Categories
વાચન સમૃદ્ધિ

તેલંગાણા

ભારતીય દ્વીપકલ્પના દક્ષિણ ભાગમાં આવેલું ભૂમિબંદિસ્ત રાજ્ય. સ્થાન : આ રાજ્ય 18° 11´ ઉ. અ. અને 79° 1´ પૂ. રે.ની આજુબાજુ આવેલ છે. તેનો વિસ્તાર 1,12,077 ચો.કિમી. જેટલો છે. વિસ્તારની દૃષ્ટિએ ભારતમાં 11મા ક્રમે અને વસ્તીની દૃષ્ટિએ 12મા ક્રમે આવે છે. આ રાજ્યની ઉત્તરે મહારાષ્ટ્ર, પૂર્વે છત્તીસગઢ, અગ્નિએ આંધ્રપ્રદેશ અને પશ્ચિમે કર્ણાટક રાજ્યોની હદ મળે છે. તેલંગાણા શબ્દ ‘Trilingadesh’ (land of three lings)  એટલે કે જ્યાં મહત્ત્વનાં શિવમંદિરો આવેલાં છે તે પ્રદેશ. (ક્લેશવર્મ–Kalesh Waram, શ્રી શૈલમ્–SriShailam, અને ડરકશર્મા–Draksharma). એમ પણ મનાય છે કે તેલંગણા જે તેલંગઢ (Telangadh) ઉપરથી બન્યો હશે અથવા તેલુગુ ભાષા શબ્દ ઉપરથી તેલંગાણા શબ્દ આવ્યો હશે. બીજી જૂન, 2014ના રોજ આંધ્રપ્રદેશ રાજ્યમાંથી એક નવા રાજ્ય તરીકે તેલંગાણાનું નિર્માણ કરવામાં આવ્યું છે.

રામોજી ફિલ્મ સિટી

આ રાજ્યની મુખ્ય બે નદીઓ ગોદાવરી અને ક્રિશ્ના છે. આ સિવાય ભીમા, મનેર, મંજીરા, મુસ્ત, તુંગભદ્રા વગેરે નાની નદીઓ આવેલી છે. સામાન્ય રીતે આ જંગલોમાં સાગ, સાલ, રોઝવૂડ, ખેર, ટીમરું વગેરે વૃક્ષો જોવા મળે છે. આ રાજ્યમાં ખેતીનો આધાર ગોદાવરી, ક્રિશ્ના અને નાની નદીઓના જળસ્રોત તેમજ વરસાદ પર રહેલો છે. આ રાજ્યમાં ડાંગરની ખેતી મુખ્ય છે. આ સિવાય મકાઈ, તમાકુ, કપાસ, શેરડી જેવા પાકો તેમજ કેરી, દ્રાક્ષ જેવાં ફળો તેમજ કાકડી અને શાકભાજીની ખેતી મુખ્ય છે. આમ આ રાજ્યની આવકનો આધાર ખેતી છે. આ રાજ્યના પાટનગર હૈદરાબાદની આજુબાજુના વિસ્તારોમાં ઑટોમોબાઇલ અને પુરજા બનાવવાના, ખાણ અને ખનિજોને લગતા, કાપડ, દવા બનાવવાના, ખાદ્યપ્રકરણ ખાદ્યતેલ બનાવવાના અને સેવાના એકમો આવેલા છે. ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં તેલુગુ ફિલ્મ ઉદ્યોગ દ્વિતીય ક્રમે આવે છે. ‘રામોજી ફિલ્મ સિટી’ જે વિશ્વનો સૌથી મોટો ફિલ્મ સ્ટુડિયો છે. ગિનિસ વર્લ્ડ રેકૉર્ડમાં તે નોંધાયેલ છે. રાજ્યની કુલ વસ્તી (2022, આશરે) મુજબ આશરે 4 કરોડ છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-9, તેલંગાણા, પૃ. 2 અથવા જુઓ https://gujarativishwakosh.org/તેલંગાણા/)

