Categories
વાચન સમૃદ્ધિ

હવેલી

મોટું ને સુંદર બાંધણીવાળું મકાન – મહાલય તેમ જ એ પ્રકારની બાંધણીવાળું પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયનું મંદિર.

હવેલી-૧ : ‘હવેલી’ શબ્દ અરબી ભાષામાંથી આવેલો છે. તે ઐતિહાસિક કે સ્થાપત્યની દૃષ્ટિએ મહત્ત્વ ધરાવતા મોટા મહાલય માટે ભારત તથા પાકિસ્તાનમાં વપરાય છે. પોતાની સમૃદ્ધિ અને દરજ્જો પ્રદર્શિત કરવા શ્રીમંતો હવેલીમાં ખૂબ ખર્ચ કરતા હતા. ભારતમાં રાજસ્થાન, ગુજરાત, આગ્રા, લખનઉ અને દિલ્હીમાં હવેલીઓ જોવા મળે છે. ‘હવેલી’ શબ્દ સાંભળતાં ચૉકવાળા મકાનનું સ્મરણ થાય છે. તેમાં ક્યારેક ફુવારો અને કુંડ પણ હોય છે. શ્રીમંત કુટુંબો પોતાના નિવાસ માટે હવેલી જેવાં ઘરો બનાવે છે. હવેલી એટલે ઓટલા, ખડકી, ચૉક, પરસાળ, ઓરડો, ઝરૂખા વગેરેવાળું વિશાળ મકાન. ક્યારેક તેમાં અંદર નાનો બગીચો પણ હોય છે. આ મકાન ચારેય બાજુ ઊંચી દીવાલો ધરાવે છે અને તેમાં પ્રવેશ માટે એક દરવાજો હોય છે. ચૉક ઉપરથી ખુલ્લો હોવાથી આવાં ઘરોમાં હવા-ઉજાસ સારાં હોય છે. ગુજરાતની હવેલીઓમાં સુંદર કોતરણીવાળું કાષ્ઠકામ જોવા મળે છે. તેમનાં થાંભલા, ટોડલા, કમાનો, ઝરૂખા-જાળીવાળી બારીઓ વગેરે સુંદર કાષ્ઠકામથી સજાવેલાં હોય છે. તેમાં અપ્સરાઓ તથા ગાંધર્વોની આકૃતિઓ પણ કોતરેલી હોય છે.

શેખાવતમાં આવેલી એક સુંદર હવેલીનો ચૉક, રાજસ્થાન

રાજસ્થાનમાં શેખાવતમાં પણ સુંદર હવેલીઓ આવેલી છે. ત્યાં હવેલીમાં બહાર અને અંદર બે ચૉક  હોય છે. બહારના ચૉકનો વપરાશ પુરુષો કરતા હોય છે અને અંદરના ચૉકનો સ્ત્રીઓ. તેની ભીંતો પર સુંદર ચિત્રો કરેલાં હોય છે. ગુજરાતમાં આવેલ નોંધપાત્ર હવેલીઓમાં વડોદરામાં સૂરેશ્વર દેસાઈની હવેલી તથા હરિભક્તિની હવેલી છે. શાંતિદાસ ઝવેરીની હવેલીઓ ઝવેરીવાડમાં હતી. કમનસીબે તે આગમાં નષ્ટ થઈ ગઈ. અમદાવાદમાં હઠીસિંહની બે પ્રસિદ્ધ હવેલીઓ છે : દોશીવાડાની પોળમાં તથા ફતાશાની પોળમાં. બંને હવેલીઓમાં કાષ્ઠ-કોતરકામ સુંદર છે. અમદાવાદમાં ખાડિયામાં સારાભાઈ કુટુંબની સુંદર હવેલી આવેલી છે. વસોમાં આવેલી દરબારસાહેબની હવેલી તથા વિઠ્ઠલદાસની હવેલી રક્ષિત સ્મારક તરીકે સચવાઈ રહી છે. તેમાં રાસલીલા તથા વૈષ્ણવ પુરાણ-કથાનાં દૃશ્યો આલેખાયેલાં છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10, હવેલી, પૃ. 137)

