રમે નીકળ્યાં તે વિશે અને જે રત્નો નીકળ્યાં તેમની બાબતમાં પણ મતભેદો છે. વળી કોઈ મત પ્રમાણે સારંગધનુષ પણ નીકળેલું. આ સંદર્ભે નીચેનો એક શ્લોક પણ પ્રચલિત છે :

‘लक्ष्मीः कौस्तुभपारिजातकसुराधन्वन्तरिश्चन्द्रमाः

गावः कामदुहा सुरेश्वरगजो रम्भादिदेवाङ्गनाः ।

अश्वः सप्तमुखो विषं हरिधनुः शङ्खोडमृतं चाम्बुधेः ।

रत्नानीह चतुर्दश प्रतिदिनं कुर्यात्सदा मङ्गलम् ।।’

આમાંથી કામધેનુ ગાય ૠષિઓએ, ઉચ્ચૈ:શ્રવા ઘોડો બલિરાજાએ, ઐરાવત ઇંદ્રે, કૌસ્તુભમણિ વિષ્ણુએ, વારુણી અસુરોએ લીધાં. લક્ષ્મી વિષ્ણુ ભગવાનનાં પત્ની બન્યાં. અમૃતકુંભમાંથી અમૃત પીવા માટે અસુરોએ પ્રયત્ન કર્યો અને દેવતાઓ નાસીપાસ થયા ત્યારે ભગવાને મોહિની-સ્વરૂપ લઈ અસુરોને મોહજાળમાં ભરમાવ્યા અને અમૃત દેવતાઓને પિવડાવ્યું. રાહુએ પણ દેવસ્વરૂપ લઈ અમૃત પીવાનો પ્રયત્ન કર્યો; પણ સૂર્ય અને ચંદ્રે તે અંગે ભગવાનને સાવધ કર્યા એટલે ભગવાને ચક્રથી તેનું મસ્તક કાપી નાંખ્યું. તેનું ધડ નીચે પડ્યું; પણ મસ્તક અમર થઈ ગયું ! બ્રહ્માજીએ તેને ગ્રહ બનાવ્યો.  ત્યારથી મનાય છે કે સૂર્યચંદ્ર પર વેર રાખી પર્વને દિવસે તે સૂર્ય અને ચંદ્રને ઘેરે છે. જુદાં જુદાં પુરાણોમાં આંશિક ભેદ સાથે સમુદ્રમંથનની આ કથા મળે છે. આમ સમુદ્રમંથનમાં દેશ, કાલ, હેતુ, કર્મ અને બુદ્ધિ દેવ અને દાનવોમાં સમાન હોવા છતાં ફળમાં ભેદ થયો. ભગવાનનો આશ્રય લેવાથી દેવોને તેના ફલસ્વરૂપ અમૃત મળ્યું જ્યારે દૈત્યોને એ મળ્યું નહીં.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