Categories
વાચન સમૃદ્ધિ

ઇન્દુલાલ યાજ્ઞિક

જ. 22 ફેબ્રુઆરી, 1892 અ. 17 જુલાઈ, 1972

વિવિધ પ્રજાકીય આંદોલનોના પ્રણેતા અને ગુજરાતના નિઃસ્પૃહી રાજકીય નેતા. મૅટ્રિકની પરીક્ષામાં નડિયાદમાં સૌપ્રથમ ક્રમે આવ્યા અને બી.એ.ની પરીક્ષામાં મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજમાંથી પ્રથમ ક્રમે આવ્યા. અભ્યાસમાં તેજસ્વી એવા ઇન્દુલાલ 1913માં ‘મુંબઈ સમાચાર’માં પત્રકાર તરીકે જોડાયા. થોડો સમય વકીલાત પણ કરી, પણ તે છોડી 1915માં સમાજસેવા અને દેશસેવામાં જીવન સમર્પિત કરવાનો નિર્ણય લીધો. ‘યંગ ઇન્ડિયા’, ‘નવજીવન અને સત્ય’ માસિકો શરૂ કર્યાં. 1922માં ‘યુગ ધર્મ’ની શરૂઆત કરી. વળી થોડો સમય દેશસેવાનું કામ છોડી ફિલ્મક્ષેત્રમાં ઝંપલાવ્યું અને ‘પાવાગઢનું પતન’ ફિલ્મ ઉતારી. ઇંગ્લૅન્ડમાં આયર્લૅન્ડની સ્વતંત્રતાના પ્રચંડ સમર્થક દ વેલેરા સાથે કામ કર્યું અને 1936માં ભારત પાછા આવ્યા. 1941-42માં ‘નૂતન ગુજરાત’ સામયિકનું તંત્રીપદ સંભાળ્યું. 1944માં નેનપુર આશ્રમ શરૂ કરી રચનાત્મક પ્રવૃત્તિઓ આરંભી, હોમરૂલ ચળવળમાં ભાગ લીધો અને રાષ્ટ્રીય કૉંગ્રેસમાં જોડાયા. રાષ્ટ્રીય કેળવણીનો આગ્રહ રાખી ગૂજરાત વિદ્યાપીઠ જેવી સંસ્થાનાં બી રોપ્યાં. સવિનય કાનૂનભંગની લડતમાં સક્રિય ભાગ લીધો. આઝાદી પછી મૉસ્કો અને વિયેનાનો પ્રવાસ કર્યો અને સામ્યવાદી વિચારધારાથી પ્રભાવિત થયા. દ્વિભાષી મુંબઈ રાજ્યની રચના સમયે મહાગુજરાત આંદોલનનું નેતૃત્વ લીધું. ‘જનતા પરિષદ’ નામના રાજકીય પક્ષની સ્થાપના કરી ગુજરાતના લાડીલા ‘ઇન્દુ ચાચા’ બન્યા. 1957થી 1972 સુધી લોકસભાના સાંસદ રહ્યા. આ ઉપરાંત ગુજરાતી સાહિત્યમાં પણ નોંધપાત્ર પ્રદાન કર્યું. તેમણે છ ભાગમાં આત્મકથા લખી. નર્મદ સુવર્ણચંદ્રકથી તેમને નવાજવામાં આવ્યા હતા. રાજકીય વિષયવસ્તુવાળાં ભાવનલક્ષી અને પ્રચારલક્ષી નાટકો આપવા ઉપરાંત ‘માયા’ નવલકથા, ‘વરઘોડો’, ‘આશા-નિરાશા’, ‘રણસંગ્રામ’, ‘શોભારામની સરદારી’ જેવાં નાટકો પણ લખ્યાં. ગાંધીજી સાથેનાં સંસ્મરણો આલેખતી ‘ગાંધીજીના સહવાસમાં’, ‘સત્યાગ્રહ : નિષ્ફળ અને નકામું શસ્ત્ર’ જેવાં પુસ્તકો પણ આપ્યાં. અંગ્રેજીમાં ‘મિ. ગાંધી એઝ આઈ નો હિમ’ અને ‘શ્યામજી કૃષ્ણવર્મા’ જેવાં ચરિત્રપુસ્તકો પણ આપ્યાં. આમ એક નીડર, નિખાલસ, સ્વમાની અને પુરુષાર્થી વ્યક્તિ તરીકે લોકો તેમને સદા યાદ રાખશે.