Categories
વાચન સમૃદ્ધિ

ચૌધરી ચરણસિંહ

જ. 23 ડિસેમ્બર, 1902 અ. 29 મે, 1987

ભારતીય રાજકારણના કિસાન નેતા, ઉત્તરપ્રદેશના પંતપ્રધાન તથા ભારતના પૂર્વવડાપ્રધાન ચરણસિંહનો જન્મ ઉત્તરપ્રદેશના  મેરઠના નૂરપુર ગામે એક જાટ પરિવારમાં થયો હતો. 1923માં વિજ્ઞાન વિદ્યાશાખામાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરીને તેમણે 1925માં આગ્રા યુનિવર્સિટીમાંથી અનુસ્નાતકની પદવી મેળવી હતી. કાયદાશાસ્ત્રમાં તાલીમ મેળવીને તેમણે ગાઝિયાબાદ ખાતે પ્રૅક્ટિસ શરૂ કરી હતી. 1929માં તેઓ મેરઠ પાછા ફર્યા અને કૉંગ્રેસમાં જોડાયા હતા. ચરણસિંહ ચૌધરી છપરોલી બેઠક પરથી ઉત્તરપ્રદેશની વિધાનસભામાં 1937માં ચૂંટાઈ આવ્યા હતા. ત્યારબાદ 1946, 1952, 1962 અને 1967માં પણ એ મતક્ષેત્રનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 1946માં ગોવિંદ વલ્લભ પંતની સરકારમાં સંસદીય મંત્રીપદ ઉપરાંત તેમણે મહેસૂલ, તબીબી અને જાહેર આરોગ્ય, ન્યાય, માહિતી વગેરે વિભાગોમાં કામગીરી કરી હતી. જૂન, 1951માં રાજ્યના કૅબિનેટ મંત્રી બનાવીને તેમને ન્યાય અને માહિતી વિભાગ સોંપવામાં આવ્યા હતા. 1954માં તેઓ ડૉ. સંપૂર્ણાનંદ પ્રધાનમંડળમાં મહેસૂલ અને કૃષિ કૅબિનેટ મંત્રીપદે રહ્યા હતા. અનેક પદ પર રહીને ઉત્તરપ્રદેશની સેવા કરી ચૂકેલા ચૌધરી ચરણસિંહ પોતાના કઠોર પરિશ્રમ માટે ખૂબ જાણીતા હતા. સંસદીય અને વ્યવહારુ વલણ ધરાવતા હોવા ઉપરાંત વક્તવ્યની છટા અને પ્રતિબદ્ધતા માટે હિંમત દાખવવા માટે પણ તેમની પ્રસિદ્ધિ હતી. તેઓ ઉત્તરપ્રદેશમાં થયેલા જમીનસુધારણાના શિલ્પી હતા. તેમણે કરેલી પહેલને પગલે જ  ઉત્તરપ્રદેશના મંત્રીઓને મળતા ઊંચા પગાર અને અન્ય અધિકારો પર કાપ મુકાયો હતો. મુખ્યમંત્રી હોવાની રૂએ તેમણે લૅન્ડ હોલ્ડિંગ ઍક્ટ, 1960ને અમલી બનાવવા સઘન ભૂમિકા અદા કરી હતી. એક સમર્પિત જાહેર સેવક અને સામાજિક ન્યાયમાં શ્રદ્ધા ધરાવતા ચૌધરી ચરણસિંહ લાખો ગ્રામીણજનોનો વિશ્વાસ ધરાવતા હતા અને એ જ એમની તાકાત હતી. તેઓ ખૂબ જ સાદગીપૂર્ણ જીવન જીવતા હતા. ફુરસદના સમયનો ઉપયોગ વાંચન-લેખનમાં કરતા હોવાથી ‘જમીનદારીનાબૂદી’, ‘સહકારી ખેતી એક્સ-રે’, ‘ભારતની ગરીબી અને સમાધાન’, ‘ગ્રામીણોની માલિકી અને કામદારોની જમીન’ જેવાં પુસ્તકો અને ચોપાનિયાંના તેઓ લેખક રહ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