શ્રદ્ધા ત્રિવેદી, શુભ્રા દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

માધવરાવ પહેલા

જ. ૧૬ ફેબ્રુઆરી, ૧૭૪૫ અ. ૧૮ નવેમ્બર, ૧૭૭૨

પેશ્વા બાલાજી બાજીરાવના વચેટ પુત્ર માધવરાવ મરાઠા શાસકોમાં ઉત્તમ વહીવટકર્તા, સમર્થ સેનાપતિ અને મહાન પેશ્વા હતા. તેઓને રાજવંશી કુટુંબોને અનુરૂપ શિક્ષણ અને તાલીમ પ્રાપ્ત થયાં હતાં. નાની ઉંમરથી રાજનીતિ અને રાજકારણની બાબતોમાં રસ લેવાનું તેમણે શરૂ કર્યું હતું. આઠ વર્ષની વયે રમાબાઈ સાથે લગ્ન થયું હતું. માધવરાવને કોઈ સંતાન ન હતું, આથી તેમના અનુગામી તરીકે નાના ભાઈ નારાયણરાવને તેઓએ પસંદ કર્યા હતા. તેમનાં માતા ગોપિકાબાઈએ માધવરાવને રાજકારભાર અને નીતિનિયમો સંબંધી માર્ગદર્શન આપ્યું હતું. પિતાનું મૃત્યુ થતાં માત્ર ૧૬ વર્ષની વયે માધવરાવે વહીવટ સંભાળ્યો હતો. ૧૭૬૧માં નિઝામઅલી સાથે પુણે પાસેના યુદ્ધમાં નિઝામઅલીનો પરાજય થયો. હૈદરઅલી સાથેના યુદ્ધમાં હૈદરનો પરાજય થયો. માધવરાવે ઉત્તરમાં મરાઠી સત્તાને પુન: સ્થાપિત કરવામાં સફળતા મેળવી હતી. પેશ્વા માધવરાવે સરકારી અધિકારીઓને ભ્રષ્ટાચાર અને લાંચ-રુશવતની બદીથી દૂર રહેવાની કડક સૂચનાઓ આપી હતી. ભારરૂપ કરવેરાઓ નાબૂદ કરી તેનું માળખું સરળ કર્યું. વહીવટી તંત્રમાં નિષ્કલંક, પ્રામાણિક તથા કાર્યદક્ષ અધિકારીઓ અને કર્મચારીઓને નિયુક્ત કર્યા. ન્યાયતંત્રને નિષ્પક્ષ અને કડક બનાવ્યું. પેશ્વા માધવરાવ ઉત્તમ ચારિત્ર્ય, હૃદયની વિશાળતા, ઊંડી સમજશક્તિ અને ઝડપી નિર્ણયો લેવાની શક્તિ ધરાવતા હતા. પ્રજાનું વધુ કલ્યાણ થાય તે જોવાની તેમની તમન્ના હતી. ૧૧ વર્ષની રાજકીય અને લશ્કરી કારકિર્દી દરમિયાન નીડરતા અને નિખાલસતાથી ફરજો અને જવાબદારી તેઓએ અદા કરી. સતત આંતરિક સંઘર્ષો અને અવિરત યુદ્ધોમાં વ્યસ્ત હોવાથી તેઓને ક્ષયરોગ લાગુ પડ્યો, ૨૭ વર્ષની વયે માધવરાવની તબિયત બગડી. મૃત્યુ પહેલાં હૈદરની  શરણાગતિની વાત તથા ઉત્તરની સફળ કામગીરીના સુખદ સમાચાર સાંભળી શાંતિથી પ્રાણ છોડ્યો.

અંજના ભગવતી

Categories
વાચન સમૃદ્ધિ

જગત જાકારો આપે ત્યારે મૈત્રી

માત્ર આવકારો આપે ==============================

મૈત્રી ત્યારે જ ટકે કે જ્યારે એમાં વિચારો કે દલીલોની ચડઊતર થતી હોય. સંબંધો ત્યારે જ દૃઢ થાય કે જ્યારે એકબીજા સાથે વિચારવિમર્શ થતો હોય અને એમાંથી કશુંક તારણ મેળવાતું હોય. મૈત્રી એટલે માત્ર સંબંધ બાંધવો એટલું નથી. એ તો એનું પહેલું પગથિયું છે. એ પછી એનું બીજું પગથિયું છે તે સંબંધને મજબૂત કરવો અને ત્રીજું પગથિયું છે મૈત્રીને સાતત્યપૂર્ણ રીતે જાળવવી. સંબંધ બાંધવામાં વ્યક્તિઓ અતિ ઉત્સાહી હોય છે. મૈત્રી બાંધતી વેળાએ એ ઝાઝો વિચાર કરતી નથી. ક્યાંક મળવાનું બને, હોટેલ કે સિનેમામાં જવાનું થાય અને મૈત્રી બંધાઈ જાય, પરંતુ આવી મૈત્રી ક્ષણભંગુર એ માટે હોય છે કે એની પાછળ વિચાર કે સમજનો કોઈ મજબૂત પાયો હોતો નથી. આથી મૈત્રી બાંધવા કરતાં પણ મૈત્રીની ઇમારતનું ઘડતર કરવું મહત્ત્વનું છે અને એ ઘડતર કરવા માટે વિચારોનું મુક્ત આદાનપ્રદાન આવશ્યક છે. મિત્રને સાચી વાત કહેવાની હિંમત તો હોય, પરંતુ એથીય વધુ એને દુ:ખ પહોંચાડે એવી કડવી વાત કરવાનો છોછ રાખવો જોઈએ નહીં, કારણ કે મૈત્રીના આ ચણતરમાં ઘણી મહેનત કરવી પડે છે. વળી મૈત્રીને જાળવવાનું કામ ઘણું કપરું છે. ક્યારેક પ્રારંભમાં કોઈ આકર્ષણને કારણે મૈત્રી બંધાઈ જાય, પરંતુ એ પાછી થોડાક સમયમાં ભુલાઈ જતી હોય છે. જ્યારે સાચી મૈત્રી એ સાતત્યપૂર્ણ હોય છે અને તે જીવનભર ટકનારી હોય છે. દુનિયા આખી જાકારો આપે ત્યારે મૈત્રી એને આવકારો આપે છે. આંખ જેમ જગતને બતાવતી હોય છે, હાથ જેમ શરીરનું પ્રિય કરે છે એવી સાહજિકતા મૈત્રીમાં હોવી જોઈએ અને એવી મૈત્રી વ્યક્તિને માટે જીવનમાં આનંદ અને ઔષધ બંને બની રહે છે.

કુમારપાળ દેસાઈ