Categories
વાચન સમૃદ્ધિ

કપરી પરિસ્થિતિમાં

એ સમયે અમેરિકામાં આવકવેરો નહોતો અને એ જમાનામાં અમેરિકન કંપનીઓમાં વાર્ષિક દસ લાખ ડૉલરની કમાણી કરતી વ્યક્તિઓ બહુ ઓછી હતી. આવે સમયે એન્ડ્રુ કાર્નેગીએ પોતાની નવી કંપનીમાં ત્રીસ વર્ષના યુવાનની નિમણૂક કરી. યુનાઇટેડ સ્ટીલ કંપની નામની એમની આ કંપનીનો પ્રારંભ ઈ. સ. 1921માં કર્યો અને એણે ચાર્લ્સ શ્વાબને વર્ષે દસ હજાર ડૉલરના પગારે રાખી લીધા. ચાર્લ્સ શ્વાબ પાસે એક આગવી આવડત હતી. એ પોતે સ્ટીલ ઉત્પાદનના આ વ્યવસાયના ઊંડા જાણકાર નહોતા. વ્યવસાય માટેની અદ્ભુત કુનેહ ધરાવનાર કોઈ મેધાવી વ્યક્તિ પણ નહોતા. હકીકતમાં તો એમના હાથ નીચે કામ કરતા કેટલાય લોકો ચાર્લ્સ શ્વાબ કરતાં સ્ટીલ ઉત્પાદન અંગે વધુ જાણકારી ધરાવતા હતા, પરંતુ ચાર્લ્સ શ્વાબની ખૂબી એવી હતી કે એ પોતાના સાથી કર્મચારીઓને બરાબર ઓળખીને એમને એમના કામમાં પ્રોત્સાહિત કરતા હતા. વળી એ કર્મચારીઓને એમના કાર્ય માટે અભિનંદન આપતા હતા. એની આ આવડત જ ચાર્લ્સ શ્વાબની એક મહત્ત્વની શક્તિ બની રહી. એમાં પણ એની સ્ટીલ મિલમાં કામ કરતા એક આધેડ વયના જર્મન કામદારને પોતાના સાથી કામદારો સાથે ઝઘડો થયો. સામસામી દલીલબાજી થઈ. એમાંથી ઉગ્ર સ્વરૂપ પકડ્યું અને બધાએ ભેગા થઈને પેલા જર્મન કર્મચારીને ઊંચકીને નદીમાં ફેંકી દીધો. પેલો જર્મન કર્મચારી પાછો ઑફિસમાં આવ્યો, ત્યારે એનાં કપડાં કાદવ-કીચડવાળાં હતાં. ચાર્લ્સ શ્વાબે એને પૂછ્યું કે, ‘તારા સાથી કર્મચારીઓએ તને ઊંચકીને નદીમાં ફેંકી દીધો, ત્યારે તેં એમને કેટલા ગુસ્સાભર્યા અપશબ્દો કહ્યા હતા ?’ એના ઉત્તરમાં આધેડ વયના જર્મન કર્મચારીએ કહ્યું, ‘સાહેબ, એ સમયે હું માત્ર હસતો હતો’ અને ચાર્લ્સ શ્વાબે એ પ્રૌઢ જર્મન પાસેથી ‘કપરી પરિસ્થિતિમાં પણ સદા હસતા રહેવું’ એ સૂત્રને જીવનમંત્ર તરીકે અપનાવી લીધું.