વિદ્યાનો પુરુષાર્થ

વર્ષો પૂર્વે અમેરિકામાં ગુલામ તરીકે આવેલા એક આફ્રિકનનો પૌત્ર જ્હોન ઍચ. જ્હૉન્સન આરકાન્સાસ શહેરની નજીકના ગ્રામવિસ્તારમાં જન્મ્યો હતો. એ છ વર્ષનો હતો, ત્યારે એના પિતા લાકડાં વહેરવાના કારખાનામાં અકસ્માત થતાં મૃત્યુ પામ્યા અને માતા તથા સાવકા પિતાને હાથે જ્હૉન્સનનો ઉછેર થયો. એ સમયે આફ્રિકન-અમેરિકન પ્રત્યે અમેરિકામાં ગુલામો જેવું જ વર્તન કરવામાં આવતું હતું. દૂરના વિસ્તારમાં અલાયદી ખીચોખીચ વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલમાં એણે પ્રાથમિક શાળાનો અભ્યાસ શરૂ કર્યો. પ્રબળ વિદ્યાપ્રીતિને કારણે એણે સ્કૂલના વૅકેશનમાં કામ કરવાનું વિચાર્યું, પણ કુટુંબમાં કારમી ગરીબાઈ ફેડવામાં કોઈ સફળતા મળી નહીં. એની માતાને પણ ઘરકામ કરનારી નોકરબાઈની નોકરી મળી નહીં અને બે વર્ષ સુધી તો સરકાર દ્વારા અપાતી સહાય પર જીવન ગાળવું પડ્યું. ભણવાની ધગશ હોવાથી જ્હૉન્સન હાઈસ્કૂલમાં દાખલ થયો, પણ એનાં લઘરવઘર કપડાં અને એની ગામડિયા રીતભાતને કારણે સહુ કોઈ એને મહેણાં-ટોણાં મારતા અને સતત પજવતા હતા, આમ છતાં જ્હૉન્સને વિચાર કર્યો કે ગમે તે થાય, એ એના જીવનમાં ‘કશુંક બનવા’ ચાહે છે. નિશાળના અભ્યાસની સાથે એક ઑફિસમાં કામ કરવા લાગ્યો, જેમાં એનું એક કામ દર મહિને નીકળતા સામયિકમાં લેખો લખવાનું હતું. આમાંથી એને પોતાનું સામયિક કાઢવાનો આદર્શ સિદ્ધ કરવા પ્રયત્ન કર્યો. માતાની 500 ડૉલરની લોન દ્વારા એણે 1942માં ‘નિગ્રો ડાઇજેસ્ટ’ નામનું સામયિક શરૂ કર્યું અને એના ડાઇજેસ્ટમાં એ આફ્રિકન-અમેરિકન ઇતિહાસ, સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક સમસ્યાઓ વિશે લેખો પ્રગટ કરતો હતો. છ મહિનામાં તો સામયિકના વેચાણનો આંકડો પચાસ હજાર સુધી પહોંચ્યો અને એક સમયે એની એક લાખ પ્રત વેચાતી હતી. આ સામયિક આફ્રિકન-અમેરિકનોનો અવાજ બની રહ્યું. એ પછી જ્હૉન્સને અમેરિકાના ‘લાઇફ’ મૅગેઝિન જેવું ‘ઇબોની’ પ્રગટ કર્યું. ત્યારબાદ ‘ટાન’ અને ‘જેટ’ જેવાં કેટલાંય સામયિકો પ્રગટ કર્યાં અને પોતાના વિદ્યાપુરુષાર્થથી સફળતાનાં શિખરો સર કર્યાં.